ગઝલ લખવી એટલે મારી દૃષ્ટિએ તો પાણીના દોરડા વણવા જેવું કઠિન કામ છે. લોકો ભલે સમજે કે છંદ આવડી જાય એટલે ગઝલ બહુ જ સરળતાથી લખી શકાય. ફક્ત છંદ આવડવાથી ગઝલ લખી શકાતી નથી. ગઝલમાં કાફિયા અને રદીફ પણ છંદ જેટલાં જ મહત્ત્વના છે. કાફિયા તો પ્રત્યેક શેરમાં બદલાતા હોય છે પણ રદીફ તો મતલાથી મક્તા સુઘી એક જ રફતારમાં ચાલતો હોય છે. ઉત્તમ ગઝલ રદીફ કેવો છે તેના પર આધાર રાખે છે. છંદ આવડવાથી તમે કાફિયા અને રદીફ સહારે ગઝલનું ખોખું કે પછી શરીરનો આકાર તમે ગઝલને આપી શકો. મિત્રો, ગઝલમાં મહત્ત્વ છે ગઝલત્વનું. જે ગઝલનો આત્મા ગણાય છે. સુંદર શરીર હોય પણ આત્મા વિનાનું શરીર કેવું લાગે જરા કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવી જશે. એવું જ ગઝલમાં છે છંદ જાણતા હોય પણ ગઝલત્વ ના હોય તો તે ગઝલ આત્મા વિનાનું શરીર જેવી લાગે.
મારા પરમ મિત્ર સકૂર સરવૈયા જે દોઢેક દાયકો મારા ગામમાં રોચેસ્ટરમાં હતા, અને ત્યાર બાદ અહીંથી ૯૦ માઈલ દૂર શર્મન ગામમાં પોતાની દવાની દુકાન ખોલી. પોતે એક ફાર્માસિસ્ટ, અને બે પાંદડે થતાં થતાં તેઓ એક ખોટે રવાડે ચડી ગયા. આજથી દોઢ બે દાયકા પહેલાં અછાંદસ કવિતા લખતાં લખતાં છંદનો કોઈ અભ્યાસ કર્યા વિના અછાંદસની જેમ ગઝલ દિવસે ના લખાય એટલી રાતે લખવા માંડ્યા. અને પછી રાત દિવસ ગઝલ સંગ્રહ પ્રગટ કરવાનાં સ્વપ્ન જોતાં આ ફાર્માસિસ્ટ સંગ્રહ પ્રગટ કરવા એક નહિ પણ એક આખું ટોળું મળી ગયું, કે ચઢ જા બેટા શૂળી પર! અને આ ફાર્માસિસ્ટ પાસે અલ્લાહની મહેરબાનીથી ડોલરની કોઈ તંગી ન હતી એટલે ગઝલકાર થવાના સમણાં જોતાં સકૂર મિયાંએ પોતાનું નામ ‘શબાબ કાયમી” ધારણ પર કરી લીધું.
આ બધી અછાંદસ ગઝલનો સંગ્રહ પ્રગટ કરવા તેમણે વડોદરા ડૉ. રશીદ મીરને આ ગઝલ મોકલી આપી. આ ગઝલ સારા કાગળમાં સુઘડ રીતે રશીદભાઈ છાપી તો આપશે, સાથો સાથ ગઝલના છંદને પોતે ગઝલના જાણકાર હોવાથી મઠારી પણ આપશે, તેમ જ તેની પ્રસ્તાવના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગઝલકાર ભાઈ અદમ ટંકારવી લખશે. એવું આદિલ મન્સૂરી સાહેબે સકૂર મિયાંને ગોઠવી આપ્યું, એટલે સકૂરભાઈ એ આ સંગ્રહ આદિલ મન્સૂરીને અર્પણ કર્યો. ત્રણ ચાર મહિના બાદ આ સંગ્રહ ” અજંપો” નામે પ્રગટ થયો, સુંદર કાગળ અને સરસ છાપકામ અને અદમ ટંકારવી સાહેબે ગઝલના રૂપ રંગ પ્રમાણે લખેલ પ્રસ્તાવના સાથે. તેની ત્રણ ચાર નકલ રશીદ મીર સાહેબે સકૂર ભાઈને મોકલી આપી.
અજંપાની ગઝલ જોતાં જ શકુરભાઈ ખુદ અજંપામાં ખોવાઈ ગયા, તેમણે લખેલી ગઝલનું રૂપરંગ એમનું એમ જ રાખી દેવામાં આવેલ. ગઝલમાં ક્યાં ય કોઈ ફેરફાર નહીં, ગઝલસંગ્રહ પ્રગટ કરવા ગયો ત્યારે આદિલભાઈએ સકૂરભાઈને કહેલ કે, શકુરભાઈ તમે બિલકુલ ચિંતા ન કરશો. તમારી પ્રત્યેક ગઝલને હું, અદમભાઈ, મીર સાહેબ મઠારીને છંદ ચકાસીને પછી જ ગઝલ સંગ્રહ રૂપે આપણે પ્રગટ કરીશું. આદિલભાઈ અને મીર સાહેબે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે સંગ્રહની ગઝલમાં કોઈ ફેરફાર ન જોતા શકુરભાઈ દુઃખી થઈ ગયા.
તેમણે મને તે જ સમયે ઘરેથી ફોન કર્યો કે પ્રીતમ, હું અને તારી ભાભી હમણાં જ તને મળવા શર્મનથી રોચેસ્ટર આવી રહ્યાં છીએ. મને થયું સકૂરભાઈને એવું તે મારું શું કામ પડ્યું હશે, કે મને કહે કે હું તને બઘી વાત ફોન પર કરવાને બદલે તારા ઘરે આવીને વિગતવાર વાત કરીશ. આમ તો હું સકૂરભાઈને રોચેસ્ટરથી નહોતો ઓળખતો, પણ મારા અને સકૂરભાઈના સંબંધ ઘાટકોપરથી. મારા બનેવી પ્રતાપ ભટ્ટને કારણે, સકૂરભાઈને અમેરિકા બોલાવનાર પણ મારા બનેવી પ્રતાપ ભટ્ટ જ હતા. હું અને શકૂરભાઈ મારી બહેનના ઘરે ઘણી વખત સાથે પણ રહેલા. હું ભારતથી અમેરિકા પ્રથમ વાર આવ્યો ત્યારે મને એરપોર્ટ પર લેવા આવનાર પણ શકૂરભાઈ જ હતા. અમારા સંબંધ સાહિત્યને કારણે નહોતા, અમે તેમના ઘરે વારંવાર જતાં અને તેઓ પણ મારે ઘેર આવતાં.
શનિવારની સાંજે મારે ઘરે શકૂરભાઈ આવ્યા ત્યારે તેનો ચહેરો ઊતરી ગયેલ હતો. મને થયું કે શું થયું હશે? બીનાએ ચા બનાવી એટલે શકૂરભાઈ અને ભાભીએ ચા પીને, મારા હાથમાં ‘અજંપા”ની એક નકલ મૂકી. મેં મારા સ્વભાવ પ્રમાણે સકૂરભાઈને કહ્યું, ‘ખરા છો? તમે, આપણે રોજ ફોન પર વાત કરીએ છીએ પણ તમે ક્યારે ય મને કહેતા કે બોલતા નથી કે મારો સંગ્રહ પ્રગટ થવા ગયો છે. તમે મને ન કીધું મને તેનું કોઈ દુઃખ નથી. સંગ્રહ પ્રગટ થયો છે તેનો આનંદ વ્યક્ત કરવાને બદલે અત્યારે તમારું મોઢું અબરખના ડૂચા જેવું કેમ લાગે છે?
શકૂરભાઈએ બઘી વાત મને વિગતવાર કરી, ત્યારે મને પણ વેદનાનો અજંપો લાગ્યો. શકૂરભાઈ મને કહે કે આજે સવારે ચાર કોપી આવી છે. તેમાંથી એક કોપી મેં અહીં આવતાં પહેલાં શિકાગોમાં ડો. અશરફ ડબાવાલાને મોકલી આપેલ છે. આ એક કોપી હું તને વાંચવા આપું છું પણ તું મહેરબાની કરીને કોઈને ન આપતો. હું તારા ઘરેથી જ હમણાં સાંજે રશીદ મીર ને ફોન કરીને જણાવું છું કે મારો આ સંગ્રહ રદ્દબાતલ કરે અને મહેરબાની કરીને કોઈને તેની એક પણ કોપી આપે કે વેચે નહીં.
સકૂરભાઈએ તેમના ગઝલ સંગ્રહની ૫૦૦ નકલને ઊકરડે ફેંકી દીધી / ફેંકાવી દીઘી. બે પાંચ દિવસ બાદ સકૂરભાઈનો ગઝલસંગ્રહ ડો. અશરફ ડબાવાલાને શિકાગો મળ્યો ત્યારે અશરફભાઈ એ ફોન કરીને સકૂરભાઈને જણાવ્યું કે તમારી ગઝલ સારી છે, પણ છંદ વિના ‘ફોટો ફ્રેમ વિનાની તસ્વીર ભીંત પર મૂકી હોય તેવી લાગે છે’. તમે અજંપા વિશેનો જે અજંપો કાગળમાં દર્શાવ્યો છે, તે વાંચી મને એટલું કહેવાનું મન થાય છે. કે ‘તમારો કાગળ તો મને એક અછાંદસ કાવ્ય જેવો લાગ્યો.’ બે પાંચ મહિના બાદ શકૂરભાઈ મને કહે કે તને કોઈ ગઝલના જાણકારી સાથે ઓળખાણ હોય તો તું તેને વાત કર. જો તે મારી ગઝલને છંદમાં મઠારી આપશે તો, એ જે કહેશે તે પ્રમાણે આપણે તેને મહેનતાણું આપશું. મેં સકૂરભાઈને કહ્યું, શકૂરભાઈ આ અનુભવ પછી તો કંઈક શીખો. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, તમે એમ કરો ગઝલ છંદનો અભ્યાસ કરો. મારી પાસે “નઝર” ગફૂરીનું ‘છંદસમજ ગઝલ સહજ’ અને જમિયત પંડ્યાનું ગઝલના છંદ શીખવા માટેનું એક પુસ્તક હતું. આ બે પુસ્તકો મારી પાસે હતા જે મને કવિ મિત્ર કૈલાસ પંડિતે ૧૯૯૦માં હું મુંબઈ ગયો હતો ત્યારે મને આપેલાં. આ બંને પુસ્તકો મેં સકૂરભાઈને મોક્લી આપ્યાં. શકૂરભાઈ લગભગ દોઢ બે વરસ આ પુસ્તક વાંચી તેમણે ખુદ જાતે મથીને અજંપાની બધી ગઝલ જેટલી થઈ શકે તે બધી છંદમાં લખવાની કોશિશ કરી અને એકાદ વરસ બાદ, આ બઘી ગઝલને એમણે ૨૦૦૫માં “શબાબ કયમી”ના નામે, “બે દમ ચલમના’માં પ્રગટ કરી.
e.mail : preetam.lakhlani@gmail.com