દેશ અને દેશભક્તિની સર્વોચ્ચ કસોટી પક્ષ કે સાંસ્કૃિતક સંગઠન પ્રત્યે નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે
દેશપ્રેમ બદમાશોનો છેલ્લો આશરો છે, એવું અત્યંત જાણીતું અવતરણ જાણે કોઇએ ભારતના ભવિષ્ય તરીકે કહ્યું હોય એવું અત્યારે લાગે છે. આટલું વાંચીને ‘બદમાશ એટલે શું?’, ‘કોણ બદમાશ ને કોણ દેશભક્ત એ કેવી રીતે નક્કી થાય?’ આવા સવાલ ઊભા થઈ શકે. ઉશ્કેરણીભર્યા પ્રચારનો માહોલ પણ એવો છે કે ભલભલાના દિમાગનો કાંટો હાલી જાય.
‘એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકો પર હુમલા કરી રહ્યું હોય ને આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા હોય, ત્યારે પાકિસ્તાની કલાકારો મુંબઈની ફિલ્મોમાં કેવી રીતે કામ કરી શકે?’ આવું તોફાન થોડા વખતથી ચાલે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને તેમાંથી અલગ પડેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)નો આ જ ધંધો છેઃ પોતાના રાજકીય હિતને (અને હવે તો પોતાનું અસ્તિત્ત્વ પુરવાર કરવાના ઉધામાને) હિંદુહિત અને દેશહિતના વાઘા પહેરાવીને રજૂ કરવું.
આ ચર્ચામાં આગળ જતાં પહેલાં કેટલાક સાદા સવાલઃ માથે ત્રિરંગો બાંધીને કે ‘ભારતમાતા કી જય’નાં સૂત્રો પોકારીને બૅન્ક લૂંટવામાં આવે, તો એને ‘રાષ્ટ્રવાદી લૂંટ’ કહેવાય? હાથમાં ત્રિરંગો લઈને સરેઆમ ધાકધમકી આપતા – ખંડણી લેતા ને મારામારી કરનારા ‘દેશપ્રેમી’ ગણાય? જેમનો જવાબ ‘હા’ હોય, તેમણે ‘દેશપ્રેમી’ કે ‘રાષ્ટ્રવાદી’ તરીકે પોરસાવાને બદલે, પોતપોતાને માફક આવે એવા રાજકીય પક્ષમાં વેળાસર ભરતી થઈ જવું. કારણ આ દેશપ્રેમ નહીં, અનિષ્ટપ્રેમ છે અને આવા લોકોને બે હાથ પહોળા કરીને આવકારે એવા પક્ષો આપણે ત્યાં છે જ.
‘દેશભક્તિના નામે આવું તો થતું હશે? ઊલટું આવું કરવાથી ત્રિરંગાનું અને દેશનું અપમાન થાય’ એવું સમજતા ધોરણસરના લોકો માટે વધુ સવાલઃ દેશપ્રેમના નામે અને પાકિસ્તાનના વિરોધના નામે પોતાના દેશવાસીઓ સામે ધિક્કારઝુંબેશ ફેલાવવી, તેમને ધાકધમકીઓ આપવી, તેમની ફિલ્મો અટકાવવી એ બધું શી રીતે ‘દેશભક્તિ’ કહેવાય? એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને પાકિસ્તાની કલાકારો ધરાવતી ત્રણ ફિલ્મોના નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ત્યાં બેઠક કરી. ત્યાં એવું ‘રાષ્ટ્રવાદી’ સમાધાન થયું કે એ નિર્માતાઓ સૈન્ય રાહતફંડમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવે, ફિલ્મની શરૂઆતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપે અને ભવિષ્યમાં કોઈ પાકિસ્તાની કલાકારને કામ ન આપવાની બાંહેધરી આપે તો જ તેમની ફિલ્મો રજૂ થશે, નહીંતર ‘મનસે’ના ‘દેશભક્તિના ઠેકેદારો’ થિયેટરોમાં તોડફોડથી માંડીને કંઇક તોફાન કરશે.
કોઈ એ તો કહે કે દેશ એટલે શું અથવા કોણ? અને દેશભક્તિની ખંડણીઓ, ભલે સૈન્યના નામે, પણ કોણ ઉઘરાવી રહ્યું છે? જે નેતાઓ ક્યારેક ગુજરાતના, ક્યારેક બિહારના, તો ક્યારેક ઉત્તર પ્રદેશના ભારતીયોને મહારાષ્ટ્રમાંથી તગેડી મૂકવાની હાકલો કરે છે, મન પડે ત્યારે તેમની વિરુદ્ધ ધિક્કારઝુંબેશો ચલાવે છે, એ શિવસેના-મનસે કયા મોઢે દેશની અને દેશપ્રેમની વાતો કરી શકે? એમનો સઘળો દેશપ્રેમ બીજાના સગવડિયા વિરોધ તરીકે જ કેમ વ્યક્ત થાય છે? કારણ સીધું છે ઃ તેમનું રાજકારણ આટલાં વર્ષોથી આવાં તોફાનના જોરે ચાલ્યું છે. એ ચાલ્યું છે, તેના કરતાં વધારે ચિંતાજનક વાત એ છે કે તેને ચાલવા દેવાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીથી માંડીને દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી સુધીના સૌ દેશભક્તિના નામે ચાલતી ગુંડાગીરીનો વિરોધ કરે તો પણ કેવી રીતે? એ બધાં પણ આ જ પાણીનાં માછલાં છે ને એ અહીં સુધી પહોંચ્યા એમાં આવી તરકીબોનો ફાળો ઓછો નથી.
પાકિસ્તાની કલાકારોએ ભારતીય ફિલ્મોમાં કામ કરવું જોઇએ કે નહીં, એ વ્યાવસાયિક પરિબળો દ્વારા નક્કી થાય તો ઉત્તમ. છતાં, બન્ને દેશો વચ્ચે તનાવભરી સ્થિતિ હોય ત્યારે જો કોઈ નિર્ણય લે તો એ ભારતની સરકાર લઈ શકે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શાણપણ ઉચ્ચારતા હોય ને મહારાષ્ટ્રમાં આવી કાંડામરોડ ચાલતી હોય, ત્યારે તેને કેવળ સંયોગ ગણીને આગળ વધી જવાનું? કે પછી ‘અમારે આ જ કરવું છે, પણ હવે સત્તામાં આવ્યા એટલે ખુલ્લેઆમ કરી શકતા નથી, પણ છીએ તમારી સાથે જ.’ એવી માનસિકતાની અભિવ્યક્તિ ગણવાની? સૈન્યમાંથી કેટલાક સૂર ઊઠ્યા છે કે ભાઈ, અમને તમારા રાજકારણમાં ન નાખો.
એવા અવાજ સત્તાધારી ભા.જ.પ.માંથી ઊઠવા જોઇતા હતા. કારણ કે તેમને તો સૈન્યની બહુ વધારે પડી છે. (ભલે સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે નોકરી દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોના પેન્શમાં ધરખમ ઘટાડો કરી દીધો હોય.) પરંતુ રાજ ઠાકરે ટાઇપના લોકો આવી ધોરાજી હંકારે ત્યારે પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી સરકારો મોઢામાં મગ ભરીને બેસી રહે છે અથવા સ્થિતપ્રજ્ઞતાથી શાણપણવચનો ઉચ્ચારીને આડું જોઈ જાય છે. તેમને એ ખબર પડતી નથી કે ખરો દેશદ્રોહ પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવામાં નહીં, પણ દેશભક્તિના નામે ગુંડાગીરી ચલાવવામાં ને ચાલવા દેવામાં છે.
દેશ અને દેશભક્તિ એ કોઈ રાજકીય પક્ષની બાપીકી જાગીર નથી. કોઈનો તેના પર અધિકાર નથી. દેશ અને દેશભક્તિની આખરી અને સર્વોચ્ચ કસોટી દેશના નેતાઓ કે રાજકીય પક્ષો કે રિમોટ કન્ટ્રોલ સાંસ્કૃિતક સંગઠનો પ્રત્યેની નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે. દેશના બંધારણને માન આપ્યા વિના દેશભક્તિના દાવા કરે તેવા દેશભક્તોથી અને તેમની આરતી ઉતારનારાઓથી ચેતવું. જે લોકો પોતાના સ્વાર્થ માટે દેશભક્તિને વટાવી ખાય તે કોઈ પણ હદે જઈ શકે.
બાળ ઠાકરેએ મુંબઈમાં એકહથ્થુ રાજ ચલાવ્યું. લતા મંગેશકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેંડુલકરો બાળ ઠાકરેના દરબારમાં હાજરી આપવાના સ્વરૂપે મુંબઈમાં રહેવાની ખંડણી ભરી આવતાં હતાં. પણ તેમની ગુંડાગીરી સામે એક શબ્દ બોલતાં આ મહાનુભાવોની જીભ ઝલાઈ જતી હતી. કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ઠાકરેને મોકળું મેદાન આપ્યું અને પછી બોટલમાંથી બહાર નીકળેલા જીનને પાછો બોટલમાં પુરવાની તેમનામાં હામ ન રહી. ઠાકરે હોય કે તેમના અનુગામીઓ, તેમના વિરોધનું કોઈ ધોરણ નથી. તેમને પોતાની સત્તા (ન્યૂસન્સ વેલ્યૂ) પર સત્તાવાર મંજૂરીની મહોર ખપે છે. કમનસીબી એ છે કે ફિલ્મવાળા કે બીજા ધંધાદારીઓ તો ઠીક, ચૂંટાયેલી સરકારો પણ સક્રિયતાથી કે નિષ્ક્રિયતાથી આવી મહોર મારી આપે છે.
લેખના આરંભે બદમાશીની અને દેશભક્તિની વ્યાખ્યાની વાત કરી હતી. મનમાં પક્ષકારણનાં જાળાં ન બાઝ્યાં હોય તો આ બન્ને વચ્ચે કશો સમજફેર થાય એમ નથી. બન્ને વચ્ચે ભેદરેખા પાતળી નહીં, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા કરતાં વધારે સ્પષ્ટ છે. દેશના બંધારણને આદર આપનારા, તેનો ભંગ નહીં કરનારા અને તેનો ભંગ કરે તેમનો વિરોધ કરનારા દેશના સાચા નાગરિકો છે. તેમને બીજા લોકો પાસેથી ‘દેશપ્રેમી’ તરીકેના બિલ્લાની જરૂર નથી. દેશપ્રેમના દાવા કરીને દેશના નાગરિકોને રંજાડનારા અને કાયદો હાથમાં લેનારા દેશના સાચા દ્રોહી છે. પાકિસ્તાન તો સરહદ પર નડે છે. આ લોકો આપણી વચ્ચે રહીને, દેશના-નાગરિકત્વના-બંધારણના પોતને અને સરવાળે દેશને નબળો પાડે છે.
સૌજન્ય : ‘ગુંડાગીરીની સામે’, “દિવ્ય ભાસ્કર”, 25 અૉક્ટોબર 2016