“વિશ્વ જેમને ‘મહાત્મા’ નામથી ઓળખે છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને સૌથી વધુ નજીકથી જેમણે જાણ્યા હોય તો તે છે કસ્તૂરબા. ગુજરાતીમાં કહેવત છે ને, ‘મહાદેવના ગુણ તો પાર્વતી જાણે’. કસ્તૂરબાએ ગાંધીજીનાં સહધર્મચારિણી બનીને ગાંધીજીનાં કાર્યને વધુ દિપાવ્યું છે.”
બાપુની સામે અને સાથેના પ્રથમ સત્યાગ્રહી : કસ્તૂરબા
“પૂતળીબાઈએ જેમ ગાંધીજીને વ્યસનથી દૂર કર્યા તેમ તામિલનાડુના કસૂવા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં તરુણ બાળકો વ્યસનથી દૂર રહે તે માટે ૨૦૧૫માં પાંચમી ઑગસ્ટે પૂતળીબાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દરેક બાળકે પોતાની માતાનો હાથ પકડીને દારૂનું વ્યસન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.”
મોહનની મા : પૂતળીબાઈ
“ગાંધીજીના મંત્રી તરીકે મહાદેવભાઈ દેસાઈનું નામ જાણીતું છે; પરંતુ ગાંધીજીની ગેરહાજરીમાં આશ્રમનું કામ સંભાળી લઈને તેની માહિતી ગાંધીજી જ્યાં હોય ત્યાં પત્રવ્યવહારથી પહોંચાડવાનું કાર્ય કરતાં કુસુમબહેન દેસાઈનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું રહ્યું. તેમણે ગાંધીજીનાં મંત્રી તરીકે પણ થોડો વખત કાર્ય કર્યું હતું.”
ગાંધીજીનાં કર્મઠ સાથીદાર : કુસુમબહેન દેસાઈ
“આજે પણ આપણે રામ અને શ્રવણ જેવા આદર્શ પુત્રોની કથા સાંભળીને નવી પેઢી સમક્ષ તેવાં ઉદાહરણો આપીએ છીએ. આ એવા પુત્રો છે જેમણે માતા-પિતાને આપેલા વચન પ્રમાણે જીવન સમર્પિત કરી દીધું પણ આવું જ કાર્ય કોઈ પુત્રીએ કર્યું હોય તો સામાન્ય રીતે તેની નોંધ જરૂર પૂરતી જ લેવાઈ છે. પિતાની પડખે ઊભા રહીને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હોય એવાં પુત્રી એટલે મણિબહેન પટેલ. તેઓ ‘સરદાર પુત્રી’ તરીકે પણ જાણીતાં હતાં.
ગાંધી વિચારને વરેલી સરદાર પુત્રી : મણિબહેન પટેલ
ઉપરોક્ત શીર્ષકો અને અવતરણો મોસમ ત્રિવેદી લિખિત પુસ્તક ‘ગાંધી વારસાનાં નારીરત્નો’માંથી નોંઘ્યાં છે. કોઈપણ વ્યક્તિનાં જીવનકવનને સમગ્રપણે જોઈ-વિચારી-સમજીને શબ્દાંકિત કરવાનું કાર્ય આ લખ્યું એટલું સહેલું નથી.
નારીવાદી સમાજશાસ્ત્રી લેખિકા તરીકે તટસ્થ રહીને એક અગત્યના ઐતિહાસિક સમયખંડને આવરી લઈને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, પર્યાવરણીય નિસબત ધરાવતી પ્રતિબદ્ધ કર્મશીલ સ્ત્રીઓની યશગાથાનું લેખન અને સંકલન પ્રકાશિત કરનાર બહેન મોસમ, સંપાદક કેતન રુપેરા અને અણમોલ પ્રકાશનના ડો. ગૌરાંગ જાનીની આ એક અલગ અને વિશિષ્ટ પ્રકારની સમાજસેવા છે એવું મને લાગે છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ ન. શાહે તેમ જ ગાંધી આચારવિચાર સમર્પિત કર્મશીલ કોકિલાબહેન વ્યાસે આવકાર્યું છે. સાદગીને વરેલાં ગાંધીમાર્ગના પ્રસારક અને પ્રેરક ઈલાબહેન ભટ્ટને અર્પણ થયું છે.
આ પુસ્તક માટે જાણીતાં ઇતિહાસના પ્રોફેસર ફાલ્ગુની પુરોહિત લખે છે, “એ ૧૮૬૨માં જન્મેલા જમનાબાઈ સક્કાઈથી લઈ ૧૯૩૯માં જન્મેલાં કોકિલાબેન વ્યાસ જેવાં ગાંધી મૂલ્યોને જીવન સમર્પિત કર્યુ હોય તેવી ૬૦ મહિલાઓનાં જીવન ચરિત્રનું આલેખન છે. એ રીતે આ પુસ્તક ૭૭ વર્ષનાં સમયખંડને આવરી લેતા નારી ઇતિહાસનું પણ પુસ્તક છે.
પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં નારીવાદી બકુલા ઘાસવાલાએ લખી છે. બકુલાબહેને આ મહિલાઓની પ્રવૃત્તિઓને વિશાળ ઐતહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી છે.
પુસ્તકનું સંપાદન યુવા ગાંધી અભ્યાસી કેતન રૂપેરાએ કર્યુ છે. તેમણે અત્યંત ખંત અને મહેનતથી આ નારીરત્નોનાં જન્મ, અવસાનની માહિતી ઉપલબ્ધ કરાવી છે. દરેક નારી ચરિત્રમાં આ નારીરત્નો છબિ સાથે કોઈક ખાસ વાત બોક્ષમાં મૂકવામાં આવી છે . વિશિષ્ટ માહિતી સાથેની આ સજાવટ આંખને પણ આનંદ આપે છે !
પુસ્તકની સરળ ભાષા સામાન્ય વાચકની જ્ઞાન પિપાસાને સંતોષે છે. તો પુસ્તકના અંતમાં અપાયેલ સંદર્ભ સાહિત્યની સૂચિ અભ્યાસુઓને વિશેષ અભ્યાસ માટે પ્રેરે છે.
અણમોલ પ્રકાશનનું આ બીજું પુસ્તક છે.
ગાંધીજીએ સમગ્ર ભારતની પ્રજા પર દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી એક વિશિષ્ટ પ્રભાવ ઊભો કર્યો. દેશભરમાં પ્રવાસ કર્યા પછી સમસ્યાઓથી તૃણમૂળ સુધી પરિચિત થયા પછી એમણે વખતોવખત વિવિધ આંદોલનોને ગતિમાન કર્યા અને પોતાની રીતિનીતિ સાથે એને પરિણામલક્ષી પણ બનાવ્યાં. આંદોલન દરમિયાન અને જ્યારે આંદોલનો સ્થગિત હોય ત્યારે એમણે સમાજસુધારા માટે, લોકચેતના માટે રચનાત્મક કાર્યો શરૂ કર્યા, કરાવ્યાં અને લોકોને જોડ્યાં. સ્વનિર્ભરતા, વ્યસનમુક્તિ, અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણો અને કુરિવાજો દૂર કરવાથી લઈ સાર્થ જોડણી કોશની રચના કરાવવા સુધીનાં કાર્યો એમણે હસ્તક લીધાં અને પાર પણ પાડ્યાં. આ કાર્યોમાં એમણે મહત્ત્વનું કાર્ય સ્ત્રીઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડીને સક્રિય કરવાનું પણ કર્યું. એમનાં કાર્યો અને વિચારોથી પ્રભાવિત સ્ત્રી કાર્યકર્તાઓનાં જીવન-કવનને ઉજાગર કરતું આ પુસ્તક વાચનરસ ધરાવતા જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ માટે પૂરતું ભાથું લઈને આવ્યું છે. મને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની તક મળી એમાં ભાઈ ગૌરાંગ અને મોસમનો મારા પરનો વિશ્વાસ છે એવું મને લાગે છે. મૂળ પ્રસ્તાવના તો ખાસ્સી લાંબી લેખણે લખાયેલી છે. ગાંધીવિચાર માર્ગે અને સમાજના કલ્યાણ-વિકાસ માટે કાર્યરત સ્ત્રી-કર્મશીલો માટે સોનલ શુક્લ, ગાર્ગી વૈદ્ય – યશવંતદાદા, આ લખનાર અને અન્ય લેખકોએ લખ્યું જ છે ત્યારે યુવા લેખિકા મોસમે એને એક વિશિષ્ટ નામાભિધાન અને સમયખંડના પરિપ્રેક્ષ્યમાં સંકલિત કરીને અલગ ભાત ઉપસાવી છે.
સપ્તાહના સૌથી વધુ આવકાર પામેલા પુસ્તક તરીકે એની ગણના થઈ ચૂકી છે એટલે ગુજરાતી પ્રજાની વાચનરુચિ માટે આદરભાવ સાથે શિષ્ટવાચનના પ્રસાર માટેની આશા વઘારે પ્રદીપ્ત થાય છે. અભિયાન સામયિકમાં પ્રગટ દસ બેસ્ટ સેલર બુક્સમાં સ્થાન પામેલા પુસ્તક તરીકે નોંધાયેલી ઘટના સુખદ અને સંતર્પક લાગે છે. મોસમ, ભાઈ ગૌરાંગ અને કેતન રુપેરાને અભિનંદન.
વલસાડ
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર