ગિરીશ કર્નાડની આંખોને જોઇને મને કાયમ એવી અનુભૂતિ થઇ છે કે આ માણસ ખરાબ ન થઇ શકે. ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા અલબત્ત ભજવી છે ને તેને ય એક ગરિમા તેમણે બક્ષી છે. ત્યાં પણ આંખો તો સૌમ્ય ઉજાસ જ પાથરતી રહી છે. ભૂલતો ન હોઉં તો ‘સ્વામી’માં એક ખોટી વ્યક્તિ, ખરી વ્યક્તિ તરીકે બંગાળી કુટુંબમાં ગોઠવાઈ જાય છે ને હેમા માલિનીના પતિ તરીકે પણ રહી પડે છે. ફિલ્મમાં પછી ખબર પડે છે કે એ આ ઘરનો સ્વામી નથી. એ તો ચાલ્યો જાય છે. પછી એને માથે માછલાં ધોવાય છે કે એણે શું શું કરી મૂક્યું હતું, ત્યાં એનો બચાવ એમ કહીને થાય છે કે એણે શું કર્યું તે ન જુઓ, એ શું કરી શક્યો હોત તે વિચારો. એ ઘરની વહુને સ્પર્શ્યો નથી. ને બધી સિમ્પથી ગિરીશ કર્નાડ તરફ વળી જાય છે. એવી જ એક ફિલ્મ હતી, ’સુબહ’ જબ્બાર પટેલની ફિલ્મ. સ્મિતા પાટિલ એની નાયિકા. એના પતિ ગિરીશ. પત્ની નોકરી અને કમિટમેન્ટને કારણે બહાર ને બહાર રહે છે ને રાહ જોઇને પતિ બીજી સ્ત્રી જોડે સંબંધ બાંધે છે. પત્નીને રહેવાનું કોઈ કારણ ન જણાતાં તે ઘર છોડી જાય છે. એમાં પણ ખોટું કરનાર પતિ તરીકેનો ગિરીશના ચહેરા પર પ્રગટ થતો સંકોચ ને ગુનાહિત ભાવ આંખોને કારણે નાજુક નકશીકામવાળો જ હતો.
આ ગિરીશ કર્નાડ હવે નથી. લાંબી માંદગી પછી એમનું ૮૧ વર્ષની ઉમરે અંગો કામ ન કરવાને કારણે બેંગલુરુમાં નિધન થયું. 19 મે તેમની જન્મતારીખ છે. તેઓ છેલ્લે ‘ટાઈગર જિન્દા હૈ ‘ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. આમ તો કન્નડ ફિલ્મ ’અપનાદેશ’ આખરી ફિલ્મ હતી.
ગિરીશનો જન્મ માથેરાનમાં ૧૯ મે, ૧૯૩૮માં. વિધવા માતા નર્સિંગનું ભણી. એ દરમિયાન ડો. રઘુનાથ કર્નાડ સાથે સંપર્ક વધ્યો. આર્ય સમાજમાં બંનેએ લગ્ન કર્યાં. એ લગ્નનું પરિણામ તે ગિરીશ ને એક દીકરી. ગિરીશને સ્કૂલથી જ થિયેટર જોડે લગાવ રહ્યો. શાળેય શિક્ષણ મરાઠીમાં થયું. તે પછી કર્ણાટક રહેવાનું થયું ને અહીંથી ગ્રેજ્યુએશન પણ કર્યું. ઇંગ્લેન્ડ પણ ભણવાનું થયું. ૧૭ વર્ષની ઉંમરે એક આઈરીશ લેખકનો સ્કેચ બનાવીને કર્નાડે મોકલ્યો. જવાબમાં એ લેખકે કહ્યું, આવામાં સમય બગાડવા કરતાં કંઈ એવું કર કે લોકો તારો ઓટોગ્રાફ માંગે. આ ટર્નિંગ પોઈન્ટ સિદ્ધ થયો. માતા-પિતાને નાટકમાં રસ હતો ને એ રસ ગિરીશમાં સંક્રમિત થયો. ગિરીશને યક્ષગાન શૈલીનું આકર્ષણ પણ રહ્યું ને તેનો તેમણે યથોચિત ઉપયોગ પણ કરી જાણ્યો.
સી. રાજ્ગોપાલાચારીનું ‘મહાભારત’ ગિરીશ પર ભારે પ્રભાવ પાડે છે ને એ સંસ્કાર ‘યયાતિ’ લખાવે છે. ચેન્નાઈના ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં સાત વર્ષ કામ કર્યું, પણ કામમાં મન પરોવાયું નહીં. ત્યાં કર્નાડ રાજીનામું આપીને લેખન, થિયેટર તરફ વળ્યા. થોડો વખત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર થયા પણ ત્યાં ય ફાવ્યું નહીં. ભારત આવ્યા ને અહીં જ અઠે દ્વારકા થયું.
૧૯૬૪માં ઐતિહાસિક નાટક ‘તુગલક’થી તેઓ ભાવકોમાં જાણીતા થાય છે. ’હયવદન’, ’નાગમંડલ’, ’’તલેડેન્ગા,’ ‘અગ્નિ અને વર્ષા,’ તેમના યશસ્વી નાટકો છે. કર્નાડનું અંગ્રેજી સારું હતું એટલે તેમણે જ કન્નડમાંથી નાટકો અંગ્રેજીમાં અનૂદિત કર્યાં ને તેમને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત થઇ. ’હયવદન’નો ધ્વનિ અપૂર્ણતા જ જીવન છે ને પૂર્ણતા મૃત્યુ-નો છે. એ નાટક ગુજરાતીમાં સફળતા પૂર્વક જાણીતા નાટ્યકાર કપિલદેવે સૂરતમાં સફળતાપૂર્વક ભજવ્યું પણ હતું તે પણ નોંધવું જોઈએ.
ગિરીશ કર્નાડ ફિલ્મો સાથે પણ સંકળાયા. ૧૯૭૦માં પહેલી ફિલ્મ ‘સંસ્કાર’ આવી. તેમાં તેમણે ભૂમિકા પણ ભજવી. સ્ક્રિપ્ટીંગ પણ તેમણે જ કર્યું. ૧૯૭૧માં ‘વંશવૃક્ષ’ ફિલ્મ આવી. તેનું દિગ્દર્શન ગિરીશે પહેલીવાર કર્યું. આ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. કન્નડ સિનેમાએ તેમને ‘પ્રેસિડેન્ટસ ગોલ્ડન લોટસ એવોર્ડ’ પણ આપ્યો.
‘ગોધૂલિ’, ‘ઉત્સવ’ તેમની દિગ્દર્શિત ફિલ્મો છે. ‘ગોધૂલિ’ તેમણે બી.વી. કારંથ સાથે દિગ્દર્શિત કરી. ’નિશાંત’, ‘મંથન’, ‘મેરી જંગ’, ’અપને પરાયે,’ ‘મનપસંદ’, ‘ઇકબાલ’, ’શંકરાભરણમ’, જેવી ફિલ્મોમાં ગિરીશે ભૂમિકાઓ અદા કરી. ’મંથન’ વિશિષ્ટ ફિલ્મ હતી. શ્યામ બેનેગલની આ ફિલ્મ ડેરી મંડળીની સ્થાપના પરની ફિલ્મ હતી. આણંદની અમુલ ડેરીના સ્થાપક કુરિયનના પ્રયત્નની એ ફિલ્મ હતી ને એ ભૂમિકા ગિરીશે ભજવી હતી. ગુજરાતના લગભગ પાંચ લાખ ખેડૂતોએ એ પ્રોડ્યુસ કરી હતી. દસ લાખ ખેડૂતોએ બે-બે રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. સમાંતર સિનેમાની શરૂઆત આ ફિલ્મથી થઇ એમ પણ કહેવાય છે.
ગિરીશને ચારેક તો ફિલ્મફેર એવોર્ડ મળ્યા, તો દશેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. આર.કે. નારાયણના પુસ્તક પર આધારિત ટી.વી. સિરિયલ ‘માલગુડી ડેઝ’માં પણ તેમણે સ્વામીના પિતાની ભૂમિકા કરી તે પણ ભૂલાય એવી નથી. તો, ૧૯૯૦માં વિજ્ઞાન આધારિત એક ટી.વી. કાર્યક્રમ ‘ટર્નિંગ પોઈન્ટ’માં કર્નાડે સંચાલકની ભૂમિકા પણ કરી. તેઓ પદ્મશ્રી, પદ્મવિભૂષણથી પણ વિભૂષિત છે. આ ઉપરાંત સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી, જ્ઞાનપીઠ પુરસ્કાર જેવા સાહિત્યિક પુરસ્કારોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. એફ.ટી.ટી.આઈ., પૂણેના ડાયરેક્ટર તેઓ રહ્યા, તો સંગીત નાટક અકાદમી, નેશનલ અકાદમી ઓફ પેર્ફોર્મિંગ આટર્સનાં ચેરમેન પદે પણ રહ્યા.
ટૂંકમાં, ફિલ્મ અને નાટકના એક સકળ ને સફળ પુરુષની ખોટ સાલે છે ને આ ખોટ ખોટમાં જ રહેવાની છે.
e.mail : ravindra21111946@gmail.com