પ્રિય ઇન્દર મેઘવાલ,
તારા મોતનું ટાઇમિન્ગ ખોટું પડ્યું, દીકરા.
આઝાદીએ આણેલા વિકાસના ઢોલનગારા વાગતા હતા ત્યારે
આશ્ચર્યવાચક અને ઉદ્દગારવાચક ચિહ્નોની સામે,
તારા નાનકડા હાથે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું
અને વિકાસની ભ્રમણા પણ એક ક્ષણમાં પૂર્ણવિરામ લાગી ગયું.
અણ્ણાભાઉ સાઠે
ડરના માર્યા દોઢ જ દિવસમાં શાળામાંથી કેમ ભાગી ગયા?
– એ સવાલનો જવાબ તારા મોતે આટલાં વર્ષે મને મળ્યો.
બાબાસાહેબે ચવદાર તળાવ પણ આણેલી ક્રાન્તિને
ઊપરતળે કરનાર તારા શિક્ષકને જોયા પછી
આ આખી વ્યવસ્થાને જ
તળાવમાં ડૂબાડી દેવાનું મન થાય છે.
ચિતા પર ચઢાવી દેવામાં આવેલી સતી,
બાળવિવાહની પરંપરા,
અદાલતની સામેનું મનુનું પૂતળું,
ટોળાંએ પતાવી દીધેલો પહેલુખાન
– આવા આંચકાઓ પછી
રાજસ્થાનમાં થયેલી તારી હત્યા વધુ એક ક્લાઇમૅક્સ છે.
‘ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ઘડાય છે’ –
દીકરા, આ વાક્યનો અર્થ જો તારું મોત હોય તો
ભારતના ભાવિનો મને ડર લાગે છે …
શિક્ષક કેવો હોઈ શકે … ?
એ દલિતોના મંદિર પ્રવેશ માટે ઉપવાસ પર બેસનારા
વાત્સલ્યમૂર્તિ સાને ગુરુજીને સાચવીને બેઠેલા
અમારા મહારાષ્ટ્રને સમજવામાં થોડું અઘરું પડ્યું,
પણ ખૈરલાંજી જોઈ ચૂકેલા અમને
ભાન કરાવ્યું કે સાને ગુરુજીનો જમાનો હવે ગયો
અને સરકાર ગમે તેની હોય
જાતપાતનો કીડો તો દિલોદિમાગને કોરી ખાય જ છે.
આખરે શિક્ષક સમાજને ઘડે છે કે સમાજ શિક્ષકને ?
ઇન્દર, તારા મોતે શિક્ષણવવસ્થાની સામે
આ સનાતન સવાલ ઊભો કરી દીધો છે.
ડિજિટલ શીક્ષણના ઢોલ પીટતી વખતે
અમારા જાતિવાદી માનસનું ફૉર્મૅટ કેવી રીતે મારવાનું ?
બાબાસાહેબ,
તમે આપેલાં બંધારણનું આમુખ
અમે નિશાળના ઓરડામાં અમે દરરોજ વાંચીએ છીએ
પણ
ભારત તો
તમે જે વર્ગખંડની બહાર બેઠા હતા
ત્યાં જ અટવાયા કરે છે …
—————————————————————-
મરાઠીમાંથી અનુવાદ : સંજય સ્વાતિ ભાવે
17 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર