‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ કરવાની કોશિષ કરી છે.
v પદ-પ્રતિષ્ઠાની વચ્ચે પણ મહેતા સાહેબ સાવ અદના જનોને મદદ કરતા. અણીને પડખે તેઓ જેમની મદદે ઊભા રહ્યા હોય, જેમને સામે ચાલીને મદદ કરી હોય તેવા લોકોમાં અધ્યાપકો કે વંચિત વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા કેટલાક પણ છે : એક વિધવા મજૂરણનો દીકરો, સારવારના અભાવે તરફડી રહેલું બાળક, તેમને ટેકે શરબતની લારી ઊભી કરી શકતા એક મુસ્લિમ વૃદ્ધ, તેમની પાસે દર મહિને હાથખરચી મેળવતો એક ઘરડા ગરીબ પિતા, કૉલેજમાં દાણા વેચતો એક ડોસો અને એની પત્ની, સ્વજનને અચાનક ગુમાવનારા કૉલેજના કર્મચારીઓના બેબાકળા બનેલા પરિવાર.
v કૉલેજ અને સંસ્થા મહેતાસાહેબનો આત્મા હતા. એક વખત રાત્રે બે વાગ્યે ફોન આવ્યો કે કૉલેજના પ્રાંગણમાં ખૂન થયું છે. આચાર્યશ્રી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કૅમ્પસ પર પહોંચી ગયા.
v નવનિર્માણ આંદોલનની ચરમસીમાએ પ્રિન્સિપાલ કુંજવિહારીભાઈએ વિદ્યાર્થીઓને પકડવા આવેલી પોલીસને અનેક દબાણો હોવા છતાં કૉલેજમાં પ્રવેશવા ન જ દીધી. સંચાલકોએ પણ તેમની પર પોલીસને આવવા દેવા દબાણ કર્યું હતું, પણ તેની સામે તેઓ રાજીનામું આપવા તૈયાર થયા. ત્યાર બાદ સરકારના વિરોધમાં વિદ્યાર્થીઓએ કાઢેલા સરઘસને શહેરમાં લાદવામાં આવેલી 144ની કલમનો ભંગ કરીને નેતૃત્વ પૂરું પાડ્યું.
v એમ.ટી.બી.માં ત્રીસ વર્ષ અંગ્રેજીનું અધ્યાપન કરનાર વી.એસ. નવલકર મહેતા સાહેબના કૉલેજના આચાર્ય તરીકેના વિદાય સમારંભના પ્રસંગનો માહોલ વર્ણવે છે. તેમને એ પ્રસંગ શકુંતલા વિદાય જેવો કરુણ લાગે છે. લેખિકા પશ્ચિમના સાહિત્યના સંદર્ભખચિત અંગ્રેજી લેખમાં મહેતા સાહેબ પર પ્રશંસાનો વર્ષાવ કરે છે. ‘human god’, ‘symbol of love, kindness and generosity’, ‘impetuous and obstinate child’, ‘admiral who steered his ship safely successfully’, ‘a crusader with a mission’, ‘a karmayogi’.
v માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મહેતા સાહેબને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પણ ઝીણાભાઈ દરજીને ‘સરકારની નીતિની નિંદા કરે એવી વ્યક્તિ’ ખપે તેમ ન હતી, અને સાહેબ તો ‘ગુજરાત મિત્ર’ની તેમની લોકપ્રિય કૉલમમાં સત્તાવાળાની ટીકા કરવા માટે જાણીતા હતા. આ મતલબની વાત ચન્દ્રકાન્ત પંડ્યા અને રવીન્દ્ર પારેખના લેખોમાં મળે છે.
v મહેતા સાહેબ સુરતમાં ચાલતી રૅશનાલિસ્ટ પ્રવૃત્તિનું સમર્થન તેમના લેખોમાં કરતા. તેમણે સુરતમાં સત્યશોધક સભા ચાલુ કરાવી હતી. વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા મહેતાસાહેબે સુરતમાં યોજાવામાં આવનારા એક મોટા ખર્ચાળ યજ્ઞની સામે તેમની કૉલમમાં વિરોધ નોંધાવેલો.
v રમણ પાઠક અને સરોજબહેનને મહેતા સાહેબે પોતાની સાથે કોઈ નિકટતા ન હોવા છતાં ઘણી મદદ કરી હતી. રમણભાઈ લખે છે : ‘ગેરકાયદેસર જણાતાં કામ કાયદેસર રીતે, કેવી રીતે પાર પાડવા એ મહેતા સાહેબને બરાબર આવડે. ખરેખર તેઓ એવા અતિકુશળ વહીવટકર્તા તો હતા જ.’
v મહેતા સાહેબે ‘ગુજરાત મિત્ર’માં દર મંગળવારે ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ નામની કટાર બે-એક દાયકા સુધી લખી. તેની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરીને ‘મિત્ર’ના તંત્રી ભગવતીકુમાર શર્મા આ મતલબનું લખે છે : ‘આ કટાર પર મહેતા સાહેબની વિચાર સમૃદ્ધિ ઉપરાંત તેમના વ્યક્તિત્વની દૃઢ મુદ્રા અંકિત થયેલી હતી. શું હતું તેમના વ્યક્તિત્વમાં ? – સ્પષ્ટભાષિતા, તડફડ વૃત્તિ, સ્ટ્રેઈટફૉર્વર્ડનેસ, પારદર્શિતા. તેઓ સાફસુથરું સંઘેડાઉતાર ગદ્ય લખતા જે તેમના વિચારોનું અસરકારક વાહન બને. જેનો શબ્દશ: ધાક હોય એવી મારા જોવા-વાંચવામાં આવેલી એકમાત્ર કટાર હતી, અને એ એમની.
v શરીફાબહેન વીજળીવાળાએ એમ.ટી.બી.કોલેજમાં મહેતા સાહેબના સંસ્થા-મંત્રી તરીકેની કાર્યક્ષમતા અને નિસબતના અનુભવો વર્ણવ્યાં છે. કૉલેજમાં મહિલા અધ્યાપકોએ પહેરવાનાં વસ્ત્રો અંગે સાહેબે પ્રગતિશીલ અભિગમ કેવી વ્યૂહરચનાથી જાહેર કર્યો તેનો કિસ્સો પણ તેમણે નોંધ્યો છે. લેખના અંત ભાગ તરફ જતાં શરીફાબહેન લખે છે : ‘એક કુશળ વહીવટકર્તા કેવો હોય એવું કોઈને જાણવું હોય તો એમણે મહેતા સાહેબની કામ કરવાની રીત, એમનું સૌમ્ય અભિજાત વર્તન વગેરે વિશે ઝીણવટથી અભ્યાસ કરવો પડે. કારણ કે હવે આવા માણસો દીવો લઈને શોધીએ તો ય જડતાં નથી. આજે છે કોઈ એવા શિક્ષણવિદ જેનું બધા સાંભળે? જે સરકારને રોકી-ટોકી શકે ? … સાહેબ, તમારા જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસોનો દુષ્કાળ કેમ પડ્યો? એક વાત કહું મહેતા સાહેબ … ગયાં પચીસ વર્ષમાં અનેક વાર મને લાગ્યું છે કે તમે હોત તો સુરત શહેરે મને મોઢા પર ઘર આપવાની ના ન જ પાડી હોત … એટલે તો આદર હતો આ શહેરને તમારા પ્રત્યે … પણ …’
v હિંમાશીબહેન શેલત મહેતા સાહેબના આચાર્યકાળનો વિદ્યાસંસ્કાર વૈભવ અનુભવી ચૂક્યા છે. તેઓ ‘એક પ્રાણવાન, ઊર્જાસભર વ્યક્તિત્વ’ શીર્ષકવાળા સુંદર લેખમાં લખે છે : ‘આટલી સજ્જ અને સક્ષમ વ્યક્તિ અજાતશત્રુ હોય તો આશ્ચર્ય. દ્વેષભાવથી એમની પીઠ પાછળ ઘસાતું બોલનારા અને ખતરનાક રમતો રમનારા નહોતાં એમ નહીં, પણ સ્વચ્છ અને નિર્ભિક ચિત્ત ધરાવનારા મહેતા સાહેબ સામે પ્રવાહે તરનાર હતા, અને એમ કરવામાં કેવી અને કેટલી તાકાત જરૂરી છે એની એમને પૂરી જાણ હતી. એમની સમાજિક પ્રતિબદ્ધતા અને એમના સંસ્થા સમર્પણ ભાવને એમના આલોચકોએ પણ કબૂલવો પડે એવું વાતાવરણ એ સર્જી શકેલા. સ્પષ્ટવક્તા પણ અઢળક સ્નેહાદરને પાત્ર હોઈ શકે એનું જ્વલંત ઉદાહરણ તે મહેતા સાહેબ. કૉલેજ પ્રાંગણમાં જેમનો પગ પડે કે આમન્યા જાળવવાનું આપોઆપ બને એવો કડપ ધરાવતા આ ગુરુને ચાહનારાં ત્યારે અનેક અને આજે ય અનેક.’
v સિતાંશુ યશશ્ચન્દ્ર ‘કુંજવિહારીભાઈની પ્રભાવશાળી,ઊંચી અને શિલ્પસદૃશ છબિ’ને યાદ કરે છે. તેઓ લખે છે : ‘આજે ય એવા મહેતાસાહેબને મળવાનું દિલ થાય. આ અરસપરસના હાસ્યાસ્પદ હડસેલાઓના આ સમયમાં અટપટાવહેણની આરપાર તરી જવું હોય, તો એમની એમ.ટી.બી.ના પરિસરમાં જઈ, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, મસ્તક ઉન્નત રાખી થોડી વાર ઊભા રહેવું. ત્યાં જ ક્યાંકથી આવી, એવો જ એક જણ તમને મળવા જરૂર આવશે – એ જ કુંજવિહારી, એ જ મહેતા સાહેબ, એ જ એમ.ટી.બી.નો નિત્ય આચાર્ય !’
————————————
●પુસ્તક સૌજન્ય : ડૉ. સ્વાતિ મહેતા
● પ્રકાશક : આચાર્ય કે.સી. મહેતા શતાબ્દી પર્વ સમિતિ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એમ.ટી.બી. આર્ટસ કૉલેજ, અઠવા લાઇન્સ, સુરત 395 001
[900 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર