આજકાલ મનોજ બાજપાઈ અભિનીત ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ ચર્ચામાં છે. ચર્ચાનું એક કારણ ખુદ બાજપાઈ છે, જેણે રાજસ્થાનની જોધપુર કોર્ટના એક વકીલ, પી.સી. સોલંકી, તરીકે દમદાર અભિનય કર્યો છે. બીજું કારણ કહાનીનો કોર્ટરૂમ ડ્રામા છે. આપણે ત્યાં થોડા વખતથી રિયાલિસ્ટિક ફિલ્મોમાં દર્શકો અને ફિલ્મ સર્જકોનો રસ વધ્યો છે, એટલે અસલી ઘટનાઓ પર ફિલ્મો બની રહી છે. સ્વાભાવિક રીતે જ, એના વિષયો ખૂન-બળાત્કારના સમાચારો આસપાસ ફરે છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં પણ વાર્તાનો વિષય આસારામ બાપુ સામે જાતીય શોષણના આરોપો અને કોર્ટમાં તેમને દોષી ઠેરવવાનો છે.
ખાસ તો, તેમાં કોર્ટરૂમની કાયદાકીય આંટીઘૂંટીઓને વાસ્તવિક રીતે રજૂ કરવાનો જે પ્રયાસ થયો છે તે દર્શકો માટે એક નવીન અનુભવ છે. બોલિવૂડમાં, કોર્ટરૂમ ડ્રામાવાળી ફિલ્મોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જેમ કે, 1960માં બલદેવ રાજ ચોપરાએ ‘કાનૂન’ ફિલ્મ બનાવી હતી. જેમાં એક એવા જજ(અશોક કુમાર)ની વાર્તા હતી, જે તેમની જ કોર્ટના વકીલ અને ભાવિ જમાઈ(રાજેન્દ્ર કુમાર)ની નજરમાં ખૂન કેસના સંદિગ્ધ આરોપી બની જાય છે.
ચોપરાના જ લઘુ બંધુ યશ ચોપરાએ 1965માં ‘વક્ત’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ આમ તો નાનપણમાં છૂટા પડી ગયેલા પરિવારની હતી, પણ તેનો અંત કોર્ટમાં હત્યાના એક ખટલામાં આવે છે. કાયદા આંધળો છે અને તેને કેવી રીતે સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી શકાય છે તેવા ઉત્તેજક વિષય સાથે 1983માં દક્ષિણના નિર્દેશક ટી. રામારાવે અમિતાભ, રજનીકાંત અને હેમા માલિનીની સાથે ‘અંધા કાનૂન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં અમિતાભનું અંતિમ કોર્ટરૂમ દૃશ્ય યાદગાર છે અને કંઇક અંશે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં બાજપાઈના અંતિમ કોર્ટરૂમ દૃશ્યની પ્રેરણા બન્યું હતું.
એ સંદર્ભમાં, 1993માં આવેલી રાજકુમાર સંતોષીની ‘દામિની’ ફિલ્મ તેના સાહસિક વિષય અને કોર્ટરૂમ ડ્રામાને લઈને સીમાચિન્હરૂપ છે. ‘દામિની’ નોંધપાત્ર ફિલ્મ એટલા માટે છે કારણ કે એક તરફ તેમાં બળાત્કારનો સામાજિક મુદ્દો હતો અને બીજી તરફ તેનું કાયદાકીય પાસું હતું. કરુણતા એ હતી એ બંને મોરચે પીડિતાની મદદગાર દામિની ગુપ્તા(મીનાક્ષી શેષાદ્રી)ને સહન કરવાનું આવે છે.
સમાજ-પરિવાર અને કાયદાના હાથે પરેશાન દામિનીની એ વિવશતાને ઘાટી કરવા માટે જ, રાજકુમાર સંતોષીએ એન્ટી-થિસિસ રૂપે એડવોકેટ ગોવિંદ શ્રીવાસ્તવ(સની દેઓલ)નું પાત્ર સરજ્યું હતું, જે દામિનીને ન્યાય તો અપાવે છે, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી દર્શકોને સમાજનાં બેવડાં ધોરણો અને કાયદાની રુક્ષતા અંગે વિચાર કરવા મજબૂર કરે છે. ગોવિંદનો એ આક્રોશભર્યો સંવાદ ‘તારીખ પે તારીખ’ અને ‘યે ઢાઈ કિલો કા હાથ’ આજે પણ એટલો જ યાદગાર છે. ફિલ્મોના દમદાર કોર્ટરૂમ ડ્રામાની જો યાદી બંને, તો ‘દામિની’માં ગોવિંદની કોર્ટની પેશી સૌથી ઉપર હોય.
રાજકુમાર સંતોષીએ ફિલ્મમાં ચાર મહત્ત્વના મુદ્દા ઊભા કર્યા હતા.
1. ભારતીય કોર્ટોમાં બળાત્કારના કેસો બહુ લાંબા અને અસંવેદનશીલ રીતે ચાલે છે
2. સમાજમાં બળાત્કારને લઈને બેવડાં ધોરણો છે. તેમાં પીડિતાને જ અપરાધી માનવામાં આવે છે.
3. સમાજ અને કોર્ટની વ્યવસ્થા એવી છે કે સત્ય બોલવાનું મુશ્કેલ બની જાય છે.
4. ન્યાય અને સત્તા અમીર અને ગરીબ વચ્ચે તફાવત કરે છે.
ફિલ્મની નાયિકા, દામિની, સચ્ચાઈ અને સરળતાનું પ્રતિક છે. પરિવારની સમસ્યાઓ હોય, સાર્વજનિક મુદ્દાઓ હોય કે અંગત બાબતો હોય, દામિની નિષ્કપટ જીવન જીવવામાં માને છે અને ઈચ્છે છે કે તેની આસપાસ જે લોકો છે તે પણ એવું જ જીવે. તેની એ નિર્દોષતાના કારણે જ એક અમીર બિઝનેસમેન શેખર ગુપ્તા (ઋષિ કપૂર) તેના તરફ આકર્ષાય છે અને તેની સાથે લગ્ન કરે છે. વિડંબના કેવી કે દામિનીનો એ ગુણ જ પાછળથી તેમની વચ્ચે અણબનાવનું નિમિત્ત બને છે.
ફિલ્મની વાર્તા બહુ જાણીતી છે : શેખરનો ભાઈ અને તેના દોસ્તો હોળીની મજા-મસ્તીમાં કામવાળી ઊર્મિ (પ્રજકતા કુલકર્ણી) પર બળાત્કાર કરે છે. દામિની અને તેનો પતિ આ અપરાધના ચશ્મ-દીદ ગવાહ છે. દામિની ઊર્મિને મદદ કરવા માંગે છે પણ તેનાં અમીર સાસરિયાં ઈજ્જત બચાવવા માટે તેને રોકે છે. એમાં તેને ઘર-પરિવાર છોડવો પડે છે.
દામિની ગુપ્તા પરિવારના લોકોના અપરાધબોધ હેઠળ જીવી શકતી નથી અને બેબસ હાલતમાં એક શરાબી વકીલ ગોવિંદના શરણે જાય છે. ગોવિંદ, જે કાયદા અને વકાલતની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સારી પેઠે જાણે છે, તે દામિનીનો હાથ થામે છે અને અમીર લોકોના બેરિસ્ટર ઇન્દ્રજીત ચઢ્ઢા(અમરીશ પૂરી)નો સામનો કરવા માટે તૈયાર થાય છે. એ પછી કાનૂની આંટીઘૂંટીઓ ચાલુ થાય છે અને બળાત્કારના કેસોમાં લોકો કહેતાં હોય છે તેમ, કોર્ટમાં ઊર્મિ પર ‘બીજો બળાત્કાર’ શરૂ થાય છે.
‘દામિની’ એક તરફ ભારતની અસંવેદનશીલ કોર્ટ વ્યવસ્થાની ટીકા કરે છે, તો બીજી તરફ મહિલા સશક્તિકરણનું સમર્થન કરે છે. એક સીધી-સાદી અને ભોળી દામિની કેવી રીતે પુરુષપ્રધાન સમાજમાં અકસ્માતે નારી અધિકારની રખેવાળ બની જાય છે તે રસપ્રદ છે. એમાં એક દૃશ્ય નોંધપાત્ર છે. દામિની જે રીતે તેનાં સાસરિયાંના ફરમાનનું ઉલ્લંઘન કરે છે અને પરિવારની વહુની ફરજો ‘ભૂલી’ને પારકી સ્ત્રીને ન્યાય અપાવાનો ઝંડો પકડે છે, તે જોઇને ભડકેલો ચઢ્ઢા ગુપ્તા પરિવારને ‘આશ્વાસન’ આપે છે કે, “મૈં દામિની કો દુસરી ઔરતો કે લિયે કભી ભી મિસાલ બનને નહીં દુંગા.” એટલે જ તે દામિનીને પાગલ ઠેરવાની કોશિશ કરે છે. વાત તો બરાબર છે. પુરુષના વર્ચસ્વવાળા સમાજમાં જે સ્ત્રી પોતાની સ્વતંત્રતા બતાવે તે પાગલ જ કહેવાય.
90ના દાયકામાં જ્યારે રોમેન્ટિક અને એક્શન ફિલ્મો ચાલતી હતી, ત્યારે રાજકુમાર સંતોષીએ બળાત્કારને લઈને સમાજ અને ન્યાયતંત્રના નિરાશાજનક અભિગમ પર એક નાયિકાપ્રધાન ફિલ્મ બનાવાનું સાહસ કર્યું હતું. ‘અર્ધ સત્ય’(1982)વાળા ગોવિંદ નિહલાનીના સહાયક તરીકે કામ કરનાર સંતોષીએ 1990માં સની દેઓલ અને મીનાક્ષી સાથે ‘ઘાયલ’ ફિલ્મથી નિર્દેશન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ‘દામિની’ની તેમની બીજી ફિલ્મ. એવું કહેવાય છે કે સંતોષીને ફિલ્મ બનાવાની સરખી તક મળતી ન હતી અને સનીએ જ તેમણે પહેલાં ‘ઘાયલ’ અને પછી ‘દામિની’માં ફાયનાન્સની વ્યવસ્થા કરી આપી હતી.
એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે, “ઘાયલ પછી મેં તેની સિકવલ બનાવીને પૈસા છાપ્યા હોત, પરંતુ દામિનીની વાર્તા મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે આ વાર્તા ઘણી પ્રાસંગિક છે. ઘણા લોકોએ મને સૂચન કર્યું હતું કે ફિલ્મમાં મીનાક્ષીની બહેન સાથે બળાત્કાર બતાવશો તો દર્શકોની સહાનુભૂતિ વધુ મળશે. મેં કહ્યું કે પોતાની મા કે બહેન માટે તો બધા લડે. મારે તો દામિનીને નોકરાણી માટે લડતી બતાવવી હતી અને તે નોકરાણી માટે તેના પતિ, સાસરિયાં અને બીજા બધા સાથે લડી પડે છે. મારે એવી નાયિકાનો દાખલો બેસાડવો હતો.”
અને મીનાક્ષીએ પણ દામિનીની એ ભૂમિકાને તેના નામ મુજબનો જ ન્યાય કર્યો હતો. દામિનીનો અર્થ થાય છે ‘વીજળી,’ અને ફિલ્મની નાયિકા વીજળી બનીને બધા પર એવી ત્રાટકી હતી કે આજે પણ તેના કડાકાભડકા સંભળાતા રહે છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 21 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર