માર્ક્સનો પત્ર
રવિવાર, એપ્રિલ ૨૧, ૧૮૬૭.
લંડન, ઇંગ્લૅન્ડ
પ્રિય ગાલિબ,
પરમ દિવસે મારા મિત્ર એન્જ્લ્સનો પત્ર મને મળ્યો. એની અંતિમ પંક્તિઓથી હું ખૂબ પ્રભાવિત થયો. ઘણી જહેમત પછી જાણવા મળ્યું કે તે મિરઝા અસદુલ્લાહ ખાન ગાલિબ નામના ભારતીય શાયરે લખેલી હતી. ભાઈ, આ તો ગજબ કહેવાય! મેં કદી ધાર્યું ન હતું કે ગુલામીમાંથી આઝાદી માટેની ક્રાંતિકારી ભાવના ભારત જેવા દેશમાં આટલી વહેલી પાકી જશે! ગઈકાલે એક લોર્ડની અંગત લાયબ્રેરીમાંથી મને તમારી શાયરીનાં બીજાં પુસ્તકો મળ્યાં. આ પંક્તિ તો કમાલની છે :
हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन,
दिल को बेहेलाने को ग़ालिब ये ख़याल अच्छा है।
તમારી શાયરીની આગલી આવૃત્તિમાં મજૂરોને સંબોધીને વિગતવાર લખજો : “સ્વર્ગની જાદુઈ દુનિયામાં તમને પહોંચાડીને જમીનદારો, વહીવટદારો અને ધર્મધૂરંધરો તમારી મહેનતનું ફળ ચૂસી જાય છે. આમ તો, જો તમે અમુક આવી પંક્તિઓ લખો તો સારું :
दुनियाभर के मजदूरो, मुताहिद हो जाओ।
ભારતીય શૈલી અને કાવ્યાત્મકતાનો મને ઝાઝો ખ્યાલ નથી. તમે શાયર છો, કાવ્યની સીમાઓમાં રહીને તમે કશું માતબર લખો છો. જે પણ હોય, તમારો મુખ્ય લક્ષ્ય લોકોમાં એના સંદેશ મારફતે ઉર્જાનો સંચાર કરવાનો છે. વધુમાં, મારી સલાહ છે કે તમે ગઝલ કે શાયરી જેવી ફુરસદમાં થતી રચનાઓ કરવાનું છોડીને અછાંદસ તરફ વળો જેથી ઓછા સમયમાં તમે વધુ લખી શકો અને જેટલું વધારે લખો એટલું કંગાળ લોકોને વાંચવાનું અને મનન કરવાનું વધારે ભાથું મળી શકે.
કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટોની ભારતીય આવૃત્તિ સાથે પ્રથમ ભાગ, જેનો અનુવાદ દુર્ભાગ્યવશ હાલ ઉપલબ્ધ નથી, મોકલી રહ્યો છું. જો તમને આ પસંદ પડે તો આગલી વખતે વધુ સામગ્રી મોકલી આપીશ. હાલના સમયમાં ભારત સામ્રાજ્યવાદીઓનો અડ્ડો બની ગયું છે. શોષિત અને દમિત લોકોનો સહિયારો પ્રયત્ન જ તેમને શોષણકર્તાઓની ચુંગાલમાંથી બચાવી શકશે.
એશિયાના વિદ્વાનોના જૂનવાણી અને અવ્યવહારુ વિચારોને બદલે તમારે પશ્ચિમના આધુનિક તત્ત્વદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. મોગલ રાજાઓ અને નવાબોની દંતકથાઓ અને પ્રસંશા લખવાનું મૂકીને લોકોના ક્રાંતિકારી મુદ્દા ઉઠાવતું સાહિત્યનું સર્જન કરો. ક્રાંતિ ઢુકડે છે. ગુરુ અને શિષ્યની પરંપરા લુપ્ત થઈ જવાનો સમય આવી રહ્યો છે.
ભારતને ક્રાંતિ ભણી અવિચલ માર્ગ મળે એવી આશિષ પાઠવું છું.
તમારો,
કાર્લ માર્ક્સ
~
ગાલિબનો ઉત્તર
સપ્ટેમ્બર ૯, ૧૮૬૭.
મને તમારો પત્ર અને કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટો મળ્યા. જવાબમાં શું લખું? પ્રથમ, તમારી વાત સમજવી ખૂબ અઘરી લાગે છે. બીજુ, લખવા અને બોલવા માટે હું હવે બહુ વૃદ્ધ થઈ ચૂક્યો છું. આજે એક મિત્રને પત્ર લખ્યો એટલે થયું તમને પણ લખું. ફરહાદ (ગાલિબની એક ગઝલમાં આવતો ઉલ્લેખ) અંગેનો તમારો ખ્યાલ ભૂલ ભરેલો છે. તમે ધારો છો એવો મજૂર નથી એ. બલકે તે એક પ્રેમી છે. જો કે પ્રેમની તેની વિભાવનાથી હું પ્રભાવિત નથી. તે પ્રેમમાં પાગલ છે અને તેની પ્રેમિકા ખાતર આખો વખત આત્મહત્યાનો વિચાર કર્યા કરે છે. અને તમે કેવા ઇન્ક્લાબની વાત કરો છો? એ તો ભૂતકાળ બની ચુક્યો છે. દસ વર્ષ પૂર્વે સમાપ્ત થઇ ચુક્યો છે. હવે તો અંગ્રેજો છાતી કાઢીને ફરી રહ્યા છે અને અહીં બધાં જ એમના ગુણગાાન ગાવા લાગ્યા છે. રાજવી ઠાઠ અને જાહોજલાલી હવે ભૂતકાળ બની ચુક્યા છે. વળી, ગુરુ-શિષ્ય પરંપરા એની આકર્ષકતા ગુમાવી રહી છે.
જો તમારા માન્યામાં ન આવતું હોય તો દિલ્હીની મુલાકાત લઈને સાક્ષાત જોઈ લો …. વળી, આ દિલ્હી પૂરતુ સીમિત નથી. લખનઉનો હાર્દ પણ લુપ્ત થઈ રહ્યો છે … ક્યાં ગઈ એ તહેઝીબ … એ સજ્જનો! હવે, કયાં ઇન્કલાબની ભવિષ્યવાણી કરો છો? મને જાણવા મળ્યું કે તમારા પત્રના મધ્યમાં તમે કાવ્યશૈલી બદલવાનું સૂચન કર્યું છે. તો તમને કહી દઉ કે કવિતા ઘડી શકાતી નથી, એ સહજ રીતે સ્ફૂરે છે. અને મારો કિસ્સો બહુ સ્પષ્ટ છે. જ્યારે વિચારો વહેતા આવે છે, તે કોઈ પણ સ્વરૂપમાં ભળી જાય છે, ગઝલ કે શાયરી.
હું માનું છું કે કાવ્યની દુનિયામાં ગાલિબની શૈલી અદ્વિતીય છે. એના જ લીધે રાજાઓ રહ્યા નથી. અને મારી સારસંભાળ લેતા નવાબો અને જજમાનોથી પણ મને વંચિત કરવા માગો છો …
એમની પ્રસંશામાં થોડી પંક્તિઓ કહી નાખું તો એમાં નુકશાન શું છે?
તત્ત્વદર્શન શું છે અને જીવન સાથે એનો શો સંબંધ છે એ મારાથી સારુ કોણ જાણતું હોય? મારા વહાલા, કયા આધુનિક વિચારની વાત કરો છો? જો તમને એમાં રસ હોય તો વેદાંત અને વાહદત-ઉલ-વજૂદ વાંચવા જોઈએ તમારે. અને વિચાર ઉપર વિચાર વ્યક્ત કરવાને બદલે એ દિશામાં કંઇ કાર્ય કરો તો સારું … તમે અંગ્રેજ છો, મારા પર આટલી કૃપા કરો. વાઇસરૉયને પત્ર લખીને મારું પેન્શન ફરી ચાલુ કરાવો … હવે હું ખૂબ થાકી ગયો છું. માટે, એનો અંત આણું છું,
વિનમ્રપણે તમારો,
ગાલિબ
* ૧૫ વર્ષની જહેમત બાદ આબિદા રિપલી ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી, લંડનમાંથી આ દુર્લભ પત્રો મેળવી શકેલાં. (માર્ક્સનો પત્ર અંગ્રેજીમાં. ગાલિબના ઉર્દૂ પત્રનો તારીક ઇક્બાલે કરેલો અંગ્રેજી અનુવાદ.)
સ્રોત : marvisirmedblog.wordpress.com