Opinion Magazine
Number of visits: 9457996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓ

સોનલ પરીખ|Opinion - Opinion|8 July 2023

·       ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ

·       આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન

·       લોકો મોં બંધ કરાવી શકશે, વિચારને ચૂપ નહીં કરી શકે   

—    એન ફ્રેન્ક (જન્મદિન 12 જૂન)

આપણે જાણીએ છીએ કે 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધીમાં 60 લાખ યુરોપિયન યહૂદીઓ કતલ થઈ ગયા હતા. આમાંના 15 લાખ બાળકો હતાં. આમાંનાં થોડાં બાળકોએ ડાયરીઓ લખી હતી. આ ક્ષણે એન ફ્રેન્કનું નામ મનમાં આવે જ. એનો જન્મદિન 12 જૂને હતો, એ નિમિત્તે આજે વાત કરીશું એની ડાયરીની. આ ડાયરી સૌથી વધારે પ્રખ્યાત છે એ ખરું, પણ બીજાં પણ ઘણાં બાળકોએ એ સમયની ડાયરી લખી છે. આ ડાયરીઓમાં દુ:સ્વપ્ન જેવાં એ દિવસો દરમ્યાનનાં તેમના અનુભવો અને લાગણીઓ આલેખાયાં છે.

એન ફ્રેન્કની ડાયરી પહેલાં લગભગ સાત વર્ષે મિરિયમ વૅટેનબર્ગ(મેરી બર્ગ)ની ડાયરી લોકો સુધી પહોંચી હતી. પશ્ચિમના વિશ્વએ એક બાળકની કલમે પહેલી વાર હોલોકાસ્ટની ભયાનકતા જાણી હતી. મેરી 1924માં જન્મી. પોલાન્ડ જર્મનીને શરણે ગયું એ અરસામાં એટલે કે 1939માં તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું. 1940ના નવેમ્બરમાં વૅટેનબર્ગ પરિવાર – મેરી તેના માબાપ અને નાની બહેન – ને પોલાન્ડની રાજધાની વૉર્સોના ઘેટ્ટોમાં મોકલવામાં આવ્યો. મેરીની મા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી એટલે કુટુંબને થોડી સવલતો મળી હતી.

1942ના ઉનાળામાં વૉર્સો ઘેટ્ટોના લોકોને ટ્રેબ્લિંકા લઈ જવામાં આવ્યા. મેરીનું કુટુંબ અને તેના જેવા બીજા દેશોના પાસપૉર્ટ ધરાવતા પરિવારોને બદનામ એવી પાવૈક જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાંથી ફ્રાસ અને ત્યાંથી અમેરિકા પહોંચતા બીજાં બે વર્ષ થયાં. આ વર્ષો દરમ્યાન લખાયેલી મેરીની ડાયરીમાં યહૂદીઓની સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ હતો, જે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલા જ અંગ્રેજી જાણનારા લોકો સુધી પહોંચી ગયો હતો. 1945ની શરૂઆતમાં મેરી બર્ગની ડાયરી છપાઈ અને પ્રગટ થઈ. વૉર્સો ઘેટ્ટો વિશે આ પહેલા કોઈએ વાત કરી નહોતી.

એન ફ્રેન્ક 12 જૂન 1929ના દિવસે ફ્રેન્કફર્ટમાં જન્મી. એ પરિવાર સાથે એમ્સ્ટરડમના એક જૂના મકાનમાં છુપાઈ હતી. એન ફ્રેંકની ડાયરી હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે.

એનો જન્મ ફ્રેન્કફર્ટમાં. વેપારી પિતા ઑટો અને ગૃહિણી માતા એડિથની એ બીજી દીકરી. જાન્યુઆરી 1933માં નાઝી અત્યાચારો વધી ગયા ત્યારે પરિવાર એમ્સ્ટરડમ ચાલ્યો ગયો. અને ત્યાં ગુપ્તપણે આશ્રય લીધો. એન ફ્રેન્કના પરિવાર ઉપરાંત અન્ય ચાર લોકો એટલે કે કુલ આઠ લોકો બે વર્ષ સુધી આ સ્થળે છુપાયા હતા. વાંકુ વળીને એ જગ્યાએ જવું પડતું. એક નાનકડી બારીમાંથી સાવ નાનું અમથું આકાશ જોવા મળતું અને એ બારીમાંથી ખોબા જેવડું અજવાળું આવતું.

એન ફ્રેન્ક

એનને તેના બારમા જન્મદિને એક ડાયરી ભેટ મળી હતી. તેમાં તે લખવા માંડી. પરિસ્થિતિ, મનની વાતો, બનાવોની વિગત. પણ એક બાતમીદાર પાસેથી મળેલી માહિતી પરથી એન ફ્રેન્ક સહિત કુલ આઠ લોકોને આખરે ૪ ઑગસ્ટ ૧૯૪૪ના રોજ પકડીને કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા. એન અને તેની બહેન માર્ગોટને વેસ્ટરબૉર્કની છાવણીમાં, ત્યાર પછી ઓશવિટ્ઝ અને પછી બર્ગન-બેલ્સેન મોકલવામાં આવ્યા.

એનની માતા એડિથ ફેન્કનું ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ભૂખ અને થાકને કારણે મૃત્યુ થયું. તેના બે મહિના બાદ એન અને તેની બહેન માર્ગોટ બંને બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યા. તેમનાં મૃત્યુની ચોક્કસ તારીખો મળતી નથી. ૧૨ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે બ્રિટિશરોએ કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં રહેલા લોકોને મુક્ત કર્યા, તેમાં એનના પિતા ઓટો ફ્રેન્ક પણ હતા. માંડ એમ્સ્ટરડમ પહોંચી એમણે ડાયરી અને બીજાં કાગળો મેળવ્યાં. 

પહેલીવાર નેધરલૅન્ડમાં આ ડાયરી પહોંચી ત્યારે 1947ની સાલ હતી. 1952માં અંગ્રેજીમાં ‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ નામથી એ પ્રગટ થઈ અને ઝડપથી વિશ્વના સૌથી વધારે વંચાયેલાં પુસ્તકોમાં સ્થાન પામી. એન ફ્રેન્ક હોલોકાસ્ટનો ભોગ બનેલાં તમામ બાળકોનું પ્રતીક બની ગઈ. હોલોકાસ્ટનો ભોગ બનેલાં બાળકોનાં અન્ય લખાણો થોડા વખત માટે આ ડાયરી પાછળ ઢંકાઈ ગયાં. પણ એ ડાયરીએ જે કુતૂહલ અને સહાનુભૂતિ જગાડ્યાં હતાં એને કારણે જ અન્ય ડાયરીઓ પણ પ્રગટ થઈ અને યુદ્ધગ્રસ્ત યુરોપમાં નાઝી દમનનો ભોગ બનેલા યહૂદી બાળકોની તકલીફો પર પ્રકાશ પડ્યો.

આ બાળલેખકોમાં ગરીબ ખેડૂતોનાં બાળકો હતાં. મધ્યમવર્ગનાં વ્યવસાયીઓનાં બાળકો હતાં, ધાર્મિક કુટુંબોનાં, સેક્યુલરોનાં અને શ્રીમંતોનાં સંતાનો હતાં. પણ આ બધાં શ્રદ્ધાળુ હતાં. અમુક જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગી છૂટેલાં નિરાશ્રિતો હતાં, અમુક ક્યાંક ગુપ્તપણે છુપાઈને રહેતાં હતાં. અમુક ઘેટ્ટોમાં રહેતાં, થોડાં કોન્સન્ટ્રેશન કૅમ્પોમાં પણ રહ્યાં હતાં.

આ ડાયરીઓ 1930ના અંત અને 1940ની શરૂઆતમાં લખાયેલી છે, લખનારાં છે જર્મની, ઑસ્ટ્રિયા અને ઝેક પ્રદેશનાં બાળકો. હાથમાં આવ્યાં તેવાં નોટબુક-પેન્સિલથી છુપાઈને ફફડતા જીવે લખવાનું – છતાં એમણે લખ્યું છે કેમ કે મનની વ્યથા ઠાલવવાનો એ એક જ ઉપાય હતો. ઘેટ્ટોમાં રહેતાં બાળકોની ડાયરીઓમાં વિસ્થાપનનો આતંક અને દૂર અજાણી જગામાં અપરિચિત લોકો વચ્ચે નિરાશ્રિત બનીને અનેક અભાવો વચ્ચે જીવાતા જીવનની અસહાયતા છે. અગવડો, ભય, અજાણ્યા માણસો, અભાવો, શરીર તોડી નાખે એવી મજૂરી, ટકવા માટેનો જીવલેણ સંઘર્ષ અને આ બધાં વચ્ચે પણ સર્જનાત્મકતા, આનંદ, રમવાનું ને શીખવાનું ચાલુ રાખવાની કોશિશ. ખૂબ ડાયરીઓ મળી આવેલી ત્યાંથી.

આ બાળકોએ યુદ્ધ પછી નવા દેશોમાં વસવા માટે વીઝા અને ઇમિગ્રેશન પેપર્સ માટે પડેલી તકલીફો, સંસ્કૃતિ અને ભાષાની સમસ્યાઓ, વિખૂટાપણું પણ વર્ણવ્યાં છે. ગેરકાયદેસર રીતે ભાગેલા પરિવારોનાં બાળકોએ તેમની ભયાનક સફરની યાતના અને પકડાઈ જવાના ભયનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. 

જે બાળકો ગુપ્તપણે રહેતાં તેમના પરિવારો જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગીને પૂર્વ અને પશ્ચિમ યુરોપમાં ભોંયરામાં, માળિયામાં, કોટડીઓમાં છુપાયાં હતાં. એમની તકલીફો અને ભય અને ચિંતા અનંત હતાં. આ બાળકોને બહાર જવા કે કોઈને મળવા ન મળતું. નાની એવી જગામાં કલાકો સુધી ચૂપચાપ પુરાઈ રહેવાનું. કોઈના પગલાંના અવાજ પણ એમને ધ્રૂજાવી દેતા. આસપાસના લોકો એમને શંકાની નજરે જોતા. નામ-ઓળખ છુપાવી ખોટા નામે રહેવાનું અને ભૂલેચૂકે કોઈ આવે તો પઢાવેલા જવાબો આપવાના. એમને આશ્રય આપનાર અન્ય ધર્મ પાળનારા હોય તો એમને એ ધર્મોની પ્રાર્થનાઓ શીખવી ને બોલવી પડતી, જેથી પોતે કે આશ્રય આપનાર તકલીફમાં ન મુકાય. એક ખોટું વર્તન ભયાનક જોખમ ઊભું કરી શકે એમ હતું.

અનેક ડાયરીઓ ઘેટો બહાર વસતાં બાળકોએ પણ લખી છે. આ બધી ડાયરીઓ એના લખનારને તો વ્યક્ત કરે છે, પણ સમગ્રપણે એ હોલોકાસ્ટ દરમ્યાન જીવેલાં અને મૃત્યુ પામેલાં બાળકોની કરુણ મનોદશાનો ચિતાર આપે છે. આવી અનેક ડાયરીઓ અમેરિકાના હોલોકાસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે.

એન ફ્રેન્કનું પૂરું નામ એન્નેલીસ મેરી ફ્રેન્ક હતું. તેની ડાયરી કાલ્પનિક મિત્ર કિટ્ટીને સંબોધીને લખાઈ છે. પહેલો સંદેશ જૂન 12, 1942ના દિવસે લખાયો છે. ડાયરી લખવી એ કઠોર વાસ્તવિકતામાંથી બચવાનો પ્રયત્ન હતો. 1944માં રેડિયો પર નેધરલેન્ડના પ્રધાન મંત્રીએ સંદેશ મૂક્યો કે નાઝી અત્યાચારોને લગતા દસ્તાવેજો સૌએ જાળવવા. ખાસ કરીને યહૂદીઓએ, આ સાંભળી એને પોતાની ડાયરીની વિગતો પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એન ફ્રાન્કનું સંગ્રહાલય તે જ ઘરમાં છે જેમાં તેણે આશ્રય લીધો હતો. 1959માં જ્યોર્જ સ્ટીવેન્સે ‘ડાયરી ઓફ એન ફ્રેન્ક’ નામની ફિલ્મ બનાવી હતી. તેની અભિનેત્રીને ઓસ્કાર મળ્યો હતો.

એન લખે છે તે યાદ રાખીએ, ‘ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ.’ ‘આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન’ ‘લોકો તમારું મોં બંધ કરાવી શકશે, પણ તમારા વિચારને ચૂપ નહીં કરી શકે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 જૂન 2023

Loading

નૂતન : ‘સીમા’, ‘સુજાતા’ અને ‘બંદિની’ 

સોનલ પરીખ|Opinion - Opinion|7 July 2023

નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે

સોનલ પરીખ

4 જૂને વીતેલા યુગની શાનદાર અભિનેત્રી નૂતનનો જન્મદિન હતો. નૂતનના નામ સાથે જે ફિલ્મો યાદ આવે છે તે છે ‘સીમા’, ‘સુજાતા’ અને બંદિની’ – નૂતનને જે ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ મળ્યો એમાંની પહેલી ત્રણ ફિલ્મો. નૂતને જિંદગીમાં માત્ર આ ત્રણ ફિલ્મ કરી હોત તો પણ એ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સ્થાન પામી હોત.

નૂતનનો જન્મ 1936માં. ચાર દાયકાની કારકિર્દી. 80થી વધુ, મોટેભાગે પાત્રકેન્દ્રી, મોટા પ્રોડક્શનની, કલાત્મક, વાસ્તવદર્શી ફિલ્મો. અર્બન રોમાન્સથી લઈને મનોવૈજ્ઞાનિક, અપરંપરાગત પાત્રોમાં છવાઈ જતી નૂતન અભિનેત્રી શોભના સમર્થ અને દિગ્દર્શક કુમારસેન સમર્થની પુત્રી. સંગીત-નૃત્ય શીખી, કૉન્વેન્ટમાં ભણી, સ્વીટ્ઝરલૅન્ડમાં પણ એક વર્ષ ભણી. મિસ ઇન્ડિયા બનનાર એ પહેલી અભિનેત્રી હતી.

નૂતને પહેલો અભિનય 11 વર્ષની ઉંમરે પિતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં કર્યો. પહેલી હિંદી ફિલ્મ ‘હમારી બેટી’ (1950) શોભના સમર્થે 14 વર્ષની નૂતન માટે બનાવી હતી. નૂતન સારી ગાયિકા પણ હતી. ‘હમારી બેટી’નું એક ગીત ‘તુઝે કૈસા દુલ્હા ભાયે’ નૂતને ગાયું હતું. ‘છબીલી’માં હેમંતકુમાર સાથે ‘લહરોં પે લહર’ પણ ગાયેલું. પણ કારકિર્દી ઊંચકાઈ 1955ની ફિલ્મ ‘સીમા’થી. 60 અને 70ના દાયકામાં ‘સુજાતા’, ‘બંદિની’, ‘મિલન’, ‘અનાડી’, ‘છલિયા’, ‘તેરે ઘર કે સામને’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘ખાનદાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘સૌદાગર’, ‘મૈં તુલસી તેરે આંગન કી’ જેવી ફિલ્મોમાં નૈસર્ગિક પ્રતિભા બતાવી નૂતને ગ્લેમરજગતમાં પોતાની એક સન્માનભરી જગ્યા બનાવી. નૂતન રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર ત્રણે સાથે કામ કરનાર જૂજ અભિનેત્રીઓમાંની એક છે. સાધના અને સ્મિતા પાટિલ નૂતનને આદર્શ માનતાં.

તે વખતની નાયિકાઓ મોટેભાગે ભોગ બનતી, પુષ્કળ રડતી ત્યાગ-કરુણતાની મૂર્તિઓ હતી. નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે.

મોટી સ્ટાર હોવા છતાં એ ગ્લેમર-પ્રતિષ્ઠાથી દૂર રહેતી. કે. આસિફની મુગલ-એ-આઝમ પહેલા નૂતનને ઑફર થઈ હતી. તેને સમજાતું હતું અને તેણે કહ્યું પણ, કે પોતે અનારકલીના પાત્ર માટે અનુરૂપ નથી. એટલું જ નહીં, તેણે મધુબાલાનું નામ પણ સૂચવ્યું. ફિલ્મોના અતિશય સ્પર્ધાત્મક વાતાવરણમાં આવું ભાગ્યે જ કોઈ કરી શકે. ‘કાલીગંજ કી બહૂ’ની પડકારરૂપ ભૂમિકામાં તથા ‘મુજરિમ હાજિર’ શીર્ષક હેઠળની દૂરદર્શન શ્રેણીમાં નૂતને અભિનય કર્યો હતો. 

અને છતાં દેવ આનંદે એક વાર કહેલું તેમ નૂતન પર એક ઉદાસીની છાયા હંમેશાં રહી. નૂતન અને તેની મા વચ્ચે મિલકતના પ્રશ્ને વીસ વર્ષ સુધી અબોલા રહ્યા. માંડ સંબંધો સુધર્યા, ત્યાં કેન્સરનું નિદાન થયું. તેણે માને કહ્યું, ‘આઈ, મી સૂટલી. – મા, હું મુક્ત થઈ.’ 1991ની 21મી ફેબ્રુઆરીએ 54 વર્ષની ઉંમરે તેણે ચિરવિદાય લીધી. એક વાર તેણે કહ્યું હતું, ‘અસેન મી, નસેન મી – હું હોઉં કે ન હોઉં, છતાં હું હોઈશ.’ તેના આ શબ્દોને યાદ કરી લલિતા તામ્હણેએ નૂતનનાં સંસ્મરણો આલેખ્યા છે.

તો હવે વાત કરીએ તેની ફિલ્મોની. 

‘સીમા’ 1955ની ફિલ્મ. વૈતરું કરવા છતાં સગાંઓનાં મહેણાં જ ખાઈને મોટી થયેલી અનાથ ગૌરી(નૂતન)નું તરુણ મન, એક દિવસ એને ચોર ઠરાવીને સુધારગૃહમાં માટે મોકલાય છે ત્યારે વિફરે છે. એ નિયમો પાળતી નથી, સામી થાય છે, તોડફોડ કરે છે ને ભાગી જવાનો પ્રયાસ પણ કરે છે. સંચાલક અશોક (બલરાજ સહાની) ખૂબ ધીરજ અને સ્નેહથી તેને શાંત કરે છે, એનામાં રહેલા ઉમદા ગુણો બહાર લાવે છે અને એ ચોર નહોતી એ પણ સાબિત કરે છે. હવે એ સુધારગૃહમાં રહેવા બંધાયેલી નથી. પણ એ ક્યાં જાય? એનું કોઈ નથી. ઉપરાંત એ અશોકને ચાહે છે. અશોક પણ એને ચાહે છે પણ પોતે હૃદયરોગથી પીડાતો હોવાથી ઈચ્છે છે કે એનો ભાઈ મુરલીધર (સુંદર) ગૌરી સાથે લગ્ન કરે. ગૌરી અનિચ્છાએ હા પાડે છે, ત્યારે મુરલીધર એને ખખડાવે છે, ‘અત્યાર સુધી તો કદી કોઈનું માનતી નહોતી અને અત્યારે એ માણસને પડતો મૂકવા તૈયાર થઈ છે, જેણે તને ખરાબ દિવસોમાં સાથ આપ્યો?’ ગૌરી તમામ સીમાઓ તોડી અશોકને કહી દે છે, ‘હું તમારું માનવાની નથી.’

અમિય ચક્રવર્તી આ ફિલ્મના દિગ્દર્શક હતા. ‘દાગ’ ‘પતિતા’ અને ‘સીમા’ એમની યાદગાર ફિલ્મો. દિલીપકુમારને શોધવાનું શ્રેય દેવિકારાણી સાથે એમને પણ જાય છે. દિલિપકુમારને પહેલો બ્રેક અમિય ચક્રવર્તીની ‘જ્વારભાટા’ ફિલ્મથી મળ્યો અને પહેલો ફિલ્મફેર પણ એમની ફિલ્મ ‘દાગ’માં મળ્યો. ‘તૂ પ્યારકા સાગર હૈ’ ‘કહાં જા રહા હૈ’, ‘મનમોહના બડે જૂઠે’, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની’ ‘બાત બાત મેં રૂઠો ના’ – ‘સીમા’નાં સદાબહાર ગીતો શૈલેન્દ્ર-હસરતે લખ્યાં હતાં અને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં.

‘સીમા’માં નૂતને અભિનેત્રી તરીકેની પોતાની ક્ષમતા સિદ્ધ કરી અને આ ક્ષમતાને પૂર્ણતા બક્ષી બિમલ રૉયે. 1959માં બિમલ રૉયે બનાવેલી ‘સુજાતા’એ નૂતનને ટોચ પર મૂકી આપી. સુબોધ ઘોષની આ જ નામની બંગાળી વાર્તા પરથી બનેલી ‘સુજાતા’માં એક બ્રાહ્મણ દંપતી ઉપેન-ચારુ અનાથ અછૂત કન્યાને સુજાતા નામ આપી ઉછેરે છે, પણ એક અંતર રહી જાય છે. સુજાતા ‘બેટી જૈસી’માંથી ‘બેટી’ બનવા તલસતી રહે છે. ઉપેન-ચારુ પોતાની દીકરી રમા(શશીકલા)નાં લગ્ન અધીર (સુનીલ દત્ત) સાથે કરવા માગે છે, પણ અધીર સુજાતાને ચાહે છે. ઉશ્કેરાયેલી ચારુ સીડી પરથી પડી હૉસ્પિટલાઈઝ્ડ થાય છે ત્યારે સુજાતા એને લોહી આપી બચાવે છે. છેવટે ચારુ સુજાતાને દીકરી તરીકે સ્વીકારી અધીર સાથે એનાં લગ્ન કરાવે છે.

બુદ્ધની જાતકકથા પરથી ટાગોરે લખેલી ‘ચાંડાલિકા’ અને અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીએ ચલાવેલી ઝૂંબેશ આ ફિલ્મના પાયામાં છે. પ્રબળ સંદેશ છતાં એની કલાત્મકતા જોખમાઈ નથી. ફિલ્મને પાંચ અવૉર્ડ મળ્યા હતા. ‘સુન મેરે બંધુ રે’, ‘જલતે હૈં જિસ કે લિયે’, ‘કાલી ઘટા છાય’, ‘તુમ જિયો હજારોં સાલ, ‘નન્હી કલી સોને ચલી’ મજરુહનાં લખેલાં અને એસ.ડી. બર્મનનાં સ્વરબદ્ધ કરેલાં આ ગીતોમાં અનોખી પકડ છે.

અને ‘બંદિની’ – 1959માં નૂતન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલને પરણી. લગ્ન પછી એને ફિલ્મો છોડવી હતી, પણ બિમલ રૉયે આવીને કહ્યું કે જો નૂતન નહીં કરે તો પોતે ‘બંદિની’ બનાવશે જ નહીં. વાર્તા સંભળ્યા પછી રજનીશ બહલે પણ આગ્રહ કર્યો અને નૂતને એ ભૂમિકા સ્વીકારી.

ફિલ્મ 1934 આસપાસની એક જેલમાં શરૂ થાય છે, જ્યાં કલ્યાણી (નૂતન) ખૂન માટે જનમટીપ ભોગવી રહી છે. ફ્લેશબેકથી આપણે જાણીએ છીએ કે પોસ્ટમાસ્તરની દીકરી કલ્યાણી, અચાનક આવી ચડેલા એક ક્રાંતિકારી બિકાસ(અશોકકુમાર)ને ચાહી બેસે છે. બિકાસ ‘પાછો આવીશ’ કહીને ચાલ્યો જાય છે ત્યારે પિતાને બદનામીથી બચાવવા કલ્યાણી ઘર-ગામ છોડી શહેરમાં ચાલી જાય છે. એને એક પાગલ ઓરતની દેખભાળ કરવાનું કામ મળે છે, જે બિકાસની પત્ની નીકળે છે. એ જ સમયે તેને ખબર પડે છે કે પોતાને શોધવા શહેરમાં આવેલા પિતા અકસ્માતથી મૃત્યુ પામ્યા છે. દુ:ખ અને ગુસ્સાથી ફાટતા મગજે કલ્યાણી બિકાસની પત્નીને ઝેર આપી દે છે ને એ જ આવેશમાં કબૂલાત પણ કરે છે. બધું જાણીને પણ જેલનો ડૉક્ટર દેવેન (ધર્મેન્દ્ર) એને અપનાવવા માગે છે. પણ કલ્યાણી બીમાર, બદહાલ બિકાસની સાથે ચાલી જાય છે – ‘મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી’ – બંદિની શબ્દની અર્થછાયાઓ આમ પ્રેમ અને મુક્તિની ક્ષિતિજોને આંબે છે.

જેલજીવનની સુંદર સત્યકથાઓ લખનાર જરાસંઘ(ચારુચંદ્ર ચક્રવર્તી)ની ‘તમસી’ વાર્તા પરથી ‘બંદિની’ ફિલ્મ બની હતી. તેને સાત ફિલ્મફેર મળ્યા હતા. એસ.ડી. બર્મનના સંગીતમાં ‘મોરા ગોરા અંગ લઈ લે’, ગુલઝારનું પહેલું ફિલ્મી ગીત હતું. બાકીના ‘જોગી જબ સે તૂ આયા મેરે દ્વારે’, અબ કે બરસ’, ‘ઓ જાને વાલે’ અને બર્મનદાનું અદ્દભુત ‘મેરે સાજન હૈ ઉસ પાર’ શૈલેન્દ્રએ લખ્યાં હતાં.

નૂતન અને તેની આ અદ્દભુત ફિલ્મોને એક લેખમાં સમાવતાં હાંફી જવાય. એના જ એક ગીતના શબ્દોથી વિરમીએ, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની, જૈસે તારોં કી બાત સુને રાત સુહાની …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 જૂન 2023

Loading

રમણ સોની : પુસ્તકોને પ્રત્યક્ષ કરાવનાર પાંચ અક્ષરનું નામ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|7 July 2023

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સંપાદક, વિવેચક, ગદ્યલેખક, ભાષાનિષ્ણાત અને અનુવાદક રમણ સોનીને જન્મદિવસની અનેક શુભેચ્છા

આજે અઠ્ઠોતેરમા વર્ષમાં પ્રવેશી રહેલા રમણભાઈની સતત સાહિત્યિક સક્રિયતાનો સાંપ્રત દાખલો એટલે ‘ગુજરાત મિત્ર’ દૈનિકનું ‘અક્ષરની આરાધના’ નામનું પખવાડિક પાનું.

તેમાં ગુણાનુરાગી છતાં સ્પષ્ટભાષી, વિશાળ વાચન અને રુચિવૈવિધ્ય ધરાવનાર, સૌષ્ઠવપૂર્ણ ગદ્યના લેખક હોય તેવા સમીક્ષક દેખાય છે; તેમના સમગ્ર સંપાદન-વિવેચન રાશિમાં પણ તેમની આ જ મહત્ત્તા છે.

રમણભાઈએ બનાવેલા ‘અક્ષરની આરાધના’ વૉટ્સૅપ ગ્રુપમાં પણ આ પાનું એકાંતરે સોમવારે વાંચવા મળે છે. તાજેતરનાં અને ઓછાં નવાં એમ બંને પ્રકારના પુસ્તકોના અવલોકનો હોય છે.

વળી ‘(નવા લેખકો સાથે) ગોષ્ઠી’ નામનો મોટે ભાગે literary anecdote સાહિત્યિક આખ્યાયિકાઓનો અને તત્સમ સામગ્રીનો એક આખો સ્તંભ એ બહુ ઓછાને ફાવે તેવી વાની છે.

છાપાની કૉલમ નહીં, આખું પાનું ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવવા માટે જરૂરી વિપુલતા તો રમણભાઈ પાસે છે જ, પણ સાથે શિસ્ત અને આ ઉંમરે પણ શ્રમ કરવાની ક્ષમતા છે.

રમણભાઈના ઉદ્યમનો તાજેતરનો બીજો દાખલો એટલે ‘સંચયનસંપદા’ પુસ્તક. તેમાં ગયાં વીસ વર્ષથી ઇન્ટરનેટ પર મૂકવામાં આવતાં ‘સંચયન’નામના દ્વિમાસિક ઇ-મૅગેઝિનમાંથી ચૂટેલી સમગ્રી છે. અતુલભાઈ રાવલ અને રાજેશ મશરૂવાળાના કુનેહભર્યા તંત્ર સંચાલન હેઠળ નીકળતા આ મૅગેઝિનનું સંપાદન રમણભાઈ કરતા.

‘બહુરંગી લે-આઉટ સાથે નયનરમ્ય ભાતીગળ રૂપનો રુચિપૂર્ણ વૈભવ’ ધરાવતા ‘સંચયન’ના સંપાદનને રમણભાઈ એક દાયકાના ‘આનંદ-ઑચ્છવ’ તરીકે યાદ કરે છે. તેમાંથી એકસો સિત્તેર પાનાંનું અહ્લાદક મુદ્રિત પુસ્તક તે ‘સંચયનસંપદા’. ‘પસંદગીમાં કેટલુંક સરસ, સુંદર બાકી પણ રહી  ગયું … ગ્રંથ-2 કરીશું ત્યારે સાટું વાળી દઈશું’ એવું રમણભાઈનું સપનું.

‘સંચયન’ જેના નેજા હેઠળ ચાલે છે તે ‘એકત્ર ફાઉન્ડેશન’ ‘મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા’ છે. તેણે ‘એકત્ર ગ્રંથાલય’ નામે ગુજરાતી સાહિત્યનાં ચારસોથી વધુ દળદાર પુસ્તકો ડિજિટાઇઝ્ડ સ્વરૂપે પબ્લિક ડોમેઈનમાં મૂક્યાં છે.

તેમાંથી હમણાં મુદ્રિત સ્વરૂપે પણ આવેલો રમણભાઈએ તૈયાર કરેલો મતબર નિર્માણવાળો આકરગ્રંથ ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’. રમણભાઈના એક અતિવિશિષ્ટ કોશનો ઉલ્લેખ થવો ઘટે – ‘સમયદર્શી કોશ : કર્તાસંદર્ભ’.

કોશકાર અને સૂચિકાર રમણ સોનીની જેમ ગદ્યલેખક રમણભાઈને પણ અભ્યાસવા જેવા છે. તેમનું સમીક્ષાત્મક ગદ્ય સુવાચ્ય અને વિચારપ્લાવિત છે.

રસપ્રદ નવા શબ્દો મળે છે : વિ-રૂપીકરણ, વિ-સંદર્ભીકરણ, હાસ્યભાષા, દુર્વાચ્ય, હ્રસ્વીકરણ, સિગરેટરસિક, પર્યાય દ્વિભાષિકતા – ઘણાં ઉમેરણો થઈ શકે.

લલિત ગદ્યમાંથી કેટલુંક એટલું મજાનું છે કે ‘આ જ રમણ સોની કે ?’ એવો  સવાલ થાય. એમનું ‘ગુજરાતી લેખન-પદ્ધતિ’ પુસ્તક મારું મુખ્ય માર્ગદર્શક રહ્યું છે. ‘તોત્તો-ચાન’ ગુજરાતી વાચકોને ઘેલું લગાડી ગઈ હતી.

સંપાદક-વિવેચક તરીકેની રમણભાઈની શ્રેષ્ઠતા તો સર્વવિદિત છે. પણ તેમના કાર્યરાશિનું મારા માટે સૌથી આકર્ષક પાસું એ છે તેઓ એક મોટા ગ્રંથજ્ઞ, કહેતાં પુસ્તકોના જાણતલ છે. અંગ્રેજીમાં જેના માટે એક મજાનો શબ્દ છે bookman તે રમણભાઈના વારંવાર પ્રગટે છે.

અંગ્રેજી bookman શબ્દમાં જે અભિપ્રેત છે તેમાંથી ઘણું બધું રમણભાઈના લેખન- સંપાદનમાં જોવા મળે છે. એટલે કે ઉત્કટ ગ્રંથરાગ તો ખરો જ, પણ સાથે પુસ્તક નામની જે phenomenon – જે ઘટના છે તેના અનેક પાસાં : સમગ્ર પુસ્તક નિર્માણ, પ્રકાશન અને વેચાણ, વાચક, વાચન સંસ્કૃતિ, ગ્રંથાલય, પુસ્તક સંગ્રહ, પુસ્તકો સાથે આત્મીયતા ઇત્યાદિ. 

રમણભાઈને દરેક કૃતિમાં પેલો ન દેખાતો બુકમન ઉજાસ પાથરતો રહે છે. ‘ગ્રંથજ્ઞ રમણભાઈ’ આમ તો અભ્યાસલેખનો વિષય છે.

નિબંધ ઉપરાંતના લેખનમાં ઊર્મીઓને દૂર રાખનારા રમણભાઈનો પુસ્તક પ્રેમ તેમના લાક્ષણિક હળવા નિંબધ સંગ્રહ ‘સાત અંગ, આઠ નંગ અને –‘ ના ‘હું અને પુસ્તકો’ નામના નિબંધમાં વ્યક્ત થાય છે :

‘અમૂર્ત ઇ-પુસ્તકેશ્વરે અવતાર ધારણ કરી લીધો છે … અમે એના ઇ-વિશ્વમાં પણ થોડીક લટાર મારીશું – પણ પુસ્તકેશ્વરની તમારી આ નરી નિર્ગુણ જ્ઞાન-ઉપાસના એ અમારે માટે એકમાત્ર વિકલ્પ બનવાની નહીં.

‘અમને તો સગુણ ઉપાસના વહાલી છે. અમારે તો એ…ય ને પુસ્તક હાથમાં હોય, અમારી આંગળીઓના ટેરવાં એને સ્પર્શ કરતાં હોય, પાનાં ફરવાનો કે ફરફરવાનો એનો આછો ધ્વનિ સંભળાતો હોય, મુદ્રણની વાસ્તવિક વિવિધ ભાતો અને આકારોનું સૌંદર્ય આંખો દર્શન કરતી હોય –

‘અરે બહુ વાર વંચાયાથી, પુસ્તકના તૂટેલા બાઇન્ડિન્ગમાં સિલાઈની પેલી નાજુક દોરી પણ દેખાઈ જતી હોય, બિલકુલ નવાં કે સાવ જર્જરિત જૂનાં પુસ્તકની ગંધ ફોરતી હોય ને પુસ્તક ચાલુ ટ્રેનમાં કે ઊંઘની અટારીએથી વાંચતાં-વાંચતાં એનો સ્વાદ મળતો હોય – એવું પાંચે ઇન્દ્રિયોનું સુખ અમને આ મૂર્ત પુસ્તક આપે છે.

‘હું તો મારા ગ્રંથમહાલયમાં, આરામખુરશીમાં અઢેલીને પડ્યો છું. હાથમાં પુસ્તક છે રસભર્યું ને નજર સામે વૈભવભર્યું ગ્રંથસ્થાપત્ય છે. ઘડીક એ પ્રલંબ હરોળો સામે જોઉં છું ને ઘડીક મારા હાથમાંના પુસ્તકને મનમાં રોપું છું. થોડીકવારમાં એ પુસ્તકમાં ડૂબી ગયો હોઉં છું ને સાથે જ આ મહોલમાં તરતો હોઉં છું – એ બધી જ ક્ષણો મારા માટે પરમ સુખની ક્ષણો હોય છે.’

‘આંગણું અને પરસાળ’ના પ્રાસાદિક લઘુનિબંધોમાં ‘વાચનનો રસ અને કસ’ પણ પુસ્તકો માટેનો ભાવ વ્યક્ત કરે છે. રમણભાઈનો ગ્રંથરાગ ‘પ્રત્યક્ષીય : સાંપ્રત સહિત્ય-વિમર્શના આલેખો’માં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટે છે. 

જો કે રમણભાઈની ગ્રંથજ્ઞતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ એટલે ગ્રંથસમીક્ષાનું સામયિક ‘પ્રત્યક્ષ’. આ ત્રૈમાસિકના 1991 થી 2017ના આયુષ્ય દરમિયાન એકસો એક અંકો નીકળ્યા.

‘પ્રત્યક્ષ’ તેના સમયથી અત્યાર સુધી પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક રહ્યું છે (ધ ગ્રેટ ‘ગ્રંથ’ એના પહેલાનું). 

પુસ્તક-અવલોકનના આ સામયિકમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થયા. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખાયું. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’.

તેમાં પુસ્તક વિશેની બિલકુલ પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક  જ્ઞાનક્ષેત્રોના ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહ્યું.

જુદી જુદી રીતે ‘પ્રત્યક્ષે’ વાચકોને પાંચેક હજાર પુસ્તકોનો પરિચય કરાવ્યો હોવાનું અભ્યાસી કાંતિભાઈ પટેલ નોંધે છે. અલબત્ત ચોક્કસ આંકડો વલભીપુર પાસેના ઉમરાળાના શિક્ષક પ્રવીણ કુકડિયાએ તૈયાર કરેલી ‘પ્રત્યક્ષ’સૂચિમાંથી મેળવી શકાય.

સૂચિમાં પણ ‘અન્ય : વ્યાપક’ અને ‘વિવિધ વિભાગો’ પ્રકરણો હેઠળના પુસ્તકો રમણભાઈના સાહિત્યેતર વિષયવ્યાપ અને રુચિવૈવિધ્યનો અંદાજ આપે છે.

ધારદાર મંતવ્યો નિમિત્તે તેમ જ સાહિત્યજગતની અનેક બાબતોને લઈને ઊભા થયેલા વિવાદોને, સ્થાન અને પ્રોત્સાહન આપવામાં ‘પ્રત્યક્ષ’ની ભૂમિકા કંઈક અંશે વિચારપત્ર ‘નિરીક્ષક’ને મળતી આવતી.

જો કે નોધવું જોઈએ કે ‘પ્રત્યક્ષ’ ‘પૉપ્યુલર મૅગેઝિન’, ‘લિટલ મૅગેઝિન’ કે ‘વ્હ્યૂ મૅગેઝિન’ કરતાં સાહિત્યનાં જ પુસ્તકપ્રેમી અભિજનો માટેનું ગ્રંથસમીક્ષાનું પાંચસોએક નકલોનો ફેલાવો ધરાવતું ત્રૈમાસિક હતું.

‘પ્રત્યક્ષ’ માટે સાહિત્યનું પુસ્તક એ સર્વસ્વ છે. એટલે તેના મુદ્રણ-નિર્માણ-પ્રકાશનનાં પાસાંને તે ન આવરી લે તો જ નવાઈ. આ દિશામાં સમયના એક તબક્કે કેટલાક અંકોમાં ચાલેલી ચર્ચા ગુજરાતી સાહિત્યમાં નોખી હતી.

પુસ્તક કહેતાં પાઠ્યપુસ્તકની પણ ચિંતા કરનાર જૂજ સામયિકોમાં એક તરીકે ‘પ્રત્યક્ષ’ એ કેટલાક અંકોનો મોટો હિસ્સો શાળા-પાઠ્યપુસ્તકો વિશે ફાળવ્યો છે. તેમાં શિક્ષકો તેમ જ નિષ્ણાતોએ જુદાં જુદાં ધોરણનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં લેખાંજોખાં કર્યાં છે. એ જ રીતે ગ્રંથસમીક્ષા અને અનુવાદ અંગે ચર્ચાસત્રો યોજીને તેની સામગ્રીને વિશેષ સ્થાન આપ્યું છે.

‘પ્રત્યક્ષ’ના સંપાદન વિશેષાંક પરથી થયેલું પુસ્તક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ અજોડ છે. વળી આ સામયિકમાં પાનાં તૈયાર કરતી વખતે જે ખાલી જગ્યા પડે ત્યાં મૂકવામાં આવેલા આવકાશપૂરકો અથવા ફિલર્સ પરથી ‘બુંદબુંદની સૂરત નિરાળી’ નામે સામયિક સંપાદન વિશેનાં અવતરણોનો અનોખો સંચય બહાર પડ્યો છે. તેનું પેટામથાળું છે : ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાના વિચારસંચલનો’.

આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે.

કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. સામયિકનું ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ’ એવું રમણભાઈએ અનુભવ્યું છે.

જો કે સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો  યથોચિત ઋણસ્વીકાર પણ હતો.

અલબત્ત, દરેક અંક પર રમણ-મુદ્રા જ અંકાયેલી રહેતી. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (1964-85) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એવું જ હતું.

‘ગ્રંથ’નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરતું.

અંગ્રેજીમાં ખાસ નવાં પુસ્તકો વિશેનાં ‘બિબ્લિઓ’ કે ‘બુક રિવ્યૂ’ જેવાં માતબર સામયિકો જોતી વખતે ત્યારે આપણી ભાષામાં પણ આ પ્રકારનું સામયિક છે તેનો હરખ હતો. સાહિત્યના પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી.        

‘પ્રત્યક્ષ’ કઈ ઘટના હતી તેની ઝલક ‘પ્રત્યક્ષસંપદા’ નામના સૂઝથી નિર્માણ પામેલા સંગ્રહમાં મળે છે. પ્રત્યક્ષના તમામ અંકો  Ekatra Foundation ની વેબસાઈટ પર વાંચવા મળે છે.

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટે રમણ સોનીને 18 મેના રોજ ત્રીજા ‘નિરંજન ભગત સ્મૃતિ પુરસ્કાર’થી સન્માનિત કર્યા. એ અવસરનું સરસ-સરળ પ્રતિભાવ પ્રવચન સંસ્થાની વેબસાઇટ પર છે.

રમણ નામધારીઓએ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમાંથી રમણલાલ સોની શતાયુષી થવામાં બે વર્ષ ચૂકી ગયા. રમણ સોની ન ચૂકે એવી આજના દિવસે શુભેચ્છા.

7 જુલાઈ 2023

-X-X-X-X-X-

ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે આજ રોજ, શુક્રવારે, સાંજે 5.30 વાગ્યે રમણ સોની પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.

સ્થળ : ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

[1,300 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...947948949950...960970980...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved