અખંડ ભારતમાંના પંજાબના પેશાવરમાં આવેલો કિસ્સા ખાવાની બજારનો વિસ્તાર. આ તે જગ્યા છે કે જ્યાંની એક હવેલીમાં આયેશા બેગમની કૂખે મોહંમદ યૂસુફનો ૧૯રરમાં જન્મ થાય છે. તે સમયે બાજુની હવેલીમાં પૃથ્વીરાજ કપૂરનો પરિવાર વસતો હતો. જે બંને હવેલીઓ હવે પાકિસ્તાન સરકાર કદાચ મ્યૂઝિયમમાં તબદીલ કરશે. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી ઉપરાંત ૧ર ભાઈ-બહેનોથી ભર્યાભર્યા સંયુક્ત કુટુંબમાં બાળક યૂસુફનો ઉછેર થાય છે. તે સમયે શેરી-મહોલ્લામાં સાથે રમતો બાળમિત્ર રાજ કપૂર યૂસુફખાનને જ્યારે નાસિકની બાર્નેસ સ્કૂલમાં ભણવા મૂકવામાં આવે છે, ત્યારે એમનો સહાધ્યાયી મિત્ર પણ બને છે. જગજાહેર છે કે આગળ જતાં બાળપણના આ બંને મિત્રો ફિલ્મ-અભિનય ક્ષેત્રે વિકાસની દિશામાં પ્રગતિ માટેના પુરુષાર્થપંથની સફરના પણ વૃદ્ધાવસ્થા સુધી સાથીદાર રહ્યા. ફળોના જથ્થાબંધ વેપારી પિતા લાલા સરવરખાને ૧૯ર૬માં પેશાવર છોડીને કુટુંબ સાથે ધંધો જમાવવા મુંબઈ આવવું પડે છે. ત્યાર બાદ ક્રાફર્ડ માર્કેટમાં તે ફળોની દુકાન શરૂ કરે છે. યૂસુફને આ ધંધામાં રસ ન હોવા છતાં ય નાછૂટકે પિતાશ્રીને ધંધામાં મદદ કરતા રહે છે.
કોઈક બાબતે પિતા લાલા સરવરખાન સાથે બોલાચાલી થવાથી યૂસુફ નારાજ થઈને પૂણે જાય છે. પૂણેમાં એક પારસી કાફે ઑનર અને એક બ્રિટિશ આર્મીમેનની મદદથી યૂસુફખાનને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ હોવાથી તેઓની કૅન્ટીનમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી મળે છે. સમય જતાં યૂસુફ કૅન્ટીનમાં પોતાનું સૅન્ડવિચ-કાઉન્ટર શરૂ કરે છે, જે બ્રિટિશ આર્મી મેનમાં અત્યંત પ્રશંસાપાત્ર બની રહે છે.
પરંતુ આ દિવસોમાં દેશભરમાં અંગ્રેજશાસન સામે વ્યાપ્ત વિદ્રોહના ઉછાળની સ્વાભાવિક અસર યૂસુફના દિલોદિમાગમાં પડેલી હોવાથી એક દિવસ તે કૅન્ટીનમાં અંગ્રેજશાસનની કડક ટીકા કરતું જોરદાર ભાષણ આપે છે. પરિણામે એણે થોડો વખત જેલવાસ ભોગવવો પડે છે. કૅન્ટીનની નોકરી ગુમાવી બેસે છે, પરંતુ સૅન્ડવિચ-કાઉન્ટરની પ્રાપ્ય આવકમાંથી બચતરૂપે સચવાયેલી તે દિવસોમાં ખાસ્સી મોટી ગણાતી રૂ.પ,૦૦૦ જેટલી રકમ લઈને પૂણેથી મુંબઈ પિતા લાલા મોહંમદ સરવરખાન પાસે પાછા આવે છે.
કશાક કામે દાદર જવા ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા યૂસુફખાનને પોતાના એક મિત્ર ડૉ. મસાનીનો ભેટો થાય છે. તે એમના એક ઓળખીતાને મળવા મુંબઈની એક સુવિખ્યાત સંસ્થામાં જઈ રહ્યા હોવાથી યૂસુફખાનને પણ ત્યાં પોતાની સાથે ખેંચી જાય છે. ડૉ. મસાનીના તે ઓળખીતાં એટલે દેવિકારાણી. એમની મુંબઈની જાણીતી સંસ્થા એટલે બૉમ્બે ટૉકીઝ.
ડૉ. મસાની મિત્ર યૂસુફનો દેવિકારાણીને પરિચય આપ્યા પછી બૉમ્બે ટૉકીઝમાં એને કામ આપવાની વિનંતી કરે છે, જેનો દેવિકારાણી સહર્ષ સ્વીકાર કરે છે. હિન્દી, ઉર્દૂ તથા અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકોનું સારું વાંચન ધરાવતા હોવાથી યૂસુફ બૉમ્બે ટૉકીઝમાં વાર્તાલેખન-પટકથાનું કામ શરૂ કરે છે. દેવિકાજીની પ્રતિભા આ છોકરામાં ભવિષ્યની હિન્દી ફિલ્મોના આશાસ્પદ હીરોનું હીર પારખ્યા પછી ફિલ્મ ‘જ્વારભાટા’માં એને હીરો તરીકે ૧રપ૦ના પગારમાં કામ કરવાની ઑફર કરે છે. પોતાને અભિનયની કશી જ
આવડત-અનુભવ ન હોવાથી તે આ ઑફરનો અસ્વીકાર કરે છે, જેનો હકારાત્મક વિરોધ દર્શાવતી પ્રતિક્રિયા રૂપે દેવિકાજી યૂસુફને સિનેમેટ્રોગ્રાફી અને અભિનયકલાનાં પુસ્તકો આપીને તે વાંચી જવા કહે છે. રોજ સવારસાંજ જુદી-જુદી ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન અશોકકુમાર, શશધર મુખર્જી જેવા સિનિયર અભિનેતાઓનો અભિનય બારીકાઈથી જોવાનું પણ કહે છે. યૂસુફ દેવિકાજીની આ સલાહને અનુસરે છે. પરંતુ એનું બીજારોપણ તો છેક બાળપણમાં પેશાવરમાં રોજ સાંજે આગાની આંગળી પકડી એમની હવેલી પાસેના ચોક સુધી જતા, ત્યાં મૌલાના જાતજાતના કિસ્સાઓ સંભળાવતા, તે કિસ્સાઓમાંની ઘટનાઓ, પાત્રો સ્મરણમાં સાચવીને પછી ઘરે મૌલાનાએ કહેલાં વાક્યો બોલીને ભજવતા – એમાં રહેલું છે. દેવિકાજી યૂસુફખાનને ફિલ્મ અદાકાર તરીકે બીજું કોઈ નામ રાખવાનું સૂચવે છે, જે ફિલ્મરસિકો માટે સરળ અને રોમાંચક હોય. એમના દ્વારા આ સૂચનનો સ્વીકાર થયા પછી સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ભગવતીચરણ વર્માની સલાહને માન આપીને દેવિકારાણી યૂસુફખાનનું ‘દિલીપકુમાર’ નામ રાખે છે. આ વખતે યૂસુફખાનની ઉંમર ૧૯ વર્ષની હોય છે. લાંબો સમય ફિલ્મનું શૂટિંગ ચાલ્યા પછી ‘જ્યારભાટા’ ૧૯૪૪માં રિલીઝ થતાંની સાથે જ યૂસુફખાન રર વર્ષની વયે ફિલ્મ-અભિનેતા તરીકે ઉદિત થાય છે. આ ફિલ્મ નિષ્ફળ નીવડે છે. તે પછીની ફિલ્મો ‘પ્રતિમા’ અને ‘મિલન’ પણ ચાલતી નથી.
ફિલ્મ-અદાકાર તરીકે જન્મ પામી ચૂકેલા દિલીપે આ પછડાટને પરીક્ષા ગણીને એમાંના અભિનય, ફિલ્મનાં વિવિધ પાસાંઓ અંગે વિચાર કરીને વધુ ને વધુ સારું કામ કરવાની ખુદમાં સંપ્રજ્ઞતા કેળવી, જેની ફલશ્રુતિ રૂપે નાયિકા નૂરજહાં સાથેની મુખ્ય ભૂમિકાવાળી એમની ફિલ્મ ‘જૂગનુ’ સુપરહિટ નીવડી. એણે દિલીપને હિન્દી સિનેમાના નવોદિત હીરો તરીકે દેશભરમાં ઓળખ આપી. તે પછી નરગીસ સાથેની અને પરમ મિત્ર રાજ કપૂર નરગીસ સાથેની ભૂમિકાવાળી ફિલ્મો અનુક્રમે ‘મેલા’, ‘અંદાજ’ પણ સુપરહિટ નીવડી.
જેમજેમ પ્રતિભાસંપન્ન ફિલ્મ અભિનેતા તરીકેની એમની પ્રસિદ્ધિનો પારો ઊંચે ચડતો ગયો તેમતેમ એમની સામે નેક પડકારો પણ આવતા ગયા. નિષ્ફળ પ્રેમી તરીકેની કરુણ ભૂમિકાઓ સારી રીતે અદા કરવાથી આવી ભૂમિકાવાળી ફિલ્મો સફળ તો થઈ, પરંતુ આના કારણે દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ તરીકેની નામના ધરાવતા લેબલબ્રાન્ડેડ અભિનેતાનાં બીબાંમાં ઢળાઈ ગયા. તે પછી એમણે કેટલીક હળવી-કૉમેડી ફિલ્મો જેવી કે ‘ગંગાજમના’, ‘સગીના’, ‘રામ ઔર શ્યામ’માં વિવિધ લાક્ષણિક ભૂમિકાઓ અદા કરી તે પણ સફળ નીવડી. દિલીપ પ્રત્યેક ફિલ્મની પોતાની ભૂમિકા પરત્વે વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતાના આગ્રહી હતા. ફિલ્મની વાર્તા અને એમાંના પાત્રનો સૂક્ષ્મ અભ્યાસ કરીને પોતીકાપણાના પરિહાર પછીના તબક્કે પાત્રપ્રવેશ સાધી પાત્રને જે વિભિન્ન કાર્યો, વિભિન્ન પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે, એને ન્યાય મળે તે માટે તે અંગેની તાલીમ સંશોધન-પ્રક્રિયામાંથી તે પસાર થતા. ‘કોહિનૂર’ ફિલ્મના ડાયરેક્ટરે ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’-ના અંતિમ ભાગમાં સિતાર વગાડવાનો એમનો સીન સમજાવતા કહ્યું હતું કે શૂટિંગમાં તમારો ચહેરો હોય અને અન્ય કોઈ સિતાર વગાડતું હોય એવું શૂટિંગ બીજા પાસે કરાવીએ. દિલીપને એમની આ પ્રયુક્તિ નાપસંદ હતી, એ આ સીનમાં વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતા લાવવા તે વખતના મશહૂર સિતારવાદક ઉસ્તાદ હલીમ જાફરખાન પાસે છ મહિના સુધી સિતાર શીખ્યા. આ રીતે દિલીપ પ્રયોગશીલ એવી સર્જનાત્મક અભિનેયતાનું એક અદ્વિતીય ઓજસપૂર્ણ ઉદાહરણ બની રહ્યા.
‘૭૦ના દાયકામાં એમની અદાકારીવાળી ફિલ્મો નિષ્ફળ જવાથી થોડાંક વર્ષોના વિરામ બાદ ડિજિટલ, વીડિયોના બદલાતા યુગના મંડાણમાં અભિનયના નવા બદલાવયુક્ત નિખાર સાથે દિલીપનું ઉત્તરવયે ફિલ્મોમાં વૈવિધ્યસભર પ્રૌઢભૂમિકા રૂપે પુનરાગમન થયું. ‘વિધાતા’, ‘શક્તિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ આ દરેક ફિલ્મ સફળ થવા પાછળનો મોટા ભાગનો યશ એમને જ મળ્યો. છેલ્લી ફિલ્મ ‘કિલા’નું એમણે વૃદ્ધાવસ્થાની જરા ય પરવા કર્યા વિના ૧૦૧ ડિગ્રી તાવ હોવા છતાં ય સવારે ૧૧-૦૦ થી મોડી રાત સુધી શૂટિંગ કર્યું. આ છે ફિલ્મને સમર્પિત એક સક્ષમ અને સંનિષ્ઠ અદાકારનું ‘ડેડિકેશન’ અને ‘ઇન્વૉલ્વમેન્ટ’. ઇયત્તા એમની ફિલ્મોની ગુણવત્તા કરતાં ઘણી જ ઊંચી થતી ચાલી. ફિલ્મફેરથી માંડીને ફાળકે સુધીના બધા જ ઍવૉડ્ર્ઝ એમની ઊંચાઈ આગળ વામણા પુરવાર થયા. ક્વૉલિટેટિવ હાઇટની લૅન્થની રેન્જ પણ એમના અનુગામી અભિનેતાઓની ત્રણ પેઢી સુધી વિસ્તરતી ચાલી.
એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીએ દિલીપકુમારને મળીને એક ઍડ્વર્ટાઇઝમાં કામ કરવાની ઑફર કરી. આ માટે મોંમાગ્યા રૂપિયા આપવાની તૈયારી બતાવી. એમણે નમ્રભાવે તે એજન્સીના માલિકને કહ્યું કે પોતે જાહેરખબર માટે નહીં, પરંતુ ફિલ્મો માટે સર્જાયા છે. તત્કાલીન વડા પ્રધાન નેહરુજી સાથે એમને ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં ય એલ.આઈ.સી.ની એક જાહરેખબર માટેના એમના પ્રસ્તાવનો પણ દિલગીરી સાથે અસ્વીકાર કર્યો હતો.
આનો અર્થ એ નથી કે ફિલ્મ-અભિનેતા તરીકે દિલીપકુમારને રસ માત્ર અભિનય પૂરતો જ સીમિત હતો. આ ઉપરાંત તે સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા વિષયોમાં પણ સારો રસ ધરાવતા હતા. અભિનેતા તરીકેની પોતાની અનેક વર્ષો સુધીની લાંબી કારકિર્દી દરમિયાન નવરાશના સમયે ઘરે યુજિન ઓ’નિલ, ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી, ટેનિસી વિલિયમ્સ જેવા સમર્થ વિદેશી સાહિત્યકારોની ક્લાસિક કૃતિઓ વાંચતાં ઉર્દૂ ઉપર સારું પ્રભુત્વ હોવાથી કેટલાક ખ્યાતનામ ઉર્દૂ કવિઓની ગઝલોના શેરો એમને કંઠસ્થ હતા. તે બ્રિજ, ચેસ જેવી રમતો સરસ રીતે રમી જાણતા. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ પહેલાં તે ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. ઊંચા ગજાના બૉલર તરીકે એમણે એક જમાનાના ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન મનસૂરઅલીખાન પટૌડીની પ્રશંસા જીતી લીધી હતી. નૌશાદ, રફી વગેરે સાથે યથાવકાશ બેડમિન્ટન પણ રમી લેતા. ‘મુસાફિર’માં લતા મંગેશકર સાથે, ‘સગીના’માં કિશોરકુમાર સાથે અને ‘કર્મા’માં કવિતા ક્રિશ્નમૂર્તિ સાથે પણ એમણે ગીત ગાયું હતું.
બહુમુખી પ્રતિભાના માલિક દિલીપકુમારમાં પડેલી આ બધી શક્તિઓના કારણે એમની ભૂમિકાવાળી તમામ ફિલ્મોમાં તે માત્ર પોતાની ભૂમિકા પૂરતું જ ધ્યાન ન આપતા પરંતુ ક્લેપરબૉય, લાઇટમેનથી માંડીને પ્રોડ્યુસર, ડાયરેક્ટર સુધી, ફિલ્મની પટકથા, સંગીત, સિનેમેટોગ્રાફી દરેકે દરેક પર પણ ધ્યાન આપીને યોગ્ય સલાહસૂચનો કરતા. દરેક પ્રત્યે સ્નેહાદરભર્યો વર્તાવ દાખવીને સારા ફિલ્મનિર્માણ માટે એકબીજા પ્રત્યે સુમેળભર્યો સહકાર કેળવીને કામ કરવાની કોશિશ કરતા. બધા જ એમનાં સલાહસૂચનો સ્વીકારીને કામ કરતા. પરિણામે એમની ભૂમિકાવાળી મોટા ભાગની ફિલ્મો અન્ય ફિલ્મો કરતાં તદ્દન નોખી ભાત ઉપસાવતી. આમ, એમની ફિલ્મ-મૅનેજમેન્ટ માસ્ટરી પણ અસાધારણ હતી.
કારકિર્દીના પ્રારંભિકથી માંડીને અંતિમ વર્ષોના સમયગાળા દરમિયાન દિલીપના અંગત અને વ્યક્તિગત જીવનમાં અનેક દુઃખદ પ્રસંગોના આઘાતો વેઠવાના આવ્યા. અસ્થમાની બીમારીથી પીડાતાં માતા આયેશા બેગમ ૧૯૪૮માં, તો પિતા લાલા મોહંમદ સરવરખાન ૧૯પ૦માં અવસાન પામ્યા. ત્રણ ભાઈઓ નૂરમોહંમદખાન, અય્યુબખાન અને નાસીરખાન પણ અનુક્રમે ૧૯પ૪, ૧૯૯૧ અને ૧૯૭૬માં અવસાન પામ્યા. જન્મ અને સંસ્કારદાત્રી માતા આયેશાનું શિરચ્છ ગુમાવ્યું, પરંતુ ફિલ્મકલાની માતા દેવિકારાણીનું શિરચ્છત્ર એમના માટે આશ્વાસનરૂપ બની રહ્યું. આજીવન અપરિણીતા મોટી બહેન સકીનાએ આખાયે ઘરનો કારભાર ઉપાડી લીધો. બીજી તરફ વ્યક્તિગત જીવનમાં જુદા-જુદા સમયે સાથી ફિલ્મ-અભિનેત્રીઓ કામિની કૌશલ, મધુબાલા અને વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા, પરંતુ અનિવાર્ય સામાજિક સંજોગોના કારણે ત્રણમાંથી એકેયની સાથે એમનું લગ્ન શક્ય ન બન્યું. બાલ્યકાળથી દિલીપના ચાહક હોવાના કારણે એમની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતાં સાયરાબાનો ફિલ્મ-અભિનેત્રી બન્યાં પછી ૧૯૬૬માં રર વર્ષની ઉંમરે દિલીપકુમાર સાથે પરણ્યાં. તેથી વહીદા સાથે દિલીપકુમારનું લગ્ન અશક્ય બન્યું. લગ્ન પછી લાંબા સમય સુધી સંતાન થઈ શક્યું નહીં. જોકે તે માટે બંનેએ પ્રયાસ કર્યો હતો, પરંતુ એમનું મિસકૅરેજ થવાથી ડૉક્ટરે દિલગીરી સાથે કહ્યું કે સાયરાજી હવે કદી ય માતા નહીં થઈ શકે. આ સાંભળી બંને ભાંગી પડ્યાં હતાં. પરંતુ દિલીપકુમારના મોટા કુટુંબનાં અનેક બાળકો સાથે જાણે પોતાનાં જ સંતાન હોય. એવું તાદાત્મ્ય અનુભવવા માંડ્યા. નવરાશનો સમય એમની સાથે પસાર થવાથી બંને એમનાં નિઃસંતાનપણાનું દુઃખ ભૂલી ગયાં.
આમ, કુટુંબીજનોનો વિયોગ, પ્રણય-વૈફલ્ય, લગ્ન પછી અણધારી આવી પડેલી નિઃસંતાનપણાની સ્થિતિ વગેરે તમામ દુઃખોના આઘાતોનાં સંવેદનો એમની અનેક ક્લાસિક વાસ્તવપ્રધાન ફિલ્મોમાંની વિવિધ ગંભીર ભૂમિકાઓને ઘડવા માટે દૃષ્ટિ પૂરી પાડે છે, તો એથી વિપરીત, સફળ થયેલી આવી ફિલ્મોમાંની એમની આ પ્રકારની વિવિધ ભૂમિકાઓના અનુભવો એમના વાસ્તવિક જીવનમાં મોટા સંસ્કારી કુટુંબ પ્રત્યેની સામાજિક જવાબદારી અંગે પણ દૃષ્ટિ પૂરી પાડે છે. ટૂંકમાં, દિલીપનું વાસ્તવિક જીવન અને ફિલ્મી જીવન બંને પરસ્પરને પૂરક અને પોષક નીવડ્યાં છે. પરંતુ આમ કરતી વખતે દિલીપે વાસ્તવિક જીવન ફિલ્મોમાં પોતાની ભૂમિકા ઉપર બિલકુલ સવાર ન થાય તેમ જ અભિનેતાપણાનો પ્રભાવ વાસ્તવિક જીવન પર તસુભાર પણ ન પથરાય, તે અંગે ખૂબ જ સભાનતા રાખી છે. રોમૅન્ટિક, કૉમેડી ફિલ્મોમાંની એમણે અદા કરેલી લાક્ષણિક ભૂમિકાઓને તથા એમના હળવાશભર્યા રંગદર્શી વાસ્તવિક જીવનને પણ આ હકીકત એટલી જ લાગુ પડે છે.
પઠાણોમાં પરંપરાગત લેખાતી જડતાને એમણે પોતાની પ્રકૃતિમાં લેશમાત્ર પ્રવેશવા દીધી નથી. એના બદલે માનવીય મૂલ્યોથી મહેકતી ઉદારતા એમણે જીવનમાં ડગલે ને પગલે આચરી છે. અંધજનોના કલ્યાણ માટે એમણે અનેક વર્ષો સુધી જાહેરમંચ પર આવીને ફાળો એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. પંજાબ તરફથી રણજી ટ્રૉફી મૅચમાં પસંદ થયેલા અને આ લખાય છે, એના થોડાક જ દિવસો પહેલાં અવસાન પામેલા યશપાલ શર્માની બૅટિંગથી પ્રભાવિત થઈને દિલીપકુમાર યશપાલને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવા તે વખતના ક્રિકેટ કંટ્રોલબોર્ડ(BCCI)ના પ્રમુખ રાજસિંહ ડુંગરપુરને વાત કરી હતી. એમની વિનંતીને ભાત ચાળીને યશપાલ શર્માની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી.
આ બધી હકીકતો ઊંચા ગજાના પ્રતિભાવાન સુવિખ્યાત અભિનેતા તરીકેના જરા ય અહમ્ ભાવ વિનાની એમની અંતઃકરણપૂર્વકની સામાજિક નિસબત સ્પષ્ટ કરે છે. આને લગતા એક પ્રસંગની આ લખનારની આંખો ખરેખર સાક્ષી છે.
’૭૮-૭૯માં મોરબીનો મચ્છુ ડેમ તૂટવાથી સર્જાયેલી જાનમાલની ભારે તબાહીના કારણે અસરગ્રસ્તોને સહાયરૂપ થવા ફંડ એકત્ર કરવા માટે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમથી ફિલ્મસ્ટારોની એક વિશાળ રેલી નીકળી હતી, જેમાં જુદી-જુદી ટ્રકોમાં તે જમાનાના સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મસ્ટારો સાથે અમુક હિન્દી ફિલ્મસ્ટારો પણ ગોઠવાયા હતા. ફંડ એકત્ર કરતી-કરતી આ રેલી રિલીફ રોડ પરથી પણ બપોરે પસાર થવાની હતી. આ રેલીના મુખ્ય અગ્રણી ફિલ્મસ્ટાર તરીકે દિલીપકુમાર ઉપસ્થિત રહ્યા હતા. હું તે વખતે નવમા ધોરણમાં ભણતો છોકરો. ત્રણ ટ્રકો પસાર થયા પછી ચોથી ટ્રક કેલિકો ડોમ પાસે આવી. જ્યાં ઊભો હતો, તે ટ્રકમાં વચ્ચે બધા જઈને પાસે આવીને, ફાળો આપી શકે તે માટે દિલીપકુમાર સાથે જ્હોની વૉકર ઊભા હતા. કૉફી કલરનો ખાદીનો ઝભ્ભો, પ૬ વર્ષની તે વખતની ઉંમરે, પણ માથે કાળા વાળ, લાલાશ પડતો સફેદ ચહેરો. પાસે ટ્રકમાં મોટો નળો ગોઠવાયો હતો. લોકોનું મોટું ટોળું ભારે ધક્કામુક્કી કરીને ટ્રક પાસે પહોંચીને એમાં ફાળો મૂકતું હતું. જે લોકો ટ્રક પાસે ન પહોંચી શકે, તે નળામાં સિક્કા પડે તે રીતે ફેંકતા હતા. એક-બે સિક્કા દિલીપકુમારના કપાળે અથડાઈને નળામાં પડ્યા. પણ દિલીપકુમાર તો તદ્દન નિર્લેપભાવે નળામાંથી જુદી-જુદી નોટો-સિક્કાઓ ભેગા કરી અલગ તારવીને પાસે રહેલા સ્વયંસેવકને આપવામાં જ તલ્લીન. આ ભારે પ્રભાવક દૃશ્ય હતું. આ પ્રસંગ વીત્યાનાં ૪ર વર્ષ પછી આ પળે પણ મારા સ્મૃતિપટ પર તાજગીપૂર્ણ તરવરે છે. તે ક્ષણના એમના દેખાવ કરતાં પણ વધારે તો મને સ્પર્શી ગઈ ગીતાએ પ્રબોધેલા સ્થિતપ્રજ્ઞ કર્મનિષ્ઠ માનવીના મહિમાને જાણે અનુસરતી હોય એવી એમની તેજોમય સ્પિરિચ્યુઅલ કૉન્શિયસનેસ.
હું પ૬નો થયો. લગભગ ૧૦-૧ર વર્ષ પહેલાં દિલીપકુમાર એમનાં પ૬ વર્ષ પહેલાંના ફિલ્મી અને વાસ્તવિક જીવનના ભાતીગળ ભૂતકાળને સ્મૃતિપટ પર તાજો ન કરી શકે એવી મનોદશામાં મુકાયા. શારીરિક સ્થિતિ કથળવા માંડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલિલ પારકર અને બીજા ડૉક્ટરોએ સારવાર પછી એમને પ્રોસ્ટેટનું કૅન્સર-કિડની-ફેલ્યોર શ્વાસની તકલીફ જેવી બીમારીઓ હોવાનું જણાવ્યું હતું. આવી હાલતમાં પણ દિલીપકુમારે મોત સામે અડગ આત્મબળથી લડવાની જીવનની આ અંતિમ ભૂમિકાને બખૂબી નિભાવી. જગતદિગ્દર્શકે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્સ ઑન કરીને આ ભૂમિકા નિભાવવા દીધી. તેથી તો તે ત્રણચાર વાર આ જ હૉસ્પિટલમાં સારવાર પામી સાજા થઈને ઘરે પાછા ફર્યા. પરંતુ છેલ્લી વાર જ્યારે આ હૉસ્પિટલમાં દાખલ થયા, ત્યારે જગતદિગ્દર્શકે ૭મી જુલાઈએ સવારે ૦૭-૩૦ વાગે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્સ ઑફ કરી આ અંતિમ ભૂમિકા અટકાવી. ડૉક્ટરોના બધા જ સંનિષ્ઠ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. શતાયુ થવા અંગેની એમના માટેની આશાનો દેશ-દુનિયાભરમાં વ્યાપેલો આશિકી અજવાશ ઓલવાઈ ગયો. ફિલ્મકાર તરીકેના એમના સાડા પાંચ દાયકા જેટલા લાંબા સતત વિકાસશીલ અને ભવ્ય કર્તૃત્વની ચિરંજીવ અસરોને સ્મૃતિલોપની તકલીફ કદાપિ નહીં થાય.
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 12-14