સમગ્ર દેશમાં તાળાબંધી થઈ, પણ એક તાળું તો ખુલ્લું જ રહી ગયું. નવી દિલ્હીના ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના બંધ દરવાજામાં પુરાયેલો હું, સૂમસામ રસ્તા પર પોતાના અસ્તિત્વનો ભાર લઈને સતત અટક્યા વગર રઝળપાટ કરતાં માણસોનાં ટોળાને જોઈ રહ્યો છું. કોરોનાથી ભયભીત શહેરે તેમના દરવાજા એ માણસો માટે બંધ કરી દીધા હતા. તે બધા જ ચાલી રહ્યા હતા. ભાગદોડ નહોતી મચાવી. બસ, ચાલી રહ્યા હતા – સતત અને વણથંભ્યા. હું જ્યારે તેમને જોતો કે મન દોડીને તરત 'પાનસિંહ તોમર' પાસે પહોંચી જતું. આ ફિલ્મ જોઈ છે તમે? મેં જ્યારથી જોઈ ત્યારથી આજ સુધી એવી દોટ ફરીથી જોઈ શક્યો નથી. ઇરફાને તે ફિલ્મમાં કમાલ કરી હતી, પરંતુ જે રીતે તે દોડી ગયા તે ભારતીય સિનેમામાં એક સીમાચિહ્ન છે. આ અસંખ્ય શ્રમિકો ખબર નથી કે દેશના કયા ખૂણામાંથી નીકળી આપણી રાજધાની દિલ્હીમાં પહોંચ્યા. કોઈ પણ જાતના અવાજ, સ્વાગત કે માહિતી વગર તેમણે દિલ્હીનું પાપ પોતાના માથે ચઢાવી લીધું. હું સારી રીતે જાણું છું કે તેમાંના કોઈ અસલી દિલ્હીને ઓળખતા નથી. તેમના માટે દિલ્હી એટલે એવી જગ્યા જ્યાં ગુજરાન ચલાવી શકાય. તેમના માટે દિલ્હી એટલે ‘રોટી’.
'પાનસિંહ તોમર'ની સાથે પણ એવું જ કંઈક થયું, પંરતુ તેની રોટીમાં આત્મસન્માનની મીઠાશ હતી. એ માટે તેની દોડ અસ્તિત્વની દોડ હતી. આ શ્રમિકો દોડી રહ્યા ન હતા. તેઓ ચુપ હતા. પોતાનું અસ્તિત્વ નહીં બચે તેવા ડરથી ચાલી રહ્યા હતા, પરંતુ 'પાનસિંહ તોમર'માં જોવા મળેલો હાહાકાર હું જોઈ અને સાંભળી શકતો હતો. એ જ પ્રકારનો હાહાકાર રાજધાનીના રસ્તાઓ પર આકાર લેતો હતો. તેની ગુંજ સંભળાતી હતી. અભિનય (અભિનય જ કેમ, કોઈ પણ કળા જે સત્ય સુધી પહોંચવા મથતી હોય તે) કેટલી લાંબી સફર ખેડે છે, તેનો આપણને અંદાજ છે? ઇરફાનને હતો. મારા આવા કેટલા ય પ્રશ્નોના જવાબ ઇરફાન એ રીતે આપતા જાણે કે વાત હોઠ પર હોય અને કહી શકતા ન હોય.
ઇરફાનને 'પાનસિંહ તોમર'માં જોઈને થયું કે ‘વાહ!’ પાનસિંહ તોમર'માં એવું તે ખાસ શું હતું?' સચ્ચાઈ! ફિલ્મની વાર્તા તો સાચી હતી જ. પણ બિલકુલ હટકે હતો ઇરફાનનો અભિનય. જે ખરા અર્થમાં અભિનય હતો જ નહીં. એ પાત્રમાં જાણે કે તેમણે જીવ રેડી દીધો હતો. આવી વ્યાકુળ દોડ ફિલ્મી પડદા પર ક્યારે જોવા મળી હતી? મને 'દો બીઘા જમીન'ના બલરાજ સહાની યાદ આવે છે. રીક્ષા સાથે તે એ રીતે દોડ્યા હતા, જાણે માણસ નહીં, આખેઆખું અસ્તિત્વ દોડી રહ્યું હોય. દિલીપકુમાર પણ 'ગંગા-જમુના'માં આ જ રીતે દોડ્યા હતા, પરંતુ તેમાં અભિનય હતો. ઇરફાનની દોડમાં ગરીબી હતી, અપમાન હતું, સંઘર્ષ હતો, પડકાર હતો … અને હા, બદલો લેવાની ભાવના પણ હતી. એ પાનસિંહ તોમર આખી આ ફિલ્મ અને ફિલ્મની વાર્તા લઈને જ દોડી ગયો. ફિલ્મમાં આ સમગ્રતા ઈરફાનની વિશેષતા હતી.
ઇરફાન જે રીતે કૅન્સરથી પીડિત હતા. તેમનો ઈલાજ અઘરો હતો. આમ પણ કયા કૅન્સરની સારવાર અઘરી નથી હોતી? આ જાળમાંથી જે નીકળી શકે તેઓ પણ તેની આડઅસરને વેઠતા હોય છે. ઇરફાને દુનિયા છોડવાની જ હતી, પરંતુ જે રીતે તે અને તેમનો પરિવાર કૅન્સર સામે ઝઝૂમ્યાં તેની પીડાદાયક ભાગદોડની અનેક કહાની ઈરફાન કહી શક્યા નથી. તે માંદગીમાં સપડાયા. સારવાર માટે વિદેશ ગયા. લાંબા સમય સુધી બહાર જ રહ્યા અને જ્યારે પરત ફર્યા તો એવું લાગ્યું કે તે હવે પહેલાં જેવા નથી રહ્યા. ત્યાર પછી તરત જ તેમની ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' રિલીઝ થઈ. જાણવા મળ્યું કે ઇરફાન ફિલ્મ કરી રહ્યા છે તો સારું જ લાગ્યું, પરંતુ એવું જરા ય ન લાગ્યું કે તે સ્વસ્થ થઈ ગયા છે. ફિલ્મ જોઈને પણ ન લાગ્યું. એવું ઘણું બધું ત્યાં જોવા મળ્યું. જે કૅન્સરે ઈરફાન પાસેથી છીનવી લીધું હતું.
ઇરફાનને મારે ઓછું મળવાનું થયું. મળવાનું થયું એ પણ ત્યારે, જ્યારે તે સફળ થયા ન હતા. તેમની સફળ થવાની સફર ઘણી લાંબી ચાલી હતી. તેમનું મુંબઈ આવવું, ફિલ્મી દુનિયામાં પગ મુકવો અને સફળ થવામાં પણ તેમને ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેમણે ઘણું ગુમાવ્યું હતું, જેને ફિલ્મી ભાષામાં 'સ્ટ્રગલ' કહેવાય છે. આ દરમિયાન હું ફિલ્મી પાર્ટીઓમાં જતો હતો, ત્યાં ઇરફાન સાથે અછડતી મુલાકાત થતી. ક્યારેક તેઓ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની ઓફિસમાં આવતા ત્યારે મળવાનું થઈ જતું. ઇરફાનની આંખો ખૂબ જ ઊંડી ઊતરેલી હતી. જેટલી બહાર હતી, તેટલી જ અંદર. આંખોમાં એક જિજ્ઞાસા અને ઊંડાઈ હતી. કદાચ એટલે જ તેઓ મને યાદ રહ્યા છે. તેમના અવાજમાં એક અલગ પ્રકારનો જ રણકો હતો. જે ગુંજતો રહેતો. ફોન પર તરત ઓળખી શકાય તેવો અવાજ. સાંભળતાની સાથે હું કહેતો, “હાં, ઇરફાનજી?” “અચ્છા, યાદ હું મેં આપકો” એકાદ વાર તો મેં કહી દીધું હતું કે યાદ તો પછી, પણ તમારા અવાજથી ઓળખ્યા.
એક દિવસ ભારતીય વિદ્યાભવનમાં ફોન આવ્યો, “મેં યહીં હું … નીચે. મેં ઉપર આઉં યા આપ નીચે આ સકેંગે?” અમે ઘણા સમય પછી મળ્યા હતા. આ 'મકબૂલ' પછીની વાત છે. મેં 'મકબૂલ' અને તેમાં ઇરફાનના પાત્ર પર જે લખ્યું હતું ત્યાર પછી એ મળવા ન આવે, તે શક્ય ન હતું. મેં શુભેચ્છા પાઠવતાં કહ્યુ કે “હવે એ દિવસ દૂર નથી, જેના માટે આટલી પ્રતિક્ષા કરી.” “હાં, લગતા તો હૈ કુમારસાહબ …. લેકિન યહાં લગને ઔર હોને મેં ઈતના ફાસલા હોતા હૈ કી લગતે લગતે બાત લગ નહીં પાતી હૈ.” ભારતીય વિદ્યાભવન નીચે મળતી ચટાકેદાર સેન્ડવીચ ખાતાં ખાતાં ઇરફાને આ કહ્યું હતું. આવા 'ડાયલોગ' મારવાનું ઇરફાનને સારી રીતે આવડતું હતું.
ઇરફાન ફિલ્મ ક્ષેત્રમાં કોના વારસદાર હતા? મોતીલાલ, બલરાજ સાહની અને કંઈક અંશે સંજીવકુમારના. તે તેમનાથી ચઢિયાતા કે ઊતરતા ન હતા, પરંતુ તેમની અભિનય શૈલીને આગળ ધપાવનારા કલાકાર હતા. તે પડદા પર છવાઈ જતા ન હતા. કારણ કે છવાઇ જવું તેને અભિનય ન કહેવાય. દેખાડો કહેવાય. તે પડદા પર પોતાની એવી જગ્યા બનાવતા. જેના પર બીજાનો પડછાયો પણ ટકે નહીં. સ્ટોરી, કૅમેરા, લાઇટ, મ્યુઝિક, ડાયલોગ તથા અભિનય આ તમામ તાકાત એક થતી ત્યારે પડદા પર એક હીરોઇન અને એક હીરો જોવા મળી શકે. બોલીવુડમાં તો હીરો અથવા હીરોઇનની એન્ટ્રી પર જ ઊંડો વિચારવિમર્શ થતો. છેવટે માથા પર હથોડા વાગે તેવી એન્ટ્રીઓ આપણે વેઠવી પડી છે. ઇરફાન જેવાની 'એન્ટ્રી' અને 'એક્ઝિટ' કેવી રીતે થશે તેની ક્યારે ય પરવા ન તો એમણે કરી છે, ન ક્યારે ય આપણે એની દરકાર રાખી છે. તેઓ આવે છે અને તેમની અમીટ છાપ છોડીને જતા રહે છે. આ જ તો કળા છે. આને જ તો કલાકાર કહેવાય. એટલે જ ઇરફાન કલાકાર હતા.
'પીકૂ'માં તેમની પરીક્ષા એટલે આકરી હતી કેમ કે બોલીવુડની કમર્શિયલ ફિલ્મોના ઉસ્તાદ કહી શકાય એવા બે સિતારા સાથે તેમનો સીધો સામનો થયો હતો — અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ. ફિલ્મની સ્ટોરી પણ આ બંનેની આસપાસ ફરતી હતી. બંનેએ ફિલ્મમાં પોતાની બધી જ આવડતને કામે લગાડી દીધી હતી, જેના માટે તે જાણીતાં હતાં. ઇરફાન માટે આ ફિલ્મમાં હોવું જ પૂરતું હતું. કહેવાય છે ને કે દિલીપકુમાર કે દેવ આનંદ હોય તો અન્ય કલાકારના ભાગે કંઈ કરવાનું રહેતું નથી! એમ અહીં પણ કેમેરાનો લેન્સ આ બંને પર જ રહેવાનો હતો. 'પીકૂ' ફિલ્મ આ બંને પર જ હતી. એટલે ઇરફાન પાસે વધારે અપેક્ષા પણ શું રાખીએ? પરંતુ 'પીકૂ'માં ઇરફાને એકેય ફ્રેમ એવી છોડી ન હતી, જેમાં તેમને નજરઅંદાજ કરી શકાય. શરૂઆતથી જ તે તેમની જગ્યા બનાવતા ગયા. 'શક્તિ' ફિલ્મમાં જે રીતે અમિતાભ બચ્ચન દિલીપકુમાર સાથે મજબૂતીથી ઊભા હતા તે જ રીતે ઇરફાન અહીં બચ્ચન સામે ઊભા રહ્યા હતા. દીપિકાની મોહિની પણ ઈરફાનની ચમકને ઓછી ન કરી શકી. 'પીકૂ' ઇરફાનની અભિનયક્ષમતા અને આ કળા પરની તેની પકડનો શ્રેષ્ઠ નમૂનો છે. 'નેમસેક'માં અલગ ઈરફાન દેખાય છે. ત્યાં તેઓ પડદા પર જગ્યા નથી બનાવતા, પરંતુ પોતે જ પડદો બની ગયા હતા. તબ્બુ અને ઇરફાને પડદા પર એવા પથરાઈ જવાનું હતું કે એ પથરાઈ ગયા અમીટ છાપ છોડી ગયા.
એવું નથી કે ઇરફાન પહેલાં કોઈ એવા કલાકાર નથી થયા કે ઇરફાન જ છેલ્લા છે કે હશે. આવું બોલવું કે વિચારવું પણ વિચિત્ર ગણાય. કલાકારોને આવી નજરથી જોવા એ જ કલાને ન સમજવા બરાબર છે. કલાકાર આટલું જ કરે છે (અથવા એમ કહીએ કે કરે છે તે આટલું જ છે!) કે તે તેની જગ્યા બનાવે છે. તેમની કળા સંવેદના પ્રગટાવે છે. ઇરફાને પોતાની બહુ ટૂંકી ફિલ્મ કારકિર્દીમાં બહુ મહત્ત્વની જગ્યા બનાવી લીધી અને સંવેદનાનો એવો મબલખ પાક વાવ્યો કે મન ઈચ્છે તેટલું લણી શકાય.
e.mail : k.prashantji@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020