યુરોપનાં નવજાગરણને પરિણામે માનવી પ્રશ્ન કરતાં શીખ્યો, ચકાસણી કરતો થયો અને વિચારતો થયો અને એને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. આયુર્વિજ્ઞાનનો વિકાસ થયો. ટૂંકમાં માનવીની સુખાકારીમાં એટલો બધો વધારો થયો જેટલો ઇતિહાસમાં ક્યારે ય નહોતો થયો. પણ એક સમસ્યા હતી. સુખાકારી મળી તો તેની સાથે સમૂહ અને સમૂહના ઠેકેદારોથી સ્વતંત્રતા પણ મળી અને સ્વતંત્રતાનો ડર લાગતો હતો. પોતાનો નિર્ણય પોતે લેવાનો અને નિર્ણયનાં ફળ પણ પોતે ભોગવવાનાં. સ્વતંત્ર વ્યક્તિ તરીકેની જવાબદારી અકળાવતી હતી. ત્રીજી બાજુ જેણે અધિકાર ગુમાવ્યો એ દુઃખી હતા.
એવો શું પ્રપંચ કરવામાં આવે કે સ્વતંત્ર થયેલ વ્યક્તિ પાછી ઘેટામાં ફેરવાઈ જાય અને સામે ચાલીને વાડામાં પૂરાઈ જાય. નવજાગરણનો આરંભ થયો ત્યારથી નવજાગરણના પુરસ્કર્તાઓ અને સમાજના ઠેકેદારો વચ્ચે અથડામણ ચાલતી આવી છે. પણ ઠેકેદારો ફાવતા નહોતા, કારણ કે સુખાકારીનો લાભ ઘણો મોટો હતો, નવજાગરણનું આંદોલન યુરોપની બહાર ફેલાવા લાગ્યું હતું અને માનવીય પુરુષાર્થ અને સ્વતંત્રતાના આગ્રહીઓ વધારે મૌલિક, બુદ્ધિશાળી અને પ્રતિબદ્ધ હતા. ભારતમાં પણ આજે આ જોવા મળી રહ્યું છે. તેમની સામે ઠેકેદારો પરાસ્ત થતા હતા, પરંતુ તેઓ નિરસ્ત નહોતા થયા. તેઓ સતત પોતાની પીપૂડી વગાડતા હતા, પરંતુ પીપૂડીનો અવાજ જેટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચવો જોઈએ એટલા પ્રમાણમાં પહોંચતો નહોતો. એક વાત નોંધી લો, જેણે સત્તા અને સર્વોપરિતા ભોગવી હોય અને એ પણ જો જન્મ આધારિત આપોઆપ વારસામાં મળતી પારંપારિક હોય તો એને જ્યારે ગુમાવવાનો વારો આવે ત્યારે તેનો ચરચરાટ ગુમાવનારાઓ માટે અસહ્ય હોય છે. અસૂયા માણસ પાસે પ્રપંચ કરાવતી જ રહે છે. ટૂંકમાં હારેલાઓ હાર્યા પછી પણ અનેક પ્રકારનાં પ્રપંચો કરતા હતા.
જ્યાં સુધી સુખાકારીનો અને વિકાસનો ગ્રાફ ઉપર જતો હતો ત્યાં સુધી સ્વતંત્રતાથી ભયભીત હોવા છતાં પણ લોકો સર્વોપરિતા ગુમાવનારા લોકોની વાતમાં નહોતા આવતા. ભારતની વાત કરીએ તો ભારતમાં હિન્દુત્વવાદીઓને એકલે હાથે સત્તા સુધી પહોંચતા ૯૦ વરસ લાગ્યાં. લાભ સામે માણસ શરણે થઈ જાય છે, પણ પેલી સ્વતંત્રતાનો ડર તો હતો જ. તરફડાટ તો હતો જ કોઈકના ખોળામાં બેસી જઈએ અને જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ, પણ લાભ સામેના પક્ષે હતો.
હવે ઇતિહાસને ટૂંકાવીને સીધા વર્તમાનમાં આવીએ. અચાનક ૨૧મી સદીમાં વિકાસનો ગ્રાફ જગત આખામાં થંભી ગયો. જે ઉપલબ્ધ હતું એ સુખ ઉપલબ્ધ તો આજે પણ છે, પણ મોંઘુ થતું જાય છે, કારણ કે સુખમાં હવે વધારો નથી થઈ રહ્યો. દેખીતી વાત છે કે જે ચીજનું ઉત્પાદન ઘટે અને માગ એટલીને એટલી જ રહે તો બજારમાં અછત પેદા થાય અને ચીજ મોંઘી થતી જાય. પાછી સુવિધાપરસ્ત સુંવાળી જિંદગીની આદત પડી ગઈ છે.
અહીં એક નાનકડી સફર સંસ્થાનવાદી યુગમાં કરી આવીએ. વર્તમાનને સમજવા માટે. ૧૯૫૦ પહેલાં યુરોપના દેશોની મુઠ્ઠીમાં કહોને કે આખું જગત હતું. આખું જગત તેના કબજામાં હતું એનો અર્થ એ થયો કે આખા જગતના કુદરતી સંસાધનો તેનાં કબજામાં હતાં. શ્રમ કરાવવા માટે સંસ્થાનોની પ્રજા તેના કબજામાં હતી અને ઉપભોક્તા પણ તેના કબજામાં હતા. તેમની તો પાંચે ય આંગળીઓ ઘીમાં હતી. સંસ્થાનોનું શોષણ કરીને એટલું ધન એકઠું કર્યું કે ખર્ચવું ક્યાં એ પ્રશ્ન હતો. તેઓ સંસ્થાનોનાં શોષણ દ્વારા કમાયેલા ધનથી પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવતા ગયા, તે એટલે સુધી કે બિનજરૂરી સુંવાળપને પણ પ્રજાકીય સુખાકારી તરીકે ખપાવવા લાગ્યા. ૧૯૫૦ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો, ભારત જેવા દેશો આઝાદ થવા લાગ્યા અને દુર્ભાગ્યે ભારત સહિત એ બધા દેશોએ સુખાકારીનાં પાશ્ચાત્ય માપદંડો અનુસરવા માંડ્યા. પશ્ચિમમાં છે એ બધું જ આપણે ત્યાં હોવું જોઈએ. હવે બન્યું એવું કે સ્વતંત્ર થયેલા દેશોમાં વસ્તી વધી રહી હતી, સુખની દીવાદાંડી તો પશ્ચિમમાં હતી, એ જ બધું જોઈતું હતું જે એ લોકો ભોગવતા હતા, અડધા કરતાં વધુ કુદરતી સંસાધનો તો સંસ્થાનવાદી યુગમાં યુરોપના માલિક દેશો લૂંટી ગયા હતા અને તેની કમાણીમાંથી તેમણે પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવ્યું હતું અને એ જ જીવનધોરણ પોતાને ત્યાં લઈ આવવા બાકીનાં કુદરતી સંસાધનો જે તે દેશોએ ખર્ચી નાખ્યા. પણ ક્યાં સુધી?
કુદરત પાસે હતું ત્યાં સુધી કુદરતે ઉદારતાથી આપ્યું. એ પછી પણ સુખ ઓછું પડતું હતું તો કુદરતે પોતાનું શોષણ પણ થવા દીધું. શોષણ જ્યારે હદ વટાવી રહ્યું છે ત્યારે હવે કુદરત રૂઠી છે. વરસોવરસ આનો અનુભવ થઈ રહ્યો છે. આ બાજુ બિનજરૂરી ચીજો જરૂરી બનતી જાય છે અને તેનું માર્કેટ વિસ્તરતું જાય છે. પણ તેને માટે સંસાધનો લાવવાં ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને! એકદમ અચાનક વિકાસનો રથ થંભી ગયો. હવે શું કરવું? ચાલાક લોકોએ એનો એક ઉપાય શોધી કાઢ્યો. સરકાર પોતાની ફરજ સમજીને પ્રજાને મફતમાં કે મફતના ભાવમાં જે સેવાઓ આપતી હતી એ સેવાઓને વેપારમાં ફેરવી નાખી. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, તાર-ટપાલ વગેરે. આવા કહેવાતા ખાનગીકરણ દ્વારા વિકાસનાં થંભી ગયેલા રથને ચાલી શકે ત્યાં સુધી ચલાવ્યો. જેમ એક સમયનો સુખી માણસ ભીડમાં આવી જાય અને દાગીના વેચે એમ.
હવે સ્થિતિ એવી બની છે કે કુદરતી અને સરકારી બન્ને પ્રકારનાં સંસાધનો ખર્ચાઈ ગયાં છે. શાસકો પાસે પ્રજાને આપવા માટે કાંઈ જ નથી અને જીવનધોરણ નીચે લાવવું નથી અને લાવવું મુશ્કેલ થઈ ગયું છે. આગળ કહ્યું એમ બિનજરૂરિયાત જરૂરિયાત બની ગઈ છે. જગતનાં લગભગ બધા જ દેશો કર્જના ગંજાવર બોજ હેઠળ છે અને હજુ વધુ કર્જ લે છે. ભલે દેવાનાં ડુંગરા હેઠળ દબાઈ જવું પડે પણ ઘી પીધા વિના ચાલતું નથી. વિકાસના માપદંડમાં કોઈને નાપાસ થવું નથી. શાનનો સવાલ છે.
આ સ્થિતિમાં કોણ કહે કે ચાલો આપણે પાછા ફરીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ. જે આમ કહેશે અને કરી બતાવશે એ ૨૧મી સદીનો મહાપુરુષ સાબિત થશે અને એ સિવાય બીજો વિકલ્પ પણ નથી. એવો મહાપુરુષ તો જ્યારે થશે ત્યારે થશે પણ ત્યાં સુધી? થશે ચોક્કસ કારણ કે વૈશ્વિક સ્તરે પ્રજાની જરૂરિયાત છે અને જેની જરૂરિયાત હોય એ થઈને રહે છે. પણ હમણાં કહ્યું એમ ત્યાં સુધી? ત્યાં સુધી એ જ થશે જે અત્યારે થઈ રહ્યું છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 08 ઑક્ટોબર 2023