જન સુનાવણી લોકોની ચિંતાને સ્વર આપવા માટેનો મંચ પૂરો પાડે છે. આજકાલ મહત્તમ ઘટનાઓમાં આ પ્રક્રિયાનું સંપૂર્ણ રીતે પાલન થતું નથી અને અહીં સુધી કે માત્ર ‘સ્ટેજ મેનેજ્ડ શો’ની માફક એક ઔપચારિકતા તરીકે આ ઘટના પૂર્ણ કરી દેવામાં આવે છે. પરિયોજનાઓનાં અંતિમ પગલાં પર સ્વીકૃતિ આપવાની ઘટનામાં સામાન્યરીતે ઔદ્યોગિક વિકાસનાં નામે ઘણી વખત લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે. આવા જ સમયે બદલાઈ રહેલા પરિવેશમાં સામાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓ માટે મોટી જવાબદારી હોય છે કે સમુદાય કેવી રીતે જન સમુદાયનો લાભ લઈ શકે અને કેવી રીતે તેનું સશક્તિકરણ કરે.
જન સુનાવણી એ પ્રજાતંત્રનું એક મહત્ત્વપૂર્ણ અંગ બનતું જઈ રહ્યું છે અને સંવેદનશીલ સરકાર આ વાતની નોંધ પણ લે છે. પરંતુ, જન સુનાવણી એ કોઈ લોક અદાલત નથી. જન સુનાવણી એ ન્યાય અપાવવા અને ન્યાય મેળવવા માટેનું એક માધ્યમ હોઈ શકે છે. આમાં પ્રેસની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે.
જળ વિદ્યુત પરિયોજનાઓ, માઈનિંગ પરિયોજનાઓ, વિસ્થાપન પુનર્વસન, જમીન અધિગ્રહણ જેવી ઘટનાઓમાં કાર્યકારી સંસ્થાઓને પરિયોજના માટે સરકારી અનુમતિ મેળવવા માટે જન સુનાવણી જરૂરી હોય છે. આજે સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ વગેરે પોતપોતાની જરૂરિયાતો માટે ચોક્કસ ક્ષેત્ર અને સ્થળો પર જન સુનાવણી કરાવે છે. પરંતુ, કેટલીક ઘટનાઓમાં આ જન સુનાવણી તેમનાં માટે સમસ્યા પણ બની શકે છે.
હવે નદીઓમાં ખનનનાં મુદ્દે પણ ખનન ક્યાં કરવું, કેટલું કરવું જેવા મુદ્દાઓ પર પણ જન સુનાવણીનો આદેશ અપાઈ રહ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે નદીઓમાં થતાં ખનનથી સામાન્ય જનજીવનને નુક્સાન થઈ રહ્યું છે. આ આધારે કાયદાકીય અપેક્ષા એ પણ છે કે જ્યારે ગ્રામ સભાઓ, વિધાન સભાઓ, સંસદીય ક્ષેત્રો વગેરેની સંખ્યાઓ અને સીમાઓમાં વધ-ઘટ થાય ત્યારે પણ જન સુનાવણી કરવામાં આવે. વન અધિકારનાં અધિનિયમ ૨૦૦૬નાં મુદ્દે પણ જન સુનાવણી થતી રહી છે.
ઘણાં મુદ્દે ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓને ઈચ્છતા નહિ હોવા છતાં પણ જન સુનાવણી કરાવવી પડે છે અને સાથે તેનું વીડિયો રેકોર્ડિંગ પણ થવું જોઈએ. કારણ કે, આવાં જ સમયે જે કાંઈ થવું જોઈએ તેનાથી વિપરીત જ બધું થવા લાગે છે. જ્યારે, કોઈપણ જન સુનાવણીનો મુખ્ય ઉદ્દેશ એ પારદર્શિતા હોય છે અને તેને જ ખત્મ કરી દેવામાં આવે છે. અહીં સુધી કે માત્ર ‘સ્ટેજ મેનેજ્ડ શો’ની માફક એક ઔપચારિકતા તરીકે આ ઘટના પૂર્ણ કરી દેવામાં આવે છે. લોકોને ધમકી પણ આપવામાં આવે છે. આવાં જ સમયે બદલાઈ રહેલાં પરિવેશમાં સામાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓ પર એ મોટી જવાબદારી આવી જાય છે કે આ જન સુનાવણી થકી કેવી રીતે સત્તા પ્રાપ્ત કરી શકાય અને તેની અસર પામેલા અથવા અસર થવા જઈ રહેલાં જન સમુદાયને જણાવો અને તેમનું સશક્તિકરણ કરો. નબળો વર્ગ, બાળકો, મહિલાઓ, વૃદ્ધ, નિરક્ષર પોતાનો પક્ષ દબંગો અથવા ચાલાક લોકોની તરફ રાખી શકે છે. માટે જો જરૂરી હોય તો તેમને આ મુદ્દે પણ તાલીમ આપવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયં પણ ક્ષેત્રમાં વિવિધ મુદ્દાઓ પર જન સુનાવણી કરી શકે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ જ્યારે જન સુનાવણીનું આયોજન કરે છે ત્યારે તે પણ એક જ્યૂરીનું ગઠન કરે છે. જ્યૂરીમાં સમાજના વિવિધ વર્ગોનાં લોકો હોય છે. તેઓ જન સુનાવણી સંબંધિત ઘટનાઓમાં પ્રસ્તુત કરવામાં આવેલ સાક્ષીઓના આધાર પર ટિપ્પણી કરે છે. જ્યૂરી પણ ટિપ્પણી લેખિતમાં આપે છે અને સાથે તે સંભળાવે પણ છે. આ પ્રકારે જન સુનાવણીમાં આવેલા લોકો પાસે એવો આગ્રહ રાખવામાં આવે છે કે તેઓ જે કાંઈ પણ કહે છે તે લેખિતમાં પણ આપે. આમાં ટેસ્ટોમની, જ્યૂરી, ખુલ્લાં સ્થાનની સ્વૈચ્છિક સંસ્થાઓ જ્યારે જન સુનાવણી કરે છે ત્યારે તેમનો એવો હેતુ હોય છે કે સરકાર સમક્ષ સમુદાયની સાથે થઈ રહેલા અન્યાયને ખુલ્લો પાડી દેવામાં આવે. જેમ કે મનરેગા, પુનર્વસન, વનઅધિકાર વગેરે મુદ્દાઓને લઈને વાત રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડમાં થયેલાં કુદરતી વિનાશ બાદ શિક્ષણના અધિકારના કાયદાના ઉલ્લંઘનના મુદ્દે જન સુનાવણી કરવામાં આવી હતી. જેમાં જ્યૂરીનો એક સભ્ય પૈકી હું પણ હતો.
જન સુનાવણી માટે એક જ્યૂરીનું ગઠન કરવામાં આવે છે. જ્યૂરીમાં કાયદાનાં જાણકાર વ્યક્તિ હોય તેવું જરૂરી નથી. સામાજિક, વૈજ્ઞાનિક, પર્યાવરણ, શિક્ષણ, મીડિયા વગેરે વિષય પર જન સુનાવણી થઈ રહી હોય, ત્યારે તે વિષયનાં ક્ષેત્રમાં કાર્ય કરનાર લોકોને પણ જ્યૂરીના સભ્ય બનાવવામાં આવે છે. પ્રાકૃતિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતાનો ભાવ તેમનામાં પણ હોય છે. જ્યૂરીના સભ્યો રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ પર પોતાની ટિપ્પણી કરે છે.
સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે જન સુનાવણી કોણ કરાવી રહ્યું છે અને કયા મુદ્દા પર કરાવી રહ્યું છે. જન સુનાવણી તો તાલીબાની ન્યાય અપાવવાવાળા લોકો પણ કરે છે. એટલે કે અહીં એ સમજવું જોઈએ કે જન સુનાવણી માટે પ્રજાતાંત્રિક વાતાવરણ કેટલું જરૂરી છે.
જન સુનાવણી, જન સશક્તિકરણનું માધ્યમ પણ બનવા લાગી છે. તેનાથી હવે સરકાર પણ ડરવા લાગી છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ પ્રકારે પરિયોજનાઓને સ્વીકૃતિ અપાવવી તે એક મુદ્દો બની જાય. ઉદાહરણ તરીકે કોઈ ક્ષેત્રને પરિસ્થિતિ આધારિત સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવા માટે જન સુનાવણી જરૂરી છે. આ આખી ઘટનામાં થાય છે એવું કે પહેલેથી જ જન સુનાવણીની તારીખો અને સ્થાનનો જેટલો પ્રચાર થવો જોઈએ તેટલો થતો નથી. જન સુનાવણીમાં આવનાર લોકો માટે ભયભીત કરનારું વાતાવરણ પેદા કરવામાં આવે છે. પરંતુ, એવું પણ થયું છે કે જ્યારે જન સુનાવણીમાં થતી આ અનિયમિતતા વિરુદ્ધ લોકો ઊભા થાય છે તો જન સુનાવણી સ્થગિત પણ થઈ છે અને ફરી વખત તે સુનાવણી થઈ પણ નથી. સામાજિક સંસ્થાઓ જ્યારે જન સુનાવણી કરે છે ત્યારે તેનાથી માનવાધિકાર, શિક્ષણનો અધિકાર, ચોક્કસ રોજગાર, ખાદ્ય સુરક્ષા અને પુનર્વસનનાં અધિકાર જેવા ઘણા નાગરિક અધિકારોના ઉલ્લંઘનના મુદ્દા સામે આવે છે.
પરંતુ, એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારનાં ઘણાં મંત્રાલયો, ખાસ કરીને રાજમાર્ગમાં આ ભાવ બની રહ્યો છે કે જે પરિયોજનાઓને ઝડપથી આગળ વધારવી હશે તો જન સુનાવણીની વ્યવસ્થાને શિથિલ અથવા સમાપ્ત કરવી જોઈએ. કારણ કે, તેનાથી પર્યાવરણીય અને વનવિભાગીય અનુમતિ મેળવવામાં સમસ્યાઓ થાય છે. જન સુનાવણીની વ્યવસ્થાને જાણે કે એક નિશ્ચિત પ્રતિશત સુધી જ સહમતી મેળવવાની અનિવાર્યતાને પણ ઓછી કરવામાં આવી રહી છે. એવામાં સામાજિક સંસ્થાઓ અથવા માનવાધિકારોનાં રક્ષાના ક્ષેત્રમાં કાર્ય કરવાવાળા માટે એ જરૂરી હશે કે જનતાને આ જન સુનાવણી માટે જાગૃત કરવામાં આવે અને તેનાં અહીં કેવા-કેવા લાભ પ્રાપ્ત કરી શકાય છે તે પણ જણાવવામાં આવે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com