Opinion Magazine
Number of visits: 9666242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગળામાં

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|24 September 2023

ડૂમો ભરાયો છે ગળામાં,

મૌન પૂરાયો છે  ગળામાં,

આંસુઓ પૂછે છે આવીને

કોણ ઘેરાયો છે ગળામાં,

સૌની નજરની સામે રોજ

દર્દ ટકરાયો છે ગળામાં,

વાણી બની ગઈ નિ:શબ્દ 

કામણ કરાયો છે ગળામાં,

સવારના કિનારે આવીને

સ્વપ્ન મરાયો છે ગળામાં,

સમયના મેળામાં ઓચિંતો

‘ભાવુક’ ચોરાયો છે ગળામાં.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

ચૂંટણી જીતવા 15 વરસ પછી ખાવા મળે એવું ગાજર

રમેશ ઓઝા|Opinion - Opinion|24 September 2023

રમેશ ઓઝા

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી. કરતાં કાઁગ્રેસને મહિલાઓનાં લગભગ ૧૧ ટકા વધુ મત મળ્યા એ જોઇને બી.જે.પી.ના નેતાઓના મનમાં ડર પેદા થાય એ સ્વાભાવિક છે. એ પછી પહેલવાન છોકરીઓ સાથે બી.જે.પી.ના સંસદસભ્ય બ્રીજ ભૂષણ શરણસિંહ દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીની અને તેનો વિરોધ કરનારી મહિલાઓ સાથે પોલીસે કરેલ અતિરેકની ઘટના તેમ જ મણિપુરની શરમથી મસ્તક ઝુકી જાય એવી ઘટના જોઇને મહિલાઓ હજુ વધુ નારાજ હોય એમ માનવાને કારણ છે. કેટલાંક સર્વેક્ષણોમાં પણ કહેવામાં આવ્યું છે કે પુરુષ કરતાં મહિલાઓ બી.જે.પી.થી વધુ નારાજ છે.

દેખીતી રીતે આનો તોટકો કરવો પડે એમ હતો અને સરકારે લોકસભા તેમ જ વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરીને તોટકો કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં તોટકો શબ્દ જાણીબૂજીને વાપર્યો છે. આજના શાસકો માટે ગમે તે થાય ચૂંટણી જીતવી છે એટલે આજથી ૧૫ વરસ પછી લાગુ થાય એવી જોગવાઈ આજે કરી છે. ૧૫ વરસ પછી લાગુ થાય એવો કાયદો કરવાની ઘટના જગતના ઇતિહાસમાં ક્યાં ય નથી બની. અપૂર્વ ઘટના છે. એ કઈ રીતે એ જોઈએ.

સમયાંતરે મતદારક્ષેત્રોની પરિસીમાનું પુન:નિર્ધારણ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે માનવી ઉદ્યમી અને સતત સ્થળાંતર કરતું પ્રાણી છે. બે દાયકામાં કસબાઓ શહેરમાં બદલાય છે અને વસ્તી ચાર ગણી વધી જાય છે. પરંતુ આ વારંવાર કરવામાં આવતું નથી અને જ્યારે થાય છે ત્યારે તેની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આનું પણ એક કારણ છે. ભારત રાજ્યોનો બનેલો સંઘ છે અને સંઘરાજ્યોનાં વિકાસની રફતાર એક સરખી નથી. વસ્તીવધારાનું પ્રમાણ પણ એક સરખું નથી. માટે કોઈ રાજ્યને અન્યાય ન થાય, કોઈ પ્રજાને અન્યાય ન થાય અને પ્રતિનિધિ ગૃહોમાં સંતુલન જળવાઈ રહે એ માટે મતદારક્ષેત્રોનું સીમા નિર્ધારણ વારંવાર નથી થતું અને જ્યારે થાય છે ત્યારે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

બંધારણીય જોગવાઈ મુજબ મતદારક્ષેત્રોની સીમાનિર્ધારણ માટે એક પંચની રચના કરવામાં આવે છે જે ડીલિમિટેશન કમિશન તરીકે ઓળખાય છે. આવું પહેલું ડીલિમિટેશન કમિશન ૧૯૫૨ની સાલમાં રચવામાં આવ્યું હતું અને તેણે દેશના ઇતિહાસમાં પહેલી વાર મતદારક્ષેત્રો નક્કી કર્યા હતા અને એ રીતે લોકસભાની ૪૯૪ બેઠકોમાં દેશને વહેંચ્યો હતો. ૧૯૬૩માં બીજું ડીલિમિટેશન કમિશન રચવામાં આવ્યું હતું જેણે પુન: સીમાનિર્ધારણ કરીને દેશને ૫૨૨ બેઠકોમાં વહેંચ્યો હતો. ત્રીજું ડીલિમિટેશન કમિશન ૧૯૭૩માં રચાયું હતું અને તેણે પુન: સીમાનિર્ધારણ કરીને દેશને ૫૪૩ બેઠકોમાં વહેંચ્યો હતો. ત્રણ દાયકાના અંતર પછી ૨૦૦૨ની સાલમાં ચોથું ડીલિમિટેશન કમિશન રચવામાં આવ્યું હતું અને તેણે કોઈ મોટો ફેરફાર સૂચવ્યો નહોતો. ત્યારે ખાસ સ્થિતિને ધ્યાનમાં રાખીને બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો કે હવે પછી પાંચમું ડીલિમિટેશન કમિશન સીધું ૨૫ વરસ પછી ૨૦૨૬ પછી રચવામાં આવે અને તેણે ૨૦૩૧ના વસ્તીગણતરીના આધારે સીમાનિર્ધારણ કરવાનું રહેશે. આનો અર્થ એ થયો કે પાંચમું ડીલિમિટેશન કમિશન ૨૦૩૧ પછી સક્રિય થશે.

એ ખાસ સ્થિતિ શી હતી એવી જિજ્ઞાસા વાચકના મનમાં થઈ હોવી જોઈએ. સુજ્ઞ વાચકના ધ્યાનમાં એ પણ આવ્યું હશે કે વ્યવહારમાં ૧૯૭૩થી ૧૯૩૧ એમ છ દાયકા સુધી જૈસે થે સ્થિતિ જાળવી રાખવા પાછળનું શું પ્રયોજન? આ એક અલાયદા લેખનો વિષય છે, પણ સંક્ષેપમાં જણાવી દઉં કે દેશમાં પ્રચંડ માત્રામાં વસ્તીનું અસંતુલન પેદા થયું છે અને હજુ થઈ રહ્યું છે અને શહેરીકરણના કારણે પ્રચંડ માત્રામાં પ્રજાકીય સ્થળાંતર તેમ જ વસ્તીની ઘનતા (પોપ્યુલેશન ડેન્સિટી) વધી રહી છે અને એ હજુ પણ ચાલે છે. જ્યાં સુધી વસ્તીવધારાના પ્રમાણમાં વિકસિત અને વિકાસશીલ તેમ જ અવિકસિત રાજ્યો વચ્ચેની ખાઈ ઓછી ન થાય અને શહેરીકરણની પ્રક્રિયા તેની ટોચે ન પહોંચે ત્યાં સુધી હળવે હલેસે કામ લેવાનો આની પાછળનો ઉદ્દેશ છે કે જેથી રાજ્યોમાં પ્રજાકીય અસંતોષ પેદા ન થાય. અહીં એક ટકોર કરી દઉં કે પહેલાના શાસકો માત્ર ચૂંટણી નહોતા લડતા, તેઓ શાસન કરતા હતા અને લાંબા ગાળાના દેશહિતની પણ ચિંતા કરતા હતા. અહીં તો આજે ચૂંટણી જીતવા ૧૫ વરસ પછી ખાવા મળે એવું ગાજર આપવામાં આવ્યું છે.

હવે મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો આપવાની જોગવાઈ કરનારા ખરડામાં કહેવામાં આવ્યું છે કે અનામતની જોગવાઈ ૨૦૨૬ની સાલમાં રચનારા ડીલિમિટેશન કમિશન સીમાનિર્ધારણ કરે એ પછી લાગુ થશે. લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ જોગવાઈ ૨૦૨૯ની ચૂંટણીમાં લાગુ “થઈ શકે છે”. થઈ શકે છે, થશે એમ નથી કહ્યું. ગૃહ પ્રધાનને ખબર છે કે એ થવાનું નથી, કારણ કે ૨૦૦૨ની બંધારણીય જોગવાઈ મુજબ ડીલિમિટેશન કમિશને ૨૦૩૧ના વસ્તીગણતરીના આધારે મતદારક્ષેત્રોની સીમા દોરવાની છે. હવે માની લો કે ૨૦૨૪માં બી.જે.પી.ની સરકાર પાછી સત્તામાં આવે અને એ બંધારણમાં સુધારો કરીને ૨૦૨૫માં થનારી વસ્તીગણતરીના આધારે ડીલિમિટેશન કમિશનને કામ કરવાનું કહે તો પણ ૨૦૨૯ની ચૂંટણીમાં આ જોગવાઈ લાગુ ન થઈ શકે. કારણ એ છે કે ૨૦૨૫ની સાલમાં વસ્તીગણતરી થશે. ૨૦૨૭માં તેનો અંતિમ અહેવાલ મળશે. ૨૦૨૭ પછી ડીલિમિટેશન કમિશન કામ કરતું થશે અને તેની પ્રક્રિયા જોતાં અને આજ સુધીનો અનુભવ જોતાં તેને પોતાનો અહેવાલ આપતાં પાંચ વરસ લાગે. આમ ૨૦૨૯માં આ લાગુ ન થઈ શકે. ૨૦૨૫ના વસ્તીગણતરીના આંકડા પકડે તો વહેલામાં વહેલી ૨૦૩૪ની સામાન્ય ચૂંટણીમાં આ જોગવાઈ લાગુ થઈ શકે છે.

તો સવાલ એ છે કે ૧૫ વરસ પછી લાગુ થનારી જોગવાઈને આજેને આજે સંસદનું ખાસ અધિવેશન બોલાવીને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની શી ઘાઈ હતી? ૨૦૨૫ પછી વસ્તી ગણતરીના આંકડા આવ્યા પછી નવી લોકસભામાં આ ખરડો આવી શકતો હતો? કારણ બે છે: મારા સિવાય બીજા કોઈને જશ ન મળવો જોઈએ અને ચૂંટણી જીતવી છે. જો તેમનું ચાલે તો સમયને ભગાવીને આઝાદીની શતાબ્દી પણ આજે ઉજવી નાખે.

હવે બીજી વાત. જાહેરજીવનમાં મહિલાઓ પ્રવેશવી જોઈએ અને તેને લોકપ્રતિનિધિગૃહોમાં સ્થાન મળવું જોઈએ એવી કલ્પના રાજીવ ગાંધીની હતી. ૧૯૮૯ની સાલમાં લોકસભા અને વિધાનસભાઓને છોડીને બાકીનાં તમામ લોકપ્રતિનિધિગૃહોમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનમાત રાખવાની જોગવાઈ કરનારો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે મંજૂર પણ થયો હતો. માત્ર રાજ્યસભામાં મંજૂર થઈ શક્યો નહોતો અને લોકસભાની મુદ્દત પૂરી થઈ ગઈ. બંધારણ મુજબ લોકસભાની મુદ્દત પૂરી થાય કે તેનો ભંગ થાય એ સાથે બધા જ પસાર નહીં થયેલા ખરડાઓ વિલુપ્ત થઈ જતા હોય છે. પાછળથી એ ખરડો પી.વી. નરસિંહરાવની સરકારે ૧૯૯૨માં બન્ને ગૃહોમાં મંજૂર કરાવ્યો હતો અને ૧૯૯૩થી એ દેશભરમાં લાગુ છે. ૧૫ વરસ પછી લાગુ થાય એવો એ ખરડો નહોતો.

૧૯૯૬માં દેવગોવડાની સરકારે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત કરવાની જોગવાઈ કરનારો ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો જે પસાર થઈ શક્યો નહોતો. એ પછી વાજપેયી સરકારે અને ડૉ મનમોહન સિંહની સરકારે એ ખરડો રજૂ કર્યો હતો અને દરેક વખતે એ કોઈને કોઈ ગૃહમાં નામજૂર થયો હતો. કારણ એ હતું કે બહુજન સમાજનો ખરડામાં જે પ્રકારની જોગવાઈ હતી તેની સામે વિરોધ હતો. તેમનું કહેવાનું એમ હતું કે મહિલાઓ માટે ભલે બેઠકો અનામત રાખવામાં આવે પણ બહુજન સમાજની સ્ત્રીઓ માટે અનામત અંતર્ગત અનામત બેઠકો રાખવામાં આવે. અન્યથા બહુજન સમાજનું લોકસભા અને વિધાનસભાઓમાનું પ્રતિનિધિત્વ ઘટી જાય. સવર્ણ સમાજની સ્ત્રીઓ સામે ગરીબ બહુજન સમાજની અલ્પ શિક્ષિત સ્ત્રી ક્યાંથી મુકાબલો કરી શકવાની? તેમની વાતમાં દમ હતો અને કાઁગ્રેસ તેમ બી.જે.પી. બન્ને આને માટે તૈયાર નહોતા. ન્યાય જ કરવો છે તો એ સંપૂર્ણ હોવો જોઈએ.

અને હા, આગલા વિલોપન પામેલા ખરડાઓમાં એમ નહોતું કહેવામાં આવ્યું કે મહિલાઓને આપવામાં આવનારી અનામત બેઠકોની જોગવાઈ ડીલિમિટેશન કમિશનનો અહેવાલ મળ્યા પછી લાગુ કરવામાં આવશે. એવી કોઈ કાનૂની કે બંધારણીય અનિવાર્યતા નથી. તો પછી નરેન્દ્ર મોદીની સરકારે આનું ઉમેરણ શા માટે કર્યું? ન કર્યું હોત તો ચાલત. કારણ કે આપવું નહોતું એટલે. આગળ ૨૦૩૯માં એ વખતના લોકો જાણે. અત્યારે તો માત્ર મહિલાઓના મત જોઈએ છે. જો મહિલાઓ માટે સાચી લાગણી હોત તો બ્રીજ ભૂષણ શરણ સિંહ જેલમાં હોત, પોલીસે પહેલવાન છોકરીઓ ઉપર દમન ન કર્યું હોત અને મણિપુરની ઘટના જોઇને હ્રદય દ્રવી ઉઠ્યું હોત!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2023

Loading

સનાતન ધર્મ વિશે ગાંધીજી શું કહે છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|23 September 2023

“જિસ સનાતન કો ગાંધીજીને જીવનપર્યંત માના. જિન ભગવાન શ્રીરામને ઉનકો જીવનભર પ્રેરણા દી. ઉનકે આખરી શબ્દ બને થે રામ. જિસ સનાનતને ઉન્હે અસ્પૃશ્યતા કે ખિલાફ આંદોલન ચલાને કે લિએ પ્રેરીત કિયા. યહ I.N.D.I.A. ગઠબંધન કે લોગ, યહ ઘમંડિયા ગઠબંધન કે લોગ ઉસ સનાતન પરંપરા કો સમાપ્ત કરના ચાહતે હૈ ..” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મધ્ય પ્રદેશના બીનામાં એક કાર્યક્રમમાં વિરોધ પક્ષના ગઠબંધન પર પ્રહાર કરતાં ઉપરોક્ત ભાષણબાજી કરી હતી. જો કે નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મને ગાંધીજી સાથે જોડીને જે વાત કરી તેની પાછળ તેમનો હેતુ ધર્મના નામે રાજકારણ રમવાનો છે. ગાંધીજીના સનાતન ધર્મને લઈને જે વિચારો હતા તે ધર્મની આજે જે વ્યાખ્યાઓ અને અર્થ કરાયા છે તેનાથી ઘણા ભિન્ન હતા. ગાંધીજી એ ધર્મ અંગેના પોતાના વિચારો ખૂબ સ્પષ્ટતાથી રજૂ કર્યા છે. 1921માં ‘નવજીવન’ સામયિકમાં તેમણે ‘હિંદુ ધર્મ’ના મથાળેથી સનાતન ધર્મ વિશે ખૂબ વિગતે લખ્યું છે.

તેઓ લેખની શરૂઆતમાં લખે છે : “હું હંમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું .… અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલીયે બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાને સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઇચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઇચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. “સનાતન” શબ્દ હું એના સ્વાભાવિક અર્થમાં જ હંમેશાં વાપરું છું. હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે : 

  1. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. 

     2.  હું વર્ણાશ્રમધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં.

     3.  હું ગૌરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ઘણા વધારે વિશાળ અર્થમાં માનું છું.  

     4.  મૂર્તિપૂજાને વિષે મારી અનાસ્થા નથી.

સનાતન ધર્મ અંગે ગાંધીજીએ અહીંયા જે ચાર બાબતો ટાંકી છે તેમાં હિંદુ ધર્મની જે પરંપરાગત આસ્થા છે તેનો સૂર છે. પરંતુ અહીં તુરંત ગાંધીજી હિંદુ ધર્મશાસ્ત્રો વિશે સ્પષ્ટતા કરતા લખે છે : “… વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી — પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય — બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.”

અહીં ગાંધીજી કુરાન, બાઈબલ અને ઝંદાઅવસ્તાને વેદોની હરોળમાં મૂકે છે. આ ઉપરાંત શાસ્ત્રો જો બુદ્ધિ અને નૈતિક દૃષ્ટિએ યોગ્ય ન લાગે તો તેમાં બંધાઈ જવાનો પણ ઇન્‌કાર કરે છે. શંકરાચાર્યો પર પ્રશ્નો કરીને તેઓના ધર્મગ્રંથોનું જ્ઞાન અસ્તવ્યસ્ત છે તે પણ જણાવે છે. ગાંધીજીના નામનો આધાર લઈને સનાતન ધર્મની વાતો કરનારા આજના રાજકારણીઓ શું ખુલીને ગાંધીજીના આ વિચારોનો સ્વીકાર કરી શકશે?

જો કે ગાંધીજીએ સનાતન ધર્મની બાબતે વર્ણાશ્રમને લઈને જે વિચારો મૂક્યા છે તેના સ્વીકારને લઈને સતત વિવાદ થતા રહ્યા છે. ખાસ કરીને વર્તમાન સમયે ગાંધીજીના વર્ણાશ્રમ સંબંધિત વિચારો સાથે સહમતિ સાધી શકાતી નથી. વર્ણાશ્રમનો સ્વીકાર કરતા ગાંધીજી આભડછેટનો મક્કમતાથી વિરોધ કરે છે. તેઓ આ બાબતે એક પ્રસંગ ટાંકતા લખે છે : “દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુ:ખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં! મને ભય છે કે શું ખાવું અને કોની જોડે ખાવું એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી ઘણી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.”

વર્ણાશ્રમ પછી તેઓ હિંદુ ધર્મ અને ગાય વિશે પણ આ લેખમાં ખાસ્સું લખ્યું છે અને તેઓ ગોરક્ષામાં આપણે ગાયની કેવી દુર્દશા કરી મૂકી છે તેના વિશે પણ લખવાનું ચૂક્યા નથી. ગાંધીજીએ ગીતા, રામાયણ અને મહાભારત તરફની તેમની મમતા વિશે કહ્યું છે :  … એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ(જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવમાં મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવતો. હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે.”

ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનો સૌથી મોટી મર્યાદા ગણાવી છે : “આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હંમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે, પણ એવી બીજી પણ અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારે હું તો શરમથી મરી જ રહ્યું. અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યા અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે.”

હિંદુ ધર્મની આ વાતો ગાંધીજીએ 1921માં લખી છે અને એ પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. ગાંધીજીના ઘણા વિચારોમાં વિરોધભાસ જોવા મળે છે તો કેટલાંક વિચારોમાં પરિવર્તન પણ આવ્યું છે. આ બાબતે તેમણે 1933માં લખ્યું છે કે, “મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈના મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...979980981982...9901,0001,010...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved