Opinion Magazine
Number of visits: 9457924
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાન નાગરિક ધારાનો ટોસ ભા.જ.પે. જીતી લીધો છે, હવે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 July 2023

રાજ ગોસ્વામી

23મી જૂને, પટનામાં 15 વિરોધ પક્ષની બેઠક મળી અને 2024ની લોકસભા ચૂંટણી માટે સહિયારો મોરચો ઊભો કરવા માટે પ્રારંભિક વાતચીત થઇ, તેના બે દિવસ પછી, રવિવારે, વડા પ્રધાન નરેદ્ર મોદી અમેરિકા-ઈજીપ્તની મુલાકાત લઈને પાછા દિલ્હી આવ્યા. તે પછી તેમણે ત્રણ બેઠક કરી. પહેલી બેઠક કેબિનેટની હતી, જેમાં તેમણે મણિપુરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. બીજી બેઠક મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે હતી. વડા પ્રધાન વંદે ભારત ટ્રેનને ઝંડી ફરકાવા માટે ભોપાલ આવ્યા હતા.

મંગળવારે, ત્રીજી બેઠક મધ્ય પ્રદેશ ભા.જ.પ.ના બૂથ સ્તરના કાર્યકરો સાથે હતી. તેમાં સંબોધન કરતાં તેમણે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુ.સી.સી.) લાગુ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે એક ઘરમાં બે કાનૂન હોય તેવી બેવડી વ્યવસ્થા પર દેશ કેમ ચાલી શકે? તેમણે તેમના બયાનના સમર્થનમાં એમ પણ કહ્યું કે બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપવાની વાત કરે છે અને સુપ્રીમ કોર્ટે પણ સમાન ધારાઓની ભલામણ કરી છે.

તેમનું આ બયાન નોંધપાત્ર છે. મધ્ય પ્રદેશ સહિત, દેશમાં આ વર્ષે 7 રાજ્યોમાં ચૂંટણીઓ છે અને 24માં 3 રાજ્યોની અને એ પછી ‘મધર ઓફ ઓલ ઈલેકશન’ લોકસભાની ચૂંટણી છે. ભોપાલમાં વડા પ્રધાને જે ભારપૂર્વક સમાન નાગરિક ધારાનો મુદ્દો આગળ ધર્યો, તેના પરથી સ્પષ્ટ છે કે આગામી તમામ ચૂંટણીઓમાં, અને ખાસ તો લોકસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા પર જનતા સમક્ષ જશે.

સરકારો, હાલની કે અતીતની, ભાગ્યે જ તેમના પરફોર્મન્સ પર જનતા પાસે મત માગતી હોય છે. સંસદીય લોકતાંત્રિક પ્રણાલીમાં, દર પાંચ વર્ષે જનતામાં સત્તા વિરોધી ભાવના (એન્ટિ-ઇન્કમબન્સી સેન્ટીમેન્ટ) મજબૂત થતી હોય છે. વિરોધ પક્ષો સરકારના પરફોર્મન્સને લઈને જ તેને ઘેરે છે અને જનતામાં સત્તા વિરોધી લહેરને હવા આપવાનું કામ કરે છે. એટલા માટે સરકારો હંમેશાં એવા મુદ્દાઓ પર ચૂંટણીઓ લડતી હોય છે જે ભવિષ્યગામી હોય અને ભૂતકાળને ઢાંકી દે.

ભા.જ.પ. આમાં માહેર છે. તેણે તેની વિચારધારાની ફાઈલમાં એવા પ્રોજેક્ટ બનાવીને રાખ્યા છે જેને તે ચૂંટણીઓમાં ખુલ્લા કરે છે. 2019માં, લોકસભા જીત્યા પછી, નરેન્દ્ર મોદીની સરકારે દેશને એક નવી વૈચારિક દિશા આપવાના ભાગ રૂપે ત્રણ મહત્ત્વના સુધાર કર્યા હતા; 370ની કલમની નાબૂદી, નાગરિક ધારો અને ત્રિપલ તલાકનું અપરાધીકરણ. ત્રીજું વચન સુપ્રીમ કોર્ટે પૂરું કરી આપ્યું હતું; અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ.

આ બધા જ મુદ્દાઓ પક્ષના એજન્ડામાં હતા. એમાં એક મુદ્દો સમાન નાગરિક ધારો પણ છે. 2024ની ચૂંટણી પહેલાં, હવે પાર્ટીએ તેનું બલૂન છોડ્યું છે. ભા.જ.પ. તેના ઘોષણાપત્રમાં લખે છે, “ભા.જ.પ. માને છે કે જેમાં તમામ સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ થાય છે તેવા સમાન નાગરિક ધારાને ભારત ન અપનાવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવે અને ભા.જ.પ. સમાન નાગરિક ધારો બનાવાનો તેના નિશ્ચયનો પુનરોચ્ચાર કરે છે.”

મંગળવારના વડા પ્રધાનના બયાન પછી દેશમાં સમાન નાગરિક ધારાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. વડા પ્રધાનના બયાન પછી થોડાક જ કલાકોમાં મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠક મળી હતી અને તેણે તેમના વિચારો-ચિંતાઓ લો કમિશનને રજૂ કરવાનું નક્કી કર્યું હતું.

વિરોધ પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયા હતી. તેમણે વડા પ્રધાન પર આરોપ મુક્યો હતો કે ચૂંટણીઓ આવી રહી છે એટલે ભા.જ.પ. આ મુદ્દાને લાવી રહી છે, બાકી તેને લઈને સંસદમાં એક બિલ પડ્યું જ છે, પણ સરકાર અત્યાર સુધી તેના વિશે ગંભીર નહોતી.

કાઁગ્રેસે કહ્યું કે ફુગાવો, બેરોજગારી અને મણિપુરની સ્થિતિમાંથી ધ્યાન ભટકાવવા માટે ભા.જ.પ. સમાન ધારાને ચગાવે છે. અસસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાનને દેશની વિવિધતા અને બહુતાવાદથી સમસ્યા છે એટલે આવી વાતો કરે છે. તમિલનાડુની શાસક ડી.એમ.કે. પાર્ટીએ કહ્યું છે કે સમાન ધારાને પહેલાં હિંદુઓમાં લાગુ કરો અને તમામ જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશવા દો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોની છાવણીમાંથી આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સમાન નાગરિક ધારાના પક્ષમાં છે. આપ તો દિલ્હીમાં કેન્દ્રના નીમેલા લેફ્ટનન્ટ ગવર્નર સાથે માથાકૂટ ટાળવા માટે ભા.જ.પ.ની પડખે રહે છે, પણ ઉદ્ધવ સેનાએ તો ઘણા વર્ષોથી સમાન ધારાની માંગણી કરેલી છે. જો કે વર્તમાનમાં તેણે સરકાર પાસે એ જાણવા માંગ્યું છે કે આ ધારાથી હિંદુઓને કેટલું નુકસાન થશે. તેમણે કહ્યું હતું, “એ લોકો (ભા.જ.પ.) જો આખા દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવી શકતા ન હોય, તો સમાન ધારો કેવી રીતે લાગુ કરશે?”

લગભગ 30 જેટલાં આદિવાસી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે સમાન નાગરિક ધારાથી તેમના આદિવાસી રિવાજ મુજબના નિયમો નબળા પડી જશે. ભારતમાં ધર્મ, રિવાજ અને પરંપરાઓના આધારે 5 મોટા પર્સનલ લો છે. તે અને આદિવાસી સમુદાયોના અમુક પરંપરાગત કાયદાઓ સમાન નાગારિક ધારો આવતાં ખતમ થઇ જશે. મતલબ કે દેશમાં તમામ સમુદાયોના લોકોની સંપત્તિ, લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક લેવાની પ્રથાઓ પર એક જ સમાન કાનૂન લાગુ થશે.

સુપ્રીમ કોર્ટે તેના વિવિધ ચુકાદાઓમાં સમાન ધારાનું સુચન કરેલું છે. 2018માં, મોદી સરકારની વિનંતી પર, લો કમિશને ફેમિલી લોમાં સુધારા કરવા માટે 185 પાનાંનો અહેવાલ સુપ્રત કર્યો હતો. ત્યારે લો કમિશને કહ્યું હતું કે “સમાન ધારો અત્યારે ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય.”

તો હવે એ કેમ જરૂરી અને ઇચ્છનીય બની ગયો? કારણ કે ભા.જ.પ. જે પ્રકારનું ભારત જોવા માંગે છે તેમાં તેના ત્રણ મુખ્ય પ્રોજેક્ટ છે. એમાંથી રામ મંદિર અને 370 પૂરા થઇ ગયા છે. સમાન ધારો બાકી છે. પહેલાં બે 2019ની જીત પછી પૂરા કરવામાં આવ્યા હતા, જેથી ‘ભા.જ.પ. જે કહે છે તે કરે છે’નો તેના મતદારોમાં વિશ્વાસ પેદા થાય.

સમાન ધારાનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલાં ફોકસમાં લાવવામાં આવ્યો છે. ભા.જ.પ.ને ખબર છે કે ચૂંટણીમાં વિરોધપક્ષો અર્થતંત્ર, બેરોજગારી, મોંઘવારી, સામાજિક ભેદભાવ, સીમા વિવાદ જેવા પરફોર્મન્સ સંબંધી મુદ્દાઓ ઊછાળશે. એમાં સમાન ધારાનો મુદ્દો પૂરા દેશમાં ભા.જ.પ.ના સમર્થકો અને કાર્યકરોમાં એક જુસ્સો ભરી દે તેવો છે, કારણ કે એ અત્યંત ભાવનાત્મક અને ધ્રુવીકરણ ઊભું કરે તેવો છે, જે ચૂંટણીમાં ફાયદાકારક રહેશે તે ભા.જ.પ.ને ખબર છે.

એ યાદ રાખવા જેવું છે કે 2022માં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ તેના થોડા જ દિવસો પહેલાં, રાજ્ય સરકારે રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે કમિટીની રચના કરી હતી. તે વખતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું, “અમે રામ જન્મભૂમિ, 370ની નાબૂદી અને સમાન ધારાની માંગણી કરી રહ્યા છીએ. હું મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું કે તેમણે ભા.જ.પ.ની જૂની માંગણી સંતોષવા માટે પગલું ભર્યું છે.” એ દાવ કારગત નીવડ્યો હતો. ભા.જ.પ.ને જબ્બર બહુમતી મળી હતી.

ભા.જ.પ. સમાન નાગરિક ધારાને એકતા અને સમાનતાનો કાનૂન કહે છે, પરંતુ દેશમાં એવી એક વ્યાજબી ચિંતા પણ છે કે તેનાથી લઘુમતીઓ અને આદિવાસીઓના ‘બંધારણીય-અધિકાર’ આધારિત પર્સનલ લો છીનવી લેશે. અમુક લોકો કહે છે કે દેશમાં સાંપ્રદાયિક અને સમકક્ષ ધારાની જરૂર છે. બંધારણના ઘડવૈયાઓએ સમાન નાગરિક ધારાની સાંપ્રદાયિક સંહિતા તરીકે કલ્પના કરી હતી.

અમુક રાજકીય નિરીક્ષકોનો મત એવો પણ છે કે સમાન નાગરિક ધારાની વાત નવી નથી, અને (ભા.જ.પ. સહિતની) ઉત્તરોત્તર સરકારોએ તેમાં રસ બતાવ્યો નથી. ભા.જ.પ.ના એજન્ડામાં પણ રામ જન્મભૂમિ અને 370ની કલમની પ્રાથમિકતા હતી. લોકસભામાં ભા.જ.પ.ના જ સાંસદનું બિલ પેન્ડિગ છે, પણ સરકારે એમાં કોઈ ઉતાવળ બતાવી નથી. હવે, 2024ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ સમાન ધારાની વાત છેડીને ભા.જ.પ. તેને વાસ્તવમાં કેટલી આગળ લઇ જાય છે તે પણ જોવા જેવું છે.

લાસ્ટ લાઈન :

“મને વ્યક્તિગત રૂપથી એ સમજમાં નથી આવતું કે ધર્મને એટલું વિશાળ અને વ્યાપક અધિકાર ક્ષેત્ર શા માટે આપવું જોઈએ કે તે પૂરા જીવનને સમાવી લે અને વૈધાનિક અતિક્રમણને રોકે.”

— ડો. બી.આર. આંબેડકર

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ ડે”; 02 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્મરણ શહાદતના સંગમતીર્થનું અમન, એખલાસ, ઇન્સાફનું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 July 2023

વસંત–રજબને

વીરા તેં તો રંગ રાખ્યો :

                પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;

‘બી ના! બી ના!’ પુકારી 

                 નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.

‘તેં સાધ્યું કાંઈયે ના!’

                 કહી કદી અધીરો  આપશે ક્રૂર મેણું;

કે‘જે પ્રત્યુત્તરે  કે 

                ‘અભય બની પ્રજા:’ લૈશ હું સર્વ લેણું.

                                                        — ઝવેરચંદ મેઘાણી 

બસ હવે આડા બે દિવસ માંડ છે: પહેલી જુલાઈએ ગુજરાતના જાહેર જીવનની અનન્ય ને અનેરી કર્મબાંધવી, વસંત-રજબની બલિદાની સ્મૃતિ દિલને દરવાજે દસ્તક દેતી હશે. 1946ની કોમી હુતાશનમાં એમણે પવિત્ર શ્રીફળની પેઠે હોમાવું પસંદ કર્યું હતું. એમના પંચોતેરમા સ્મૃતિપર્વે જમાલપુર ખાંડની શેરીના સ્મારક પર યાત્રાભાવે હાજરી ભરનારાઓમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ હતા; કેમ કે 1946ની પહેલી જુલાઈએ રથયાત્રાનું પર્વ પણ હતું.

ઓળખવા જેવાં છે આ બે પાત્રો. વસંતરાવ હેગિષ્ટે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર, પેઢીઓથી અમદાવાદ-ગુજરાતમાં સ્થાયી થયેલો. એમની જાગુષ્ટેની પુસ્તકદુકાન જૂની ને જાણીતી. વસંતરાવ સેવાદળના કાર્યકર. એ તો 1946માં ગયા પણ હેગિષ્ટે પરિવારની હાજરી આપણા જાહેર જીવનમાં અન્યથા પણ ચાલુ રહી, એમનાં બહેન હેમલતા જ્યોતિસંઘમાં આગળ પડતાં હતાં. રજબઅલી વયમાં નાના. લીંબડીમાં રહેતો પરિવાર ને કરાચીમાં ભણતર. વળી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને અવનવા સંપર્કો થયા. ‘સમય’ખ્યાત ભાનુભાઈ શુક્લે સંભાર્યું છે કે ભાવનગર કોલેજની એમની હોસ્ટેલ રૂમમાં એક વાર ટકોરા મારીને કોઈ છાત્રે પ્રવેશ કર્યો. એ રજબભાઈ હતા, બારણા પર રૂસી ક્રાંન્તિની (સામ્યવાદની) યાદી રૂપ હથોડી ને દાતરડું ચિતરાયેલાં જોઈને! નવા વિચારોનો પરિચય કેળવવો એ રજબઅલીનું સહજ વલણ હતું. જો કે એ ઠર્યા હતા ગાંધીવિચારમાં. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટના ઘરે જે જુવાનિયા પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવા એકત્ર થયા તેમાંના એ એક હતા. વસંતરાવ રાષ્ટ્રીય ચળવળ ને કંઈક સાવરકરી ખેંચાણ છતાં ગાંધીવિચારમાં ઠર્યા હતા. સેવાદળની કામગીરી, વ્યાયામ પ્રવૃત્તિ, જયન્તિ દલાલ જેવા બૌદ્ધિક સ્વાતંત્ર્યસૈનિકો સાથે ગતિ-રેખા પ્રકારની પ્રવૃત્તિમાં પણ સક્રિય સહભાગિતા. પછાત વિસ્તારમાં નીરુ દેસાઈ સાથે મળીને રાત્રિવર્ગો ચલાવતા.

બંને મિત્રો, દેશમાં બગડતા માહોલ વચ્ચે ફૈઝપુર કાઁગ્રેસે મુસ્લિમ વ્યાપક સંપર્કનો જે કાર્યક્રમ લીધો એના ઉત્કટ સમર્થક હતા. વસંતરાવના જેલસાથી મગનભાઈ પ્ર. દેસાઈએ નોંધ્યું છે કે જેલના પઠાણ સાથી સાથે વસંતરાવનો ખાસો ઘરોબો હતો. હેમલતાબહેને લખ્યું છે કે અમે ભાઈને મળવા જેલ પર ગયા તો હતાં કુટુંબના સભ્ય તરીકે, પણ એક મુસ્લિમ ભાઈ પણ જોડાઈ ગયા ને જેલરે રોક્યા તો કહ્યું કે હું એમનો મુલાજિમ (નોકર) છું, ને દાખલ થઈ ગયા!

વસંતરાવ બૌદ્ધિક ક્ષમતાપૂર્વક પણ કર્મઠ કાર્યરુઝાનનો જીવ. રજબઅલી કામમાં પડે, ઉપાડે; પણ બૌદ્ધિક પ્રતિભા અનન્ય. સૌરાષ્ટ્રના એમના મિત્રોને હતું કે જવાહરલાલ નેહરુએ જેમ લોહિયા, જયપ્રકાશ જેવાને કાઁગ્રેસની વડી કચેરીમાં નોતર્યા ને તેઓ ઝળકી ઊઠ્યા તેમ રજબભાઈએ પણ રાષ્ટ્રીય સ્તરે જવું જોઈએ. ગમે તેમ પણ, બબલભાઈ અને બીજાઓએ સૂચવ્યું ને રજબઅલી અમદાવાદ આવીને રહ્યા – ને એમના ને વસંતરાવનાં દિનરાત એક બની રહ્યાં.

પણ મને લાગે છે કે રજબભાઈએ જે પુસ્તકો જેલવાસમાં અનુવાદ સારુ પસંદ કર્યાં હતાં એની થોડીક વાત એમના પ્રતિભાદર્શન સારુ જરૂર કરવી જોઈએ. આ ત્રણ પુસ્તકો તે ‘એલોન’, ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ અને ‘પાવર ઓફ નોન-વાયોલન્સ.’ ‘એલોન’ (‘એકાંતનું સામ્રાજ્ય’) એ દક્ષિણ ધ્રુવના એકલવીર પ્રવાસીની અદ્દભુત સાહસકથા છે. અનુવાદની પ્રસ્તાવનામાં એમણે ગુજરાતના જુવાનો આવાં સાહસ-સંસ્કાર દ્વારા બળવાન, વીર્યવાન ને શૂરવીર બને એવી ઝંખના પ્રગટ કરી છે. દેખીતી રીતે જ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ત્યારે જડી રહે એવું આ પુસ્તક હતું. તો, અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન કૃત ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ (‘હિંદનો કોમી ત્રિકોણ’) એ સ્વરાજ સારુ થનગનતી ને પાંખ વીંઝતી તરુણાઈ સામેનું વાસ્તવચિત્ર હતું. ‘પાવર ઓફ નોન-વાયોલેન્સ’નો અનુવાદ એમણે સ્વયંસેવી હૈયાઊલટથી હાથ ધર્યો. એમાંથી એમની વૈચારિક પ્રતિબદ્ધતાનો એક સંકેત અવશ્ય મળે છે. માત્ર, ‘નવજીવન’ તરફથી તે સ્વતંત્રપણે બહાર પડવામાં હતો એવું જાણતાં અડધેથી પડતો મૂકેલો.

1946ની પહેલી જુલાઈનું તંતોતંત ચિત્ર અહીં નહીં આપતાં એટલું જ કહીશું કે હિંદુઓ વચ્ચેથી મુસ્લિમને અને મુસ્લિમો વચ્ચેથી હિંદુને બચાવતાં, શાંતિ માટે સમજાવતાં ને હુમલો કરવો હોય તો પહેલો અમારા પર કરો એમ આડશ ધરતા બેઉએ એક તબક્કે જીવ ખોયો, કહો કે જીવી જાણ્યું. બેઉનાં લોહી જ્યાં એકમેકમાં ભળી ગયાં તે સંગમતીર્થે આજે સ્મારક ઊભું છે. ગોમતીપુરના ચારવાટ કબ્રસ્તાનમાં રજબઅલીની મજાર હવે સોજ્જી સાફસફાઈ ને રાખરખાવટ સાથે જીવતી થઈ છે અને શહાદત દિને સૌ યાત્રાભાવે જેમ સ્મારક પર તેમ ત્યાં પણ જતા થયા છે.

સેવાદળનું પ્રતિવર્ષ સ્મારકે જવું અલબત્ત જારી હતું. પણ વરસોનાં વા’ણાં વાયાં તેમ એમાં સ્વાભાવિક જ મંદતા આવી. એવામાં 1992-93થી કાર્યરત સેક્યુલર લોકશાહી આંદોલને એ પ્રણાલિકા જીવંત ને બલવતી કરી. યાત્રાભાવ સાથે વ્યાપક નાગરિક અર્થમાં રાજકીય સંકલ્પ જોડ્યો અને આ શહાદતને વ્યાખ્યાયિત કરી, અમન-એખલાસ-ઈન્સાફ રૂપે. શાંતિ ખરી પણ ન્યાયમંડિત. અહીંથી જ 2002માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના હેવાલને પગલે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે સહીઝુંબેશ પણ શરૂ થઈ.

સ્વરાજના એક વરસ અને એક મહિના આગમચ ઘટેલ આ ઘટના કોઈ ક્ષણાવેશી વીરમૃત્યુની નથી. જેમને આર્થિક-સામાજિક રસકસે ભરી સમાનતા ને સ્વતંત્રતાની આઝાદ જુગલબંદી ખપતી હતી એમણે નવી ને ન્યાયી દુનિયા માટે નિમંત્રેલ કુરબાનીની આ કથા છે. જયન્તિ દલાલ અને ઈન્દ્રવદન ઠાકોરે એકત્ર કરેલી આરંભિક સામગ્રીમાં ઝવેરચંદ મેઘાણીએ સ્વીકારેલી સંપાદકીય જવાબદારી સાથે મૂલ્યવાન ઉમેરાપૂર્વક એક સમૃદ્ધ સ્મૃતિગ્રંથ સુલભ થયો છે તે આપણી સમજ ને સંવેદનાને સંકોરતો રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જૂન 2023

Loading

ન અહીં ન તહીં 

ઉમેશ સોલંકી|Poetry|3 July 2023
પગ ઉપાડું તો ઊપડે નહીં
મનખે ચોંટ્યું જળ, જળ જળ પરથી ઊખડે નહીં
શ્વાસ લઉં તો ઊઠે તરંગ
બહાર નાના ને નાનચીકા પરપોટા સળંગ
ન અહીં આરો, ન તહીં આરો
મધદરિયે ક્યાંક ખરો કિનારો
e.mail : umlomjs@gmail.com

Loading

...102030...951952953954...960970980...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved