Opinion Magazine
Number of visits: 9457952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સો વર્ષે સોનું

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Short Stories|27 June 2023

સોનાની ઈંટો ભરેલી એક ગાડી ઉજ્જડ જગ્યામાં આવેલા એક જૂના, વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવી. એ ચોગાનના એક ખૂણામાં કૉફિનના આકારની ચાર કાચની પેટીઓ તૈયાર હતી.

ગાડીમાંથી ચાર જણ ઊતર્યા અને એ કોફિનોમાં સૂઈ ગયા. સૂતા પહેલાં બધાંએ એક ખાસ તૈયાર કરેલું   રસાયણ પીધું. આ રસાયણની અસરથી તેઓ એકસો વર્ષ સુધીની ઊંઘ ખેંચી શકશે, અને જ્યારે ઊઠશે ત્યારે, સૂતી વખતે હતા તેવા જ હશે, એમની વય વધશે નહીં, એવી ટોળકીના નાયક ભદ્રેશ લોખંડવાલાની યોજના હતી.

એ ચાર દોસ્તો, ભદ્રેશ લોખંડવાલા, પ્રફુલ્લ હાંસોટિયા, મધુકર દમણિયા અને કશ્યપ નાગરેચા, બધા ય કરામતી હતા. ક્યાં હાથ મારીને માલ-મિલ્કતની ઉચાપત કરવી તેની જ પેરવીમાં રહેતા. એમનાં કાંઇ વ્યવસ્થિત નોકરી-ધંધા નહોતા. છૂટાછવાયા કામો કરીને અને બની શકે ત્યારે ઉઠાંતરી કરીને માલમત્તા ભેગી કરવાનું રાખ્યું હતું.

આ પ્રકારના ધંધાપાણીમાં થોડો વખત પળોટાઈને એમણે મોટો શિકાર કરવાનું નક્કી કર્યું. આ ચારેયમાં ભદ્રેશ “બ્રેઇન” હતો, અને વિજ્ઞાન અને કમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવતો. બાકીના ત્રણ મગજ કરતાં બળનો ઉપયોગ વધુ કરતા.

એક વખત કાળજીપૂર્વકનું પ્લાનિંગ કરીને આ ટોળકીએ સોનાની ઈંટો લાવતી એક ટ્રક પર છાપો માર્યો, અને તેમાંથી સારી એવી ઈંટોની ઉચાપત કરી. 

વિજ્ઞાન, કમ્પ્યુટર અને અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઈને, આ લૂંટને પૂરેપૂરી એમની પોતાની કરવાની યોજના ભદ્રેશે એની દીર્ઘદૃષ્ટિ વાપરીને વિચારી રાખી હતી. તે મુજબ તેઓ વસતિથી દૂરના આ વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવ્યા.

એકસો વર્ષ સૂઈને જ્યારે તેઓ ઊઠ્યા ત્યારે ચારમાંથી ત્રણ જ જણ ઊઠ્યા. કશ્યપ નાગરેચાની કોફીનમાં કશીક ખામી રહી જવાથી એને આ કોફીનની અને પેલા રસાયણની ધારી અસર ન થઈ, અને માત્ર એનો મૃતદેહ જ મળ્યો. તેથી એને ત્યાં જ પડતો મૂકીને બાકીના ત્રણ ગાડીમાં સોનાની ઈંટો સાથે ત્યાંથી રવાના થયા.

ભદ્રેશની યોજના મુજબ આ સોનાની લૂંટ કરવા અને તેનો ભાગ પાડવા બધા કબૂલ થયા હતા, પણ થોડું આગળ જતાં મધુકર દમણિયાની દાનત બગડી, અને બધા ય સોનાનો માલિક થવાનું સ્વપ્નું સેવતાં એણે એના સાથીઓનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું. પણ તેનો અમલ કરવાની ઝપાઝપીમાં એ પોતે જ માર્યો ગયો.

આ બધી પેંતરાબાજી દરમિયાન એમની ગાડી પણ હવે એમનો સાથ આપતી ન હતી, અને થોડુંક ચાલ્યા પછી તે પણ અટકી ગઈ. ત્યાં સુધીમાં ભદ્રેશ અને પ્રફુલ્લ વસતિથી ઘણે દૂર એક ખુલ્લી, વેરાન જગ્યામાં આવી ગયા હતા. બગડેલી ગાડી એમણે પડતી મૂકી, અને ખભા પરની બેગોમાં સોનાની ઈંટો ભરીને ચાલવા માંડ્યા. સમય જતાં ખાવાનું ખૂટ્યું. પાણીની એક માત્ર મશક બચી, અને તે ભદ્રેશ પાસે હતી. સખત તડકામાં બન્ને ચાલી રહ્યા હતા. તરસ લાગતી ત્યારે ભદ્રેશ પાણી પી લેતો. પ્રફુલ્લને પીવું હોય ત્યારે એ ભદ્રેશને પાણી માટે કહેતો, અને એક ઘૂંટડા માટે ભદ્રેશ સોનાની એક ઈંટ એની પાસેથી માગતો.

બેગમાંની સોનાની ઈંટોએ તેમનું કામ કર્યું, અને ભદ્રેશની મતિ બગડી. એના લોભની સીમા ન રહી, અને હવે એણે એક ઘૂંટડાનો ભાવ એકને બદલે બે ઈંટોનો કરી નાખ્યો. પ્રફુલ્લ માટે આ તદ્દન ખોટનો સોદો હતો. ધૂંધવાતાં ધૂંધવાતાં એણે બે-એક વખત તો બબ્બે ઈંટો આપીને પાણીનો એક-એક ઘૂંટડો ભર્યો, પણ તે પછી પાણી માંગવાને બહાને, સોનાની ઈંટો ભદ્રેશને આપવાને બદલે એના માથામાં મારીને એનો ખાતમો કરવાનો પ્રયાસ કર્યો. 

ભદ્રેશ ગાંજ્યો જાય એવો ન હતો. પ્રફુલ્લની જ ઈંટો છીનવી લઈને તેના વડે જ ભદ્રેશે એને મારી નાખ્યો. હવે મશકનો માલિક એ એકલો જ હતો, પણ ધોમ તડકામાં મશકમાંનું પાણી પણ છેવટે ખૂટી ગયું. તરસથી વ્યાકુળ, લથડિયાં ખાતો ભદ્રેશ કોઈ વસતિ દેખાતી હોય એવી જગ્યાએ જવા મરણિયા પ્રયાસો કરતો આગળ વધ્યો, પણ ભૂખ, તરસ અને થાકથી જમીન પર ફસડાઈ પડ્યો.

