Opinion Magazine
Number of visits: 9458093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર માત્ર હજાર જણ ગળી જાય

રમેશ ઓઝા|Opinion - Opinion|22 June 2023

રમેશ ઓઝા

શાસનની જગ્યા જ્યારે સત્તા લઈ લે ત્યારે ક્રોની કેપીટાલિઝમનો ઉદય થતો હોય છે. જગત આખાનો આ દસ્તૂર છે અને તેનો ઇતિહાસ છે. કોઈકને કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવું છે અને તેને ટકાવી રાખનારાઓ પણ મળી રહે છે, શરત એ કે સામે ટકાવી રાખવામાં મદદ કરનારને લાભ મળતો હોય. આમાંથી પરસ્પર ધરી રચાય છે અને જે નવી અર્થવ્યવસ્થા રચાય તેને ક્રોની કેપીટાલિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે. 

મહદ્અંશે ક્રોની કેપીટાલિઝમના આ પાંચ લક્ષણો હોય છે :

૧. સત્તાધારીઓ અનુકૂળ આવે અને ગોપનિયતા જળવાઈ રહે એવા ગણતરીના ઉદ્યોગપતિઓને પસંદ કરે છે. 

૨. સરકારની નીતિઓ અને નિર્ણયો એવા હોય જેને કારણે તેમને ફાયદો થાય.

૩. સરકારની માલિકીનાં સંસાધનો પસંદગીના ધોરણે તેમને ઉપલબ્ધ કરી આપવામાં આવે.  

૪. સરકારી નાણાંકીય સંસ્થાઓ કાયદેસર કે ગેરકાયદે તેમને મદદ કરે અને કૂણું વલણ અપનાવે. 

૫. નાણાંકીય વ્યવહાર પર નજર રાખવાનું કામ રિઝર્વ બેંકનું છે અને તે પારદર્શક છે કે નહીં તેનું ઓડીટ કરવાનું કામ કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું છે, એટલે એ બન્ને પદ (રિઝર્વ બેન્કના ગવર્નર અને સી.એ.જી.) પર કોઈ નમાલાને બેસાડવામાં આવે. 

જગત આખામાં લગભગ આવી એક સરખી પેટર્ન જોવા મળશે. આગળ કહ્યું એમ ક્રોની કેપીટાલિઝમ કેટલાક લોકોના સત્તામોહ ખાતર દેશનાં શાસનનો ભોગ લે છે. સત્તા અને શાસન બે જૂદી વસ્તુ છે. જૈનો “જૈનં જયતિ શાસનમ્‌” કહે છે ત્યારે એમાં સત્તા નથી હોતી, શાસન હોય છે.

‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલે ગયા જાન્યુઆરી મહિનામાં અહેવાલ આપ્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારનાં પહેલાં સાડા આઠ વરસ દરમ્યાન (૩૧, ડિસેમ્બર ૨૦૨૨ સુધી) બેન્કોએ ૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગુમાવ્યા છે એટલે માંડી વાળવા પડ્યા છે. જે લોકો લઈ ગયા છે એ પાછા આપતા નથી. એક રીતની લૂટ. ‘વાયરે’ ઉપલબ્ધ સત્તાવાર આંકડાઓ અને વ્યાજ વગેરેની ગણતરી માંડીને આ આંકડો બહાર પાડ્યો હતો અને નાણાં મંત્રાલયને આ બાબતે કેટલાક સવાલો પૂછ્યા હતા. હવે ‘વાયર’ને ભાગવત કરાડ નામના કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાં પ્રધાનનો પત્ર મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના શાસનના પહેલાં સાડા આઠ વરસ દરમ્યાન ભારતની બેન્કોએ ૧૨,૦૯,૬૦૬ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઇટ્સ ઓફિશિયલ.

કદાચ તમે વિચારતા હશો કે સરકાર બેન્કોના પૈસા ડૂબાડનારાઓને નહીં છોડે. આ કોઈ નાની રકમ છે? ૨૦૨૩-૨૦૨૪ના બજેટ મુજબ ભારતની કુલ અંદાજીત વાર્ષિક આવક ૩૫ લાખ કરોડની હશે. અંદાજીત વાર્ષિક આવકનો ત્રીજો ભાગ. દેશનાં સંરક્ષણ પાછળનો વાર્ષિક ખર્ચ ૫,૫૪,૮૭૫ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે એટલે કે સંરક્ષણ કરતાં અઢી ગણાં. આ અમૃતકાળમાં વિશ્વગુરુ દેશનાં બાળકોનાં શિક્ષણ પાછળ ૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું છે, પણ સામે ધૂર્ત લોકો અગિયાર ગણા પૈસા મારી ગયા છે! સરકાર આવા લોકોને છોડે? કદાચ ભક્ત અને ભોળા લોકો આમ વિચારતા હશે!

જુઓને! ૮મી જૂને રિઝર્વ બેન્કના ગવર્નરે સર્ક્યુલર બહાર પાડીને બેન્કોના પૈસા ડૂબાડનારાઓને સલાહ આપી છે કે તેઓ પોતપોતાની બેંકોનો સંપર્ક કરે અને બેંકો સાથે સેટલમેન્ટ કરે. માર્ક ધ વર્ડ. પૈસા પાછા આપે એમ નથી કહ્યું, સેટલમેન્ટ કરે. દસ પૈસા ચૂકવીને રૂપિયાની માંડવાળી કરે. વરસોવરસ દેવાંને કેરી ફોરવર્ડ કરતા રહેવાનો શો અર્થ? એનાં કરતાં માંડવાળી કરીને નવે ખાતે કામકાજ કરવામાં ડહાપણ છે એમ કદાચ તમે વિચારતા હશો. વિચાર તો બરાબર છે, પણ એ ત્યારે બરાબર છે જ્યારે દેશના પૈસા ડુબાડનારાઓને રાષ્ટ્રીય દેવાદાર જાહેર કરવામાં આવે અને તેમની સાથે કોઈ પણ જાતનો નાણાંકીય અને વ્યવસાયિક વહેવાર કરવામાં ન આવે એવી સલાહ આપવામાં આવે. એક એવી કાળી યાદી જેમાં આ મહાનુભાવોનો સમાવેશ થતો હોય. ડૉ રઘુરામ રાજન જ્યારે રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે તેમણે આવું સૂચન કર્યું હતું અને પરિણામ તમે જાણો છો. તેમને તગેડી મુકવામાં આવ્યા. પાટી એટલા માટે સાફ કરવામાં આવી રહી છે કે જેથી ફરીવાર ઉધાર બાજુએ એકડો માંડી શકાય. ફરીવાર મળતિયાઓને ધિરાણ આપી શકાય અને દેશને ડૂબાડી શકાય.

એમ તો ખેડૂતો પણ બેંકોનું ધિરાણ પાછું આપતા નથી અને તેમનું ધિરાણ પણ માફ કરી દેવામાં આવે છે એ વિષે તો તમે કાંઈ બોલતા નથી. ભક્તો કદાચ આવો સવાલ કરે. હા. વાત સાચી છે. ૨૦૧૫-૧૬માં ભારતનાં ખેડૂતો ઉપર ૧૨ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું જે ૨૦૨૦-૨૧માં વધીને ૧૮ લાખ કરોડ રૂપિયા થયું હતું અને અત્યારે કદાચ ૨૦ લાખ કરોડ રૂપિયાનું હશે. પણ એક બીજા આંકડા તરફ પણ નજર કરવી જોઈએ. ૨૦૧૫-૧૬માં બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની કુલ સંખ્યા હતી ૬ કરોડ ૯૦ લાખ. ૨૦૨૦-૨૧માં ૧૮ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની સંખ્યા હતી દસ કરોડ અને અત્યારે વીસ લાખ કરોડ રૂપિયાના કરજદાર ખેડૂતોની સંખ્યા હશે બાર કરોડ.

બાર કરોડ ખેડૂતો ઉપર વીસ લાખ કરોડ રૂપિયાનું દેવું. એક એક ખેડૂતના ભાગે ૧,૬૬,૬૬૬ રૂપિયાનું દેવું થયું. ઘણું કહેવાય નહીં? દેશમાં કેવા કેવા દેશદ્રોહીઓ છે? આની સામે બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા ડુબાડનારા દેશપ્રેમી શેઠજીઓની સંખ્યા કેટલી છે? અગેન રિઝર્વ બેન્કના આંકડા મુજબ માત્ર સો શેઠજીઓએ બેન્કોના અડધોઅડધ રૂપિયા ડુબાડ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના રિઝર્વ બેન્કના આંકડા મુજબ કુલ ૮,૬૪,૮૩૩ કરોડ રૂપિયા બેન્કોના ખોટા થયા હતા જેમાંથી ૪,૪૬,૧૫૮ કરોડ રૂપિયા માત્ર સો દેવાદારો પાસેથી લેવાના નીકળતા હતા. એક એક શેઠજીના ભાગે ત્યારે ૪૪ અબજ રૂપિયા નીકળતા હતા, જે અત્યારે પચાસ ટકાની સરેરાશે વધીને એક એક શેઠજીના ભાગે ૬૦ અબજ રૂપિયા થયા. એક એક શેઠજી સાઈંઠ સાઈંઠ અબજ રૂપિયા મારી ગયા છે. આ બધા ભાઈબંધ શેઠજીઓ છે. કેટલાક તો મીડિયાના માલિકો પણ છે અને તમારી અંદર દેશપ્રેમ જાગૃત કરવાનું મહાન કામ કરી રહ્યા છે.

વળી કોઈ ભક્ત વહારે ધાશે કે એકલા ભારતમાં જ થોડા બેન્કોના પૈસા ખોટા થાય છે! અર્થતંત્રની સ્થિતિ ખરાબ હોય ત્યારે આવું થાય અને બીજા દેશોમાં પણ થાય છે. તેમની વાત બિલકુલ સાચી છે. આંતરરાષ્ટ્રીય નાણાંનિધિના અભ્યાસ મુજબ સુચારુ વહીવટ ધરાવનારા જવાબદાર દેશોમાં કુલ ધિરાણમાંથી સરેરાશ એક ટકો જેટલું ધિરાણ પાછું આવતું નથી. બેન્કોએ પૈસા પીળે પાને ઉધારવા પડ્યા હોય એનું અમેરિકા અને યુરોપના વિકસિત દેશોનું પ્રમાણ ૧થી ૧.૧૦ ટકા છે. કેનેડાનું પ્રમાણ ૦.૪ ટકા છે. દક્ષિણ કોરિયા ૦.૫ ટકા, સ્વિત્ઝરલેન્ડ ૦.૬ ટકા અને ચીનનું પ્રમાણ ૧.૮ ટકા છે. જેની ગણના ગામના ઉતાર તરીકે થાય છે એ ક્રોની કેપીટાલિઝમ માટે કુખ્યાત રશિયામાં આનું પ્રમાણ ૮.૩ ટકા છે. અને ભારત? ભારતનું પ્રમાણ કેટલું છે? ડૉ મનમોહન સિંહની સરકારની મુદ્દત પૂરી થઈ ત્યારે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૪માં આનું પ્રમાણ ૪.૧ ટકા હતું જે અત્યારે વધીને ૧૨.૧૭ ટકા થયું છે.

રિઝર્વ બેંકનો ડિસેમ્બર ૨૦૨૨ના ફાયનાન્શિયલ સ્ટેબીલિટી રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વરસના સપ્ટેમ્બર મહિના સુધીમાં ખોટા થયેલા ધિરાણનું પ્રમાણ ૯.૪ ટકા હશે. આવું શેના આધારે કહ્યું હશે? રિઝર્વ બેન્કના ગવર્નરે તો સર્ક્યુલર કાઢ્યો છે કે આવો અને બેંકો સાથે ફડચો કરી જાવ. 

૪.૧ ટકા ધિરાણ ખોટું થાય એ દેશનું કલંક હતું. ૧૨.૧૭ ટકા ધિરાણ ખોટું થાય એને અમૃતકાળ કહેવાય. ભારતનાં કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર (૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ શિક્ષણ પાછળ ખર્ચાય છે તો અગિયાર વરસના બાર લાખ કરોડ થયા.) માત્ર હજાર જણ ગળી જાય એ વિશ્વગુરુ કહેવાય. અને હા, કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું નામ તમે સાંભળ્યું છે? નથી ખબર ને કોણ છે સી.એ.જી.? બિચારો મોઢું ખોલે તો ખબર પડે ને કે એ ભાઈ કોણ છે? પણ પેલા વિનોદ રાય નામના ડૉ મનમોહન સિંહના વખતના સી.એ.જી. અને તેના તોતિંગ આંકડાઓના ભણકારા આજે પણ કાને અથડાતા હશે.

આ બધા ક્રોની કેપીટાલિઝમના લક્ષણ છે જે પ્રારંભમાં બતાવવામાં આવ્યા છે. જ્યારે સત્તા શાસન ઉપર હાવી થઈ જાય અને શાસનની જગ્યાએ સત્તા કેન્દ્રસ્થાને આવી જાય ત્યારે આવું બનતું હોય છે.

(આ લેખ માટે ‘ધ વાયર’માં પ્રકાશિત થયેલ લેખ ‘ધ મોદી ગવર્નમેન્ટ મસ્ટ આન્સર ફોર ઇન્ડિયાઝ હિસ્ટોરીક લોસ ઓફ રૂ. ૧૨ લાખ કરોર’નો આધાર લેવામાં આવ્યો છે.)
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જૂન 2023

Loading

રાજદ્રોહ કાયદાની બંધારણીયતા અને ઉપયોગિતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 June 2023

ચંદુ મહેરિયા

પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે તાજેતરમાં રાજદ્રોહ કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ શાહિદ કરીમે તેમના ચુકાદામાં પી.પી.સી.(પાકિસ્તાની પિનલ કોડ)ની રાજદ્રોહ સંબંધિત ધારા ‘૧૨૪-એ’ને મનમાની અને રાજકીય ઉદ્દેશ ધરાવનારી દર્શાવી તેને અમાન્ય અને ગેરકાયદે ઠેરવી છે. ઓકટોબર ૨૦૨૨માં ભારતની સુપ્રીમ કોર્ટે પણ રાજદ્રોહને લગતી ઇન્ડિયન પિનલ કોડ(આઈ.પી.સી.)ની કલમો હેઠળ કોઈ ગુનો ન નોંધવા અને રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા સરકારને આદેશ આપ્યો હતો. ભારતને રાજદ્રોહનો કાયદો જેની દેન છે તે  બ્રિટને ઈ.સ. ૨૦૦૯માં તેને રદ્દ કર્યો હતો .. હવે પાકિસ્તાનમાં તે રદ્દ થતાં ભારત સરકાર પર તેને રદ્દ કરવાનું દબાણ વધશે.

રાજદ્રોહના કાયદાનો આરંભ સાંસ્થાનિક કાળમાં થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રાજવટ હતી ત્યારે તેમણે આ કાયદો ભારતના લોકો તેમની સામે અવાજ ના ઉઠાવે એટલે ઘડ્યો હતો. ૧૮૯૮માં લોકમાન્ય ટિળક અને ૧૯૨૨માં ગાંધીજી સામે રાજદ્રોહના કાયદા હેઠળ અંગ્રેજોએ ખટલો ચલાવી સજા સુણાવી હતી. ઈ.સ. ૧૮૬૦માં ઇન્ડિયન પિનલ કોડ આવ્યો ત્યારે તેમાં રાજદ્રોહની કલમ નહોતી. પરંતુ ૧૮૭૦માં સુધારો કરીને કલમ ‘૧૨૪-એ’ જોડી હતી. એટલે આ કાયદો દોઢસો વરસ જૂનો ગણાય, પણ વાસ્તવમાં તો અંગ્રેજ કાયદામાં તે આઠસો પચાસ વરસ પહેલા, ઈ.સ. ૧૨૭૫માં, દાખલ થયો હતો. તે સમયે રાજા સર્વેસવા હતા. રાજ અને તાજ સામે બોલનારને રાજદ્રોહી ગણવામાં આવતા હતા.

અંગ્રેજો તરફથી વારસામાં મળેલો રાજદ્રોહ કાનૂન આઝાદ ભારતમાં પણ અમલમાં છે. ભારતીય ફોજદારી ધારાની કલમો ૧૨૧, ૧૨૧-એ, ૧૨૨, ૧૨૩, ૧૨૪ અને ૧૨૪-એમાં રાજદ્રોહની જોગવાઈ છે. પરંતુ સૌથી આકરી જોગવાઈઓ કલમ ‘૧૨૪-એ’માં છે. બોલાયેલા, લખાયેલા, ઈશારા કે પ્રદર્શનમાં વપરાયેલા શબ્દો દ્વારા સરકાર વિરુદ્ધ નફરત ફેલાવવી કે તે માટે ઉશ્કેરવા કે સરકારનું અપમાન કરવું  તે ૧૨૪-એ હેઠળ રાજદ્રોહ ગણાય છે. આ ગુનો બિનજામીનપાત્ર તો છે જ તેની સજા આજીવન કારાવાસ સુધીની છે. એટલે સરકાર ટીકાકારોને ચૂપ કરવા, પરેશાન કરવા અને ડરાવવા રાજદ્રોહ કાયદાની આ કલમોનો મનમાન્યો અર્થ કરીને વિપક્ષના નેતાઓ, પત્રકારો, કલાકારો, કર્મશીલો, વિધાર્થીઓ અને સરકાર સામે અસંમત એવા ઘણા બધા સામે ગુનો નોંધે છે. પોલીસ દ્વારા સરકારો રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરે છે અને જુઠ્ઠા કેસ નોંધે છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસંમતિનો અવાજ તો લોકતંત્રનું અનિવાર્ય અંગ છે. પરંતુ સરકારો તેમની એટલી જ આલોચના સહન કરે છે જે તેના પ્રત્યે ઉગ્ર અંસંતોષ ના જન્માવે. સરકારને જે વ્યક્તિ કે વાત અસહજ હોય છે તેને દેશદ્રોહી અને ગુનેગાર ઠેરવવા આ કાયદાનો મોટાપાયે ઉપયોગ થાય છે. છેલ્લા દાયકામાં આ કાયદા હેઠળની ફરિયાદોમાં આશરે પચીસ ટકાની વૃદ્ધિ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની માહિતી પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ના નાગરિકતા સંશોધન કાયદા વિરુ્દ્ધના આંદોલન દરમિયાન ૧૯૪ લોકો સામે રાજદ્રોહના કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

કાયદાનો દુરપયોગ થાય છે તે એ હકીકતથી પણ જણાય છે કે ૨૦૧૯માં રાજદ્રોહના કેસમાં ૯૬ ધરપકડો થઈ હતી. પરંતુ માત્ર બે જ દોષિત સિદ્ધ થઈ શક્યા હતા.  ૨૦૧૪થી ૨૦૨૦માં રાજદ્રોહના માત્ર ચાર જ કેસ સાબિત થઈ શક્યા છે. એટલે સરકાર દંડિત કરવાના બદલે આલોચકો અને વિરોધીઓને વધુ તો પરેશાન કરવા  માંગતી હોવાનું જણાય છે.

જે કાયદાનો ઉપયોગ બ્રિટિશરોએ ગાંધી અને ટિળક સામે કર્યો હોય તે સ્વતંત્ર ભારતમાં કઈ રીતે અસ્તિત્વમાં હોઈ શકે ? તેવો સવાલ થવો સહજ છે. પરંતુ નહેરુએ જેટલા જલદી આ કાયદાથી મુક્તિ મેળવીએ એટલું સારું છે એમ કહ્યા પછી પણ તેને દૂર કર્યો નહોતો. પંચોતેર વરસની આઝાદી અને ચૌદ વડા પ્રધાનો છતાં દરેક્ને જાણે કે આ કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરવાની સત્તા અને શક્તિ છોડવા નથી. એટલે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાયદો આજે પણ કાયદાપોથીમાં છે.

સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨ અને ૧૯૯૫માં રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરીને તેને ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તેનું વલણ બદલાયેલું જણાય છે. આ કાયદા હેઠળ પોલીસને નવી કોઈ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) નોંધવા પર પ્રતિબંધ લાદીને તેણે તેનું વલણ જણાવી દીધું છે. જો કે સુનાવણી દરમિયાન એટર્ની જનરલની દલીલો મારફત કેન્દ્ર સરકાર કાયદો રદ્દ કરવાના પક્ષમાં ના હોવાનું જણાયું હતું. લાહોર હાઈકોર્ટના ચુકાદા અને બ્રિટને સવા દાયકા પૂર્વે તેને રદ્દ કર્યા પછી કે પત્રકારોના કિસ્સામાં તેમની સ્વતંત્રતા રક્ષિત હોવાના ચુકાદા પછી તો તેની કાયદેસરતા કે બંધારણીયતા ચકાસવાની રહેતી નથી.

બીજા ઘણા કાયદાની જેમ રાજદ્રોહનો કાયદો પણ આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળ્યો છે. એટલા માટે જ તે રદ્દ ન કરાય એવી દલીલ સ્વીકારી એ તો અંગ્રેજોએ ભારતીયો પર દમન માટે ઘડેલા કાયદાની લોકતાંત્રિક દેશમાં હવે શું જરૂર ? શા માટે સરકારો પોતાના લોકોથી જ સલામતી ચાહે છે અને ડર અનુભવે છે ? તેવો પ્રતિપ્રશ્ન થઈ શકે છે.

ના માત્ર સરકાર લોકો પણ કેટલાક કાયદાઓનો ખોટો ઉપયોગ કે દુરપયોગ કરે જ છે. એટલે કાયદાનો દુરપયોગ તેની નાબૂદીનું કારણ બની શકે ખરું ? મીસા અને પોટા જેવા કાયદા તેના વ્યાપક દુરપયોગને કારણે જ સંસદે રદ્દ કર્યા હતા. સેડિશન લૉ પણ એ જ શ્રેણીનો કાયદો છે એટલે દુરપયોગના કારણે પણ તે રદ્દ થવો ઘટે. આ કાયદાના ઉપયોગ પાછળની સત્તાધીશોની માનસિકતા સાંસ્થાનિક છે. તે લોકોને રૈયત સમજે છે. તેથી પણ તે નાબૂદ થવા પાત્ર છે.

કેન્દ્રના સત્તાપક્ષે અને કેન્દ્રના વિપક્ષ એવા કેટલાક રાજ્યોના સત્તાપક્ષોએ પણ આ કાયદાનો પોતાની સત્તાના લાભમાં ઉપયોગ કર્યો છે. એટલે રાજકીય પક્ષો કદાચ તેની નાબૂદીનું પગલું ભરશે નહીં. હાલના વડા પ્રધાન અને ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી વિરુદ્ધ અપમાનજનક કે ટીકાત્મક બાબતોને લઈને અનુક્રમે ૧૪૯ તથા ૧૪૪ રાજદ્રોહના કેસો નોંધાયા હોય ત્યારે સરાકારો રાજદ્રોહ કાયદો રદ્દ કરે તે શક્ય નથી.

અદાલતોએ સરકારની ટીકા તે દેશદ્રોહ નથી તેવું વારંવાર કહ્યા છતાં કોઈ સુધારો થતો નથી. વળી રાજદ્રોહ એ સરકારની ટીકા છે. સરકારની ટીકા કરવી કોઈ દેશ વિરુદ્ધનું કે દેશદ્રોહનું કૃત્ય નથી, તેમ સ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહને ઈરાદાપૂર્વક સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દો ગણી લેવાયા છે. એટલે આ કાયદાના ભાવિ માટે હવે તો એક માત્ર આશરો ન્યાયતંત્ર જ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઓડિયન્સને અજવાળામાં લાવતું નાટક: ‘અદ્ભુત’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2023

રવીન્દ્ર પારેખ

મે 23-24, ‘23ની રાત્રે સાયન્સ સેન્ટરનાં, એમ્ફી થિયેટરમાં આઇડિયા અનલિમિટેડ, મુંબઈનાં બે નાટકો જોયાં, ‘વોટ્સ અપ‘ અને ‘અદ્ભુત’ -નએકપાત્રી નાટકો. ‘વૉટ્સએપ’નો નાયક ચિરાગ વોરા અને ‘અદ્ભુત’ની નાયિકા RJ દેવકી. બંનેના દિગ્દર્શક મનોજ શાહ. ‘અદ્ભુત’નો એક શો તો ‘સંસ્કૃતિ’ને ઉપક્રમે 24 જૂનની રાત્રે 7થી 9 દરમિયાન રીગલ બેનક્વેટ, વલસાડમાં પણ થવા જઇ રહ્યો છે, તો એની વાત કરવાનું પ્રસ્તુત પણ છે, પણ એ પહેલાં એના દિગ્દર્શક, અભિનેતા, પ્રોડ્યુસર મનોજ શાહ વિષે થોડું કહું.

મનોજ શાહને તેમનાં પહેલાં નાટક ‘માસ્ટર ફૂલમણિ’થી ઓળખું. એ 1999ના અરસામાં ‘ગાંધીસ્મૃતિ’માં ભજવાયેલું ને એનો ‘લોકસમર્થન’માં વિગતે રિવ્યૂ પણ કરેલો. નવી રંગભૂમિ પર ભજવાતું એ જૂની રંગભૂમિનું નાટક હતું, જેમાં પણ ચિરાગ વોરા જ નાયિકાનું પાત્ર ભજવે છે. એ પછી પણ ‘અપૂર્વ અવસર’, ‘અખો આખા બોલો’, ‘મોહનનો મસાલો’, ‘વોટ્સ અપ’, ‘અદ્ભુત’ જેવાં નાટકોમાં મનોજભાઈનું સાહસ – દિગ્દર્શન, સ્ક્રિપ્ટ, અભિનેતા-અભિનેત્રીની પસંદગીથી માંડીને નાટકનાં દરેક પાસાં સંદર્ભે અનુભવ્યું છે. એમને અનલિમિટેડ આઈડિયાઝમાં રસ છે એટલે જ એમનાં પ્રોડક્શનનું નામ પણ ‘આઈડિયાઝ અનલિમિટેડ’ છે. એ પોતે સ્ક્રિપ્ટ પાછળ ખૂબ મહેનત કરે છે અને કલાકારો પાસે કરાવે પણ છે. સ્ટેજ પર એક જ કલાકાર હોય ને તેને કેન્દ્રમાં રાખીને દોઢ કલાકથી વધુ સમય સુધી સળંગ નાટક સર્જવું રમત

મનોજ શાહ

નથી. કલાકારને મોકળું મેદાન મળે છે ને એ જ વાત એને માટે પડકારરૂપ પણ બને છે, તે એટલે કે તેણે સતત દોઢેક કલાક સુધી પ્રેક્ષકોની આંખોનો સામનો કરવાનો આવે છે. મનોજભાઈએ ડઝનેક નાટકો તો એકપાત્રી જ કરાવ્યાં છે. આવું ભારતમાં થયાનું તો જાણમાં નથી. મનોજ શાહે દિગ્દર્શિત કરેલાં નાટકોની સંખ્યા 90થી વધુ છે. એમનું છેલ્લું નાટક ‘એપલ’ 2022માં પ્રસ્તુત થયું છે ને એ પછી પણ નાટકો સોનો આંકડો પાર કરશે જ એવી શ્રદ્ધા છે. મનોજભાઈની વિશેષતા એ છે કે એમને નાટક દ્વારા સાહિત્ય પદાર્થમાં, સાહિત્યિક, આધ્યાત્મિક, સર્જનાત્મક ચરિત્રોમાં રસ પડે છે અને એવું ગુજરાતી તખ્તા પર ખાસ થયું નથી. એમનું નામ ગિનેસ બુકમાં એટલે નોંધાયું છે, કારણ એક જ દિવસમાં ‘મોહનનો મસાલો’ એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.

ઉત્તમ ગડા લિખિત ‘વોટ્સ અપ’ અર્ધવર્તુળાકારે ગોઠવાયેલા પ્રેક્ષકો સામે શરૂ થાય છે. ત્રીસેકની ઉંમરનો ચિરાગ, મોબાઈલ ફોનને રિસીવ કરતાં, સામે ફોન કરતાં અને મેસેજની આપલે કરતાં તે ભજવે છે. પોતે એના ભાઈને જેલ જતો બચાવવા, શિકાગો જવા, એરપોર્ટ પર આવ્યો છે, ત્યાં એની ગર્લફ્રેન્ડ, એની સાળી, એની પત્ની, એનો ભાઈ, એની બહેન, એનો ભાવિ બનેવી, બહેનના ભાવિ સસરા મોબાઈલમાંથી ટપકી પડ્યાં હોય તેમ ચિરાગને અકળાવે છે ને દોઢેક કલાકમાં ઘણાં પાત્રોનો સામનો તે મોબાઇલમાં કરે છે. નાટકમાં થોડાંક પુનરાવર્તનોને બાદ કરતાં ચિરાગ વોરાએ વિવિધ રસોનો અનુભવ પ્રેક્ષકોને કરાવ્યો છે. સ્ટેજ પર ચિરાગ જ છે, પણ તેની સાથે મોબાઈલ દ્વારા આખું કુટુંબ, તેની વિચિત્રતાઓ સહિત પ્રેક્ષકો અનુભવે છે. આમાં સ્ક્રિપ્ટને ફોલો કરવાની સગવડ ચિરાગને હતી, પણ ‘અદ્ભુત’માં એ તક દેવકીને ખાસ ન હતી.

RJ તરીકે જાણીતી દેવકીને ધ્રુવ ભટ્ટના ‘અકૂપાર’માં જોયેલી. એનો રિવ્યૂ કરેલો અને બીજે દિવસે સાહિત્ય સંગમમાં આખી ટીમનો ઇન્ટરવ્યૂ પણ કરેલો. અદિતિની અને આખી ટીમની મહેનતે ‘ધ્રુવ ભટ્ટ’ની અદ્ભુત નવલનું નાટયરૂપ સરસ રીતે ઉજાળી આપેલું.

ડંકન મેકમિલનની કૃતિ ’એવરી બ્રિલિયન્ટ થિંગ’નું સતચિત પુરાણિકે કરેલું ગુજરાતી રૂપાંતર ‘અદ્ભુત’, એ રીતે પણ અદ્ભુત છે કે એમાં અડધી ન લખાયેલી સ્ક્રિપ્ટ, અભિનય ન કરી શકતા પ્રેક્ષકોના હાથમાં છે. સ્ટેજ પર દેવકી તમામ ચંચળતાઓ સાથે જે રીતે આખેઆખાં ઓડિયન્સને વ્યાપી વળે છે એ કાબિલે દાદ છે. એ એકેએક પ્રેક્ષકને ‘અદ્ભુત’ નાટકનો કાર્ડ આપે છે. એની પાછળ એક નંબર છે ને એની નીચે કેટલીક પંક્તિઓ છે, જેમાં કવિતા છે, નાટક છે, ઇતિહાસ છે, અર્થ-અનર્થ બધું જ છે ને એ બધું સૂચક પણ છે. આમ આ નાટક છે, પણ એમાં પ્રેક્ષકોનાં જીવનનો અંશ પણ ક્યાંક સીધી રીતે ઉકેલાતો આવે છે ને સાધારણ રીતે નાટકમાં એવું ઓછું બનતું હોય છે. આમ વાતમાં બહુ દમ નથી, પણ દમ નીકળી જવા સુધીની નિરાશા, એકમાંથી બીજા પ્રસંગોમાં હળવાશથી પરોવાતી રહે છે. વાત નિરાશાથી, ડિપ્રેશનથી શરૂ થાય છે, પણ એની વાત  ફોડ પાડ્યા વગર થાય છે. વાત એવી છે કે દેવકી માને બચાવવા અદ્ભુત વસ્તુઓનું લિસ્ટ બનાવે છે. આમ તો એ એકલી જ સ્ટેજ પર છે, પણ તે એ રીતે એકલી નથી, કારણ અન્ય પાત્રો તેણે જ ઓડિયન્સમાંથી ઊભાં કરવાનાં છે. એ કોણ હશે તેની તેને ખબર નથી.

તે નાની છે ને તેનું ડોગી મરવાનું છે. તેને વધુ પીડા ન થાય એટલે મર્સી કિલિંગ માટે તે ડોક્ટરની પાસે આવે છે. એ બતાવવું છે, તો એ ઓડિયન્સમાં પહોંચે છે ને કોઈનો દુપટ્ટો માંગે છે. એને એવી રીતે ખભે નાખે છે કે એ માંદું ડોગી લાગે. હવે ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર જોઈએ, તો તેની ઉઘરાણી પણ તેણે ઓડિયન્સમાંથી જ કરી. એક ડૉક્ટર ખરેખર જ આવ્યા. એમને પશુ ચિકિત્સક બનાવ્યા. ઓડિયન્સમાંથી જ પેન માંગી. એ ઇન્જેકશન બન્યું ને ડોક્ટરે દેવકીને ખભે પડેલાં ડોગીને તે આપ્યું. પછી તો જે થવાનું હતું તે થયું, પણ નાની છોકરી એ કારણે વ્યથિત છે કે કાલે તો ડોગી નહીં હોય, પણ એની ચીજ વસ્તુઓ હશે ને તે એની યાદને વધારે ઉપસાવશે. આમ તો આખું નાટક સ્મૃતિ સંહિતા જ છે. દેવકીની અનેક સ્મૃતિઓ એની હતાશા, એનાં હર્ષ, એની વ્યથાને શબ્દ આપે છે, પણ તે રડીને બેસી રહેતી નથી. તે ઓડિયન્સમાંથી પપ્પા ઊભા કરે છે, તેમની સાથે સ્કૂટર પર નીકળે છે ત્યારે પપ્પા તો તાજા તાજા જ પપ્પા થયા છે એટલે એમને સ્કૂટર પર આગળ કેમ ઊભાં રહેવું એની સૂચના આપવાનું પોતાને કહે છે. એ સૂચના બરાબર ન અપાય ત્યાં સુધી સૂચના આપવાનું ચાલુ રહે છે. એ રીતે આખું નાટક વર્કશોપ પણ છે.

વચમાં વચમાં પ્રેક્ષકોને અપાયેલા કાર્ડના નંબર દેવકી બોલતી રહે છે ને જેની પાસે એ કાર્ડ હોય તેણે એ નંબરની લાઇન વાંચવાની છે. એ દ્વારા ગીતની પંક્તિઓ, ફિલ્મી પંક્તિઓ, ગરબો, પાત્રની ઉક્તિ,  ઐતિહાસિક ઘટના… વગેરે દ્વારા નાટકને તો ગતિ મળી જ, પણ પ્રેક્ષકોના પણ એ સંદર્ભો સજીવન થયા. એ પણ પોતાની સ્મૃતિઓમાં ડોકિયું કરતાં રહ્યાં. એની સમાંતરે દેવકી સ્કૂલની સ્મૃતિમાં ખોવાઈ. એ માટે ઓડિયન્સમાંથી શિક્ષિકા શોધાઈ. કોલેજના અધ્યાપક પાસે એ ‘લલિતા દુ:ખદર્શક’ નાટક શીખેલી. એ નાટકના સંવાદો કેમ બોલાય તે અધ્યાપકને એણે શીખવ્યું ને એ પ્રમાણે બોલાવ્યું પણ ખરું. એ દ્વારા, તે વખતે ‘લલિતા દુ:ખદર્શક’નો જે પ્રભાવ હતો એનો ખ્યાલ પણ અપાયો. પછી તો ઓડિયન્સમાંથી જ પ્રેમી પણ શોધી કઢાયો. સ્ટેજ પરની પ્રાસંગિકતા સાથે જે તે પ્રેક્ષકની પણ કોઈ અંતરંગ વાતો ટકરાતી આવી ને એ દ્વારા નાની નાની રમૂજો પણ નાટકનો ભાગ બનતી ગઈ. ગમ્મત એ હતી કે ‘વોટ્સ અપ’માં પોતાનાં પાત્રો પારકાં થતાં હતાં, જ્યારે ‘અદ્ભુત’માં પારકાં પાત્રો પોતાનાં થતાં હતાં. અંતે, પ્રેક્ષકોના હર્ષોલ્લાસ વચ્ચે ને નાટકનાં શોની જાહેરાત સાથે નાટક પૂરું થયું.

પણ, આ નાટક ઘણી બધી રીતે અદ્ભુત છે. તે એ રીતે કે નાટક માટે જોઈતાં પાત્રો-પિતા, પ્રેમી, પ્રાધ્યાપક, ડૉક્ટર, શિક્ષક… વગેરે ઓડિયન્સમાંથી ઉપજાવી લેવાયાં છે. ગમ્મત એ છે કે ઓડિયન્સમાંથી કોણ પાત્ર થઈને સ્ટેજનાં અજવાળામાં આવશે એની નથી પ્રેક્ષકોને ખબર કે નથી તો નાયિકાને ખબર ! મુખ્ય પાત્રને બાદ કરતાં અન્ય તમામ પાત્રો ઓડિયન્સમાંથી તૈયાર કરાયાં છે તે નોંધપાત્ર ઘટના છે. આજ સુધી પ્રેક્ષકો અંધારામાં હતાં. આ પહેલું નાટક છે જે એક સાથે આટલાં પ્રેક્ષકોને પાત્રો બનાવીને સ્ટેજનાં અજવાળામાં લાવે છે. દિગ્દર્શક અને દેવકી માટે પડકાર એ હતો કે દરેક નાટકે તેમણે બદલાવાનું ન હતું, પણ પ્રેક્ષકો અને પ્રેક્ષકોમાંથી આવનારાં પાત્રો બદલાતાં રહેવાનાં હતાં ને દરેક જોડે દરેક નાટકે નાયિકાએ આ બદલાવ સાથે પાનાં પાડવાનાં હતાં. સાધારણ રીતે તો સ્ટેજ પર, અન્ય પાત્રના સંવાદ પરથી સામેનાં પાત્રને આગળની લાઇન્સ મળતી હોય છે, પણ અહીં તો દેવકી જ હતી ને સામે જે પાત્રો આવવાના હતાં એ પોતે જ એમનાં સંવાદોથી અજાણ હતાં તો, દેવકીને કોઈ ક્લુ મળવાની ખાતરી કેવી રીતે હોય? બીજું એ કે પ્રેક્ષકો નાટક જોવાની તૈયારી સિવાય બીજી કોઈ તૈયારી સાથે ભાગ્યે જ આવે છે, ત્યાં સીટ લીધાં પછી તેડું આવે કે સ્ટેજ પર જવાનું છે ને સંવાદો બોલવાના છે, તો મોતિયા જ મરી જાય કે બીજું કૈં? એવા પ્રેક્ષકોને દેવકી-દિગ્દર્શક સ્ટેજ સુધી લાવે છે, તેમની પાસે એક્ટિંગ કરાવે છે, સંવાદ બોલાવે છે ને બરાબર ન થાય ત્યાં સુધી સુધરાવે છે. આ કપરું કામ છે ને એ પાર પડ્યું એમાં જ દેવકીનો વિજય છે. સાચું તો એ છે કે દેવકીએ પોતાની એક્ટિંગ તો કરવાની જ હતી, પણ આવનાર પ્રેક્ષકને પાત્ર બનાવવા વધારાની એક્ટિંગ પણ, એમને શીખવવા કરવાની હતી ને એવું તો દરેક શો વખતે કરવાનું હતું ને એ ખરેખર કસોટી કરનારું હતું. વારુ, અહીં જે સ્ટોરી હતી તે ચોક્કસ ક્રમે આગળ વધતી ન હતી. એમાં પ્રસંગો આગળ પાછળ થતા રહેતા હતા. એ સ્થિતિમાં દેવકી માટે આ સ્ક્રિપ્ટ મોટો પડકાર બની રહી હોય તો નવાઈ નહીં !

ટૂંકમાં,‘અદ્ભુત’માં એવી સંવેદનાઓ ઊઘડે છે જેની બારાખડી અગાઉ લખાઈ નથી. એને માટે મનોજ શાહ, દેવકી અને એમની આખી ટીમને અભિનંદનો આપીએ એટલાં ઓછાં છે. સૌને હૃદયપૂર્વકનાં અભિનંદનો ને શુભેચ્છાઓ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 22 જૂન 2023

Loading

...102030...965966967968...9809901,000...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved