અર્થશાસ્ત્ર વિદ્યાર્થી અને નાટ્યકલાને સમર્પિત, કર્મશીલ ભરત દવે લિખિત અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘અભિવ્યક્તિ – સ્વાતંત્ર્ય’ના વાચકને પ્રતીત થયા વિના રહેતી નથી કે લેખકની ગૂંગળામણ, વેદના, નિસબત માત્ર તેમના પૂરતી સીમિત ન રહેતાં નાગરિકમાર્ગીની બની રહે છે – સંવેદનશીલ, પ્રબુદ્ધ નાગરિકની સવિશેષ. દેશવિદેશમાં લખાતાં, ભજવાતાં નાટકોના અભ્યાસી, આસ્વાદક, સમીક્ષક, આ પુસ્તકના લેખક, ઘરઆંગણે, વિશાળ તખતા પર ભજવાઈ રહેલા નાટક/નૌટંકીથી ત્રસ્ત છે, કારણ કે અહીં પાત્રસૃષ્ટિ માત્ર ખલનાયકોથી જ ભરેલી છે. આ નિરપવાદ તથ્ય સૌ વાંચતાં, વિચારતાં, મનન, મંથન કરતાં નાગરિકોને અકળાવે છે.
કેન્દ્રસ્થાને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય છે, જેને વિશ્વભરના રાજનીતિશાસ્ત્રના પંડિતોએ નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. લેખકે આને લગતાં સંખ્યાબંધ અવતરણો, દૃષ્ટાંતો આપ્યાં છે, ભલે સમગ્ર માનવજાત એક તરફ હોય, પણ એકલદોકલ વ્યક્તિ, વિરુદ્ધ અભિપ્રાય ધરાવતી હોય, તો તેની અવગણના કરી શકાય નહીં, બહુમતીનો અભિપ્રાય સ્વીકારી લેવાની ફરજ પાડવી એ બેહૂદું છે.
લેખક સ્વાતંત્ર્યોત્તર ભારતના સત્તાધીશો દ્વારા અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર બિનજરૂરી અંકુશો કેવી રીતે લાદવામાં આવતા રહ્યા છે, તેનું વિસ્તૃત બયાન કરે છે. કૉંગ્રેસ છોડેલો વારસો આગળ ધપાવવા ભાજપ જાણે કૃતસંકલ્પ હોય અને એ કારણ આગળ ધરીને પોતાના પગલાને વાજબી ઠેરવે તો ક્યાં ઘા નાખવી? ‘ઘરના દાઝ્યા વનમાં ગયા, તો લાગી આગ’ જેવો ઘાટ રચાયો છે. શાસક અને શોષક વચ્ચેની ભેદરેખા ઓગળતી ચાલી છે. ટીવીના પડદે ‘બ્રેકિંગ ન્યૂઝ’ને બદલે ‘હાર્ટબ્રેકિંગ ન્યૂઝ’ લખાઈને આવવું જોઈએ.
ભરતભાઈની પ્રમુખ ચિંતાઓ આ રહી, જે સાથે અસહમત થવાનું કોઈ કારણ નથી :
# મહત્ત્વપૂર્ણ સંસ્થાઓમાં એવી લાયકાત વિનાની, કલંકિત ઇતિહાસ ધરાવતી, ભ્રષ્ટ વ્યક્તિઓની નિમણૂક થાય છે, જેમની એકમાત્ર યોગ્યતા પક્ષીય વફાદારી કે ચોક્કસ કોમમાંથી આવતા હોવાની છે.
# જેમને ધર્મ, સંસ્કૃિત, રાષ્ટ્રવાદ વગેરેની જરા સરખી સ્પષ્ટ સમજ નથી, એ રાજકીય, ધાર્મિક અગ્રણીઓ પોતાનાં હિતો સાચવવા સગવડિયું અર્થઘટન કરતાં રહે છે.
# જરાસરખી વાતમાં કોઈ ચોક્કસ કોમ કે સંપ્રદાયની લાગણી દુભાતાં વાર લાગતી નથી. ઉમાશંકર જોશી જેવા મોટા ગજાના દર્શકની વાર્તા ‘ઢેડના ઢેડ, ભંગી’ના શીર્ષકથી વ્યથિત થઈ વિરોધ કરવા નીકળી પડેલા લોકોને કોણ સમજાવે કે ઉમાશંકર ગાંધીવાદી હતા, દલિદ્ધાર માટે સક્રિય હતા. અહીં પેલી પંક્તિ ટાંકવાનું મન થાય છે, ‘કાણાને કાણો નવ કહીએ, માઠાં લાગે વેણ, હળવે રહીને પૂછીએ ‘શીદને ખોયાં નેણ?’ ભરતભાઈને ખુદને ‘ઠાકોર’ શબ્દના ઉપયોગને કારણે વેઠવું પડ્યું છે. ‘પદ્માવતી’ ફિલ્મને કારણે, કરણીસેનાનો ઉગ્ર વિરોધ જોતાં, ફિલ્મ જોયા વિના જ કે નિષ્ણાતોનો અભિપ્રાય લીધા વિના, ફિલ્મના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દેવાયો. બીજી બધી બૅંકો ભલે ફડચામાં જાય ‘વોટ બૅંક’ સધ્ધર રહેવી જોઈએ.
# ‘Hypocricy, the name is politician’ ન્યાયે આપણા નેતાઓ ગરીબોના મસીહા, પ્રજાવત્સલ, નૈતિક મૂલ્યોના રખેવાળ, કાર્યક્ષમ, દેશભક્ત દેખાવાની એક પણ તક જતી કરતા નથી. સાઇકલસવાર થઈ, રાજ્યસભાની ઉમેદવારી કરવા નીકળેલાનો ‘સાઇકલપ્રેમ’ વક્તવ્ય ફોર્મ ભરાયા બાદ અદૃશ્ય થઈ જાય છે. યુનોમાં હિન્દી ભાષામાં વક્તવ્ય આપવા તત્પર, ભાજપનેતા કર્ણાટકમાં તો અંગ્રેજીમાં જ બોલશે, એમ હરિશંકર પરસાઈ નામના વ્યંગકાર કહે છે, ‘આખિર મામલા તો વોટબૅંક કા હૈ’ (!)
# ગુજરાત વિધાનસભામાં જે વરવાં દૃશ્યો ભજવાયાં, સેવકો (!) વચ્ચે ગાળાગાળી, મારામારી થઈ તે જોતાં લાગે છે કે ‘Freedom for all’ તો આવતાં આવશે, પણ ‘Free for all’નાં પગરણ થઈ ચૂક્યાં છે.
# જે સ્વયં પોતાની સુરક્ષા માટે સક્ષમ છે, એમને પણ અંગરક્ષકો અપાય છે. જો આટલો ભય સતાવતો હોય તો ચૂંટાયા વિના પ્રજાની સેવા કરતાં કોણ રોકે છે ? ‘Those who are afraid of fire, should keep out of the kitchen.’
# ભરતભાઈને દુઃખ એ વાતનું છે કે આજે નાગરિક પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી બેઠો છે, નામ ગુમાવી બેઠો છે. ઑડનના પ્રસિદ્ધ કાવ્ય ‘The Unknown citizen’માં જણાવ્યા પ્રમાણે તે હવે રોલનંબર, ઘરનંબર, દર્દી નંબર, કેદીનંબર, આધારકાર્ડનંબર વગેરેથી ઓળખાવા માંડ્યો છે.
# સાવ સાદી નોકરી માટે ય સ્લેટ, નેટ, ટ્રીપલ ‘સી’ વગેરેનો આગ્રહ રાખતી સરકાર માઈબાપ પોતાના ધારાસભ્યો/ સાંસદો માટે કેમ કોઈ લાયકાતનો આગ્રહ નહીં રાખતી હોય?
# આપણે શું પહેરવું, વાંચવું, જોવું, બોલવું, બધું સરકાર શા માટે નક્કી કરે? અમુક પુસ્તક કે ફિલ્મ તમને વાંધાજનક લાગે, તો તે ન વાંચવા કે ન જોવાનો તમારો અધિકાર અબાધિત છે. પણ બીજાંને તે વાંચવા કે જોવાથી વંચિત રાખવામાં કયું શાણપણ છે ?
# સહિષ્ણુતા અને રમૂજવૃત્તિના અભાવે આપણી વિધાનસભા અને સંસદની કામગીરી શુષ્ક બની ગઈ છે.
# જેઓ રાજકારણમાં પ્રવેશવા બિલકુલ રાજી ન હોય, તેમની મૂલ્યવાન સેવાઓથી દેશ વંચિત ન રહી જાય તે માટે વિભિન્ન ક્ષેત્રના નિષ્ણાતોને રાજ્યસભાનું સભ્યપદ સ્વીકારવા આમંત્રિત કરવામાં આવતા હતા. આજે તો લોકસભામાં જીતી શકે તેમ ન હોય, તેવા વફાદારોને રાજી રાખવા રાજ્યસભામાં ગોઠવી દેવામાં આવે છે.
# આ સરકારમાં ગરીબો દબાણ લાવી દેવાં માફ કરાવે છે અને શ્રીમંતો, ઉદ્યોગપતિઓને લોનની પુનઃચુકવણીની પડી નથી. સરકાર તેમનો વાળ વાંકો કરી શકે તેમ નથી. રહ્યો મધ્યમવર્ગ, જેને નોટિસ ફટકારવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે. આ સરકારને ‘મધ્યમપદલોનાં’ સરકાર કહેવામાં અનૌચિત્ય ખરું?
# જૂના રાજવીઓ અંધારપછેડી ઓઢી, પ્રજાનાં સુખદુઃખ જાણવા પ્રયત્નશીલ રહેતા હતા. નવા પ્રજાવિમુખ શાસકો અંધારપછેડીને બદલે ઢાંકપિછોડો આ કે તે પક્ષની તરફદારી કર્યા વિના કે પૂર્વગ્રહ રાખ્યા વિના, સહેજ પણ દિલચોરી કર્યા વિના એમને નાગરિક અને સર્જક તરીકે કઠતી બાબતો અંગે ઊભરો ઠાલવ્યો છે. આ પ્રયાસ જરા ય કવેળાનો નથી. સંભવિત માઠાં પરિણામોથી ડરીને આપણે જો મૌન સેવીશું, તો ઇતિહાસ આપણને માફ નહીં કરે. ગેલેલિયોને પણ પરંપરાગત માન્યતાઓને વિજ્ઞાનની એરણ પર ચકાસવાનું ભારે પડ્યું હતું. એક બાજુ વિકાસની વાતો કરવી અને બીજી બાજુ નવી શોધખોળોને આવકારવાને બદલે આ તો અમારે ત્યાં હતું જ, કહી વેદો, ઉપનિષદોની દુહાઈ દેવી! આપણે રાજા વિક્રમાદિત્ય અને યોગી આદિત્યનાથ વચ્ચે પસંદગી કરવાની છે.
‘અભિવ્યક્તિસ્વાતંત્ર્ય’ માટે લેખકે લીધેલો શ્રમ ત્યારે જ સાર્થક નીવડશે, જ્યારે તેને બહોળી સંખ્યામાં વાચકો મળે અને તે પ્રત્યેક તેમાં સમાવિષ્ટ મુદ્દાઓનો પ્રસાર કરે, સંવાદ સાથે ચર્ચાવિચારણા કરે યુગધર્મ બજાવવા બદલ લેખકને અભિનંદન.
ડીસા/અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 04-05