ડૂમો ભરાયો છે ગળામાં,
મૌન પૂરાયો છે ગળામાં,
આંસુઓ પૂછે છે આવીને
કોણ ઘેરાયો છે ગળામાં,
સૌની નજરની સામે રોજ
દર્દ ટકરાયો છે ગળામાં,
વાણી બની ગઈ નિ:શબ્દ
કામણ કરાયો છે ગળામાં,
સવારના કિનારે આવીને
સ્વપ્ન મરાયો છે ગળામાં,
સમયના મેળામાં ઓચિંતો
‘ભાવુક’ ચોરાયો છે ગળામાં.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com
![]()



સનાતન ધર્મ અંગે ગાંધીજીએ અહીંયા જે ચાર બાબતો ટાંકી છે તેમાં હિંદુ ધર્મની જે પરંપરાગત આસ્થા છે તેનો સૂર છે. પરંતુ અહીં તુરંત ગાંધીજી હિંદુ ધર્મશાસ્ત્રો વિશે સ્પષ્ટતા કરતા લખે છે : “… વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી — પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય — બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.”