Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299668
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત વિશેના જ્ઞાનના ભંડાર સમા અચ્યુત યાજ્ઞિકને સલામ : હરીશ ખરે

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 August 2023

અચ્યુત યાજ્ઞિક

[અગ્રણી બૌદ્ધિક, સમાજવિજ્ઞાની, રાજકીય વિશ્લેષક, ઇતિહાસ લેખક, પત્રકાર અને કર્મશીલ અચ્યુતભાઈ યાજ્ઞિકનું આજે (4 ઑગસ્ટ 2023) 77 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 

તેમણે સુચિત્રા શેઠ સાથે બે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે. The Shaping of Modern Gujarat : Plurality, Hindutva and Beyond (2005) અને Ahmedabad : From Royal City to Mega City (2011). 

અચ્યુતભાઈએ કિરીટ ભાવસાર સાથે તૈયાર કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (2004) પણ ખૂબ રસપ્રદ છે. 

અચ્યુતભાઈને અંજલિ તરીકે વરિષ્ઠ પત્રકાર હરીશ ખરેએ ‘ધ વાયર’ પોર્ટલ પર લખેલો અંગ્રેજી લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે.]

‌‌‌‌‌‌‌●●●

છેક 1975 સાલની આસપાસના વર્ષોથી લઈને હમણાં હમણાં સુધી ગુજરાતને લગતા સમાચાર બહારના અખબારોને આપનાર પત્રકાર કે ગુજરાત પર અભ્યાસ કરનાર સંશોધક માટે અચ્યુત યાજ્ઞિકને અચૂક મળવું એ લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું.

કારણ કે અચ્યુતભાઈ ગુજરાતના રાજકારણ અને ગુજરાતી સમાજના મિજાજ વિશેની માહિતી, વિગતો, આંકડા, આખ્યાયિકાઓ અને સૂક્ષ્મદૃષ્ટિના જ્ઞાનનો ભંડાર હતા. ગુજરાત વિશે લખનાર સમાજવિજ્ઞાનીઓને અચ્યુતભાઈની ખોટ પડવાની.

એ હંમેશાં માત્ર ‘અચ્યુતભાઈ’ જ હતા. અને અચ્યુતભાઈને તમે ગમે ત્યારે મળી શકો – વાતચીત માટે, તમને લાગે તો ચર્ચા માટે, અને જો તમે ધીરજનો ગુણ કેળવ્યો હોય તો એમનું ભાષણ સાંભળવા માટે. આમાંથી કંઈ પણ હોય, તેમને મળવામાં હંમેશાં લાભ જ હતો.

પશ્ચિમ અમદાવાદના કૉમર્સ કૉલેજ ચાર રસ્તા પાસે આવેલી તેમની ઑફિસ ‘સેતુ’ (SETU – Centre for Social Knowledge and Action) તેની અંદરની સાદગીને કારણે ભલે કોઈ આશ્રમ જેવી ભાસે, પણ તેનો માહોલ હતો કૉફી-હાઉસ જેવો.

અચ્યુતભાઈને મળવા જનારને ‘સેતુ’ પર ભરપૂર ખાંડવાળી ચાની ચુસકીઓ અને અચ્યુતભાઈની ક્યારે ય ન ઓલવાતી સિગરેટોના ધુમાડાની વચ્ચે સાંપ્રત બનાવો અંગે બિલકુલ નવી વિગતો અને ખાસિયતોના પાઠ ભણવા મળતા.

વિષય ગમે તે હોઈ શકે – નવનિર્માણ આંદોલન, 1981નાં અનામત-વિરોધી હુલ્લડો, 1985-86નાં કોમી રમખાણો, નર્મદા યોજના વિરોધી આંદોલન, 1990-92નાં અયોધ્યા-તોફાનો કે પછી 2002નો અતિભીષણ સંહાર.

અચ્યુતભાઈ સાથે થોડાક કલાક વીતાવ્યા બાદ — રિપોર્ટરની સ્ટોરીમાં સુધારો થાય, કૉલમિસ્ટનો નજરિયો વધુ માતબર બને અને સંશોધકને એમ લાગે કે ગાઇડને થિસિસ સુપરત કરતા પહેલાં હજુ ઘણું ઘરકામ કરવાની જરૂર છે.

જૂના જમાનામાં પંડિત કે પુરોહિત જ્ઞાતિની કુળકથા અને કુંડળી જાણતા. અચ્યુતભાઈનું પણ એવું હતું. અચ્યુતભાઈ 1980 અને 1990ના ગાળાના રાજકારણી સમૂહ માટે અસલના જમાનાનું ‘ગૂગલ’ હતા.

સનત મહેતા, ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, અશોક ભટ્ટ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે બધા અચ્યુતભાઈને માન આપતા અને તેમના અભિપ્રાયને મૂલ્યવાન ગણતા.

એ વર્ષો દરમિયાન ગુજરાતમાં હજુ સહિષ્ણુતા હતી, અને ઘણાં છાપાંને અચ્યુતભાઈની કૉલમ છાપવામાં રસ હતો.

‘સેતુ’ પર જાણે હરોળ લાગતી. તેમાં મેધા પાટકર, બેલા ભાટિયા, મધુસૂદન મિસ્ત્રી કે ઇન્દુકુમાર જાની જેવાં કર્મશીલો હોય. ધીરુભાઈ શેઠ, આશિષ નાંદી, હર્ષ સેઠી, ઘનશ્યામ શાહ કે અનિલ ભટ્ટ જેવા વિદ્યાજનો કે શાલિની રાંદેરિયા જેવા સંશોધક તમને ‘સેતુ’ પર મળે. અહીં તમને સામ પિત્રોડા, ભીખુ પારેખ કે મેઘનાદ દેસાઈ જેવા અગ્રણીઓ પણ મળી આવે.

લોકોને તેમના બૅન્ક બૅલન્સથી ચાહનાર કે તિરસ્કારનાર અને મૂલવનાર અમદાવાદી સમાજમાં અચ્યુતભાઈ નાત બહારના હતા. સાંસ્કૃતિક રીતે જ જ્ઞાનને બદલે સંપત્તિને પહેલી પસંદગી આપનાર સમાજમાં અચ્યુતભાઈ એમની શરતે જીવ્યા.

અતિશય ધનવાન અમદાવાદીઓના આડંબર અને આચારની જાળ તેમ જ તેમના પરિવેશમાં એ ક્યારે ય અટવાયા નહીં; એ વર્ગના દંભની આરપાર એ જોઈ શકતા હતા.

સ્થાપિત વર્ગોને, સત્તા સમેત મળનારા ઘમંડની સામે અચ્યુતભાઈ નક્કર સંવિદ દ્વારા લડ્યા. તેમના જ્ઞાનનો આધાર બૌદ્ધિક પ્રામાણિકતા અને વ્યક્તિગત આચારશુદ્ધિમાં હતો.

અચ્યુતભાઈ અંતકાળે અકિંચન હતા, પણ તેનો એમને અફસોસ ન હોય, કેમ કે તેઓ ગુજરાતના માનવંતાઓમાં સૌથી આદરપાત્ર તરીકે જીવ્યા.

અચ્યુતભાઈ તંદુરસ્ત નાગરિક સમાજનું પ્રતીક હતા. તેમણે ગાંધીનગરના સત્તાધારીઓ સાથે બરાબર અંતર જાળવ્યું હતું, પણ જરૂર પડે તો ગરીબો અને વંચિતો વતી રાજ્યસત્તાના સાથે રહેવા (to engage with authority) માટે પણ તેઓ તૈયાર રહેતા.

ગુજરાતમાં આર્થિક અન્યાયની સામે લડનાર કોઈ પણ એન.જી.ઓ., ચળવળ કે જૂથ માટે તેમનું ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકતાં.

પીડિતોને અચ્યુતભાઈ ઘણી વાર નિડર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ પાસે મોકલતા. ગિરીશભાઈ ગુજરાતમાં ચાલતા અનંત અન્યાયોની સામે કોઈ પણ ફી લીધા વિના લડતા જ રહેતા.

અને પછી આવ્યું 2000નું વર્ષ. ગુજરાત બદલાયું. નવાં આર્થિક બળો અને તેમના પ્રતિનિધિઓ / દલાલોએ ગુજરાતના રાજકારણ, સમાજ અને સમૂહમાધ્યમોને પોતાના તાબામાં લીધાં.

આ નવા ગુજરાતને અચ્યુતભાઈના મંતવ્યો કે વિચારોનો કોઈ ખપ ન હતો. પરિવર્તન ગુજરાતના તમામ સારા સ્ત્રી-પુરુષોને હતપ્રભ બનાવી રહ્યુ હતું. તે સંશોધનનો વિષય પણ હતું . તેના અભ્યાસીઓ માટે અચ્યુતભાઈ આખર સુધી અનિવાર્ય પૂછવાઠેકાણું રહ્યા.

નવા ગુજરાતમાંથી નીકળીને આગળ વધવાનો સમય માટે પાકી ચૂક્યો હતો, અને એ આગળ વધ્યા પણ ખરા, હંમેશ મુજબ એમની શરતે. અસ્તુ.                                                     

[અનુવાદમાં મદદ માટે આભાર : ઉર્વીશ કોઠારી]
છબિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર
 04 ઑગસ્ટ 2023
https://thewire.in/society/a-salute-to-achyut-yagnik-the-one-man-storehouse-of-knowledge-on-gujarat
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

5 August 2023 અનુવાદ : સંજય સ્વાતિ ભાવે
← સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે
ફરફર ફરફર →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved