Opinion Magazine
Number of visits: 9666999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના ગ્રંથપાલો અને ગ્રંથાલયોનો પહેલવહેલો વિસ્તૃત માહિતી સંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 September 2023

પુસ્તક પરિચય

‘ગુજરાતનાં ગરવાં ગ્રંથાલયીઓ અને ગ્રંથપાલો’ પુસ્તક ગ્રંથાલય ક્ષેત્રે એના પ્રકારનો પહેલવહેલો માહિતીસંગ્રહ છે. તેમાં એક સદીના સમયગાળાના દિવંગત તેમ જ હયાત એવા  કુલ 91  ગ્રંથપાલ (લાઇબ્રેરિયન્સ)ના ‘જીવનવૃત્ત અને પ્રદાન’ અંગે વાંચવા મળે છે.

ગ્રંથાલયી શબ્દ ગ્રંથપાલ માટેનો શ્રેષ્ઠતાસૂચક સમાનાર્થી છે. આ શબ્દ ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાન(લાઇબ્રેરી સયાન્સ)ના આદ્ય પ્રવર્તક શિયાલી રંગનાથને (1892-1972) ગ્રંથપાલના પાંચ મૂળભૂત કર્તવ્યો જણાવ્યા છે તેને લગતો છે. ગ્રંથપાલના કર્તવ્યોને લગતી ‘પંચસૂત્રી’નું પહેલું ચરણ છે :  ग्रंथालयी सदासेवी पंचसूत्री परायण.

જો કે સંપાદકની માન્યતા મુજબ ‘ગ્રંથપાલના હોદ્દાને ગ્રંથાલયી તરીકે સંબોધવાનો શ્રેય મોહનદાસ પટેલને જાય છે.’ તેઓ એમ પણ લખે છે કે ‘ગ્રંથાલય ક્ષેત્રે જે રીતે ડૉ. રંગનાથનનો એક યુગ હતો, એ રીતે ગુજરાતમાં મોહનદાસ પટેલનો પણ ગ્રંથાલય ક્ષેત્રે યુગ હતો.’

પુસ્તકના એક હિસ્સામાં એવા ગ્રંથાલયો કે ગ્રંથસંગ્રહો વિશેના લેખો છે કે જેમાંથી કેટલાંકમાં હજારેક વર્ષ પ્રાચીન વાચનસામગ્રી છે. અહીં એ પણ જાણવા મળે છે સો વર્ષ કે તેથી વધુ સમયથી ચાલી રહ્યા હોય તેવાં વીસથી વધારે જાહેર ગ્રંથાલયો ગુજરાતમાં છે. તેમાંથી ઘણાં ટ્રસ્ટ કે સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ચાલે છે, અને તેમને સરકારી  સહાય બિલકુલ નથી, અથવા નજીવી છે.

ગુજરાતભરમાં જાણીતા સતત ઉદ્યમશીલ વરિષ્ઠ ગ્રંથાલયી મણિભાઈ પ્રજાપતિ સંપાદિત 688 પાનાંના આ મોટા કદના પુસ્તકનું પેટાશીર્ષક ‘શ્રી કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન ગ્રંથ’ છે. અત્યારે 70 વર્ષના કિરણચન્દ્ર પાલનપુરની બી.એડ. કૉલેજના 39 વર્ષ સુધી ગ્રંથપાલ હતા. તેમનું ગુણકિર્તન કરતા દસ લેખો પુસ્તકનો પહેલો ભાગ બનાવે છે.

તેના લેખકોએ કિરણચન્દ્રનું ‘વાંચતા વંચાવતા’ ‘સહૃદયી અને પ્રતિબદ્ધ’ ‘સમર્થ ગ્રંથપાલ’ તરીકે ગૌરવ કર્યું છે. અભિવાદન નિમિત્તે, જે ગ્રંથાલયવિદો વિશે અહીં લખાયું છે તેમની પસંદગી પાછળનાં ધોરણો અને પુસ્તકના સ્વરૂપનું વિવરણ સંપાદકીયમાં છે :

‘અહીં સમાવિષ્ટ ગ્રંથાલયવિદોની પસંદગી માટે કોઈ ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ સંપાદકના પરિચયમાં આવેલા ગ્રંથાલય વ્યાવસાયિકો કે જેમની ગ્રંથાલયી તરીકેની માનવીય સંવેદનશીલતા અને મદદરૂપ થવાની ભાવના અસાધારણ રહી હોય, જેમનું ગ્રંથાલયિત્વ સ્પર્શી ગયું હોય, તેમ જ જેમના ગ્રંથાલયિત્વ અને પ્રદાન સંદર્ભે સાંભળવામાં આવ્યું હોય તે પૈકી કેટલાંક વિશે ચરિત્રલેખન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’ સંપાદક એક સ્પષ્ટતા પણ કરે છે : ‘અહીં ફક્ત ગુજરાતના મૂળ નિવાસી ગ્રંથાલય વ્યાવસાયિકોનાં ચરિત્રચિત્રણો સમાવિષ્ટ છે. બીજા શબ્દોમાં કહું તો અન્ય રાજ્યોનાં મૂળ નિવાસી કે જેમની જન્મભૂમિ ગુજરાત રહી છે તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.’

ગ્રંથાલયવિજ્ઞાનના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો કે ચાહકોને આ પુસ્તકમાંથી પસાર થતા આ ક્ષેત્રનાં લગભગ બધાં પરિચિત નામો અને ગ્રંથાલયો અહીં મળે છે, અને અલબત્ત નવાં વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. પણ એક વ્યક્તિએ કરેલા કોઈ પણ સંપાદનમાં જે માનવીય મર્યાદા અને આપણા ઉદાસિન વિદ્યાકીય માહોલમાં કેટલુંક ચૂકી જવાનું આવે તે પણ બનાવાનું.

સંપાદકીયમાં સરકાર દ્વારા થઈ રહેલી ગ્રંથાલયોની ઉપેક્ષા ‘સમગ્ર રાષ્ટ્ર માટે વિઘાતક’ હોવાનો પુણ્યપ્રકોપ પણ છે. સંપાદકના તેને લગતા મંતવ્યોને આ શબ્દોમાં સારવી શકાય : ‘સરકાર ગ્રંથપાલોની ભરતી નહીં કરીને શું નિષ્પન્ન કરવા માગતી હશે, તે સમજાતું નથી. પ્રત્યક્ષ રીતે સરકાર આર્થિક ભારણ ઓછું કરી રહી છે. પરંતુ આ ભારણના પ્રમાણમાં થતા નુકસાનનો અંદાજ કલ્પ્નાતીત છે. ગ્રંથપાલ વગરના ગ્રંથાલયને ગ્રંથાલય કહી જ કેમ શકાય ?

‘ગ્રંથાલયોના પ્રશ્ને સરકારી તંત્રનું અને ખાસ તો કેળવણીવિદોનું મૌન પીડાકારક બની રહ્યું છે. શિક્ષણના વ્યાપક હિતને લઈને ગુજરાતની પ્રજાએ જાગવું જ રહ્યું! અને ગ્રંથાલય વ્યાવસયિકોએ પણ આત્મમંથન કરવાની ઘડી આવી છે.’

પુસ્તકમાં  ગ્રંથપાલોના પરિચયનો ક્રમ જન્મવર્ષ મુજબનો છે. શરૂઆત ગુજરાતના સો કરતાં વધુ ગામડાં-કસબામાં ગ્રંથાલયો સ્થાપનાર મૂર્ધન્ય લોકસેવક મોતીભાઈ અમીન (1873-1939) વિશેના લેખથી થાય છે.

સહુથી મોટી ઉંમરના હયાત ગ્રંથપાલ પ્રતાપરાય મહેતા આ શુક્રવારે 95મી વર્ષગાંઠ ઉજવશે. પુસ્તકમાં સમાવવામાં આવેલા આખરી 89મા ગ્રંથપાલ ફક્ત 39 વર્ષનાં છે. પરિચય લેખકો (જૂજ અપવાદ બાદ કરતા) ખુદ ગ્રંથાલય વ્યાવસાયિકો (library professionals) છે.

સંપાદકે 91માંથી 41 ગ્રંથપાલો વિશે પોતે લખ્યું છે. ચાર ગ્રંથપાલોનો પરિચય ‘આત્મવૃત્ત’ તરીકે મળે છે. રંગનાથનના ત્રણ ગુજરાતી શિષ્યો – મોહનદાસ પટેલ, પુરુષોત્તમ પટેલ અને હસમુખ પાઠક -ને લગતા લેખોમાં ગુરુની મહત્તા ઉજાગર થાય છે.

અનેક પ્રકારના ગ્રંથાલયોના વડાઓનો પરિચય મળે છે, જેમાં અનેક વિદ્યાશાખાઓની કૉલેજો -યુનિવર્સિટીઓ છે. તે ઉપરાંત આઈ.આઇ.એમ. અને ઇ.ડી.આઈ. જેવી વ્યાવસાયિક શિક્ષણ માટેની સંસ્થાઓ, પી.આર.એલ. અને અટીરા જેવી સંશોધન સંસ્થાઓ તેમ જ રાજ્યની વિધાનસભા અને વડી અદાલતના ગ્રંથપાલો વિશે પણ વાંચવા મળે છે.

ગ્રંથપાલોની કારકિર્દી તેમ જ તેમનાં સંશોધન-સૂચિકાર્ય-લેખન અંગે અઢળક માહિતી મળે છે. વિદ્યાજગતમાં એકંદરે ઉપેક્ષિત ગણાતા પણ વાસ્તવિક રીતે ખૂબ મહત્ત્વના સૂચિકરણના કામની ઉત્સાહપ્રેરક વિગતો ગ્રંથપાલોના પરિચયોમાંથી સાંપડે છે. સૂચિઓની સંખ્યા અને તેમનું વૈવિધ્ય ઘણાં રસપ્રદ છે. કેટલાક ગ્રંથપાલોએ તેમના ક્ષેત્રના પરિસંવાદો માટે નોંધપાત્ર કમ કર્યું છે, તો કેટલાકે વ્યવસાયના સંગઠન માટે કામગીરી બજાવી છે.

તદુપરાંત ગ્રંથપાલોના અનેક ગૌરવગ્રંથોના ઉલ્લેખો પણ મળે છે. તેની પરથી એવી છાપ બંધાય છે કે કોઈ પણ વિદ્યાશખા કરતાં વધારે ગૌરવગ્રંથો ગ્રંથાલયવિજ્ઞાનમાં પ્રસિદ્ધ થયા છે. એટલે આ શાખા સાથે જોડાયેલી વ્યક્તિઓની સામાજિક કૃતજ્ઞતા ધ્યાનપાત્ર છે, એમ કહી શકાય.

આ પુસ્તકમાં ગ્રંથાલયિત્વનું વ્યક્તિગત ધોરણે ગુણગાન થયું છે. એટલે જાહેર તેમ જ સંસ્થાકીય ગ્રંથાલયોનો ઉપયોગ કરનાર તરીકે નોંધવું રહ્યું કે આપણે ત્યાં અનેક વાચકોના ગ્રંથાલયોના ઉપયોગના અનુભવો – અપવાદો બાદ કરતાં – એકંદરે નિરાશાજનક હોય છે.

એટલે આ સંગ્રહમાં જે કેટલાક ગ્રંથપાલોને પોંખવામાં આવ્યા છે તેમને આધીન થોડાંક ગ્રંથાલયોમાંના ગ્રંથપાલો તેમ જ કર્મચારીઓના વાણી-વર્તન-વ્યવહાર અને કાર્યક્ષમતાના અનુભવો તેમ જ તે ગ્રંથાલયોનો એકંદર માહોલનો આ માહિતી સંગ્રહના કેટલાક વાચકોને અનુભવ હોવાનો. તેમને માટે આ ગુણકિર્તનને વ્યક્તિસાપેક્ષ અને ઓછું પ્રતીતિજનક જણાય એમ પણ બનવાનું.

કેટલાક ગ્રંથપાલોનું પ્રદાન વિશિષ્ટ છે. જેમ કે, અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(પી.આર.એલ.)ના લાઇબ્રેરિયન રોડા ભરૂચાએ 1969માં મિકેનાઇઝડ ઇન્ડેક્સ બનાવીને ‘લાઇબ્રેરી ઑટોમેશનની ભારતમાં સૌ પ્રથમ શરૂઆત કરી.’

પ્રવીણ શાહે અટીરાની લાઇબ્રેરીમાં ટ્ક્સાટાઇલ ડૉક્યુમન્ટસના વર્ગીકરણ માટે ‘માઇક્રો ક્લાસિફિકેશન સ્કીમ તૈયાર કરી. કેટલાંક વર્ષ બાદ એ જ સંસ્થામાં કવિ-ગ્રંથપાલ હસમુખ પાઠકે ટેક્સટાઇલને લગતાં પુસ્તકોના કોલોન વર્ગીકરણને નવેસરથી તૈયાર કર્યું અને તે સ્વીકાર પામ્યું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના એક આધારસ્તંભ ચંપકલાલ શુક્લ મિશિગન યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં પી.એચડી. મેળવનારા પહેલા વિદ્યાર્થી હતા, પણ તેમણે નોકરી માટે પોતાનો દેશ પસંદ કર્યો.

ગ્રંથપાલોની ઉમદાઈ વિશે પણ વાંચવા મળે છે. કચ્છના ભૂકપમાં વર્ષાબહેન મહેતાનું મકાન ધ્વસ્ત થઈ ગયું હતું, તેમ છતાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે હાજર રહીને પુસ્તકોને બચાવવાની કામગીરી કરી હતી. એટલું જ નહીં એક અઠવાડિયામાં તો તંબૂ ઊભા કરીને લોકો માટે લાઇબ્રેરી શરૂ કરી દીધી હતી.

વિરલ બુકમૅન જયંત મેઘાણીએ ભાવનગર ગાંધી સ્મૃતિ પુસ્તકાલયમાં જે દીવાલો હતી તે હઠાવી દીધી અને પુસ્તકોનાં કબાટોનાં તાળાં દૂર કરી દીધાં. એન.આઈ.ડી.ના પૂર્વ લાઇબ્રેરિયન સ્વધાબહેન મજમુદારને યાદ કરનારા બૉસ્ટનની સ્ટ્રીટ કે મુંબઈની ગલીમાં મળી આવે.

ગ્રંથાલયોને લગતા ત્રીજા વિભાગમાં શૈક્ષણિક, સાર્વજનિક, સરકારી, સંશોધન સંસ્થાકીય અને બાળ ગ્રંથાલયોના પેટા વિભાગો છે. તે બધામાં ભરપૂર ઐતિહાસિક વિગતો અને લાઇબ્રેરીની સાંપ્રત પ્રવૃત્તિઓની ઉપયોગી માહિતી છે. તેમાં સહુથી રસપ્રદ છે તે કેટલાક ગ્રંથાલયોમાં સચવાયેલા પ્રાચીન કે દુર્લભ પુસ્તકોની યાદીઓ.

ગ્રંથના અવકાશપૂરકો તરીકે ગ્રંથાલય સંસ્કૃતિ અંગેનાં સંખ્યાબંધ અવતરણો પુસ્તકની  મિરાત છે. તે તે સંપાદકની દૃષ્ટિ અને તેમના માહિતી-રાશિમાંથી આવ્યાં છે. તેમાં ય જણસ કહેવાય તેવાં અવતરણો ગ્રંથાલયમાંથી પુસ્તકો પોતાના નામે લેવા માટે વાચકને જે લાઇબ્રેરી કાર્ડ અથવા ગ્રંથાલય ટિકિટ આપવામાં આવે છે તેનું મૂલ્ય ઉજાગર કરતાં ચાર અવતરણો છે. જેમ કે : 

·       When I got my library card, that’s when my life began.’  

·       ‘I find the most valuable thing in wallet is my library card.’ 

·       There is no problem that a library card cannot solve. 

·       Having fun is not hard when you have got a library card. 

‘વિશિષ્ટ ગ્રંથાલયો’ વિભાગમાં જૈન જ્ઞાનભંડારો, જૈનેતર હસ્તપ્રત ભંડારો, ઇસ્લામી ગ્રંથાલયો તેમ જ પ્રમુખ મદરેસાઓના કિતાબઘરો છે. આ વિભાગ બતાવે છે કે તે બતાવે છે કે સંકુચિતતા અને કટ્ટરતાના સાંપ્રત દેશકાળમાં પણ સાચા ગ્રંથાલયી એવા સંપાદકના વિચારો જ્ઞાનના જગતને છાજે તેવા ખુલ્લા, મુક્ત અને વ્યાપક છે.

વળી, અરધી સંખ્યા જેટલા લેખો સંપાદકે ખુદ લખ્યા છે. તેમના યુવા સંતાનો જેટલી ઉંમરના ગ્રંથપાલો વિશે લખવામાં પણ આ નિરાભિમાની અને નમ્ર ગ્રંથપાલે સંકોચ અનુભવ્યો નથી. તેમના માટે તેમના ક્ષેત્રનું દસ્તાવેજીકરણ ખુદની વરિષ્ઠતા કરતાં વધુ  મહત્ત્વનું છે.

અલબત્ત,એમના આ દળદાર સંપાદનને પણ સંપાદનની જરૂર છે તે કહેવું રહ્યું. જો કે સંપાદકનો ઉદ્યમ પાનેપાને દેખાય છે. તેની પાછળ માહિતીની દુનિયામાં ભવિષ્ય માટે નજીકના ભૂતકાળના અને સાંપ્રતના દસ્તાવેજીકરણનો આશય સ્પષ્ટ છે. ગ્રંથાલયી મણિભાઈએ ગ્રંથ માટે દસ વર્ષ સુધી કરેલાં પરિશ્રમ વિદ્યાકીય નિષ્ઠા અને કૃતજ્ઞતા વિના શક્ય ન બને. ગ્રંથાલયીઓના ગૌરવ-પુસ્તકો પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. અમૃતવર્ષ પાર કરી  ગયેલા મણિભાઈ પ્રજાપતિનો અભિવાદન ગ્રંથ વિદ્યાજગત કરે તે ઈચ્છનીય છે.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-‌‌‌‌——————-

પ્રકાશક : કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન સમિતિ, c/o મણિભાઈ પ્રજાપતિ, manibhaiprajapati@gmail.com , મો. 9601273836, પુસ્તકની કિંમત 1600/- 

[1300 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

India that is Bharat: ઇતિહાસ, અર્થતંત્ર, રાજકારણની શબ્દરમત એટલે નામાંતરણ વિવાદ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 September 2023

ઇન્ડિયા નામ જો સદંરત નીકળી જશે તો શું 14 કરોડથી વધુ ખર્ચો થઇ શકે છે?

ચિરંતના ભટ્ટ

આમ તો વિલિયમ શેક્સપીયરે રોમિયો અને જુલિએટ નાટકમાં લખ્યું હતું કે ‘અ રોઝ બાય એની અધર નેમ વુડ સ્મેલ એઝ સ્વીટ …’ આમ તો આ વાક્યનો અર્થ સમજવો અઘરો નથી. કોઇનું નામ જે પણ હોય તેનાથી તેની સિરત કે સૂરત પર કોઈ ફેર પડતો નથી. એ જ નાટકમા શેક્સપીયરે એમ પણ લખ્યું હતું કે, ‘વૉટ ઇઝ ધેર ઇન ધી નેમ’ – નામથી શું ફેર પડે છે? હવે આ પરિસ્થિતિ આપણા દેશના નામને મામલે પણ ખડી થઈ છે. પાંચમી સપ્ટેમ્બરથી ભારત કે ઇન્ડિયા એ વાળી જે દોરડાખેંચ ચાલુ થઈ છે એ એવી વાત છે જેને ગઝલની પેલી પંક્તિ લાગુ પડે – બાત નિકલેગી તો ફીર દૂર તલક જાયેગી … આપણા દેશનું સાચું નામ શું? એ મામલે એવી બબાલ ચાલુ થઈ છે કે ન પૂછો વાત. મંગળવારે G20 સમિટના આમંત્રણ મોકલાયા જેની પર અંગ્રેજીમાં ઇન્ડિયાને બદલે ભારત લખાયું હતું – પ્રેસિડન્ટ ઑફ ભારત, નહીં કે પ્રેસિડન્ટ ઑફ ઇન્ડિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધી પ્રાઇમ મિનિસ્ટર ઑફ ભારત તરીકે ઇન્ડોનેશિયામાં સમિટમાં હાજરી આપી.

આપણા દેશનું નામ ભારત રાખવું ઇન્ડિયા એને લઈને તો 17 નવેમ્બર 1948ના દિવસે પણ બંધારણ સભામાં ચર્ચા છેડાઈ હતી અને દસ મહિના પછી 17 સપ્ટેમ્બર 1949ના રોજ ડૉક્ટર આંબેડકરે બંધારણ સભા સામે નામને મામલે ફાઇનલ ડ્રાફ્ટ મુક્યો હતો જેમાં ભારત અને ઇન્ડિયા બન્ને નામોનો ઉલ્લેખ હતો. કેટલાકને ઇન્ડિયા નામ સામે વાંધો હતો કારણ કે તે અંગ્રેજ સામ્રાજ્યવાદની ભેટ હતું તો કેટલાકને અંગ્રેજી નામ ભારત નામના વિકલ્પ તરીકે ઠીક લાગ્યું હતું. ત્યારે પણ સેઠ ગોવિંદ દાસથી માંડીને હરિ વિષ્ણુ કામથે પોતાના વિચારો અને દલીલો રજૂ કર્યાં હતા. આંબેડકરે ત્યારે એક જ વાત પર ભાર મૂક્યો કે ભારત પછી ઇન્ડિયા આવવું જોઈએ કે નહીં તેની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આપણે સ્વતંત્ર થયેલા આપણા દેશમાં બીજા ઘણાં કામો કરવાનાં છે ત્યારે શું આ ચર્ચા જરૂરી છે? બંધારણના અંગ્રેજી વર્ઝનમાં ઇન્ડિયા છે અને એક વાર ભારત શબ્દનો ઉલ્લેખ થયો છે અને હિંદીમાં ઇન્ડિયાને બદલે ભારત લખ્યું છે – તેમાં તો ટાંકવામાં આવ્યું છે – ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ – ઇન્ડિયા એટલે ભારત, રાજ્યોનો એક સંઘ હશે.

જ્યારથી G20ના આમંત્રણો જાહેર થયા છે સરકારની ટીકા થઇ છે. આમ જોવા જઈએ તો ભારત એક સંસ્કૃત શબ્દ છે જે 2000 વર્ષ પહેલાં લખાયેલા શાસ્ત્રોમાં પણ હતું. તેમાં કોઇ પ્રદેશ કે વિસ્તારની સ્પષ્ટતા નહોતી જે સ્વાભાવિક છે – ભારત વર્ષ જે આજના ભારત દેશની સીમાઓથી કંઇ ગણું વધુ વિસ્તરેલું હતું. ભા.જ.પા.એ સત્તા પર આવીને રસ્તાઓ, શહેરો વગેરેનાં નામો તો બદલ્યા જ છે. ઇન્ડિયાનું ભારત કરવા અંગે ભા.જ.પા.ની દલીલ છે કે આ તો સામ્રાજ્યવાદી ગુલામીને પગલે મળેલું નામ છે એટલે એ બદલવું જરૂરી છે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન એક ખાસ સંસદીય સત્રની જાહેરાત થઇ છે અને એવી ધારણા છે કે દેશના નામબદલવા અંગે આ બેઠક હોઈ શકે છે જો કે અનુરાગ ઠાકુર જેવા અમુક મંત્રીઓએ એમ કહ્યું છે કે આ તો વિરોધ પક્ષે ફેલાવેલી અફવા છે.

ઇન્ડિયા-ભારતના મામલે રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રશ્નો વધારે અગત્યના છે. વળી આપણે મૂળિયાં ભણી પાછા જવાની વાત કરીએ તે તો ચાલો સમજ્યા, આપણને એમાં કંઇ અણગમો થવો જ જોઈએ એ જરૂરી નથી. પણ વિરોધ પક્ષોએ પોતેના મહા સંગઠનને જે ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ) નામ આપ્યું છે તેની સામે આ ભારતકરણનું બીડું ઝડપવામાં આવ્યું છે એ વાતને ફગાવી દેવા જેવી નથી. તમે ઇન્ડિયા વાળા અને અમે ભારત વાળા જેવી હુંસાતુંસી શરૂ કરવામાં ભા.જ.પા.ને જરા ય વાર નથી લાગવાની. આ એક ગણતરીપૂર્વકનું પગલું છે એમાં માત્ર દેશ કે ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ જ કારણભૂત છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. વળી જ્યારે વિરોધપક્ષોએ પોતાનું સંક્ષિપ્ત નામ ઇન્ડિયા જાહેર કર્યું ત્યારે વડા પ્રધાને પહેલો ચાબખો મારતા કહ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની, ઇન્ડિયન મુજાહિદ્દીન અને પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા નામ છે, લોકો તો ચહેરા પર ચહેરો લગાડી જ દેતા હોય છે.

આમ તો બન્ને નામો આપણા ઇતિહાસ સાથે જોડાયેલાં છે. ઇન્ડિયા નામ ઇન્ડસ નદી પરથી આવેલું છે જેને સંસ્કૃતિમાં આપણે સિંધુ નદી તરીકે જાણીએ છીએ. એ સિંધુ કે સિંધ પ્રદેશનું હિંદ, હિંદ પ્રદેશ, હિંદુસ્તાન પણ તો થયું છે. સદીઓ પહેલા ભારતના પ્રવાસે ગ્રીસ જેવા દેશો તરફથી આવેલા મુસાફરોએ ઇન્ડસ નદીની દક્ષિણપૂર્વમાં આવેલા પ્રદેશને ઇન્ડિયા તરીકે ઓળખ્યો, આ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ 2જી સદીમાં ભારત અભિયાન શરૂ કર્યું તે પહેલાંથી અપાયેલું નામ હતું, એને અંગ્રેજો સાથે લેવા-દેવા નથી. ભારત નામ તો તેનાથી પણ જૂનું છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે પણ તેનો ઉપયોગ સામાજિક-સાંસ્કૃતિક ઓળખ તરીકે થતો નહીં કે ભૌગોલિક ઓળખ તરીકે. વળી મહાભારતના આદિપર્વની કથા મુજબ કણ્વ ઋષિની દીકરી શકુન્તલા જે પુરુવંશના રાજા દુષ્યંત સાથે ગાંધર્વ વિવાહ કર્યો અને પોતાના દીકરાનું નામ ભરત પાડ્યું અને નાનપણમાં વાઘનાં દાંત ગણવા માટે મશહૂર થયેલા ભરતના નામ પરથી ભારતને નામ મળ્યું, જો કે મત્સ્યપુરાણ અનુસાર મનુને ભરત કહેવાયા હતા અને જે ખંડ પર તેમનું શાસન હતું તેને ભારતવર્ષ કહેવાયું. ઇતિહાસમાં તો વૈદિક યુગની એક જાતિનું નામ ભરત હતું જે સરસ્વતી નદીને કાંઠે વસતી હતી. દુષ્યંત-શકુંતલાનો દીકરો જન્મ્યો તે પહેલાંથી આ પ્રદેશમાં ભરતજન રહેતા હતા અને આ જાતિ-સમૂહને નામે ભારતનું નામ પ્રચલિત થયું કોઈ એક વ્યક્તિને કારણે નહીં. હિન્દુશ શબ્દ તો ઇસુથી પણ 2000 વર્ષ પેહલાંની સભ્યતામાં હતો, તે હડપ્પાના સમયની વાત છે. સિન્ધ માત્ર નદી નહીં પણ સાગરના અર્થમાં પણ વપરાતો. ઇન્ડિકા શબ્દ મેગાસ્થનિજે કર્યો હતો જે પાટલીપુત્રમાં રહ્યા હતા જ્યાં હિન્દ, હિન્દવાન જેવા શબ્દો પ્રચલિત હતા. આ મામલે પણ હજી બીજા પૌરાણિક સંદર્ભો પણ છે જેમાં જૈન પરંપરા, આર્યન સંસ્કૃતિ, મહાભારત વગેરેનો સમાવેશ થાય છે.

હવે આ નામકરણનો આર્થિક ફટકો કેવો હોઈ શકે તેની પર પણ નજર કરીએ. દક્ષિણ આફ્રિકાના એક ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપ્રટી લૉયર ડેરન ઓલિવરેના એક ગણતરીના મૉડલનો ઉપયોગ કરીને એક મીડિયા ગ્રૂપે ટાંક્યું કે જો ઇન્ડિયાનું ભારત થશે તો એ ખર્ચો 14 કરોડની આસપાસ હોઈ શકે છે. વળી ઇન્ડિયા નામની, તેના ફોનેટિક્સની, તેની એક ઓળખ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે એક બ્રાન્ડ છે. કોઈને બતાડી દેવાના ઉત્સાહમાં ઇતિહાસના સંદર્ભોનો ઉપયોગ કરીને બધું ફેરબદલ કરવામાં સમય ન બગાડતા જે કરવાની જરૂર છે એની પર ધ્યાન અપાય તો બહેતર રહેશે. આ નામ બદલવાનો મામલો વાજતે ગાજતે યુ.એન. પણ પહોંચ્યો છે જોઇ હવે શું થાય છે.

બાય ધી વેઃ

તાજેતરમાં એક વ્યાખ્યાનમાં જાણીતા વિવેચક, સંપાદક, ભાષાવિદ્, લેખક ગણેશ દેવીએ કંઇક એવા સંદર્ભની વાત કરી કે નામ કાઢી નાખવાથી તેનું માળખું નથી બદલાઈ જતું, નામ હોય કે ન હોય એકતા રહેવી જોઇએ. ભારતીયો કંઇ અજ્ઞાન નથી કારણ કે એક વખત પછી ઇરાદાઓ તો  બધાની નજરે ચઢશે. ટૂંકમાં આ નામ બદલાવ અભિયાનની પાછળના આશય સાચા હશે તો તરી જશે અને નહિંતર વહી જશે. તમારું નામ સૂરજ હોય અને કોઈ અચાનક જ તમને સન કહેવા માંડે તો ફાવે નહીં, તમારા બે નામ હોય એવું પણ બની શકે અને બન્ને નામ તમારી ચોક્કસ ઓળખાણની ધાર કાઢનારા હોઇ જ શકે છે. જે સારું છે, મજબૂત છે, અનિવાર્ય છે તે સચવાય એ જરૂરી છે. આ પહેલાં નામ બદલી ચૂકેલા દેશો આ છે – તુર્કીનું તુર્કીયે, હોલેન્ડનું નેધરલેન્ડ, ચેક રિપબ્લિકનું યેકિયા, સિલોનનું શ્રીલંકા, આઇરિશ ફ્રી સ્ટેટનું આયર્લેન્ડ, કેપ વર્ડેનું રિપબ્લિક ઑફ કાબો વર્ડે, સિયામનું થાઇલેન્ડ, બર્માનું મ્યાનમાર, પર્શિયાનું ઇરાન અને સ્વાઝીલેન્ડનું એસ્વાટિની નામ કરાયું છે. ભારતનું નામ બદલવાનું નથી પણ તેનું બીજું નામ સદંતર દૂર કરવાની હોહા છે. આમ તો આપણા નામોની વિવિધતા હોવા છતાં એકતા છે એ વધારે અગત્યનો મુદ્દો છે પણ જોઈએ ‘નામ ગુમ જાયેગા’ કે રહ જાયેગા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

પુણ્ય તમારું અને પાપ બીજાનું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 September 2023

રમેશ ઓઝા

એક જમાનામાં લોકોને સંતોષીમાનાં વ્રત કરવાનાં પોસ્ટકાર્ડ આવતાં. એમાં લખ્યું હોય કે આટલા મહિના દર શુક્રવારે વ્રત કરશો તો આટલો ફાયદો થશે અને જો નહીં કરો તો તમારું આ રીતનું બુરું થશે. એમાં એવું પણ લખ્યું હોય કે તમારે આ પોસ્ટકાર્ડના લખાણની નકલ કરીને પાંચ જણાને મોકલવાની છે અને જો નહીં મોકલો તો તમારું બુરું થશે. સંતોષીમાના પ્રકોપથી બચવા વ્રત પણ રાખતા અને પાંચ લોકોને વ્રત કરવા મજબૂર પણ કરતા. પોસ્ટકાર્ડ મોકલનારનું એમાં નામ ન હોય અને આગળ પાંચ જણાને મોકલનાર પણ પોતાનું નામ ન લખે. આજે પણ હજુ આવા પત્રો કે વોટ્સેપ મેસેજ આવતા હશે તો ખબર નથી. આંગણામાં પીપળો હોય અને પીપળો કે પીપળાની ડાળો નડતી હોય તો કાપે કોણ? મોટી સમસ્યા.

પીપળો કાપવા લોકો કોઈ મુસલમાન મજૂરને ગોતે. એક જમાનમાં નવા વરસની શુભેચ્છાના કાર્ડમાં ભગવાનના ફોટા રહેતા. દર વરસે ભગવાનના ફોટાવાળા પંદર-વીસ કાર્ડ એકઠા થાય એ પછી તેનો નિકાલ કેમ કરવો તેની સમસ્યા. ફાડતા ડર લાગે, ફેંકતા ડર લાગે, પૂજા કર્યા વિના ઉપેક્ષિત અવસ્થામાં ઘરમાં પડ્યા રહે તો પણ ડર લાગે. અંતે કોઈ ભાળે નહીં એમ કોઈકના ઘરના આંગણામાં પીપળાનું ઝાડ હોય તો તેના થડ પાસે અથવા મંદિરે મૂકી આવે. અમે નાના હતા ત્યારે હોળીના મહિના પહેલાથી હોળીમાં બાળવા માટે લાકડાં, છાણાં અને બીજી જલાઉ ચીજો ચોરીને એકઠી કરતા. પણ હોળીના દિવસે હોળી પ્રગટાવતા અમને વડીલો રોકતા. કારણ એ કે જીવજંતુ મરે તેનું પાપ અમને લાગે. કોઈ ગરીબને શોધીને પૈસા આપીને તેની પાસે હોળી પ્રગટાવવામાં આવે. યજ્ઞમાં પશુબલિની જગ્યાએ પશુના પ્રતિકરૂપે કોળું કાપવાનો રીવાજ છે. પણ કોળું કાપે કોણ? આખરે જીવતા પશુનું પ્રતિક ખરુંને! ગોર મહારાજ યજમાન પાસે કોળું ન કપાવે, પણ કોઈ ગરીબને ગોતી આવે. પુણ્ય તમારું અને પાપ બીજાનું. આવું તમે પણ જોયું હશે અને ધર્મસંકટનો તમે પણ અનુભવ અનુભવ કર્યો હશે. લોકો પોતાને નામે પાપ જમા થાય અને ઈશ્વર કોપાયમાન થાય તેનાથી ડરે છે.

અહીં મનમાં એક પ્રશ્ન થાય છે. આ પાપ, પુણ્ય અને ઈશ્વરનો પ્રકોપ કોના માટે છે?

સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ મહાબલિ હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક અને દાસ બનાવી દીધા. તેમને બજરંગ બલિના પ્રકોપનો ડર ન લાગ્યો, જ્યારે કે એ જ સાળંગપુરમાં લાખોની સંખ્યામાં લોકો હનુમાનજીને પ્રસન્ન કરીને તેમનું દુઃખ દૂર કરવા આવે છે. તેમને મન હનુમાનજી દુઃખહર્તા છે. ઊલટું હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક બનાવનારાઓએ તો માન્યું હશે કે તેઓ પુણ્યકાર્ય કરી રહ્યા છે અને તેમનું તેમને ફળ મળશે. તમે ભગવાનના ફોટાવાળું કાર્ડ ગમે ત્યાં ફગાવી દેતા ડરો અને અહીં ડર્યા વિના આખેઆખા ભગવાનનું સ્તર જ નીચે ઉતારી દીધું.

તો આ પાપ કોના માટે છે, પ્રકોપ કોના માટે છે અને ભય કોના માટે છે? ક્યારે ય વિચાર્યું છે? મંદિરોમાં ખુલ્લેઆમ ધર્મનો ધંધો થાય છે. લાઈનમાં ઊભા રહ્યા વિના દર્શન કરવા હોય તો પૈસા આપીને કરી શકાય છે. વિશેષ પૂજા, વિશેષ આરતી વગેરે વિશેષ એ લોકો માટે છે જેની પાસે વિશેષ ધન છે. તેઓ ગરીબોને ઈશ્વરની વિશેષ આરાધનાથી વંચિત રાખે છે, પણ તેમને ઈશ્વરના પ્રકોપનો કે પાપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વર એને જ દંડે છે જે એને પૂજે છે અને એને નથી દંડતો જે એના નામે ધંધો કરે છે? કેટલાક કોમવાદી ધર્મગુરુઓ બીજા ધર્મને અને બીજાના ધર્મના ઈશ્વરની નિંદા કરે છે ત્યારે તેમને પણ એ બીજાના ધર્મના ઈશ્વરના પ્રકોપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વરનું શાસન કે આણ તેને માનનારાઓ પૂરતી જ છે? એવું પણ જોવા મળે છે કે એક જ ધર્મના સંપ્રદાયવાદીઓ એ જ ધર્મના બીજા સંપ્રદાયના ઇષ્ટદેવની ઉપેક્ષા કરે છે અને નિંદા કરે છે તો તેમાં તેમને એ ઈશ્વરના પ્રકોપનો ડર નહીં લાગતો હોય? તો આ પ્રકોપ અને ડર છે કોના માટે?

આ દેશમાં કોમવાદીઓની અછત નથી. છાશવારે તેઓ કોમી વિખવાદ પેદા કરે છે. એમાંથી રાજકીય જરૂરત હોય તો મોટા પ્રમાણમાં કોમી હુલ્લડો પણ થાય છે. આપણે જાણીએ છીએ કે સેંકડો લોકો એમાં માર્યા જાય છે. ઈશ્વરને અને ધર્મને નામે વિખવાદ પેદા કરવાનારાઓ ઈશ્વરના પ્રકોપનો ડર નથી અનુભવતા. મારી આ પ્રવૃત્તિને કારણે નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા એમ કહીને તમે એમાંથી કોઈને વિલાપ કરતા જોયા છે? ઈશ્વર મને માફ નહીં કરે એમ કહેતા કોઈને સાંભળ્યા? રતીભાર રંજ તેમના ચહેરા પર જોવા નહીં મળે અને તબિયત જોશો તો રાતી રાયણ જેવી હશે.

સ્વામીનારાયણ મંદિરની ઘટનાને લઈને નારાજ થઈ જનારાઓએ એક નજર પુરાણો પર કરવાની જરૂર છે. સનાતન ધર્મમાં આ કોઈ નવી વાત નથી. જો તમે શિવપુરાણ વાંચશો તો એમાં જોવા મળશે કે રાક્ષસોના ત્રાસથી મુક્તિ મેળવવા દેવો અલગ અલગ ભગવાન પાસે જાય છે, પણ કોઈ ભગવાન તેમને મુક્તિ અપાવી શકતા નથી અને દરેક સલાહ આપે છે કે દેવોએ શિવજી પાસે જવું જોઈએ. માત્ર શિવ ભગવાન રાક્ષસોનો નાશ કરી શકે એમ છે. જો વિષ્ણુપુરાણ વાંચશો તો એમાં વિષ્ણુની સર્વોપરિતા જોવા મળશે. પુરાણકર્તાઓએ બીજા ભગવાન નારાજ થશે અને તેમનાં પ્રકોપનો ભોગ બનવું પડશે એની ચિંતા કરી નહોતી. જેમણે પુરાણોની કથા વાંચી હશે તેમને આની જાણ હશે.

તો વાતનો સાર એ કે ઈશ્વરનો અને ઈશ્વરના પ્રકોપનો ડર એ લોકોને લાગે છે જેઓ ઈશ્વરભીરુ છે. બાકી જે લોકો ઈશ્વરના નામે ધંધો કરે છે, જે લોકો પોતાના ધર્મની સર્વોપરિતા સ્થાપીને સમાજમાં પોતાના ધર્મ માટે જગ્યા બનાવવાની હરરીફાઈમાં ઉતર્યા છે, જેઓ ચેલા અને અનુયાયી મુંડવામાં રચ્યાપચ્યા રહે છે, જેઓ ધર્મના નામે કોમી વિખવાદ પેદા કરીને સત્તાનું રાજકારણ કરે છે, જેઓ ભગવા (કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ધાર્મિક વસ્ત્રો અંગીકાર કરનારા ધર્મગુરુ) વસ્ત્રો પહેરીને કુકર્મ કરે છે તેમને ઈશ્વરનો કે ઈશ્વરના પ્રકોપનો ડર લાગતો નથી. નજર કરી જુઓ આજુબાજુ.

અને વિડંબના જુઓ! ઈશ્વરભીરુ લોકો આ લોકોને પોતાના રાહબર અને તારણહાર સમજે છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું; તું જ તારો દીપક બન. અંતરાત્માને અહર્નિશ સાક્ષી રાખો અને અનીતિથી ડરો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

...102030...9989991,0001,001...1,0101,0201,030...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved