[અનુવાદકની નોંધ : આનંદ પટવર્ધન લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યને લગતી બહુ મહત્ત્વની દસ્તાવેજી ફિલ્મોના સર્જક તરીકે દુનિયાભરમાં જાણીતા છે. ગયાં પિસ્તાળીસ વર્ષથી તેઓ ધર્મનું રાજકારણ, અનેક પ્રકારની વિષમતા, અને વિનાશને ભોગે વિકાસ, એ વિષયોના અનેક પાસાં પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવતા રહ્યા છે. સેન્સર બોર્ડની સામે તે સર્વોચ્ચ અદાલત સુધી લડત આપીને એક કરતાં વધુ વખત જીત્યા છે. આનંદે “સ્ક્રૉલ” નામના વેબપોર્ટલ પર, એકવીસમી જાન્યુઆરીએ, મૂકેલા ‘ધે કૉલ અસ ઍન્ટિ-નૅશનલ’ નામના મૂળ અંગ્રેજી લખાણનો અનુવાદ અહીં રજૂ કર્યો છે. તેની પ્રસ્તુતતાની છણાવટ કરવાની ભાગ્યે જ જરૂર છે.]
એ લોકોના મોટાભાગના પૂર્વસૂરિઓ અને પ્રવર્તકો, કહેવાતી ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિના હતા, તેમને સત્તા અને આધિપત્ય આપનારી સંસ્કૃિતમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી.
તેમણે દેશના મુખ્ય પ્રવાહમાં ધર્મનિરપેક્ષ રીતે ચાલેલા સ્વતંત્રતા આંદોલનનો વિરોધ કર્યો, અને સાથે વીસમીની શરૂઆતથી જ લોકોને ધર્મને આધારે એકઠા કરવાની શરૂઆત કરી.
હિટલર માટેની તેમની ચાહના જગજાહેર હતી. એ લોકો એમ પણ કહેતા કે લઘુમતી લોકો સાથે કામ પાડવાની નાઝીઓની જે રીત હતી તેને અનુસરવાથી ફાયદો થશે.
તેમના ટોચના ત્રણ દુ:શ્મનો એટલે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સામ્યવાદીઓ.
હિન્દુ-મુસલમાન ક્યારે ય એક થઇ રહી ન શકે એવી દલીલ સાથે તેમણે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો પ્રસાર કર્યો, તેમના જ પ્રતિબિંબ સમા મુસ્લિમ લીગે પણ એમ જ કર્યું.
મુસ્લિમ લીગની સાથે રહીને તેમણે ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં અંગ્રેજોનો સાથ આપ્યો. દેશના ભાગલા વખતે મુસ્લિમ લીગની જેમ એ લોકોએ પણ અસાધારણ ખૂનામરકી કરાવી.
તેમણે તિરંગાનો ઇન્કાર કરીને ૧૯૪૭માં સ્વાતંત્ર્ય દિવસના પરોઢે ફક્ત પોતાનો ભગવો ધ્વજ જ ફરકાવ્યો.
તેમણે ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા કરી અને મીઠાઈ વહેંચી.
તેમણે ૧૯૫૦માં ભારતીય સંવિધાન વિરુદ્ધ ઝેર ઓક્યું અને સંવિધાન સામે મનુસ્મૃિત તરફ પસંદગી દર્શાવી.
એ લોકોએ ૧૯૫૧માં કાયદા પ્રધાન ડૉ. આંબેડકરના હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો. તે બિલમાં હિન્દુ મહિલાઓ માટે પુરુષોના અધિકારોને સમાન અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આંબેડકરે કટુતાપૂર્વક રાજીનામું આપી દીધું. આથી બાબાસાહેબે નક્કી કરેલા તરત પછીના, સમાન નાગરિક ધારા(કૉમન સિવિલ કોડ)નો મુસદ્દો ઘડવાના ધ્યેયનું કામ અધૂરું રહ્યું.
તેમણે ૧૯૫૬માં ડૉ. આંબેડકરની સાથે, જાતિવાદ તળે કચડાતા હિન્દુ ધર્મને છોડીને જાતિ વિહીન બૌદ્ધ ધર્મ અપનાવનાર સહુનો વિરોધ કર્યો.
દલિતો વિરુદ્ધના સતત ક્રૂર અત્યાચારો પછી પણ તેમણે જાતિ વ્યવસ્થાને પ્રતિષ્ઠિત કરનારા ‘પવિત્ર’ ધાર્મિક ગ્રંથો સામે કોઈ પણ સવાલ ઉઠાવવાનો વિરોધ કર્યો . વળી તેમનો ધર્મ આ પૃથ્વી પરનો સહુથી સહિષ્ણુ ધર્મ છે એવો દાવો-દેખાડો પણ તેમણે ચાલુ જ રાખ્યો છે.
કાશ્મીરમાં ૩૭૦ની કલમ, જે એ વિસ્તારને કેટલીક સ્વાયત્તતા આપે છે, એના તેમણે કરેલા ભયંકર વિરોધના પરિણામે ત્યાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યું.
ચૂંટણીમાં લાભ મેળવવા ૧૯૮૭માં રાજસ્થાનમાં સતી બનવાની ઘટનાનું તેમણે મહિમાગાન કર્યું. તેમણે દલિતો અને અન્ય છેવાડાના લોકોને મળતી અનામતની નીતિનો જોરદાર વિરોધ કર્યો. અલબત્ત, આ વિરોધ તેનાથી થનારા ચૂંટણીલક્ષી નુકસાનનો ખ્યાલ આવ્યો ત્યાં સુધી જ ચાલ્યો.
તેમણે ૧૯૯૨માં બાબરી મસ્જીદ તોડી પાડી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની નાજૂક એકતાને નષ્ટ કરી નાખી. તેમણે આદિવાસીઓના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરનાર ખ્રિસ્તીઓને નિશાન બનાવીને મારી નાખ્યા.
૧૯૮૮માં તેમણે અણુબોમ્બને પ્રોત્સાહન આપ્યું, એટલે સુધી કે તેમને અણુ અખતરાનું મંદિરેય બનાવવું હતું. એ લોકો અણુ બોમ્બનો શસ્ત્ર તરીકે જોતા થયા, એટલે પાકિસ્તાન સાથે અણુશસ્ત્રોની હરીફાઈની શરૂઆત થઈ. આખો ય ઉપખંડ અણુ વિનાશને આરે મૂકાઈ ગયો .
આઝાદી પછી અગણિત કોમી રમખાણો કર્યા બાદ ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના સામૂહિક સંહારની શરૂઆત કરી. તે પછી મુઝફ્ફરનગર અને અન્ય જગ્યાએ ચૂંટણીલક્ષી અનિવાર્યતાને કારણે તેમણે જ્યાં, જેવી જરૂર પડી તેવા રમખાણો કરાવ્યાં.
તેમણે તીસ્તા સેતલવાડ અને તેમની ટુકડીના વ્હિસલ બ્લોઅર્સ વિરુદ્ધ શોધ-શિકાર ઝુંબેશનો આરંભ કર્યો, એટલા માટે કે એ જૂથે રમખાણો પછી તેમની ન્યાય વ્યવસ્થાએ હિંસાચારીઓ માટે સર્જેલી ભયમુક્ત સ્થિતિને પડકારી હતી.
તેમણે ગોવા, થાણે, માલેગાંવ, સમઝૌતા એક્સપ્રેસ, મક્કા મસ્જીદ અને અન્ય સ્થાનો પર આતંકવાદી હુમલા અને બૉમ્બધડાકા કર્યા અને તેનો દોષ તેમણે મુસ્લિમો પર થોપવાની કોશિશ કરી. પણ બહાદુર પોલીસ અધિકારી હેમંત કરકરેને કારણે તેઓ ખુલ્લા પડી ગયા .
તેમણે ૨૦૧૩ બાદ ત્રણ પ્રસિદ્ધ રૅશનાલિસ્ટો સહિતના અનેક અજાણ્યા બૌદ્ધિકોની હત્યા કરી તેમ જ ઘણાને ધમકીઓ આપી.
આજે તેઓ અને બિલાડીના ટોપની માફક વધી રહેલા તેમના સાગરિતો દેશભરના ગામડાંના વિસ્તારોમાં ગૌમાંસ પ્રતિબંધ અને લવ જિહાદના નામે લઘુમતીઓ પર હુમલો કરવા માટે દક્ષતા જૂથોને હથિયારો ચલાવવાની તાલીમ આપી રહ્યા છે.
તેમના યુવામોરચા દેશભરના શિક્ષણ સંકુલોમાં ભય ફેલાવી રહ્યા છે. સેક્યુલર, લોકશાહી, ગાંધીવાદી, ડાબેરી અથવા આ બંધા વિચારોનો સમન્વય ધરાવતાં વિદ્યાર્થી સંગઠનોનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. જેમના વિચારો તેમની સત્તાને પડકારે એવા હરિફ જૂથો અને વ્યક્તિઓને તે લોકો બદનામ કરે છે અથવા તેમની પર હિંસક હુમલા કરે છે. તેમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સંદીપ પાંડેથી લઇ કબીર કલા મંચના શીતલ સાઠે, ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇ ન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના, ચેન્નાઈના આંબેડકર-પેરિયાર ગ્રુપના અને હૈદરાબાદના આંબેડકર વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થાય છે.
મધ્યયુગીન પછાત માનસ સાથે મુક્ત બજારવાદી આર્થિક મૉડેલની ભેળવણી સાથેની તેમની વિચારધારા દેશનાં સાર્વભૌમત્વ અને કુદરતી સંપત્તિને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે કરી રહી છે. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આધુનિક અવતાર છે.
તેમનો બિલકુલ તાજો શિકાર રોહિત વેમુલા છે. તે સમાજમાં હજારો વર્ષથી કચડાયેલા વર્ગનો છે. એ લોકો રોહિત વેમુલાને રાષ્ટ્ર વિરોધી કહે છે.
(અનુવાદક ઉમેરે છે : … અને હવે, એ લોકો, મુક્ત વિચારના સ્થાન સમી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના જુદી રીતે વિચારતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાષ્ટ્ર વિરોધી કહે છે.)
અંગ્રેજીમાંથી અનુવાદ: પાર્થ ત્રિવેદી, અનુસ્નાતક વિદ્યાર્થી, સમાજકાર્ય વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
27 માર્ચ 2016
+++++++