વહેલી સવારે પહેલાં સૂર્યકિરણો
સાવરણી જેવાં ફર્યા
અને પછી
ચોખ્ખાંચણાક થયાં ધરતી-આકાશ.
પણ સાવરણી ઉપર તો આજે જ ધ્યાન ગયું
જ્યારે કચરા-પોતાં કરવા આવતાં જમનાબેન
ન આવ્યાં
અને મેં સાવરણી હાથમાં લીધી
જેમ પ્રભુ રામે ક્યારેક હાથમાં લીધું હશે
સીતાસ્વયંવર વખતે શિવધનુષ.
ફળિયામાં સોનેરી ઘાસના પૂળા પાથરીને બેસતો
સાવરણી બનાવનારો બા સામે
અને સાંજ સુધીમાં બનતી
આખું વરસ ચાલે એટલી સાવરણી.
પહેલી સાવરણી કોણે બનાવી
એ કોઈ વેદ-પુરાણમાં નથી લખ્યું
પણ રાજુ સોલંકીના કહેવા પ્રમાણે
મનુએ
એક આખા વર્ગનાં હાથમાં ઝલાવી દીધેલી સાવરણી
જે હજુ પણ અદૃશ્યપણે ઝૂલતી હોય છે
એક આખી જાતિની પીઠ પર.
પણ આજે મેં સાવરણી ઊંચકી
તો એ મને ભગવાન કૃષ્ણએ
ટચલી આંગળી પર ઊંચકેલ ગોવર્ધન જેવી લાગી
જો કે મારે તો વાળવાનું હતું
માત્ર મારું ત્રણ ઓરડાવાળું ઘર,
તેઓ કેવી રીતે વાળતા હશે
આખેઆખાં શહેર
સાવરણીથી
એ પણ પેઢી દર પેઢી સદીઓથી?
ઘરમાં સાવરણી ફેરવતાં ફેરવતાં
થોડીવાર માટે તો ભુલાઈ ગયું કે
ઘર વાળી રહ્યો છું
મને લાગ્યું જાણે હું વૈતરણી તરી રહ્યો છું
એક સાવરણી લઈને.
ફરી સાવરણીનું સ્મરણ થયું
ત્યારે મને
શ્રમની અણદેખી અને શ્રમિકની અવગણનાનું ભાન થયું.
હું તો મારું ઘર વાળીને જ
લોથપોથ થઈ જાઉં છું
જમના સવાર સવારમાં સાત-આઠ ઘરમાં
ફટાફટ કરી કાઢે છે કચરા-પોતાં
મોઢા પર સાડલાનો છેડો ફેરવતાં ફેરવતાં,
જમનાના હાથમાંની સાવરણી
કંઈ કમ નથી
મોરારિબાપુના હાથમાં શોભતા રામચરિત-માનસથી.
મુનિના હાથમાં ઊનની
મુજાવર પાસે મોરપંખની
કેજરીવાલ પાસે રાજનીતિની
પણ સાચુકલી તો જમનાની જ
જે આજે મારા હાથમાં હતી સાવરણી.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 11 ઍપ્રિલ 2020