તમારામાંથી ઘણા લોકોએ વી. શાંતારામની “દો આંખે બારહ હાથ” ફિલ્મ જોઈ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. 1957માં આવેલી આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં એક ગીત “અયે માલિક તેરે બંદે હમ” આજે પણ પ્રેમ અને કરુણાના ભાવ માટે લોકપ્રિય છે. એક વખતે ભારતની શાળાઓમાં આ ગીત પ્રાર્થનામાં ગવાતું હતું.
શાંતારામ રાજારામ વણકુદ્રે એ જમાનાના ફિલ્મ નિર્માતા હતા, જેમને સમાજિક પરિવર્તનના માધ્યમ તરીકે સિનેમાનું મહત્ત્વ સમજાયું હતું. અન્નાસાહેબ તરીકે ઓળખાતા શાંતારામે, માનવતાવાદને પ્રોત્સાહન મળે તેવી ફિલ્મો બનાવી હતી. જેમ કે – ડો. કોટનિસ કી અમર કહાની, અમર ભૂપાલી, ઝનક ઝનક પાયલ બાજે, નવરંગ, દુનિયા ના માને, ગીત ગાયા પથ્થરો ને, પિંજરા, બૂંદ જો બન ગઈ મછલી અને જલ બિન મછલી નૃત્ય બિન બિજલી.
“દો આંખે બારહ હાથ” તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. 57 વર્ષની વયે, શાંતારામે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું એટલું જ નહીં, પોતે એમાં ઉદારવાદી જેલર આદિનાથની મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મ મહાત્મા ગાંધીના “હૃદય પરિવર્તન”ના ચિંતનથી પ્રેરિત હતી, પણ તેનો આધાર એક અસલી ઘટના હતી.
ગાંધી દંડ કે સજાના પક્ષમાં નહોતા. તે માનતા કે પ્રત્યેક વ્યક્તિ બુનિયાદી રૂપે સારો જ હોય છે અને તેને સુધરવાનો મોકો મળવો જોઈએ. માનવતાવાદી દૃષ્ટિકોણ હંમેશાં માણસમાં સંભાવનાઓને જુવે છે. એટલા માટે ગાંધીજી કહેતા હતા કે પાપની ઘૃણા કરો, પાપીની નહીં. નવેમ્બર 1947માં “હરિજન” પત્રિકામાં તેમણે લખ્યું હતું, “દરેક અપરાધીને દરદી ગણવા જોઈએ અને જેલોને હોસ્પિટલ, જેમાં દરદીઓની સારવાર કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિ મજા આવે છે એટલે અપરાધ નથી કરતી, એ બીમાર મનનો સંકેત છે.”
“દો આંખે બારહ હાથ”માં શાંતારામે એવા જેલરની ભૂમિકા કરી હતી, જે ખૂનની સજા ભોગવી રહેલા છ ખૂંખાર કેદીઓને સુધારવા માટે જેલની બહાર એક ખેતરમાં લઇ જાય છે. ત્યાં આ પશુ જેવા અડિયલ કેદીઓ કેવી રીતે આદિનાથની ધીરજ અને આશાની કસોટી લે છે, તેનો ઘટનાક્રમ બને છે. ફિલ્મમાં તેમણે રોચકતા અને રસ ઊભો કરવા માટે તેમની પત્ની સંધ્યાને પણ રમકડાં વેચનારી (ચંપા) તરીકે લીધી હતી. આ ચંપા જ્યારે પણ વાડીમાંથી પસાર થતી, ત્યારે તેનું ધ્યાન ખેંચવા માટે કેદીઓમાં હરીફાઈ થતી.
આગળ કહ્યું તેમ, આ ફિલ્મનો આધાર એક અસલી ઘટના છે. ઘટના બહુ દિલચસ્પ છે.
વીસમી સદીના તેજસ્વી ચિંતક ગણાતા જે. કૃષ્ણમૂર્તિ, 1920ની આસપાસ થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા વતીથી યુરોપમાં પ્રવચનો આપતા હતા, ત્યારે મૂળ વોર્સો(પોલેન્ડ)નો એક યહૂદી એન્જિનિયર છોકરો, મૌરિસ ફ્રાઈડમેન, તેમના પ્રતિ આકર્ષાયો હતો અને પછી તેને હિન્દુવાદમાં રસ પડ્યો હતો. તેણે કૃષ્ણમૂર્તિનાં ભાષણો ગોઠવવાનું અને તેમનાં પુસ્તકોને ફ્રેંચમાં અનુવાદિત કરવાનું કામ પણ કર્યું હતું. 1928માં તે પેરિસમાં તે ઇલેક્ટ્રિક ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે રમણ મહર્ષિના નામથી પરિચિત થયો.
તે વખતે જર્મનીમાં હિટલર અને તેની યહૂદી વિરોધી નાઝી વિચારધારાનો ઉદય થઇ રહ્યો હતો. 1933 સુધીમાં તો તે સત્તામાં હતો અને યુરોપમાં યહૂદીઓ પર તવાઈ શરૂ કરી હતી. તેમાંથી ઘણાં યહૂદીઓ ભારતમાં શરણ લેવા આવ્યાં હતાં. મૌરિસ પણ તેમાંથી એક. 1935માં તેને મૈસુરમાં એક એન્જિનિયર પેઢીમાં નોકરી મળી હતી. રમણ મહર્ષિએ તેને કહેલું, “તું વિદેશમાં જન્મ્યો છું, પણ મૂળ ભારતનો છું.” મૌરિસ ભારતમાં આવીને હિંદુ આધ્યાત્મમાં ઊંડો ઉતરી ગયો.
તે મુંબઈના ખેતવાડીમાં રહેતા અને બીડીની દુકાન ચલાવતા મરાઠી સંત સ્વામી નિસર્ગદત્તા મહારાજ(મારુતિ શિવરામપંત કાંબલી)ના પરિચયમાં આવ્યો હતો, અને સ્વામી જે બોલતા હતા તે દુભાષિયાની મદદથી અંગ્રેજીમાં ઉતારી લેતો હતો. એ લખાણ છેવટે “આઈ એમ ધેટ” નામના આજે પણ અત્યંત લોકપ્રિય પુસ્તક મારફતે દુનિયા સમક્ષ આવ્યું હતું. સ્વામી રામદાસે મૌરિસને સન્યાસ આપીને સ્વામી ભરતાનંદ નામકરણ કર્યું હતું.
ભારત આવ્યાં પછી મૌરિસ મહાત્મા ગાંધી અને તેમની આઝાદીની લડાઈથી આકર્ષાયો હતો. 1938માં તે મરાઠા સામ્રાજ્યના ઔંધ સ્ટેટના રાજા ભાવનરાવ શ્રીનિવાસરાવ પંત પ્રતિનિધિના પરિચયમાં આવ્યો હતો. તેણે ગાંધીજીની લડાઈના સમર્થનમાં રાજાને 70 ગામોની સંપત્તિને મુકત કરવા સમજાવ્યા. ગુલામ ભારતમાં એક પ્રાંતમાં જનશાસન સ્થાપિત કરવાનો આ અનોખો પ્રયોગ હતો. મૌરિસ ઉર્ફે સ્વામી ભરતાનંદે તેનું બંધારણ પણ તૈયાર કર્યું હતું. આ જ સમય દરમિયાન, મૌરિસે એન્જિનિયર હોવાના નાતે ગાંધીજીના ચરખાની બનાવટમાં સુધારો કર્યો હતો.
મૌરિસ ભારતમાં વ્યસ્ત હતો, ત્યારે જ પોલેન્ડમાં તેનો પરિવાર યુદ્ધમાં નષ્ટ થઇ ગયો હતો. મૌરિસ માટે હવે પાછા જવાનું કારણ નહોતું.
ઔંધમાં ભારતના પહેલાં “ગ્રામ રાજ્ય”માં ત્રણ સ્તરની સરકાર હતી. દરેક ગામમાં પાંચ સભ્યોની પંચાયત હોય, જે અધ્યક્ષને ચૂંટે. ગ્રામ અધ્યક્ષ ચાર તાલુકા પ્રમુખને ચૂંટે અને તેવા 12 પ્રતિનિધિઓ ધારાસભામાં જાય, જે રાજ્યના વડા પ્રધાનને ચૂંટે. જાન્યુઆરી 1939માં, ઔંધ બંધારણીય ગણરાજ્ય બની ગયું હતું.
મૌરિસે તેમાં ગાંધીજીથી પ્રેરાઈને બીજો એક પ્રયોગ કર્યો હતો. ત્યાં દેશની પહેલી મુક્ત જેલ સ્થાપવામાં આવી હતી, જ્યાં કેદીઓ તેમના પરિવાર સાથે પેરોલ પર રહેતાં અને પ્રદેશની પાણીની સમસ્યા ઉકેલવા માટે કૂવા ખોદવાનું કામ કરતાં હતા. જેલનું નામ સ્વતંત્રપુર રાખવામાં આવ્યું હતું. 40ના દાયકામાં મહારાષ્ટ્રના ઘણા કાઁગ્રેસી નેતાઓ ઔંધમાં સક્રિય હતા.
ઔંધનો આ પ્રયોગ આમ તો ગુપ્ત હતો. 1947માં જ્યારે રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ થયું, ત્યારે ઔંધ પણ ભૂંસાઈ ગયું હતું. મુંબઈમાં વી. શાંતારામને આ પ્રયોગની ખબર પડી હતી. તેમાં તેમને ‘મુક્ત જેલ’નો વિચાર ક્રાંતિકારી લાગ્યો હતો. તેના પરથી તેમણે “દો આંખે બારહ હાથ”ની વાર્તા બનાવી હતી. તેમને એ બતાવવું હતું કે, કેદી હોય કે જલ્લાદ, અંતે તો બધા માણસ જ હોય છે. એક રીતે તે એક ઊંડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો કે દરેક માણસ બુનિયાદી રૂપે ભલો હોય છે, તેના હૃદયમાં એક કોમળતા હોય છે અને તેને વ્યક્ત થવાનો અવસર મળવો જોઈએ.
એક દાયકા પછી, અપરાધીને પણ સુધરવાનો અધિકાર છે તેવા ભાવ સાથે, રાજેશ ખન્નાની “દુશ્મન,” ધર્મેદ્ર-વિનોદ ખન્નાની “મેરા ગાંવ મેરા દેશ” અને ધર્મેન્દ્ર-અમિતાભની “શોલે” બનાવવામાં આવી હતી.
‘સુપરહીટ’, “સંદેશ”, 14 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર