Opinion Magazine
Number of visits: 9458056
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્માંધતાઃ સામાજિક સ્થિરતા અને શાંતિને પાંગળી કરવા રાજકરાણીઓને ગમતું શસ્ત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 May 2023

હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી

ચિરંતના ભટ્ટ

જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે દેશમાં માહોલ ભયંકર હતો. આ હકીકત નવી નથી, અજાણી નથી. કોમવાદ એક લોકશાહી રાષ્ટ્રને હચમચાવી શકે છે એ ખબર હોવા છતાં એને પૂરી રીતે દૂર રાખવાનું પણ શક્ય નથી. ઇતિહાસની એક વાસ્તવિકતા એ છે કે જ્યારે અંગ્રેજોના સંકજામાંથી ભારતને છોડાવવાનો હતો ત્યારે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બન્ને એમ માનતા હતા કે આ લોકોને અહીંથી કાઢવા હશે તો ભાગલા સ્વીકારવા સિવાય કોઇ બીજો રસ્તો નથી. 1947નો ભારત દેશ બહુ જુદા જ સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો અને 2023માં ભારત સાત દાયકાથી વધુ સમયથી આઝાદ દેશ હોવા છતાં કોમવાદની ગુલામીમાં લોકશાહીની પીઠે કોરડા ફટકારાઇ રહ્યા છે. ત્યારે પણ કટ્ટરવાદીઓએ કોમવાદની આગ પર પોતાની રોટલી શેકી હતી, પણ ત્યારે આપણા રાજકારણીઓની માનસિકતા તદ્દન જુદી હતી, તેમને સત્તાનો મોહ નહોતો પણ એક સ્થિર, સશક્ત રાષ્ટ્ર ખડું થાય તેમા રસ હતો. સરદાર પટેલે કંઇક આવા અર્થની વાત કરી હતી કે, “અમારો હેતુ લઘુમતીઓને કોઇ ચોક્કસ પદમાં બાંધી દઇ પ્રતિબદ્ધ કરી દેવાનો નથી. બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ખરા અર્થમાં રચાય તે બધાના જ હિતમાં છે અને માટે જ લઘુમતીએ પણ બહુમતીની નિષ્પક્ષતામાં વિશ્વાસ મૂકવો જોઇએ. લાંબા ગાળે એ ભૂલી જવું જ ઠીક રહેશે કે આ દેશમાં બહુમતી અને લઘુમતી જેવું કંઇ છે અને ભારતમાં માત્ર એક જ સમુદાય છે એ વાત મનમાં રાખવી.” સરદાર પટેલનું તોસ્તાન જેવું બાવલું બનાવનારાઓ સરદાર પટેલના આ વિચારોથી કદાચ અજાણ હશે અથવા તો તેમને સગવડિયો સ્મૃતિભ્રમ થયો હશે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની સમજને નેવે મૂકી દઇને હિંદુવાદનો દેકારો અત્યારે જે રીતે ચાલી રહ્યો છે,  તે ખરેખર ચિંતાજનક છે. વિવિધતામાં એકતાની વાતનો જ્યાં ગૌરવ લેવાતું હતું એ જ દેશમાં અત્યારે કોઇ જુદો જ સૂર આલાપાઇ રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં હવાનું પ્રદૂષણ તો વધ્યું જ છે પણ વૈચારિક ધુમ્મસે લોકોની સમજને રૂંધી છે, મર્યાદિત કરી દીધી છે. ભાગલા પડ્યા ત્યારે જે તંગ માહોલ હતો તે એક બહુ મોટા સ્થળાંતરને કારણે હતો. એ બદલાવનાં વર્ષોમાં પ્રગતિવાદી સાહિત્યકારો, પ્રગતિવાદી નાટ્યકારોનો અવાજ લોકો સુધી પહોંચવામાં કશું પણ આડે નહોતું આવતું. પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું એ એક ભાગલા અને આજે એક ધર્મના લોકો જ્યાં રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકોને ઘર ન મળે એ આપણા ઘર આંગણે થતા ભાગલા અને તેમાં સતત નાના નાના ટૂકડા થતા જ રહે છે. એક રાષ્ટ્રમાં અલગ અલગ ધર્મના ખાના બની રહ્યા છે, જેમાં ઝનૂન છે, ગુસ્સો છે, ધિક્કાર છે, બહુમતી ધર્મના વાદની સરમુખત્યારશાહી છે. ધર્મ આધારિત આતંકવાદનો ફેલાવો પણ એક સત્ય છે અને એ કારણે વૈશ્વિક રાજકારણમાં બહુ મોટા પરિવર્તન આવ્યા, ઇસ્લામોફોબિયા પણ ફેલાયો. પણ આતંકવાદને કોઇ ધર્મ નથી હોતો. વાડાબંધી સમાજમાં થાય ત્યારે આતંકીઓ નહીં પણ આમ આદમી પીસાતો હોય છે. ધર્મ કોઇ પણ હોય તેનો ઉપયોગ માનસિક શાંતિ માટે થવો જોઇએ, આતંક કે અરાજકતા ફેલાવવા નહીં.

વિશ્વના કોઇપણ દેશની માફક ભારત પણ અનેક બદલાવોમાંથી પસાર થયો છે. વૈદિક સંસ્કૃતિ, હૂણોનું અહીં આવવું, મુગલોનું દેશને પોતાનો કરીને રહેવું અને પછી અંગ્રેજોનો સામ્રાજ્યવાદ – આ બધામાંથી પસાર થયેલો દેશ વિખેરાયો, જોડાયો એવું ઘણું ય થયું. શાસકો બદલાયા અને રાજકીય પરિવર્તનના પ્રવાહોએ દેશને બદલવાનું ચાલુ રાખ્યું, ક્યાંક બધું ય એક તાંતણે બંધાયેલું રહેતું પણ આંતરિક વૈમનસ્યના રાજકારણે ભારતનો મિજાજ બદલ્યો છે. એક સમયે ધૂલ કા ફૂલ નામની ફિલ્મમાં ગીત આવતું, ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ – સાહિલ લુધિયાનવીના આ શબ્દોમાં ભારતની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની ઓળખ ઘૂંટાતી. હવે ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધી કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જાણે દર્શકોના મનમાં સૌહાર્દના નહીં, પણ ધિક્કારનાં બીજ વાવવાના સીધા અથવા આડકતરા પ્રયાસો થાય છે. સરદાર પટેલ અને નહેરુ જેવા નેતાઓએ લધુમતીને સલામતી આપી, વિશ્વાસ કેળવીને એક થવાની વાત કરી હતી, જ્યારે આજે શાસકોનો આડકતરો સૂર છે હિંદુવાદનો વાવટો ફરકાવો, બીજા ધર્મોને નીચા બતાડો. ધર્માંધતા વર્તમાન રાજકારણીઓને માટે જાણે હુકમનું પાનું છે. ધર્માંધતાની તલવાર ફરે ત્યારે સ્ટેન સ્વામી જેવા કેટલાયના જીવ હોમાય છે અને વિરોધ દર્શાવવા સાંતા ક્લોઝના પૂતળાં બાળવામાં આવે છે તો મસ્જિદની બહાર જય શ્રી રામની નારેબાજી પણ થાય છે. હિંદુત્વવાદીઓ પોતાને ભારતીય પરંપરાનો હિસ્સો ગણાવવા સજ્જન સંભાષણો પણ કરે છે પણ વાસ્તવિકતા તો એ છે કે હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી. ભારતીય ઉપખંડનો ઇતિહાસ સમૃદ્ધ છે પણ ભારતીય રાષ્ટ્રએ તો હજી હમણાં જ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે – આ બન્ને અંગે જેમને સ્પષ્ટતા નથી એ લોકોને જેણે તાજમહેલ બનાવડાવ્યો છે એ શાહજહાં સામે એવો વાંધો પડે છે કે એ દેશદ્રોહી હતો – પણ સવાલ એ થાય કે ભારતની એક રાષ્ટ્ર તરીકે રચના થઇ તેના ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલો આ બાદશાહએ કયા રાષ્ટ્રનો દ્રોહ કર્યો હશે, ભલા!?

વિવાદો, તોડફોડ, હિંસા અને બીજા ધર્મો કે ધર્મ ગુરુઓ પ્રત્યે અપમાનજક વિધાનો કરવા કંઇ નવી વાત નથી. ૧૯૨૪માં મહંમદ પૈયગંબર વિશે રાજ પાલે ઉર્દૂ ચોપાનિયા રંગીલા રસૂલમાં લખ્યું ત્યારે પણ વિવાદ થયો તો ૮૦ના દાયકામાં સલમાન રશ્દીના સેતાનિક વર્સિઝનો વિરોધ થયો અને ગયા વર્ષે લેખકે એક હુમલામાં એક આંખ ગુમાવી, તો ૨૦૦૮માં એમ.એફ. હુસૈનના પેઇન્ટિંગનો વિરોધ થયો હતો. બહુમતી ધર્માંધતાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય ધર્મ પ્રત્યેના, ખાસ કરીને મુસ્લિમ ધર્મ પ્રત્યેના ધિક્કારની ધાર કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું. લવ જિહાદ, ગૌહત્યા, ધર્માંતરણ જેવા મુદ્દે ‘લિંચિંગ’નો ભોગ બનેલા મુસલમાનોના ઘણા કિસ્સા છે. વળી સાવરકરના ચાહકોની પીઠ થાબડવાથી માંડીને ‘સિલેબસ’ બદલવાના ખેલ જેવું ઘણું બધું ચાલી રહ્યું છે. દરેક પક્ષનો પોતાનો એજન્ડા હોય છે અને એજન્ડાના ખેલમાં જીતવા માટે તેઓ માનવાધિકાર, લોકશાહી, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતા જેવી આપણા રાષ્ટ્રની ઓળખને કોમવાદની આગમાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હોમી દે છે.

બિનસાંપ્રદાયિક ભારતમાં ફેલાઇ રહેલી ધર્માંધતા ખતરાની ઘંટી છે. અગ્રણીઓ અને સશક્ત બહુમતીએ ધર્માંધતા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે પણ બહુમતીઓ જો વાદ અને ધર્મનો તફાવત સમજ્યા વિના રાજકારણીઓની વાતોના ચક્રવ્યૂહમાં ફસાશે તો તેઓ પોતાની સ્વતંત્રતા ક્યારે ગુમાવી બેસશે તે તેમને પોતાને પણ નહીં ખબર પડે. વર્તમાન શાસક પક્ષને ધર્માંધતાની બાજી ખેલવાનું ગમે છે પણ એનાથી રાષ્ટ્ર બૌદ્ધિક, આર્થિક, સામાજિક દૃષ્ટિએ પાંગળું બનશે એવું ભવિષ્ય તેમને કાં તો દેખાતું નથી અથવા તેમને તેની પરવા નથી. દરેક ધર્મના નાગરિકે પોતાના ધર્મનો દુરુપયોગ ન થાય, તે માનસિક શાંતિ માટે વપરાય ન કે વૈમન્યનું ઝેર ફેલાવવા તેની તકેદારી રાખવાની અંગત જવાબદારી લેવી જોઇએ.

ભારતના નાગરિક તરીકે સંપ અને પ્રેમથી રહેવાની ચાહ જો દર્શાવી શકીશું તો રાજકારણીઓ પાસે બીજા કોઇ રસ્તા નહીં બચે. સોશ્યલ મીડિયાથી સમાજમાં પ્રસરતા ધિક્કારને ધક્કો મારી વાસ્તવિકતામાં ઐક્ય દેખાડવાની હિંમત ભારતીયોએ કરવી પડશે.

તાજેતરમાં એક્ટર આશુતોષ રાણાએ કરેલું એક કાવ્યપઠન વાઇરલ થયું છે, એમાંથી પણ આપણે કંઇ શીખીશું – સમજીશું તો લેખે લાગશે …

બાંટ દિયા ઇસ ધરતી કો, ચાંદ સિતારો કા ક્યા હોગા?

નદિયોં કે કુછ નામ રખે, બહતી ધારોં કા ક્યા હોગા?

શિવ કી ગંગા ભી પાની હૈ, આબે ઝમઝમ ભી પાની,

મુલ્લા ભી પિએ, પંડિત ભી પિએ, પાની કા મઝબહ ક્યા હોગા?

ઇન ફિરકાપરસ્તોં સે પૂછો ક્યા સૂરજ અલગ બનાઓગે?
એક હવા મેં સાસ હૈં સબ કી, ક્યા હવા ભી નઇ ચલાઓગે?

નસ્લોં કા કરેં જો બંટવારા, રહબહ વો કૌમ કા ઢોંગી હૈ,

ક્યા ખુદા ને મંદિર તોડા થા યા રામ ને મસ્જિદ તોડી હૈ?

બાય ધી વેઃ

‘ધી કેરલા સ્ટોરી’ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ થઇ જેમાં ધર્માંતરણનો ભોગ બનેલી ૨૬ છોકરીઓ જેમને ફરી પાછી હિંદુ ધર્મમાં લવાઇ છે તેમને પણ હાજર રખાઇ. આ ‘ઇવેન્ટ’માં જે પણ વાત થઇ એમાં વારંવાર આર્ષ વિદ્યા સમાજમ્‌ નામના સનાતન ધર્મ શીખવતા આશ્રમની તરફેણમાં વાત કરાઇ, ત્યાં ડોનેશન આપવાની અપીલ પણ કરાઇ કારણ કે તે આશ્રમ ધર્માંતરણના ચુંગાલમાં ફસાયેલા લોકોને પોતાના ધર્મ તરફ પાછા વાળે છે. આ જ આશ્રમ ભૂતકાળમાં વિવાદમાં સપડાઇ ચૂક્યો છે કારણ કે પોતાની ઇચ્છાથી કોઇ બીજા ધર્મમાં – ખ્રિસ્તી કે મુસલમાન ધર્મમાં પરણેલી છોકરીઓને અહીં બળજબરીથી લવાતી હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઇ ચૂકી છે. જે છોકરીએ ફરિયાદ નોંધાવી હતી તેણે પોલીસને એમ કહ્યું હતું કે અહીં બીજા ધર્મમાં શું બૂરું છે એ વિશે જ વાત કરવામાં આવે છે, તેમની પર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રખાય છે, વાતો રેકોર્ડ કરાય છે, જાજરૂ જાય તો દરવાજા બંધ કરવાની છૂટ નથી અપાતી અને આટલું ઓછું હોય તેમ છોકરીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી તેઓ ડરીને જ બીજા ધર્મના સાથી સાથે છેડા ફાડી નાખે. આ પણ ‘ધી કેરલા સ્ટોરી પાર્ટ – ૨’ બની શકે. જો તમે ‘ધી કેરલા સ્ટોરી’ જોઇ હોય તો સુધીર મિશ્રાએ બનાવેલી ફિલ્મ ‘અફવા’ જોવાનું પણ ચૂકતા નહીં, ઘણું બધું સમજી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023

Loading

છે ને ટાઈટ સ્પોટ ? માથાભરેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2023

રમેશ ઓઝા

નવ વર્ષમાં પહેલીવાર નરેદ્ર મોદીની સરકાર અંગ્રેજી શબ્દપ્રયોગ વાપરીએ તો ટાઇટ સ્પોટમાં મૂકાઈ ગઈ છે. ડાબે કે જમણે કે આગળ કે પાછળ એક ઈંચ પણ ખસવામાં જોખમ છે. નરેંદ્ર મોદી મનોરથ સેવે છે કે તેઓ વિશ્વનાં એક મહત્ત્વના નેતાનું સ્થાન પામે. આર્થિક અને જાગતિક સિક્યુરિટીનાં સમીકરણો જોતાં એ શક્ય પણ છે, પરંતુ એ ભારતનાં કારણે. સાત દાયકા પહેલાં જે સ્થિતિ હતી એનાથી ઊલટી સ્થિતિ છે. ત્યારે વિશ્વ રાજકારણમાં જવાહરાલ નેહરુનો અંગત દબદબો હતો, ભારત તો મદદ કરવી પડે એવો ગરીબ દેશ હતો. આજે ભારતનો ખપ છે એટલે વડા પ્રધાન માટે વિશ્વ રાજકારણમાં સ્થાન મેળવવું સહેલું છે.

પણ સમસ્યા એવી જટિલ છે કે કયો રસ્તો અપનાવવો એ સમજાતું નથી. એક તો રશિયા અને ચીન વચ્ચે ધરી રચાઈ નથી રહી, રચાઈ ચૂકી છે. ભારત ચીનથી રક્ષણ મેળવવા રશિયાનો હાથ ઝાલવા માગે છે પણ રશિયાએ અમેરિકા અને નાટો દેશોથી બચવા ચીનનો હાથ ઝાલી લીધો છે. દેખીતી રીતે રશિયા ચીનની ધરીમાં ભારત સ્થાન ન પામી શકે. આ બાજુ ચીને ભારતની ભૂમિ ઉપર કબજો કર્યો છે અને સરકાર ઊંહ કે આંહ કરતી નથી. ગોદી મીડિયા લોકોનું ઘ્યાન બીજે દોરે એનો અર્થ એવો નથી કે જગતને ભારતની સંકડામણની જાણ નથી. લદાખમાં ૬૭માંથી ૨૪ થાણાં ચીને ભારત પાસેથી છીનવી લીધાં છે એની કબૂલાત સરકારે હમણાં કરવી પડી હતી. આનો અર્થ એ થયો કે ભારતીય લશ્કર ભારતનાં કબજા હેઠળની ભૂમિમાં પેટ્રોલિંગ કરી શકતું નથી. અરુણાચલ પ્રદેશમાં પણ ચીન આવીને બેઠું છે. ચીને એક પક્ષીય રીતે અરુણાચલ પ્રદેશનું અને તેનાં સ્થાનોનાં નામ બદલી નાખ્યાં છે. ભારત અને ચીન વચ્ચે ૧૮ રાઉન્ડની ચર્ચા પછી પણ કાંઈ નિષ્પન્ન થયું નથી. બે દેશના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન વચ્ચે પણ વાટાઘાટો થઈ છે પણ ચીન ટસનું મસ થતું નથી.

ભારત પાસે વિકલ્પ બચે છે અમેરિકા અને પશ્ચિમના દેશોનો. જપાન અને ઓસ્ટ્રેલિયાનો. પણ આ બધા દેશો ભારતથી ભૌગોલિક રીતે દૂર છે. જો યુક્રેન યુરોપનો હિસ્સો હોવા છતાં અને નાટોનું સભ્ય હોવા છતાં જોઈએ એવી મદદ ન મળે તો ચીન સામે ભારતને શું મદદ મળવાની! આ સિવાય અમેરિકા ભરોસાપાત્ર નથી. અમેરિકા ચીન સામે ભારતનો ઉપયોગ કરવા માગે છે. આમ અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશોની પાંખમાં બેસવાથી ફાયદો થશે જ તેની કોઈ ખાતરી નથી.

હવે આ પાછા લોકશાહી દેશો. તેની પાંખમાં જવાથી ફાયદો થશે કે નહીં એની કોઇ ગેરંટી નહીં પણ એ દેશો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ રાખે છે. વર્ગમાં તોફાન કરવાનું નથી. માનમર્યાદા જાળવીને વર્તવાનું છે. શિસ્ત જાળવી રાખવાની છે. તોફાનો કરવાનાં નથી. અને આ બધું કર્યા પછી ફાયદો શું થશે? ભગવાન જાણે.

એક તરફ ચીન અને રશિયાની ધરી, બીજી તરફ ભારતની ભૂમિ ઉપર ચીનનો કબજો અને ચીનની દાદાગીરી, ત્રીજી તરફ બિનભરોસાપાત્ર અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશો, પાંચમી તરફ એ લોકશાહી દેશોનો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ.

પણ લોકતાંત્રિક માન મર્યાદા જાળવે તો ઘર આંગણે વિરોધનો સામનો કરવો પડે અને કોઈ વિરોધી જોઈતો નથી. લોકોને જવાબ આપવો પડે અને કોઇને જવાબ આપવો નથી. લોકતાંત્રિક સંસ્થાઓનું ગળું રુંધ્યા વિના તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેવી પડે અને એ પરવડે એમ નથી. આખરે વિરોધીઓને અને વિરોધપક્ષોને ખતમ કરીને એકપક્ષીય શાસન લાદવું છે. પ્રતિપક્ષોને ચૂંટણી લડવામાં એક સમાન તક (લેવલ પ્લેયિંગ ફિલ્ડ) આપવી પડે અને એ આપવી નથી. નાગરિકોના અધિકારોનો આદર કરવો પડે અને એ કરવો નથી. વખતે સત્તા ગુમાવવી પડે અને એ ગુમાવવી નથી. એમાં વળી કર્ણાટકનાં પરિણામો ધક્કાદાયક આવ્યાં. રાહુલ ગાંધીની ઈમેજ સુધરી છે, કાઁગ્રેસની તાકાત વધી રહી છે, કાઁગ્રેસમાંથી જે જવા માગતા હતા એ જતા રહ્યા છે, વિરોધ પક્ષો સામૂહિક રણનીતિ બનાવી રહ્યા છે અને ઉપરથી નાગરિક સમાજ લોકશાહી તેમ જ સહિયારા ભારતને બચાવવા મેદાનમાં ઉતર્યો છે. ટૂંકમાં સ્થિતિ એવી પ્રતિકૂળ બની રહી છે કે હજુ વધુ માથાભારે થવું પડે એમ છે.

માથાભારે થવાથી ઘર આંગણે અઢળક સત્તાકીય ફાયદાઓ છે પણ વિશ્વનેતા બનવામાં તે બાધારૂપ છે. ચીન સામે લોકશાહી દેશોનો ટેકો જોઈતો હોય તો તેમાં માથાભારેપણું બાધારૂપ છે. ચીન અને રશિયા નામના બે માથાભારે દેશોએ ધરી રચી લીધી છે એટલે ત્યાં જગ્યા નથી. જ્યાં સ્વાભાવિક જગ્યા હોવી જોઈએ ત્યાં જગ્યા નથી.

તો કરવું શું? રસ્તો જડતો નથી. આને કહેવાય ટાઇટ સ્પોટ. બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો અને બી.બી.સી.ની ઑફિસો પર રેઇડ પાડી તો એનાં પડઘા બ્રિટનમાં સંસદમાં પડ્યા. ‘ગાર્ડિયન’ નામનાં લંડનના અખબારે નરેંદ્ર મોદીની સરખામણી પુતિન સાથે કરી. પુતિન ઇન મેકિંગ. અમેરિકાના ગૃહ મંત્રાલયે બહાર પાડેલા વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતનાં વર્તમાન શાસકો લઘુમતિ કોમના વિરોધી છે, લઘુમતિ કોમ સાથે ભેદભાવ કરે છે, સતાવે છે અને લઘુમતિ કોમના લોકોની કતલેઆમ (માસ કિલિંગ) થાય એવી શક્યતા પણ છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૬૧મું સ્થાન ધરાવે છે. ગામનાં ઉતાર હોવાની ખ્યાતિ ધરાવતા દેશો કરતાં પણ પાછળ. જગતભરના મીડિયા નરેંદ્ર મોદીને તાનાશાહ અથવા બની રહેલા તાનાશાહ તરીકે ઓળખાવી રહ્યા છે. એમાં આવતા સપ્ટેમ્બર મહિનામાં ભારત ‘જી ૨૦’ દેશોની શિખર પરિષદનું યજમાન બનવાનું છે. સપ્ટેમ્બર મહિનો હવે દૂર પણ નથી. નરેંદ્ર મોદી ઇચ્છે છે કે ‘જી ૨૦’માં તેમનાં ઓવારણાં લેવાય પણ ઓવારણા લેવડાવવા હોય તો મર્યાદામાં રહેવું પડે. બીજી બાજુ આ વરસમાં ત્રણ મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આવતાં વરસે લોકસભાની. મર્યાદામાં રહેવું પોસાય એમ નથી. સભ્યતા એ લોકોને પોસાય જે પરાજય સ્વીકારવા તૈયાર હોય.

છે ને ટાઇટ સ્પોટ? માથાભારેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે. ઘર આંગણે કોઈ પણ સંજોગોમાં સત્તા ગુમાવવી નથી એટલે માથાભારે બનવું જરૂરી છે અને ચીન સામે વિશ્વદેશોનો ટેકો જોઈતો હોય અને જગતમાં પ્રતિષ્ઠા રળવી હોય તો માન મર્યાદા જાળવનાર ડાહ્યા બનવું પડે.

આના એક ઉપાય તરીકે કિરણ રીજીજુની પાસેથી કાયદા મંત્રાલય આંચકી લેવામાં આવ્યું કારણ કે તેઓ સર્વોચ્ચ અદાલત અને ન્યાયતંત્ર સાથે બાખડતા હતા. જગતમાં ઊહાપોહ મચ્યો કે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે. પણ આટલું પૂરતું નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—197

દીપક મહેતા|Opinion - Opinion|20 May 2023

ઢબુના સિક્કા : સાપ તો ગયા, લીસોટા ય ન રહ્યા!

ભીંડી બજારમાં ભીંડા વેચાતા નહોતા!

મુંબઈમાં આઝાદીની લડતનું કેન્દ્ર હતું કાઁગ્રેસ હાઉસ  

ભાષા અને જીવન એકબીજા સાથે સતત સંકળાયેલાં રહે છે. જેવું જીવન તેવી ભાષા. એટલે જીવન બદલાય તેમ તેમ ભાષા પણ બદલાતી રહે. એટલે કેટલાયે શબ્દો એવા છે જે હવે માત્ર શબ્દકોશમાં જીવે છે. આવો એક શબ્દ છે ઢબુ. જ્યારે રૂપિયા, આના, પાઈનું ચલણ હતું ત્યારે એક સિક્કો ઢબુનો હતો. આ ઢબુ એટલે અડધો આનો. કેટલાક તેને ‘બેવડિયું કાવડિયું’ પણ કહેતા. છેક ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતથી તેનું સત્તાવાર નામ હતું ‘અડધો આનો. શા માટે એની તો ખબર નથી, પણ મૂરખ, બેવકૂફ માણસ માટે પણ આ ‘ઢબુ’ શબ્દ વપરાતો. દીપકભાઈ તો સાવ ઢબુ જેવા છે એમ કોઈ કહે તો એનો અર્થ એ કે એ ભાઈ તો સાવ મૂરખ છે. હા, શાણા, સમજુ વાચકો તો માથું ખંજવાળતા હશે કે આજે મુંબઈની વાતોમાં આ ઢબુ ક્યાંથી ટપકી પડ્યો? 

બે કારણ : એક, ઢબુનો આ સિક્કો મુંબઈમાં સારો એવો પ્રચલિત હતો, એક જમાનામાં. આ લખનાર ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે ‘સ્કૂલમાં વાપરવા માટે’ (એ વખતે ‘પોકેટ મની’ શબ્દો અજાણ્યા) તેને રોજના ચાર આના (આજના ૨૫ પૈસા) મળતા. બાર વરસની ઉંમર સુધી ટ્રામમાં અડધી ટિકિટ એટલે કે અડધો આનો. એટલે આવતાં-જતાં એક એક ઢબુ, મતલબ કે કુલ એક આનો ટ્રામનો. બપોરની રિસેસમાં અંબુભાઈની કેન્ટિનમાંથી નાસ્તાની એક પ્લેટ બે આનામાં લેવાની. આખા અઠવાડિયાનું મેનુ પહેલેથી ફિક્સ. રોજની એક આઈટમ બને : બટેટા વડા, ઉપમા, ઇટલી, ભેળ, વગેરે. સેન્ડવિચ રોજ મળે. ચા-કોફી માત્ર શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે નહિ. આજે એ ન્યૂ ઈરા સ્કૂલ નથી રહી.

કંપની સરકારનો ઢબુ, ૧૮૩૫

ગણિતમાં પાવરધા વાચકોના મનમાં થતું હશે : કુલ ત્રણ આના વપરાયા. ચોથો આનો ક્યાં ગયો? એ ચોથો આનો તો મળતો ઈમરજન્સીમાં વાપરવા માટે. અને ઈમરજન્સી કાંઈ રોજ રોજ આવે નહીં, એટલે મોટે ભાગે ચોથો આનો સાંજે પાછો આપી દેવાનો! પણ પછી આવી ૧૯૫૭ના વરસના એપ્રિલની પહેલી તારીખ. રૂપિયા, આના, પાઈ ગયાં અને આવ્યા ‘નવા પૈસા.’ ધીમે ધીમે આના-પાઈ ઘસાતાં ગયાં. પછી બંધ થયાં. ઢબુ ને પાવલી જેવા શબ્દો ભૂલાતા ગયા. પણ કવિ નર્મદે ગાયું હતું તેમ ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

પણ આજે આ ઢબુભાઈએ ઢબુજીને યાદ કર્યા એનું બીજું કારણ? બીજું કારણ એ કે આપણા આ મુંબઈમાં એક જમાનામાં ‘ઢબુ સ્ટ્રીટ’ હતી! એ વખતના ગ્રાન્ટ રોડથી અર્સકિન રોડ સુધી જતા રસ્તાનું નામ હતું ઢબુ સ્ટ્રીટ! પણ આ’ઢબુ’ તે કોઈ સિક્કો નહીં, પણ માણસ. અસલ નામ બાબા સાહેબ ઢબુ સ્ટ્રીટ. આ બાબા સાહેબ હતા કોંકણી મુસ્લિમ, અને એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીનના એ હતા માલિક. આ સ્ટ્રીટ હતી ભીંડી બજાર વિસ્તારનો એક ભાગ. આ વિસ્તાર હતો આજે જેને આપણે ‘લેબર કેમ્પ’ કહીએ તેવો. ૧૮૫૦ના અરસામાં મુંબઈમાં ઠેકઠેકાણે નવાં બાંધકામ શરૂ થયાં. તેને માટે મજૂરો લાવ્યા મુંબઈ બહારથી. એમને રહેવા માટે સરકારે અહીં ખાસ મકાનો બાંધ્યાં. એ વખતે મુંબઈમાં પૈસો ઊભરાતો હતો.

પણ પછી ૧૮૬૫માં અમેરિકન સિવિલ વોર પૂરી થતાં રૂ કહેતાં કોટનની નિકાસ તળિયે ગઈ, કેટલીયે ખાનગી બેંકો રાતોરાત ભાંગી. નાણાંની ભરતી હતી ત્યાં એકાએક ઓટ આવી. બહારથી આવેલા મજૂરો પોતપોતાને ‘દેશ’ પાછા ગયા. ભીંડી બજારનાં ખાલી પડેલાં મકાનો સરકારે ખાનગી માલિકોને વેચી નાખ્યાં, લગભગ પાણીના ભાવે. નવા મકાન માલિકોએ પોતાનાં મકાન ‘પાઘડી’ પદ્ધતિથી ભાડે આપ્યાં. હવે આ વિસ્તારનું ‘રિડેવલપમેન્ટ’ શરૂ થયું છે, પણ ગોકળગાયની ગતિએ ચાલે છે. ભીંડી બજાર વિસ્તારના કેટલાક રસ્તાનાં અસલ નામ હતાં સૈફી જ્યુબિલી સ્ટ્રીટ, ખારા તળાવ રોડ, પાકમોડિયા સ્ટ્રીટ, ઝૈનાબિયા રોડ, વગેરે.

ભેન્ડીનાં ફૂલ

અંગ્રેજીમાં લેડીઝ ફિંગર કે ઓકરા, ગુજરાતીમાં ભીંડા, હિન્દીમાં ભીંડી, મરાઠીમાં ભેંડી. સુજ્ઞ વાચક, તમે પૂછશો : તે શું એક જમાનામાં અહી ઢગલાબંધ ભીંડા થતા હતા કે વેચાતા હતા?  ના હોં. આ વિસ્તારમાં નહોતી ભીંડાની વાડીઓ, કે નહોતા ઢગલાબંધ ભીંડા વેચતી દુકાનો. તો? આ વિસ્તારના નામને ભીંડા નામના શાક સાથે સ્નાન-સૂતકનો ય સંબંધ નથી. તો? અહીં ભેન્ડી નામનાં પુષ્કળ ઝાડ ઊગેલાં હતાં એક જમાનામાં. એ ઝાડનું શાસ્ત્રીય નામ Hibiscus populnea. પીળા રંગનાં મોટાં ફૂલ. દરિયા કિનારે વધુ જોવા મળે. હા જી. તમે પૂછશો કે આ વિસ્તારમાં તે વળી દરિયો ક્યાં આવ્યો? પણ આ આજની વાત નથી. ૧૯મી સદીની છે. પાયધુની સુધી ખાડીનાં પાણી હતાં. ઓટને વખતે લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર ચાલીને જઈ શકતા. એ ખાડીને કિનારે આવાં પુષ્કળ ઝાડ. એટલે આ વિસ્તારનું નામ પડ્યું ભીંડી બજાર. આ ઝાડને ‘ઇન્ડિયન ટુલિપ’ પણ કહે છે.

જેમ દરિયાની રુખ બદલતી રહે છે, હવાની રુખ બદલતી રહે છે, એમ રસ્તાઓની પણ રુખ બદલતી રહે છે. એવા એક રસ્તાની થોડી વાત. ૧૯૧૩ના મે મહિનાની પહેલી તારીખે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના માનવંતા સભ્યોની બેઠક મળી છે. રોજિંદું કામ પૂરું થયા પછી કમિશનર પી.આર. કેડલ ઊભા થાય છે. માનવંતા સભ્યોને સંબોધીને કહે છે : ક્વીન્સ રોડના છેડાથી ગિલ્બર્ટ સ્ટ્રીટ સુધીનો સરસ મજાનો, પહોળો રસ્તો બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે તૈયાર કર્યો છે. અગાઉના બે રસ્તા ઓલ્ડ ડિપો લેન અને ચૂના ભટ્ટી સ્ટ્રીટને સાંકળી લઈને આ નવો નક્કોર રોડ તૈયાર થયો છે. મુંબઈ શહેરના વિકાસમાં આ રસ્તો એક મહત્ત્વના માઈલ સ્ટોન જેવો બની રહેશે. રસ્તો તો તૈયાર છે, પણ તેને હજી નામ આપવાનું બાકી છે. આથી હું દરખાસ્ત રજૂ કરું છું કે આ નવા રસ્તાને લેમિંગ્ટન રોડ એવું નામ આપવામાં આવે. ખાસ તો એટલા માટે કે તેઓ નામદારને મુંબઈના રસ્તાઓ પર ફરવાની ટેવ હતી. એ વખતે તેઓ રસ્તાઓની હાલત કેવી છે એનું નિરીક્ષણ કરતા અને જ્યાં જરૂર લાગે ત્યાં સાથેના અમલદારોને રસ્તાની હાલત સુધારવા હુકમ પણ આપતા. (આઝાદી પછી આપણો કોઈ ગવર્નર આ રીતે મુંબઈન રસ્તાઓની હાલત જોવા નીકળ્યો હશે?) આ દરખાસ્તને સર ફિરોઝશાહ મહેતાએ વિધિવત રજૂ કરી હતી જે સર્વાનુમતે પસાર થઈ હતી.

લોર્ડ લેમિંગ્ટન

આ લોર્ડ લેમિંગ્ટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૨મી તારીખથી ૧૯૦૭ના જુલાઈની ૨૭મી સુધી મુંબઈના ગવર્નરના પદે રહ્યા હતા. ૧૯૪૦ના માર્ચની ૧૩મી તારીખે સ્વાતંત્ર્ય સૈનિક ઉધમ સિંહે લંડનના કેકસ્ટન હોલ ખાતે અંધાધુંધ ગોળીબાર કર્યો ત્યારે જે ચાર અંગ્રેજો તેનો ભોગ બન્યા તેમાંના એક હતા લોર્ડ લેમિંગ્ટન. આ ગોળીબારમાં હિન્દુસ્તાનના માજી લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયરનું તત્કાલ મૃત્યુ થયું. જ્યારે બાકીના ત્રણને ઓછીવધતી ઈજાઓ થઈ હતી. સ્કોટલેન્ડના લેન્કશાયર ખાતે આવેલા લેમિંગ્ટન હાઉસ ખાતે લોર્ડ સાહેબનું અવસાન ૧૯૪૦ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે થયું હતું.

એક જમાનામાં આ લેમિંગ્ટન રોડ મુંબઈની શાન જેવો હતો. એક બાજુ ધમધમતાં થિયેટરો. ટિકિટ ખરીદવા માટેની લાંબી લાઈનો. થિયેટરની બહાર બે-ચાર આનામાં વેચાતી ફિલ્મનાં ગીતોની ‘ચોપડી.’ તો બીજી બાજુ અંગ્રેજી અને મરાઠી પુસ્તકોની દુકાનો. લેમિંગ્ટન રોડની એક ગલીમાં આવેલું ‘કાઁગ્રેસ હાઉસ.’ લોકમાન્ય ટીળકના અવસાન પછી ગાંધીજીના નેતૃત્વ નીચે કાઁગ્રેસે ‘ટીળક સ્વરાજ્ય ફંડ’ શરૂ કર્યું હતું. તેમાં સૌથી વધુ ફાળો મુંબઈના લોકોએ આપ્યો હતો. આ ફાળાની રકમમાંથી કાઁગ્રેસ હાઉસનું મકાન ખરીદાયું હતું. ૧૯૨૫ના માર્ચની ૨૬મી તારીખે લગભગ ૪૦૦ જેટલા દેશપ્રેમીઓની હાજરીમાં ગાંધીજીએ કાઁગ્રેસનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કાઁગ્રેસ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતીમાં કરેલા ટૂંકા પ્રવચનમાં તેમણે રાષ્ટ્રધ્વજની આન, બાન, અને શાન ગમે તે ભોગે જાળવવા લોકોને અપીલ કરી હતી.

કાઁગ્રેસ હાઉસમાં સભાને સંબોધતા ગાંધીજી

ઉદ્ઘાટન પછી એ જ સ્થળે મહિલાઓની સભાને ગાંધીજીએ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રીય સ્ત્રી સભા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે ૨૦૦ સ્ત્રીઓ હાજર હતી. પ્રમુખપદે હતાં સરોજિની નાયડુ. ગાંધીજીએ પોતાના ભાષણમાં ચરખો અને ખાદીને અપનાવવા બહેનોને અપીલ કરી હતી. બહેનોએ રોજ અડધો કલાક દેશસેવાના કોઈને કોઈ કામને આપવો જોઈએ એમ ગાંધીજીએ ભાષણમાં કહ્યું હતું.

૧૯૩૦માં ‘નમક કા કાનૂન તોડ દિયા’ ચળવળની મુંબઈની શરૂઆત કાઁગ્રેસ હાઉસથી જ થઈ હતી. લગભગ બે હજાર લોકો અહીં એકઠા થયા હતા અને સરઘસ કાઢ્યું હતું. લેમિંગ્ટન રોડ, સેન્ડહર્સ્ટ રોડ, ગિરગામ બેક રોડ, ભૂલેશ્વર, કાલબાદેવી રોડ, મમ્માદેવી રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગિરગામ રોડ થઈને તે કાઁગ્રસ હાઉસ પાછું ફર્યું હતું. બીજે દિવસે, સાતમી એપ્રિલે સવારે અહીંથી દસ સત્યાગ્રહીઓ હોર્નબી વેલાર્ડ જવા નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. કે.એફ. નરીમાનની આગેવાની નીચે દસ સત્યાગ્રહી અહીંથી રવાના થયા હતા. ચાર સ્વયંસેવકો દરિયાનું પાણી લઈ આવ્યા અને કમલાદેવી ચટોપાધ્યાય અને અવંતિકાબાઈ ગોખલેએ કોલસાની સગડી પર પાણી ગરમ કરી મીઠું પકવ્યું હતું. એટલું જ નહિ, કાઁગ્રેસ હાઉસની અગાસી પર કામચલાઉ અગર બનાવીને આઠમી એપ્રિલે મીઠું પકવવામાં આવ્યું જેને અનેક દેશપ્રેમીઓએ મોંમાગ્યા દામે ખરીદ્યું. જો કે દસમી તારીખે પોલીસે ધાડ પાડીને અગાસીમાં તૈયાર કરેલા અગરની તોડફોડ કરીને કેટલાક નેતાઓની ધરપકડ કરી હતી. … પણ વખત જતાં આ વિસ્તાર પરના ત્રિરંગાની જગ્યાએ ‘રેડ લાઈટ’ની બોલબાલા થઈ ગઈ! એટલે જ તો કહ્યું છે ને કે: 

સમય સમય બલવાન હૈ, નહિ પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.

હવે? આવતે શનિવારે એક નવું ધનુષ, નવું બાણ!

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 20 મે 2023

Loading

...102030...9989991,0001,001...1,0101,0201,030...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved