ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓની એક પછી એક પરત ખૂલતી જાય છે
ગુજરાત મોડેલ પણ ખરે જ એક યુગ બલિહારી છે ને કંઈ! પહેલાં એ એક પછી એક જેલ ભેગા થતા પોલીસ અધિકારીઓથી પંકાયું, હવે એ બધા વિવાદાસ્પદ – કોઈ ટ્રાયલગ્રસ્ત, કોઈ જામીનધન્ય – પોલીસ અધિકારીઓના પુન:પ્રતિષ્ઠાપન સારુ પંકાવા લાગ્યું છે. તરુણ બારોટ અને એન.કે. અમીનની કંત્રાટી રાહે નવનિયુક્તિ એ આ સિલસિલાનો જ એક મણકો છે. આમ તો સિલસિલાને બદલે પહેલાં સૂઝેલો પ્રયોગ ‘શૃંખલા’ હતો, પણ હાલ પૂરતો એને છોડી દઉં છું.
રાહુલ શર્માની જનહિતયાચિકા(પી.આઇ.એલ.)ને પગલે આ નિયુક્તિઓ વિશે હાઇકોર્ટે સરકારનો ખુલાસો પૂછયો છે અને ત્રણેક અઠવાડિયાં પછી સુનાવણી આગળ ચાલશે. 2007ના ગુજરાત પોલીસ ઍક્ટ મુજબ પુન:નિયુક્તિની કે કંત્રાટી કોઈ જોગવાઇ નથી એ દલીલસર તરુણ બારોટ અને એન.કે. અમીનની નવનિયુક્તિને પડકારતી દલીલ ઉપરાંત, આ લખનારની સમજ પ્રમાણે ટેકનિકાલિટીથી હટીને જે પાયાનો પ્રશ્ન આ જનહિતયાચિકા મારફતે ઉપસ્થિત થાય છે તે એ છે કે આ પ્રકારની નિયુક્તિઓ થકી એક ખોટો સંકેત જાય છે. પોલીસ અધિકારીઓને જાણે કે કહેવામાં આવે છે કે અમે (સરકાર/ સત્તાપક્ષ) કહીએ તેમ કાયદાનિરપેક્ષ વરતો અને એથી લાભો.
વસ્તુત: આ કોઈ ભા.જ.પ. શાસન કે ગુજરાત સરકારના પક્ષે અપવાદરૂપ ઘટના નથી. દરેક સરકાર, દરેક સત્તાપક્ષની આવી કોશિશ રહે છે. અનામતવિરોધી ઉત્પાત વખતે આપણે ત્યાં શાંતિ-સ્થાપન અઘરું બન્યું એનું એક કારણ આવા મેળાપીપણામાં નહોતું એવું નથી. રિબેરો આવ્યા અને ચાંપ દાબો ને હુલ્લડખોરી બંધ થઈ જાય એવો ચમત્કાર થયો એનું રહસ્ય એ હતું કે એમણે આ સાંઠગાંઠ (નેક્સસ) પર પ્રહાર કરવામાં સરકારની કે ચાલુ પોલીસ વડાઓની શરમ નહોતી ભરી. મુદ્દે, હુલ્લડ માત્રને અંગે. પોલીસ કારવાઈમાં એક સ્ટૅન્ડર્ડ પ્રોસીજર હોય છે. તમે એ પ્રકારે ચાલો તો સામાન્યપણે હુલ્લડ કાબૂમાં લેતા વિલંબ થતો નથી. રિબેરોએ એ જ કર્યું હતું (એટલે સ્તો ગોધરા કલેક્ટર જયંતી રવિએ 2002માં પહેલે ધડાકે રિબેરોનું માર્ગદર્શન માગ્યાના અવિધિસરના હેવાલો છે – અલબત્ત રિબેરો મોડેલને અનુસરવા ત્યારની સરકાર તૈયાર નહોતી એ સંજોગોમાં જે થાય તે થયું.)
મુદે, કટોકટી ઊઠ્યા પછી તરત રચાયેલા શાહ તપાસ પંચે તપસીલમાં જઈ જે બધાં તારણો અને ભલામણો રજૂ કરેલાં એમાં ઠીક ઠીક હિસ્સો તે પછી પણ નહીં પળાયા સારુ જાણીતો છે. ત્યારે જનતા પક્ષના (અને પછી ભા.જ.પ.ના) શીર્ષ બૌદ્ધિક જેવા અરુણ શૌરીએ એક સચોટ ટિપ્પણી કરી હતી કે જે બધા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારી મંડળો છે એમને કેમ આ પ્રકારના હેવાલો ચર્ચી આત્મનિરીક્ષણપૂર્વક સુધારણા કરવાનું સૂઝતું નથી. ગુજરાતમાં આપણે જે લાંબો દોર છેલ્લાં ચૌદ-પંદર વરસથી અનુભવી રહ્યા છીએ એમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓ અને એવી જ પ્રવૃત્તિઓ પરથી એક પછી એક પરત ખૂલતી જાય છે. પણ પોલીસ તંત્રના શીર્ષ સ્તરે આવું કોઈ જ ચિંતન થતું જણાતું નથી.
જેમને બહુ જ વાજબી રીતે ‘ફર્સ્ટ વ્હીસલ બ્લોઅર ઑફ ગુજરાત પોલીસ કેડર’ કહેવામાં આવે છે તે શ્રીકુમારે ‘ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટન્સ’માં કરેલ સિલસિલાબંધ ઘટસ્ફોટ જુઓ કે રાણા અયુબે ‘ગુજરાત ફાઇલ્સ’માં નોંધેલા સંવાદો જુઓ, તમને સૂંડલામોંઢે એવી દસ્તાવેજી વિગતો મળશે જેમાં સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ સત્તાપક્ષના ચોક્કસ જૂથ કે નેતૃત્વના કહ્યાગરા અગર મળતિયા બનીને પોતાની બંધારણીય જવાબદારીનો ઉલાળિયો કર્યો હતો. નાણાવટી તપાસમાં કે રાઘવનના નેતૃત્વમાં એસ.આઇ.ટી.ની કામગીરીમાં સંખ્યાબંધ સગડ અને પાર વિનાનાં પગેરાં વણદબાવ્યાં રહ્યાં હશે એનો પણ અંદાજ જેમ પૂર્વે ‘ઓપરેશન કલંક’ થકી તેમ ‘બીહાઇન્ડ ધ કર્ટન્સ’ અને ‘ગુજરાત ફાઇલ્સ’માંથી પસાર થતાં મળી રહે છે.
કદાચ, જે એક મુદ્દાથી આ કોલમનો ઉપાડ ને ઉઘાડ થઈ શકયો હોત તે પણ હવે ઉત્તરાર્ધમાં ચર્ચવા જોગ છે. આ મુદ્દાનું મૂલ્ય, કેમ કે તે પછીથી લેવાઈ રહ્યો છે એથી દ્વૈતીયિક કે ગૌણ બનતું નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે આટલી ચર્ચાના માળખા પર તે શગ ઘટના જેવો છે. હમણે હમણે આ બધી પ્રકીર્તિત પોલીસ પ્રતિભાઓ સહસા આતંકવાદીઓથી પીડિત-પ્રતાડિત પ્રજાજનોની સહાયમાં એન.જી.ઓ. રૂપે બહાર આવી રહી છે. આતંકવાદને નામે અને બહાને જે દોર ચાલ્યો (જેની વિગતો ન જોવી હોય તો જ ન જોઈ શકાય એ બરની છે) એમાં આ સૌની ભૂમિકા કંઈ નહીં તો પણ સંદિગ્ધ હતી.
આ સંમિશ્ર ને સંદિગ્ધ સંકેતો આપણાથી છાના નથી એનું એક કારણ તો આ સૌ પ્રતિભાઓએ પ્રસંગોપાત એકબીજા સામે બહાર પાડેલી વિગતો છે. ડાયાજી વણઝારાએ જેલમાંથી નમો પર લખેલ પત્ર (ખરું જોતાં લેટરબૉમ્બ) આવી જ એક દસ્તાવેજી સાહેદી રૂપ છે.
વણઝારા સુયોગ્ય આશિર્વચનો સાથે (અને અલબત્ત એમની પોતાની વિશિષ્ટ સરસ્વતીપૂર્વક) આ કે તે રસ્તે જાહેર જીવનમાં આવવા માટે હદસે જ્યાદા આતુર જણાય છે એ વિગત જરી વધુ ધ્યાન માગી લે છે. રીલ લાઇફ હીરોની પેઠે એ ટૂંકજીવી મામલો નયે હોય. પાટીદાર આંદોલન અને ઉના ઘટનાએ બતાવ્યું છે કે ભા.જ.પ. પૂર્વવત્ અજેય નથી. ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ ન હોય તો પણ પોલાણ તો છે જ છે. ઉંઝાથી ઉનાની કેજરીવાલની હડિયાપાટીની જેમ જ વણઝારાના જગોજગ, ગામોગામ, ઠામોઠામ સામૈયા પણ આ પોલાણને પૂરવાની ફિરાકમાં છે. પક્ષો (કે પક્ષજૂથો) વચ્ચેની ટાઇ ટાંકણે વિંગ અને સ્ટેજ વચ્ચેનું અંતર મિટાવવાના ઓરતા પણ એમને હોઈ શકે છે.
અહીં સંભારવા જોગ એક આંશિક પેરેલલ ઇંદિરા ગાંધીના પુનરાગમનનો છે. જે તે રાજકારણીને ચુંટાવામાં મદદ કરતાં અસામાજિક તત્ત્વોને ખુદ ચુંટાવાનો સણકો ત્યારથી મોટે પાયે ઉપડ્યો એવું એક અવલોકન છે. 2002થી 2007 અને 2012 સુધી જેમની સત્તાપક્ષને અન્યથા મદદ મળતી રહી તેઓ એ સત્તાપક્ષ વાટે કે સ્વતંત્રપણે સીધી સેવા આપવા માગે છે. પાલવની કિનારે ટિંગાવું કે સોહવું હવે એમને બહાલ નથી. એક વાર તમે ખુદને તારણહાર, રગ રગ રાખણહાર, ગોબ્રાહ્મણ પ્રતિપાળ સમજવા માંડો, પછી તો – આ વલણને જો વૈધતા અને સ્વીકૃતિ (લેજિટિમસી) મળી જાય તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનું તો એમની ખુદની કમાણીરૂપે જે થવાનું હશે તે થશે; પણ લોકશાહી ખુદ વધુ ને વધુ હાંસિયે હડસેલાશે. જે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’ સોક્રેટિસને હરી ગઈ તે કશું પણ કરી શકે … કાશ, આશિષડાહ્યાઓને કોઈ આ સમજાવી શકે!
સૌજન્ય : ‘મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 22 અૉક્ટોબર 2016