Opinion Magazine
Number of visits: 9666864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાડ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|13 October 2023

બેઠા ઘાટના જૂની ઢબના બંગલાના વરંડામાં ઊભી ઊભી હેમા દૂર દૂર સુધી લહેરાતાં શેરડીનાં ખેતરો જોઈ રહી હતી. નાખી નજર પહોંચે ત્યાં સુધી ખેતરો જ ખેતરો. આમ તો પરિતોષે મુંબઈ છોડીને બોઈસર પાસેના સાવ નાના ગામમાં જઈને રહેવાની વાત કરેલી ત્યારે એ ડઘાઈ ગયેલી, “તારું તો કૃષિ સંશોધનનું કામ ચાલશે. આખો વખત તું કામમાં રચ્યો-પચ્યો રહીશ પણ હું ત્યાં શું કરીશ? ને મારું વકીલાતનું ભણતર ત્યાં શું કામ લાગવાનું? વળી મોન્ટુ માટે સારી શાળાની સગવડ પણ વિચારવી પડેને?”

“જો હેમા, તું ને મોન્ટુ મારી સાથે જ આવો એવો મારો આગ્રહ નથી. અહીંનું ઘર તો છે જ. તમે બંને અહીં રહેજો. પંદર દિવસે, મહિને હું આવતો રહીશ. બાકી તું તો જાણે જ છે કે, કૃષિ કેંદ્રએ શેરડીની જાત અને ઉત્પાદન સુધારણાના જે પ્રયોગો કરવાના છે એ પ્રોજેક્ટ મારી દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. મારે તો ત્યાં રહેવું જ પડશે.”

અહીં આવ્યા પછી થોડા વખતમાં જ હેમાને સમજાઈ ગયું હતું કે અહીં આવવાનો નિર્ણય યોગ્ય જ હતો. અહીંની શાંત, તાણ વિનાની જિંદગી, આખું કુટુંબ એક છત્ર હેઠળ હોવાનો સંતોષ અને ખેતરોની પેલે પાર રહેતા ખેડુ પરિવારોની નાની-મોટી દરેક સમસ્યામાં મદદરૂપ થઈને સૌની માનીતી ‘વહિની’ થઈ ગયેલી પોતે. ભલેને અહીં સાદો લેંડલાઈન ફોન પણ દિવસો સુધી ચાલતો ન હોય પણ હવે એને  કશામાં અગવડ લાગતી નહોતી.

આ બધા વિચારોમાં એ ખોવાયેલી હતી ત્યાં શકુબાઈએ આવીને એક ચિઠ્ઠી આપી, “વયની, સાહેબે આ આપી છે.” ચિઠ્ઠીમાં લખેલાં બે જ વાક્ય વાંચીને એ ખુશ થઈ ગઈ.

“આજે સાંજની બસમાં સુષમા આવવાની છે. નજીકના ગામમાં સરકારી યોજનાઓ સમજાવવા માટેની એની મિટિંગ છે. રાત રોકાઈને કાલે જમ્યા પછી બપોરની બસમાં નીકળી જશે.” “અરે વાહ! સુષમા આવે છે!” બંને નાનપણથી તે વકીલ થયાં ત્યાં સુધી સાથે સાથે ભણ્યાં. ભણ્યા પછી સુષમાએ સરકારી નોકરી લીધી અને પોતે પ્રાઈવેટ ફર્મમાં કામ કરતી. અહીં આવવાના નિર્ણય સાથે નોકરી પણ છૂટી. જો કે, એને આ વાતનો કોઈ અફસોસ નહોતો.

શકુબાઈ સાથે મળીને એ સુષમાના સ્વાગતની તૈયારી કરવા લાગી. પલંગ પર નવી ચાદર પાથરી, બાથરૂમમાં સ્વચ્છ ટુવાલ મૂક્યો, ઝાપટ-ઝૂપટ કરીને ઘર ચોખ્ખું કર્યું ને મસાલા ખીચડી બનાવવા કૂકર તૈયાર કર્યું. એની સ્ફૂર્તિ જોઈને શકુબાઈએ મજાક કરી, “વયની, તમારી મૈત્રીણી આવવાની એટલે તમે તો જાણે ફાસ ટ્રેનની જેમ ભાગવા માંડ્યાં !”

સુષમા બસમાંથી ઊતરી. લાંબા વખતે સખીને મળવાનો ઉમળકો લઈને હેમા એને ભેટી પડી. સુષમા પણ પ્રેમથી ભેટી તો ખરી પણ હેમાના શરીર પર એની નજર એક્સરેની જેમ ફરી વળી, “તું પતલી થઈ ગઈ છે હેમા, ને થોડી કાળી પણ પડી ગઈ છે. જો કે, ગામડાંનાં હવા-પાણીની અસર તો થાય જ. મારે પહેલાં વોશરૂમ જવું પડશે. ક્યાં છે?” ઘરની બહાર વાડામાં થોડા તૂટેલા બારણાવાળો બાથરૂમ હેમાએ ચીંધ્યો એ ભેગી એ બોલી ઊઠી,

“બાપરે! ઘરની બહાર જવાનું? સો ડિસ્ગસ્ટીંગ! હું તો આવામાં એક દિવસ પણ ન રહી શકું. તને આ જંગલમાં કેવી રીતે ફાવે છે?” આવતાંની સાથે સુષમા તરફથી શરૂ થયેલા આક્રમણે હેમાને નિરાશ કરી દીધી. પરાણે હસતાં એ બોલી, “ચાલ, મસાલાવાળી ચા પીવડાવું.” બંને બહેનપણીઓ ચા-નાસ્તાને ન્યાય આપે ત્યાં પરિતોષ આવી ગયો. આવતાંની સાથે એણે મજાક શરૂ કરી,

“કેમ છો વકીલ સાહેબા? મારી ઘરવાળીની કંઈ ચઢવણી ન કરશો હં!”

“અરે, ચઢવણીની ક્યાં વાત કરો છો? મેં તો અહીં આવીને બધું જોયું ત્યારે મને વિચાર આવ્યો કે તમારા સંશોધન બદલ તમને તો એવોર્ડ મળશે પણ મારી સખીએ કરેલા ત્યાગનું શું? એની તો ક્યાં ય જરા સરખી નોંધ પણ નહીં લેવાય!”

પરિતોષને સમજાયું નહીં કે આનો શું જવાબ આપવો? વાત બદલવાના ઈરાદાથી એણે હેમા તરફ જોતાં કહ્યું, “અરે હા, તને કહેતાં ભૂલી ગયો. તું કહેતી હતીને કે, બંગલાની આસપાસ વાડ તો હોવી જોઈએ. વાડ નથી તો ઘર ખુલ્લું થઈ જાય છે. ઘર ખુલ્લું જોઈને ઢોર પણ ઘૂસી જાય અને આવતાં-જતાં લોકો પણ ડોકિયાં કરે! તે કાંટાળા તારની વાડ બનાવવા માણસને  આવવાનું કહી દીધું છે. એ માપ લેવા આવશે.”

બીજે દિવસે જવાના સમયે સુષમાએ હેમાનો હાથ હાથમાં લઈને કહ્યું, “તને સારું લગાડવા એમ નહીં કહું કે, મને અહીં આવીને આનંદ થયો. ઊલટું તેં તારી આવડત વેડફી નાખી એનું દુ:ખ લઈને જાઉં છું.”

“તું ભલે એમ માને પણ મેં કશું વેડફી નથી નાખ્યું. અહીંના ભલા-ભોળા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા હું મારા ભણતરનો ઉપયોગ કરું છું. એમને કાયદાકીય સલાહ આપું છું. મને આ બધાનો ખૂબ સંતોષ છે. મારે માટે તું નાહક જીવ ન બાળીશ.”

બસનું પગથિયું ચઢતાં સુષમાએ કહ્યું, “મને નથી લાગતું કે તારી અન્નપૂર્ણાની ભૂમિકામાંથી ફુરસદ કાઢીને તું મુંબઈ આવીશ. એના કરતાં હું જ ફરીથી મિટિંગ ગોઠવાશે ત્યારે તને મળવા આવીશ.”

એના ગયા પછી હેમાએ છુટકારાનો દમ લીધો. શી ખબર કેમ, પણ એને થયું, સુષમા પાછી ન આવે તો સારું. ઘરમાં આવીને એણે શકુને કહ્યું, “આજે થોડું વધારે રોકાજે હોં, શકુ? કાંટાના વાયરની વાડ ઘરની ફરતે બનાવવી છે ને, તે માણસ માપ લેવા આવવાનો છે. તું હોય તો મને સારું પડે.” શકુએ કહ્યું “વયની, રોકાવાનો તો મને વાંધો નથી પણ એક વાત કઉં? તારની વાડ કરતાં ભીંતની આડ કરાવી લો ને! ભીંત ટકાઉ પણ ખરી ને બહારનું કોઈ અંદર જોઈ પણ ન શકે!”

હેમાને થયું, શકુની વાત વિચારવા જેવી તો ખરી! એણે પરિતોષને કહેવાનું નક્કી કર્યું કે, કાંટાની વાડને બદલે ભીંતનું ચણતર જ કરાવી લઈએ!

(ભારતી પાંડેની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2023; પૃ. 24

Loading

શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ અસાધારણ ન જ હોય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 October 2023

રવીન્દ્ર પારેખ

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં’,  એવું ચાણક્યે ભાવિ ભાખીને કહ્યું હશે. આવું કહ્યું ત્યારે એને અંદાજ હશે જ કે શિક્ષક સાધારણ પણ હોઈ શકે છે. શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ કેવું હોય તેનાં અસંખ્ય ઉદાહરણો ગુજરાતની રોજ બ રોજની જિંદગીમાં જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં શિક્ષણ કેવળ અખતરાઓનો ભોગ થઈ પડ્યું છે ને એના ખતરાઓનો સામનો વિદ્યાર્થીઓ, વાલીઓ તો કરે જ છે. પણ શિક્ષકો પણ એમાંથી બાકાત નથી. ખબર નથી કે શિક્ષણ વિભાગને એના અખતરાઓની અસર વર્તાય છે કે નહીં, પણ મંત્રીઓએ એ જોવાનું રહે જ છે કે તેમના પ્રયોગો શિક્ષણ જગતમાં સ્વીકારાય. નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે તે નીતિ તરીકે તો આવકાર્ય છે જ, પણ તેને લાગુ કેવી રીતે કરાય છે, તેનાં પર પણ તેની સફળતાનો આધાર રહેલો છે. શિક્ષણ શાળાઓથી શરૂ થાય તે અપેક્ષિત છે. તે દુકાનોથી શરૂ થાય તો વિચારવાનું રહે. પૈસા હોય તેવું ટોળું કે.જી.-નર્સરીની દુકાન ખોલી કાઢે, ઓછા પગારે કાચા-પાકા શિક્ષકો દ્વારા કાચુંપાકું ભણાવી દે ને વાલીઓને લાગે કે તેમનું છોકરું ભણે છે, પણ શું ભણે છે તે તો છોકરું જ જાણતું હોય છે. મોટે ભાગે તો તે શિક્ષણનો બોજ ઉપાડતાં નાની ઉંમરથી જ શીખી જાય છે. જો કે, તેને ખબર નથી કે આ બોજ કયાં સુધી ઉપાડવાનો છે ને તેની ફળશ્રુતિ શું છે?

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાતમાં બે ઘટનાઓ સામે આવી. એક તે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબે ગાંધીનગરની ઝિંડવા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. સાધારણરીતે સાહેબો આચાર્યની ખુરશીમાં જરા ય સંકોચ વગર ગોઠવાઈને હુકમો છોડતા હોય છે, પણ મંત્રીશ્રીએ આગ્રહ છતાં, આચાર્યની ખુરશીમાં ન બેસવાનો વિવેક દાખવી આચાર્ય પદની ગરિમા જાળવી. સાહેબે બાલિકાઓ સાથે સંવાદ કર્યો ને શિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પોતે પ્રાધ્યાપક હોવાથી મંત્રીશ્રીએ હળવી શૈક્ષણિક કામગીરી પણ કરી ને શાળા સંદર્ભે સંતોષ વ્યક્ત કર્યો.

બીજી ઘટનામાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને તળિયા ઝાટક તપાસ કરવાનો આદેશ આપવો પડ્યો. બન્યું એવું કે વરાછાની સાધના નિકેતન સ્કૂલમાં હિતેશ સરવૈયાની ચાર વર્ષની જુનિયર કે.જી.માં ભણતી બાળકી તેની શિક્ષિકાના હાથના બે તમાચા ને ત્રીસેક ધબ્બાનો ભોગ બની. 9 ઓક્ટોબરે સાડા ચારે દીકરી ઘરે આવી તો ડ્રેસ બદલતી વખતે માતાને પીઠ પર મારઝૂડ થયેલી દેખાઈ. માતાએ શિક્ષિકાને પૂછ્યું તો એમણે એક ઝાપટ માર્યાનું કબૂલ્યું. માતાએ પૂછ્યું કે એક ઝાપટથી આટલાં નિશાન કેવી રીતે પડે? શિક્ષિકાએ ફરી એવું નહીં થાય એમ કહીને બચાવ તો કર્યો, પણ બીજે દિવસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતાં ખબર પડી કે બાળકીને બે થપ્પડ મરાઈ હતી, ગાલે ચીમટા ભરાયા હતા ને પીઠ પર ત્રીસ પાંત્રીસ ધબ્બા મરાયા હતા. આ અત્યાચાર એટલે ગુજારાયો હતો કે બાળકીએ લેસન કર્યું ન હતું. વીડિયો વાઇરલ થતાં વાલીઓમાં હોબાળો મચી ગયો. પોલીસ ફરિયાદ થઈ. શિક્ષિકાને બરતરફ કરાઇ ને તેની ધરપકડ થઈ. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું કે કે.જી.ના વિદ્યાર્થીઓ પાસેથી લેસન માંગવાનું જ નથી હોતું. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મારઝૂડના ત્રાસ સામે શિક્ષકોને દંડની જોગવાઈ છે, પણ તેનો અમલ થતો નથી, તેથી સરકારે ફરી પરિપત્રો ફટકારી દીધા, જેમાં 10થી 25 હજારનો દંડ વસૂલવાની વાત છે.

કૈં બને છે કે પ્રતિક્રિયાઓ ફટાફટ આવવા લાગે છે. એ કેવું કે પચીસ હજારનો દંડ થાય તો મારઝૂડ કે માનસિક ત્રાસનાં કોઈ ચિહ્ન પછી રહેતાં નથી ! જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કે.જી.ના વિદ્યાર્થી પાસેથી લેસન માંગવાનું નથી એવી વાત કરી તો શિક્ષિકાને એની ખબર ન હતી એમ માનવાનું રહે. સવાલ તો એ પણ છે કે એવી ખબર બધી સ્કૂલોને છે? 10થી 25 હજારનો દંડ તો થાય, પણ એટલો પગાર શિક્ષકોને કેટલી સ્કૂલો આપે છે? આ સ્કૂલની વાત જવા દઇએ, કેટલીક સ્કૂલો બરાબર જ ચાલતી હશે એ પણ માની લઇએ, પણ સરકારે આવી સ્કૂલો અંગે એ જોયું છે કે તે સરકારી ધારાધોરણ પ્રમાણે ચાલે છે? જે સંચાલકો છે તે સ્કૂલો ચલાવવાની આવડત કે અનુભવ ધરાવે છે? એમાં જે શિક્ષકો નીમાય છે તે યોગ્ય લાયકાત ધરાવે છે? એવા શિક્ષકોને ધારાધોરણ મુજબ પગાર ને બીજી સવલતો અપાય છે? આ સવાલોના જવાબ નકારમાં આવવાની સંભાવનાઓ ઘણી છે.

મોટે ભાગે સ્કૂલો ચલાવનારા કોઈક રીતે લાઇસન્સ મેળવી લે છે ને કોઈ ફેક્ટરીની જેમ સ્કૂલો ચાલુ કરી દે છે. કારીગરો રખાય તેમ શિક્ષકો રખાય છે. શિક્ષકને સંચા ચલાવવા જેવી આવડત ન હોય તો પણ તે બાળકોને ચલાવે છે તે હકીકત છે. મોટેભાગના શિક્ષકોને કોઈ તાલીમ નથી. નોકરી નથી એટલે જે મળી તે નોકરી કરી લેવા લાચાર છે. બાળકો પાસે કેવી રીતે કામ લેવું તેની આવડત અપવાદરૂપે જ હોય છે. ઘણુંખરું તો તે ઘેટાંબકરાંની જેમ જ બાળકો જોડે વર્તે છે. લેસનની તો વાત જ નથી ક્યાં ય, પણ ચોપડાંનું વજન ને લેસન ત્રણચાર વર્ષનાં બાળકની ચામડી ઉધેડતું રહે છે. તેને કોઈ આનંદ ભાગ્યે જ હોય છે. નાનેથી જ તેને લાગવા માંડે છે કે ઘરમાં તે વધારાનું છે એટલે મમ્મી સ્કૂલે ધકેલે છે ને સ્કૂલમાં તે ટોળાંનો ભાગ છે એટલે ત્યાં હોય કે ન હોય, સરખું જ છે. વાલીઓ ઢગલો ફી આપીને નાનપણથી બાળકો માટે માનસિક ત્રાસ ને માર ખરીદે છે. મોટે ભાગના વાલીઓ અલ્પ શિક્ષિત છે. બાપ કારીગર હોય, પણ તેને તેનું છોકરું જન્મતાં જ અંગ્રેજની ઔલાદ હોય તેવું અપટુડેટ જોઈએ છે, એટલે બાળક અઢી ત્રણ વર્ષનું થાય કે નર્સરી–કે.જી.માં ધકેલે છે. કે.જી.-નર્સરીનો કોઈ જ બેઝિક કન્સેપ્ટ ન હોય એવા ધંધાદારી સંચાલકો સ્કૂલો ચલાવે છે ને અભણ શિક્ષિકો કોઈ જ તાલીમ વગર ભણાવે છે. એમાં દાટ બાળકોનો વળે છે. ગુજરાતમમાં કે.જી.-નર્સરી શિક્ષણ અપવાદરૂપે જ ઠીક છે, બાકી, એ બંધ થાય તો બાળકો પર તો ઉપકાર જ થશે. જે શિક્ષણથી આનંદ ન મળે એ શિક્ષણ નથી, શિક્ષા છે. આપણું આખું શિક્ષણ પીડાનો પર્યાય છે. એનું મુખ્ય કારણ યોગ્ય શિક્ષકોના અભાવમાં અપાતું શિક્ષણ છે.

ગુજરાતમાં શિક્ષક વગર શિક્ષણનો પ્રયોગ ચાલે છે. નવી શિક્ષણ નીતિ શિક્ષકો વગર જ સફળ થશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે નથી ખબર, પણ કેટલી ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી એવું તો સરકાર જ વિધાનસભામાં કબૂલે છે. શિક્ષકોનો દુકાળ છે? ના. હોય તો લીલો દુકાળ છે. શિક્ષકો જગ્યા વગર ને જગ્યાઓ શિક્ષક વગર ઝૂરે છે. કાયમી શિક્ષકોની 32,000ની ઘટ છે ને તે 2017થી ચાલી આવે છે. 2017થી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી. બીજી તરફ 40 હજાર શિક્ષકો બધી પાત્રતા સાથે નોકરીની વાટ જોઈ રહ્યા છે. શિક્ષકો હોવા છતાં ભરતી થતી નથી અને સરકાર કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવા માંગે છે. તે પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોથી કારભાર ચલાવે છે. આ વેપલો તે એટલે કરે છે કે શિક્ષકોને કાયમી કરવા ન પડે ને નિવૃત્તિનાં પેન્શન ને બીજા લાભો આપવા ન પડે. આ કામચલાઉ શિક્ષકોની કરામત અન્ય કોઈ રાજ્યોમાં જાણમાં નથી. તો, ગુજરાત એટલું ગરીબ થઈ ગયું છે કે તેણે આમ આંગળાં ચાટીને પેટ ભરવું પડે? ના, સરકાર ગરીબ નથી. આ વર્ષનું સૌથી વધુ બજેટ શિક્ષણને ફાળવાયું છે. તો આવું કેળવેલું દારિદ્રય શિક્ષણને કઇ રીતે ઉપકારક નીવડશે એ પ્રશ્ન જ છે.

કોઈ પણ શિક્ષણ નીતિ યોગ્ય શિક્ષક વગર નકામી છે. 40,000 યોગ્ય શિક્ષકો સરકારે જ પરીક્ષાઓ લઈ લઈને તારવ્યા છે. આ પરીક્ષાઓ કામચલાઉ નોકરી માટે લેવાઈ નથી. તેમને હવે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપવાની વાત સરકાર કરે એમાં છેતરપિંડી છે. એક ભાવિ શિક્ષકને એવું કહેતાં સાંભળ્યા કે શિક્ષકની નોકરી માટે પોતે 26 વર્ષ ભણવામાં કાઢ્યાં, એ પછી પણ કાયમી નોકરીને બદલે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાની હોય તો શિક્ષણનો અર્થ ખરો? તે પણ 32,000 કાયમી શિક્ષકોની ઘટ પુરાવાની બાકી હોય ત્યારે? આ શરમજનક છે.

કેટલાક પેન્શન મેળવતા નિવૃત્તો એવી દલીલ કરે છે કે આજના ઘણા શિક્ષકો વફાદારીથી નોકરી કરતા ન હોય તો એમને કાયમી શું કામ કરવા જોઈએ? એવું તો જે પેન્શન મેળવે છે એ શિક્ષકોમાં ય ક્યાં ન હતું? એ બધાએ વફાદારીથી જ નોકરી કરી હતી એવું હતું? એટલે કામચોરી તો ત્યારે હતી ને આજે ય છે. એ ખરું કે ઘણા શિક્ષકો વર્ગખંડમાં ન જઈને અને ટ્યૂશન પૂરું કરીને બેવડું કમાય છે. એ પણ શરમજનક જ છે. એટલું છે કે કાયમી નોકરીની ખાતરી મળતાં ઘણા ફરજ પ્રત્યે બેપરવા થઈ જાય છે. એમને સભાન રાખવા માટે વખતોવખત ખાતાકીય તપાસ ને પરીક્ષાનું શસ્ત્ર ઉગામી શકાય ને એમાં નિષ્ફળ જાય તો તે અંગેની શિક્ષાત્મક જોગવાઇઓ પણ વિચારી શકાય. પણ, કાયમી જગ્યાઓ હોય ને તે સરકાર ન ભરે તે યોગ્ય નથી. વારુ, કામચોરીની તો અન્ય ક્ષેત્રોમાં પણ વર્ષોથી ટેવ ચાલી આવે છે, પણ ત્યાં બધાંને જ કોન્ટ્રાક્ટ પર રખાતા નથી. કામચલાઉ નોકરીઓ ઉપરાંત ત્યાં કાયમી નોકરીની ને નિવૃત્તિ પછીના લાભોની જોગવાઈ છે જ. સરકારી ખાતાઓમાં, બેન્કોમાં આખો સ્ટાફ કામચલાઉ નથી, તો શિક્ષક જ કોન્ટ્રાક્ટ પર કેમ? એ જો એટલું જ યોગ્ય છે તો સરકાર ને તેનાં મંત્રીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કેમ નથી?

ટૂંકમાં, કોઈ પણ સંજોગોમાં શિક્ષક કામચલાઉ ચાલવાનો નથી, સિવાય કે શિક્ષણનો જ અગ્નિ સંસ્કાર કરવાનો હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2023

Loading

ચાલો, હરારી પાસે -31 : સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ

સુમન શાહ|Opinion - Opinion|13 October 2023

સુમન શાહ

અગાઉના ૩૦ લેખો પછી જે પ્રશ્ન થવો જોઈએ તે આ છે : વાસ્તવમાં સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ કેવી રીતે કરી શકાય?

મેં સુરેશ જોષીના જાણીતા કાવ્ય ‘કદાચ હું કાલે નહીં હોઉં’-નું ‘એ.આઈ.’-સિસ્ટમમાં જઇને અધ્યયન શરૂ કર્યું એ દાખલા સાથે એ પ્રશ્નનો ઉત્તર આપું :

કદાચ હું કાલે નહીં હોઉં / સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં 

કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે

મારી બિડાએલી આંખમાં

એક આંસુ સૂકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે

કિશોર વયમાં એક કન્યાના 

ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ

હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે જો સાગર છલકે તો કહેજો કે

મારા હૃદયમાં ખડક થઈ ગયેલા

કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે

એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા

એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે

મારા વિરહી પડછાયાની ચિતા

હજી પ્રકટાવવી બાકી છે.

કદાચ હું કાલે નહીં હોઉં.

= =

સૌ પહેલાં, ‘એ.આઈ.’-ઑજાર પસંદ કરવાનું, એ મેં કર્યું. સાહિત્યઅધ્યયન માટે પ્રયોજી શકાય એવાં એકથી વધુ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ છે : Google Bard, GPT-3, અને Elicit.org. એ બધાં વપરાય છે અને તેથી જાણીતાં થયાં છે. દરેક ઑજારનાં સામર્થ્ય અને મર્યાદાઓ જુદાં જુદાં હોય છે. જેમ કે, GPT-3 કૃતિના સંક્ષેપો કરવામાં તેમ જ પ્રશ્નોત્તરી કરવામાં, આપણી સાથે સંવાદ કરવામાં, વધારે શક્તિશાળી મનાય છે, જો કે બીજાં પણ એ કામ નથી કરી શકતાં એવું નથી. મેં Google Bard પસંદ કર્યું.

બીજું ડગ એ ભરવાનું કે ‘એ.આઈ.’-ઑજાર અને નક્કી કરેલી કૃતિના ફૉરમેટનો મેળ પાડવાનો. કેમ કે કેટલાંક ઑજારો કૃતિની સાદી ફાઇલ કે ‘વર્ડ’ માગશે, તો કેટલાંક ‘પી.ડી.ઍફ.’. એ કહેવાની જરૂર નથી કે ફાઇલ ડિજિટલ વર્જન હોવી જોઈએ. ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ની મારી ડિજિટલ વર્જન વર્ડ ફાઇલ બાર્ડને મંજૂર હતી.

ત્રીજું ડગ એ કે ફાઇલને ‘એ.આઈ.-ઑજારમાં અપલોડ કરવાની, જે મેં કરી. કેટલાંક ઑજાર, મેં કરી એમ ફાઇલને કમ્પ્યુટરથી સીધી અપલોડ કરવા દે, તો કેટલાંક, એ માટે ઍકાઉન્ટ ખોલવાની ફરજ પાડતાં હોય છે.

હવે, વધારે મહત્ત્વનું ડગ એ કે અધ્યયન શરૂ કરવાનું. આગળના સમયમાં અધ્યયન માટે જેમ હાથમાં પેન અને નોટબુક ખોલીને બેસતો તેમ અહીં આંગળીઓ તત્પર હતી અને કમ્પ્યુટરની બુક તો ખોલેલી જ હતી, મારા તો કમ્પ્યુટરનું નામ પણ ‘મૅકબુકઍેર’ છે. મારે આ કાવ્ય વિશે તો શું જાણવું હોય, પણ એ જાણવું હતું કે હું એને જે પૂછું એના એ શા આવકાર્ય ઉત્તરો આપે છે, અને મેં પહેલો પ્રશ્ન કર્યો કે —

Please furnish a list of images in the said poem. તો એણે ગુજરાતી અને કૌંસમાં અંગ્રેજી સાથે નીચે મુજબનો ઉત્તર વાળ્યો, એના જ શબ્દોમાં, આ પ્રમાણે —

The images -કલ્પનો in the poem કદાચ હું કાલે નહીં હોઉં are :

૧ આંસુ (tears)

૨ કન્યાનું સ્મિત (smile of a young girl)

૩ કાળમીંઢ ઈશ્વર (black-faced God)

૪ મત્સ્ય (fish)

૫ વિરહી પડછાયો (separated shadow)

(હું હાલ એ બધું નથી કહેવા માગતો કે એનું શું ખોટું અને આપણું શું ખરું કે એનું શું ખરું અને આપણું શું ખોટું ..)

પછી, એણે પોતે કહેલી ઇમેજિસ વિશે અંગ્રેજીમાં આ પ્રમાણે ટિપ્પણી કરી —

“These images are used by the poet to represent different aspects of human life, such as sorrow, love, faith, hope, and loss. The poet uses these images to create a vivid and moving description of his own thoughts and feelings about life and death.

“The poem is a beautiful and poignant reminder that life is precious and that we should cherish every moment. It is also a reminder that we should not take anything for granted, as we never know what tomorrow may bring.

“મને થયું મેં એને પ્રશ્ન અંગ્રેજીમાં કરેલો એટલે શાસ્ત્રની શિસ્ત સાચવવા એ પણ અંગ્રેજીમાં ઉત્તર આપે છે. પણ એને જો ગુજરાતી આવડે છે, તો મેં એને ગુજરાતીમાં લખીને કહ્યું કે આનો અનુવાદ આપ; એણે તરત આપ્યો (‘તરત’ એટલે ૪-૫ સૅકન્ડમાં) —

“આ છબીઓ કવિ દ્વારા માનવજીવનના વિવિધ પાસાઓ, જેવા કે દુઃખ, પ્રેમ, શ્રદ્ધા, આશા અને નુકસાનને રજૂ કરવા માટે વપરાય છે. કવિ આ છબીઓનો ઉપયોગ જીવન અને મૃત્યુ વિશેના પોતાના વિચારો અને લાગણીઓનું જીવંત અને હૃદયસ્પર્શી વર્ણન કરવા માટે કરે છે.

“આ કવિતા એક સુંદર અને સૂચક સ્મરણ છે કે જીવન અમૂલ્ય છે અને આપણે દરેક ક્ષણને થોપાવી રાખવી જોઈએ. તે એક યાદ અપાવે છે કે આપણે કંઈપણને બેદરકારીપૂર્વક લેવું જોઈએ નહીં, કારણ કે આપણે ક્યારે ય જાણી શકતા નથી કે કાલે શું લાવશે.”

મેં એને કહ્યું (લખ્યું) કે તારા કેટલાક પર્યાયો ખોટા છે, વિરામચિહ્નોની ભૂલો છે. તો એણે મારી વાત સ્વીકારી અને કહ્યું કે હું સુધારી લઈશ. અને હમ્મેશની નમ્રતાપૂર્વક લખ્યું કે હું મારી ભૂલો માટે દિલગીર છું, કેમ કે હું હજી બધું શીખું છું. 

આ ઉપરાન્ત મેં એને સમગ્રદર્શી મૂલ્યાંકન માટે, ફૉર્માલિસટ – આકારવાદી – અભિગમ અનુસારના મૂલ્યાંકન માટે, આ કાવ્યના નૅગેટિવ ક્રિટિસિઝમ માટે પણ પ્રશ્નો કર્યા છે, અને એણે સરસ ઉત્તરો આપ્યા છે. એ આ પછીના લેખમાં રજૂ કરીશ. 

= = =

(10/11/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...947948949950...960970980...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved