ગાંધી, વિનોબા, જયપ્રકાશના વૈચારિક સખા અને નિર્ભય આલોચક, ભારતીય બંધારણસભાના સભ્ય દાદા ધર્માધિકારીનું મૂળ નામ શંકર ત્ર્યંબક ધર્માધિકારી. મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાનું તાપી નદીનું મૂળ મૂલતાપી ગામ એમનું જન્મસ્થળ. આજથી ૧૨૧ વરસ પહેલાં, ૧૮મી જૂન, ૧૮૯૯ના રોજ એમનો જન્મ થયો હતો. જે નાગપુરમાં આરંભિક શિક્ષણ લીધેલું ત્યાંની રાષ્ટ્રીય શાળા, તિલક વિદ્યાલયમાં, ૧૯૨૦માં શિક્ષક બન્યા હતા. સ્વરાજપ્રાપ્તિની ગાંધીહાકલે શિક્ષણ છોડી સ્વરાજની લડતમાં જોડાનાર દાદા ધર્માધિકારી આજીવન સ્વરાજની મથામણ કરનાર મૌલિક વિચારક બની રહ્યા. ૧૯૩૫માં પિતાના અવસાન પછી તે વર્ધા આવ્યા. વર્ધામાં એમને જમનાલાલ બજાજની સોબત મળી અને સ્વરાજ ચળવળના નેતાઓનો સંપર્ક થયો.
લોકનજરે પાકટ એવું ૮૭ વરસનું પૂર્ણાયુષ્ય ભોગવીને ૧લી ડિસેમ્બર ૧૯૮૫ના રોજ એમણે આંખ મીંચી હતી. એટલે આઝાદી પછીના ચારેક દાયકાના ભારતને આ સ્વાતંત્ર્ય સેનાનીએ જોયું હતું. સત્તા અને પદથી અળગા રહેવાનો સ્વભાવ છતાં, ગાંધીજીના આગ્રહથી તેઓ ૧૯૪૬માં મધ્યપ્રદેશની પ્રાંતિક ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીએ તેમને કહેલું, ‘તું (ધારાસભામાં) જવા નથી માંગતો એને હું તારી યોગ્યતા માનું છું. આવા લોકોએ તો જરૂર જવું જોઈએ.’ ૧૯૫૧માં વિમલાતાઈ (વિમલા ઠકાર) વલ્ર્ડ એસેમ્બલી ઓફ યુથમાં ભાગ લેવા અમેરિકા ગયાં હતાં. અમેરિકા પછી વિશ્વભરની યુનિવર્સિટીઓમાં તેમના કાર્યક્રમો હતા. તત્કાલીન વડાપ્રધાન નહેરુનાં બહેન વિજ્યાલક્ષ્મી પંડિત વિમલા ઠકારથી એટલાં પ્રભાવિત થયેલાં કે તેમણે ભાઈ જવાહરને તેમને કૉન્ગ્રેસ સાથે સાંકળવા વિનંતી કરેલી. નહેરુની વિનંતી વિમલા ઠકારે સ્વીકારી નહીં તો તેમને સમજાવવાનું દાદા ધર્માધિકારીને સોંપાયું. દાદાએ ગાંધીજી કરતાં જુદી ભૂમિકા લીધી અને નહેરુને કહ્યું તમે જેને તપસ્વિની કહો છો તે મારી મનસ્વિની છે. આમ કહીને દાદાએ વિમલાતાઈની વાત સ્વીકારી હતી.
આઝાદી મળ્યા પછીની દાદા ધર્માધિકારીની એક મહત્ત્વની કામગીરી બંધારણસભાના સભ્ય તરીકેની હતી. આ સમયના તેમના અનુભવો ‘આપલ્યા ગણરાજ્યાંચી ઘડણ' નામના મરાઠી પુસ્તકમાં આલેખાયા છે. તેઓ બંધારણ દ્વારા અમીરગરીબનો ભેદ મિટાવવા માંગતા હતા. એટલે ખાનગી મિલકતને બંધારણમાં મૂળભૂત અધિકાર ગણવાના સરદાર પટેલના સૂચનનો તેમણે વિરોધ કર્યો હતો. તેઓ બંધારણમાં જ્ઞાતિ અને સંપ્રદાયનો અંત આવે તેવી જોગવાઈ કરવાના મતના હતા. જો કે તેમની આ ત્રણેય બાબતો બંધારણસભામાં સ્વીકારાઈ નહોતી.
દાદા ધર્માધિકારીને વિનોબા ભાવેની ભૂદાન ચળવળ સ્પર્શી ગઈ હતી. પરંતુ રામમનોહર લોહિયા જેને ‘મઠી ગાંધી’ કહેતા એવા વાદ કે વિચાર પકડીને બેસી રહેનારા તેઓ નહોતા. કટોકટીને જ્યારે વિનોબાએ ‘અનુશાસન પર્વ’ કહ્યું ત્યારે દાદાએ એને ‘આતંકપર્વ’ કહ્યું હતું. જયપ્રકાશના બિહાર આંદોલનના સમર્થક છતાં જે.પી.. પાસે જનતાની અપેક્ષાઓ સંતોષાઈ નહીં તો ‘જે.પી.કા અધ્યાય સમાપ્ત હો ગયા’ કહેતાં પણ અચકાયા નહોતા .જે.પી. – વિનોબા વચ્ચેના વિચારભેદોને ભેદવા પણ તેમણે પ્રયાસો કર્યા હતા.
હિંદી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, બાંગ્લા અને સંસ્કૃત ભાષાના જાણકાર દાદા ધર્માધિકારી સારા વક્તા અને ઉત્તમ લેખક હતા. તેમના દોઢેક ડઝન પુસ્તકો પ્રગટ થયાં છે. ‘આત્મકથા લખવા જેવું કશું કામ મેં કર્યું નથી’, એવી એમની હંમેશની દલીલ રહેતી. એટલે તેમનું આત્મચરિત્ર ‘મનીષીની સ્નેહગાથા’ મરણોત્તર પ્રગટ થયું છે. ગાંધી અને સર્વોદય વિચાર જાણવા, સમજવા અને અમલમાં મૂકવા માંગતી ત્રણેક પેઢીનું વૈચારિક ઘડતર દાદા ધર્માધિકારીનું બહુ જ મોટું પ્રદાન છે. કાર્યકરોનું વૈચારિક ઘડતર કરવું, તેમની વૈચારિક ભૂમિકા મજબૂત અને સશક્ત બનાવવી અને તેમનો વિચારપિંડ ઘડવાનું કામ તેમના હાથે થયું હતું.
'માનવનિષ્ઠ ભારતીયતા’ પુસ્તકમાં તેમણે સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા સાથે જોડાયેલા પ્રશ્નોને સમજાવ્યા છે. કૉન્ગ્રેસે દેશભક્તિ અને સામ્રાજ્યવાદ વિરોધી ભાવનાઓને પ્રગતિશીલ, ન્યાયપરક અને રાષ્ટ્રવાદી ભારતનું જે રૂપ આપ્યું તેને તેઓ માનવનિષ્ઠ ભારતીયતા તરીકે ઓળખાવે છે. હાલના સંકીર્ણ રાષ્ટ્રવાદના માહોલમાં દાદાનું આ ચિંતન ખૂબ જ મહત્ત્વનું વિચારભાથું પૂરું પાડે છે. લોક, લોકસત્તા અને લોકસભા વિશેના તેમના વિચારો પણ સ્પષ્ટ હતા. લોકોના મતથી ચૂંટાયેલી લોકસભા સર્વસત્તાધીશ છે તેવું તેઓ માનતા નહોતા.
૧૯૩૮થી તેઓ ‘સર્વોદય’ સામયિકના સંપાદન સાથે સંકળાયા હતા. સાડા ચાર દાયકા પૂર્વે અમદાવાદના ગાંધી આશ્રમમાં તેમણે ‘સર્વોદય દર્શન’ વિશે વ્યાખ્યાનો આપ્યા હતા. તેમાં વ્યક્ત વિચારો આજે પણ પ્રસ્તુત છે. દાદાના મતે સર્વોદય એટલે જીવનનું સમગ્ર, સંવાદી અને સમન્વયવાદી દર્શન. ભારતના અને પશ્ચિમના નાગરિકની તુલના કરતાં તેમણે લખ્યું હતું, ‘ભારતના નાગરિકની ભાષા તો આધ્યાત્મિક છે પણ એની પ્રેરણા ભૌતિક છે. પશ્ચિમનો નાગરિક ભલે ભૌતિક છે પણ ઈમાનદાર પૂરો છે. ભારતમાં ભૌતિક ઈમાનદારી નથી. માત્ર ભૌતિક આકાંક્ષા જ છે.’
દાદા ધર્માધિકારીના ‘સ્ત્રી-પુરુષ સહજીવન’ પુસ્તકમાં વ્યક્ત વિચારો તેમની આર્ષદ્રષ્ટિ અને વિષયના મૂળમાં જવાની ઊંડી સૂઝના દર્શન કરાવે છે. નારીવાદના મેનીફેસ્ટો જેવા આ વિચારોમાં તેમણે સાચું જ લખ્યું છે કે, 'એવી સ્ત્રીઓ મેં જોઈ છે કે જે ભૂતથી, વાઘથી કે આંધી-તોફાનથી નથી ડરતી, પણ પુરુષથી ડરે છે.’ જો સ્થિતિ આ હોય તો તેનો ઉકેલ શું? દાદા લખે છે, ‘સ્ત્રી અને પુરુષ ભલે સાથે જીવે પણ પુરુષને ભરોસે નહીં. પુરુષ નિર્ભરતા એ સ્ત્રીજીવનનો મુખ્ય દોષ છે. આમાંથી જ્યાં સુધી તેનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી સ્ત્રીનું શિક્ષણ, એની નાગરિકતા વગેરે એનાં શરીરનાં ઘરેણાં બની રહેશે. શરીર પર ઘરેણાં જેટલાં વધારે તેટલી સંરક્ષણની આવશ્યકતા પણ વધારે. સ્ત્રીની આજની સ્વતંત્રતા સુરક્ષિત સ્વતંત્રતા છે.’
જેમ સ્ત્રીઓ તેમ દલિતો, આદિવાસીઓ, પછાતો પણ દાદાના કાર્યો અને વિચારોના કેન્દ્રમાં હતા. ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલન વખતે તેઓ ગુજરાતમાં આવ્યા હતા અને એ સમયના ગાંધી-સર્વોદય આગેવાનો કરતાં જુદી, અનામતના સ્પષ્ટ સમર્થનની, ભૂમિકા લીધી હતી. તેમણે એ આંદોલનને, ‘આ હિંસક પ્રતિકાર નથી. તેમ અહિંસક પ્રતિકાર પણ નથી. આ તો હલ્લો છે. જેમ રાજ્યનો આતંક હોય તેમ ટોળાંનો પણ આતંક હોય છે.’ તેમ કહીને વખોડ્યું હતું. અમદાવાદના ઘણા રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પછી તેમણે દલિત અસ્મિતાના અભિવાદન અને સ્વીકારની ભૂમિકા લીધી હતી.
ગાંધીવિચારના ભાષ્યકાર અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારીએ ગાંધી-વિનોબાના વિચારોના હાર્દને વર્તમાન ભારતીય સંદર્ભમાં મૂલગામી રીતે તપાસી, ગાંધીદર્શનને એક નવી દિશાથી જોવા-સમજવાની દ્રષ્ટિ પૂરી પાડી છે. જાહેરજીવનના તમામ ક્ષેત્રોમાં વિચાર દારિર્દ્રની બોલબાલા છે ત્યારે દાદા ધર્માધિકારીના વિચારો અને ચિંતન તરફ વારંવાર નજર જવી જોઈએ.
(તા.૧૭-૦૬-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 17 જૂન 2020