હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કર્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે
1973ના ચોથા આરબ-ઇઝરાયલી યુદ્ધ પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ કહી શકાય એવા ઈઝરાયલ- હમાસના સંઘર્ષે અનેક નિર્દોષોનો ભોગ લીધો છે. હજી તો માંડ મોંસૂઝણું થયું હતું અને ઇઝરાયલ પર ૫,૦૦૦ મિસાઇલ્સ છોડવામાં આવી. ઇઝરાયલના વડા નેતન્યાહુએ પોતાનો દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને દુ:શ્મનોએ આનો જવાબ આપવો જ પડશે એવું વિધાન કર્યું. અત્યારે તો ઇઝરાયલે હમાસને ગાઝા પટ્ટીમાં પાછું ધકેલ્યું છે, તો આ તરફ લેબનનના હિઝબુલ્લા જૂથે પણ પેલેસ્ટાઈનને પોતાનો ટેકો જાહેર કરવા ઈઝરાયલ પર થોડા-ઘણા રોકેટ્સ છોડ્યા છે. ઇઝરાયલ અને હમાસ બન્ને તરફ લોકોનાં મોત થયાં છે, વળી અપહરણ કરીને તાબામાં લેવાયેલા ઇઝરાયલીઓનો આંકડો ય મોટો છે.
આપણે ત્યાં સોશ્યલ મીડિયા પર જુદાં જ સ્તરે બબાલ ચાલે છે, કે તમે પેલેસ્ટાઈન સાથે છો કે ઇઝરાયલ સાથે છો? કહેનારાઓ ત્યાંથી શરૂ કરે કે ઇઝરાયલીઓએ પેલેસ્ટાઇનના લોકો સાથે ભૂતકાળમાં જે પણ કર્યું છે એ ખોટું જ કર્યું છે, એ જે પણ થયું છે તેનો કોઈ યોગ્ય બચાવ ન હોઇ શકે પણ શું એનો અર્થ એમ કે હમાસના આતંકવાદીઓ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સાથે છેલ્લાં અઠવાડિયામાં જે કરી ચૂક્યાં છે એ ચલાવી લેવું જોઈએ? આતંકવાદીઓ કોઈ નિયમો નથી અનુસરતા. હમાસના આતંકવાદીઓએ નકરી બર્બરતા આચરી છે. વળી આપણે ભારતીયો તો ઘર આંગણે ચાલી રહેલી બર્બરતા પર કંઇ બોલવા નથી માંગતા પણ મિડલ–ઇસ્ટના આટલા જટિલ મુદ્દા અંગે આપણને આપણી માન્યતાઓ આ પાર કે પેલે પાર વાળી નક્કી કરીને જાહેર કરી દેવી છે. ઇતિહાસ જાણ્યા વગર કશું પણ નક્કી કરી લેવું સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
હમાસ – એક કટ્ટરવાદી આતંકવાદી જૂથ છે જેને પેલેસ્ટાઈનના અધિકૃત સૈન્ય સાથે કોઈ લેવાદેવા નથી. ગાઝા પટ્ટી એક તરફ ઇઝરાયલ પર આધારિત છે તો બીજી તરફ ઇજિપ્ત સાથે જોડાયેલી છે અને ગાઝામાં રહેનારા પેલેસ્ટાઇનીઓએ બન્ને તરફના રાષ્ટ્રો પર પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે આધાર રાખવો પડે છે. હમાસના હુમલા પછી ઇઝરાયલે ગાઝાને કોઈપણ પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું અત્યાર પૂરતું બંધ કરી દીધું છે.
પેલેસ્ટાઈન – જે હાલમાં ગાઝાપટ્ટી અને વેસ્ટબેંકના પ્રદેશો પર દાવા કરતું સાર્વભૌમ રાજ્ય છે તે ઐતિહાસિક સમયથી ખ્રિસ્તી, મુસલમાન, યહૂદીઓ માટે અગત્યનું રહ્યું છે. 1500ની સાલથી અહીં ઓટોમન સામ્રાજ્ય હતું. ૧૮૦૦ની સાલમાં યહૂદીઓએ પોતાની પર થતા અત્યાચારોને, ખાસ કરીને યુરોપમાં થતા દમનને રોકવા એક રાષ્ટ્ર ઘડવાનો નિર્ણય કરવાના હેતુથી ચળવળ શરૂ કરી. યહૂદીઓએ ઓટોમન શાસિત પેલેસ્ટાઈનને પોતાનું ગણીને ત્યાં સ્થળાંતર કરવાનું પણ શરૂ કરી દીધું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ અને ફ્રેંચ સત્તાઓએ આરબ જૂથોને પોત-પોતાની તરફ કરી ઓટોમન સામ્રાયજ્ની વિરુદ્ધ લડવા સજ્જ કર્યા અને તેમને અલગ આરબ દેશ આપવાની લાલચ આપી. ઓટોમન સામ્રાજ્યને હરાવ્યા પછી અંગ્રેજો અને ફ્રેંચ સત્તાધીશોએ આરબોને કરેલા વાયદા વખારે નાખ્યા અને મિડલ ઇસ્ટને વહેંચી લેવું એમ નક્કી કર્યું. આરબો અને યહૂદીઓને બન્નેને પેલેસ્ટાઇન આપવાનું વચન આપી અંગ્રેજોએ વિશ્વયુદ્ધમાં પોતાનું કામ કઢાવી લીધું અને પેલેસ્ટાઈન તો અંગ્રેજોની પાસે ગયું. આ બાજુ યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં સ્થાયી થવાનું ચાલુ રાખ્યું જેની સામે આરબોને વાંધો હતો. બીજા વિશ્વ યુદ્ધમાં યહૂદીઓ હિટલરથી જીવ બચાવવા પેલેસ્ટાઇન તરફ મોટી સંખ્યામાં જવા લાગ્યા. યુદ્ધ પછી અંગ્રેજોએ પેલેસ્ટાઈનનો હવાલો યુનાઈટેડ નેશન્સને આપી દીધો. યુનાઈટેડ નેશને નક્કી કર્યું કે પેલેસ્ટાઈનના બે ભાગ કરી દેવા અને યહૂદીઓને ઈઝરાયલ આપીને બાકીનું પેલેસ્ટાઈન આરબોને આપી દેવું. ૧૯૪૭માં થયેલા આ ભાગલા ભારત પાકિસ્તાનના ભાગલા જેટલા મોટા નહોતા પણ ત્યાં પણ પછી યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. 1948માં ઇઝરાયલ રાષ્ટ્ર જાહેર કરાયું. સાત લાખ આરબ આ ભાગલા અને જંગ દરમિયાન રઝળી પડ્યાં. આજે પણ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના સબંધો આ જ કારણે તંગ છે. બરાબર ભારત પાકિસ્તાન જેવી સ્થિતિ, જેને માટે પણ પશ્ચિમી દેશો જ જવાબદાર હતા.
1956માં ઇજિપ્તે, ફ્રેંચ અને બ્રિટિશ નિયંત્રણમાં હતી એવી સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કરીને ઇઝરાયલ તેનો ઉપયોગ નહીં કરી શકેની જાહેરાત કરી. સ્વાભાવિક છે પરિણામ હતું યુદ્ધ, જેમાં જોડાયા અંગ્રેજ, ફ્રેંચ અને ઇઝરાયલના યહૂદીઓ. પશ્ચિમી દેશોનો ઇરાદો સાફ હતો કે જ્યારે મિડલ-ઇસ્ટમાં પોતાના સ્વાર્થના સમીકરણો પાર પાડવા હોય ત્યારે ઇઝરાયલની મદદ લેવાની. આ પછી પણ આરબ અને ઇઝરાયલીઓ વચ્ચે યુદ્ધો થયા પણ દર વખતે ઇઝરાયલની જીત થઇ. 1978માં અનેક વાર પછડાટ ખાઈ ચૂકેલા ઇજિપ્તે ઇઝરાયલ સાથે સબંધો સુધાર્યા. આ સંઘર્ષમાં અત્યાર સુધી સૌથી વધારે હેરાન થયા હતા પેલેસ્ટાઈનના લોકો, જેમણે પોતાની સ્વતંત્રતા માટે એક સંસ્થા સ્થાપી. જેને યુ.એન.ની મંજૂરી પણ મળી. છતાં ય ત્યાંના અમુક લોકોને આ સંસ્થાની કામગીરી નરમ લાગતી એટલે એક નવું જૂથ ઘડાયું – હમાસ. હમાસનો એક જ હેતુ છે કે ઇતિહાસમાં જેટલું પેલેસ્ટાઇન હતું તેવું આખું પેલેસ્ટાઈન રચી તેને પૂરી રીતે મુસલમાન રાષ્ટ્ર બનાવવું.
એંશીના દાયકાની શરૂઆતમાં ઇઝરાયલી સૈન્યની કામગીરી સામે લેબનનમાં હિઝબુલ્લાની રચના થઈ. આ જ હિઝબુલ્લા અને હમાસ પેલેસ્ટાઈનમાં ઇઝરાયલ વિરોધી કામગીરી કરતા આવ્યા છે. આ બાજુ યહૂદીઓ જે સતત દમનનો ભોગ બનતા આવ્યા છે તે પોતાના બચાવ માટે યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષને હાથવગું માધ્યમ ગણે છે અને તેમના આવા અભિગમને કારણે પેલેસ્ટિની આરબો પણ સતત સામા થતા રહ્યા છે. શાંતિ કરારો લાગુ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. જેમ ભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં ગરમ દળ અને નરમ દળના વિચારો વચ્ચે ભેદ હતા તેવા ભેદ હમાસ અને પેલેસ્ટાઈનન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના ફતેહ વચ્ચે પણ હતા જેને કારણે આંતરિક સંઘર્ષ થયા. હમાસે ત્યાં 2006માં ચૂંટણી પણ જીતી લીધી જેનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો. હમાસ અને ફતેહ હવે પેલેસ્ટાઈનના અલગ અલગ હિસ્સા પર સત્તા જમાવીને બેઠા. બહારના યુદ્ધો તો ખરાં જ પણ આંતરિક સમસ્યા પણ એટલી જ મોટી. ઇઝરાયલે ગાઝાને ગરીબી અને ભૂખમરામાં સડવા દીધું જેથી તેનામાં વિરોધ કરવાનું જોર ન આવે. ઈઝરાયલ જે કરે છે એ ખોટું છે એવું તો ઘણી માનવાધિકાર સંસ્થાઓએ પણ જાહેર કર્યું છે. હમાસે જંગાલિયત ભર્યા હુમલાનો ઇઝરાયલે પણ તગડો જવાબ વાળ્યો છે. ખરેખર તો બે રાષ્ટ્રોમાં શાંતિપૂર્ણ વિભાજન જ સૌથી સારો રસ્તો છે પણ કટ્ટરવાદ ભલભલાને આંધળા અને બહેરા બનાવી દે છે અને હમાસ તેનું તાજું ઉદાહરણ છે.
આ બધામાં ભારત જેને ઇઝરાયલ સાથે સારા સંબંધ છે તેણે શું કરવું? ભારતે 1947માં તો પેલેસ્ટાઈનના ભાગલાનો વિરોધ કર્યો હતો. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પણ ભારતનો ટેકો રહ્યો છે. યહૂદીઓના વતનની ચાહને આરબોના પોતાના રાષ્ટ્રના અધિકાર સાથે ટકરાવ ન હોવો જોઇએ એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. અટલ બિહારી વાજપાયીએ પણ પેલેસ્ટાઈનને ટેકો આપતું વિધાન જ કર્યું હતું અને ઇઝરાયલે કબ્જે કરેલી જમીન જતી કરવી જોઈએ એમ કહેલું. ભારતે આ જ વલણ રાખ્યું છે પણ ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખ્યા છે. ઇઝરાયલ સાથે આપણા રાજદ્વારી સંબંધો પચાસના દાયકાથી શરૂ થયા અને સમયાંતરે બહેતર જ બનતા રહ્યા છે. મોદી સરકારે પણ ઇઝરાયલ સાથે સંબંધો ગાઢ રાખ્યા છે. હમાસના હુમલાને આતંકી હુમલો ગણાવી તેની ટીકા પણ નરેન્દ્ર મોદીએ કરી. જો કે આ પહેલા નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને સાથે બહુ મુત્સદ્દી રીતે સંબંધ સાચવ્યા છે. ઇઝરાયલ જાય પણ પેલેસ્ટાઈન સિવાયના તેના સ્પર્ધક દેશોને મળે તો પેલેસ્ટાઈન જાય તો ઇઝરાયલ ન જાય. ભારતને સાઉદી અરેબિયા, ઇજિપ્ત, કતાર, ઇરાન સાથે સુરક્ષાલક્ષી કરાર છે અને પશ્ચિમ એશિયામાંથી આપણી 50 ટકા ઉર્જા આવે છે. આવામાં પેલેસ્ટાઈનની સ્વતંત્રતાની માગને ટેકો આપવો પણ અગત્યનો છે જે ભારત સરકાર કરે જ છે.
બાય ધી વેઃ
ભારત સરકાર જો રાજદ્વારી સંબંધોને ગણતરીમાં રાખીને ખુલ્લેઆમ પેલેસ્ટાઈન કે ઇઝરાયલને ટેકો ન આપતી હોય તો બીજા કોઈ ભારતીયએ પણ એ ભાંજગડમાં ન પડવું જોઇએ. હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કહ્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે. પૂર્વગ્રહો આધારિત નિષ્કર્ષ પર જવાને બદલે ઇતિહાસનો અભ્યાસ વધુ જરૂરી છે. ઇઝરાયલે હુમલો કર્યો ત્યારે પહેલાં ગાઝા પટ્ટી પરથી આમ આદમીઓને સ્થળાંતર કરવાની ચેતવણી પણ આપી, કોઈ સંગીત સમારોહ પર બેફામ હુમલો નથી કર્યો. દુનિયા આખીમાં જ્યાં કટ્ટરવાદી મુસલમાનો છે તેમણે પેલેસ્ટાઈન તરફી વિધાનો કરવામાં યહૂદીઓ પર અત્યાચારની વાત કરી છે જે પણ સ્વીકારાય તેવી નથી. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પોતાની પકડ બનાવી રાખવા અત્યાચાર કર્યા જ છે પણ છતાં ય અત્યારે મુદ્દો આતંકવાદનો છે અને પેલેસ્ટાઈનને નામે નરસંહાર કરનારા હમાસનો છે. પેલેસ્ટાઈન પ્રત્યે સહાનુભૂતિ જો વૈશ્વિક સ્તરે ઘટશે તો તેમાં પણ હમાસનો જ હાથ હશે એ ત્યાંના લોકોએ સમજવું પડશે. ભારતમાં ઇસ્લામોફોબિયા અને ધ્રુવીકરણ છે જ પણ હમાસના આતંકી કૃત્યને વખોડવામાં આપણે એક રાષ્ટ્ર તરીકે કંઈ જ ખોટું નથી કર્યું એ પણ એક હકીકત છે. જોર જુલમ કરવાથી કશાય નો અંત નહીં આવે, રાજકીય અને સામાજિક સમસ્યા યોગ્ય રીતે ઉકેલવાની ઇચ્છાની ગેરહાજરી કાયમી સંઘર્ષની ચિનગારી તરીકે જ કામ કરે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023