ઇન્ડિયા નામ જો સદંરત નીકળી જશે તો શું 14 કરોડથી વધુ ખર્ચો થઇ શકે છે?
આમ તો વિલિયમ શેક્સપીયરે રોમિયો અને જુલિએટ નાટકમાં લખ્યું હતું કે ‘અ રોઝ બાય એની અધર નેમ વુડ સ્મેલ એઝ સ્વીટ …’ આમ તો આ વાક્યનો અર્થ સમજવો અઘરો નથી. કોઇનું નામ જે પણ હોય તેનાથી તેની સિરત કે સૂરત પર કોઈ ફેર પડતો નથી. એ જ નાટકમા શેક્સપીયરે એમ પણ લખ્યું હતું કે, ‘વૉટ ઇઝ ધેર ઇન ધી નેમ’ – નામથી શું ફેર પડે છે? હવે આ પરિસ્થિતિ આપણા દેશના નામને મામલે પણ ખડી થઈ છે. પાંચમી સપ્ટેમ્બરથી ભારત કે ઇન્ડિયા એ વાળી જે દોરડાખેંચ ચાલુ થઈ છે એ એવી વાત છે જેને ગઝલની પેલી પંક્તિ લાગુ પડે – બાત નિકલેગી તો ફીર દૂર તલક જાયેગી … આપણા દેશનું સાચું નામ શું? એ મામલે એવી બબાલ ચાલુ થઈ છે કે ન પૂછો વાત. મંગળવારે G20 સમિટના આમંત્રણ મોકલાયા જેની પર અંગ્રેજીમાં ઇન્ડિયાને બદલે ભારત લખાયું હતું – પ્રેસિડન્ટ ઑફ ભારત, નહીં કે પ્રેસિડન્ટ ઑફ ઇન્ડિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધી પ્રાઇમ મિનિસ્ટર ઑફ ભારત તરીકે ઇન્ડોનેશિયામાં સમિટમાં હાજરી આપી.
આપણા દેશનું નામ ભારત રાખવું ઇન્ડિયા એને લઈને તો 17 નવેમ્બર 1948ના દિવસે પણ બંધારણ સભામાં ચર્ચા છેડાઈ હતી અને દસ મહિના પછી 17 સપ્ટેમ્બર 1949ના રોજ ડૉક્ટર આંબેડકરે બંધારણ સભા સામે નામને મામલે ફાઇનલ ડ્રાફ્ટ મુક્યો હતો જેમાં ભારત અને ઇન્ડિયા બન્ને નામોનો ઉલ્લેખ હતો. કેટલાકને ઇન્ડિયા નામ સામે વાંધો હતો કારણ કે તે અંગ્રેજ સામ્રાજ્યવાદની ભેટ હતું તો કેટલાકને અંગ્રેજી નામ ભારત નામના વિકલ્પ તરીકે ઠીક લાગ્યું હતું. ત્યારે પણ સેઠ ગોવિંદ દાસથી માંડીને હરિ વિષ્ણુ કામથે પોતાના વિચારો અને દલીલો રજૂ કર્યાં હતા. આંબેડકરે ત્યારે એક જ વાત પર ભાર મૂક્યો કે ભારત પછી ઇન્ડિયા આવવું જોઈએ કે નહીં તેની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આપણે સ્વતંત્ર થયેલા આપણા દેશમાં બીજા ઘણાં કામો કરવાનાં છે ત્યારે શું આ ચર્ચા જરૂરી છે? બંધારણના અંગ્રેજી વર્ઝનમાં ઇન્ડિયા છે અને એક વાર ભારત શબ્દનો ઉલ્લેખ થયો છે અને હિંદીમાં ઇન્ડિયાને બદલે ભારત લખ્યું છે – તેમાં તો ટાંકવામાં આવ્યું છે – ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ – ઇન્ડિયા એટલે ભારત, રાજ્યોનો એક સંઘ હશે.
જ્યારથી G20ના આમંત્રણો જાહેર થયા છે સરકારની ટીકા થઇ છે. આમ જોવા જઈએ તો ભારત એક સંસ્કૃત શબ્દ છે જે 2000 વર્ષ પહેલાં લખાયેલા શાસ્ત્રોમાં પણ હતું. તેમાં કોઇ પ્રદેશ કે વિસ્તારની સ્પષ્ટતા નહોતી જે સ્વાભાવિક છે – ભારત વર્ષ જે આજના ભારત દેશની સીમાઓથી કંઇ ગણું વધુ વિસ્તરેલું હતું. ભા.જ.પા.એ સત્તા પર આવીને રસ્તાઓ, શહેરો વગેરેનાં નામો તો બદલ્યા જ છે. ઇન્ડિયાનું ભારત કરવા અંગે ભા.જ.પા.ની દલીલ છે કે આ તો સામ્રાજ્યવાદી ગુલામીને પગલે મળેલું નામ છે એટલે એ બદલવું જરૂરી છે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન એક ખાસ સંસદીય સત્રની જાહેરાત થઇ છે અને એવી ધારણા છે કે દેશના નામબદલવા અંગે આ બેઠક હોઈ શકે છે જો કે અનુરાગ ઠાકુર જેવા અમુક મંત્રીઓએ એમ કહ્યું છે કે આ તો વિરોધ પક્ષે ફેલાવેલી અફવા છે.
ઇન્ડિયા-ભારતના મામલે રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રશ્નો વધારે અગત્યના છે. વળી આપણે મૂળિયાં ભણી પાછા જવાની વાત કરીએ તે તો ચાલો સમજ્યા, આપણને એમાં કંઇ અણગમો થવો જ જોઈએ એ જરૂરી નથી. પણ વિરોધ પક્ષોએ પોતેના મહા સંગઠનને જે ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ) નામ આપ્યું છે તેની સામે આ ભારતકરણનું બીડું ઝડપવામાં આવ્યું છે એ વાતને ફગાવી દેવા જેવી નથી. તમે ઇન્ડિયા વાળા અને અમે ભારત વાળા જેવી હુંસાતુંસી શરૂ કરવામાં ભા.જ.પા.ને જરા ય વાર નથી લાગવાની. આ એક ગણતરીપૂર્વકનું પગલું છે એમાં માત્ર દેશ કે ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ જ કારણભૂત છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. વળી જ્યારે વિરોધપક્ષોએ પોતાનું સંક્ષિપ્ત નામ ઇન્ડિયા જાહેર કર્યું ત્યારે વડા પ્રધાને પહેલો ચાબખો મારતા કહ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની, ઇન્ડિયન મુજાહિદ્દીન અને પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા નામ છે, લોકો તો ચહેરા પર ચહેરો લગાડી જ દેતા હોય છે.
આમ તો બન્ને નામો આપણા ઇતિહાસ સાથે જોડાયેલાં છે. ઇન્ડિયા નામ ઇન્ડસ નદી પરથી આવેલું છે જેને સંસ્કૃતિમાં આપણે સિંધુ નદી તરીકે જાણીએ છીએ. એ સિંધુ કે સિંધ પ્રદેશનું હિંદ, હિંદ પ્રદેશ, હિંદુસ્તાન પણ તો થયું છે. સદીઓ પહેલા ભારતના પ્રવાસે ગ્રીસ જેવા દેશો તરફથી આવેલા મુસાફરોએ ઇન્ડસ નદીની દક્ષિણપૂર્વમાં આવેલા પ્રદેશને ઇન્ડિયા તરીકે ઓળખ્યો, આ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ 2જી સદીમાં ભારત અભિયાન શરૂ કર્યું તે પહેલાંથી અપાયેલું નામ હતું, એને અંગ્રેજો સાથે લેવા-દેવા નથી. ભારત નામ તો તેનાથી પણ જૂનું છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે પણ તેનો ઉપયોગ સામાજિક-સાંસ્કૃતિક ઓળખ તરીકે થતો નહીં કે ભૌગોલિક ઓળખ તરીકે. વળી મહાભારતના આદિપર્વની કથા મુજબ કણ્વ ઋષિની દીકરી શકુન્તલા જે પુરુવંશના રાજા દુષ્યંત સાથે ગાંધર્વ વિવાહ કર્યો અને પોતાના દીકરાનું નામ ભરત પાડ્યું અને નાનપણમાં વાઘનાં દાંત ગણવા માટે મશહૂર થયેલા ભરતના નામ પરથી ભારતને નામ મળ્યું, જો કે મત્સ્યપુરાણ અનુસાર મનુને ભરત કહેવાયા હતા અને જે ખંડ પર તેમનું શાસન હતું તેને ભારતવર્ષ કહેવાયું. ઇતિહાસમાં તો વૈદિક યુગની એક જાતિનું નામ ભરત હતું જે સરસ્વતી નદીને કાંઠે વસતી હતી. દુષ્યંત-શકુંતલાનો દીકરો જન્મ્યો તે પહેલાંથી આ પ્રદેશમાં ભરતજન રહેતા હતા અને આ જાતિ-સમૂહને નામે ભારતનું નામ પ્રચલિત થયું કોઈ એક વ્યક્તિને કારણે નહીં. હિન્દુશ શબ્દ તો ઇસુથી પણ 2000 વર્ષ પેહલાંની સભ્યતામાં હતો, તે હડપ્પાના સમયની વાત છે. સિન્ધ માત્ર નદી નહીં પણ સાગરના અર્થમાં પણ વપરાતો. ઇન્ડિકા શબ્દ મેગાસ્થનિજે કર્યો હતો જે પાટલીપુત્રમાં રહ્યા હતા જ્યાં હિન્દ, હિન્દવાન જેવા શબ્દો પ્રચલિત હતા. આ મામલે પણ હજી બીજા પૌરાણિક સંદર્ભો પણ છે જેમાં જૈન પરંપરા, આર્યન સંસ્કૃતિ, મહાભારત વગેરેનો સમાવેશ થાય છે.
હવે આ નામકરણનો આર્થિક ફટકો કેવો હોઈ શકે તેની પર પણ નજર કરીએ. દક્ષિણ આફ્રિકાના એક ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપ્રટી લૉયર ડેરન ઓલિવરેના એક ગણતરીના મૉડલનો ઉપયોગ કરીને એક મીડિયા ગ્રૂપે ટાંક્યું કે જો ઇન્ડિયાનું ભારત થશે તો એ ખર્ચો 14 કરોડની આસપાસ હોઈ શકે છે. વળી ઇન્ડિયા નામની, તેના ફોનેટિક્સની, તેની એક ઓળખ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે એક બ્રાન્ડ છે. કોઈને બતાડી દેવાના ઉત્સાહમાં ઇતિહાસના સંદર્ભોનો ઉપયોગ કરીને બધું ફેરબદલ કરવામાં સમય ન બગાડતા જે કરવાની જરૂર છે એની પર ધ્યાન અપાય તો બહેતર રહેશે. આ નામ બદલવાનો મામલો વાજતે ગાજતે યુ.એન. પણ પહોંચ્યો છે જોઇ હવે શું થાય છે.
બાય ધી વેઃ
તાજેતરમાં એક વ્યાખ્યાનમાં જાણીતા વિવેચક, સંપાદક, ભાષાવિદ્, લેખક ગણેશ દેવીએ કંઇક એવા સંદર્ભની વાત કરી કે નામ કાઢી નાખવાથી તેનું માળખું નથી બદલાઈ જતું, નામ હોય કે ન હોય એકતા રહેવી જોઇએ. ભારતીયો કંઇ અજ્ઞાન નથી કારણ કે એક વખત પછી ઇરાદાઓ તો બધાની નજરે ચઢશે. ટૂંકમાં આ નામ બદલાવ અભિયાનની પાછળના આશય સાચા હશે તો તરી જશે અને નહિંતર વહી જશે. તમારું નામ સૂરજ હોય અને કોઈ અચાનક જ તમને સન કહેવા માંડે તો ફાવે નહીં, તમારા બે નામ હોય એવું પણ બની શકે અને બન્ને નામ તમારી ચોક્કસ ઓળખાણની ધાર કાઢનારા હોઇ જ શકે છે. જે સારું છે, મજબૂત છે, અનિવાર્ય છે તે સચવાય એ જરૂરી છે. આ પહેલાં નામ બદલી ચૂકેલા દેશો આ છે – તુર્કીનું તુર્કીયે, હોલેન્ડનું નેધરલેન્ડ, ચેક રિપબ્લિકનું યેકિયા, સિલોનનું શ્રીલંકા, આઇરિશ ફ્રી સ્ટેટનું આયર્લેન્ડ, કેપ વર્ડેનું રિપબ્લિક ઑફ કાબો વર્ડે, સિયામનું થાઇલેન્ડ, બર્માનું મ્યાનમાર, પર્શિયાનું ઇરાન અને સ્વાઝીલેન્ડનું એસ્વાટિની નામ કરાયું છે. ભારતનું નામ બદલવાનું નથી પણ તેનું બીજું નામ સદંતર દૂર કરવાની હોહા છે. આમ તો આપણા નામોની વિવિધતા હોવા છતાં એકતા છે એ વધારે અગત્યનો મુદ્દો છે પણ જોઈએ ‘નામ ગુમ જાયેગા’ કે રહ જાયેગા.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023