જીન લ્યૂક ગોડાર્ડ (ફ્રેંચમાં જ્યાં-લીક ગોડા), ફ્રેચ ન્યૂ વેવ સિનેમાના પ્રણેતા માત્ર નહોતા, તે દુનિયાભરના કળાપ્રેમીઓ અને બુદ્ધિજીવીઓનું ‘ડ્રગ્સ’ પણ હતા. તે કહેતા હતા કે સિનેમા તેમનો નશો છે. એ એવો નશો હતો કે તે સિનેમાને ઘોળીને પી ગયા હતા. “હું જીવનને માત્ર સિનેમાના માધ્યમથી જાણું છું,” એવું તેમણે એકવાર કહ્યું હતું. જે લોકો તેમની ફિલ્મો જોતા હતા, તે તેમને વિચારવા માટે મજબૂર કરી દેતી હતી. તેમને હંમેશાં સિનેમાના માધ્યમથી કશુંક એવું કહેવું હતું જેમાં એક પ્રકારના વિદ્રોહનો ભાવ રહેતો હતો. ગોડાર્ડ માટે ઇતિહાસ અને સિનેમા બે એવાં ધ્રુવ હતાં, જેની વચ્ચે તેમનું જીવન, વિચાર અને કાર્ય લોલકની માફક ફરતું હતું.
સરખામણીથી જો સમજવું હોય, તો તેઓ ફ્રેંચ સિનેમાના પ્રેમચંદ, ઉર્દૂ વાર્તાઓના મંટો, પેન્ટિંગના પિકાસો અને સંગીતની લતા મંગેશકર હતા. ગઈ 13 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું, ત્યારે ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોંએ ટ્વીટ કરી હતી, “તેઓ ફ્રાંસની સિનેમામાં એક હિરો સમાન હતા. પછી તેઓ ગુરુ બની ગયા હતા. ગોડાર્ડે પૂરી રીતે આધુનિક મુક્ત કળાનો આવિષ્કાર કર્યો હતો. આપણે એક રાષ્ટ્રીય ખજાનો ગુમાવી દીધો છે.”
તેમના અવસાનના સમાચાર સાંભળીને જાણીતા ફિલ્મ સર્જક અદૂર ગોપાલકૃષ્ણએ કહ્યું હતું, “ગોડાર્ડે ફિલ્મ નિર્માણના વ્યાકરણને બદલી નાખ્યું હતું અને ફિલ્મો બનાવામાં પોતાનો રસ્તો શોધ્યો હતો.” ગોડાર્ડની જાણીતી ફિલ્મોમાં ‘બ્રેથલેસ,’ ‘અ વુમન ઇઝ અ વુમન,’ ‘કન્ટેમ્પ્ટ,’ ‘બેન્ડ ઓફ આઉટસાઈડર્સ,’ ‘અલ્ફાવિલે,’ ‘મસ્ક્યુલિન ફેમિનિન,’ ‘ટુ ઓર થ્રી થિંગ્સ આઈ નો અબાઉટ હર’ અને ‘વીક-એન્ડ’નો સમાવેશ થાય છે.
3 ડિસેમ્બર 1930ના રોજ પેરિસમાં જન્મેલા જીન લ્યૂક ગોડાર્ડ 91 વર્ષના હતા, અને અવસાનના સમયે સ્વિત્ઝરલૅન્ડના રોલે નામના ગામડામાં રહેતા હતા. આખી જિંદગી દુનિયાના સૌથી ખૂબસુરત શહેર પેરિસમાં રહેલા ગોડાર્ડ 1978થી સ્વિત્ઝરલૅન્ડ જઈને વસ્યા હતા તેનાં બે કારણો હતાં; એક, તેમને મોટા શહેરની ધમાલથી દૂર એકાંતમાં રહેવું હતું, અને બે, સ્વિત્ઝરલૅન્ડ તેમના આઝાદ ખયાલી અને વિદ્રોહી આત્માને અનુકૂળ આવે તેવો પ્રગતિશીલ સમાજ હતો.
1974માં અચનાક પેરિસ છોડીને ફ્રેંચ આલ્પ્સના ગ્રેનોબલ શહેર અને પછી સ્વિત્ઝરલૅન્ડ જતા રહેવાના નિર્ણય અંગે પૂછવામાં આવતાં તેમણે દાવો કર્યો કે એક દિવસ તુક્કો સુજ્યો અને “મેં કારમાં કૂદકો માર્યો અને હાઈવે પર મારી મૂકી.” તેમની પહેલી જ ફિલ્મ “બ્રેથલેસ”માં હિરો જીન-પોલ બેલ્મોન્ડો પણ માર્સેલ શહેરમાંથી એક કાર ચોરીને કોઈ પ્લાન વગર એવી જ રીતે ગામડાઓ તરફ નીકળી પડે છે.
સ્વિત્ઝરલૅન્ડ યુરોપની સરખામણીમાં પણ એટલો પ્રગતિશીલ છે કે ત્યાં જાતે ઈચ્છામૃત્યુ પસંદ કરવાની છૂટ આપતો કાયદો છે. યુરોપમાં અન્ય ઠેકાણે પણ ઈચ્છામૃત્યુની છૂટ છે, પરંતુ તેમાં ડોક્ટરની મદદ લેવી પડતી હોય છે. યુરોપમાં સ્વિત્ઝરલૅન્ડ પહેલો દેશ છે, જેણે 1942માં ઈચ્છા મૃત્યુને કાનૂની વૈધતા આપી હતી. સ્વિત્ઝરલૅન્ડમાં વ્યક્તિ, કાનૂની અને મેડિકલ વિધિઓ પૂરી કર્યા પછી, પોતાની જાતે જાતે ઘાતક દવાનો ડોઝ લે છે. આના માટે ‘ડિગ્નિટાઝ’ નામનું એક સંગઠન સમગ્ર પ્રક્રિયામાં મદદ કરે છે.
આત્મઘાત એ કાયરતા છે? જન્મ પર આપણો અધિકાર નથી. માત્ર મૃત્યુમાં જ પસંદગીનો અવકાશ છે, તો તેનું ગૌરવ કેમ નહીં? આ લીગલ અને ફિલોસોફિકલ મુદ્દો છે. આનો કોઇ સ્પષ્ટ જવાબ નથી, કારણ કે અમુક દેશોમાં આત્મહત્યા અપરાધ નથી, જ્યારે અમુક દેશોમાં જન્મ પર વ્યક્તિનો અધિકાર ન હોય તો મૃત્યુ પર પણ ન હોય તેવા તર્ક સાથે તેને અપરાધના દાયરામાં મુકવામાં આવે છે. ઈચ્છામૃત્યુનું અપરાધિકરણ પશ્ચિમમાંથી આવ્યું છે. ત્યાં પુનર્જન્મની ધારણા નથી. આ એક જ જીવન છે, એટલે મરવું એ પાપ છે એ ઈસાઈ અને ઇસ્લામિક ખયાલ છે. પરિણામે, પશ્ચિમની લીગલ સંહિતામાં તેને અપરાધ ગણવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે હવે પશ્ચિમમાં જ ઈચ્છામૃત્યુને અપરાધના દાયરામાંથી બહાર કાઢવાની ઝુંબેશ ચાલે છે.
ગોડાર્ડે આ રસ્તો અપનાવ્યો હતો. તેમણે સ્વેચ્છાએ જ અલવિદા ફરમાવાનું નક્કી કર્યું હતું.
2014માં તેમણે સાર્વજનિક રીતે આત્મહત્યાની તરફેણ કરી હતી. તે વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે તેમને બીમારીમાં વ્હીલચેરમાં જીવવાનું પસંદ નહીં પડે અને એવું થશે તો સ્વિત્ઝરલૅન્ડમાં સ્વહસ્તે જીવનનો અંત લાવશે. 2021માં, કોરોનાની મહામારી વચ્ચે યોજાયેલા વર્ચુઅલ આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ ફેસ્ટીવલમાં 85 મિનિટના વાર્તાલાપમાં ગોડાર્ડે જાહેર કર્યું હતું કે અગામી બે ફિલ્મો પૂરી કરીને તેઓ ફિલ્મ નિર્દેશનમાંથી સન્યાસ લઇ લેશે. “હું મારા સિનેમા જીવનની બે સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છું. એ પછી, હું સિનેમાને અલવિદા કહી દઈશ.”
“લિબરેશન” નામના એક ફ્રેંચ અખબાર અનુસાર ગોડાર્ડ કોઈ અસહ્ય બીમારીઓના ભોગ બન્યા ન હતા. તેમના પરિવારના નજીકના લોકોને ટાંકીને અખબારે કહ્યું હતું કે તેઓ થાકી ગયા હતા અને સ્વેચ્છાએ જતા રહેવું હતું. તેમના ગયા પછી કોઈને કાનૂની મુશ્કેલી ન આવે તે માટે તેમણે ઈચ્છા મૃત્યુની વાત સાર્વજનિક કરવાની વ્યવસ્થા કરી હતી. તેમના કાનૂની સહાયક પેટ્રિક જીનનેરેટે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના પત્રકારને કહ્યું હતું, “એ મારી-તમારી જેમ જીવી શકે તેમ નહોતા. તેઓ આખી જિંદગી એક સ્પષ્ટતા સાથે જીવ્યા હતા, અને એ જ રીતે નક્કી કર્યું કે હવે જવાનો સમય આવી ગયો છે. તેમને ગરિમા સાથે જવું હતું અને એવું જ કર્યું હતું.”
ગોડાર્ડે એકવાર કહ્યું હતું, “ફિલ્મનો આરંભ, મધ્ય અને અંત હોવો જોઈએ, પરંતુ જરૂરી નથી કે એ જ ક્રમમાં હોય.” તેઓ ફિલ્મ પણ એવી જ રીતે બનાવતા હતા, જેમાં પરંપરાગત રીતે એક સીધી દિશામાં વાર્તાની ટાઈમલાઈન ન હોય. તેના બદલે તેઓ વાર્તાને ‘કુદાવતા’ રહેતા (ફિલ્મ એડિટિંગની ભાષામાં તેને ‘જમ્પ કટ’ કહે છે). તેમણે ખુદની જીવન કથામાં પણ એવો જ ‘જમ્પ કટ’ લીધો હતો.
(લેખકની ‘ફાયરવોલ’ નામક સાપ્તાહિક કોલમ, “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 02 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર