Opinion Magazine
Number of visits: 9560478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્ની અને બાળકો વગરના ઘરમાં એકલવાયા પુરુષની ‘યાદેં’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 September 2023

રાજ ગોસ્વામી

એક માણસ, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે, કામ પરથી ઘરે આવે છે. ઘર ખાલી છે. એ ચોંકી જાય છે. તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે. તેને તેની ભૂલોનો અહેસાસ થાય છે. તે ઉદાસ થઇ જાય છે અને અપરાધબોધના ભાર હેઠળ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. હિન્દી ફિલ્મોમાં બને છે તેમ, અણીની પળે કર્તવ્ય પરાયણ પત્ની પાછી ફરે છે અને પતિને બચાવી લે છે. પછી, સૌએ ખાધું, પીધું ને રાજ કર્યું.

એ માણસ એટલે અનિલ મહેરા (સુનીલ દત્ત), એ પત્ની એટલે પ્રિયા (નરગિસ) અને એ ફિલ્મ એટલે ‘યાદેં.’ વાર્તાની દૃષ્ટિએ એમાં કશું નવું નહોતું. એક વ્યભિચારી પતિ સુધરી જાય છે, ભારતીય નારીની પ્રતિકસમી પત્ની, તેની સાથે થયેલા અન્યાયને ભૂલી જઈને, પતિને પાછો પ્રેમ કરવા લાગે છે અને ઘર બચાવી લે છે. એક જ નવાઈ હતી; દુનિયાની આ પહેલી ફિલ્મ હતી જેમાં એક જ એક્ટર હતો.

ફિલ્મ 1964માં રિલીઝ થઇ હતી અને તેને એક જ એક્ટરની ફિલ્મ તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. તમને એવો પ્રશ્ન થાય કે હમણાં તો એવું લખ્યું કે ‘અણીની પળે પત્ની ઘરે પાછી આવે છે,’ તો એક એક્ટર કેવી રીતે કહેવાય? નાટકોની દુનિયામાં ‘સોલો એક્ટ’ની પ્રથા જૂની છે. તેમાં રંગમંચ પર એક જ એક્ટર હોય અને તે દર્શકોને સંબોધીને વાર્તા કહે. માનવ ઇતિહાસમાં વ્યાખ્યાનોની પરંપરા રહી છે, જેમાં શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાનકાર વાર્તા માંડે.

‘યાદેં’ ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને એક્ટર સુનીલ દત્તે આ જ ટેકનિકનો ફિલ્મમાં ઉપયોગ કર્યો હતો. તે ફિલ્મના પ્રેક્ષકોને સીધું સંબોધન તો કરી ન શકે એટલે તે દીવાલ પર નાચતા પડછાયાઓ સાથે વાતો કરે છે, ઘરની ચીજ વસ્તુઓ સાથે સંવાદ કરે છે, ફોનમાં કોઈની સાથે વાર્તાલાપ કરે છે. એ રીતે પ્રેક્ષકોને ખબર પડતી જાય છે કે અનિલના જીવનમાં (અને મનમાં) શું ચાલી રહ્યું છે (ફિલ્મના અંતે, પત્ની દીવાલ પર પડછાયા રૂપે આવે છે).

એકલવાયો અનિલ ડ્રિંન્ક બનાવે છે. પત્નીને એની એ કુટેવની પણ ખબર હશે, એટલે તેણે બાર પર ચિઠ્ઠી મૂકી છે કે તે આ લગ્નમાં રહી શકે તેમ નથી એટલે બાળકોને લઈને ચાલી ગઈ છે.

અનિલ તેની પત્નીની ચીજવસ્તુઓને હાથમાં સહેલાવીને અને બાળકોનાં રમકડાં પકડીને તેમની ગેરહાજરીનું દુઃખ વ્યક્ત કરે છે. અનિલ દીવાલ પર, ટેબલ પર માથું ઢાળીને, લલાટને ખોબામાં મૂકીને તેની ઉદાસી જાહેર કરે છે. ‘યાદેં’માં, ફિલ્મ ટેકનિકને લાગે વળગે છે ત્યાં સુધી, સુનીલ દત્તે એક નવા જ પ્રકારની સિનેમાઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

એવું કહેવાય છે કે નરગિસ એકવાર ઝેક રિપલ્બિકમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં જજ બનીને ગયાં હતાં. તે સાથે બાળકોને પણ લઇ ગયાં હતાં. સુનિલ દત્ત ઘરે એકલા રહ્યા હતા. એ દરમિયાન તેમને વિચાર આવ્યો હતો કે હીરો ઘરે આવે અને ખબર પડે કે તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે તો તે શું કરે? 

મસાલા ફિલ્મોના દૌરમાં આવી એક લાઈનની વાર્તા એ સાચે જ સાહસિક પ્રયોગ કહેવાય. સુનીલ દત્તનો સિતારો ત્યારે ચમકતો હતો. એ સ્ટાર-પાવરના કારણે જ તેમને ‘એક એક્ટર’ની ફિલ્મ બનાવવાની હિમ્મત આવી હશે. સુનીલ દત્તે કુલ 100 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને 8 ફિલ્મોનું નિર્માણ કર્યું અને 6 ફિલ્મોનું નિર્દેશન કર્યું.

સુનીલ દત્તે તેમની અજંતા આર્ટ કંપની વતી ફિલ્મ બનાવી હતી. અજંતા આર્ટના બેનર નીચે અગાઉ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ અને ‘મુજે જીને દો’ બની ચુકી હતી, પણ નિર્દેશક તરીકે સુનીલ દત્તે ‘યાદેં’ જેવી પ્રયોગશીલ ફિલ્મથી પદાર્પણ કર્યું એ પણ નોંધનીય છે. અઢી કલાક સુધી એક એકલો એક્ટર દર્શકોને પકડી રાખે તે ખાવાના ખેલ નથી, તેની સુનીલ દત્તને ખબર હોવી જ જોઈએ.

મજાની વાત એ છે કે ફિલ્મમાં વાર્તાનું શ્રેય (નરગિસ નહીં) મિસિસ દત્તને આપવામાં આવ્યું છે. એવું બન્યું હોવું જોઈએ કે સુનીલ દત્તને બાંદ્રાના તેમના ઘરમાં એકલતાનો અહેસાસ થયો હોય અને તેમણે પત્ની નરગિસને પરિવારની ગેરહાજરી કેવી સાલે તેની વાત કરી હોય. શક્ય છે કે મિસિસ દત્તે મજાક પણ કરી હોય કે તમારી સાથે તો સાચ્ચે જે એવું કરવા જેવું છે! મોટાભાગની પત્નીઓ તેમના પતિને આમ પણ એવું કહેતી હોય છે કે હું જતી રહીશ ને ત્યારે ખબર પડશે. એ નોંકઝોંકમાંથી ફિલ્મ બનાવાનો વિચાર જન્મ્યો હોય તે શક્ય છે.

સુનીલ દત્તની મોટાભાગની ફિલ્મો, વિશેષ તો ખુદના બેનર હેઠળની ફિલ્મોમાં કોઈને કોઈ સંદેશો હોય છે. ‘યાદેં’ આમ તો એકલવાયા પતિની ઉદાસીની કહાની છે પણ તેમાં ય એક પારિવારિક મૂલ્યની શિખ છે. ફિલ્મની શરૂઆત ‘મનુસ્મૃતિ’ના  શ્લોકથી થાય છે :

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ॥

“જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલાં બધાં સારાં કાર્યો પણ ફળહીન થઈ જાય છે.”

સુનીલ દત્ત એવું કહેવા માંગતાં હતા પુરુષ ગમે તેટલો તાકાતવર અને આઝાદ હોય, સ્ત્રી વગરનું ઘર અંતત: તને તોડી નાખે છે. ‘યાદેં’ ફિલ્મમાં દત્તે એ ઈમોશનલ બ્રેકડાઉનને બખૂબી પેશ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં ઘણીવાર લાગણીઓ, અસુરક્ષા, ડરને સ્ત્રીની વૃત્તિ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ ‘યાદેં’ ફિલ્મમાં પત્ની અને બાળકોની સ્મૃતિઓથી દુઃખી થતા એક અનિલ મહેરાનું પાત્ર સાબિત કરે છે કે પુરુષો પણ પરિવારને નુકસાન થાય તો દુઃખી થાય છે.

ફિલ્મમાં સૌથી ઉત્તમ સુનીલ દત્તની અભિવ્યક્તિ છે. હસવાથી અને અચાનક કોઈ વાત પર ગુસ્સો કરવાથી માંડીને ચાવીથી ચાલતું રમકડું જોઈને ડરી જવા સુધીની દરેક લાગણી તેમના ચહેરા પર ખીલી ઊઠી હતી. તેમણે દરેક હાવભાવ ખૂબ જ ગંભીરતાથી આપ્યા હતા. સુનીલ દત્તે આ ફિલ્મમાં કાલ્પનિક અભિવ્યક્તિઓનો પ્રયોગ કર્યો હતો.

હિન્દી સિનેમામાં ઘણી પ્રયોગાત્મક ફિલ્મો બની છે, પણ 60 વર્ષ પછી ‘યાદેં’ આજે પણ ‘એક જ એક્ટર’ની ફિલ્મ તરીકે એટલી જ લાડકી છે.

ફારુક શેખના એક જમાનામાં લોકપ્રિય ટી.વી. કાર્યક્રમ ‘જીના ઇસી કા નામ હૈ’માં સુનીલ દત્ત મહેમાન હતા. એમાં દત્ત પરિવારના અને સિનેમાના મિત્રોએ દત્ત વિશે રોચક વાતો કરી હતી. તેમાં ‘યાદેં’ ફિલ્મની વાત પણ નીકળી હતી. દત્તે ફિલ્મનું પ્રીમિયર મુંબઈના મરાઠા મંદિર સિનેમા યોજ્યું હતું ત્યારની ઘણી વાતોને યાદ કરી હતી.

પ્રીમિયરમાં દત્તના સમકાલીન એકટર દિલીપ કુમાર પણ ઉપસ્થિત હતા. દત્તે તેમને યાદ કરીને કહ્યું હતું કે ફિલ્મ જોયા પછી દિલીપ કુમાર અચંભિત થઇ ગયા હતા, “દંગ રહે ગયે થે. ઐસા કૈસે હો સકતા હૈ એક હી એકટર થ્રુઆઉટ? ઉનકો એક એક્ટર કા આઈડિયા બહુત પસંદ આયા થા.”

ફિલ્મની બીજી રસપ્રદ વાત એ છે કે તેમાં માત્ર બે જ ગીતો હતાં, જે લતા મંગેશકરે ગાયાં હતાં. ફિલ્મના સંવાદો અને સંગીત વસંત દેસાઈએ આપ્યું હતું. કાશ, સુનીલ દત્ત આજે જીવતા હોત તો ચોક્કસપણે રોચક અને પ્રયોગાત્મક ફિલ્મો આપી હોત.

અભિનેતા જીવતો હોત, તો ફિલ્મ નિર્માણના આવા પ્રયોગો સાથે એમણે ચોક્કસપણે આપણા ફિલ્મ ઉદ્યોગમાં ઘણી વધુ દિમાગ રોચક ફિલ્મોનું યોગદાન આપ્યું હોત.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 13 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઍનકાઉન્ટર

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|15 September 2023

પ્રીતમ લખલાણી

કાજલે ટી.વી. બંઘ કરી કૉફી ટેબલ પર આજે બપોરે ટપાલમાં આવેલ “ટાઈમ્સ” સામાયિકના એકાદ બે પાનાં પર નજર ફેરવી ન ફેરવી ત્યાં જ કાજલના ઘરનો ફોન રણકી ઊઠ્યો.

તેને મનમાં ઘ્રાસકો પડ્યો, ‘હે ભગવાન, કોઈ ઈમરજન્સી ન હોય તો સારું, નહીંતર હમણાં જ કિલનિક પર દોડવું પડશે. આ વિચાર સાથે તેણે ફોનનું રિસીવર ઉપાડયું, ‘હેલો!’

‘ડૉ. કાજલબહેન, હું પાર્વતીબાઈ બોલું છું. બહેન, હું તમારી પરિસ્થિતિ બહુ જ સારી રીતે સમજી શકું છું. તમે ડૉકટર લોકો કેટલા બઘા કામમાં વ્યસ્ત હો છો, તેની મને કયાં ખબર નથી! કાજલબહેન, હું તમને શું કહું? મારે માથે તો દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે! એટલે જ મારે તમને આટલી મોડી સાંજે અગિયાર વાગ્યે ફોન કરવો પડયો છે!’

‘ખોટા બાનાં બનાવવાને બદલે પાર્વતીબહેન સાચીસાચી વાત કરી દો કે હું કાલે સવારે કામે આવવાની નથી.’

‘બહેન, હું તમારી મજબૂરી બહુ સારી રીતે સમજી શકું છું. પણ મારે તમને ફોન પર મારી વ્યથાની કથા સમજાવવી. મારે તમારું ખાસ એક અગત્યનું કામ પડ્યું છે. અત્યારે, તમે અને ઈશ્વર, ફકત એવી બે જ વ્યકિત છો કે મને મારા દુઃખમાં મદદ કરી શકો તેમ છો.’

‘ચાલો, ખોટાં નખરાં અને બહાનાં બનાવ્યા વગર તમારે મને જે કંઈ કહેવું હોય તે સાફ શબ્દોમાં કહી દો. બસ, કાલે સવારે હું કિલનિક પર જઉં તે પહેલાં ઘરે કામ પર આવી જજો.’

‘કાજલબહેન, હું તમને અ ત્યારે ફોન પાંચાલાલ કરિયાણાવાળાની દુકાનેથી કરી રહી છું. બાજુમાં મારી દીકરી સુશીલા પણ ઊભી છે.’ પછી બહુ જ ઘીમા અવાજે તેના ખુદના કાન પણ ન સાંભળી શકે તેમ તેને ફરી વાતની શરૂઆત કરી. ‘મારી દીકરીની તબિયત છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ જ ખરાબ છે. તેની તબિયત બાબતની બઘી વાત મારાથી તમને ફોન પર કરી શકાય તેમ નથી. તમે આટલામાં સમજી જશો. તમે જો સુશીલાને અત્યારે તપાસીને દવા આપો તો હું હમણાં જ રિક્ષા પકડીને તમારે બંગલે આવી જઉં છું.’

‘બહેન, સુશીલાને પેટમાં સખત દુઃખાવો ઊપડ્યો છે. ઊલટી જેવું પણ આજ સવારથી થાય છે.’

‘પાર્વતીબહેન, મને લાગે છે સુશીલાને કદાચ ખાવામાં કંઈ આવી ગયું હશે! કિલનિક પર ફાર્મસિસ્ટને ફોન કરીને હમણાં જણાવી દઉં છું. તે તમને સુશીલા માટે દવા આપશે. સવાર સુઘીમાં તબિયતમાં ઘણો ફરક પડી જશે. એમ છતાં જો ફરક ન પડે તો તમે મને કિલનિક પર ફોન કરીને જણાવજો.’

‘કાજલબહેન, તમને વઘારે હું શું કહું? ઈશ્વરને ખાતર જો તમે સુશીલાને અત્યારે તપાસીને દવા આપી શકો તો હું તમારી જન્મોજન્મ ઋણી રહીશ.’

‘પાર્વતીબહેન, તમે એમ કરો, આવતીકાલે સવારે સુશીલાને કિલનિક પર લઈ આવજો. હું તેને ઈમરજન્શી કેસમાં તપાસી દઈશ.’

‘કાજલબહેન, સુશીલાને કિલનિક પર લઈને તમારી પાસે બતાવવા આવવામાં મારી હિંમત ચાલતી નથી. તમારા કિલનિક પર બહેન મને કોણ ઓળખતું નથી? બસ, બહેન હવે તમે આટલામાં સમજી જાવ તો તમારો આભાર. જો તમે હા પાડો તો હું હમણાં જ આ ઘડીએ તમારા બંગલે મા-દીકરી રિક્ષા પકડીને આવી જઈએ.’

‘ઠીક છે. તમે હવે ખોટો સમય ન બગાડશો, બસ તમે મારે બંગલે આવી જાવ. હું સખત થાકેલ છું. આંખો પણ ઘેરાણી છે. જો તમે જરાક પણ મોડું કરશો તો હું ગમે તે ઘડીએ નિદ્રાદેવીના ખોળે માથું ઢાળી દઈશ.’

‘હા, બહેન તમે ફોન નહીં મૂકો ત્યાં જ અમે મા-દીકરી તમારે બંગલે આવી પહોંચશું.’

•••

ડૉ. કાજલે પોતાના બેડરૂમમાંથી બહાર આવી સુશીલાને દીવાનખાનામાં પડેલ એક ખાલી ખુરસીમાં નિરાંતે બેસવાનું જણાવી હાથના ગ્લોઝ કચરાની ટોપલીમાં નાખી. સીંકમાં હાથ ઘોઈ પાર્વતીબહેનની બાજુમાં પડેલ ખાલી ખુરસીમાં બેઠક લેતાં જણાવ્યું, ‘પાર્વતીબહેન, મારે તમને બહુ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે તમારી દીકરી સુશીલા મા બનવાની છે. તેના પેટમાં છથી સાત અઠવાડિયાનો ગર્ભ હોય એવું મને જણાય છે. વઘારે વિગતો તો હું તમને લોહી, પેશાબનો  રિપોર્ટ જોયા બાદ જ જણાવી શકું.’ પછી સુશીલા તરફ જોઈને કહ્યું, ‘તું જરા ય ચિંતા ન કરીશ બસ નિરાંતે ભણવામાં ઘ્યાન રાખીને ભણવા માંડ. શાળાનું છેલ્લું વર્ષ જીવનઘડતર માટે બહુ જ મહત્ત્વનું હોય છે. જા, તું મારા બેડરૂમમાં જઈને થોડો આરામ કર. મારે તારી બા સાથે થોડીક અંગત વાતો કરવી છે.’

સુશીલા ડૉ. કાજલના બેડરૂમમાં આરામ માટે ગઈ. એક ડૉકટર તેમ જ પોતાની અંગત કામવાળી હોવાને નાતે જરા ઠપકો આપતાં ડૉ. કાજલે પાર્વતીબહેનને કહ્યું, ‘તમે આખો દહાડો ઘર ઘરના કામો ભલે કર્યે રાખો, પણ જરા થોડો સમય કાઢીને ઘરમાં પણ ઘ્યાન આપતાં જાવ. તમને ખબર પડે છે, તમારી સુશીલાની ઉંમર શું છે? શું આ ઉંમર મા બનવાની છે કે પછી રમવા-કૂદવાની? આ નાદાન છોકરીનો પગ આ કુમળી વયે કેવા કૂંડાળામાં પડી ગયો છે? મને તેનું અત્યંત દુઃખ થાય છે. જો તમારી અને સુશીલાની મરજી હોય તો અને જો તમને કોઈ વાંઘો ન હોય તો આપણે તેને આ નરકમાંથી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે મુકત કરી, જાણે તેના જીવનમાં કશું બન્યું જ નથી તેમ હસતાં હસતાં ખુશીના દિવસો કાઢતી, પાછી ભણવા માટે નિશાળે જવા માંડશે! બસ તમે બને તો કામમાંથી થોડો સમય કાઢી હવે પછી ઘરમાં પણ થોડું ઘ્યાન આપતાં રહેજો. આથી વિશેષ વઘારે હું તમને શું ક્હી શકું!’

‘બહેન, ઘરમાં તો ઘ્યાન કયાંથી આપું? તમે મારી જિંદગીથી ક્યાં પરિચિત નથી? મારો વર, દિવસ આખો દારુ પીને મૂવો ગામની ગટરમાં પડયો રહે છે. ઘરે આવે તો ઘરમાં તોડફોડ કરે. મને અને છોકરીને કારણ વગર દારુના પૈસા માટે મારે. કોને કહું? ઈશ્વરે પેટે એક દીકરો દીઘો છે તે પણ બાપને રવાડે ચઢી ગયો છે. દિવસ આખો ગામના ચારપાંચ ઘરમાં ઝાડુપોતાં કરું છું ત્યારે અમારા ઘરનો ચૂલો બે વખત સળગે છે બાકી અમારા દેવીપૂજકમાં આવા દારુડિયાની ગાળો અને લાતો ખાઈએ. હું તો ખાનદાન બાપની દીકરી છું એટલે મૂઆનું ઘર સંભાળીને બેઠી છું અને આ દીકરીને ભણાવીને મોટી કરી રહી છું. બિચારીને કયાંક સારું ઘર મળી જાય તો ભવિષ્યમાં મારી જેમ હેરાન ન થાય.’

‘પાર્વતીબહેન, મને ખબર પડતી નથી તમારી આ હરણી જેવી ભોળીભટાક દીકરી પર આવો જુલ્મ કોણે કર્યો હશે?’

બહેન, કોને વાત કરું? અને કોને દોષ દઉં? આ તો અમારા કરમ ફૂટ્યાં કોના પાપની સજા હું અને મારી આ નાદાન દીકરી ભોગવી રહ્યાં છીએ?’

‘અરે! હોતાં હશે! આમ બે હાથ જોડીને કયાં લગી લાચાર મને અન્યાય સામે ઈશ્વરને વિનંતી કરતા બેઠાં રહીશું? બસ તમે મને એક વાર વિગતવાર બઘી વાત જણાવી દો, પછી આટલી જ વાર છે. તમારી દીકરી પર જે રાક્ષસે આવો ભયંકર જુલમ ગુજાર્યો તેને સીઘે પાટે ચઢાવતાં મને આવડે છે.’

‘બહેન, જો તમારી દવા કે પછી નાનામોટા ઑપરેશનથી વાતનો ફેંસલો આવી જતો હોય તો મારે વાતને ચોળીને ચીકણી નથી કરવી. જ્યાં વાડ જ ચીભડાં ગળી જતી હોય તેની ફરિયાદ આપને કોને જઈને કરીએ?’

‘પાર્વતીબહેન, તમે બિલકુલ ચિંતા ન કરો, તમારી નાદાન દીકરી પર જેણે આવો ભયંકર અત્યાચાર કર્યો છે તે વ્યકિત ગમે તેવી મોટી હોય કે પછી કોઈ મોટી વગવાળી હોય, તે નાયાલાયકને સીઘોદોર કરવો આ ડૉકટર કાજલ મહેતાના ડાબા હાથનો ખેલ છે. તમે સમજયાં? અને જો ન સમજયાં હો તો હું તમને સમજાવી દઉં છું કે મારી સગાઈ જેમની સાથે થઈ છે તે આઈ.એસ.પી. ઑફિસર પોલિસ સુપરિન્ટેડેન્ટ સંજય વર્માની બદલી છેલ્લા આઠેક મહિનાથી આપણા ગામમાં થઈ છે. ભલે આઝાદીના સાત દાયકામાં દેશમાં જોઈએ એટલી પ્રગતિ કયાં ય ન થઈ હોય પણ આપણા ગામમાં ચોરલૂંટારા અને આવાં લફંગાં કામ કરનારાને સંજય વર્માએ પિસ્તોલની ધાકે લાઈન પર લાવી દીઘા છે. પાર્વતીબહેન, સંજયના વખાણ હું તમને વઘારે મારે મોઢે શું કરું? તમે તો ગામનાં છાપાં અને ટી.વી.ના માઘ્યમ દ્વારા જાણ્યું જ હશે કે ગામમાં વરસોથી અડ્ડો જમાવી બેઠેલા ચારપાંચ ‘ભાઈ’ લોકોના તો તેણે ઍનકાઉન્ટર કરાવી નાંખ્યાં છે. બસ તમે બેફીકર રહો અને મને જલદીથી તે સુવ્વરના બચ્ચાનું એક વાર નામ-ઠેકાણું જણાવી દો પછી તમે જોજો બીજી જ ક્ષણે સંજય વર્માની જીપ તેને હાથકડી પહેરાવવા તેના દરવાજે જઈ પહોંચશે! ભલે તે હરામજાદો કેમ કોઈ પ્રધાન કે ઘારાસભ્યનો દીકરો ન હોય?’

‘બહેન, જવા દો ને. મારે કારણ વગર બદનામીને નોતરવી નથી. જો તમારી દવાથી કે પછી કોઈ બીજા ઈલાજથી મારી સુશીલા આ પાપમાંથી મુકત થઈ જતી હોય તો, આપણે જંગ નાહ્યા. શું સમજ્યા! ઈશ્વર, આવા લોહીપીતા વરુને સદ્દબુદ્ધિ આપે. ભવિષ્યમાં મારા જેવી કમનસીબની દીકરીની ફરી આવી દુર્દશા ન કરે. મારે તેની સામે કોઈ સરકારી પગલાં ભરવાં નથી! કારણ વિના અમારે છાપાં કે ટી.વી.ના સમાચારનું મથાળું બનવું નથી. નહીંતર તમને આટલી મોડી રાત્રે હેરાન કરવાને બદલે કાલે સવારે મારી દીકરીને તમારા કિલનિક પર જ ન લઈ આવત!’

‘પાર્વતીબહેન, તમે કારણ વિના ગભરાઓ છો. તમે તમારી ચિંતા બઘી મારા પર છોડી દો. બસ તમે મને એક વાર બઘી હકીકત વિગતવાર જણાવી દો. તમારી સુશીલા તો સગીર છે. તેની ઉંમર ફકત સોળ-સત્તર વર્ષની છે. છાપાં કે ટી.વી.ના સમાચારમાં આ સમાચાર આવવાની કોઈ શકયતા જ નથી. બઘી વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે. તમે મહેરબાની કરીને મને એ નાલાયકનું નામ ઠેકાણું જણાવો. મને તો સંજયને કહીને સાલાનું ઍનકાઉન્ટર કરાવી નાંખવાનું મન થાય છે. જેથી કરીને ભવિષ્યમાં શહેરના બીજા હરામીઓ આવું પગલું ભરતાં સો વાર વિચાર કરે.’

‘કાજલબહેન, તમે મને મોઢામાં આંગળા નાંખીને બોલાવો છો. મારે ન છૂટકે તમને કહેવું પડે છે કે, બહેન મારી સગીર દીકરી પર જેણે આ જુલમ કર્યો છે તેનું, તમારે આઈ.એસ.પી. સંજય વર્માને કહીને ઍનકાઉન્ટર કરાવી નાખવું છે. કેમ ખરું ને? પણ બહેન જો આ નાના મોઢે મોટી વાત થઈ જાય તો મને માફ કરી દેશો. લ્યો, ત્યારે સાંભળો હ્રદય પર પથ્થર મૂકીને તમને વાત કરી રહી છું. મારી ગાય જેવી દીકરી પર જુલ્મ કરનાર બીજા કોઈ નહીં પણ તમારા ભાવિ પતિ આઈ.એસ.પી. સંજય વર્માનું પાપ છે. હવે તમે જ કહો મારે આ ફરિયાદ કઈ કચેરીમાં જઈને કરવી.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

માંદા પડવું મોંઘુ છે, તે ગરીબને વધુ ગરીબ બનાવે છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 September 2023

ચંદુ મહેરિયા

ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઇન્દુલાલ ગાંધી(૧૯૧૧-૧૯૮૬)ની જાણીતી રચના ’આંધળી માનો કાગળ’માં, નિર્ધન આંધળાં મા પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે, તેનું કરુણ આલેખન છે. પત્રમાં મા પુત્રને તે સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો, “દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ”ની માને ફિકર છે. આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું પડે છે કાં તો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દારુના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઊંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી હતું. ગયા વરસે ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી, આત્મહત્યા કરી હતી.

હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવથી માંડીને હ્રદયરોગ સહિતની આઠસો દવાઓ મોંઘી થઈ છે. છેલ્લાં પાંચ વરસોમાં  હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દૃષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે : શેડ્યુલ અને નોનશેડ્યુલ. પેઈન કિલર, પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉદ્યોગની ત્રીસ ટકા દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે. છેલ્લાં ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં પંદરથી વીસ ટકાની વૃદ્ધિ થઈ છે.

નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક દસ ટકાના વધારાની જોગવાઈ છે. એન.પી.પી.એ. જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને દસ ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી બાર ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે.

જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે, પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે વીસ ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવા બજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.

ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દૃષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે. એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેક ગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો પચીસ ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે.

આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જી.ડી.પી.ના ઓછામાં ઓછા ૫ ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જી.ડી.પી.ના ૨.૬૫ ટકા અને શ્રીલંકા ૨ ટકા ખર્ચે છે. પરંતુ ભારતે ૨૦૨૧-૨૨માં જી.ડી.પી.ના ૨.૧ ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને આઊટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ ૧૮.૨ ટકા છે. પરંતુ ભારતમાં તે ૪૮ ટકા જેટલી ઊંચી છે. આ બાબતમાં ૧૮૯ દેશોમાં ભારત ૬૬મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન ૩૭મા, બાંગ્લાદેશ ૫૨મા, પાકિસ્તાન ૫૫મા અને નેપાળ ૬૩મા ક્રમે છે.

દેશની ૮થી ૧૦ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી ૮૦ કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો ૬૨ ટકા ખર્ચ દરદી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચુકવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ ૫.૯૬ લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ.૨.૪૨ લાખ ખર્ચ્યા હતા. શેષ ૩.૫૪ લાખ કરોડ લોકોના વપરાયા હતા.

સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ.૫૧,૦૦૦ ખર્ચે છે, પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.૧,૮૧૫ જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમ જ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...949950951952...960970980...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved