સરકારની આરતી ઉતારનારા અને હિન્દુત્વનો શંખ ફૂંકનારાઓને અંગ્રેજી લોહીમાં ઊતરી ગઈ છે એનો વાંધો નથી. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં પણ ભારતમાં અંગ્રેજી બોલાતી હોવાનું કેટલાક ભારતીય અંગ્રેજો માનતા હોય તો નવાઈ નહીં. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તેની માતૃભાષા અંગ્રેજી કરવા સરકાર અને તેનાં ભક્તજનો મથી રહ્યા છે તે જગજાહેર છે. એટલે જ ખાનગી સ્કૂલોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જે અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચલાવીને નોટ છાપે છે ને બીજી તરફ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થાય છે ને ભૂલેચૂકે જો કોઈ સ્કૂલ ખૂલે છે તો તેનું માધ્યમ અંગ્રેજી હોય છે. ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો બંધ કરાવવામાં સરકારનો ફાળો મોટો છે. એવી સ્કૂલો બંધ કરાવવામાં સરકારને રસ છે, કારણ સ્કૂલો બંધ થાય તો સ્કૂલો ચલાવવાની ઉપાધિમાંથી તેનો છૂટકારો થાય. શિક્ષકોને પે સ્કેલ આપવાનો ને તેનું પેન્શનનું કૂટવાનું ને ઉપરથી શિક્ષણ મફતમાં આપવાનું, એ ઝંઝટ જ શું કામ જોઈએ? એનાં કરતાં ખાનગી સ્કૂલો ખૂલે તો વધારે ફી ઉઘરાવીને અને સસ્તા માસ્તરો રાખીને સંચાલકો કમાતા હોય તો એ વેપલો શું કામ ન કરવો? એમાં સરકારને રસ એટલે પણ છે કે ઘણી સ્કૂલો સરકારી મંત્રીઓ ને તેમનાં મળતિયાઓ દ્વારા ચાલે છે એટલે છેવટે તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ ને ! વળી ખાનગીમાં તો પગાર જ ખેંચીને આપવાનો હોય ત્યાં પેન્શનનો તો સવાલ જ નથી ઊભો થતો ! આવો નફાકારક વેપાર છોડીને સરકારી સ્કૂલો ખોલીને મફત શિક્ષણ આપવાનું ? છટ્ !
એક સમય હતો જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદનું નામ આપવામાં ય ઘણા અખાડા થયેલા. નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય’ ગણાયો હોય તો ભલે, પણ તેનું નામ જોડતાં સુરતના જ શિક્ષણવિદોને પેટમાં દુખેલું, પણ, પછી તો ઝુંબેશ ચાલી ને વર્ષો પછી યુનિવર્સિટીને નર્મદનું નામ અપાયું. ગમ્મત તો એ છે કે દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી હતી, પણ એમાં ગુજરાતીનો વિભાગ જ ન હતો. અંગ્રેજીનો હતો, પણ ગુજરાતીનો વિભાગ ન હતો. યુનિવર્સિટીને નર્મદનું નામ હતું, પણ એ જે ભાષામાં લખતો હતો એ ગુજરાતીનો વિભાગ જ ન હતો ! તે આ લખનારે ને અન્ય સાહિત્યકારોએ ઉપાડો લઈને કરાવ્યો ને હવે દસેક વર્ષથી ગુજરાતીનો વિભાગ ચાલે છે. હિન્દીનો સ્વતંત્ર વિભાગ શરૂ થવાની વાત છે, તેનું ભવન પણ તૈયાર હોવાનું કહેવાય છે, પણ સંસ્કૃતમાં તો વિદ્યાર્થીઓ જ નથી ને થાય એને માટેની કોશિશો ને તકો ય ઓછી છે એટલે એનું ભવન તો કલ્પનામાં જ રચીને સંતોષ માનવો પડે એ સ્થિતિ છે.
આટલી વાત એટલે કરવી પડી, કારણ સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવી જોઈએ એવી અરજી સુપ્રીમકોર્ટ સામે આવી ને કોર્ટે અરજદારને વેધક પ્રશ્નો પૂછી અરજી ફગાવી દીધી. સુપ્રીમકોર્ટમાં નિવૃત્ત બ્યુરોક્રેટ કે.જી. વણઝારા તરફથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની અરજી કરાઇ હતી તેને ફગાવતાં સુપ્રીમના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચે જણાવ્યું કે આ મુદ્દો નીતિગત છે ને સરકારના દાયરામાં આવે છે એટલે સરકાર જ બંધારણમાં સુધારો કરીને જે તે નિર્ણય લઈ શકે, એટલે અરજદારે આ પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવો જોઈએ – એવી સૂચના સુપ્રીમે અરજદારને આપી. અરજદારે કલમ 32નો હવાલો આપતાં કહ્યું કે સુપ્રીમકોર્ટ કેન્દ્રનો મત જાણીને એ અંગે ચર્ચા શરૂ કરી શકે. વધારામાં અરજદારે સુનાવણી દરમિયાન બ્રિટિશ શાસન વખતના કલકત્તાના સુપ્રીમના જજના નિવેદનનો હવાલો આપતાં કહ્યું કે તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાં એક વાત સ્પષ્ટ છે કે સંસ્કૃત માતૃભાષા છે. તેનાં જવાબમાં જજોએ એ ઉમેર્યું કે સંસ્કૃત માતૃભાષા છે ને હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યા છે એ અમે પણ માનીએ છીએ, પણ તેને આધારે કોઈ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર ન કરી શકાય.
બેન્ચે અરજદારને એમ પણ પૂછ્યું કે કેટલાં શહેરોમાં સંસ્કૃત બોલાય છે ને તમે એક વાક્ય પણ સંસ્કૃતમાં બોલી શકો એમ છો? કે તમારી રીટ અરજીનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકો એમ છો? સુપ્રીમે અરજદારની બોલતી તો બંધ કરી, પણ તેથી વાતનો છેડો આવતો નથી. અરજદારને સંસ્કૃત નથી આવડતું એટલે રાષ્ટ્રભાષા સંસ્કૃત ન થાય તો સવાલ એ છે કે અરજદારને સંસ્કૃત આવડતું હોત તો સંસ્કૃત રાષ્ટ્રભાષા થઈ હોત? ન જ થઈ હોત, કારણ અરજદારની આવડત કે અણઆવડત પર તો કોઈ ભાષા ને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું અવલંબિત ન હોય ને ! વળી એ કામ સુપ્રીમનું નહીં, પણ સરકારનું છે તે કહેવાની જરૂર ખરી?
એ સાચું કે સંસ્કૃત તરફ પ્રજાનો ઝુકાવ જ નથી. આમ પણ ભાષા પ્રીતિ આપણા સ્વભાવમાં જ નથી. વ્યવહાર પૂરતી ભાષા જાણીને હેતુ તો વધુ આર્થિક ઉપાર્જનનો જ મોટે ભાગની પ્રજાનો હોય છે, ત્યાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની વાત કોઈને પણ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. દક્ષિણની પ્રજાનું માતૃભાષા માટેનું વળગણ જ એટલું તીવ્ર છે કે તેઓ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. હિન્દીને નકારવા ત્યાં આંદોલનો પણ થયાં છે ને જો સરકારનો ‘વન નેશન, વન લેન્ગ્વેજ’નો કન્સેપ્ટ મનમાં હોય તો હિન્દીની બાબતે દક્ષિણનાં રાજ્યો સફળ થાય એવું લાગતું નથી. એવામાં અંગ્રેજી રાષ્ટ્રભાષા થાય તો બને કે દક્ષિણનાં રાજ્યોને ય વાંધો નહીં હોય. તેનું કારણ એ છે કે અંગ્રેજી બધે જ ચાલે છે. એ સ્થિતિમાં અંગ્રેજી માતૃભાષા ને રાષ્ટ્રભાષા થાય તો કદાચને સ્વમાની નહીં એવી આપણી પ્રજાને ય વાંધો નહીં હોય.
આપણી સરકારો પણ અંગ્રેજી માટે તૈયાર થાય તો આઘાત ન લાગે. એની નાનમ પણ ન હોય કદાચ. એકતરફ હિન્દુત્વનું આક્રમણ ને બીજી તરફ અંગ્રેજીની ગુલામી આપણાં લોહીમાં ઊતરી ગઈ છે. તેમાં પણ ગુજરાત તરફથી અંગ્રેજીને રાષ્ટ્રભાષા કે માતૃભાષા બનાવવાની પહેલ થાય તો નવાઈ નહીં. અંગ્રેજીનો એક ભાષા તરીકે કોઈ વાંધો નથી. એ પણ છે કે વિદેશ જઈને ભણનારને કે કેટલાક વિષય અહીં રહીને ભણનારને અંગ્રેજી વગર છૂટકો નથી, આટલાં વર્ષો પછી પણ એ સ્થિતિ નથી કે જે તે વિષયનાં પુસ્તકો પ્રાદેશિક ભાષામાં મળી રહે કે તેનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં સરળ થાય. એ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી અંગ્રેજીમાં ભલે શિક્ષણ અપાતું, પણ બધાં કૈં વિદેશ જવાના નથી કે બધાં જ અહીં રહીને ય ડૉક્ટર, વૈજ્ઞાનિક કે એન્જિનિઅર થવાના નથી, તો જે અંગ્રેજી વગર ચલાવી શકે એમ છે તેમને માથે અંગ્રેજી થોપવાનો અર્થ ખરો? અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધે ને ગુજરાતી માધ્યમની સકૂલો બંધ થાય, સરકાર, સરકારી સ્કૂલો બંધ કરતી જાય તો માતૃભાષાનું અને અન્ય પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ ઘટે છે એવું ખરું કે કેમ? આમ થાય તો એ ભાષાનું સાહિત્ય, એને અનુષંગે આવતી સંસ્કૃતિ, લોપ પામે તે યોગ્ય છે? અંગ્રેજોને હોય તેનાં કરતાં આપણાં દેશી અંગ્રેજો, આટલે વર્ષે પણ અંગ્રેજીનો નફાકારક ધંધા તરીકે ઉપયોગ કરે ને એનો કોઈ સંકોચ ન હોય એ શરમજનક છે,
અંગ્રેજો આવ્યાં તે પહેલાં પણ ગુજરાતી, સંસ્કૃત, મરાઠી વગેરે ભાષાઓ હતી જ, તેનું શિક્ષણ અપાતું હતું, તેનું સાહિત્ય હતું, તેની સંસ્કૃતિ હતી. આજે તપાસવા જેવું છે કે માધ્યમિક શિક્ષણ દરમિયાન સ્કૂલોમાં કેટલી ભાષાઓ ભણાવાય છે? એક સમય હતો જ્યારે સંસ્કૃત તો ઠીક, અર્ધમાગધી બોર્ડની પરીક્ષામાં વિષય તરીકે લઈ શકાતી. આજે કેટલી ભાષાઓ સ્કૂલોમાં ભણાવાય છે તેનો સર્વે કરવા જેવો છે. અંગ્રેજીને બાદ કરતાં આજનું ભાષા શિક્ષણનું દારિદ્રય આંખે ઊડીને વળગે એવું છે. એક કાળે જે તે ભાષાના પંડિતો ને વિદ્વાનો મળી રહેતા, આજે તો આખું કોળું દાળમાં ગયું હોય એવો ઘાટ છે. અંગ્રેજીએ કારકૂનો પેદા કરવામાં એટલો મોટો ફાળો આપ્યો છે કે દેશ કારકૂની કરવામાંથી જ ઊંચો નથી આવતો. એમાંથી પણ પંડિતો ને વિદ્વાનો મળ્યા જ છે, પણ મોટે ભાગે તો દેશને કારકૂનો જ મળ્યા છે. એમાં ભાષા કરતાં પણ ગુલામ માનસિક્તાએ વધારે ભાગ ભજવ્યો છે ને હજી એની પકડમાંથી છૂટવા આપણે તૈયાર નથી તે દુખદ છે.
અરજદાર સુપ્રીમમાં સંસ્કૃતમાં જવાબ ન આપી શક્યો ને સંસ્કૃત હવે બોલાતી નથી તેને પરિણામે એ સ્થિતિ સર્જાઈ છે એવું કોર્ટનું કહેવું હતું, પણ આ જ દેશમાં એક કાળે સંસ્કૃતની બોલબાલા હતી, સંસ્કૃતમાં મહાકાવ્યો સર્જાયાં, વિશ્વ સાહિત્યમાં જોટો ન જડે એવા સર્જકો સંસ્કૃતે આપ્યા એ કદી ભૂલવા જેવું નથી. સંસ્કૃત દેવભાષા હતી, તો તેને દેવલોક પહોંચાડી કોણે? સંસ્કૃત ભણવા દેશ તૈયાર નથી એ સ્થિતિ સર્જી કોણે? વિદેશથી લોકો સંસ્કૃત શીખવા ભારત આવતા હતા, તે હવે અહીંથી શીખવા વિદેશ જાય તેવી સ્થિતિ કોને આભારી છે? હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ તેનો દક્ષિણનાં રાજ્યોમાં સ્વીકાર નથી. ત્યાંની પ્રજાને માતૃભાષાનું એટલું વળગણ છે કે હિન્દી ત્યાં સ્વીકૃતિ પામે એ અશક્યવત્ છે. એ પ્રજાને અંગ્રેજીનો વાંધો નથી એનું આશ્ચર્ય છે. એ રીતે જોતાં તો અંગ્રેજી આખા દેશમાં ચાલે એમ છે. સંસ્કૃત તો રાષ્ટ્રભાષા નહીં થાય, પણ અંગ્રેજી થાય તો નવાઈ નહીં? અહીં એવો પ્રશ્ન થાય છે કે આપણે સ્વતંત્ર થયા છીએ ખરાં ? કમ સે કમ અંગ્રેજીની ગુલામી આપણે સ્વતંત્ર થયા પછી પણ 75 વર્ષથી ચાલુ જ રાખી છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2022