બન્ને હાથોમાં સોનાની ઈંટો રાખીને “પાણી પાણી”ની બૂમો પાડતો ભદ્રેશ, એક ઘૂંટડાને માટે બે, ત્રણ કે ચાર ઈંટો આપવા તૈયાર હતો. પણ ન તો કોઈ આવ્યું કે ન તો ક્યાંયથી પાણીનો મેળ પડ્યો.

કેટલીક વાર પછી એક કાર ત્યાંથી નીકળી, અને જમીન પર કોઈને પડેલો જોતાં ચાલકે કાર અટકાવી. ઊતરીને ભદ્રેશ પાસે ગયો તો ભદ્રેશે દયામણે ચહેરે અને હતું એટલું બળ એકઠું કરીને એને કહ્યું, “પાણી, … પાણી મળશે, પાણી? આ સોનાની ઈંટો છે, બધી જ તમારી.” અને એટલું કહીને તરફડિયા ખાતા ભદ્રેશે પ્રાણ છોડ્યો. ચાલક પાછો ગાડીમાં આવ્યો. “શું હતું? કોણ છે?”

ગાડીમાંની એની સ્ત્રીમિત્રે એને પૂછ્યું. “મને એણે સોનાની ઈંટો બતાવી, અને હું એને પાણી આપું તો તે સોનું હું લઈ શકું, એમ કહ્યું,” ચાલકે જવાબ વાળ્યો. “આ નવાઈની વાત નહીં? સોનાથી શું થાય?

કોઈ સોનું શું કરવા આપે, એની જરૂર શી? કદાચ એક સમયે તેની કાંઈક કિંમત હશે,” સ્ત્રીમિત્રે કહ્યું. પુરુષે કહ્યું, “મારી પાસે પાણી હોત તો એને આપી દેત; હવે તો બિચારાનો જાન ગયો. પણ સોનાને શું કરું? ચાલો, શહેરમાં જઈને ખબર આપીએ. સુધરાઈના માણસો આવીને આનો નિકાલ કરશે.”

e.mail : surendrabhimani@gmail.com

Loading

કોરોનાકાળમાં કળાની સમીપે : 5 

અમર ભટ્ટ|Opinion - Opinion|27 June 2023

દક્ષિણ ભારતના વિખ્યાત સંગીતકાર ઇલિયારાજાનું વાક્ય છે –

“Music can not only heal, but also hide the pain that you nurse in your everyday life.”

કલાએ મને કોરોનાના સૅકન્ડ વૅવની ભયાનકતા અને કેટલીક ગમતી વ્યક્તિઓ ગુમાવ્યાનું દુઃખ સહન કરવામાં મદદ કરી.

એકાંતવાસના પ્રથમ દસેક દિવસમાં જ મારાથી ચારેક સ્વરાંકનો થઈ ગયાં. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે આ દરમિયાન ફૉન પર વાર્તાલાપ થયો. મેં કહ્યું કે 14 દિવસમાં જાણે કે વધારે પડતાં સ્વરાંકનો થઇ ગયાં તેવું લાગે છે! રાજેન્દ્રભાઈએ કહ્યું કે દાહોદમાં કેટલા ય દિવસો એવા ગયા હતા કે જ્યારે તેમણે રોજની ત્રણ-ચાર ગઝલો લખી હોય. એક વિવેચકે તેમને ચેતવ્યા હતા કે જરા જો જો, ઉતાવળ તો નથી થતી ને? આ ચેતવણી પરથી તેમણે ગઝલ લખી –

“જરા ધીરે, જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો

અરે શબ્દનો રસ્તો છે અનાયાસ, ઉતાવળ ન કરો”

મરીઝ સાહેબનો શેર છે –

“ઓ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી

આ ગઝલ છે, કાંઈ એમાં ઝડપથી લખાય ના”

બીજા એક શેરમાં મરીઝ સાહેબ કહે છે –

“શબ્દોના સંગ સંગમાં ચિત્રણની વાત છે,

લખવામાં તો ગઝલની કલા, આસ્તેથી ચાલ”

કોઈ પણ સર્જન ઉતાવળે ન કરવું જોઈએ તે જાણતો હોવા છતાં 14 દિવસમાં આ પાંચમું સ્વરનિયોજન થયું – “ઉતાવળ ન કરો”

( https://youtu.be/QEY2g_ihrsM )

આ સમયમાં એવી પણ પ્રતીતિ થઇ કે કાયદો અને કાવ્યગાન બંનેમાં શબ્દના અર્થઘટનની પ્રક્રિયા છે – એકમાં વાણી-વિચારથી અને બીજામાં સૂરથી. બંને સાથે સંકળાયેલો હોવાથી મનોજ ખંડેરિયાના આ શબ્દો ખૂબ ગમે છે –

“જિંદગી જીવવા શબદ આપી,

કેવી માંગ્યા વગર મદદ આપી”

કાનૂન અને સંગીત બંનેનું અંતિમ ધ્યેય સમાજમાંથી વિસંવાદ દૂર કરી સમાજને સુરીલો બનાવવાનું છે.

બે ફિલ્મ્સ “ધ પૉસ્ટ” અને “માર્શલ” તથા ભારતની સુપ્રીમ કૉર્ટનો સીમાચિહ્નરૂપ કેસ– કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઑફ કેરળ :

તાળાબંધી દરમિયાન ઘણા વકીલોની પરિસ્થિતિ ટીમમાંથી પડતા મૂકાયેલા ક્રિકેટર જેવી હતી. શું કરવું એ પ્રશ્ન મારા જેવા અનેક વકીલોને થયો હતો. એક ખ્યાતનામ ક્રિકેટરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે તે ભારતની ટીમમાંથી પડતો મૂકાયો હતો ત્યારે તે શું કરતો હતો. તેનો જવાબ ખૂબ સુંદર હતો – “I went back to basics.”

 

મારી જેમ ઘણા વકીલોએ આ ક્રિકેટરના વાક્યને અમલમાં મૂકીને કાયદાના વિષયોના પાયાના સિદ્ધાંતોનું પુનરાવર્તન કરવા જુદા જુદા વિષયો પર યોજાયેલા કેટલાક ઑનલાઇન પરિસંવાદોમાં ભાગ લીધો. એમાં પણ ભારતના

બંધારણને લગતા પરિસંવાદો તો ખૂબ જીવંત બન્યા. આપણા બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે તે યુ.એસ.એ.ના બંધારણ પર આધારિત છે. કોરોનાના દિવસોમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાના મૂળભૂત અધિકારોને સ્પર્શતી બે ફિલ્મ્સ જોઈ- “ધ પૉસ્ટ” અને “માર્શલ”.

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા દિગ્દર્શિત અને સ્વનામધન્ય અદાકારો મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસ દ્વારા અભિનિત ફિલ્મ “ધ પૉસ્ટ” ફર્સ્ટ ઍમેન્ડમેન્ટ દ્વારા રક્ષિત વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર છે – જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. ફિલ્મનું કથાનક આમ છે – અમેરિકન સરકારની વિયેતનામ યુદ્ધ નીતિને લગતા કેટલાક ગોપનીય દસ્તાવેજો 1971માં વર્તમાનપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ પાસે પહોંચે છે. તે પ્રકાશિત થાય તો સરકાર ઊઘાડી પડી જાય તેમ છે. તેથી તેનું પ્રકાશન નહીં કરવા સરકાર હુકમ કરે છે. નીચલી અદાલત પ્રકાશન સામે મનાઈહુકમ ફરમાવે છે. કેસ અંતે યુ.એસ.એ.ની સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. બીજા જાણીતા વર્તમાનપત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. જો આ દસ્તાવેજો ‘વૉશિંગ્ટન પોસ્ટ’ છાપે તો વર્તમાનપત્ર પોતાની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી શકે તેમ છે; પણ તે છાપે તો અદાલતના હુકમના અનાદર બદલ સજા પણ થઇ શકે તેમ છે. એટલે પ્રેસ સ્વાતંત્ર્ય અને જાહેર જનતાના સાચી વાત જાણવાના અધિકારના અમલ માટે સુપ્રીમ કૉર્ટમાં ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના કેસમાં સાથે ‘વૉશિંગ્ટન પૉસ્ટ’ પણ જોડાય છે. કાયદાના ક્ષેત્ર માટે બહુ મહત્ત્વના પુસ્તક “The Least Dangerous Branch”ના લેખક અને બંધારણીય વિદ્વાન ઍલેક્ઝાન્ડર બિકેલ વર્તમાનપત્રો તરફથી વકીલ તરીકે દલીલો કરે છે. યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ વર્તમાનપત્રોની તરફેણમાં ચુકાદો આપે છે. વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આમ રક્ષણ થાય છે.

“માર્શલ” ફિલ્મ યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટના પ્રથમ શ્યામ ન્યાયાધીશ થરગૂડ માર્શલની, તે ન્યાયાધીશ બન્યા તે પહેલાંની, વકીલ તરીકેની કારકિર્દી પર છે – ખાસ કરીને શાળાશિક્ષણમાં જાતિભેદ નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેસ “બ્રાઉન વિ. બૉર્ડ ઑફ ઍજ્યુકેશન”માં માર્શલની વકીલ તરીકેની ભૂમિકા ઉપર આ ફિલ્મ આધારિત છે. અમેરિકામાં કાળી પ્રજાનાં સંતાનોને માટે અલગ શાળાઓ હતી. કૅન્ટકી નામના રાજ્યમાં ઓલિવર બ્રાઉનની પુત્રીને, તે કાળી હોવાથી, તેની નજીકમાં આવેલી શાળામાં દાખલ કરવાનો શાળા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેણે કાળા વિદ્યાર્થીઓ માટે અલગ સ્થપાયેલી ને બ્રાઉનના ઘરથી ઘણી દૂર આવેલી શાળામાં જવું પડે તેમ હતું. સમાનતાના અધિકારના રક્ષણ માટે બ્રાઉન દ્વારા કેસ કરવામાં આવ્યો, જે યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો. બ્રાઉન વતી વકીલ તરીકે થરગૂડ માર્શલે દલીલો કરી હતી. 1954માં આ કેસનો, સમાનતાના અધિકારનું રક્ષણ કરતો, ચુકાદો આવ્યો અને શાળાશિક્ષણમાં જાતિભેદનો અંત આવ્યો. જો કે ઘણાં રાજ્યોએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. યુ.એસ.એ.ની દક્ષિણમાં આવેલ રાજ્ય આર્કાન્સોના ગવર્નરે આ ચુકાદાનો અમલ કરવાની ધરાર ના પાડી ત્યારે 1957માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રીય સેના મોકલીને યુ.એસ.એ. સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો અમલ કરાવ્યો હતો.

ભારતીય સુપ્રીમ કૉર્ટનો એક એવો કેસ, જેના ઉપર આપણે ત્યાં કેમ હજી સુધી કેમ ફિલ્મ બની નથી તેનું મને આશ્ચર્ય છે, તે કેશવાનંદ ભારતીનો કેસ. આ કેસ ઐતિહાસિક, અદ્વિતીય અને અતિખ્યાત છે. ઐતિહાસિક કારણ કે તેમાં આપવામાં આવેલા સિદ્ધાંતને કારણે આપણી લોકશાહી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું; અદ્વિતીય કારણ કે તે સુપ્રીમ કૉર્ટની અત્યાર સુધીમાં બનેલી મોટામાં મોટી (13 ન્યાયાધીશોની) બેન્ચ દ્વારા આપવામાં આવેલો એકમાત્ર અને અત્યાર સુધીમાં સુપ્રીમ કૉર્ટ સમક્ષ ચાલેલા કેસોમાં સૌથી લાંબો સમય (68 દિવસ) ચાલેલો કેસ છે; અતિખ્યાત કારણ કે આ કેસમાં આપવામાં આવેલા સિદ્ધાંતને ઘણા બધા અન્ય દેશોમાં અનુસરવામાં આવે છે. આ કેસમાં ભારતના અત્યંત જાણીતા ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા અરજદાર કેશવાનંદ ભારતી તરફથી વકીલ હતા અને સરકાર તરફથી મુંબઈ સરકારમાં લાંબામાં લાંબો સમય ઍડવોકેટ જનરલ રહી ચૂકેલા બંધારણીય નિષ્ણાત હોમી સીરવાઈ વકીલ હતા. કેસના ચુકાદાને તારીખ 24/4/2023ના દિવસે 50 વર્ષ પૂર્ણ થયાં.

કોરોનાકાળ દરમિયાન કેશવાનંદ ભારતી, જે કેરળમાં આવેલ એડ્નીર મઠના શંકરાચાર્ય હતા તે 6 સપ્ટેમ્બર 2020ના દિવસે અવસાન પામ્યા. 2020 તે નાની પાલખીવાલાનું જન્મશતાબ્દી વર્ષ હતું. આ કેસને અને એમાં પાલખીવાલાએ કરેલ દલીલોને યાદ કરીને કોરોના દરમિયાન અનેક ઓનલાઇન કાર્યક્રમો યોજાયા. કેસમાં મુદ્દો હતો – બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા પર કોઈ મર્યાદા છે કે તે અમર્યાદિત છે અને આવા સુધારાની આડમાં સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે? 1971માં સંસદે બંધારણમાં કેટલાક સુધારા કર્યા. એમાં 25મો સુધારો એવો હતો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આગળ વધારવા સંસદે કોઈ કાયદો પસાર કર્યો હોય તો તે કાયદો કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં, ભલે પછી તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય. કેશવાનંદ ભારતીએ કેરળના જમીન સુધારણાના કાયદાઓ, જેને લીધે પોતાના મઠની જમીન સરકાર હસ્તક જાય તેમ હતી, તે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યા. તેની સાથે બંધારણના સુધારાઓને પણ પડકાર્યો. 7 વિરુદ્ધ 6ની બહુમતીથી સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પણ આવી સત્તા નીચે તે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકે નહીં.

બંધારણના વિકાસની પ્રક્રિયા રોમાંચક છે. 1965માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આપેલ પ્રવચનમાં જર્મન કાયદાશાસ્ત્રી પ્રૉફેસર ડિટ્રીશ કોનરાડે બંધારણમાં સુધારો કરવા ઉપર ગર્ભિત મર્યાદાઓ છે તેવો સિદ્ધાંત સદૃષ્ટાંત સમજાવેલો. તેમણે કેટલાક કલ્પિત પ્રશ્નો કરેલા –

1. શું સંસદ બંધારણમાં એવો સુધારો કરી શકે કે ભારત દેશ (કે જે અનુચ્છેદ 1 નીચે રાજ્યોનો સંઘ – યુનિયન ઓફ સ્ટૅટ્સ – છે) તે હિન્દ અને તામિલનાડુ એમ બે ભાગમાં વહેંચાયેલો દેશ-ડિવીઝન ઓફ સ્ટૅટ્સ – છે?

2. શું સંસદ બંધારણમાં સુધારો કરીને ભારતને સાર્વભૌમ ગણતંત્રને બદલે રાજાશાહી દેશમાં પરિવર્તિત કરી શકે?

જેમ ગ્રીસના ડેમોસ્થેનિસ કે રોમના સિસેરોની વક્તૃત્વકલા વિષે ઘણું લખાયું છે તેમ પાલખીવાલાની, ખાસ કરીને આ કેસમાં પ્રદર્શિત થયેલી, વાક્ છટા વિષે પણ ઘણું બધું લખાયું છે. બંધારણમાં સુધારો કરવા ઉપર સંસદની ગર્ભિત મર્યાદાઓ હોવાથી સુધારા નીચે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકાય નહીં તેવો સિદ્ધાંત સુપ્રીમ કૉર્ટે આ કેસમાં આપ્યો, જે વિશ્વભરમાં બૅઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે જાણીતો છે. 13માંથી 11 ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદાઓ આપ્યા. 6 ન્યાયાધીશો સંસદની બંધારણમાં સુધારો કરવાની ગર્ભિત મર્યાદાના પક્ષમાં હતા; અન્ય 6 તેથી વિરુદ્ધનો મત ધરાવતા હતા. છેવટે 13મા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાનો મત નિર્ણાયક બન્યો અને આમ સંસદની બંધારણ સુધારવાની સત્તા પર અંકુશ આવ્યો. કેસની આગળપાછળની ઘટનાઓ, તેમાંના રમૂજપ્રેરક પ્રસંગો, અદાલતમાં થયેલી ઉગ્ર દલીલો અને સ્વયંસ્ફૂર્ત ઉદ્દભવેલી હળવી ક્ષણો – આ બધું જ એક ઉત્તમ ફિલ્મ માટે કથાવસ્તુ બની શકે તેમ છે.

પછી તો ઘણું બધું બન્યું- ચુકાદો 24/4/1973ના દિવસે આવ્યો. 25/4/1973ના રોજ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સર્વમિત્ર સિક્રી નિવૃત્ત થયા. તેમના પછી વરિષ્ઠતાના ક્રમમાં ન્યાયમૂર્તિ શેલત હોવાથી તે મુખ્ય ન્યાયમૂર્તિ બને તેવો શિરસ્તો હોવા છતાં તેમના અને અન્ય બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ – ગ્રોવર અને હેગડે-ના ચુકાદાઓ સરકાર વિરુદ્ધ હોવાથી તે ત્રણેયની વરિષ્ઠતા બાજુએ મૂકીને સરકારની તરફેણમાં ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ એ.એન. રેસાહેબને સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્ત કર્યા. પરિણામે શેલત, ગ્રોવર અને હેગડેએ રાજીનામાં આપ્યાં. સરકારની ખૂબ ટીકા થઇ. કેશવાનંદ ભારતી કેસે પણ વિશ્વની સફર ખેડી. બાંગ્લાદેશ, બેલિઝ, કોલંબિયા જેવા દેશોની અદાલતોના ચુકાદાઓમાં આ કેસમાં આપણી સુપ્રીમ કૉર્ટે આપેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો;

દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન જેવા દેશોમાં એની નોંધ લેવાઈ, તો મલેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા, કેન્યા જેવા દેશોની અદાલતોએ આ કેસનો સંદર્ભ આપીને તેમાંનો નિયમ તે દેશોમાં કેમ લાગુ નથી પડતો તેનાં કારણો આપ્યાં. મારા સદ્દનસીબે ભારતના ભૂતપૂર્વ સોલીસીટર જનરલ અંધ્યારૂજિનાનું, આ કેસના તાદ્રશ વર્ણનનું પુસ્તક આ દિવસોમાં હું વાંચી શક્યો. –

“Kesavananda Bharati Case- the untold struggle for supremacy between the Supreme Court and Parliament” (“કેશવાનંદ ભારતી કેસ – સુપ્રીમ કૉર્ટ અને સંસદ વચ્ચે સર્વોપરિતા અંગેનો વણકહેવાયેલો સંઘર્ષ”)

એક ને એક જ સ્થળે મળિયેં અમે :

સંગીત, ફિલ્મ્સ અને પુસ્તકોમાં 14 દિવસ ક્યાં વીતી ગયા તે ખબર પણ ન પડી. આ દિવસોમાં કોઈ પૂછે કે ક્યાં છો તો એનો જવાબ પણ કવિ રાજેન્દ્ર શુકલના આ શબ્દો ગાઈને આપવાનું ગમતું હતું –

“એક ને એક જ સ્થળે મળિયેં અમે

હોઈએં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે”

તમે પણ આ રચના માણો.

( https://youtu.be/dFd8s7EOgSI )

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જૂન 2023
e.mail : amarbhatt@yahoo.com

Loading

ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ …

કેતન રુપેરા|Diaspora - Features|26 June 2023

સંપાદકીય

‘ચાલીસીએ ઓચ્છવ’ : પ્રકાશન – ‘હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ : પ્રકાશન-પ્રબંધ – એનહાન્સરઑન્‌લી, અમદાવાદ : સંપાદન – કેતન રુપેરા : પ્રથમ આવૃત્તિ – ઍપ્રિલ 2023 : કિંમત – રૂ. 200 • £ 5 : મુખ્ય વિક્રેતા – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ – 380 009

••••

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી

ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”…

                               — કવિ અરદેશર ફરામજી ખબરદાર

તળ ગુજરાતથી લઈને ગુજરાત બહાર અને દેશ-વિદેશ તથા યુનાઈટેડ કિંગ્ડમમાં ‌વસતાં સૌ ગુજરાતી ભાઈઓ-બહેનો …,

દિલ ગુજરાતી ગુજરાતી કરી દેતી, કવિ અરદેશર ફરામજી ખબરદારની આ કવિતાને યાદ કરીને કહેવાનું મન થાય કે ભાગ્યે જ કોઈ એ મુદ્દે અજાણ હશે અથવા અસહમત થશે કે સાહિત્ય હંમેશાં તેના ભૌગોલિક, સામાજિક, મનોવૈજ્ઞાનિકથી લઈને સાંસ્કૃતિક ને કંઈ કેટલાંય પરિવેશો ને પરિબળોની પયદાઈશ હોય છે. જે દેશ-પ્રદેશમાં જે ભાષા સૌથી વધુ લખાતી-બોલાતી-વંચાતી હોય એ પ્રદેશમાં રહીને એ ભાષા સિવાયની અન્ય કોઈ ભાષામાં સર્જન કરવું એ જે તે પ્રદેશની પોતાની ભાષામાં લખવા કરતાં વધુ પડકારભર્યું હોય છે. પછી એ વારસાની કહેવાતી ભાષા કેમ ન હોય, પણ કેમ કે હવે એ ભાષા અને પ્રદેશ સાથે પોતીકાપણાની લાગણી અનુભવવાનાં ગણ્યાંગાંઠ્યાં જ માધ્યમો રહ્યાં હોઈ અને એ માધ્યમો થકી જ પોતાનું એક અલગ વિશ્વ પણ આકાર પામતું હોઈ તે વિશ્વ જ કોઈ પણ સર્જકની ભાષાભિવ્યક્તિ કે સાહિત્ય-સર્જનનો આધાર બની રહેતું હોય છે.

વારસાની એ ભાષા અને વારસાના એ પ્રદેશ સાથે સર્જકનો નાતો ચોક્કસપણે જળવાયેલો રહે છે, પણ એ તળ કે મૂળ પ્રદેશ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવૃત્તિથી આવર્તન પૂરાં પાડે કે જે તીવ્રતાથી ધક્કો મારે તેની માત્રા કે તીવ્રતા, જ્યાં વસવામાં આવ્યું છે એ પ્રદેશમાં એટલાં હર્ટ્‌ઝ કે એટલા ડેસિબલમાં થોડી વર્તાવાની. તો બીજી પાસ, પોતે જ્યાં રહે છે, શ્વસે છે, જીવે છે એ પ્રદેશ ખુદ પણ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવર્તનો પૂરાં પાડે છે ને જે ધક્કા મારે છે, એની અસર પણ કંઈ ઓછી પ્રભાવી હોય છે?! …

… આવા બે અલગ અલગ પ્રદેશોનાં આવર્તનો ને ધક્કા વચ્ચે અલ્ટર-ટેબ (Alt-Tab) કરતાં કરતાં, બંનેના સામાજિક-સાંસ્કૃતિક પરિવેશને એકસાથે ઝીલતાં ઝીલતાં વારસાની ભાષા, વારસાની સંસ્કૃતિ “કેટલી જળવાય, કેટલી ટકે?” ભક્ત કવિ નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને અખો, ભાલણ કે શામળથી કંઈક વિશેષપણે વિકસતી આવતી ગુજરાતી ભાષા વિકાસના ક્રમમાં ગુજલિશથી આગળ વધીને ઇંગરાતી (કે ઇંગ્રાતી?) એ પહોંચી રહી છે ત્યારે એમેય પૂછવાનું મન થાય કે “ક્યાં સુધી ટકે?!” સ્વાભાવિક જ, આ પ્રશ્ન ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે, એ બધા જ પ્રદેશો માટે છે.

ખરેખર તો ભાષા, પોતાના કોઈ કારણસર ટકવા-ન ટકવા કરતાં વધારે તેનો ઉપયોગ કરનાર-પ્રયોજનાર સમાજના ટકવા-ન ટકવા પર જ વધુ આધાર રાખે છે ને? ગુજરાત બહાર વસતા ગુજરાતી સમાજ માટે વાત કરીએ તો વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યને સમજવા બહુમૂલ્ય એવા ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧) પુસ્તકમાં ‘ડાયસ્પોરા સમાજની વર્તમાન સફળતા અને ભાવિ મર્યાદા’ એવા શીર્ષક તળે પ્રકાશિત લેખમાં અમેરિકન સમાજશાસ્ત્રીઓ અને પ્રો. ભીખુભાઈ પારેખને ટાંકીને લેખક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી કહે છે એ વાતમાંથી કંઈક અંશે એનો જવાબ મળી રહે છે : “અમેરિકા સ્થળાંતરવાસીઓ, નિર્વાસિતોનો બસોત્રણસો વર્ષ જૂનો દેશ છે અને અમેરિકન સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વિવિધ ડાયસ્પોરાના લોકોની શક્તિમાં ક્ષીણતા આવવા લાગે છે. તેમની સફળતાઓમાં, સિદ્ધિઓમાં ઓટ આવવા લાગે છે અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.

“બ્રિટનના વિદ્વાન સમીક્ષક ભીખુ પારેખ આ તારણ સાથે સહમત થતા હોય તેમ, સને ૨૦૦૦ના વર્ષની બિડલા પ્રવચન શ્રેણીમાં કહ્યું હતું એ સંભારવા જેવું છે : ડાયસ્પોરિક સમાજના ભારતીય લોકોની ત્રીજી પેઢીના ફક્ત નવ ટકા પોતાની ભાષામાં વાત કરી શકે છે અને ‘પોતાના દેશ’ની મુલાકાતો ઘણી જ ઓછી થવા માંડી છે. પહેલી પેઢીના માણસો વર્ષમાં એક-બે વખત જઈ આવતા; ત્રીજી પેઢીના લોકો દસ વર્ષમાં એકાદ મુલાકાત ભાગ્યે જ લેતા હોય છે. સાંસ્કૃતિક સંબંધો સૂકાતા જાય છે અને ૨૦-૨૫ વર્ષોના ગાળામાં સાંસ્કૃતિક-સામાજિક સંબંધોમાં કટોકટીની અવસ્થા આવવાનો સંભવ રહે.” સમગ્રપણે અને કોઈ પણ ડાયસ્પોરા સમાજ માટે કહેવાયેલી આ વાત જેટલી અમેરિકામાં વસતા કોઈ પણ ભાષી-સમાજને એટલી જ વિવિધ ભારતીય-ભાષી સમાજને ય લાગુ પડે છે અને તેથી એટલી જ ગુજરાતી સમાજને પણ–આ હાડોહાડ વાસ્તવિકતા વચ્ચે વારસાની ગુજરાતી ભાષાનું, અને વારસાની ગુજરાતી ભાષામાં સર્જાતા સાહિત્યનું એના મૂળ પ્રદેશ-ગુજરાત અને ગુજરાતીમાં થતાં સર્જન વચ્ચે અંતરનું ઉત્તરોત્તર જે છેટું પડે એ તો પડવાનું જ ને …

… ઉત્ક્રાંતિના આ ક્રમને કંઈ થોડો ઉલટાવી કે અટકાવી શકીશું? અને આખરે તે નહીં અટકાવી શકવાની કે બીજી કોઈ પણ ‘ચિંતા સે ચતુરાઈ ઘટે … કહ ગયે દાસ કબીર.’ એટલે ઉત્તરોત્તર વધતાં જતાં આ અંતર મામલે એટલા સ્પષ્ટ થઈ જવું રહેશે કે એ કોઈ ધનથી ઋણ તરફની દિશામાં જતું અંતર નથી. એ તો પોતીકી ઓળખ અને પોતીકી લાક્ષણિકતા દર્શાવતાં દર્શાવતાં ગતિ કરતો કોઈ આંક છે જે ધન-ઋણથી પર છે. એટલે પહેલાં તો તળ પ્રદેશના સાહિત્ય સર્જન અને દૂર દેશાવરમાં થતાં સાહિત્ય સર્જનની એકમેક સમક્ષ કોઈ સરખામણી નથી. અને એ પછી, એ છતાં જો તળ પ્રદેશના સાહિત્ય સર્જન સમક્ષ આ સાહિત્ય કેટલીક મર્યાદા ધરાવે છે, એમ માનવા-કહેવામાં આવે છે, તો સાથે કેટલીક વિશેષતા ને વિશિષ્ટતા લઈને આવે છે, એમ માનવા-કહેવામાં ય હરકત નથી જ. ખરેખર તો, દૂર દેશાવરમાં રહીને વારસાની ભાષામાં થયેલું સર્જન એક અલગ અનુભૂતિમાંથી થયેલું સર્જન હોય છે. દરિયાપાર સર્જાતું ગુજરાતી સાહિત્ય એક અલગ માટી અને એ પર વસતા માણસ અને એનાં મનોભાવોની મહેક લઈને આવે છે. અરે, મૂળ ગુજરાતી પ્રકૃતિથી માંડીને નરી ડાયસ્પોરિક લાક્ષણિકતાનો લાંબો પટ લઈને આવે છે. બે બે ભાષા-સંસ્કૃતિના સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતી આ ઓળખની ક્યાંક કોઈ સરખામણી હોય?

માટે જ જ્યારે કોઈ દેશ કે પ્રદેશ, અને આ કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય, એનાં લેખાંજોખાં થાય ત્યારે તેના માપદંડ તળ ગુજરાતમાં થયેલાં સર્જનના માપદંડથી સ્વાભાવિક જ અલગ હોય, આગવા હોય … ને ‌તો પછી, આ સર્જનાત્મક કૃતિઓનાં શિખર અને ધોધનાં ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા પણ ગિરીમાળા હિમાલય-ગિરનાર કે સરિતા ગંગા-નર્મદાના પ્રવાહ રૂપે કેમ હોય; માઉન્ટેઇન બેન નેવિસ-સ્કાફેલ પાઈક (Ben Nevis-Scafell Pike) કે રિવર સેવન-થેમ્સ (Severn-Thames) જ ન હોય! હા, હિમાલય કે ગિરનાર આ સ્વરૂપના સાહિત્ય માટે આદર્શ જરૂર હોય, પહોંચાય તો પહોંચી ય જવાય … ને તો પછી, આનંદનો અવસર યોજી પોંખી ય લેવાય. પણ તળ ગુજરાત ભૂમિ કે એનું સાહિત્યજગત એવી અપેક્ષા રાખે અથવા એ પાર ન પડે તો એનો ધોધ, પ્રવાહ કે શિખરને ઊણાં કે ઊતરતાં ગણે ત્યારે સહજપણે જ “એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી?…” (ઉમાશંકર જોશી) ગાવાનું મન થાય…

… તો, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ, જ્યારે બ્રિટનમાં ચાર દાયકામાં સર્જાયેલાં ગુજરાતી સાહિત્યનાં તમામ સ્વરૂપોનાં લેખાંજોખાં માંડે છે, પોતે છેલ્લા ચાર દાયકા દરમિયાન ગુજરાતી ભાષા-શિક્ષણ ક્ષેત્રે કરેલાં કામનું સરવૈયું પણ માંડે છે ત્યારે એ કાર્ય અવસર બની રહે ‌છે. અકાદમીની સ્થાપનાની ચાળીસીએ (૧૯૭૭•૨૦૧૭) યોજાયેલો આ એક દિવસીય પરિસંવાદ એક ઓચ્છવ બની રહે છે.

તારીખ સોળ ઑગસ્ટ, બે હજાર અઢાર ને રવિવારના રોજ યોજાયેલા આ પરિસંવાદમાં સાહિત્યનાં સઘળાં સ્વરૂપોનાં લેખાંજોખાં થયાં. અકાદમીની ખુદની વર્ષ ૧૯૮૧થી ચાલેલી ભાષા-શિક્ષણ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા થઈ. સર્જનનાં જે ક્ષેત્રમાં જેમનું મુખ્ય પ્રદાન અને સ્વાભાવિક રસ-રુચિ હતાં, અકાદમી દ્વારા તેઓની એ સાહિત્ય સ્વરૂપના વિષય માટે વક્તા તરીકે પસંદગી કરાઈ. વક્તવ્ય દરમિયાન સંબંધિત સાહિત્ય કૃતિના આસ્વાદ માણવાની લોકભોગ્ય ઇચ્છા જતી કરીને મુદ્દાસર રજૂઆત જ થાય એ માટે સમયમર્યાદા પણ અંકાઈ. ન ઓછી, ન વધુ, એવી વીસ મિનિટ્‌સ રખાઈ. મોટા ભાગનાં વક્તાઓએ તે સાહિત્ય-સ્વરૂપ–અનુક્રમે કવિતા, નવલકથા, સુગમસંગીત, આત્મકથા-જીવનકથા, સાહિત્ય સંસ્થાઓ અને તેની પ્રવૃત્તિઓ, નવલિકા, નિબંધ, ભાષા-શિક્ષણ, નાટક, પત્રકારત્વ–ના પ્રારંભથી માંડીને, સફરની સાથે સંઘર્ષ, ઉપલબ્ધિની સાથે પડકાર અને વિશેષતાની સાથે મર્યાદા પણ વર્ણવી. તળ ગુજરાતના સાહિત્યના પ્રભાવથી માંડીને નખશિખ ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય એનાં ઉલ્લેખ-વિગતની રજૂઆત થઈ. સભાસંચાલકોએ પણ પોતાની ભૂમિકા અદ્દલ નિભાવી (કાર્યક્રમની રૂપરેખા, પાના નં. ૨૦). અકાદમી તથા અકાદમી સાથે સંકળાયેલા સૌને હૈયે હરખ હોય એમ, કાર્યક્રમમાં બે મહત્ત્વપૂર્ણ સત્કાર પણ થયા. અદમ ટંકારવીને અધ્યેતા પદ એનાયત તથા પ્રમુખ વિપુલ કલ્યાણીને મળેલા ઉમાશંકર જોશી વિશ્વ-ગૂર્જરી પારિતોષિક (૨૦૧૮) બદલ સન્માન … અને હા, મોડી સાંજે કાવ્યપઠન ને મુશાયરારૂપી અલગથી જલસો.

અકાદમીએ આ સમગ્ર આયોજનનું દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપ અંકે કરી સાચવ્યું, અકાદમીની વેબસાઈટ glauk.org પર પણ ચઢાવ્યું એના ફલસ્વરૂપ–પ્રચલિત અર્થમાં સંપાદન થોડું, પણ વ્યાપક અર્થમાં સંકલન-દસ્તાવેજીકરણ ઝાઝું–એવું માણેક ઝગારા મારતું આ પુસ્તક આપના હાથમાં.

હવે આ પુસ્તકના સંપાદકીય અંગે થોડી વાત. યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને એના વતી પ્રમુખ વિપુલ કલ્યાણીએ આ પુસ્તકની કાર્ય-જવાબદારી સોંપી ત્યારે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં પાંચેક પુસ્તકોમાં સંપાદનથી લઈને પુસ્તક-નિર્માણ સુધીની કામગીરી નિભાવી લીધી હતી, એટલે જ્યાં સુધી આ પુસ્તક માટે વિચારસ્પષ્ટતાથી લઈને સંકલ્પના અને નિર્માણ સુધીની વાત છે, સંપાદક તરીકે એ વિશે તો કોઈ ક્ષોભ-સંકોચ ન હતાં. પણ છેલ્લાં ચાર-પાંચ વરસમાં કરેલા આ સંપાદનકાર્ય દરમિયાન ડાયસ્પોરિક સમાજ કે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં અભ્યાસીઓ અને એ સંબંધિત અન્ય લેખકો-સાહિત્યકારોને વાંચવાનાં થતાં રહ્યાં હતાં એનાથી બંધાયેલા વિચારપિંડે જ એક ઠહરાવ આપ્યો. મનોમન જ એક પ્રશ્ન થયો.

કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓનાં લેખાંજોખાંના દસ્તાવેજીકરણની સંપાદકીય ભૂમિકા બાંધવા માટે પણ કોઈ લઘુત્તમ લાયકાત હોય કે નહીં? ચાર દાયકાની વણથંભી સફર માટે ચાર-પાંચ વરસની સક્રિયતા પર્યાપ્ત કહેવાય? લઘુતમ માક્‌ર્સે પાસ થઈ જવાય એવો જવાબ એમ મળ્યો કે ચાર દાયકાનાં લેખાંજોખાંના સુપાત્ર સંપાદક હોવા માટે ઓછામાં ઓછા એક દાયકાનો, અને ન માત્ર સાહિત્યિક, પણ ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભ-પરિવેશ હોવો પણ જરૂરી છે. જ્યારે ડાયસ્પોરાનો પાયાનો સંદર્ભ જ એની ભૂગોળ સાથે જોડાયેલો છે, ત્યારે તળ ગુજરાત બેઠાં કરેલાં વાચન-સંશોધન-સંપાદન માત્ર, આ અંતર કાપી શકે?

હા, છેલ્લાં ચાર-પાંચ વરસ દરમિયાન ‘યુગાન્ડા મહીં એશિયન નર-નાર’ (૨૦૧૯, વનુ જીવરાજ), ‘સૌગાત–પાંચ ભાષાનાં કાવ્યો’ (૨૦૧૯, દીપક બારડોલીકર), ‘ઘડતર અને ચણતર’ (૨૦૨૦, ઘનશ્યામભાઈ ન. પટેલ), ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી) અને ‌‘અમે તો પંખી પારાવારનાં’ (૨૦૨૨, ડૉ. દાઉદભાઈ ઘાંચી) … પુસ્તકોમાં પૂરક-લેખનથી માંડીને સંશોધન-સંપાદન અને પુસ્તક-નિર્માણ સુધીની કક્ષાએ સંકળાવાનું થયું. પાંચેય પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે ત્યારે આ દરેક પુસ્તકનાં વિષયવસ્તુ જોતાં એક તબક્કે પ્રશ્ન થાય કે આમાંના એક પણ પુસ્તકનો પ્રકાશન ક્રમ જે રહ્યો એનાથી એક પણ આગળપાછળ હોત તો એ પુસ્તકો હાલનાં સ્વરૂપની પૂર્ણતા પામ્યાં ‌‌‌‌‌હોત, અને તો પછી અકાદમીની ‘ચાળીસીએ ઓચ્છવ’ (૨૦૨૩) જેવાં સન્માનજનક સંપાદનની સોંપેલી જવાબદારી માટે યોગ્ય પૂર્વતૈયારી ગણાઈ હોત?!

આ ઉપક્રમને અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીની ક્રમ-અનુક્રમ દૂરંદેશીતા ગણવી કે કુદરત-સહજ ઘટનાક્રમ એ કળવું મુશ્કેલ છે. પણ સંપાદકની આ અવઢવ દરમિયાનના સંવાદને વાચા આપતા આ પુસ્તકમાં પરામર્શક પણ કહેવાય જ એવા પ્રમુખશ્રીએ ખુદ પ્રસ્તાવના લખી આપીને જે પાયો ચણી આપ્યો એના આધાર પર જ સંપાદકીય અને એ પછીનાં વક્તવ્યો શોભશે, એ બદલ સ્નેહાદરપૂર્વક એમનો આભાર. ‘ચાળીસીએ ‌‌‌‌‌ઓચ્છવ’ના આ પ્રકાશન નિમિત્તે, આગળનાં ય દરેક પુસ્તક માટે વિશ્વાસ મૂકવા બદલ અકાદમી અને તેનાં સૌ હોદ્દેદારોનો આભાર માનવાની તક ચુકાવી ન જોઈએ. સૌનો આભાર …

… અને ગૂર્જરભૂમિ પર બેઠાં બેઠાં તો ગુજરાતી પાઘડીનો વળ છેડે વાળતાં કે સાત હજાર કિલોમીટર છેટે રહીને પણ બે ઘડી યુનાઇટેડ કિંગ્ડમની ટ્રેડિશનલ પોપ્યુલર ‘ફ્લેટ કૅપ’ પહેરતાં, કહેવાનું મન થાય કે કોઈ પણ સંસ્થા કોઈ પણ ભાષામાં પોતે જે દેશ-પ્રદેશની ભાષા-સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, એ દેશ-પ્રદેશમાં એનાં સૌ સભ્યો સાથે મળીને અત્યાર સુધી થયેલા સાહિત્ય સર્જનની તટસ્થતાભરી સમીક્ષા કરે, એનું દૃશ્ય-શ્રાવ્ય રૂપ પોતાના મંચ પર સૌને માટે સુલભ કરે, પછી એનું સંપાદન-દસ્તાવેજીકરણ પણ કરાવે ને એ પ્રક્રિયા વળી માંહોમાંહે પૂર્ણ ન કરતાં જાણતાં-અજાણતાં કંઈક ‘તૃતીય પક્ષ નિરીક્ષણ’ બની રહે તો એની ય તૈયારી દાખવે એ કાબિલેતારીફ કાર્યક્રમ બની રહે છે. એમાં જ ગુજરાતી ભાષા અને ગુજરાતીતાની ઓળખ છે.

અકાદમીની જ વેબસાઇટ પર ઉઘડતે પાને લટાર મારતાં ગુજરાતનાં જ્યોતિર્ધરોનાં સચિત્ર અવતરણમાંથી એક : “ગુજરાત આજે જીવંત વ્યક્તિ છે કારણ કે આપણા આચાર ને વિચારો ગુજરાતીતાની ભાવનાથી પ્રેરાયા આવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ભાવનાના ર્નિણયાત્મક પ્રાબલ્યથી પ્રેરાઈને તેઓ બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને આમ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.” ગુજરાતની અસ્મિતાના પ્રયોજક કનૈયાલાલ મુનશીનો આ વિચાર અકાદમીના પ્રસ્તુત ઉપક્રમમાં આ પુસ્તક થકી સાર્થક થાય છે. અકાદમીનો ધ્યેય મંત્ર “ગુજરાતી સાંભળીએ • ગુજરાતી બોલીએ • ગુજરાતી વાંચીએ • ગુજરાતી લખીએ • ગુજરાતી જીવીએ.” ચેતના સ્વરૂપે પ્રસરી રહે છે; અને પછી પ્રકાશક અને સંપાદક વચ્ચેની સ્થળ-કાળની મર્યાદા, મર્યાદા ન બની રહેતાં સમભાવ-મિત્રભાવમાં સમાઈ જાય છે.

આશા છે, વાચકો માટે પણ આ પુસ્તક બે બે ભાષા-સંસ્કૃતિનાં સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતા સાહિત્યની આગવી ઓળખ સાથેનું એક ઉપયોગી વાચન બની રહેશે, ગુજરાતીતા પંથે ચાલવા-વિહરવામાં એક સુંદર મુકામ બની રહેશે.

સંપાદક

કેતન રુપેરા

Email : KetanRupera@gmail.com

Loading

...102030...958959960961...970980990...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved