આજે સવારસવારમાં, એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.
દક્ષિણ ગુજરાતની સાંસ્કૃિતક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય-ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃિતક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ, પારસી, જૈન સંસ્કૃિતની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.
આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે. પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો – ગરબા સાથે એમાં, નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન સમેત ગીતો – પવાડા – ગરબા ગવાય છે, જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી.
પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’ લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જો કે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.
વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓનાં મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ – વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં – નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે, પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.
મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય, અમારાથી પણ ગવાય. તે રીતે ‘પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું, અને સભ્યબહેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આશિક સફળતા મળેલી.
ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વસંગ્રહ જેવો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું, તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી, પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃિતક ‘ગતિપ્રગતિ, અધોગતિ’ સમજવાનો પ્રયાસ છે.
આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.