ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે
9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મદિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’
તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિન્દુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિ ક્ષણ ખૂંચતી.’
દક્ષિણ આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.
ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’
ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારા આશ્રમ સારું દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’ ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.
દક્ષિણ આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ
‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું, ‘તમે હિન્દુસ્તાનીમાં બોલો.’ ગોખલેએ કહ્યું, ‘ભાંગીતૂટી હિન્દુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’, ‘હું પણ એ જ ભાષા બોલું છું.’ ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું, ‘તમે મરાઠીમાં બોલો તો?’, ‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’
‘મારી તમને વિનંતી છે, તમે હિન્દુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિન્દુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’ ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિન્દુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો.
એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’ ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.
સૌજન્ય : 'સમય સંકેત', નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 09 મે 2018