પુસ્તક પરિચય
‘નવસારી પ્રાંતની કાળીપરજ’ પુસ્તક દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયો પરનો 1901માં પ્રસિદ્ધ થયેલો અ-પૂર્વ સંશોધનગ્રંથ છે, જે ગુજરાત ખેતવિકાસ પરિષદે તાજેતરમાં ફરીથી પ્રસિદ્ધ કર્યો છે.
લેખક પ્રેમાનંદ ધોળીદાસ પટેલે (1868-1938) વિષય પ્રત્યેના સમગ્રતાલક્ષી અભિગમ, સમાજ વિજ્ઞાનની ઊંડી સમજ અને બહોળા ક્ષેત્રકાર્યથી આ ગ્રંથ સિદ્ધ કર્યો છે.
પ્રેમાનંદ એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા(1863-1939)ના શાસન હેઠળના વડોદરા રાજ્યના નવસારી જિલ્લામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા.
સવાસો વર્ષ પહેલાં ટાંચા સંસાધનો વચ્ચે પણ એકઠી કરેલી માહિતીના જંગમ રાશિથી અચંબો આપતાં ગ્રંથ અંગે પ્રેમાનંદ ‘ઉપોદઘાત’માં નોંધે છે : ‘આ પુસ્તક લખીને હું દુનિયામાં કોઈ નવીન તત્ત્વને જ્ન્મ આપતો નથી; પરંતુ જંગલમાંના અજ્ઞાન લોકોમાં જે રીતરિવાજ વગેરે છે તેનો કાંઇક ચિતાર આપવા માગું છું. એટલે કાળીપરજને ઘરેઘરે રઝળી-રખડીને તથા ડુંગરોમાં આથડીને મેં જે હકીકત ભેગી કરી છે તે વિદ્વાનોને સમીપ રજૂ કરું છું.’
પુસ્તકના પહેલા પ્રકરણમાં લેખક ‘કાળીપરજની જાતો’ની આ મુજબની યાદી તેમની વસ્તી સંખ્યા સહિત આપે છે : ભીલ, ગામીત, દુબળા, ચોધરા, ઢોડિયા, નાયકા, કુકણા, વસાવા, વાલરી, કોટવાલિયા અને કાથુડીઆ.
ત્રણસો સાઠ પાનાંમાં વિસ્તરેલા નવ પ્રકરણો આ ગ્રંથનો આરંભ આદિવાસી સમુદાયોના એકંદર ઇતિહાસથી થાય છે. ત્યાર બાદ દરેક સમૂહના રિવાજ પર અલગ પર પ્રકરણો છે.
ભાષા પરના પ્રકરણોમાં વ્યાકરણ ઉપરાંત ગીતો, સમજૂતી સાથે મૂકાયેલી ‘વાતો’, ઉપરાંત ‘ગાળો’ અને ‘સમ ખાવાની રીત’નો સમાવેશ થાય છે. વળી ‘ત્રીજી ચોપડીના પાઠ 15માંનું તેમની પાંચ ભાષામાં’ ભાષાંતર પણ વાંચવા મળે છે. લેખકે મૌખિક પરંપરાનું સાહિત્ય ચીવટથી નોંધી લીધું હોવાનું ધ્યાનમાં આવે છે.
‘સામાન્ય હકીકત’ નામનાં ત્રણ પ્રકરણોમાંથી સાતમામાં ઘર ,ગામ, ધંધા-વ્યવસાયની માહિતી ઉપરાંત ‘જંગલીપણું’ અને ‘ગરીબાઇનો ખોરાક’ એવાં પેટામથાળાં છે. તેના પછીનામાં શરીરરચના-રોગ-દવા-ભગત દ્વારા ઇલાજને લગતી રસપ્રદ સામગ્રી છે.
ધર્મ, તહેવાર, નાચ, ઘરેણાં, હથિયારોની વિગતોને સંશોધકે આવરી લીધી છે. ‘સ્ત્રીસ્વાતંત્ર્ય’ મથાળા નીચે રસપ્રદ ટૂંકી નોંધ છે. સ્વભાવ તથા ટેવોનાં વિવરણ ઉપરાંત રમતોની માહિતી નવમા પ્રકરણના ધ્યાનપાત્ર મુદ્દા છે. આખરી પ્રકરણ ‘કાળીપરજનું ભવિષ્ય’ છે.
પુસ્તકના પ્રસ્તુત પુન:મુદ્રણનું સંપાદન ઇતિહાસના અધ્યાપકો અરુણ વાઘેલા અને સી.સી. ચૌધરીએ કર્યું છે. સંપાદકો પાસેથી પુસ્તકના અંતે સૂચિની અપેક્ષા રહે છે.
પ્રસ્તાવનામાં અરુણ વાઘેલા પુસ્તકના સવિસ્તાર પરિચયને અંતે ‘આજે પણ આ ગ્રંથનો કોઈ વિકલ્પ નથી’ એમ જણાવીને તેનું ‘દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો જ્ઞાનકોશ’ તરીકે ગૌરવ કરે છે.
પ્રકાશકીયના આરંભે સંસ્થાના વડાની એક મોટી તસવીર અને અને છેલ્લા આવરણ પર બે સંપાદકોના નાના ફોટા સિવાય અન્ય કોઈ દૃશ્ય સામગ્રી પુસ્તકમાં નથી.
————–
નવસારી પ્રાન્તની કાળીપરજ, લેખક : પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, સંપાદકો : અરુણ વાઘેલા, સી.સી. ચૌધરી • પ્રકાશક : ગુજરાત ખેતવિકાસ પરિષદ, ગાંધી આશ્રમ નજીક, અમદાવાદ. • ફોન/ઇ-મેઇલ : જણાવેલો નથી • વિતરક : શ્રીજી હાઉસ, એમ.જે. લાઇબ્રેરી પાસે, અમદાવાદ • ફોન/ઇ-મેઇલ : જણાવેલો નથી • પાનાં : 400. • રૂ.325/-
07 નવેમ્બર 2023
[‘દિવ્ય ભાસ્કર’ માં 5 નવેમ્બરે આવેલા મારા લેખમાંથી એક પુસ્તક વિશેનો હિસ્સો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર