Opinion Magazine
Number of visits: 9458002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Bon voyage, Dhiruben!

નૌશિલ મહેતા|Profile|7 June 2023

નૌશિલ મહેતા

મૂળ લેખ ૨૦૧૧માં ‘અલ્પવિરામ’ વક્તવ્યશ્રેણીમાં ધીરુબહેનના પરિચયરૂપે લખાયેલો. ધીરુબહેનને આ પરિચયમાં મજા પડી હશે કારણ કે એમણે (કદાચ ૨૦૧૬માં) પરિચયલેખકને ખાસ અમદાવાદ નિમંત્રેલાં, ફરી એમનો પરિચય આપવા. એ વક્તવ્ય ‘પરબ’માં પ્રગટ થયેલું. અહીં અનુરૂપ ફેરફારો સાથે પ્રગટ કર્યું છે.

− સં. ‘એતદ્દ’

 

૨૦૦૩માં સુખ્યાત ચિત્રકાર મિત્ર ભૂપેન ખખ્ખરે વિદાય લીધી. ત્યાર બાદ એમના મિત્રો જ્યારે મળે ત્યારે ભૂપેનની હાજરજવાબી વિનોદવૃત્તિને યાદ કરવાનું ન ચૂકે. વિનોદવૃત્તિ જ ભૂપેનનો ચાર્મ હતો, એમની જીવનસંગિની હતી અને એમની તલવાર પણ હતી.

૨૦૦૫માં હું ધીરુબહેનને મળ્યો ત્યારે શંકા તો ગયેલી પણ ૨૦૧૧માં મિત્ર મનોજ શાહે ધીરુબહેનનું નાટક ભજવ્યું ત્યારે ખાતરી થઈ. મનોજનો ફોન આવ્યો. પૂછે, ‘દોસ્ત, તને નથી લાગતું, ધીરુબહેન વર્ષો પહેલાં મેળામાં ખોવાઈ ગયેલી ભૂપેનની બહેન છે?’ સહી પહચાના મેરે દોસ્ત!

*

ધીરુબહેન પટેલ

અર્થાત્‌ હાજરજવાબી વિનોદવૃત્તિ ધીરુબહેનનો પણ ચાર્મ છે, એમની જીવનસંગિની છે અને એમની તલવાર પણ! – પણ જ્યાં ભૂપેનની રમૂજ ખડખડાટ હસાવે, ત્યાં ધીરુબહેનની રમૂજ કેટલીક વાર તો એટલી સૂક્ષ્મ હોય કે વાત પતી ગયા પછી બે-પાંચ મિનિટે ટેમ્પરામેન્ટલ ટ્યૂબલાઇટની જેમ અચાનક તમને મરકમરક કરી મૂકે…

દાખલો આપું. ૨૦૧૧માં ‘અલ્પવિરામ’ શ્રેણીમાં વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપવા આયોજકો વતી હું ત્રણ વાર, ત્રણ અલગ અલગ તારીખોની વાત લઈને ધીરુબહેનને ઘેર ગયેલો. પહેલી વાર એમણે કહ્યું, ‘મને વિચાર કરવા દો; કાલે સવારે ફોન કરીને જવાબ આપીશ.’ બીજી સવારે બરાબર આઠ વાગ્યે ફોન આવી ગયો કે આ તારીખ એમને નહીં ફાવે. બીજી વાર પણ એ જ થયું. એટલે ત્રીજી વાર ગયો ત્યારે મેં સામેથી કહ્યું, ‘હમણાં નહીં કહેતાં, કાલે સવારે કહેજો. તમને ના પાડવી, ફોન પર વધુ ફાવે છે.’ ત્યારે ધીરુબહેન ધીમું મલક્યાં અને બીજે દિવસે સવારે બરાબર આઠ વાગ્યે ફોન કરીને કહે, ‘શું કરું? મને હા પાડવી પણ ફોન પર વધુ ફાવે છે!’

બીજો દાખલો. તમે જ વિચાર કરો. ધીરુબહેનની જેમ જો તમારા સાહિત્યક્ષેત્રે અસંખ્ય કવિમિત્રો તેમ જ વિવેચકમિત્રો હોય જે મારા કરતાં સાહિત્ય વિશે વધુ વિચારી-બોલી જાણતા હોય અને દરેક મારાથી ક્યાંય બહેતર વક્તા હોય તો તમે મારા જેવા ચિઠ્ઠાધારી બૅકસ્ટેજિયાને કહો? નહીં ને? તમે એવું ના કરો કારણ કે તમે ધીરુબહેન નથી. મારી પાસે ‘અલ્પવિરામ’ શ્રેણીમાં એમનો પરિચય આપવાનું ભાષણ કરાવવું અને પોતે સાંભળવા બેસવું એ ધીરુબહેનની વિનોદવૃત્તિનો એક પ્રકાર છે.

*

ધીરેન્દ્રબાળા પટેલનો જન્મ ૨૯ મે, ૧૯૨૬માં ગાંધીરંગથી રંગાયેલા ઘરમાં થયો. ઘર પોદ્દાર સ્કૂલ, સાંતાક્રૂઝના પડોશમાં, હંસરાજ વાડીમાં, જે ૨૦૧૫ સુધી ધીરુબહેનનું મુંબઈનું નિવાસસ્થાન રહ્યું. ઘેરે બે મોટા ભાઈ. એક ચૌદ વરસ મોટો, બીજો દસ. પિતા ગોરધનભાઈ વાઘજીભાઈ પટેલ મૂળ ધર્મજ ગામના, પણ વર્ષોથી મુંબઈમાં સ્થાયી. વ્યવસાયે પત્રકાર. પહેલાં ‘બૉમ્બે ક્રૉનિકલ’ અને પછી ‘મુંબઈ સમાચાર’ સાથે સંકળાયેલા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર્તા અને આઝાદીની ચળવળમાં સક્રિય. ૧૯૨૬ના અરસામાં જ ગંગાબહેને સાંતાક્રૂઝ સ્ત્રીમંડળની સ્થાપના કરી – જે સંસ્થા આજે પણ વિવિધ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય છે. ગંગાબહેન લેખિકા પણ ખરાં. એમણે ત્રણ ભાગમાં આત્મકથા લખી છે.

માતા-પિતા બંનેને પુત્રી-જન્મનો ખૂબ આનંદ. પિતાએ લાડકડીના કાન વીંધાવવાની ના પાડી. કહ્યું, દીકરી મોટી થઈને નક્કી કરશે. ધીરુબહેનના કાન આજીવન અનવિદ્ધ રહ્યા. આ એ જ ગોરધનભાઈ, જે આઝાદીની ચળવળમાં ગંગાબહેન જેલ ગયાં હોય ત્યારે જરૂર પડે તો પોતાના હાથે રસોઈ રાંધી પત્નીને જેલમાં ડબો આપીને ઑફિસે જવામાં નાનપ ન અનુભવે. કદાચ એટલે જ, સદાયે ધીરુબહેને પોતાને નારીવાદી લેખિકા લેખવાનું ટાળ્યું હતું. ધીરુબહેનને સ્ત્રીમાનસની ઊંડી સૂઝ હતી એ તો એમની કોઈ પણ પુરુષપ્રધાન નવલિકા ઊંચકીને બાર પાનાં ફેરવશો એમાં સમજાઈ જશે … જેમ કે ‘આગંતુક’. તો ધીરુબહેન ખરેખર નારીવાદી લેખિકા હતાં કે નહીં?

*

એમણે લખેલા મારા પ્રિય ગીતનો અંશ ચકાસીએ :

રંગલો : 

         ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી 

         સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે!

         ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી 

         તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! (૨)

રંગલી : 

         ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં 

         ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે! 

રંગલો : 

         જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ 

         શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે? 

રંગલી : 

         અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી 

         નારી એ તો જગતનો સાચો શણગાર છે! (૩)

*

હવે આપણે ધીરુબહેન તરફ નજર નાખીએ … દેખાશે કે એ પહેરતાં ખાદી, પણ ક્યારેય પોતાને ગાંધીવાદી નથી કહેતાં. ઊલટું એ તો કહેતાં કે ગાંધીવિચારધારામાં એમને રસ પડતો કારણ કે બાપુ પોતે ક્યારેય ગાંધીવાદી નહોતા!

આમાં સમજવાનું એ કે કોઈ પણ વાદે કંઈ પણ કરે એ ધીરુબહેન નહીં.

ઉમાશંકર જોશી સંપાદિત ‘સંસ્કૃતિ’ના ૧૯૮૪ના વિશેષાંકમાં એ પોતાના બાળપણની ઝલક આપતાં લખે છે, “કલ્પનાવિહાર અને વાચન – એ બેમાં મારું બાળપણ વીત્યું. સાઇકલ પર બેસીને જુહુને દરિયે એકલી એકલી ફરવા જાઉં પણ તે સામાન્ય પ્રવાસ ન હોય. કંઈ કેટલાય કાલ્પનિક પ્રદેશો વટાવવાના હોય, કેટલાંય જોખમોનો સામનો કરવાનો હોય, ને મોજાંઓની અનંત સવારી સામે ધરતી પર બરાબર મજબૂતીથી પગ ટેકવી રાખવાના હોય. તેવે વખતે કોઈ સાથે હોય તો મને ગમે નહીં. હજી, સાથે હોય તો ચલાવી લઉં પણ બોલે તે તો ન જ ચાલે. મારા એકાંતનો ભંગ થાય છે એવો ખ્યાલ નહીં પણ કલ્પનાસૃષ્ટિ વીખરાઈ જાય તેનું બહુ દુઃખ લાગે. અમે રહેતાં તે હંસરાજ વાડીમાં અનેક વૃક્ષો. એમાં એક મોટું વડનું ઝાડ તે મારો પહેલા નંબરનો મહેલ, દક્ષિણ દિશાએ આવેલી ઘટાદાર આમલી તે બીજા નંબરનો મહેલ અને ઘરની તદ્દન પાસે આવેલી નાની ચીકુડી તે ત્રીજા નંબરનો મહેલ. નિશાળેથી આવીને દૂધ પીવાનું, સ્વચ્છતાની અમુક વિધિઓમાંથી પસાર થવાનું, પછી તરત એક ચોપડી લઈને રાજમહેલમાં જતા રહેવાનું. ઊંચે ચડી, ડાળીઓ પર આરામદાયક રીતે ગોઠવાઈને અંધારું થવા આવે ત્યાં લગી વાંચ્યા કરવાનું …”

જેણે ધીરુબહેનનું એકેય લખાણ વાંચ્યું ન હોય એને પણ આટલું ગદ્ય વાંચીને સમજાય કે પેલી નાનકડી છોકરી મોટી થઈ ત્યારે કેવા મોટા ગજાની લેખિકા બની ગઈ હતી!

*

પોદ્દાર સ્કૂલમાં ભણવાથી અને સાંતાક્રૂઝમાં રહેવાથી, ધીરુબહેનને રામપ્રસાદ બક્ષી, ધનસુખલાલ મહેતા અને ભૃગુરાય અંજારિયા જેવા સાહિત્યશ્રેષ્ઠીઓના સ્નેહ અને સદ્‌ભાવનો લાભ મળ્યો. પરિણામે, ૧૯૪૩માં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇન્ટમીડિએટ આટ્‌ર્સ, બૉમ્બે યુનિવર્સિટીમાં પહેલે નંબરે પાસ થયાં તે પહેલાં ૧૯૪૨ના ‘સંદેશ’ના દીપોત્સવી અંકમાં તેમની પહેલી ટૂંકી વારતા પ્રકાશન પામી હતી. યાદ કરાવું, ત્યારે ધીરુબહેનની ઉમ્મર હતી સોળ વરસની!

૧૯૪૮માં એન્ટાયર ઇંગ્લિશ સાથે એમ.એ. થયાં અને ’૪૯થી ભવન્સ કૉલેજ ચોપાટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. ’૫૧માં હિન્દી વિશારદ થયાં અને ’૫૪માં ભવન્સ કૉલેજમાં જ પ્રૉફેસર તરીકે નિયુક્ત થયાં. ’૫૫માં ધીરુબહેનનાં પહેલાં પુસ્તકોનું પ્રકાશન થયું. એક વારતાસંગ્રહ, ‘આંધળો કૂવો’ અને એક નાટક, ‘પહેલું ઇનામ’.

કોઈને વિચાર આવી શકે … સાહિત્યકાર અને નાટક? – તો તો પેલા બધા વંચાવવા માટે લખતા હોય છે ને અષ્ટમપષ્ટમ … એવું કંઈ હશે. તો અહીં મારે સ્પષ્ટતા કરવી છે, નાટકના એક જીવ તરીકે, કે ધીરુબહેને એકેય ‘સાહિત્યિક નાટક’ નથી લખ્યું. એમણે લખેલી એકેએક કૃતિ વાંચતાંવેંત મંચન માગે એવી છે … આ રીતે લખી શકવું – બીજાના ઉપયોગ માટેનું લખાણ – અભિનેતાઓ, સેટ ડિઝાઇનર્સ, લાઇટ ડિઝાઇનર્સ, દિગ્દર્શકોને ઉપયોગમાં આવે એવું લખાણ લખવું એ કોઈ કાચાપોચા કલમવીરનું કામ નથી. એ માટે એવી આવડત જોઈએ જેનું નામ સાંભળી ઘણા ‘બુદ્ધિજીવીઓ’ બહારથી ભલે મોં મચકોડે, પણ અંદરઅંદર જલી ઊઠે – એ આવડતનું નામ છે કસબ. It takes CRAFT to create a table that is so stable that others can eat at it.

૨૦૧૧માં પંચ્યાસી વર્ષની વયે, મુંબઈ શહેરમાં ધીરુબહેને લખેલાં બે નાટકો ચાલતાં હતાં – બન્ને બાળનાટકો – એક – ‘સૂતરફેણી’ – જે દાયકાઓ પહેલાં લખાયેલું અને બીજું તાજું નાટક – મનોજ શાહ દિગ્દર્શિત ‘મમ્મી તું આવી કેવી?’. મજાની વાત એ છે કે એ નાટક પરથી પછી ગુજરાતી ફિલ્મ આવી ગઈ પછી પણ નાટકના પ્રયોગો અટક્યા નહીં.

*

ધીરુબહેનના મિત્ર કવિ સુરેશ દલાલે સરસ વાત કહેલી : ધીરુબહેન ઇઝ અ લેડી ઑફ ડિસિશન. એક વાર એ નિર્ણય લે પછી શી’ઝ અનસ્ટૉપ્લેબલ!

કેવી ઇનસાઇટફુલ વાત!

સાઠના દાયકાની શરૂઆતનાં અકૅડમિક જીવનમાં ડૂબેલાં ધીરુબહેન ક્રિટિકલ રાઇટિંગ ખૂબ લખતાં. એ સમયનાં ધીરુબહેનની કલમ માણવી હોય તો સોમૈયા કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રકાશિત, સુરેશ દલાલ સંપાદિત ‘સમિધ-૨’માં છપાયેલો લેખ વાંચી શકાય. પાંચ પાનાંમાં પાંચ સર્જકોની પાંચ કૃતિઓનો ઉત્તમ ગદ્યમાં ફેંસલો કરી નાખ્યો છે.

આ જ અરસામાં રામભાઈ બક્ષી ધીરુબહેનને મળી ગયા. કહે, ‘ધીરુબહેન, હવે બસ. આ દિશામાં આગળ વધશો તો અમારી માફક પંડિત કે વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું. બહુ સભાન થઈ જશો તો સર્જકતા ખોઈ બેસશો. એ ન કરશો!’

૧૯૬૨માં છત્રીસ વર્ષની વયે ધીરુબહેને ભવન્સ કૉલેજની નોકરી છોડી દીધી અને ફુલ ટાઇમ લખવાનો નિર્ણય લીધો. આ અરસામાં કૃષ્ણવીર દીક્ષિતને મળવાનું થયું. એ કહે, બાવન પ્રકરણની નવલકથા આપો. ધીરુબહેને ક્યારેય નવલકથા લખી નહોતી તોય તેઓ ‘વારુ’, કહીને આવી ગયાં ઘેર. પછી અઠવાડિયાના છ દિવસ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તકનો અનુવાદ કરે અને ગુરુવારે નવલકથાનું એક     પ્રકરણ લખે. આ નવલકથા ‘વડવાનલ’ – જેના પ્રકાશનથી ધીરુબહેનની ગણના મહત્ત્વના સાહિત્યકારોમાં થવા લાગી.

૧૯૬૭માં સુરેશ દલાલ ખાર રહેતા અને ઘાટકોપર સોમૈયા કૉલેજમાં ભણાવતા, એ દિવસોની વાત છે. એમને ઘેરે ચર્ચા ચાલતી હતી કે લઘુનવલ કોને કહેવાય. ચર્ચા અધૂરી હતી અને સુરેશભાઈએ કૉલેજ જવા નીકળવાનું હતું એટલે ધીરુબહેન પણ સુરેશભાઈ સાથે વાહનમાં બેસી ગયાં. કૉલેજ પહોંચીનેય ચર્ચા પૂરી નહોતી થઈ. હવે સુરેશભાઈએ ક્લાસ લેવા જવાનું હતું. ધીરુબહેને કહ્યું, ‘તમે મને એક નોટબુક અને પેન આપો અને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ.’

સોમૈયા કૉલેજમાં સુરેશભાઈની કૅબિનમાં શરૂ થયેલી લઘુનવલ પાંચ દિવસે પૂરી થઈ, નામ – ‘વાંસનો અંકુર’. જાણે ધીરુબહેન કહેતાં હતાં, ‘ચર્ચા છોડો ને, સુરેશભાઈ! લઘુનવલ એટલે આ!’

*

સચિન તેંદુલકરે જેમ ક્રિકેટ ખેલના દરેક સ્વરૂપમાં સેન્ચુરી મારી છે, જેમ કે ટેસ્ટ મૅચ, વન ડે, કે ટી-ટ્‌વેન્ટી; તેમ જ ધીરુબહેને સાહિત્યના દરેક સ્વરૂપમાં ઓછામાં ઓછી એક સેન્ચુરી તો નોંધાવી જ છે. અનુવાદ હોય કે મૌલિક લખાણ; ટૂંકી વારતા, નવલિકા, લઘુનવલ, નવલકથા, લલિતનિબંધ, અને ખૂબ અંગત એવાં – ધીરુબહેન જ લખી શકે તેવાં – નિબંધ, વિવેચન, સંપાદન. ધીરુબહેને બાર વરસ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ‘સુધા’ સામયિકનું સંપાદન કર્યું હતું, એ પણ પગાર લીધા વિના, ઓનરરિ કેપેસિટીમાં – અને આ બધા તો સાહિત્યના ખેલ થયા – આ ઉપરાંત સચિન બૅટ બનાવવાની ફૅક્ટરી નાખે તેમ, એ પ્રકાશક રહી ચૂક્યાં છે! એટલું જ નહીં પણ પર્ફૉર્મિંગ આટ્‌ર્સના ક્ષેત્રે – સચિન કથકમાં સેન્ચુરી મારે તેમ – ધીરુબહેને રોડિયોનાટકો અને ટેલિપ્લેઝ લખ્યાં છે, અને સચિન ક્રિકેટ અકૅડમી ખોલે તેમ, બાળનાટકો અને બાળસાહિત્યની આખી દુનિયા ઊભી કરી છે! અને આ પૂરતું ન હોય તો હિન્દી ફિલ્મોને વખોડવાને બદલે સચિન બૅટ બાજુ પર મૂકી, ચૂનો ચોપડી, ‘લગાન’માં આમીરનો રોલ ભજવે તેમ; ગુજરાતી ફિલ્મોને વખોડવાને બદલે ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘વેરની વસૂલાત’, ‘ભવની ભવાઈ’, ‘હેડાહોડા’, અને ‘હારૂન-હરૂન’ જેવી અવૉર્ડવિનિંગ ગુજરાતી પટકથાઓ આપી છે.

*

છેલ્લે કવિતા પર આવીએ. કદાચ બહુ ઓછાંને ખબર હશે કે ગુજરાતી સંગ્રહ ‘છોળ અને છાલક’ પહેલાં ધીરુબહેને અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ આપ્યો હતો, ‘કિચન પોએમ્સ’. ૨૦૧૫માં બૅન્ગલોરનાં અભિનેત્રી પદ્માવતી રાવે એ વાંચીને મારો સંપર્ક કર્યો. એમણે સંગ્રહ તખ્તા પર ભજવવો હતો – એકપાત્રી અભિનય સ્વરૂપે, હું દિગ્દર્શન કરીશ? ત્યારે નાટ્યલેખન સિવાય તખ્તાના દરેક ખાતાથી રિટાયર થયે મારે એક દાયકો થયેલો. મેં પદ્માવતીને પૂછ્યું, ‘હું કેમ?’ તો કહે, ‘તમે ધીરુબહેનને ઓળખો છો, એમના ભાવવિશ્વથી પરિચિત છો, મારે કાવ્યોને ન્યાય કરવો છે. છે કોઈ બીજો દિગ્દર્શક જે આ કામ તમારાથી ચઢિયાતું કરી શકે? નામ સૂચવો. એની પાસે જઈશ.’ આવા ખુલ્લેઆમ મસ્કા કોઈ રૂપાળી સ્ત્રી મારે, પછી ભલભલા પ્રતિજ્ઞાબદ્ધ ઋષિઓની પણ શું વિસાત છે? અને હું ગમે તે હોઉં, ઋષિ તો નથી જ! ૨૦૧૫માં ઓપન થયેલું ‘કિચન પોએમ્સ – પોએટ્રી ઇન પર્ફૉર્મન્સ’ આજે પણ બૅન્ગલોરના તખ્તાને ઉજાળે છે.

*

પણ આ બધાથીય મારે મન મોટી વાત એ છે કે ધીરુબહેન છેક લગી ભાવક  રહ્યાં. વિસ્મય માટે એમના જીવનમાં કાયમ અવકાશ હતો. એટલે મારા જેવાને, અધૂરું હોય તો અધૂરુંય લખાણ, શાહી સુકાય એ પહેલાં ફોન કરી ધીરુબહેનને સંભળાવવાનું મન થતું. અને આનંદની વાત એ પણ ખરી કે આવી રીતે ક્યારેક એમનેય નવું લખાણ કે એનો ટુકડો મને સંભળાવવાનું મન થતું!

*

ધીરુબહેનને એટલાં સન્માનો અને અવૉડ્‌ર્ઝ મળ્યાં છે કે એની યાદી ઉડુપી હોટલના મેનુથીય લાંબી બને. એટલે સંક્ષિપ્તમાં, ધીરુબહેનને ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૬માં ‘દર્શક’ અવૉર્ડ, ૧૯૯૭માં ‘કનૈયાલાલ મુનશી સન્માન’, ૨૦૦૧માં ‘આગંતુક’ માટે નૅશનલ સાહિત્ય અકાદમી અવૉર્ડ, ૨૦૦૨માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘મૂર્ધન્ય સાહિત્યકાર’ અવૉર્ડ, ૨૦૦૩માં નૅશનલ લાઇબ્રેરી કલકત્તાના સેન્ટિનરી સેલિબ્રેશન્સ લિટરરી અવૉર્ડ, ૨૦૦૫માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’, ૨૦૦૭માં સાને ગુરુજી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટનો આંતરભારતીય અનુવાદ અવૉર્ડ, ૨૦૦૮માં સાંતાક્રૂઝ સ્ત્રીમંડળનું સન્માન, ૨૦૦૯માં પદ્મા બિનાની વાત્સલ્યરત્ન પુરસ્કાર, ૨૦૧૦માં પ્રિયદર્શિની અકૅડમી ગુજરાતી સાહિત્ય અવૉર્ડ, ૨૦૧૧માં રામમોહન ત્રિપાઠી સાહિત્ય પુરસ્કાર અને ‘ધર્મજ રત્ન’, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો નર્મદ અવૉર્ડ અને ૨૦૧૫માં દિલ્હી સાહિત્ય અકાદમીનો એમના સમગ્ર બાળસાહિત્ય માટે નૅશનલ અવૉર્ડ. અને હા, ૨૦૦૩માં એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. આજે કૌતુક લાગે, પણ ગુજરાતી સાહિત્યનો એ જમાનો પણ હતો.

*

અંતે, ધીરુબહેને ફોન પર કહેલી નાનકડી કથા મારે કહેવી છે. એક માણસ ટ્રેનમાં બિસ્ત્રાપોટલાં માથે લઈને ચડ્યો. ટ્રેન શરૂ થઈ પણ માણસ માથેથી પોટલાં નીચે મૂકે જ નહીં. આજુબાજુવાળા કહે, નીચે મૂકો ને ભાઈ, ઘણી જગ્યા છે. તો માણસ કહે કે એ તો કેમ મુકાય? આમાં તો મારો આખો સંસાર છે! તો કોઈક કહે, કે ભાઈ, પણ જ્યાં ટ્રેન જાય છે ત્યાં જ આપણે બધાએ જવાનું છે. પણ તોય માણસનું મન એન્જિનડ્રાઇવરને ભરોસે પોટલાંને અળગાં કરવાને માનતું નહોતું … પછી ધીરુબહેન કહે, ‘નૌશિલભાઈ, મારાં પોટલાં ઠેઠ હવે અળગાં કરવાની હિમ્મત આવી છે … જોઈએ, એન્જિનડ્રાઇવર ક્યાં લઈ જાય છે …’ 

*

એન્જિનડ્રાઇવર પણ ઓછો નથી. ધીરુબહેનની ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે એને ભૂપેનભાઈનો જન્મદિવસ જ જડ્યો!

Bon voyage, Dhiruben!

સૌજન્ય : “એતદ્દ”; 237; માર્ચ 2023; પૃ. 104-110

Loading

જેમણે કહી જાણ્યું ‘નો સર’ – સાંભરે ઉમાશંકર ને માવળંકર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 June 2023

એક મોડી સાંજે પંકજ કેળવણી મંડળના વિનુભાઈ અમીનની સ્મૃતિ સંધ્યામાં સહભાગી થવાનું બન્યું ત્યારે થઈ આવેલી સહજ લાગણી એ હતી કે સમાજ પાસે એવા શિક્ષક ક્યાં ને કેટલા, જે જાહેર જીવનનાં મૂલ્યો ને મુદ્દાને લઈને અવાજ ઉઠાવી શકે. અગોચર થતાં ગોચરો સહિતની જમીનલૂંટ વિશે હમણાંનાં વર્ષોમાં એક સક્ષમ એવો ગુજરાતી અવાજ આપણે ચુનીભાઈ વૈદ્યમાં જોયો. સ્વાભાવિક જ એવા મોટા પટ પર નહીં, પણ પોતાના સહજ ક્ષેત્રમાં એક ઝુઝારુ સર્વોદયીને નાતે આવી કામગીરી વિનુભાઈનીયે રહી. (ચુનીભાઈ પણ કારકિર્દીની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં મણુંદમાં શિક્ષક સ્તો હતા.)

ઉમાશંકર જોશી

પુરુષોત્તમ માવળંકર

ગુજરાત પાસે વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં ઉદાહરણો યાદ કરવાની કોશિશ કરું છું તો તરત સામે આવતાં બે નામો ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકરનાં છે. કવિ ઉમાશંકર મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તો, પછીથી, ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. આગળ ચાલતાં વાઈસ ચાન્સેલર પણ થયા. પુરુષોત્તમ ગણેશ માવળંકરે પોતે ચી.ન. વિદ્યાવિહારના છાત્ર હશે એ અરસામાં કે સહેજ આગળ પાછળ ‘હું શું થવા ઈચ્છું છું’ના ઉત્તરમાં શિક્ષક થવાનો ઉચ્ચ અભિલાષ વ્યક્ત કર્યો હતો. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એ રાજ્યશાસ્ત્રના અધ્યાપક થયા અને જાહેર જીવનમાં મતઘડતરની રાજનીતિના લડવૈયા તરીકે ઉભર્યા. માવળંકર અને ઉમાશંકરનાં નામ એકસાથે એટલા સારુ લીધાં કે 1975-77ના ગાળામાં ભરકટોકટીએ ગુજરાતના આ બે અવાજો, ઉ.જો. રાજ્યસભામાં અને પુ.ગ.મા. લોકસભામાં, નરવાનક્કુર ને નિર્ભીક સંભળાયા હતા. ઉમાશંકરનાં એ ભાષણો ‘સમયરંગ’-ગૂર્જરમાં જોવા મળે છે, અને માવળંકરનાં એમેઝોન પર ઉપલબ્ધ છે …‘નો સર!’

શિક્ષણ અને સમાજના વ્યાપક સંદર્ભમાં પુત્ર માવળંકર વિશે વાત કરતે કરતે પિતા માવળંકર – ગણેશ વાસુદેવ માવળંકરનું સ્મરણ થઈ આવ્યું. સામાન્યપણે દાદાસાહેબ તરીકે ઓળખાતા ગ.વા. ભણતા હતા ત્યારે ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો રહ્યા હતા અને દેશે સ્વરાજ સાથે એમને આપણી લોકસભાના પ્રથમ સ્પીકર તરીકે પિછાણ્યા હતા. આ ક્ષણે, અહીં એમને સંભારવાનો આશય એ છે કે ગુજરાત યુનિવર્સિટી રચાઈ રહી હતી ત્યારે પ્રથમ વાઈસ ચાન્સેલર તરીકે વિચારાઈ રહેલાં નામોમાં એમનુંયે હતું. રસપ્રદ વિગત આ સંદર્ભમાં કોઈ હોય તો એ છે કે આ નવી જવાબદારીની તરફેણમાં દાદાસાહેબ સ્પીકરનું પદ છોડવા તૈયાર હતા.

હાલના દોરમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હોવું એ હાડે કરીને કેવી મોટી વાત છે એનો ખાસ ખયાલ જોવા નથી મળતો ત્યારે એ સંભારવું કદાચ નોળવેલ સરખું થઈ પડશે કે ગુજરાત યુનિવર્સિટીના પહેલા વાઈસ ચાન્સેલર પદ માટે વિચારાયેલાં નામોમાં કાકાસાહેબ કાલેલકર અને કનૈયાલાલ મુનશી તેમ નાનાભાઈ ભટ્ટનાં પણ હતાં.

નાનભાઈ ભટ્ટ

આ નાનાભાઈ, ‘મહાભારતનાં પાત્રો’ના લેખક, એક સ્વતંત્રતાસૈનિક શિક્ષકને નાતે ઢેબરભાઈના પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રના શિક્ષણ પ્રધાન પણ થયા હતા. પણ જેવી પહેલી તક મળી કે તરત છૂટા થઈ એમણે ગ્રામ દક્ષિણામૂર્તિ – લોકભારતીનાં શૈક્ષણિક કામોમાં ગુંથાઈ જવું પસંદ કર્યું હતું. સ્વરાજ પૂર્વેથી ભાવનગર જિલ્લામાં શૈક્ષણિક સેવારત નાનાભાઈ-મનુભાઈનો મિજાજ શો હતો? સામાન્યપણે ઉપયોગી થતા દેશી રાજ્યના તંત્રે કોઈક મુદ્દે અવરોધ કર્યો તો એમણે કહ્યું કે સારી વાત છે. નવરાં પડશું તો તમારાં મૂળિયાં ખોદવા મંડશું. (પેલી ‘પિંક’ ફિલ્મ સાંભરે છે ને? મામલો અસ્મતનો હોય કે અસ્મિતાનો, ‘નો મીન્સ નો!’)

દાદાસાહેબ માવળંકર જેવા શિક્ષકવૃત્તિના હાડે કરીને લિબરલ જણ, પ્રસંગે કેવોક અભિગમ લઈ શકતા એની એક વાત આચાર્ય યશવન્ત શુક્લ પાસે સાંભળી છે. એચ.કે. આર્ટ્સ કોલેજરૂપે એક તબક્કે પ્રતિમાનવત્ નિર્માણ કરનાર યશવન્તભાઈ પૂર્વે વિધાસભામાં કાર્યરત હતા. એ વર્ષોમાં ગુજરાત વિદ્યાસભા(ફાર્બસ અને દલપતરામની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)ના અધ્યક્ષ દાદાસાહેબ હતા. પ્રજાસત્તાકની શરૂઆતનાં વર્ષોમાં રવિશંકર મહારાજ ને ઉમાશંકર જોશી સાથે યશવન્ત શુક્લ પણ ચીનના પ્રવાસે ગયા હતા. એ પાછા ફર્યા ત્યારે એમની ગેરહાજરીના ગાળાનો પગાર આપવો કે કાપવો એવી ચર્ચા ચાલી. ચર્ચાને અંતે પ્રમુખે ઠાવકાઈથી કહ્યું : યશવન્તભાઈને પ્રવાસથી મળેલ જ્ઞાનનો લાભ આપણા વિદ્યાર્થીઓને આપતા આપણે ઓછા કંઈ રોકી શકવાના હતા … તો પછી પગાર ક્યાંથી કાપી શકીએ?

મનુભાઈ પંચોળી

મૂલ્યોનો પ્રશ્ન અલબત્ત ખાંડાની ધારે ચાલવા જેવો હોય છે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ માટે મગનભાઈ દેસાઈ અને ઉમાશંકર જોશી વચ્ચે ચૂંટણીમાં પસંદગી કરવાની વાત આવી ત્યારે જેમ મગનભાઈ તેમ મનુભાઈ પંચોળી પણ કાઁગ્રેસમાં હશે. મગનભાઈની ઉમેદવારી પાછળ પક્ષીય આદેશ જેવું પીઠબળ હતું. પણ મનુભાઈ પંચોળીએ એવું વલણ લીધું કે આ જગ્યા (મગનભાઈ સમર્થ છતાં) પક્ષીય આદેશની જગ્યા નથી. એમણે સ્વતંત્ર અભિગમને ધોરણે ઉમાશંકર જોડે રહેવું પસંદ કર્યું. એમના તંત્રીપદે ત્યારે ‘કોડિયું’ પ્રગટ થતું હતું એનો લાભ લઈ ચકોરે કાર્ટૂન પણ કર્યું કે ‘કોડિયું’ કાઁગ્રેસ અને મગનભાઈને દઝાડે છે.

2023ના જૂનમાં આ બધું વારેવારે વાગોળવા જેવું લાગે છે, કેમ કે યુનિવર્સિટીઓ બહુ ઝડપથી સરકારી સંસ્થાનમાં ફેરવાઈ રહી છે. એકચક્રી વિચારઉત્પાદનમાં અધ્યાપનને, ઊંચા પગારધોરણો નાકે નથણી પેઠે સોહે છે. સ્વાયત્ત સંસ્થા પોતે થઈને સરકારી વાઈસ ચાન્સેલર પર ધરાર કળશ ઢોળે એ આ ‘ન્યૂ નોર્મલ’નો સૌથી નજીકનો સાક્ષાત્કાર છે. કીર્કેગાર્ડ બચાડો કબરમાં ઉદ્વિગ્ન ને ઉચાટવશ પડખાં ઘસતો હશે – આ અર્થમાં તો મેં કહ્યું નહોતું કે શરણાગતિથી રૂડી કોઈ પસંદગી નથી!

મહેસુરના વાડિયાર રાજા હિડલબર્ગ ગયા ને લાઈબ્રેરીમાં રસથી ફર્યા. પછી કોઈકે લાઈબ્રેરિયનને એમની ઓળખાણ આપી તો લાઈબ્રેરિયને એકદમ હરખ કીધો – શ્યામશાસ્ત્રીના ગામથી અમારે ત્યાં કોઈ આવે એ કેવી રૂડી વાત છે. ભલે ભાઈ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જૂન 2023

Loading

Teaser of Film on Savarkar: Lies Galore

Ram Puniayni|English Bazaar Patrika - OPED|6 June 2023

Ram Puniyani

Currently as the rightwing wing ideology is gaining ground many a films have already come to promote divisiveness, to glorify the icons of communal nationalism or to demonize the particular communities. In recent times we have seen films on these lines, be it Padmavat, or one on Prithviraj Chauhan, ‘Gandhi Virudh Godse’, ‘Kashmir files’ and ‘Kerala story’. Many of these in the name of artistic freedom are total propaganda films and some of them are very vulgar too. Film makers are rushing to this genre of films as some of them are ideologically oriented in the rightwing ideology, while others are assured of good moolah as those who matter in current political dispensation are out to promote these films for their political goals.

In this chain one new film’s teaser, ‘Swatantraveer Savakar’s teaser was released timed with his 140th birth Anniversary on 28th May when the new parliament building was also inaugurated. The 73 second teaser makes some statements and all of them are either false or manipulated to glorify Savarkar, the patron saint of Hindu nationalism. Though he was not part of RSS, it was his book ‘Hindutva or Who is a Hindu’ which formed the ideological base of RSS. As RSS did not participate in the freedom struggle, it has been constructing icons which it thinks can be ideologically close to its political agenda. Savarkar is their major choice as in the first part of his life till he was jailed in Andman’s and was anti-British revolutionary. Harping on this part of his life the Hindu nationalists glorify him to the sky.

When Atal Bihari Vajpayee led NDA came to power in 1998, Savarkar’s portrait was unveiled in the parliament. The debate around unveiling of his portrait also projected the second part of his life when he emerged as the ideologue of Hindu nationalism, ‘two nation theory’ and his collaboration with British rule.

During his regime Vajpayee planned to give Bharat Ratna to Savarkar, but this proposal was turned down by the then President of India, Dr. K.R. Narayanan. That notwithstanding a plaque was put up in his honor in Andmans. Now during the last nine years as Modi is ruling, Savarkar anniversary is celebrated with pomp and the latest in the series of honoring him was to inaugurate the new parliament building on his birthday.

The tease states that only few people participated in the anti British struggle and the rest were there to grab power. This is a big insult to all those revolutionaries who, unlike Savarkar rotted and died in Andman jail, to all those Indians who participated in the major anti British Movements of 1920 (Non Cooperation), the Civil disobedience (1930), Dandi March, the Quit India. It is also an insult to the likes of Bhagat Singh, Chandrasekhar Azad and their colleagues who in the bravest possible fashion put their lives on their palms and stood rock solid against the British Empire. It is an insult to the efforts of Netaji’s Azad Hind Fauz.

Teaser goes on to state that had Gandhi not insisted on non violence India would have got freedom 35 years ago, i.e. in 1912! The script writer must have been in the world of unadulterated fiction to have written this. In 1912, Savarkar himself was in Andmans, Tilak, the major leader of Congress, was in Mandalay prison and Gandhi was in South Africa. That the major role in the freedom of the country was played by non-violence is stating the obvious. The revolutionaries like Bhagat Singh, in later part of their movement, opined that non violent mass movement is the path for getting freedom.

Teaser claims that it was Savarkar, who was the source of inspiration for Khudiram Bose, Bhagat Singh and Netaji Bose. Lies should have their limits but not for those who are motivated ideologically especially in sectarian nationalism. Eighteen year old Khudiram Bose was martyred in 1908 an year before Savarkar’s book on 1857 came to light, while Savarakr himself was in London from 1906 to 1911. As far as Bhagat Singh is concerned he did mention Savarakr’s book on 1857 and ‘Hindu Padpadshi’ among many other books, not as a source of inspiration but for some quotes. Bhagat Singh was inspired by Gadar party’s Kartar Sarabha, whose photo he used to carry in his pocket. And also by Lenin, whose literature he devoured through and through.

Bhagat Singh was a total contrast to Savarkar. Savarkar pleaded for clemency, offering to serve the British in whatever way they thought fit. He did help strengthen their army in the context of the Second World War and was a recipient of a British pension of Rs 60 per month. Savarkar did not utter a single word when Bhagat Singh was hanged to death!

As far as Subhashchandra Bose, the rumor is spread through multiple mechanisms, that it was on Savakar’s advice that he formed Azad Hind Fauz. There is no truth in this. Savarakar actually was helping the British army when Bose’s army was fighting against the British. Bose was for composite nationalism, while Savarkar was the ideologue of religion based nationalism, two nation theory. Bose was equally critical of Savarakar and Jinnah whom he urged to close ranks and join the freedom movement, while this duo served the British designs of suppressing the national movement.

In his article in The Forward Bloc (his paper) Bose argued that ‘The Hindu Mahasabha has been doing incalculable harm to the idea of Indian nationhood by underlining the communal differences—by lumping all the Muslims together…We cannot oblige Mr Savarkar by ignoring the contributions of the nationalist Muslims to the cause of India.’

He wrote in the second part of his book, The Indian Struggle, that while Jinnah ‘was then thinking only of how to realise his plan of Pakistan (the division of India) with the help of the British,’ Savarkar seemed to be oblivious of the international situation and was only thinking how the Hindus could secure military training by entering Britain’s army in India.’

In response to the teaser of the film, Netaji’s daughter Pfaff told Times of India, “Like Mahatma Gandhi, Netaji was opposed to the divisiveness based on religious differences. Let Sarvarkar’s followers join Netaji in his vision for India and not hijack him for views that certainly were not his,”

We are living in times where the Hindu right wing is being well served by many in the film World, and this forthcoming film based on falsehoods will be one more example of the same.

https://countercurrents.org/2023/06/teaser-of-film-on-savarkar-lies-galore/

Loading

...102030...981982983984...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved