એક ગુજરાતી તરીકે આપણે એ વાતે જરૂર ધોરણસર ગૌરવ લઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ઑલ મેન’ સરખા પ્રયોગને સ્થાને ‘ઑલ હ્યુમન બીઇંગ્ઝ’ની પ્રતિષ્ઠાનું શ્રેય હંસા મહેતા સરખાં એક ગુજરાતી વિદુષીને નામે જમે બોલે છે. પણ આ મૂલ્યાત્મક શબ્દફેરમાં અભિપ્રેત છે તેમ સ્ત્રીપુરુષ બેઉ એક વ્યક્તિ તરીકે સમાન છે એવી પાયાની સમજથી માંડીને ખાસુ બધું અંતર કાપવું રહે છે. ચંદુ મહેરિયા અને મહાશ્વેતા જાનીની નિરીક્ષા ને નુક્તેચીનીમાં એનાં કેટલાંક ઇંગિતો રહેલા છે તો તાજેતરમાં એમ.જે. અકબર-પ્રિયા રામાની કેસચુકાદામાં કે આ અંક છપાવા જઈ રહ્યો છે ત્યારે ઓરિસ્સામાં બાવીસ બાવીસ વરસના કાનૂની સંઘર્ષ પછી અંજની મિશ્રા બળાત્કાર કેસના ચુકાદાના હેવાલોમાં કપાયેલી અને કાપવી રહેતી મજલનું નિદર્શન પડેલું છે.
— ‘નિરીક્ષક’ તંત્રી
ભારતમાં મહિલાઓ વહેલીસવારથી મોડી રાત સુધી આખા ઘરનાં કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાંની સેવા અને દેખભાળ, બાળકોને ભણાવવાં, શાળાએ મૂકવા-લેવા જવાં, બજારમાં ખરીદી કરવી, કપડાંને ઇસ્ત્રી કરવી, ગામડાંઓમાં ઘર, કામ અને ખેતી સાચવવી, છાણ-વાસીદાં કરવા, ઢોર-ઢાંખર સાચવવાં, પાણી ભરવું, ઘાસચારો અને બળતણ લેવા જવું, અંતે ઘરના સૌને જમાડ્યા પછી વધ્યું-ઘટ્યું ખાવું – એવી નિયતિ ભારતીય સ્ત્રીઓના માથે મારવામાં આવી છે. એક અંદાજ મુજબ એક સ્ત્રી એક જિંદગીમાં એકલી ત્રણ લાખ તો રોટલી જ બનાવે છે. ઘરનાં બીજાં કામો તો જુદાં. આટઆટલાં કામો કરવા છતાં સામાન્ય રીતે એક સંવાદ લગભગ બધાં ઘરોમાં પુરુષોના જ નહીં, સ્ત્રીઓના મુખે પણ સાંભળવા મળે છે : “આખો દા’ડો ઘરમાં જ હોય છે … કશું જ કરતી નથી.” અણમોલ એવા મહિલાઓના ઘરકામનું કુટુંબ, સમાજ અને સરકારને કશું જ આર્થિક કે ભાવનાત્મક મૂલ્ય નથી.
૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે દેશમાં જે ૧૬.૫૬ કરોડ લોકોને ‘કશું જ કામ ન કરતી વસ્તી’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, તેમાં ૧૫.૯૦ કરોડ ઘરકામ કરતી મહિલાઓ છે, જે દેશની કુલ કામ વગરની વસ્તીનો ૯૬.૫ ટકા હિસ્સો છે. સ્ત્રીઓના ઘરકામને આપણે ત્યાં બિનઉત્પાદક શ્રમ ગણી તેની કોઈ આર્થિક ગણતરી થતી નથી. ઘરના કામને કોઈ કામ જ ગણવામાં આવતું નથી. ૨૦૧૯ના ટાઇમ યુઝ ઇન ઇન્ડિયા સર્વેમાં મહિલાઓ અવેતનિક ઘરેલુ કામોમાં રોજ ૨૯૯ મિનિટ અને ઘરના સભ્યોની દેખભાળ માટે ૧૩૪ મિનિટ મળીને કુલ ૪૩૩ મિનિટ કે ૭ કલાક ૧૩ મિનિટ ખર્ચે છે, જ્યારે પુરુષ માત્ર ૫૧ મિનિટ ખર્ચે છે. પૂર્ણપણે ઘરકામ કરતી મહિલાઓને જ નહીં, નોકરી કરતી સઘળી મહિલાઓને પણ ઘરકામ કરવું પડે છે. છતાં દેશના જી.ડી.પી.માં ગૃહિણીના ઘરકામની કોઈ ગણતરી થતી નથી અને તેને નગણ્ય માનવામાં આવે છે.
સ્ત્રીઓના માથે ઘરકામનો બોજ નાનપણથી લાદી દેવામાં આવે છે. ‘યુનિસેફ’ના જણાવ્યા મુજબ ૫થી ૯ વરસની છોકરીઓ તેમની જ ઉંમરના છોકરાઓની તુલનામાં ૩૦ ટકા વધુ કામ કરે છે. વિશ્વમાં અવેતનિક ઘરકામમાં ૧૬ અબજ કલાક ખર્ચાય છે. ભારતીય પુરુષોને રોજ સરેરાશ ૨૮૩ મિનિટ ફુરસદનો સમય મળે છે, જ્યારે સ્ત્રીઓને ૨૨૧ મિનિટ મળે છે. યુ.કે., અમેરિકા જેવા મૂડીવાદી દેશ હોય કે ચીન જેવો સામ્યવાદી દેશ, દરેકમાં પુરુષો કરતાં સ્ત્રીઓને ફુરસદનો સમય ઓછો જ મળે છે. ૨૦૧૯ના નેશનલ સ્ટેટેસ્ટિકલ ઑફિસના સર્વે મુજબ વેતનિક કામો કરતાં પુરુષો ૫૭.૩ ટકા છે પણ સ્ત્રીઓ ૧૮.૪ ટકા જ છે. માત્ર ગૃહિણીને જ નહીં, નોકરી કરતી સ્ત્રીઓને પણ ઘરકામ કરવું પડે છે. કશી કમાણી ન કરવી અને જેનું કશું નાણાકીય મૂલ્ય અંકાતું નથી, તેવું ઘરકામ કરવું તે બે બાબતો વચ્ચે રહેલો ભેદ સમજાતો નથી કે સમજવો નથી. એટલે પણ રાતદિવસ જોયા વિના સ્ત્રીઓ જે ઘરકામ કરે છે, તેને અન્નપૂર્ણા ગણી પોરસાવીને ઇતિશ્રી માની લેવાય છે. આખી દુનિયામાં એવો ખ્યાલ પ્રચલિત છે કે મહિલાઓ તો સેવા કરવા જ જન્મી છે અને તેના માટે ઘરકામ કરવું સહજ છે.
ઊતરતું, હલકું અને નીચા દરજ્જાનું મનાતું ઘરકામ પણ અનિવાર્યપણે આર્થિક મૂલ્ય ધરાવે છે, તેવી દીર્ઘ પ્રતીક્ષિત અને સ્વાગતાર્હ ચર્ચા સુપ્રીમ કોર્ટના તાજેતરના જજમેન્ટથી ફરી ઊભી થઈ છે. જસ્ટિસ એન.વી. રમન્ના, એસ. અબ્દુલ નજીર અને સૂર્યકાંતની બૅન્ચનો ચુકાદો જણાવે છે કે ઘરકામ કરતી મહિલાઓના શ્રમ, સેવા અને બલિદાનનો કોર્ટ સ્વીકાર કરે છે. માર્ગ-અકસ્માતના કેસમાં નોકરી કરતા પતિ કરતાં ગૃહિણી પત્નીને ઓછું વળતર મળવાપાત્ર છે એવી દલીલને સર્વોચ્ચ અદાલતે ગ્રાહ્ય રાખી નથી. વળતરની ગણતરીમાં મહિલાના ઘરકામને નજરઅંદાજ કરવું જોઈએ નહીં અને મહિલાના ઘરકામની કાલ્પનિક આવક ગણતરીમાં લેવી જોઈએ તેમ જણાવી જસ્ટિસ રમન્નાએ દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે મહિલાઓના ઘરકામની કિંમત આંકવી પડશે. ૧૯૮૯માં જમશેદપુરમાં જમશેદજી તાતાના જન્મ-શતાબ્દી ઉજવણી કાર્યક્રમમાં આગ લાગતાં ૨૫ મહિલાઓ સહિત ૬૦ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૦૧માં આ મહિલાઓના વળતરના કેસમાં કોર્ટે ઘરકામનું સાંકેતિક મૂલ્ય આંક્યું હતું. પણ તાજેતરના ચુકાદામાં તો ગૃહિણી પણ નોકરી કરતા પતિ જેટલા જ વળતરની હકદાર હોવાનું સ્પષ્ટ કર્યું.
સિને-અભિનેતા અને નવોદિત રાજકારણી કમલ હાસને, “રાજ્યે ગૃહિણીઓના ગૃહકાર્યને માન્યતા આપવી જોઈએ તથા તેના માટે વેતન આપવું જોઈએ,” તેવી માંગણી કરી છે. તમિલનાડુનો પ્રાદેશિક પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ તેના આગામી વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ગૃહિણીઓને માસિક બે હજાર રૂપિયા વેતન આપવાનું વચન આપવાનો હોવાનું કહેવાય છે. ઇલાબહેન ભટ્ટ સમિતિના ૧૯૮૮ના ‘શ્રમશક્તિ’ અહેવાલમાં મહિલાઓના ઘરકામ સંદર્ભે જણાવ્યું છે કે, “બધી જ સ્ત્રીઓ શ્રમિક છે. કેમ કે તે ઉત્પાદક અને પ્રજનનકર્તા છે. તે વેતનિક કામ કે રોજગાર નથી કરતી, ત્યારે પણ સામાજિક રૂપમાં ઉત્પાદન અને પ્રજનનકાર્યમાં સંલગ્ન હોય છે, જે સમાજના અસ્તિત્વ માટે આવશ્યક છે. ગૃહિણીના રૂપમાં મહિલાઓ જે કામ કરે છે તેને સામાજિક-આર્થિક ઉત્પાદન માનવું જોઈએ.”
મહિલાઓના ઘરકામનું આર્થિક મૂલ્ય આંકવાથી કે ઘરેલુ કામને ઉત્પાદક માની તેની આર્થિક ગણતરી કરી દેશના જી.ડી.પી.માં ઉમેરો કરવાથી આવકના આંકડા દૂષિત થવાનો ભય કેટલાક અર્થશાસ્ત્રીઓનો છે. જો ઘરના કામ માટે મહિલાઓને દૈનિક રૂ. ૨૮૩ના લઘુતમ વેતનની ચુકવણી કરવાની થાય, તો આશરે ૧૬ કરોડ ગૃહિણીઓના ઘરકામનું મૂલ્ય રૂ. ૧૬,૨૮૬ અરબ, એટલે કે સરકારના બજેટ જેટલું, થાય. ઑકસફામના રિપોર્ટ પ્રમાણે દુનિયાની ગૃહિણીના ગૃહકાર્યનું નાણાંમાં મૂલ્ય આંકવામાં આવે તો વરસે લગભગ ૧૦,૦૦૦ અબજ ડૉલર જેટલું અર્થાત્ એપલ કંપનીના ટર્નઓવરથી ૪૦ ગણું વધારે થવા જાય છે. બીજી તરફ રોજગારના ઘટતા આંકડાઓમાં વૃદ્ધિ દર્શાવવા સરકારો ઘરકામ જેવાં વગર વેતનનાં કામોને કદાચ રોજગારમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ હાલમાં દેશની અડધી આબાદી એવી સ્ત્રીઓનો મોટો ભાગ જેમાં રોકાયેલો છે, તે ઘરકામનું કોઈ મૂલ્ય નથી તે હકીકત છે.
મહિલાઓના ઘરકામનું આર્થિક મૂલ્ય નક્કી કરવાથી પણ ગૃહિણીઓને સન્માન અને ઓળખ મળશે કે નહીં તે મોટો સવાલ છે. ઘરકામ સ્ત્રીઓ પોતાની મરજીથી નહીં પણ પિતૃસત્તાક સમાજના સામાજિક-સાંસ્કૃતિક માપદંડોને કારણે કરે છે. એટલે ઘરકામની જવાબદારી અને બોજ માત્ર મહિલાના માથે ન મૂકી દેતાં ઘરકામમાં કુટુંબના સૌ સભ્યોનો ફાળો હોય તેવો સામાજિક માહોલ ઊભો કરવાની જરૂર છે. માત્ર ગૃહકાર્યનું આર્થિક મૂલ્ય આંકીને સમાજ જવાબદારીમાંથી છટકી શકે નહીં. દેશ અને દુનિયાનું મહિલા – આંદોલન પણ ઘરના કામનું આર્થિક મૂલ્ય જ ન માંગે, ઘરના કામમાં સૌની ભાગીદારી અને યોગદાન પણ માંગે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 07-08