લાગે છે કે નોવેલ કોરોના વાઇરસનો ફેલાવો બેકાબૂ શી રીતે બન્યો એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ખુલાસો તૈયાર છે: તબલિઘી જમાત. અહેવાલો પ્રમાણે આશરે હજારેક ગુજરાતી મુસલમાનો તબલિઘી જમાતના દિલ્હીના મેળાવડામાં હાજર હતા, જેને આખા ભારતમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ઠરાવવામાં આવ્યો છે.
‘આજતક’ને આપેલા ઈન્ટરવ્યૂમાં રૂપાણીએ દાવો કર્યો કે તબલિઘી જમાતના સભ્યોએ પોતાના પ્રવાસની વિગતો છુપાવી અને કોરોના વાઇરસનો ચેપ અમદાવાદીઓ સહિત તમામ ગુજરાતીઓને લગાડ્યો. જો કે તબલિઘી જમાતના મેળાવડાના માત્ર પંદર દિવસ પહેલાં ભારત-અમેરિકા મૈત્રીપ્રતીક તરીકે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ દરમિયાન આશરે એક લાખ જેટલી ભીડ એકઠી કરાઈ હતી, તેને કોરોનાના ફેલાવા સાથે કોઇ સંબંધ છે કે કેમ, તે સવાલ અપ્રસ્તુત ગણાય છે. છઠ્ઠી મે સુધી ગુજરાતમાં કોવિડ-19ના 7,000થી વધુ કેસ થઈ ચૂક્યા છે. ભારતનાં રાજ્યોમાં આ મામલે ગુજરાત બીજા ક્રમે છે. કોરોનામાં ૩.૩ ટકા મૃત્યુદરની રાષ્ટ્રીય સરેરાશ ગુજરાતમાં કોરોના – મૃત્યુદર 6 ટકાથી વધુ છે. 80 ટકાથી વધુ કેસ અમદાવાદ અને સુરતના છે, જ્યાંની હોસ્પિટલો ક્યારની મહત્તમ ક્ષમતા પર કામ કરી રહી છે.
આવા સમયે મુખ્યમંત્રી રૂપાણીનો જવાબ બેવડું લક્ષ્ય સાધે છે. પહેલાં તો આ રીતે રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થાની નબળી સ્થિતિ તથા મહામારી સામે નીતિઓમાં ઢીલાશ માટેની જવાબદારીઓમાંથી છટકી જવાય છે. બીજું, તે મુસલમાનોની ગદ્દાર કે છૂપા દુશ્મન જેવી છાપ ઊભી કરીને સમાજનાં બધાં દૂષણો માટે મુસ્લિમોને જવાબદાર ઠરાવવાની માનસિકતાને પ્રેરકબળ પૂરું પાડે છે. અમદાવાદનાં સરકારી દવાખાનાંમાં કોરોનાના દરદીઓને ધર્મના આધારે જુદા રખાયા હોવાના અહેવાલો મુસ્લિમદ્વેષના સાતત્ય તરીકે જોઈ શકાય.
ગુજરાતમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવા તથા ઊંચા મૃત્યુદર માટેનું ખરું કારણ જરા જુદું છે: ભદ્દા ખાનગીકરણ વચ્ચે સરકારનું આ ક્ષેત્રમાંથી વિલોપન. ગુજરાતીઓનું સ્વાસ્થ્ય સુધરે એવું જાહેર આરોગ્યનું અસરકારક માળખું તૈયાર કરવાનું કામ ગુજરાત સરકારે સદંતર અવગણ્યું છે. વર્ષ 2018-19માં આરોગ્ય પાછળનો કુલ ખર્ચ રાજ્ય જી.ડી.પી.ના માત્ર 0.85 ટકા જેટલો, રૂ. 10,000 કરોડનો હતો. મતલબ, રાજ્ય સરકારે 2018-19માં ગુજરાતીઓનાં સ્વાસ્થ્ય માટે માથાદીઠ પાંચ રૂપિયાથી પણ ઓછા ખર્ચ્યા હતા! વર્ષ 2020-21માં આરોગ્ય પાછળનો મૂડી ખર્ચ ઘટાડીને રૂ.923 કરોડ જેટલો કરી નાખવામાં આવ્યો, જે 2016-17 કરતાં 35 ટકા ઓછો અને રાજ્યના કુલ મૂડી ખર્ચના બે ટકાથી પણ ઓછો છે. આમ, જાહેર આરોગ્ય પાછળનો રાજ્યનો કુલ મૂડી ખર્ચ આર્થિક રીતે પછાત એવા બિહાર (રૂ.1,814 કરોડ) અને રાજસ્થાન (રૂ.1,400 કરોડ) કરતાં પણ ઓછો છે. રાજ્યનો જાહેર આરોગ્ય માટેનો આવો અભિગમ રોગચાળાના ફેલાવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે. એટલું જ નહીં, કોવિડ-19ના ઘણા ખરા કિસ્સાઓમાં બન્યું એમ, લોકોને ખાનગી દવાખાનાંમાં ખર્ચાળ ઇલાજ લેવા મજબૂર પણ કરે છે. રોગચાળાના મોટા પાયે ફેલાવા માટે આ આદર્શ સ્થિતિ છે. જાહેર સુખાકારી પાછળના અણઘડ ખર્ચને કારણે કુપોષણ અને પાંડુરોગ (એનિમિયા) પણ વ્યાપ્ત છે, જે કોવિડ-19 જેવી જીવલેણ બીમારીઓથી બચવાની સંભાવના ઓર ઓછી કરી દે છે. ગુજરાત સામાજિક પરિમાણોમાં કેટલું ‘વાઇબ્રન્ટ’ છે એ સૌ કોઇ જાણે છે. સ્વાસ્થ્યને લગતા સૂચકાંકોમાં ગુજરાત ‘બીમારુ’ (BIMARU) ગણાતાં રાજ્યો બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઝારખંડની હરોળમાં આવે છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સર્વેક્ષણ (NHFS) 2005-06માં ગુજરાતમાં પાંચ વર્ષ કરતાં ઓછી વયનાં 45 ટકા બાળકો શારીરિક રીતે અલ્પવિકસિત હતાં — રાષ્ટ્રીય સરેરાશ કરતાં બે ટકા વધુ. અર્થાત્, ગુજરાતમાં કુપોષિત બાળકો આસામ અને ઓરિસ્સા કરતાં પણ વધુ છે. આ ટકાવારી 2015-16ના સર્વેક્ષણમાં થોડી ઘટીને 39 ટકા થઈ, છતાં તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે જ છે.
આરોગ્ય સર્વેક્ષણ 2015-16 અંતર્ગત ગુજરાતમાં 6થી 59 મહિનાની વયનાં 57 ટકા બાળકો વત્તાઓછા પ્રમાણમાં પાંડુરોગના શિકાર તરીકે નોંધાયા હતા. આ પ્રમાણ ઉત્તર પ્રદેશ અને બિહાર જેટલું જ છે, તો રાજસ્થાન કરતાં વધુ છે. 15થી 49 વર્ષની મહિલાઓમાં પાંડુરોગનું પ્રમાણ 55 ટકા, જ્યારે એ જ વયજૂથના પુરુષોમાં પાંડુરોગનું પ્રમાણ 22 ટકા જોવા મળ્યું હતું. આ આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ તો છે જ, પણ 2005-06ના આંકડામાં કોઈ સુધારો સુધ્ધાં સૂચવતા નથી.
2012ની વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં ‘વૉલસ્ટ્રીટ જર્નલે’ સ્વાસ્થ્ય અને કુપોષણ મામલે રાજ્યનાં નબળાં પ્રદર્શન બાબતે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું. ત્યારે મોદીએ દોષનો ટોપલો એમ કહીને મધ્યમ વર્ગની માનસિકતા પર ઢોળ્યો હતો, કે સુંદર દેખાવા અને વજન ઘટાડવા માટે છોકરીઓ આરોગ્યપ્રદ એવું દૂધ પીવાની ના પાડે છે. જો કે વર્ષ 2005-06 સર્વેક્ષણનાં તારણો મુજબ રાજ્યની ત્રણ ચતુર્થાંશ મહિલાઓ ખોરાકમાં દૂધ કે દહીં લેતી હતી, જે પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતા 20 ટકા વધુ હતું. રસપ્રદ વાત એ પણ છે કે મુખ્ય મંત્રીના ઈન્ટરવ્યૂ વખતે આ સર્વેક્ષણનાં તારણ ઉપલબ્ધ હતાં. આ હકીકત તેમની સાચા આંકડા ને હકીકતો નજરઅંદાજ કરવાના સાતત્યપૂર્ણ અભિગમનું સૂચક છે.
રાજ્યમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ સરકાર રાજ્યના પ્રવાસી શ્રમિકોને સ્વમાનભેર જીવનનો અધિકાર પૂરો પાડવાનું પણ ચૂકી રહી છે. સુરતની મોટા ભાગની વસ્તી બિહાર, ઉત્તર પ્રદેશ કે ઓરિસ્સાથી કાપડ અને હીરા ઉદ્યોગમાં રોજગાર માટે આવેલા પરપ્રાંતિયોની બનેલી છે. સરકારે તેમની સંભાળ માટે અનાજ પૂરવઠાની ‘સૈદ્ધાંતિક’ વ્યવસ્થા કરી ખરી, પણ થોડાં જ અઠવાડિયામાં સુરત-રાજકોટના અસંતુષ્ટ શ્રમિકો પર્યાપ્ત અનાજની અને વતન પાછા જવા દેવાની માગ સાથે રસ્તા પર ઊતરી આવ્યા. આ વાત શ્રમિકોને બે ટંક ખોરાક પૂરો પાડવામાં અથવા તેમના મૂળભૂત અધિકારોના રક્ષણમાં રાજ્યની નિષ્ફળતા જ નથી સૂચવતાં, પણ અંગ્રેજી રાજમાં ફેલાયેલા રોગચાળા કે દુષ્કાળ ટાણે જોવા મળેલાં અનાજ માટેનાં તોફાનની સંભાવના પ્રત્યે પણ ચેતવણી આપે છે.
આ સમય આપણી સમાજ તરીકેની એકતા માગી લે છે. સાથે રૂપાણી સરકારે ભવિષ્યના આરોગ્યસંકટોમાંથી રાજ્યને ઉગારવા માટે જાહેર સુખાકારી અને જાહેર આરોગ્યને લગતા માળખાગત સુધારા કરવાની જરૂર છે. તેના બદલે સરકાર ઉઘાડા પડી ચૂકેલા ‘ગુજરાત મોડેલ’ને છાવરવામાં તથા લઘુમતી પ્રત્યે દ્વેષ ફેલાવવામાં મશગૂલ છે.
e.mail : shariklaliwala11@gmail.com
અનુવાદઃ સુજાત પ્રજાપતિ e.mail : sujat.prajapati@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020