સનાતન ધર્મ વિવાદ
ઉત્તરી આર્યાવર્ત માનસને ફુલે, ગાંધી, આંબેડકર, પેરિયાર કોઈનાયે વ્યાપક ને મૂળગામી ધર્મતત્ત્વવિચારની મુદ્દલ રગ નથી
સનાતન ધર્મ પરત્વે ઉદયનિધિ સ્તાલિનના ટીકાત્મક ઉદ્ઘગારોએ જો ઇન્ડિયા મંડળીમાં અસરપરસ અંતર શો ભાવ જગવ્યો છે તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનો પ્રતિભાવ કદાચ એકદમ બખ્ખેબખ્ખા શો છે. વૈતરણી પાર કરવા સારુ જેમ ગોપુચ્છની ગરજ રહે છે તેમ કોઈક પ્રકારે ધ્રુવીકરણ વાટે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિકની એની હોંશ હોય એ સ્વાભાવિક છે. એટલે અમારી રાજકીય છાવણી સનાતન ધર્મી છે અને તમે ધર્મવિરોધી છો એવું વાયુમંડળ અને કંઈક અસમંજસ સરજવાની એની ગણતરી સાફ સમજાય છે.
સત્તરમી સપ્ટેમ્બરે ભા.જ.પ. જ્યારે વડા પ્રધાનના જન્મદિવસના જશન સારુ તડેપેંગડે હતો ત્યારે દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તામિલનાડુમાં ઉદયનિધિ સ્તાનિલથી માંડીને દ્રવિડ મુન્નેત્ર કળઘમ અને અન્ના દ્રવેડ મુન્નેત્ર કળઘમ સહિતની એકંદર તમિળ ચળવળની ગુરુપ્રતિમા શા પેરિયારના જન્મદિવસ આસપાસનો માહોલ જામેલો હતો.
પેરિયાર સનાતન ધર્મના ટીકાકાર અને વિવેકબુદ્ધિવાદના હિમાયતી તરીકે દક્ષિણ દેશમાં માનપાત્ર અને અનુકરણીય રહ્યા છે. જાહેર જીવનમાં એમનો પ્રવેશ તે વખતની મદ્રાસ પ્રેસિડેન્સી કાઁગ્રેસના નેતા તરીકે વિશેષ રૂપે વાયકોમ સત્યાગ્રહ મંદિર ફરતે આવેલ માર્ગો પર દલિત બંધી સહિતની આત્યંતિક આભડછેટ બલકે માનવતિરસ્કાર જોઈને સ્વામી વિવેકાનંદ આ પંથકને ગાંડાની ઇસ્પિતાલ સાથે સરખાવ્યો હતો. વાયકોમ સત્યાગ્રહથી એક તબક્કે કાઁગ્રેસમેન પેરિયાર છૂટા થયા કેમ કે એમને આ લડત મોળી લાગતી હતી.
પેરિયારને એમ લાગતું હતું કે, કાઁગ્રેસ સહિત એકંદર જાહેર જીવન પર બ્રાહ્મણવાદી પકડ છે. આ પકડ દક્ષિણ ભારત પર ઉત્તરી આર્યવર્તને થોપે છે, અને ધર્મને નામે ઊંચનીચને વાજબી ઠરાવે છે. નાતજાતગત ઊંચનીચ આ સનાતન ધર્મનું અભિન્ન અંગ છે એ સંજોગોમાં તેને પડકારવો અને ફગાવવો રહ્યો.
પેરિયારની આ ભૂમિકા લક્ષમાં લઈએ તો ઉદયનિધિ સ્તાલિનના કથિત સનાતન ધર્મનું અવમૂલ્યન કરતા ઉદ્ગારો સમજાશે. આ ઉદ્ગારો સંદર્ભે મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખશાયીની ટિપ્પણી સમજવા લાયક છે. એમણે સનાતન ધર્મનો વ્યાપક અર્થ ઘટાવ્યો છે. મનુષ્યનું મનુષ્ય તરીકેનું કર્તવ્ય, નાગરિક તરીકેનું કર્તવ્ય, રાજ્ય પરત્વે કર્તવ્ય દેશ પરત્વે કર્તવ્ય, કુટુંબ પરત્વે કર્તવ્ય એમ નાનાવિધ કર્તવ્યોની સૂચિ આપી એમણે સનાતન ધર્મનો સ્થાપિત ધર્મો કરતાં વ્યાપક અર્થ ઘટાવ્યો છે અને એ રીતે એક સંપ્રદાયમુક્ત ભૂમિકા લીધી છે. પછી તરત કહ્યું છે કે, આ વ્યાપક સંદર્ભમાં અસ્પૃશ્યતા જેવી મનુષ્યત્વવિરોધી પ્રથાને કોઈ પણ રીતે સ્થાન હોઈ શકે નહીં.
પેરિયાર હોત તો એમણે ચીપિયો ખખડાવીને કહ્યું હોત કે સમાજવ્યવહારમાં વર્ણાશ્રમભેદ એ સનાતન ધર્મના અભિન્ન અંગે જેવી એકરૂપ ઓળખ છે અને તે ન જોઈએ. મહારાષ્ટ્રની જે ફુલે – આંબેડકર પરંપરા છે એવી જ દક્ષિણ દેશમાં પેરિયારની પ્રબોધન અને પ્રતિકાર પરંપરા છે.
બીજી પાસ, જેઓ રાષ્ટ્રવાદના હિંદુત્વ વિમર્શને હાલ સનાતનધર્મ જેવી વૈકલ્પિક સંજ્ઞાથી આગળ કરવા માગે છે એમને સમાજના હાડમાં પેંધેલી ગેરબરાબરી વિરુદ્ધ રાજકીય ગણતરી સિવાયનો આમૂલ વિરોધ જણાતો નથી. અગાઉ કરતાં સમતાલક્ષીય સેવા પ્રકલ્પો વિસ્તર્યા હોય પણ સૈદ્ધાંતિક ભૂમિકાએ તે વિચાર ઝમતાં ઝુમશે.
લોકમાન્યે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એ ભાષામાં વાત કરી, પણ પેરિયારે કહ્યું કે, સ્વમાન કે સ્વાભિમાન મનુષ્યમાત્રનો જન્મસિદ્ધ અધિકાર છે. ગાંધીજી ધર્મના સ્વીકારપૂર્વક એમાં સુધારપ્રતિકારની ઢબે ચાલ્યા એટલે પેરિયાર એમના ટીકાકાર ને પ્રશંસકની સંમિશ્ર લાગણી ધરાવતાં હતા, જે ગાંધી પરત્વે આંબેડકરમાં પણ જોવા મળે છે.
ધ્રુવીકરણની રાજકીય સત્તામારીનું જાણે સમજ્યા, પણ હાલ સ્થાપિત હિંદુધર્મ અને તેના પર આધારિત હિંદુત્વ વિમર્શ ધર્મની ‘સનાતન’ ભૂમિકાએ ક્યાં ઊભો છે ? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 સપ્ટેમ્બર 2023