લગ્નના બે પ્રકાર છે : એક પ્રેમલગ્ન અને બીજાં ગોઠવેલાં લગ્ન, જેને અંગ્રેજીમાં અરેન્જ્ડ મૅરેજ કહેવામાં આવે છે.
ગોઠવેલાં લગ્નમાં વર અને કન્યાની પસંદગી મા-બાપ કરે છે. પહેલાં તો વર-કન્યાને પૂછવામાં પણ નહોતું આવતું, પરંતુ હવે સંમતિ માગવામાં આવે છે; કારણ કે આધુનિક રાજ્યે સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર આપ્યો છે. ભય પુત્રવધૂ જતી રહે અને પરિવારનું નાક કપાય એનો છે, બાકી કન્યાના ગમાઅણગમાનો આદર કરવાની કોઈ ઉદાત્ત ભાવના આની પાછળ છે એવું નથી. નિર્બળને અભિપ્રાય ધરાવવાનો અને જો ધરાવતો હોય તો એ વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો નહોતો અને હજી આજે પણ ખરા અર્થમાં આપવામાં આવ્યો નથી.
હવે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તાજી પરણીને આવેલી નવોઢાનો પરિવારમાં દરજ્જો શું કહેવાય? પરણેતરનો કે પતિ અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો? કહેવા માટે તો કહી શકાય કે સાત-સાત જનમ સુધીનો પરિવારનો અવિભાજ્ય હિસ્સો, પરંતુ વ્યવહારિક અને કાનૂની દરજ્જો શું કહેવાય? એ દરજ્જો પરણેતરનો હોવાનો. લગ્નસંસ્થા દ્વારા સંમતિપ્રાપ્ત પત્ની કે પુત્રવધૂ અર્થાત પરણેતર. અંગ્રેજીમાં કહીએ તો વાઇફ ઑર ડૉટર-ઇન-લૉ બાય ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ મૅરેજ. તે પતિના જીવનનો અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો તો એ પછીથી બને છે અને એ પણ બનશે કે નહીં એની કોઈ ખાતરી નથી. વ્યવહારિક અને કાનૂની દરજ્જો પરણેતરનો છે. જે કોઈએ પરણેતર શબ્દ મઢ્યો એ માણસ ખૂબ મોટો સમાજશાસ્ત્રી હોવો જોઈએ.
પરણેતરને જીવનનો અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો બનાવવો એ એક પ્રક્રિયા છે. ખૂબ લાંબી અને સાધના કરતા હોઈએ એવી ધીરજ માગી લેનારી પ્રક્રિયા છે. અજાણી પરણેતરનાં કેટલાંક સ્વભાવ લક્ષણો અને મર્યાદાઓ હોય. તેનો જ્યાં જન્મ અને ઉછેર થયો હોય અને જે પરિવારમાં પરણેતર બનીને આવી હોય એ બે પરિવાર વચ્ચે સાંસ્કૃિતક, સામાજિક અને આર્થિક ખાઈ પણ હોય. આની વચ્ચે સમરસતા કેળવાતાં અને પોત બંધાતાં વાર લાગે છે. ઓછામાં ઓછો એક દાયકો લાગે છે. એમાં મુખ્યત્વે બાળકો એકત્વ વિકસાવવામાં મોટો ફાળો આપે છે; કારણ કે તે તારાં-મારાં નહીં, આપણાં હોય છે. એ પછી અનુભવ તો એવો પણ છે કે અનેક પ્રયત્નો પછી પણ અમુક કિસ્સાઓમાં સમરસતા સધાતી નથી, ઝઘડા થતા રહે છે.
આપણે ત્યાં ૧૯મી સદીમાં રાષ્ટ્રવાદનો પ્રાદુર્ભાવ થયો ત્યારે ક્વેટા(બલુચિસ્તાન)થી લઈને મોરે (મણિપુર) સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની ભૂમિ ભારતનો અવિભાજ્ય હિસ્સો હતો. આગ્રહપૂર્વક કહેવામાં આવતું હતું અને ભારતની પ્રજામાં ખાસ ભાવના વિકસાવવામાં આવતી હતી કે આ આખી ભૂમિ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. કેટલાક તો બર્મા(મ્યાનમાર)ને, નેપાળને અને શ્રીલંકાને પણ ભારતનો અવિભાજ્ય હિસ્સો માનતા હતા. આવી ભાવના હતી, જ્યારે કે વ્યવહારિક અને કાનૂની વાસ્તવિકતા અલગ હતી. અવિભાજિત ભારતનો પ્રદેશ અંગ્રેજોએ જીતીને એને એક વહીવટી એકમ બનાવ્યો હતો એટલું જ, બાકી એમાંથી ભારત નામનું રાષ્ટ્ર નીપજાવવાનું બાકી હતું. ઘણી લાંબી પ્રક્રિયા હતી અને ઘણાં વિઘ્નો હતાં.
બીજું, ત્યારે ક્વેટાથી મોરે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક રિયાસતો હતી. ૫૫૬ રિયાસતો ભારતમાં જોડાઈ હતી અને પાકિસ્તાનમાં જોડાઈ એ વધારામાં. એક દેશમાં છસો દેશ હતા અને ત્યાંના રાજવીઓને ભારતીય રાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નહોતી. જો મોકો મળે તો દરેકને સ્વતંત્ર રહેવું હતું. ભારતીય રાષ્ટ્રવાદ તેમની ભૂમિમાં ન પાંગરે એ માટે તેઓ પ્રયત્નશીલ હતા. અંગ્રેજોએ તેમને નિ:શસ્ત્ર કરી નાખ્યા હતા એટલે તેઓ લાચાર હતા, પરંતુ કોઈ ને કોઈ રીતે અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ તરફડિયાં મારતા હતા. છેવટે સાલિયાણાં અને ટાઇટલ દ્વારા તેમણે તેમના અવશેષ જાળવી રાખ્યા હતા. ઇન્દિરા ગાંધીએ પ્રીવી પર્સ અને ટાઇટલ્સ ખતમ કરી દીધાં હોવા છતાં હજીયે રાજકુમારોનો ઘરમેળે રાજ્યાભિષેક કરવામાં આવે છે.
તો આવો આ દેશ હતો અને એને અંગ્રેજોની વિદાય પછી પણ જોડી રાખવાનો હતો. એને માટે સંબંધો બાંધવાના હતા, સંબંધોનાં સ્વરૂપ નક્કી કરવાનાં હતાં એને બંધારણમાં લેખિત રૂપ આપવાનું હતું, જૂની ફરિયાદો કે અદાવતો હોય તો એને દૂર કરવાની હતી, વિશ્વાસ સંપાદન કરવાનો હતો વગેરે. ઘણી લાંબી અને કાથાકૂટવાળી પ્રક્રિયા હતી. જે દેશે એના ઇતિહાસમાં ક્યારે ય એકતા અને અખંડતા જોઈ નથી એને એક કરવાનો હતો. દુર્ભાગ્યે આઝાદી વખતે ક્વેટાથી લઈને મોરે સુધીના અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના ભારતને સાથે રાખવામાં સફળતા મળી નહીં. એને માટે કોણ જવાબદાર હતું એ ચર્ચાનો કોઈ અર્થ નથી. જેમ પરિવારમાં ખટરાગ માટે પરણેતર જવાબદાર કે પતિ તેમ જ પરિવાર જવાબદાર એની ચર્ચાનો કોઈ અર્થ હોતો નથી એના જેવી જ વાત થઈ. સત્ય અને અસત્ય બન્ને પક્ષે હોય છે. કમ સે કમ એક ડઝન કારણ હતાં જેને કારણે ભારતનું વિભાજન થયું હતું.
સરદાર પટેલે વિભાજિત ભારતમાંની ૫૫૬ રિયાસતો સાથે નાતરાં જોડવાનું બીડું ઝડપ્યું હતું. નાતરાં જ ગોઠવવાનાં હતાં, કારણ કે કોઈ રાજવીને અખંડ ભારતના નિર્માણમાં રસ નહોતો. આમાં તળ ભારતમાં તો જૂનાગઢ અને હૈદરાબાદને છોડીને કોઈ જગ્યાએ ખાસ મુશ્કેલી આવી નહોતી, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં મુશ્કેલી મોટી આવી હતી. ત્રણ કારણ મુખ્ય હતાં.
એક જમ્મુ અને કાશ્મીરના હિન્દુ રાજવી પોતાના રાજ્યને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવા માગતા હતા અને કાશ્મીરીઓના નેતા શેખ અબદુલ્લા સ્વતંત્ર કાશ્મીર જો શક્ય હોય તો એના હિમાયતી હતા. બીજું કારણ એવું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હતી અને આઝાદી વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સ્થૂળ સમજૂતી મુજબ જે રિયાસત પાકિસ્તાનની સરહદને લાગીને હોય અને જ્યાં મુસલમાનો બહુમતીમાં હોય એ રિયાસતે પાકિસ્તાનમાં જોડાવું જોઈએ. આ સ્થૂળ સમજૂતી હતી, વ્યવહારુ પણ હતી; પરંતુ રાજવીઓ માટે બંધનકારક નહોતી. આમ મહારાજા હરિ સિંહનો અધિકાર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થૂળ સમજૂતી વચ્ચે વિરોધાભાસ હતો. ત્રીજું કારણ એવું હતું કે જમ્મુ અને કાશ્મીર મહારાજ હરિ સિંહની રિયાસત તરીકે એક એકમની ઓળખ ધરાવતું હતું, બાકી એ રિયાસત સો ટકા કૃત્રિમ હતી. અંગ્રેજોએ જીતેલા, ખરીદેલા અને વેચેલા પ્રદેશો જોડીને જમ્મુ અને કાશ્મીર બનાવવામાં આવ્યું હતું. ત્યાંની પ્રજાને એકબીજા સાથે સ્નાનસૂતકનો ભાવનાત્મક સંબંધ નહોતો અને આજે પણ નથી.
આની વચ્ચે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર સાથે સગાઈ કરવાની હતી. મહારાજા હિન્દુ હતો, પરંતુ આઝાદીની જીદ લઈને બેઠો હતો અને મૂલ્યવાન સમય બગાડતો હતો. શેખ અબદુલ્લાને આઝાદી જોઈતી હતી, પરંતુ જો એ મળે એમ ન હોય તો જમ્મુ અને કાશ્મીર ભારત સાથે જોડાય એમ ઇચ્છતા હતા. પાકિસ્તાન રિયાસતો બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સ્થૂળ સમજૂતી માટે આગ્રહ રાખતું હતું. ૧૯૪૭ના ઑગસ્ટ પછીનો છ મહિનાનો ઇતિહાસ માત્ર છ મહિનાનો હોવા છતાં ઘણો લાંબો છે. મહારાજા હરિ સિંહે પાકિસ્તાન સાથે આઝાદ રહેવા માટેની સંધિ કરી અને પાકિસ્તાને મહારાજાને જમ્મુ અને કાશ્મીરની આઝાદીનું વચન પણ આપ્યું. એ પછી તરત જ સંધિનો ભંગ કરીને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ કર્યું. હવે મહારાજા પાસે ભારતમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. નાછૂટકે લાચારીમાં ઘડિયાં લગ્ન ગોઠવાયાં હતાં જે વી. પી. મેનન ચાર્ટર્ડ વિમાનમાં શ્રીનગર જઈને કરી આવ્યા હતા.
એ પછી પરણેતરને પરિવારનો અવિભાજ્ય હિસ્સો બનાવવાની હતી, જેમાં હજી સફળતા મળી નથી. એનાં કારણોની ચર્ચા હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 નવેમ્બર 2017