કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી. કરતાં કાઁગ્રેસને મહિલાઓનાં લગભગ ૧૧ ટકા વધુ મત મળ્યા એ જોઇને બી.જે.પી.ના નેતાઓના મનમાં ડર પેદા થાય એ સ્વાભાવિક છે. એ પછી પહેલવાન છોકરીઓ સાથે બી.જે.પી.ના સંસદસભ્ય બ્રીજ ભૂષણ શરણસિંહ દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીની અને તેનો વિરોધ કરનારી મહિલાઓ સાથે પોલીસે કરેલ અતિરેકની ઘટના તેમ જ મણિપુરની શરમથી મસ્તક ઝુકી જાય એવી ઘટના જોઇને મહિલાઓ હજુ વધુ નારાજ હોય એમ માનવાને કારણ છે. કેટલાંક સર્વેક્ષણોમાં પણ કહેવામાં આવ્યું છે કે પુરુષ કરતાં મહિલાઓ બી.જે.પી.થી વધુ નારાજ છે.
દેખીતી રીતે આનો તોટકો કરવો પડે એમ હતો અને સરકારે લોકસભા તેમ જ વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરીને તોટકો કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં તોટકો શબ્દ જાણીબૂજીને વાપર્યો છે. આજના શાસકો માટે ગમે તે થાય ચૂંટણી જીતવી છે એટલે આજથી ૧૫ વરસ પછી લાગુ થાય એવી જોગવાઈ આજે કરી છે. ૧૫ વરસ પછી લાગુ થાય એવો કાયદો કરવાની ઘટના જગતના ઇતિહાસમાં ક્યાં ય નથી બની. અપૂર્વ ઘટના છે. એ કઈ રીતે એ જોઈએ.
સમયાંતરે મતદારક્ષેત્રોની પરિસીમાનું પુન:નિર્ધારણ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે માનવી ઉદ્યમી અને સતત સ્થળાંતર કરતું પ્રાણી છે. બે દાયકામાં કસબાઓ શહેરમાં બદલાય છે અને વસ્તી ચાર ગણી વધી જાય છે. પરંતુ આ વારંવાર કરવામાં આવતું નથી અને જ્યારે થાય છે ત્યારે તેની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આનું પણ એક કારણ છે. ભારત રાજ્યોનો બનેલો સંઘ છે અને સંઘરાજ્યોનાં વિકાસની રફતાર એક સરખી નથી. વસ્તીવધારાનું પ્રમાણ પણ એક સરખું નથી. માટે કોઈ રાજ્યને અન્યાય ન થાય, કોઈ પ્રજાને અન્યાય ન થાય અને પ્રતિનિધિ ગૃહોમાં સંતુલન જળવાઈ રહે એ માટે મતદારક્ષેત્રોનું સીમા નિર્ધારણ વારંવાર નથી થતું અને જ્યારે થાય છે ત્યારે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
બંધારણીય જોગવાઈ મુજબ મતદારક્ષેત્રોની સીમાનિર્ધારણ માટે એક પંચની રચના કરવામાં આવે છે જે ડીલિમિટેશન કમિશન તરીકે ઓળખાય છે. આવું પહેલું ડીલિમિટેશન કમિશન ૧૯૫૨ની સાલમાં રચવામાં આવ્યું હતું અને તેણે દેશના ઇતિહાસમાં પહેલી વાર મતદારક્ષેત્રો નક્કી કર્યા હતા અને એ રીતે લોકસભાની ૪૯૪ બેઠકોમાં દેશને વહેંચ્યો હતો. ૧૯૬૩માં બીજું ડીલિમિટેશન કમિશન રચવામાં આવ્યું હતું જેણે પુન: સીમાનિર્ધારણ કરીને દેશને ૫૨૨ બેઠકોમાં વહેંચ્યો હતો. ત્રીજું ડીલિમિટેશન કમિશન ૧૯૭૩માં રચાયું હતું અને તેણે પુન: સીમાનિર્ધારણ કરીને દેશને ૫૪૩ બેઠકોમાં વહેંચ્યો હતો. ત્રણ દાયકાના અંતર પછી ૨૦૦૨ની સાલમાં ચોથું ડીલિમિટેશન કમિશન રચવામાં આવ્યું હતું અને તેણે કોઈ મોટો ફેરફાર સૂચવ્યો નહોતો. ત્યારે ખાસ સ્થિતિને ધ્યાનમાં રાખીને બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો કે હવે પછી પાંચમું ડીલિમિટેશન કમિશન સીધું ૨૫ વરસ પછી ૨૦૨૬ પછી રચવામાં આવે અને તેણે ૨૦૩૧ના વસ્તીગણતરીના આધારે સીમાનિર્ધારણ કરવાનું રહેશે. આનો અર્થ એ થયો કે પાંચમું ડીલિમિટેશન કમિશન ૨૦૩૧ પછી સક્રિય થશે.
એ ખાસ સ્થિતિ શી હતી એવી જિજ્ઞાસા વાચકના મનમાં થઈ હોવી જોઈએ. સુજ્ઞ વાચકના ધ્યાનમાં એ પણ આવ્યું હશે કે વ્યવહારમાં ૧૯૭૩થી ૧૯૩૧ એમ છ દાયકા સુધી જૈસે થે સ્થિતિ જાળવી રાખવા પાછળનું શું પ્રયોજન? આ એક અલાયદા લેખનો વિષય છે, પણ સંક્ષેપમાં જણાવી દઉં કે દેશમાં પ્રચંડ માત્રામાં વસ્તીનું અસંતુલન પેદા થયું છે અને હજુ થઈ રહ્યું છે અને શહેરીકરણના કારણે પ્રચંડ માત્રામાં પ્રજાકીય સ્થળાંતર તેમ જ વસ્તીની ઘનતા (પોપ્યુલેશન ડેન્સિટી) વધી રહી છે અને એ હજુ પણ ચાલે છે. જ્યાં સુધી વસ્તીવધારાના પ્રમાણમાં વિકસિત અને વિકાસશીલ તેમ જ અવિકસિત રાજ્યો વચ્ચેની ખાઈ ઓછી ન થાય અને શહેરીકરણની પ્રક્રિયા તેની ટોચે ન પહોંચે ત્યાં સુધી હળવે હલેસે કામ લેવાનો આની પાછળનો ઉદ્દેશ છે કે જેથી રાજ્યોમાં પ્રજાકીય અસંતોષ પેદા ન થાય. અહીં એક ટકોર કરી દઉં કે પહેલાના શાસકો માત્ર ચૂંટણી નહોતા લડતા, તેઓ શાસન કરતા હતા અને લાંબા ગાળાના દેશહિતની પણ ચિંતા કરતા હતા. અહીં તો આજે ચૂંટણી જીતવા ૧૫ વરસ પછી ખાવા મળે એવું ગાજર આપવામાં આવ્યું છે.
હવે મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો આપવાની જોગવાઈ કરનારા ખરડામાં કહેવામાં આવ્યું છે કે અનામતની જોગવાઈ ૨૦૨૬ની સાલમાં રચનારા ડીલિમિટેશન કમિશન સીમાનિર્ધારણ કરે એ પછી લાગુ થશે. લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ જોગવાઈ ૨૦૨૯ની ચૂંટણીમાં લાગુ “થઈ શકે છે”. થઈ શકે છે, થશે એમ નથી કહ્યું. ગૃહ પ્રધાનને ખબર છે કે એ થવાનું નથી, કારણ કે ૨૦૦૨ની બંધારણીય જોગવાઈ મુજબ ડીલિમિટેશન કમિશને ૨૦૩૧ના વસ્તીગણતરીના આધારે મતદારક્ષેત્રોની સીમા દોરવાની છે. હવે માની લો કે ૨૦૨૪માં બી.જે.પી.ની સરકાર પાછી સત્તામાં આવે અને એ બંધારણમાં સુધારો કરીને ૨૦૨૫માં થનારી વસ્તીગણતરીના આધારે ડીલિમિટેશન કમિશનને કામ કરવાનું કહે તો પણ ૨૦૨૯ની ચૂંટણીમાં આ જોગવાઈ લાગુ ન થઈ શકે. કારણ એ છે કે ૨૦૨૫ની સાલમાં વસ્તીગણતરી થશે. ૨૦૨૭માં તેનો અંતિમ અહેવાલ મળશે. ૨૦૨૭ પછી ડીલિમિટેશન કમિશન કામ કરતું થશે અને તેની પ્રક્રિયા જોતાં અને આજ સુધીનો અનુભવ જોતાં તેને પોતાનો અહેવાલ આપતાં પાંચ વરસ લાગે. આમ ૨૦૨૯માં આ લાગુ ન થઈ શકે. ૨૦૨૫ના વસ્તીગણતરીના આંકડા પકડે તો વહેલામાં વહેલી ૨૦૩૪ની સામાન્ય ચૂંટણીમાં આ જોગવાઈ લાગુ થઈ શકે છે.
તો સવાલ એ છે કે ૧૫ વરસ પછી લાગુ થનારી જોગવાઈને આજેને આજે સંસદનું ખાસ અધિવેશન બોલાવીને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની શી ઘાઈ હતી? ૨૦૨૫ પછી વસ્તી ગણતરીના આંકડા આવ્યા પછી નવી લોકસભામાં આ ખરડો આવી શકતો હતો? કારણ બે છે: મારા સિવાય બીજા કોઈને જશ ન મળવો જોઈએ અને ચૂંટણી જીતવી છે. જો તેમનું ચાલે તો સમયને ભગાવીને આઝાદીની શતાબ્દી પણ આજે ઉજવી નાખે.
હવે બીજી વાત. જાહેરજીવનમાં મહિલાઓ પ્રવેશવી જોઈએ અને તેને લોકપ્રતિનિધિગૃહોમાં સ્થાન મળવું જોઈએ એવી કલ્પના રાજીવ ગાંધીની હતી. ૧૯૮૯ની સાલમાં લોકસભા અને વિધાનસભાઓને છોડીને બાકીનાં તમામ લોકપ્રતિનિધિગૃહોમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનમાત રાખવાની જોગવાઈ કરનારો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે મંજૂર પણ થયો હતો. માત્ર રાજ્યસભામાં મંજૂર થઈ શક્યો નહોતો અને લોકસભાની મુદ્દત પૂરી થઈ ગઈ. બંધારણ મુજબ લોકસભાની મુદ્દત પૂરી થાય કે તેનો ભંગ થાય એ સાથે બધા જ પસાર નહીં થયેલા ખરડાઓ વિલુપ્ત થઈ જતા હોય છે. પાછળથી એ ખરડો પી.વી. નરસિંહરાવની સરકારે ૧૯૯૨માં બન્ને ગૃહોમાં મંજૂર કરાવ્યો હતો અને ૧૯૯૩થી એ દેશભરમાં લાગુ છે. ૧૫ વરસ પછી લાગુ થાય એવો એ ખરડો નહોતો.
૧૯૯૬માં દેવગોવડાની સરકારે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત કરવાની જોગવાઈ કરનારો ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો જે પસાર થઈ શક્યો નહોતો. એ પછી વાજપેયી સરકારે અને ડૉ મનમોહન સિંહની સરકારે એ ખરડો રજૂ કર્યો હતો અને દરેક વખતે એ કોઈને કોઈ ગૃહમાં નામજૂર થયો હતો. કારણ એ હતું કે બહુજન સમાજનો ખરડામાં જે પ્રકારની જોગવાઈ હતી તેની સામે વિરોધ હતો. તેમનું કહેવાનું એમ હતું કે મહિલાઓ માટે ભલે બેઠકો અનામત રાખવામાં આવે પણ બહુજન સમાજની સ્ત્રીઓ માટે અનામત અંતર્ગત અનામત બેઠકો રાખવામાં આવે. અન્યથા બહુજન સમાજનું લોકસભા અને વિધાનસભાઓમાનું પ્રતિનિધિત્વ ઘટી જાય. સવર્ણ સમાજની સ્ત્રીઓ સામે ગરીબ બહુજન સમાજની અલ્પ શિક્ષિત સ્ત્રી ક્યાંથી મુકાબલો કરી શકવાની? તેમની વાતમાં દમ હતો અને કાઁગ્રેસ તેમ બી.જે.પી. બન્ને આને માટે તૈયાર નહોતા. ન્યાય જ કરવો છે તો એ સંપૂર્ણ હોવો જોઈએ.
અને હા, આગલા વિલોપન પામેલા ખરડાઓમાં એમ નહોતું કહેવામાં આવ્યું કે મહિલાઓને આપવામાં આવનારી અનામત બેઠકોની જોગવાઈ ડીલિમિટેશન કમિશનનો અહેવાલ મળ્યા પછી લાગુ કરવામાં આવશે. એવી કોઈ કાનૂની કે બંધારણીય અનિવાર્યતા નથી. તો પછી નરેન્દ્ર મોદીની સરકારે આનું ઉમેરણ શા માટે કર્યું? ન કર્યું હોત તો ચાલત. કારણ કે આપવું નહોતું એટલે. આગળ ૨૦૩૯માં એ વખતના લોકો જાણે. અત્યારે તો માત્ર મહિલાઓના મત જોઈએ છે. જો મહિલાઓ માટે સાચી લાગણી હોત તો બ્રીજ ભૂષણ શરણ સિંહ જેલમાં હોત, પોલીસે પહેલવાન છોકરીઓ ઉપર દમન ન કર્યું હોત અને મણિપુરની ઘટના જોઇને હ્રદય દ્રવી ઉઠ્યું હોત!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2023