થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સેપકટર નવજીવન ટ્રસ્ટ ખાતે આવ્યા. પૂરા પોલીસ યુનિફોર્મમાં હતા. છ ફૂટ ઊંચાઈ, કમરમાં સરકારી પિસ્તોલ તેમનો પોલીસ અધિકારી તરીકેનો રૂઆબ વધારતી હતી. તેઓ નવજીવન ટ્રસ્ટથી સંપૂર્ણપણે અજાણ હતા. તેમણે મને નવજીવન ટ્રસ્ટ વિશે પૂછ્યું એટલે ગાંધીજી દ્વારા ૧૯૧૯માં શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટની આછી પાતળી જાણકારી આપી. તેમને નવજીવન બતાડ્યું. થોડી વાર પછી તે કાચના કબાટની અંદર રહેલાં પુસ્તકો તરફ જોઈ રહ્યા. ઘણાં પુસ્તકોનાં નામ તેમણે વાંચ્યા. પછી મને પૂછ્યું કે આ પુસ્તકમાંથી હું કંઈ ખરીદવા માગું તો ખરીદી શકું? મેં કહ્યુ ચોક્કસ. તમારે કયુ પુસ્તક ખરીદવું છે? તેમણે મને કહ્યું, મારે ગાંધીના સત્યના પ્રયોગો જોઈએ છે. મને સુખદ આશ્ચર્ય થયું કે કોઈ યુવાન પોલીસ અધિકારી તમારી પાસે ગાંધીની આત્મકથા લેવા આવે. મેં તેમને કહ્યું તમને આત્મકથા તો મળશે, પણ નવજીવન તરફથી ભેટ સ્વરૂપે આપીશ. તમારે કોઈ કિમંત ચૂકવવાની નથી. મેં તરત તેમના હાથમાં આત્મકથા લાવી મૂકી.
તેમણે હાથમાં ગાંધીની આત્મકથા લેતાં જાણે તેમના શરીરમાંથી કોઈ રોમાંચ પસાર થયો હોય, તેવું હું તેમના ચહેરા ઉપર જોઈ શકતો હતો. તેમણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, મારી એક વિનંતી છે કે ગાંધીની આત્મકથા મફત લેવી સારી બાબત નથી. તમે મારી પાસેથી તેની કિમંત લઈ લો. મેં પૈસા લેવાની ના પાડી. તે સતત મને વિનંતી કરતા રહ્યા. તેમણે મને કહ્યું, આત્મકથાની કિમંત સ્વરૂપે નહીં તો મારા તરફથી નાનકડી ભેટ સમજી તે લઈ લો. મેં તેમની જાણકારીમાં વધારો કરતાં કહ્યું ગાંધીજી ૧૯૪૦માં પોતાનું વસિયત કરતા ગયા જેમાં લખ્યુ છે કે નવજીવન ટ્રસ્ટ દાન અને અનુદાન લેશે નહીં. એટલે અમે ભેટ લઈ શકતા નથી. આ સાંભળી આ પોલીસ અધિકારીને વધુ આશ્ચર્ય થયું. તેમણે મને પૂછ્યું, તો નવજીવન ચાલે છે કેવી રીતે ? મેં કહ્યું ગાંધીજીની વસિયત પ્રમાણે તેમણે જે કંઈ લખ્યું છે તેનો અધિકાર તે નવજીવનને આપતા ગયા અને ગાંધી સાહિત્યનાં વેચાણમાંથી જે કંઈ મળે તેનાથી છેલ્લાં ૧૦૦ વર્ષથી નવજીવન ચાલે છે.
પોલીસ અધિકારી મારી સામે જોતા રહ્યા. તેમણે ખીસ્સામાં હાથ નાખી એક હજાર રૂપિયા બહાર કાઢયા, અને મને કહ્યું, મને એક હજાર રૂપિયા જેટલી આત્મકથા આવે તે આપો. મેં તેમને એક હજાર રૂપિયાનું બીલ આપ્યું. તેમણે કહ્યું મારે માટે એક આત્મકથા બસ છે. બાકીની આત્મકથા તમે બીજા લોકોને આપજો. મને આ યુવાન પોલીસ અધિકારીને મળી લાગ્યું કે ગુજરાતે ગાંધીને ઓળખવામાં અને ગાંધી ભણાવવામાં ભલે મોડું કર્યુ, પણ ગાંધી આટલો જલદી ભુલાય તેમ નથી. આ ખાખીધારી યુવાન પોલીસ અધિકારીને ગાંધી અને ગાંધીની ખાદી સાથે કોઈ નિસ્બત ન્હોતી. છતાં તેની અંદર રહેલો ગાંધી તેની સારપને બહાર લાવી રહ્યો હતો. આપણે હમણાં ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ. દેશભરમાં ગાંધીની જયંતીનાં નામે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પણ ખાસ કરી ગુજરાતમાં ગાંધી એક સરકારી કાર્યક્રમ બની રહી ગયા છે. ગાંધી સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું કામ કરતા નવજીવન પાસે વિવિધ રાજય સરકારો દરેક વર્ષે ગાંધીની આત્મકથા સહિત વિવિધ સાહિત્ય ખરીદી પોતાના રાજયના વિધ્યાર્થીઓને આપે છે.
પરંતુ ૧૯૬૦માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ ગુજરાત સરકારે આત્મકથાની એક પણ પ્રત ખરીદી હોય તેવુ બન્યુ નથી. હું જ્યારે ૧૯૬૦થી વાત કરું છું તેમાં કૉન્ગ્રેસ અને ભા.જ.પ. સહિત જેટલી પણ સરકારો અસ્તીત્વમાં આવી, તે તમામની વાત કરું છું. એક પણ પક્ષની સરકારે ગુજરાતના બાળકો આત્મકથા વાંચે અને ગાંધીને સમજે તેવા કોઈ પ્રયાસ કર્યા નથી. તેના કરતાં સાવ વિપરીત જ્યાં સામ્યવાદનો દબદબો રહ્યો તેવા કેરળમાં સૌથી વધુ, મલયાલમ ભાષામાં ગાંધીની અત્મકથા વેચાઈ અને સમજાઈ છે. અહીંયા દોષ માત્ર ગુજરાત સરકારનો જ છે તેવું પણ નથી. ગુજરાતની ગાંધી સંસ્થાઓ પણ તેના માટે એટલી જ જવબદાર છે. ગાંધી સંસ્થાઓના કર્તાહર્તા પોતાની સંસ્થામાં બેસી રહ્યા. તેમણે માની લીધુ> કે કોઈને ગાંધી સમજવો છે, તો આપણી પાસે આવશે. પણ ગાંધી કોઈ સંસ્થાનો નહોતો. ગાંધી તો વિશ્વમાનવ છે; તેને વાંચવા કરતાં તેને જીવવો પડે તો જ ગાંધી સમજાય. પણ ગાંધી સંસ્થાઓ પણ પોતાના વ્યકિતગત રાજકારણમાં અટવાઈ ગઈ અને ગાંધી ભુલાતો ગયો.
આવી સ્થિતિમાં પણ ગાંધીને ભૂલવો અથવા ગાંધીને સામાન્યથી દૂર કરવો સહેલો નથી, કારણ હું જે યુવાન પોલીસ અધિકારીને મળ્યો અને મેં તેની અંદર રહેલા ગાંધીને જોયો, ત્યારે મને કાકાસાહેબ કાલેલકરે ગાંધીજી માટે કહેલું વાક્ય યાદ આવ્યું કે ગાંધીજી સામેની વ્યકિતમાં રહેલી સારપને ઓળખી શકતા હતા, અને તેની સારપને જગાડી શકતા હતા. આવી સારપ દરેક નાની મોટી વ્યકિતમાં છે, કોણ શુ કરે છે અને કેવો છે તેની પળોજળમાં પડ્યા કરતાં તેની અંદરની સારપને બહાર લાવવાનું કામ કરીએ તો પણ તે ગાંધીનું જ કામ કરે છે. કોઈ વ્યકિત રેસ્ટોરન્ટમાં વધેલું જમવાનું ગરીબો સુધી પહોંચાડે છે. કોઈ ગરીબ બાળકોને ભણાવે છે. કોઈ વૃદ્ધનો હાથ પકડી તેને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. તો કોઈ પોલીસ પાણીમાં ફસાયેલાં બાળકોની મદદે પહોંચે તો મારા મતે આ બધા જ ગાંધી છે. ગાંધી આજે પણ આપણામાં જીવે છે. આવતીકાલે પણ જીવશે. તમે જ્યારે બીજાને મદદ કરતી વ્યકિતને જુઓ ત્યારે તેને સલામ કરજો કારણ તેની અંદર પણ એક ગાંધી છે.
પ્રગટ : “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2019; “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2019