Opinion Magazine
Number of visits: 9457917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્ઞાનસેતુ’માં જ્ઞાન સિવાય બધું જ છે ..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|9 June 2023

રવીન્દ્ર પારેખ

2023થી નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં ગુજરાતનો શિક્ષણ વિભાગ એવો રઘવાયો થયો છે કે તમામ સ્તરે શાલેય શિક્ષણની પથારી ફરવામાં કૈં બાકી રહ્યું નથી. એટલા બધા તરંગો સાહેબોને ફૂટે છે કે તઘલખ તો પાછળ રહી ગયેલો લાગે ! બહુ દૂર ન જતાં માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જે તુક્કાઓથી કામ લેવાઈ રહ્યું છે તે જોતાં તો નવો ભંગાર જ હાથ લાગે છે. આમ તો આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થાય છે, પણ એમાં કૃપાગુણ મળે એવી સ્થિતિ પણ નથી. ગુજરાતના શિક્ષણ વિભાગને મનોચિકિત્સાની જરૂર છે, કારણ તે વારંવાર અસ્થિર મનોદશાનો જ પરચો આપતો રહ્યો છે. એનાં નિર્ણયોમાં સ્થૈર્ય અને ધૈર્ય સતત ખૂટતાં રહ્યાં છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે 20મી માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) શરૂ થવાની વાત હતી ને તેને માટે રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તારવીને, તેમને ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની ગણતરી હતી. મૂળ ઉદ્દેશ તો 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવાનો હતો. હેતુ સારો, પણ આયોજનમાં ભારે ઉતાવળ હતી, તે એ રીતે કે 23મીએ પરિપત્ર થયો ને 23મીથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરાયું ને 5 એપ્રિલ સુધીમાં તો તે પૂરું પણ કરી દેવાયું. 27 એપ્રિલે આ પ્રવેશ પરીક્ષા લેવાવાની હતી જેમાં સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1થી 5 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જ પાત્ર હતા.

આ બધું આકર્ષક લાગે એવું હતું, પણ એને માટે ફાળવાયેલો સમય ઓછો હતો. 23 માર્ચથી 5 એપ્રિલના 12 દિવસમાં ફોર્મ ભરવાનું દરેક માટે અનુકૂળ બને જ એવું ન હતું. ઘણાંને એની માહિતી ય પહોંચી ન હોય એમ બને. વધારામાં 27મી એપ્રિલે પરીક્ષા હતી. એ જ ગાળામાં વાર્ષિક પરીક્ષાઓ પણ હતી. એટલે ક્યાં ય પૂરું ધ્યાન કોઈનું જ ન રહે એ સ્થિતિ હતી. ગમ્મત એ હતી કે RTEની કલમ 15 મુજબ કોઈ પણ શાળામાં પ્રવેશ માટે પરીક્ષા ન લઈ શકાય એવું કાયદાએ ઠરાવેલું હતું ને સરકાર જ એ કાયદાને ભૂલીને ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હતી. આવું કરીને સરકાર ભેદભાવ ઊભો કરી રહી હતી. એક તરફ સમાન શિક્ષણની વાતો ચાલતી હોય ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વધુ લાયક અને સ્કૂલની પરીક્ષા પાસ કરનાર ઓછો લાયક એવો ભેદ ઊભો થતો હતો. તે એ રીતે કે એન્ટ્રન્સ પાસ કરનારને ખાનગી સ્કૂલોમાં જ્ઞાનશક્તિ કે જ્ઞાનસેતુ હેઠળ શિક્ષણની તકો મળવાની હતી ને વધુ ટકા આવ્યા હોય તો પણ પ્રાથમિકના વિદ્યાર્થીની પાત્રતા ઓછી એટલે હતી, કારણ તે એન્ટ્રન્સમાં બેસવાનો ન હતો. એક સગવડ એવી પણ હતી કે પ્રાથમિકમાં 6 પાસ થનાર પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને જ્ઞાનસ્કૂલોમાં જઇ શકે, પણ તેણે અભ્યાસ તો ધોરણ 6નો જ કરવાનો રહે. એટલે કે પાસ થયો હોય તો પણ ધોરણ 6માં નાપાસ થયો હોય તેમ તેણે ધોરણ 6 રિપીટ કરવું પડે. લાગે છે, આમાં ‘જ્ઞાન’નો ક્યાં ય પણ ઉપયોગ થયો છે? એક તરફ વગર પરીક્ષાએ બબ્બે વર્ષ માસ પ્રમોશન અપાયું હોય ને બીજી બાજુએ 6ની પરીક્ષા પાસ થયો હોય તેને નાપાસ ગણાય એ કોઈ રીતે યોગ્ય ન હતું. એના કરતાં તો ‘જ્ઞાન’નો લોભ છોડીને ગૌરવભેર ધોરણ સાતમાં પ્રવેશવું વધારે ડહાપણ ભરેલું હતું. જે સ્કૂલ શરૂ જ ન થઈ હોય એ પાસ થયેલાને પણ નાપાસ ગણે એ તો ગુજરાતમાં જ બને.

એ દુ:ખદ હતું કે આ ભેદ ગુજરાતની જ સ્કૂલોમાં પાડવામાં આવી રહ્યો હતો. વધારે આઘાતજનક તો એ હતું કે જ્ઞાન સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષા માટે તૈયાર તો પ્રાથમિકનો શિક્ષક જ કરાવી રહ્યો હતો, જ્યાં પછી એ વિદ્યાર્થી પ્રવેશ લેવાનો ન હતો. એવા તો 53,000થી વધુ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હતા ને એ ખાનગી  સ્કૂલોમાં જવાના હતા ને એને લીધે જે તે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઘટ પડવાની હતી. ટૂંકમાં, કોમન ટેસ્ટ માટે તૈયારી કરાવીને શિક્ષકો પોતાની સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની ઘટ ઊભી કરવાના હતા. જે પ્રાથમિકનો શિક્ષક બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરાવી શકે એ સ્કૂલો પર સરકારને જ ભરોસો ન હતો ને એવી  સ્કૂલના વિદ્યાર્થીઓને તે ખાનગી સ્કૂલોને સોંપવાની હતી. સાચું તો એ છે કે સરકારની જ દાનત નથી કે પ્રાથમિક સ્કૂલો ગુણવત્તાવાળી થાય, બાકી, બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરી આપે તે શિક્ષક પોતાની સ્કૂલ માટે તૈયાર ન કરે એવું બને ખરું?

એવી જ્ઞાનસ્કૂલો શરૂ કરનારી સરકારે, એની વ્યવસ્થાઓ અને ગુણવત્તા અંગે આજ સુધી ફોડ પાડ્યો નથી  કે એ કઇ રીતે પ્રાથમિકથી જુદી હશે? લાગે છે એવું કે નવું સત્ર જૂન, 2023માં શરૂ થયું ત્યાં સુધી સરકાર પાસે કોઈ વ્યવસ્થા કે સ્પષ્ટતા ન હતી. જ્ઞાનસ્કૂલોની જે વાતો હતી તે 6થી 12 ધોરણ સુધીની હતી ને એ વાત વિચારણામાં આવી ત્યારથી જૂન સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય હતું. એ વાત નક્કી હતી કે આ ઘોડું દશેરાએ જ દોડવાનું નથી. એમ જ થયું. આ અંગેનો લેખ 13 એપ્રિલે ‘છનો છક્કો’ શીર્ષકથી આ જ કોલમમાં કરેલો. તેમાં લખેલું, ’… સરકારને વળી નવો તુક્કો સૂઝે ને એ બધું જ બંધ કરી દે તો વાત જુદી છે.’

– ને ગઈ સાત જૂને સરકારે જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરી. પાંચ લાખથી વધુ બાળકોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, પણ તે પહેલાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ નવો તુક્કો આવે ત્યાં સુધી અભરાઈએ ચડાવી દેવાયો છે. આટલું કરીને સરકાર અટકતી નથી, તે તરત જ બીજી યોજના લઈને આવી પહોંચે છે. જ્ઞાનસ્કૂલો રાતોરાત જ્ઞાન સ્કૉલરશિપમાં પલટાઈ જાય છે. શિક્ષણ વિભાગની ખાસિયત એ છે કે તે પોતાની યોજના લાવે છે તો તેના ફાયદા ગણાવે છે ને રદ્દ કરે છે તો તેનાય ફાયદા ગણાવે છે. એની ખૂબી એ છે કે એ નુકસાનમાં જતી નથી. બીજા જતા હોય તો તે તેમનું નસીબ !

સ્કૂલો હવે સ્કૉલરશિપમાં ફેરવાઇ ગઈ છે. ’જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ’માં મુખ્ય મંત્રી ઉમેરાયા છે ને આખી યોજના ‘મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ તરીકે ઓળખાશે. હવે તેજસ્વી વિદ્યાર્થીઓ સ્કૂલો બદલ્યા વગર પણ સ્કોલરશિપ મેળવી શકશે. 6થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 20 હજાર સરકાર ખાનગી સ્કૂલોને ચૂકવવાની હતી, તે હવે સ્કૉલરશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ખાતાં મારફત સીધાં ચૂકવશે. આ રીતે દર વર્ષે 2030 સુધી 30 હજાર વિદ્યાર્થીઓને ચૂકવાશે. કમાલ એ છે કે જ્ઞાનસેતુ સ્કૂલોમાં 53,000થી વધુ વિદ્યાર્થીઓની સઘળી વ્યવસ્થા કરવા સરકાર તૈયાર હતી, પણ સ્કોલરશિપ તે 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને ચૂકવી શકે એમ નથી. સીધો 23 હજાર વિદ્યાર્થીઓને ફટકો !

30 જાન્યુઆરી, 2023ને રોજ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ હેઠળ 400 પ્રાઇવેટ, ગ્રાન્ટેડ સ્કૂલો શોધીને તેને નાણાં ચૂકવવાની યોજના હતી, જેનું બાળમરણ થતાં એટલું થશે કે ખાનગીને ઉત્તેજન ઘટશે અને સ્કૉલરશિપ વિદ્યાર્થી પામશે. કોમન ટેસ્ટમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થી ઈચ્છે તે સ્કૂલમાં એડમિશન લઈ શકશે. જો કે એ એવી સ્કૂલો હશે જેનું છેલ્લાં પાંચમાંથી ત્રણ વર્ષમાં 80 ટકાથી વધુ રિઝલ્ટ આવ્યું હોય. વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો તેને વર્ષે 20થી 25 હજાર ખાતામાં ચૂકવાશે. ગ્રાન્ટેડ સ્કૂલના કિસ્સામાં તે રકમ 5થી 7 હજાર હશે. વિદ્યાર્થી ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલમાં એડમિશન લે છે તો તે સ્કૂલને પણ પ્રોત્સાહનરૂપે વર્ષે ચાર હજાર સુધીની વિદ્યાર્થી દીઠ સહાય અપાશે. વધારામાં આવા વિદ્યાર્થીઓને મફત બસ પાસની સગવડ પણ અપાશે. ધોરણ 9થી 12 માટે જ્ઞાનસાધના સ્કોલરશિપનો વ્યાપ પણ વધારાયો છે. મેરિટને આધારે 4 વર્ષ માટે 25 હજાર સુધી સ્કોલરશિપ અપાશે જે 9થી 10માં 22 હજાર અને 11થી 12માં 25 હજાર હશે.

લાગે છે ને કે સરકાર લહાણી કરવા બેઠી છે ને દરેકને ગજા પ્રમાણે ‘ઉછામણી’ કરી રહી છે. જો કે, આ સ્કૉલરશિપનો વિચાર પણ આજની તારીખ પૂરતો જ સાચો માનવાનો રહે. કાલે કોઈ નવો તુક્કો સૂઝે તો આનું પણ પડીકું વળી જાય એમ બને. સરકાર સિવાય અત્યારે તો કશું પણ અહીં સ્થાયી નથી. વારુ, સ્કોલરશિપમાં પણ ઘણી ઉદારતા દાખવાઈ છે, તે એ રીતે કે ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ મળે છે ને સરકારી સ્કૂલોનો તો બધો ખર્ચ સરકાર ઉપાડે છે, તો તેને 2થી 4હજારની લહાણી કોના જીવ પર થવાની તેનો  જવાબ મળતો નથી. બીજો મુદ્દો એ પણ ખરો કે સ્કૉલરશિપની રકમ ખાતામાં જમા થવાની છે. એ રકમ વિદ્યાર્થીના ભણતર પાછળ જ ખર્ચાશે એની કશી ખાતરી નથી. વિદ્યાર્થીના વાલીઓ એ રકમ અંગત ઉપયોગ માટે વાપરે તો તેને રોકવાનું મુશ્કેલ છે. તો, પ્રશ્ન એ થાય કે સ્કોલરશિપ વિદ્યાર્થી માટે છે કે વાલી માટે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું નથી. આવવાનું છે કે નહીં એની પણ કશી સ્પષ્ટતા નથી. જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ થયો એમ જ પરિણામ પણ રદ્દ થાય તો નવાઈ નહીં ને વિદ્યાર્થીઓએ વળી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની થાય તો આઘાત ન લાગે, કારણ, શિક્ષણ વિભાગ પરિપત્રો અને પરીક્ષાઓ પર જ તો જીવે છે …                                                

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જૂન 2023

Loading

‘સાહિત્યત્વ’ – નોખી-અનોખી રસપ્રદ વાતો

સંધ્યા ભટ્ટ|Diaspora - Literature, Diaspora - Reviews|8 June 2023

(‘સાહિત્યત્વ’ (સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોનું સંપાદન) સંપાદક : અદમ ટંકારવી અને પંચમ શુક્લ, પ્રકાશક – ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – યુનાઈટેડ કિંગડમ, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ. ફોન:૦૭૯ – ૨૬૫૮૭૯૪૯ પ્રથમ આવૃત્તિ – એપ્રિલ, 2022, મૂલ્ય: રૂ. ૬૭૫)

સંધ્યા ભટ્ટ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીએ તાજેતરમાં એક મૂલ્યવાન કામ કર્યું છે. વર્ષ ૧૯૯૧થી ૨૦૧૬નાં વર્ષોમાં સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોના ગુજરાતી અનુવાદનું સંપાદન સાહિત્યકાર અદમ ટંકારવી અને પંચમ શુક્લએ કરીને એક માતબર પુસ્તક પ્રકાશિત કર્યું છે. જુદા જુદા દેશોના પ્રતિભાવાન સર્જકો વિશે અહીં ઘણું જાણવા મળે છે. તેમનો ઉછેર, એક દેશ કે પ્રદેશમાંથી બીજે સ્થળે જવું, નવી ભાષા શીખવી ,જીવનસંઘર્ષ, કુટુંબજીવન – વગેરે ઘણી વાતો વાચકને ક્યારેક તો સાવ અલગ અનુભવજગતની ઓળખાણ કરાવે !

‘લેખન અને હોવાપણું’ શીર્ષક હેઠળ ૧૯૯૧માં પારિતોષિક મેળવેલ નેડીન ગોર્ડીમર કહે છે, ‘જગતમાં જે સૌંદર્ય છે એનું સંશોધન એટલે સાહિત્ય ..’ (પૃ.૩૬) ‘તમે શું કામ લખો છો?’, ‘આપણે કોને માટે લખીએ છીએ?’ જેવા પ્રશ્નો હેઠળ તેઓ લેખનના પાયામાં રહેલ હેતુ તરફ મૂળગામી એવા નિર્દેશો કરે છે અને અંતે રાજ્યસત્તા અને લેખક વચ્ચે થતી અથડામણનાં કારણો કયાં છે તેની વાત પણ કરે છે. આ જ વાતને મળતી આવતી વાત ટોની મોરિસન પણ કરે છે. વૃદ્ધાનાં હાથમાં પક્ષીના પ્રતીકથી તેઓ પોતાની ભાષા અંગેની ચિંતા વ્યક્ત કરે છે. તેમના મતે ભાષાની સૂક્ષ્મ રચના એ એક મિલકત છે અને કોઈ ખતરા કે તાબેદારી ખાતર એ જતી કરવામાં આવે તેનાથી એ ભાષાની પદ્ધતિસરની લૂંટ ચાલે છે તેમ કહી શકાય.

જાપાનીઝ સાહિત્યકાર કેન્ઝાબુરો ઓએએ ૧૯૫૭માં કલમ હાથમાં લીધી. તે પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને દીકરા હિકારીની જન્મગત માનસિક વિકલાંગતાની અસરે પોતાની વેદનાને વાચા આપતું લખાણ થતું રહ્યું. હિકારી બાલ્યાવસ્થામાં માત્ર વનપંખીઓના કલરવને પ્રતિસાદ આપતો હતો. એક ગ્રીષ્મ દરમિયાન જ્યારે તે છ વર્ષનો હતો અને તેઓ કન્ટ્રી કોટેજમાં રહેતા હતા ત્યારે તેણે એક વનની પાર સરોવરના કિનારે ફરતા એક જળકૂકડીનાં જોડાનો કલરવ સાંભળ્યો ને એ સાંભળતાવેંત એક ઉદ્દઘોષકના સ્વરે તેણે કહ્યું, ‘તે જળકૂકડીઓ છે.’ દીકરાના મુખથી નીકળેલા એ પ્રથમ માનવશબ્દ હતા. બસ, ત્યાર પછી તેના શાબ્દિક સંવાદનો પ્રારંભ થયો. આ લેખક અંગ્રેજી કવિ W.B.Yeatsથી પ્રભાવિત છે એટલું જ નહીં તેમનાં પ્રભાવ હેઠળ તેઓ એક કથાત્રયી લખી રહ્યા છે એવું પણ જણાવે છે. સાહિત્ય વિશે અન્ય વાતો કર્યાં પછી અંતે ફરી એક વાર હિકારી વિશે તેઓ જણાવે છે કે પક્ષીઓના કલરવ દ્વારા તે બાખ અને મોઝાર્ટની સંગીતની દુનિયામાં પ્રવેશ્યો અને પોતાની સંગીતરચનાઓનું સર્જન કરે છે. માનસિક વિકલાંગતા છતાં તેના દુષ્કર પ્રયત્નોથી મંડિત એવું તેનું સર્જકકર્મ તેના આંતરવિશ્વની ગહનતાનાં ઇંગિત આપતાં રહ્યા છે. હિકારીને પોતાનાં હ્રદયના ગહન સ્તરે વસતા કોઈ શ્યામલ વિષાદની ભાળ મળી છે જે આજ પર્યંત શબ્દની મદદથી તે પામી શક્યો નહોતો. પૂરક માહિતી અંતર્ગત જાણવા મળે છે કે હિકારીને સંગીતનાં સ્વરાંકન માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.

પૉલિશ કવયિત્રી વિસ્લાવા સિમ્બોર્સ્કાએ પોતાનાં પ્રવચનમાં પ્રેરણા વિશે વાત કરી છે. તેઓ કહે છે, ‘.. એકંદરે પ્રેરણા એ કવિઓ કે કલાકારોને જ હિસ્સે આવેલો વિશિષ્ટ અધિકાર નથી.’(પૃ.૧૧૨) પ્રેરણા પર કવિઓના ઇજારાને નકારવા છતાં તેઓ કવિઓને ‘વસુંધરાના વહાલા’ સમુદાયમાં મૂકે છે. દારિયો ફો નામના ઇટાલિયન નાટ્યલેખક પોતાનાં વ્યક્તવ્યનું વિલક્ષણ શીર્ષક બાંધે છે – ‘વિદૂષકો કે જે ઠઠ્ઠા મશ્કરી અને અપમાન કરે છે તેના વિરોધમાં’. વળી, તેઓ વક્તવ્યની સમાંતરે પોતાનાં ચિત્રો બતાવે છે. તેઓ કહે છે, ‘કેટલાક સમયથી આ મારી ટેવ છે કે હું મારી સ્પીચ તૈયાર કરું તે પહેલાં એને ચિત્રોમાં દોરું. લખવા કરતાં એને આકૃતિ આપું. એનાથી મને છુટ્ટો દોર મળે,મારી કલ્પનાને વેગ મળે. તમે પણ એ માણી શકો.’ આ માટે તેઓ પ્રેક્ષકોમાં ચિત્રોની નાની પ્રત આપે અને તેનું પાનું ફેરવતા જવાનું કહે છે. વક્તવ્યની આ વિલક્ષણ રીત હાસ્ય પણ પ્રેરી શકે.

પોર્ટુગીઝ લેખક જોસે સરમાવો પોતાની વાત અભણ દાદા-દાદીને કેન્દ્રમાં રાખીને કરે છે. શિયાળામાં જ્યારે રાતે ઘરનાં માટલાનું પાણી પણ થીજાવી દે એટલી ટાઢ વધી જતી ત્યારે એમનાં દાદી વાડામાં જઈને ડુક્કરનાં નબળાં બચ્ચાંને ઉપાડીને પોતાની પથારીમાં લઈ આવતાં. બરછટ ધાબળા નીચે માણસોની હૂંફ આ નાનકડાં પ્રાણીઓને થીજી જવાથી થનાર નિશ્ચિત મૃત્યુથી બચાવી લેતી. દાદીએ કહેલી વાર્તાઓને તેઓ તીવ્રતાથી યાદ કરે છે.

જર્મન લેખક ગુન્ટર ગ્રાસનાં વક્તવ્યનું શીર્ષક છે, ‘વધુ, હવે પછી’ (To be continued). ધારાવાહિક નવલકથાના સુવર્ણયુગથી શરૂ થતું વક્તવ્ય વચ્ચે વચ્ચે આ જ મુદ્દા પર સમ પર આવે છે અને અંતે ઉપસંહારમાં પણ તેઓ કહે છે, ‘આપણી સર્વસાધારણ નવલકથાઓ ‘must be continued’ એ પ્રકારે ચાલતી જ રહેવી જોઈએ. જો કોઈ દિવસે લોકો લખતા કે પ્રગટ કરતાં બંધ થઈ જાય કે ફરજિયાત બંધ કરી દેવામાં આવે, જીવંત રહેવા માટે પુસ્તકો પ્રાપ્ય જ ન હોય તો પણ આપણને મુખથી કાન લગીના કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપનારા વાર્તાકથકો તો મોજૂદ રહેવાના.’ (પૃ.૧૬૮) આ લેખક નાનપણથી જ વાંચવામાં અત્યંત એકાગ્ર હતા. તેમની તીવ્ર તલ્લીનતાનું નિદર્શન પાડોશણને આપવાની ઇચ્છાથી તેમની મા એવું કરે છે કે દીકરો વચ્ચે વચ્ચે જેમાંથી બટકું ભરી લેતો હતો તે ખાવાના રોલને સ્થાને પામોલિન સાબુનું ચોસલું ગોઠવી દે છે અને પછી બંને સ્ત્રીઓ – મા તો જરા ગૌરવપૂર્વક નિરીક્ષણ કરે છે કે તેઓ વચ્ચેથી સાબુ ઉઠાવતા, એમાં દાંત બેસાડતા અને ખાસ્સી વાર એને ચગળતા. (પૃ.૧૫૩-૫૪)

ચીનમાં જન્મેલા, મોટા થયેલા પણ ચીનમાં લખવા પર પ્રતિબંધને કારણે ચીન છોડી ફ્રાન્સ ગયેલા અને ફ્રેંચ ભાષામાં લખનાર ગાઓ શીન્ગજિયાન કહે છે, ‘સાહિત્યની શરૂઆત સ્વગત બોલવાથી થાય છે, બીજા સુધી પહોંચાડવા માટે ભાષાનો ઉપયોગ કરવો એ ગૌણ છે.. મારી આંતરિક એકલતા દૂર કરવા માટે મેં મારી નવલકથા ‘Soul Mountain’ લખવાનું શરૂ કર્યું ત્યારે દેશમાં કડક શિસ્ત વચ્ચે લખાયેલી મારી બીજી કૃતિઓ પર પ્રતિબંધ મુકાયેલો હતો. ‘Soul Mountain’ મારા માટે જ લખી હતી અને એ વખતે એવી કોઈ આશા નહોતી કે એ પ્રકાશિત થઈ શકશે. પછીથી તેઓ એમ પણ કહે છે કે ‘લિખિત શબ્દ પણ ચમત્કારી છે. એ બે અલગ જગ્યાએ રહેલી વ્યક્તિઓને જોડે છે, ભલે ને બંનેની જાતિઓ જુદી હોય કે જીવનકાળ જુદો હોય !’ (પૃ.૧૭૩)

વી. એસ. નાયપોલ લખે છે કે સર્જનના માર્ગ પર હું જઈ શકાય એટલો આગળ ગયો. દરેક પુસ્તકથી હું આશ્ચર્યચકિત થયો છું. એ પુસ્તક લખવાની પળ સુધી હું જાણતો ન હતો કે એ કેવો આકાર લેશે. પણ સૌથી મોટો ચમત્કાર તો શરૂઆત હતી. પોતાનાં વક્તવ્યની શરૂઆત તેમણે પ્રુસ્ત(Proust)ના નિબંધ ‘અગેઈન્સ્ટ સાંત-બૂવ’થી કરી અને અંત પણ એની જ વાતથી જ કરે છે.

જેને પ્રેરણા કહી શકાય એવી કોઈ તીવ્ર ક્ષણની વાત હંગેરીના લેખક ઇમરે કરતેઝ પણ કરે છે. એવી કોઈક અનુભૂતિને તેઓ કલાત્મક સાક્ષાત્કારની શ્રેણીમાં નથી મૂકતા પણ તેને અસ્તિત્વની એક આત્મખોજ ગણે છે. તેમનાં લેખન પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના હોલોકોસ્ટની અસર છે. તેઓ કહે છે હું કોના માટે અને શા માટે લખી રહ્યો છું તે વાતમાં મને જરા પણ રસ નહોતો. ઓળંગી ન શકાય તેવી એક રેખા તેમને સાહિત્ય અને જેના આદર્શો તથા સાહિત્યની કલ્પના સાથે સંકળાયેલા આત્માથી દૂર રાખતી હતી એ રેખાનું નામ ઓશ્વિત્ઝ ( Auschwitz – Nazi Concentration Camp ). તેઓ કહે છે, ‘મારા લખાણોમાં ‘હોલોકોસ્ટ’ ક્યારે ય પણ ભૂતકાળમાં નહીં લખાયેલું હોય.’ (પૃ.૨૦૯) પોતે યહૂદી કુટુંબમાં જન્મેલા અને યહૂદી હોવું એ તેમનાં માટે સૌથી મોખરાનો પડકાર છે. તેમનાં દાદા-દાદીના જીવન રોળાઈ ગયાં, મજૂરી કરવી પડી. પણ તેમાંથી તેઓ શીખ્યા કે દુ:ખમાં ફક્ત કડવાશ નથી રહેલી પણ અસાધારણ નૈતિક સંભાવના પણ રહેલી છે.

ભાષા પોતાની માતા છે પણ પોતાને પિતા નથી એમ કહીને જેઓ ભાષા સાથેનો પોતાનો સંબંધ વિગતે વર્ણવે છે તે ઑસ્ટ્રિયાનાં લેખિકા એલફ્રિડ યેલીનેક જર્મન ભાષામાં લખે છે અને કહે છે, ‘લેખન વાંકડિયા વાળ કરવાની દેણગી છે, વાસ્તવ સાથે વાંકડિયા વાળ વાળવાની .. જે વાસ્તવને જરી ય જાણતા જ નથી તેમની શી વલે થાય છે ? એ ખૂબ જ વીંખાયેલો છે. એને સરખો ઓળી શકે એવી કોઈ કાંસકી નથી. લેખકો હાથ ફેરવે છે અને હતોત્સાહ થઈ વાળને ભેગા કરી ભાત પાડે છે, પણ રાતે તરત એ વિફરે છે. પોતે દેખાય છે એમાં કશુંક અજુગતું છે. સુંદર રીતે ગોઠવાયેલા વાળને ફરી એની મૂળ પ્રકૃતિથી કરી શકાય, પણ કોઈ રીતે વશ કરી ન શકાય.

પ્રખ્યાત અંગ્રેજી નાટ્યલેખક અને દિગ્દર્શક હેરોલ્ડ પિન્ટરના મતે “વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચે, સાચા અને જૂઠા વચ્ચે જડબેસલાક તફાવત નથી. કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી. એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. નાટયકૃતિનું સત્ય હંમેશાં છટકણું હોય છે. એ નિતાંત તમને લાધતું નથી, પણ એના માટેની ખોજ અપરિહાર્ય છે. આ ખોજ જ પ્રવૃત્ત કરે છે. આ ખોજ તમારું કર્મ છે. નાટ્યકળામાં ખરેખર તો એક જ સત્ય જડે એવું કદી નથી; ઘણાં બધાં હોય છે. આ સત્યો એકમેકને પડકારે છે, હડસેલે છે, પ્રતિબિંબિત કરે છે, એકમેકની ઉપેક્ષા કરે છે, એકમેકને ચીડવે છે, એક્મેકથી અજ્ઞાત રહે છે …” (પૃ.૨૪૦)

તુર્કી લેખક ઓરહાન પામુક ‘મારા પિતાની સૂટકેસ’ શીર્ષકથી પોતાનાં સર્જન વિશે વાત કરે છે. તેમના પિતાજીની લખેલી હસ્તપ્રતો એ સૂટકેસમાં વાંચવાનું લેખકપુત્રને કહેવામાં આવેલું. પિતાનું બાળપણ અને યુવાની આરામદાયક રીતે વીતેલાં અને સાહિત્ય માટે થઈને, લેખક થવા ખાતર અડચણો વેઠવાની તેમની તૈયારી નહોતી. એમને જિંદગી એની તમામ સુંદરતામાં વહાલી હતી. આગળ આ લેખમાં લેખક એક તુર્કી કહેવત – સોંયથી કૂવો ખોદવો – ટાંકે છે અને કહે છે, તે લેખકને ધ્યાનમાં રાખીને કહેવાઈ છે. પોતાના પિતા બાબતે, પિતાના વાચન અને લાયબ્રેરી બાબતે તથા પોતાના સર્જન બાબતે ઓરહાન પામુક રસપ્રદ વાતો કરે છે. આખા લેખમાં સૂટકેસમાં રહેલી પિતાના લેખનની હસ્તપ્રતો વિશે એક રહસ્ય અનુભવાય છે. એ વાંચ્યા પછીનો લેખકનો પ્રતિભાવ પણ રસપ્રદ છે. એક લેખકનો પિતા સાથેનો આ સંબંધ અનન્ય છે.

ઇરાનમાં જન્મેલ પણ યુવાવસ્થા ઝીમ્બાબ્વેમાં વિતાવનાર લેખિકા ડોરિસ લેસિંગ આફ્રિકાના એવાં પ્રદેશની વાત કરે છે જ્યાં શિક્ષણસંસ્થાઓમાં પણ પુસ્તકો સાવ ગેરહાજર છે. અહીં એવાં શિક્ષક છે જે છથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓને પથ્થરથી ધૂળમાં લખી ભણાવે છે. અહીં વીસ વર્ષની એવી યુવતી છે જે ધૂળમાં સોટીથી એ,બી,સી,ડી લખે છે. લેખિકા કહે છે, લેખન માટે પુસ્તકોનું સાંનિધ્ય જરૂરી છે. અહીં એવા લેખકો થયા છે જે મુરબ્બાની બરણી પરની કાપલી વાંચીને વાંચતા શીખ્યા છે!!!

ફ્રાંસના જો મારી ગુસ્તાવ કલેઝિયો પોતાની તીવ્ર અનુભૂતિઓની વાત કરે છે જેમાં જંગલના અનુભવો, નાનીમા પાસેથી સાંભળેલી વાર્તાઓની અસર અને પુસ્તક-વાચનના અનુભવો છે. સ્ટિગ ડેગરમેન(સ્વીડિશ લેખક તથા પત્રકાર)નું તેમને પ્રિય એવું પુસ્તક ‘નિબંધો અને સત્ય-લખાણો’ છે જેમાં કલેઝિયોને બાળસહજ કોમળતાની સાથે સરળતા અને કટાક્ષનું સંમિશ્રણ જોવા મળે છે જેને ગ્રહણ કરવા તેઓ ઉત્સુક છે. પોતાનાં વક્તવ્યનાં શીર્ષક ‘વિરોધાભાસનું વન’ની સમજૂતી આ રીતે છે. એક તરફ દુનિયામાં સાહિત્ય કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બીજું કંઈ હોઈ શકે નહીં એ રીતે વર્તવું અને બીજી તરફ જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ક્ષુધાગ્રસ્ત અને સંઘર્ષરત માનવીઓ જોવા મળે છે અને એમને માટે તો મહિનાના અંતે થનારી કમાણીથી વધુ મહત્ત્વ કશાનું નથી હોતું – આ હકીકતને અવગણવી કઈ રીતે શક્ય છે ? અહીં જ સર્જકને એક નવા વિરોધાભાસનો સામનો કરવો પડે છે – એ ક્ષુધાર્તો માટે જ લખવા માગતો હોય છે, પણ હવે એ જાણે છે કે જેમની પાસે પેટ ભરીને ખાવાનું છે એમની પાસે જ લેખકના અસ્તિત્વની નોંધ લેવાની ફુરસદ છે. તો હવે લેખકે આ વિરોધભાસના વનમાં જ પડાવ નાખવાનો છે – આ વાતને ગૃહિત રાખીને લેખક કેટકેટલા દિગ્ગજ લેખકોની વાત કરે છે.

જર્મન લેખિકા હેરતા મ્યુલરે સત્તાની કદમપોશી ન કરી. તેઓ નોકરી કરતાં હતાં ત્યાં તેમની પર બળજબરી કરીને ખોટું લખાણ આપવાનું કહેવામાં આવ્યું પણ તેમણે તેમ ન કર્યું અને કેબિન આંચકી લેવામાં આવતા ડર્યા વગર કેબિનની બહાર પગથિયાં પર બેસીને કામ જારી રાખ્યું. નાનપણમાં તેમની મા રોજ સ્કૂલે જતી વખતે ટોકતી, ‘તેં હાથરૂમાલ લીધો?’ આ પ્રશ્ન સમગ્ર જીવન દરમિયાન જુદી જુદી રીતે તેમની કસોટી લે છે.

દક્ષિણ અમેરિકાના પેરૂ દેશના વતની મારિયો વરગાસ લોસા પછીથી સ્પેનનું નાગરિકત્વ લે છે અને સ્પેનિશ ભાષામાં સર્જનકાર્ય દ્વારા પ્રખ્યાત બને છે. તેઓ કૃતજ્ઞતાપૂર્વક એ ધરતીના લૂણનો સ્વીકાર પણ કરે છે. ફ્રેંચ લેખક પેટ્રિક મોદિયાનો નાની નવલકથાઓ લખે છે – ૧૨૦થી ૧૩૦ પાનાંની. તેમણે મોટે ભાગે યાદદાસ્ત, અવગણના-ઉપેક્ષાઓ, અસ્મિતા તેમ જ અપરાધભાવ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખતું નવલકથા-સાહિત્ય આપ્યું છે. તેઓ કહે છે, ‘તમે જ્યારે પુસ્તક પૂરું કરવામાં છો, ત્યારે તમને એવી લાગણી થયા કરે છે કે જાણે પુસ્તક સ્વતંત્રતાનો શ્વાસ લેવાનું શરૂ કરી દે છે ને તમારા હાથમાંથી છટકી જવાની તૈયારી કરે છે ..’(પૃ.૩૭૯)

૨૦૧૫માં રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવીચને નૉબેલ પારિતોષિક મળે છે જેઓ ગામડામાં ઉછર્યા છે. તેઓ કહે છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામડામાં કોઈ પુરુષને જોયાનું મને યાદ નથી. અમે બાળકો માત્ર સ્ત્રીઓની દુનિયામાં જ મોટાં થયાં છીએ. મને સૌથી વધુ એ વાત યાદ છે કે એ સ્ત્રીઓ મૃત્યુની નહીં પણ પ્રેમની વાતો કરતી. લડાઈમાં જતાં પહેલાંના આગલા દિવસે તે પોતાનાં પ્રિયજનોને કેવી રીતે વિદાય આપતી તેની વાતો તે અમને કહેતી. તેમનાં પાછા આવવાની હજી પણ તેઓ રાહ જોઈ રહી છે. ૨૦૧૬માં નૉબેલ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ સંગીતકાર બૉબ ડિલન સુધીના લેખકોનાં વક્તવ્યો અનુવાદ દ્વારા વાંચવા મળે છે.

આ એક એવું પુસ્તક છે જેમાં જુદા જુદા દેશ અને સંસ્કૃતિના લેખકોનો અવનવો પરિવેશ જાણવા મળે છે. એમનાં વક્તવ્યોમાં એમની સાદગી, સમસંવેદના, લખવાની અને વ્યક્ત થવાની તીવ્ર અભીપ્સા, મુક્તિ માટેની ઝંખના – આવા અનેક મુદ્દાઓ આપણને વિચારતા કરી દે છે. જીવનની વ્યાપકતાનો ખ્યાલ આવે તેવાં આ વક્તવ્યો વાંચવાનો આનંદ વ્યક્ત કરું છું. 

‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી – 394 602. જિલ્લો સુરત. ગુજરાત.  
e.mail Sandhyanbhatt@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 3  

સુમન શાહ|Opinion - Opinion|8 June 2023

સુમન શાહ

હરારી તો પ્રખર ઇતિહસવેત્તા છે. વર્તમાનથી પાછળ જેટલે જવાય એટલે જઈને પોતાનાં મન્તવ્યોને સમર્થિત કરે છે.

પણ મને આપણે ત્યાં પ્રવેશેલા કમ્પ્યૂટર-કાળમાં જવું જરૂરી લાગે છે. એ રાહે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને સમજવાની પણ એક વ્યવહારુ સગવડ થશે.

છેક ૧૯૮૫-૮૬ની વાત છે.

હું ત્યારે હસમુખ ગાંધીના તન્ત્રીપદે ચાલતા “સમકાલીન” દૈનિકમાં “વેઇટ્-એ-બિટ્” કૉલમ લખતો’તો. એ નામનું મારું પુસ્તક પણ છે, 1987.

મારો હસમુખભાઈ સાથે તાર બરાબર સધાયેલો – એ રીતે કે એમને તેમ મને દેશની ‘સાફસફાઈ’ માટે ‘માથાફાડ ઘા’ કરવાનું બહુ ફાવે, એવી હતી અમારા બન્નેની સમીક્ષક-બુદ્ધિ ! હસુમખભાઈ રાજકાજની છડેચોક ટીકટિપ્પણી કરે, હું ય કરું, પણ સાહિત્યકલાની વ્યાપક ભૂમિકાએ મને સંપડાવેલી મારી સૂઝબૂઝ પ્રમાણે.

ત્યારે, મેં પહેલી વાર કમ્પ્યૂટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશે, એ.આઇ. વિશે, લેખ કરેલા. (હવેથી દરેક વખતે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે ‘એ.આઇ.’ પ્રયોજીશ.)

રાજીવ ગાંધી

રાજીવ ગાંધી દિલ્હીના તખ્તે આરૂઢ હતા. દેશના આકાશમાં બે વાતોના રંગીન પતંગ ચગેલા : એક પતંગ, ન્યૂક્લિયર હૉલોકાસ્ટનો – અણુવિધ્વંસનો; અને બીજો પતંગ, કમ્પ્યૂટર-ક્રાન્તિનો. મેં લખેલું : બન્નેમાં દેશવાસીઓનું જ્ઞાન-અજ્ઞાન ભૂસાના પડીકાની જેમ સંભરેલું છે.

ત્યારે રૅગનનો “સ્ટાર-વૉર્સ-પ્રોગ્રામ” ભયાનક સ્વરૂપે જોખમી ભાસતો’તો, પણ રૅગન એને ‘ડિફેન્સ મિકેનિઝમ’ કહેતાં શરમાતા ન્હૉતા. તે સમયની જીનિવા ખાતેની શિખર-મન્ત્રણાઓમાં, રૅગનના એક નમ્બરના પ્રતિસ્પર્ધી ગોર્બાચોવ પણ દુનિયાને બહુ પાકા માણસ લાગેલા.

પરોક્ષ પરિણામ એ આવ્યું કે ત્રીજા વિશ્વના બૌદ્ધિકો અણુ-વિધ્વંસની શાબ્દિક ચર્ચાઓ કરવા લાગ્યા. કાર્લ સગાને કહ્યું કે પૃથ્વી પર ૫૫,૦૦૦ અણુશસ્ત્રો ગણી શકાય એવાં ઉઘાડાં છે.

બીજું પરોક્ષ પરિણામ એ આવ્યું કે આવી બધી માહિતીથી ભારત જેવા વિકાસશીલ દેશોના લોકો રોજે રોજ આક્રાન્ત થવા લાગ્યા. બિચારી પ્રજાઓના રાંક નેતાઓ ઇચ્છવા લાગ્યા કે બીનજોડાણવાદી સૂત્રે જોડાઇ જઈએ એ જ તરણોપાય છે. એ જોડાણનું રસાયન સૌને રાજીવ ગાંધી લાગેલા.

એક જમાનામાં કમ્પ્યૂટરો કારખાનાં જેવાં તોતિંગ હતાં. બાકી, પ્રારમ્ભે તો એ એક સાદું ગણકયન્ત્ર હતું. ત્યારે, મારી પાસે હતી એ માહિતી અનુસાર, મેં લખેલું કે માનવજાતે (ઍઝ અ સ્પીશિસ – હરારી) કૃષિ-ક્રાન્તિ પછી મોટી હરણફાળ ભરી અને તે હતી, ઔદ્યોગિક ક્રાન્તિ. ત્યારે, માહિતી-ક્રાન્તિનાં, ઇન્ફર્મેશન-રીવૉલ્યુશનનાં, પગરણ મંડાઈ ચૂકેલાં, માંડ ૪૦-૫૦ વર્ષ થયાં હશે. પણ એનો પ્રભાવ એટલો ઝડપી હતો કે પૂર્વકાલીન કૃષિ અને ઔદ્યોગિક, બન્ને ક્રાન્તિઓ યાદ જ ન આવે, વિસ્મરણ થઈ જાય. સમાજ તો હતો જ પણ એક નવો જ સમાજ, માહિતીસમાજ, ઊભો થઈ રહેલો. કમ્પ્યૂટર સૌને માનવચિત્તનું બરોબરિયું લાગવા માંડેલું. વગેરે.

મેં લખેલું :  પ્રત્યેક કમ્પ્યૂટર પ્રોગ્રામમાં એ.આઇ.ની લાક્ષણિક વ્યવસ્થા હોય છે. દરેક પ્રોગ્રામ પોતાની નિશ્ચિત મર્યાદામાં સમ્પૂર્ણ હોય છે, એકદમ બુદ્ધિશાળી હોય છે.

નેચરલ ઇન્ટેલિજન્સની, માનવ-બુદ્ધિની, વ્યાખ્યા કરી શકાતી નથી, એનો તો હમેશાં પરચો મળે છે ! પણ, એ.આઇ.ની વ્યાખ્યા કરી શકાય છે. એમાં શું શું હોય છે તેનાં નામ પાડી શકાય છે. લખેલું કે, એ અનેક સામર્થ્યોનું સંયોજન છે. એમાં સ્મૃતિ છે. એમાં તાર્કિક વિચારપદ્ધતિ છે. એમાં તથ્યો વચ્ચેના સમ્બન્ધોને ઓળખવાની સૂઝ છે. વિચારો, પ્રતીકો અને ભૂતકાલીન અનુભવોને નવા સંદર્ભમાં વાપરવાની ગત છે, ગતાગમ છે. 

= = =

(06/08/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...979980981982...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved