કર્ણાટકે પંક્ચર પાડી દીધું. ઈશાન ભારત પછી દક્ષિણ ભારતમાં પ્રવેશવાની યોજના પર પાણી ફેરવી દીધું. એક ગોદી ફિલ્મનિર્માતા પાસે કેરળ સ્ટોરી નામની ફિલ્મ બનાવડાવીને કેરળમાં પ્રવેશવાની યોજના હતી. એ બધું તો બાજુએ રહ્યું દક્ષિણ ભારતમાંથી સમૂળગો પગ નીકળી ગયો. રામચંદ્ર ગુહા નામના ઇતિહાસકારે કહ્યું હતું કે પ્રગતિશીલ, આધુનિક જીવનમૂલ્યો અપનાવવામાં અગ્રેસર, વિકાસલક્ષી એવા દક્ષિણ ભારતનું ઉત્તરીકરણ થવાનો ડર હતો. સમાજનું ઉત્તરીકરણ એટલે ગાય, ગોબર, ઔરંઝેબ, હિંદુ-મુસ્લિમ, પ્રજાને ભયભીત રાખવી, રડાવવી, પ્રતિશોધની જ્વાળાઓ પેદા કરીને ધુણાવવી, વગેરે વગેરે. ઉત્તર ભારતનાં આ લક્ષણો છે. કર્ણાટકનાં પરિણામોએ બતાવી આપ્યું કે દક્ષિણ ભારતનું ઉત્તરીકરણ હજુ દૂર છે. તાત્કાલિક ભય નથી.
મુકાબલો હિન્દુત્વ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો હતો. રાહુલ ગાંધી ભલે કહે કે કર્ણાટકના મતદાતાઓએ નફરતની બજારને તાળાં માર્યાં છે અને મહોબ્બતની દુકાન ખોલી આપી છે. આ આંશિક સત્ય છે સંપૂર્ણ સત્ય નથી. નફરતનું ઝેર એટલું વ્યાપક પ્રમાણમાં સિંચવામાં આવ્યું છે કે તે બહુ જલદી જાય એમ નથી. દક્ષિણમાં પણ નફરતનો જ્વર તો છે જ, પણ પ્રમાણમાં ઓછો છે અને હવે નફરતના રથને રોકી દેવામાં આવ્યો છે.
આગળ કહ્યું એમ મુકાબલો ભ્રષ્ટાચાર અને હિન્દુત્વ વચ્ચેનો હતો અને એ રીતે તે બી.જે.પી.ની અંદર આંતરિક હતો. આ મુદ્દો સમજવાની કોશિશ કરજો. બી.જે.પી.ના શાસકો હિન્દુત્વવાદી પણ છે અને ભ્રષ્ટ પણ છે. હવે જો હિન્દુત્વવાદી શાસકો અન્ય શાસકો જેટલાં જ ભ્રષ્ટ હોય અને અંગત રીતે શિથિલ હોય તો તેમનું હિંદુ રાષ્ટ્ર સામેના છેડાનું સર્વસમાવેશક ભારતીય રાષ્ટ્રથી અલગ ક્યાં પડે છે? સિવાય કે મુસલમાનો વિશેનો ખૌફ. જો મુસલમાનોથી બચવું હોય તો અમારો ભ્રષ્ટાચાર, અમારી શિથિલતા, અમારી તાનાશાહી, અમારો સગાંવાદ સાંખી લેવો પડશે. આવું જાહેરમાં તો કહી શકાય નહીં, પણ વ્યવહારમાં એ સ્પષ્ટ નજરે પડે એવી વાસ્તવિકતા છે. હિંદુત્વવાદી સમર્થક પણ એ જોઈ શકે છે, અનુભવી શકે છે અને અકળાય છે. મુસ્લિમ દ્વેષ અને મુસલમાનો તરફના ભય સિવાય હિંદુ રાષ્ટ્રનાં અન્ય કોઈ લક્ષણો જ નથી? કોઈ પદાર્થો જ નથી?
કર્ણાટકમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ હતો. આનું બોલકું ઉદાહરણ એ છે કે જેનો જન્મ જ ભ્રષ્ટાચારની કોખમાંથી થાય છે અને જેનું અસ્તિત્વ ભ્રષ્ટાચાર વિના શક્ય નથી એ સરકારી કોન્ટ્રા્ટરો રાજ્યમાં વધારે પડતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા હતા. ધરણા કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ભા.જ.પ.નાં શાસકો ૪૦ ટકાનો કટ માગે છે જે અમને પરવડે એમ નથી. આવડો મોટો કટ આ પહેલાં કોઈએ માગ્યો નહોતો.
બી.જે.પી.નું કેન્દ્રીય નેતૃત્વ (મોદી – શાહ વાંચો) વમળમાં સપડાઈ ગયું. જો ભ્રષ્ટશિરોમણી મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્માઈને હટાવવામાં આવે તો પક્ષની અંદર મુખ્ય પ્રધાનપદ માટે કંકાસ પેદા થાય અને જીનની બોટલ ખોલવા જેવું થાય. જો બોમ્માઈને ચાલુ રાખવામાં આવે તો ૪૦ ટકાની સરકારની દૃઢ થયેલી અને હજુ વધુ દૃઢ થઈ રહેલી ઈમેજ આડી આવતી હતી. કરવું શું? આવી અડચણના ઉપાયરૂપે તેમણે આકરા હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો. શબ્દકોશમાં જેટલી ગાળો હોય એટલી મુસલમાનોને આપો. મુસલમાનોનાં કહેવાતાં હલકાપણાં વિષે જેટલી કલ્પના કરી શકાય અને કથા રચી શકાય એ રચો અને વહેતી કરો. કેરળ સ્ટોરી જેવી ફિલ્મ બનાવો અને બતાવો. પ્રચારનો મોરચો વડા પ્રધાને પોતે સંભાળ્યો. ઇલેક્શન કમિશન, ગોદી મીડિયા, અને મબલખ રૂપિયા તો પાસે હતા જ. વડા પ્રધાને મણિપુર અને પહેલવાનોનાં આંદોલનો તરફની વડા પ્રધાન તરીકેની ફરજ ભૂલી જઈને નવ દિવસ કર્ણાટકમાં ધામાં નાખ્યાં અને વીસ કરતાં વધુ સભાઓ કરી. કોમવાદી પ્રચાર અત્યાર સુધી કયારે ય જોવા નહોતો મળ્યો એવો નિમ્ન સ્તરનો સડકછાપ હતો. ભારતના વડા પ્રધાને પોતે આવો પ્રચાર કર્યો હતો.
આનું પરિણામ વિપરીત આવ્યું. લોકોને હજુ વધુ ખાતરી થવા લાગી કે આપણા માટે મુસલમાન છે અને ખાસ ખાસ લોકો માટે ખણખણતો માલ છે. આપણે ડરવાનું, રડવાનું, ધૂણવાનું, મુસલમાનો સામે રસ્તા ઉપર ઉતરવાનું, સોશ્યલ મીડિયામાં ગાંડીઘેલી પોસ્ટ વાંચવાની અને ફોરવર્ડ કરવાની, ટીપુ સુલતાનને મારનારો અંગ્રેજ નહોતો પણ વોકલિંગા હતો એવી કાલ્પનિક કથાને સાચી માનવાની જ્યારે એ લોકો મુસલમાનોથી આપણું રક્ષણ કરવાના નામે માલમલિંદા આરોગે છે. ઝેરી પ્રચારે ઊલટી પ્રતિક્રિયા પેદા કરી. લોકોને ખાતરી થવા લાગી કે આપણા માટે મુસલમાન છે અને ખાસ લોકો માટે માલ છે.
આ વખતે એક નવું સમીકરણ પણ કર્ણાટકમાં જોવા મળ્યું. ગરીબ હિંદુઓએ પ્રમાણમાં કૉંગ્રેસને વધુ મત આપ્યા અથવા ગરીબોએ બી.જે.પી.ને પીઠ દેખાડી. કર્ણાટકમાં જેમને અહિંદા તરીકે ઓળખવામાં આવે છે એ પછાત કોમોના મત કૉંગ્રેસને મળ્યા. ગરીબ લિંગાયતોએ પણ મોટા પ્રમાણમા કાઁગ્રેસને મત આપ્યા હતા. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે બી.જે.પી. કરતાં કાઁગ્રેસને મહિલાઓના મત વઘારે મળ્યા. થોડાઘણા નહીં અગિયાર ટકા વધુ. કારણ બહુ સ્પષ્ટ છે : ગરીબને અને સામાજિક રીતે હાંસિયામાં જીવતી કોમોને હવે સમજાવા લાગ્યું છે કે બી.જે.પી.નાં હિંદુ રાષ્ટ્રમાં આપણા માટે મુસલમાન છે અને ખાસ ખાસ લોકો માટે માલ છે.
ગોદી મિડિયાએ ગરીબ લોકોમાં અને ખાસ કરીને પોતાનાં સંતાનનાં ભવિષ્યની ચિંતા કરાનારી માતાઓનાં આ બદલાતા દૃષ્ટિકોણ(પરસેપ્શન)ની કલ્પના નહોતી કરી અથવા તો તેમણે એમ માન્યું કે આપણે બધાં છીએ, પૈસા છે અને સદીના મહાપુરુષ પોતે સેનાપતિપદે છે ત્યાં કોણ બી.જે.પી.ને હરાવવાનું! અને જો થોડી બેઠકો ઓછી પડશે તો ઓપરેશન લોટસ તો છે જ. એટલે તેમણે બદલાતાં પરસેપ્શનની ચિંતા નહોતી કરી.
એક વાત તો દેખીતી છે કે કાઁગ્રેસ અને બીજા પક્ષો આ પરસેપ્શનને બીજાં રાજ્યોમાં લઇ જશે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ આનો ઉપયોગ કરવામાં આવશે. હિન્દુ રાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય હિંદુ માટે માત્ર મુસલમાન છે. દુનિયામાં પોતાની જગ્યા બનાવવા ઈચ્છતા તાજા તરુણ માટે મુસલમાન છે. હિંદુ રાષ્ટ્રમાં ખાસ લોકો માટે જ માલ છે. બીજાં રાજ્યોમાં અને સામાન્ય ચૂંટણીમાં કેટલી કામયાબી મળશે એ તો સમય કહેશે. ૨૦૧૪ પછી બી.જે.પી. સામે પહેલીવાર પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ બનતા, દ્રઢ થતાં અને વિસ્તરતા પરસેપ્શનને ખાળવું કેવી રીતે? મુસલમાનનો ડર વધારવામાં આવે તો તે દૃઢ થયેલા પરસેપ્શન હજુ વધુ દૃઢ કરવાનું કામ કરશે. કર્ણાટકમાં મુસલમાનનો ઓવરડોઝ નુકસાનકારક નીવડયો એ અનુભવ સામે છે. આનો જો કે વિકલ્પ છે પણ એ અઘરો છે. એ વિકલ્પ છે; ધોરણસરનું શાશન પણ હવે એમાં ઘણું મોડું થઈ ગયું છે.
આપણા માટે મુસલમાન છે અને ખાસ ખાસ લોકો માટે માલ છે એવું જે પરસેપ્શન કર્ણાટકમાં દૃઢ થયું તેનો મોટો શ્રેય નાગરિક સમાજને જાય છે. ૨૦૧૪ પછી પહેલીવાર નાગરિક સમાજ હિન્દુત્વવાદીઓ સામે ચૂંટણીનાં મેદાનમાં સક્રિય થયો. તેમની સક્રિયતા, મૌલિક સર્જકતા અને કલ્પક્તાએ મોટું યોગદાન આપ્યું છે. એ તો દેખીતી વાત છે સ્વધર્મ સમજીને જે માણસ રસ્તા ઉપર ઉતર્યો હોય તેને પૈસા માટે કામ કરતો બીકાઉ માણસ માત ન કરી શકે. હજારોની સંખ્યામાં સ્વધર્મીઓએ મોરચો સંભાળી લીધો હતો.
એક વાત નિશ્ચિત માનજો કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સેક્યુલર નાગરિક સમાજ અને હિન્દુત્વવાદીઓ વચ્ચે યોજાવાની છે, જે રીતે ૧૯૭૭માં કાઁગ્રેસ અને લોકશાહી માટે પ્રતિબદ્ધતા ધરાવનારા નાગરિક સમાજ વચ્ચે યોજાઈ હતી. હજુ આગળ જઈને એમ કહેવું જોઈએ કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સેક્યુલર નાગરિક સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચે યોજાશે જે રીતે ૧૯૭૭માં લોકશાહીપ્રેમી નાગરિક સમાજ અને ઇન્દિરા ગાંધી વચ્ચે યોજાઈ હતી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 મે 2023