જનસ્વાસ્થ્ય અભિયાન અને ઑલ ઇન્ડિયા પીપલ્સ સાયન્સ નેટવર્ક દ્વારા પ્રકાશિત નિવેદન
ભારતમાં કોવિડ—૧૯ના દરદીઓની તપાસ, નિદાન અને સારવારની મોટા ભાગની જવાબદારી જાહેર આરોગ્યક્ષેત્ર દ્વારા નીભાવવામાં આવી છે. ભારતમાં ખાનગી આરોગ્યસેવાઓ ઘણા બહોળા ફલક પર પથરાયેલી હોવાને કારણે એમની પાસે અપેક્ષા હતી કે આ રોગચાળા દરમિયાન એ મોટો ફાળો આપશે.
ખાનગી આરોગ્ય સેવાઓના વિકાસ માટે ખાનગીકરણને પ્રોત્સાહન આપતી સરકારી નીતિઓ અને સબસિડીને કારણે ખાનગી આરોગ્ય સેવાઓનો છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર વિકાસ થયો છે. આયુષ્યમાન ભારત હેઠળની પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં બે તૃતિયાંશ જેટલા દાવાની રકમ ખાનગી આરોગ્ય ક્ષેત્રને ફાળે ગઈ છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ જિલ્લાની સરકારી હૉસ્પિટલો ખાનગી કૉર્પોરેટને હવાલે કરવાની નીતિ ઘડવામાં સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ખાનગી ક્ષેત્ર પાસે નિષ્ણાતો, ઇન્ટેન્સીવ કેર યુનિટ(આઇ.સી.યુ. કહેતાં ઘનિષ્ઠ સારવાર વિભાગ)ની પથારીઓ, વૅન્ટિલેટર જેવી ગંભીર બીમારીની સારવાર માટેની સુવિધાઓ મોટા પ્રમાણમાં હોવાથી તે આ રોગચાળા દરમિયાન બહુ ઉપયોગી થઇ પડશે, તેવી અપેક્ષા હતી. જાહેર આરોગ્ય સેવાનું ધ્યાન જ્યારે સમગ્રપણે કોવિડ—૧૯માં પરોવાયેલું હતું ત્યારે અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ જાહેર નાણાં ઉપલબ્ધ હોય ત્યારે કોવિડ સિવાયની આરોગ્ય સેવાઓમાં જે અવકાશ ઊભો થયો તે ખાનગી ક્ષેત્ર પૂરશે તેવી આશા હતી.
પરંતુ હકીકતે કટોકટીના આ કાળમાં જ્યારે મોટા ભાગનાને આરોગ્ય સેવાઓની જરૂર છે ત્યારે નફા માટે કામ કરતી ખાનગી આરોગ્ય સેવા કશું કામ કરતી હોવાનું દેખાતું નથી અને જે થોડી ખાનગી હૉસ્પિટલો ચાલુ છે તેમાંથી પણ મોટા ભાગની નફો કમાવામાં પડી છે. લૉક ડાઉનને કારણે દરદીઓ આવતા ન હોવાને કારણે પણ કેટલીક ખાનગી આરોગ્ય સેવાઓ બંધ પડી છે તેમાં કોઈ શંકા નથી. કેટલાકનો પોતાનો સ્ટાફ ચેપગ્રસ્ત થયો હોવાને કારણે બંધ પડી છે. પરંતુ ઘણી જગ્યાએ તબીબોએ અને મૅનેજમેન્ટે સલામત રહેવાનું પસંદ કરીને આવશ્યક આરોગ્ય સેવાઓ આપવાનું પણ બંધ કર્યું છે.
ટેસ્ટિંગનું કામ ખાનગી લૅબોરેટરીઓ દ્બારા થોડું જ થયું છે. જેમની અનેક શહેરોમાં શાખાઓ હોય છે તેવી લેબોરેટરીઓએ ટેસ્ટિંગનું કામ માત્ર મૅટ્રો શહેરોમાં જ કર્યું. છત્તીસગઢમાં જોવા મળ્યું તેમ, આવી લૅબોરેટરીની ઘણી શાખાઓએ ટેસ્ટિંગ માટે ઇનકાર કરી દીધો. કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ માટે બહુ ઊંચા ભાવ — રૂ.૪,૫૦૦ ઠરાવ્યાના એક મહિના પછી પણ માન્યતાપ્રાપ્ત લેબોરેટરીઓ સક્રિય થઈ નથી. તેમના કામમાં અનિયમિતતાઓ જોવામાં આવી છે. કેટલીક હૉસ્પિટલોએ પોતાને ત્યાં દાખલ થયેલા તમામ દરદીઓનો કોવિડ ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કર્યું, પછી ભલે તેમને કોવિડ સાથે કોઈ લેવાદેવા ન હોય. કેટલાકે વધારાના ચાર્જ ઉમેરીને ટેસ્ટિંગના ભાવ વધારી દીધા. મોટા ભાગના લોકોને આ ભાવ પોસાય નહીં અને મર્યાદિત સંસાધનોનો સમ્યક ઉપયોગ થયેલો પણ ગણાય નહીં. ટેસ્ટિંગ માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ પૅકેજ મળે છે. તેમ છતાં બહુ ઓછી હૉસ્પિટલો આ સેવા આપે છે અને લૅબોરેટરીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દાખલ કરવામાં આવતી નથી. તેથી આ યોજના તો કદાચ વણવપરાયેલી રહેશે તેમ જણાય છે.
ખાનગી ક્ષેત્રે જે બીજું કામ કરવાની જરૂર હતી તે આઃ
સામાન્યપણે મળી આવતા શ્વસનતંત્રના ટૂંકા ગાળાના ગંભીર ચેપ (સિવીઅર એકયુટ રેસ્પીરેટરી ઇન્ફેકશન) અથવા ઇન્ફલૂએન્ઝા જેવી બીમારી પર દેખરેરખ રાખીને એવા દરદીઓની માહિતી આપવાનું (રિપોર્ટીંગ) કરવા જેવું હતું, જેથી આવા દરદીઓનાં ઝૂમખાં હોય તો તે બાબત તંત્રને વેળાસર ચેતવી શકાય. પણ એ તો ત્યારે જ થઈ શકે જ્યારે તેમણે પોતાની રોજિંદી સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું હોય. નફા માટે કામ કરતી મોટા ભાગની ખાનગી હૉસ્પિટલોએ બહારના દરદીઓ માટેની તેમજ અંદરના દરદીઓ માટેની સેવા સંપૂર્ણપણે બંધ કરી. તેથી આ દેખરેખ રાખી શકે તેમ ન હતી. આમ જોઈએ તો, હૉસ્પિટલ સંપૂર્ણપણે બંધ કરવી એ આવશ્યક સેવા ચાલુ રાખવા અંગેના કાયદા—એસ્મા—નું ઉલ્લંઘન ગણાય અને વ્યાવસાયિક જવાબદારીમાંથી ભાગી છુટવા જેવું ગણાય. કેટલાંક રાજયોએ ખાનગી ક્ષેત્રને તેમની ઓ.પી.ડી. સેવાઓ ચાલુ કરવાના હુકમ કર્યા હોવા છતાં તેમ થયું નથી. નિયમિત પ્રકારની આવશ્યક આરોગ્ય સેવાઓ જાહેર ક્ષેત્રની હૉસ્પિટલોમાં પણ હાલ બંધ છે. કારણ કે તૃતીય સ્તરની આરોગ્ય સેવા આપતી ઘણી હૉસ્પિટલો ગરીબો માટે એકમાત્ર આશા હોય છે અને તે કોવિડ—૧૯ માટે અલાયદી જાહેર કરવામાં આવી છે. આવા દરદીઓને આ સમયે નાછૂટકે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે, જે કાં તો બંધ છે કાં પોસાય તેવી નથી.
હવે જે ખાનગી હૉસ્પિટલો ચાલુ છે ત્યાં એવી વાતો બહાર આવી છે કે એ લોકો કોવિડ—૧૯થી પીડાતા હોવાની સંભાવના હોય તેમને સેવા આપવાનો ઇનકાર કરે છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે આવા દરદીઓને હૉસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય માહિતી દર્શાવે છે કે એવી બહુ ઓછી ખાનગી હૉસ્પિટલો છે, જે કોવિડ—૧૯નો ભોગ બનેલા દરદીઓને ગંભીર (ક્રિટીકલ) સેવાઓ આપે છે. આવાં સ્થળેથી પણ મસમોટી રકમ— રૂ. ૧૨ લાખ સુધીની — લેવાતી હોવાની ફરિયાદો આવી રહી છે. કેરળ જેવા રાજ્યમાં ખાનગી હૉસ્પિટલ કેટલું બિલ લઇ શકે તેના ભાવતાલ નક્કી કરવામાં આવ્યા છે, બંગાળે નક્કી કરેલા ભાવ મુજબ પોતે ચૂકવણી કરવાની જાહેરાત કરી છે, પંજાબે સી.જી.એચ.એસ.(સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ હેલ્થ સ્કીંમ)ના ભાવ આપવાનું ઠરાવ્યું છે, મહારાષ્ટ્ર હજુ હવે હૉસ્પિટલના ભાવ પર અંકુશ મુકવાની તૈયારી કરી રહ્યું છે અને દિલ્હી સરકારે ખાનગી હૉસ્પિટલોને પોતાને મનફાવે તેવા ભાવ લેવાની છૂટ આપી છે.
હાલનાં ધોરણો મુજબ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ન્યુમોનિયા અને શ્વસનતંત્રની બીમારી માટેનાં પૅકેજ કોવિડ—૧૯ના દરદીઓ માટે વાપરી શકાય. પરંતુ નેશનલ હેલ્થ ઑથોરિટી દ્વારા જાહેર થયેલા છેલ્લા આંકડા મુજબ, એપ્રિલ મહિના દરમિયાન શ્વસનતંત્રના ટૂંકા ગાળાના ગંભીર ચેપ (સિવીઅર એકયુટ રેસ્પીરેટરી ઇન્ફેકશન) અથવા ઇન્ફલૂએન્ઝા જેવી બીમારી (ઇન્ફલૂએન્ઝા લાઇક ઇલનેસ) માટે આવેલા દાવાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાનગી ક્ષેત્રે આ બંને બીમારીઓ માટે કામ કરવાનું બંધ કર્યું છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ કોવિડ−૧૯ માટે પૅકેજ માગવાની બાબતે પણ ખાનગી ક્ષેત્રે સેવેલું ગાઢ મૌન સૂચવે છે કે ખાનગી ક્ષેત્રને આ સેવા પૂરી પાડવામાં કોઈ રસ નથી. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના વિના મૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા માટેનું માધ્યમ છે અને જે સરકારની મહત્ત્વની નીતિ છે તે કોવિડ—૧૯ની કટોકટીને નાથવાના સંદર્ભે સાવ નિષ્ફળ અને અપ્રસ્તુત હોવાનું પુરવાર થયું છે.
કૉર્પોરેટ હૉસ્પિટલોએ પોતાની નફાખોરી ચાલુ રાખી છે ત્યારે કટોકટીની તીવ્ર અસર દરદીઓ અને આરોગ્ય કાર્યકરો પર પડશે. હૉસ્પિટલો સ્ટાફ ઘટાડશે એટલે કે તેમને કાઢી મૂકશે કાં તેમનાં વેતનમાં ઘટાડો કરશે, કામના કલાકોમાં વધારો કરશે અને ગુણવત્તાને ભોગે ખર્ચ ઘટાડવાના પગલાં લેશે. બીજી બાજુ તેમણે પોતાને હવે ખોટ જશે એ બહાને ટેકસ ઘટાડવાની માગણી કરી છે.
કેન્દ્રીય સંકલિત પ્રયાસોની જરૂર જાણીને હાલ માત્ર જાહેર આરોગ્ય ક્ષેત્ર જ આ ઉછાળાને નભાવી રહ્યું છે તેની ક્ષમતાને બહુ ઝડપથી વિસ્તારવાની જરૂર જોતાં સ્પેન અને આયર્લેન્ડ જેવા દેશોએ રોગચાળો ચાલે ત્યાં સુધી ખાનગી ક્ષેત્રની હૉસ્પિટલોને સરકારી નિયંત્રણ હેઠળ મૂકી છે. ભારતમાં બીજી તરફ કેટલાંક રાજયોએ આ દિશામાં પ્રયાસો કર્યા હોવા છતાં ગરીબ દરદીઓને હાલની જાહેર હૉસ્પિટલમાંથી ખસેડીને તે પથારીઓ કોવિડ—૧૯ના દરદીઓ માટે અનામત રાખવા તરફનો મુખ્ય ઝોક રહ્યો છે.
આ સ્થિતિમાં અમે નીચે મુજબ ભલામણ કરીએ છીએઃ
૧. સરકારે પરિસ્થિતિ પર સ્ત્વરે કાબૂ મેળવવા માટે પસંદ કરેલી ખાનગી હૉસ્પિટલો, તેમની સેવાઓ અને સુવિધાઓને સંપૂર્ણ કે તેના અમુક ભાગો પોતાની શરતે કેન્દ્રીય જાહેર આરોગ્ય હકૂમત હેઠળ લાવવો જોઈએ અને તેમને નકકી કરેલાં કામ સોંપવાં જોઈએ.
૨. કોવિડ—૧૯ સંબંધી તમામ તપાસ અને સારવાર તમામ દરદીઓને સંપૂર્ણપણે વિના મૂલ્યે મળવાં જોઈએ અને તે સેવા જિલ્લાની શકય તેટલી નજીક મળવી જોઈએ. તેમની સેવાઓ માટે ખાનગી હૉસ્પિટલોને રાજય નક્કી કરેલા દરે ચૂકવણી કરે. સાથે એ પણ જુએ કે બહુ મોટા પાયે જાહેર નાણાં ખાનગી ક્ષેત્ર તરફ ગતિ કરી ન જાય.
૩. સામાન્ય અને મધ્યમ પ્રકારની બીમારીની સારવાર માટે ખાનગી નર્સિંગ હોમ, હૉસ્ટેલ કે હૉટેલની આઇસોલેશન હૉસ્પિટલ તરીકે સેવા લેવી.
૪. ગંભીર બીમારી માટે પસંદ કરેલી ખાનગી ક્ષેત્રની હૉસ્પિટલને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કે તેના અમુક ભાગ પૂરતી કોવિડ—૧૯ માટે અલાયદી જાહેર કરવી અને તેને જાહેર હકૂમત હેઠળ લાવવી. તેને માટે ખાનગી મૅનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી ગોઠવણ કરવી. હૉસ્પિટલો વહીવટ અને બીજાં કામ ચાલુ રાખે અને રાજય તેમને તે માટે ખર્ચ ચૂકવે.
૫. હાલ દ્વિતીય અને તૃતીય સ્તરની સરકારી હૉસ્પિટલો કોવિડ—૧૯ માટે અનામત રાખવી અને ત્યાંથી મોટી સંખ્યામાં ગરીબ દરદીઓને હાંકી કાઢવા, એ બિલકુલ સ્વીકારી શકાય તેમ નથી અને તે કરવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ. જ્યાં કોવિડ—૧૯ની ગંભીર સારવાર માટે સરકારી હૉસ્પિટલ એકમાત્ર સગવડ હોય ત્યાં પણ હૉસ્પિટલનો માત્ર અમુક ભાગ જ કોવિડ—૧૯ માટે અલાયદો રાખવો અને બીજી આવશ્યક સેવાઓ ચાલુ રાખવી અથવા જેમ બીજા દેશોમાં કરવામાં આવ્યું છે, તેમ નવી જાહેર હૉસ્પિટલો તાત્કાલિક બાંધવી.
૬. ખાનગી અને જાહેર હૉસ્પિટલો માટે રિપોર્ટીંગ, કોસ્ટિંગ, સારવાર અને વહીવટી પદ્ધતિ માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. તેનો અમલ થાય તેની ચોક્સાઈ રાખવી.
૭. જે ખાનગી હૉસ્પિટલ કોવિડ—૧૯ની સારવારમાં સંકળાયેલી નથી તે ખુલ્લી રાખવી અને તેની આરોગ્ય સેવાઓ કોઈ જાતના ભાવ વધાર્યા વગર અને ચેપ ફેલાય નહીં તેની કાળજી રાખી ચાલુ રાખવી. તેમણે રોગની નોંધણીની પ્રક્રિયાને મજબૂત કરવી અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળની જોગવાઈ મુજબ આપેલી સેવાઓની તેમ જ રોગ પર દેખરેખ માટેની પદ્ધતિની નિયમિત માહિતી આપવી.
૮. ખાનગી ક્ષેત્ર વ્યક્તિગત સલામતી, ચેપનિયંત્રણ અને કર્મચારીઓ માટે અંગત સુરક્ષાનાં સાધનો તેમ જ કોવિડ—૧૯ ન હોય તેવા દરદીઓમાં ચેપ ફેલાતો અટકાવવા માટેની સરકારી માર્ગદર્શિકાનો અમલ કરે, એ વાત સરકાર સુનિશ્ચિત કરે અને તેના પર દેખરેખ રાખે. આ હૉસ્પિટલો જરૂરી અંગત સુરક્ષાનાં સાધનો અને ટેસ્ટિંગ કીટ મેળવી શકે તે માટે સરકારે જરૂરી પગલાં લેવાં.
૯. ખાનગી ક્ષેત્રમાં દરદીની— ખાસ કરીને જો તે કોવિડ—૧૯નો દરદી હોય તો વિશેષ — અંગતતા અને ગુપ્તતા જળવાવી જોઈએ અને કાનૂની આવશ્યકતા સિવાય અંગત માહિતી જાહેર કે ખાનગી સત્તાધીશોને આપવામાં આવે નહીં.
૧૦. ખાનગી ક્ષેત્રના દરદીઓ અને આરોગ્ય કર્મચારીઓની ફરિયાદો માટે હૅલ્પલાઇન ચાલુ કરો.
૧૧. જાહેર ક્ષેત્ર મોટાભાગનો બોજો ઉઠાવી રહ્યું છે ત્યારે સરકારી સુવિધાઓ માટે સુસંગત માનવ સંસાધન, નાનાં અને મોટાં સાધનો અને કુશળતાની જરૂર રહે છે.
કોવિડ—૧૯ રોગચાળામાં ખાનગી ક્ષેત્ર તેમ જ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અર્થપૂર્ણ પ્રતિભાવ પૂરો પાડવામાં નિષ્ફળ નીવડ્યાં છે. તેમાંથી ભારત સરકારે બોધપાઠ લેવો જોઈએ અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. આરોગ્ય માટેનું વાર્ષિક અંદાજપત્ર વધારવાની જરૂર છે અને સરકારે ખાનગી ક્ષેત્રને સબસિડી આપવાને બદલે જાહેર આરોગ્ય સેવાની સુવિધા અને માળખામાં રોકાણ કરવાની જરૂર છે. આ કટોકટી ભારતની આરોગ્ય નીતિના ઘડતરમાં બદલાવ માટેની તક બનવી જોઈએ અને સાર્વત્રિક આરોગ્ય સેવા સુનિશ્ચિત કરતી કેન્દ્બીય જાહેર આરોગ્ય પદ્ધતિ તરફ પાછા વળવું જોઈએ.
વધુ વિગતો માટે સંપર્કઃ
ડો. ટી. સુંદરરામનઃ ૯૯૮૭૪૩૮૨૫૩, સુલક્ષણા નાંદીઃ ૯૪૦૬૦૯૦૫૯૫, ડી. રઘુનંદનઃ ૯૮૧૦૦૯૮૬૨૧
e.mail : jagdish.jb@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020