Opinion Magazine
Number of visits: 9458059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્ત્ર અને સિમોન : એક અસ્તિત્વવાદી પ્રેમકથા

સોનલ પરીખ|Opinion - Opinion|9 July 2023

એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી …

‘ઈફ યુ આર લોનલી વ્હેન યુ આર અલોન, ધેન યુ આર ઈન બેડ કંપની.’ અને ‘વી મેક અવર ઓન હેલ ઑફ ધ પીપલ અરાઉન્ડ અસ’ જેવા સાદાં પણ ન ભૂલાય તેવાં અર્થગર્ભ વિધાનો આપનાર જ્યૉં પૉલ સાર્ત્રનો જન્મદિન 21 જૂને હતો, એ નિમિત્તે વાત કરવી છે, થોડી એમની અને થોડી એમના અને સિમોન ‘દ બુઆના અજબ પ્રેમની.

વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક અને નિરીશ્વરવાદી અસ્તિત્વવાદના સ્થાપક સાર્ત્રનો જન્મ 1905માં. પિતા ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા અને માતા ચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. સાર્ત્ર એક વર્ષના હતા અને પિતાનું અવસાન થયું. ત્યાર પછી મા એને લઈને ચાર્લ્સ શ્વાઇત્ઝરને ત્યાં રહેવા ગઈ. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો સાર્ત્રને બાલ્યાવસ્થાથી જ ઘણો લાભ મળ્યો. 

પૅરિસમાં ફિલોસોફી શીખતા ત્યારે તેઓ સિમોન-દ-બૂવાના પરિચયમાં આવ્યા. બંને લગ્નજીવન વગરના મુક્ત પ્રેમ અને મૈત્રીમાં જીવનભર બંધાયેલા રહ્યાં. સિમોન પ્રખર બુદ્ધિશાળી, પ્રતિષ્ઠિત નારીવાદી ચિન્તક અને સર્જક. બંનેએ રશિયા, જર્મની, અમેરિકા, ચીન, જાપાન એમ અનેક દેશોની મુલાકાતો લીધી હતી. કેટલાક દેશોના વડાઓને પણ તેઓ મળ્યાં હતાં.

બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે સાર્ત્રને ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું પડ્યું. એક વર્ષ માટે જર્મનીમાં યુદ્ધકેદી રહેવું પડ્યું. મુક્ત થઈને સાર્ત્ર ફ્રાન્સમાં જર્મની સામેના ભૂગર્ભ પ્રતિકારદળોમાં જોડાયા. યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ, મૂડીવાદ, રંગભેદવાદ અને યહૂદીવિરોધી માનસના સાર્ત્ર કટ્ટર અને સક્રિય વિરોધી. સાર્ત્રે એક બાજુ શ્રમિકોનાં હિતોને આગળ કરનાર તરીકે સોવિયેત રશિયાના સામ્યવાદી શાસનનો પક્ષ લીધો હતો, તો બીજી બાજુ હંગેરી અને ચેકોસ્લોવાકિયા ઉપરના રશિયન આક્રમણને વખોડી કાઢ્યું હતું અને અલ્જિરિયાના હિંસક સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપ્યો હતો. ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્યલડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.

1964માં તેમને સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝ ઘોષિત થયું. તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું કે પોતે ‘રૂપાંતરિત’ થવા માગતા નથી અને પ્રાઈઝ સ્વીકારીને પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક સંઘર્ષમાં પોતે પશ્ચિમના સાંસ્કૃતિક સંસ્થાનના પક્ષમાં છે એવું બતાવવા ઈચ્છતા નથી. ‘બિઈંગ ઍન્ડ નથિંગનેસ’ અને ‘ક્રિટિક ઑફ ડાયક્ટિકલ રિઝન’ એ તત્ત્વચિંતન અંગેના સાર્ત્રના મુખ્ય ગ્રંથો છે. તેમની બીજી મહત્ત્વની કૃતિઓમાં આત્મકથા ઉપરાંત ચાર નવલકથાઓ, પાંચ ટૂંકી વાર્તાઓ, સાત નાટકો, ત્રણ જીવનવૃત્તાંતો, અનેક નિબંધો અને સમીક્ષાલેખોનો સમાવેશ થાય છે. 1948માં કૅથલિક ચર્ચે સાર્ત્રની કૃતિઓને પ્રતિબંધિત જાહેર કરી હતી. સાર્ત્રની તમામ મહત્ત્વની કૃતિઓ અંગ્રેજી ભાષામાં સુલભ છે.

સાર્ત્રે માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો સમન્વય નવી ભૂમિકાએ કરવાના પ્રયત્નો કર્યા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં માઓવાદ અને અરાજકતાવાદી દૃષ્ટિબિન્દુના પક્ષમાં પણ જણાયા. છે. પહેલાં ફિનૉમિનૉલૉજીથી અને પછી માકર્સવાદથી પ્રભાવિત સાર્ત્રના અસ્તિત્વવાદમાં એકવાક્યતા કે સંગતિ છે કે કેમ તે અંગે ખૂબ વિવાદ થયો છે.

સાર્ત્રની ‘નૉશિયા’ નવલકથાનો મુખ્ય વિચાર એ છે કે માનવીનું કે જગતનું વાસ્તવિક અસ્તિત્વ છે ખરું, પણ તે ‘કન્ટિન્જન્ટ’ છે, એટલે કે જગતનું કે મનુષ્યનું હોવું અનિવાર્ય નથી તેમ જ તેનું ન હોવું પણ અનિવાર્ય નથી. જગત એબ્સર્ડ છે કેમ કે તે મનુષ્યની ‘રેશનાલિટી’ની અપેક્ષા પ્રમાણે ‘ઈન્ટેલેજિબલ’ બનતું નથી. જગત મનુષ્ય-નિરપેક્ષ છે – તેને મનુષ્યની પ્રગતિ, તેના ઇતિહાસ કે નિયતિ સાથે લેવાદેવા નથી. પ્રશ્નો પૂછ્યા કરતો મનુષ્ય સૃષ્ટિના અકળ મૌનથી નિરાશ થાય છે. છતાં તે પોતાના જીવનને માનવીય અર્થ આપી શકે છે. તેને પસંદગીની સ્વતંત્રતા છે, પણ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.

‘ફિલોસોફી નાઉ’ જર્નલના સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલા વિશેષાંકના એક લેખમાં ડૉનહોઈએ જણાવ્યું છે કે ‘સત્તરમી સદીના દ’કાર્ત અને પાસ્કલ, અઢારમી સદીના વૉલ્તેર અને રૂસો અને ઓગણીસમી સદીના હ્યુગો અને ઝોલાની કક્ષામાં સાર્ત્રને મૂકી શકાય એમ છે. સાર્ત્રના ચિંતનનો વ્યાપ મોટો છે. પરંપરાનું પુનરાવર્તન જ કર્યા કરનારા અને સ્થગિત થઈ ગયેલાં સામાજિક મૂલ્યોને પોષ્યા કરનારા સર્જકો-ચિન્તકો કરતાં સાર્ત્ર ઘણા જુદા છે.’

સિમોનનું નામ આધુનિક નારીવાદમાં સૌ પહેલું મૂકવું પસે. ‘ધ સેકન્ડ સેક્સ’માં તેણે દર્શાવ્યું છે કે વિશ્વ પુરુષનું છે, સ્ત્રી પણ પુરુષ સંદર્ભે છે અને એને પુરુષની અપેક્ષા પ્રમાણે ઘડવામાં આવી છે. સ્ત્રીને પોતાના મૂળ અસ્તિત્વથી વિચ્છેદ પામીને અપાયેલી ભૂમિકા પ્રમાણે પ્રયોજાવું પડે છે, જે પીડાદાયક છે. એને માટે સિમોન ‘મ્યુટિલેશન’ શબ્દ વાપરે છે. સાર્ત્ર સાથેના સંબંધમાં સિમોને પોતાને વિચ્છેદનો ભોગ બનવા દીધી નથી. એ જે હતી તે જ રહી. પૂર્ણ સ્વાતંત્ર્ય, બંધનરહિત પ્રેમ, પૂરો આદર અને શાશ્વત વફાદારીનું વિશ્વ સર્જવા બંને અર્ધી સદી સુધી મથ્યાં. વ્યાખ્યામાં ન બંધાય અને સ્થાપિત ધોરણોમાં ન સમાય, જેને એ બંને ‘ઑથેન્ટિક લવ’ કહેતા એવા એમના સંબંધને અસ્તિત્વવાદી પ્રેમકથા – એક્ઝિસ્ટન્શ્યલ લવ સ્ટોરી કહેવાય? 

‘આધુનિક નારીવાદની જનેતા’ ને ‘અસ્તિત્વવાદના જનક’ તરીકે ઓળખાતી પ્રતિભાઓ વચ્ચેનો પ્રેમ એમના સમયથી માંડીને આજ સુધી વિવાદનો વિષય રહ્યો. બંને સાથે ફિલોસોફી ભણતાં. એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. પરણવું, પુરુષે બહારના વિશ્વમાં શિખરો સર કરવાં ને સ્ત્રીએ ઉપેક્ષિતા બની ઘર સંભાળવું એવી પિતૃસત્તાક પરંપરાના બંને એકદમ વિરોધી હતાં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી.

બંને માનતાં કે એમના યુગનો સૌથી મોટો પડકાર ઈશ્વરની અનુપસ્થિતિમાં સર્જાતી મુક્ત સ્વતંત્રતાની પ્રતીતિ કરવી એ છે. સિમોન એના સમયથી ઓછામાં ઓછા 50 વર્ષ આગળ હતી. ઘરગૃહસ્થીના જાણીતા રસ્તે એ ન જ ગઈ. એને બદલે તેણે બૌદ્ધિક પ્રવૃત્તિમાં રત રહેવાનું પસંદ કર્યું. છતાં એ સ્ત્રી હતી. લેખક, ચિંતક અને આધુનિક નારીવાદના પ્રણેતા તરીકેની ખૂબ પ્રભાવક કારકિર્દી ધરાવતી સિમોને લખ્યું છે, ‘મારી સૌથી મોટી સફળતા સાર્ત્ર છે.’

પણ તેઓ સુખી થયાં? એમના સંબંધો સામાજિક અને વ્યાવસાયિક વર્તુળોમાં આંખે ચડી ગયા. બધી બાજુથી જાતજાતનાં દબાણો આવવાં શરૂ થયાં. વિદ્વાનો, પત્રકારોને ચર્ચાનો વિષય મળ્યો. સ્ત્રી તરીકે સિમોન સાથે ખરાબ વર્તન પણ થતું. સિમોન અંદરથી વલોવાતી પણ ખરી. આ સ્થિતિમાં એણે સજાતીય સંબંધો પણ બાંધ્યા.

1960 પછી પ્રગટ થયેલી ડાયરીઓએ આપેલાં ચિત્રો મુજબ સિમોન પોતાના સંબંધોની જટિલતાથી હેરાન તો થઈ જ હતી. તેને પોતાને પણ નેલ્સન એલ્જર્ન સહિત હાઈ-પ્રોફાઈલ સંબંધો હતા. સાર્ત્ર તો વુમનાઈઝર તરીકે જાણીતો હતો જ. પણ બંને અપરાધભાવ અનુભવ્યા વિના અન્ય સાથે પ્રેમમાં પડવા અને એમાંથી નીકળવા સ્વતંત્ર હતાં. એથી એમની કસોટી પણ થતી. એમનો પ્રેમ હંમેશાં માલિકી વગરનો, પ્રેમ ખાતરનો પ્રેમ રહ્યો. તો પણ સાર્ત્ર અને સિમોનના સંબંધોમાંથી આપણને સમજાય છે કે પાત્રો ખૂબ નિકટ હોય, મહાબુદ્ધિશાળી હોય, વિશ્વ આખા પર અસર કરે એવા ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય તેથી એમના સંબંધો અને ભાગીદારી સંપૂર્ણ જ બને એવું હોતું નથી.

બંનેની કબર પેરિસના કબ્રસ્તાનમાં જોડાજોડ છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 જૂન 2023

Loading

મહારાષ્ટ્ર રાજકીય કટોકટીઃ મહારાષ્ટ્રનો ગઢ જીતવા ભા.જ.પા.ની નીતિમાં સામ-દામ-દંડ-ભેદ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 July 2023

ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે, વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા ન બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે

ચિરંતના ભટ્ટ

ડિજીટલ પત્રકારત્વની ભાષામાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં એક જ કી-વર્ડ સતત ચર્ચામાં રહ્યો છે, ટ્રેન્ડમાં રહ્યો છે અને તે છે ‘મહારાષ્ટ્ર પૉલિટીકલ ક્રાઇસિસ’. પવારના પાવર પૉલિટીક્સને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પણ થઇ રહ્યું છે તે જોઇને એમ લાગે કે જાણે બિગ-બૉસનો શો ચાલી રહ્યો હોય. વિપક્ષો સાથે કામ પાર પાડવાની, તેમને તોડવાની, પોતાની તરફ કરી દેવાની ભા.જ.પા.ની નીતિ પૂર્વ-યોજિત ગેમ પ્લાન છે. વળી ભા.જ.પા.એ જ્યાં જ્યાં આ વ્યૂહરચના અમલમાં મૂકી છે ત્યાં ત્યાં હંમેશાંથી વિપક્ષમાં કોઇ એક એવો ચહેરો રહ્યો છે જેનો પ્રભાવ બહુ મજબૂત હોય એટલે ભા.જ.પા.ને ટેકો મળે કે તે ટેકો આપે છતાં ય પ્રમુખ ચહેરામાં જે તે પક્ષના મૂળમાં જે નેતા હોય એ જ રહે પછી ભલે તે સાંકેતિક હોય. 2024 લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે એટલે ષડયંત્રો, રાજનીતિની ચોપાટ અને કહેવાતા વિશ્વાસઘાતની મોસમ પૂરજોશમાં બેઠી છે અને એમાં ય મહારાષ્ટ્રમાં તો આ મોસમ મુંબઈના વરસાદની માફક જમાવટ કરીને બેઠી છે. 

ભા.જ.પા. માટે એક તીર બે નિશાન તો શરદ પવારને મળ્યું કર્મનું ફળ

 ભા.જ.પા.એ શિવસેના અને એન.સી.પી. બન્નેના પાયા પોકળ તો કરી જ નાખ્યા પણ હવે જોવાનું એ છે કે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સત્તા માટે જે ધમાસાણ યુદ્ધ થવાનું છે, એ સંતુલન ભા.જ.પા. કેવી રીતે જાળવશે. લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જોઇતી હશે તો આ ત્રણેયને ખુશ રાખવા પણ જરૂરી છે. હવે શરદ પવારની હાલતની વાત કરીએ તો માળું આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે. વસંત પાટિલનાં પત્ની શાલિની પાટિલે એવી ટિપ્પણી કરી હતી કે આ તો સમયનું ચક્કર ફર્યું છે અને 41 વર્ષ પહેલાં શરદ પવારે જે કર્યું હતું તેવું જ આજે અજિત પવારે તેમની સાથે કર્યું. શરદ પવારે જે તે સમયે વસંતરાવ પાટિલ સાથે સીધી વાત કરવાને બદલે ધારાસભ્યો તોડ્યા હતા. આજે એમના પોતાના ભત્રીજાએ પણ એ જ રસ્તો અપનાવ્યો. ભા.જ.પા.એ તો શરદ પવાર માટે એવી સ્થિતિ કરી જેમાં તેમનો પક્ષ તો તૂટ્યો જ પણ સાથે પરિવારમાં પણ નકરી કડવાશ ફેલાઈ ગઇ. 1978માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસના બે જૂથ અલગ ચૂંટણી લડ્યા અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર ન બને એટલે બન્નેએ સાથે મળીને સરકાર બનાવી, પણ શરદ પવારે તો પોતાની જ પાર્ટી છોડી અને ધારાસભ્યો તોડી જનતા પાર્ટીને સરકાર બનાવવા સમર્થન આપ્યું. આ રીતે માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા. પણ હવે તો ઉંમર પણ શરદ પવારની પડખે નથી જે તેમણે યાદ રાખવું જરૂરી છે.

2020માં મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના 25 વધુ ધારાસભ્યો ભા.જ.પા.માં જોડાઈ ગયા હતા. આ આખો ખેલ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખેલાયો. પક્ષ છોડવાની આ શરૂઆત સિંધિયાને પગલે થઇ હતી અને 6 મંત્રીઓ પણ આ દળ-બદલમાં સામેલ હતા. આવું કરે ત્યારે ભા.જ.પા.ની ‘આકર્ષક ઑફર્સ’ હોય એ લટકામાં કારણ કે જે પણ ધારાસભ્ય કાઁગ્રેસ છોડીને ભા.જ.પા.માં આવી જાય એને કોઈ મહત્ત્વનું પદ પણ આપી દેવાય, કોઇને અધ્યક્ષ બનાવાય તો કોઇને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે એ રીતે કોઇ પદ આપવામાં આવે. ધન અને પદના પ્રલોભનોથી રાજકારણીઓ તોડવા એ ભા.જ.પા.નો જૂનો ગેમ પ્લાન રહ્યો છે. ક્યાંક ભા.જ.પા.ને સફળતા મળી તો ક્યાંક ન મળી.

મહારાષ્ટ્રમાં સત્તા હાથમાં લેવી એ ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યું છે. 2024ની ચૂંટણીની તૈયારી રૂપે મહારાષ્ટ્રમાં ભા.જ.પા.એ પોતાની વ્યૂહરચના એકથી વધારે વખત વાપરી છે. મહારાષ્ટ્રમાં ઘુસવું ભા.જ.પા. માટે ક્યારે ય સરળ નહોતું, આખરે એ ત્યારે શક્ય બન્યું જ્યારે જે તે સમયે મહારાષ્ટ્ર પર જેની પકડ હતી તેવી શિવસેના સાથે ભા.જ.પા.એ હાથ મેળવ્યા. 2014થી 2019 સુધી ભા.જ.પા. અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર ચલાવી પણ 2019માં શિવસેનાને ભા.જ.પા. પાસેથી મુખ્ય મંત્રી પદ જોઇતું હતું, પણ ભા.જ.પા.એ એ વાત કંઇ ગણકારી નહીં.  આખરે ભા.જ.પા.ના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એન.સી.પી.ના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવાયા. અજિત પવારે મસ્ત સોગઠી રમીને એન.સી.પી.માં વિભાજન કરી પોતાની સાથે ઘણા ધારાસભ્યો છે એવો દાવો કર્યો હતો પણ એ બધા ખાલી ફીફાં ખાંડેલા. શરદ પવારે બધા ધારાસભ્યોનો ક્લાસ લીધો, આ તરફ ફડણવીસની સરકાર ભાંગી પડી અને અજિત પાવર ચૂપચાપ શરદ પવાર પાસે પાછા ગયા. આ તરફ પાંચ દિવસમાં ફડણવીસ સરકારનો ખેલ ખલાસ થયો. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસ અને શિવસેનાને શરદ પવારને કારણે એક કરી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું ગઠબંધન રચ્યું. આ ગઠબંધનને પગલે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા તો એન.સી.પી. તરફથી અજિત પવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા અને કાઁગ્રેસને વિધાનસભા અધ્યક્ષ પદ પણ મળ્યું. અઢી વર્ષ થયા અને શિવસેનામાં બળવાખોર રાજનેતાઓએ માથાં ઉંચક્યાં. એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન પાછું ખેંચવા કહ્યું, ઠાકરેએ બહુમત સાબિત કર્યા વિના રાજીનામું આપ્યું અને એકનાથ શિંદેને ભા.જ.પે. મુખ્ય મંત્રી બનાવ્યા. આ રાજકીય સિઝનમાં શિવસેનાના બળવા પછી એન.સી.પી.માં ભાગલા પડ્યા, અને અજિત પવારે ગયા અઠવાડિયે જાહેરાત કરી કે પોતે એન.ડી.એ. સરકારમાં જોડાશે અને સાથે 40 ધારાસભ્યને લેતા જશે. અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ પણ શરદ પવારને આવજો કહી દેશે.

આ આખા ખેલમાં એક જગ જાહેર છતાં ય સીધી રીતે ન દેખાય એવી વાસ્તવિકતા એ છે કે 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની જરૂર છે નહીં કે તેનાથી ઊલટું. ભા.જ.પા. માટે બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સંવેદનશીલ છે. 2019થી જ એ હવા સ્પષ્ટ હતી કે આ રાજ્યોમાં ભા.જ.પા.ને સર્વોપરી થવું હશે તો એ સરળ નથી. દક્ષિણના રાજ્યોમાં ભા.જ.પા. પોતાનો આંકડો આસાનીથી નહીં જ વધારી શકે, નોર્થ ઇસ્ટમાં પણ તે હવે વધારે બેઠકો જીતી શકે તેમ નથી. શિવસેના સાથેના ભા.જ.પા.એ 2019માં 23 બેઠક જ મેળવી. હવે આ વર્ષની શરૂઆતમાં જે રાષ્ટ્ર સ્તરે પોલ થયા એમાં એવું વર્તાયું કે લોકસભામાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી 34 બેઠક મેળવી શકે એમ છે અને ભા.જ.પા.ની ઊંઘ ઉડી ગઈ કારણ કે પછી શિવસેનાને સથવારે મહારાષ્ટ્રમાં આવેલ ભા.જ.પા.ને માંડ 14 બેઠક મળે. ભા.જ.પા. અને શિંદેવાળી શિવસેના જે 2019માં 52 ટકા વેટ શેર મેળવી શકી હતી તે ઘટીને હવે 36 જાય એવી વકી છે.

ભા.જ.પા. કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને તોડે એ જરૂરી છે. વળી પક્ષ તોડવામાં ભા.જ.પા.ને ફાવટ છે પહેલા શિવસેના સાથે તો એ થઈ જ ચુક્યું છે અને આ વખતે એન.સી.પી.નો વારો હતો. ભા.જ.પા.એ એક જ કાંકરે બે પક્ષી માર્યા એવું કહી શકાય કારણ કે એન.સી.પી.માં ફાંટા પડ્યા જેથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી નબળો પડ્યો અને એકનાથ શિંદેની શિવસેના પણ નબળી પડી. જે અજિત પવારને એક સમયે ભા.જ.પા.એ ભ્રષ્ટાચારી ગણાવેલા અને તેમનું રાજીનામું માગેલું એને હવે પોતાની સરકારમાં સત્તા પણ આપી છે. વળી બીજી વાસ્તવિકતા એ પણ છે કે ભા.જ.પા.એ જ્યાં પણ ગઠબંધનની સરકાર કરી છે, બીજા પક્ષોને તોડ્યા છે ત્યાંની પ્રાદેશિક પાર્ટીઓ સાથે તેમણે ઘડેલી સરકાર ટકી નથી. પંજાબમાં ભા.જ.પા.ને લોકોએ ભાવ ન આપ્યો અને આપ સત્તા પર આવી. તેલંગણા, આંધ્ર અને બિહારમાં પણ એ જ ઘાટ થયો છે. હવે અત્યારે બિહારમાં એવો અવાજ ઉઠ્યો છે કે ભા.જ.પા. મહારાષ્ટ્રવાળી કરવાનો પ્રયાસ કરે છે.

આ તોડ-ફોડની રાજનીતિ છે એ તો બધા જાણે છે પણ હકીકત એ છે કે ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે. વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા નહીં બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે. આવું મોટાભાગના રાજકીય પક્ષોમાં થયું છે, દક્ષિણ ભારતમાં જય લલિતાના પક્ષના લોકોએ તેમનો વિરોધ કર્યો અને છૂટા પડ્યા તો ય તેમની તસવીર, તેમને પ્રતીકાત્મક રીતે સાથે રાખવાના બધા કીમિયા તેમણે અનુસર્યા જ. કોઇને ગમે કે ન ગમે પણ સત્ય એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભા.જ.પા.નો પ્રભાવ એટલો તો નથી જ જેટલો તે ઇચ્છે છે કે હોય. કાઁગ્રેસ તૂટી એ પછી એન.સી.પી., શિવસેના, એ.એન.એસ., એમ.વી.એ. – એવું બધું ચાલતું રહ્યું છે અને ચાલતુ રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલને કોઇ પૂછે નહીં તો અચાનક જ લોકો પગ ધોઈ પાણી પીએ. અહીં વાંદરા અને બિલાડીની વાર્તા જેવું થાય છે, સંતુલન કરી આપવાનો દાવો કરનારો વાંદરો બે ય રોટલી ખાઈ જાય છે, મજાની વાત એ છે કે વાંદરા અને બિલાડીઓના ચહેરા-પક્ષ બદલાયા કરે છે, જેવું જેનું નસીબ. વળી વિરોધપક્ષને નબળો પાડવો એ ફાયદાકારક અને શાલિન રાજનીતિ છે, પક્ષને તોડી નાખનારી તરીકે ભા.જ.પા.ની છબી ખડી થાય એ નુકસાનકારક ગણાય.

બાય ધી વેઃ

ભા.જ.પા.એ એક સમયે અજિત પવારને દગાબાજ ઠેરવ્યા હતા પણ 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની ગરજ છે. ભા.જ.પા.ને એમ લાગે છે કે શિવસેનાથી અલગ થઇને જે વેઠ્યું છે તેની ભરપાઈ કરવામાં અજિત પવાર મદદ કરશે. ભા.જ.પા. ઉત્તર ભારતની બહારના રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવી રહી છે. ઉદ્વવની શિવસેનાનો પ્રભાવ શિંદેની શિવસેનાના વોટ શૅર પર પડશે જ એ ભા.જ.પા.ને ખબર છે. વળી અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, નરેન્દ્ર રાઠોડ, વિજય દેશમુખ, શિવાજીરાવ ગર્જે જેવા નેતાઓ છે જેમનો પ્રભાવ પોતાની બેઠકો સિવાયના મત વિસ્તાર પર પણ છે જેનો ફાયદો ભા.જ.પા.ને લેવો છે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ એન.સી.પી.માં થયેલી તોડફોડનો સીધો પ્રભાવ દેખાશે કારણ કે નિતીશ કુમારને એક ટેકો શરદ પવારનો પણ હતો પણ હવે શરદ પવારની સ્થિતિ જ ડામાડોળ લાગે તો આ વિરોધપક્ષોની મહાએકતા પર તેની સીધી અસર દેખાશે. વળી એન.સી.પી. તૂટે એટલે યુ.પી.એ. પર પણ તેના આંચકા લાગે જ. ઉદ્વવ ઠાકરેની શિવસેના યુ.પી.એ.માં જોડાઇ જાય એવી વકી છે પણ મજબૂતાઇની દૃષ્ટિએ શિંદે શિવસેના ભારે પડે એમ લાગે છે. ટૂંકમાં અજિત પવાર મહારાષ્ટ્રમાં સિક્કો જમાવવા ભા.જ.પા. માટે અનિવાર્ય અનિષ્ટ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

ભૂ-દાન એ વળી શું બલા છે ? … જમીન જોઈએ એટલે જોઈએ 

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|9 July 2023

બનારસમાં હાસ્યાસ્પદ ઘટના બની રહી છે અને એમાં એટલો જ વિષાદ પણ છે. જો કે કાવ્યશાસ્ત્રીઓ તો કહે જ છે કે હાસ્ય અને વિષાદ એક જ સિક્કાની બે બાજુ છે.

રમેશ ઓઝા

તમે તો જાણો જ છો કે બનારસ (કાશી અને વારાણસી બનારસનાં જ બીજાં બે નામ છે.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મતદારક્ષેત્ર છે અને તેનાં વિકાસ માટે વડા પ્રધાન અને તેમના અધિકારીઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. કાશી ભારતનું પ્રાચીન શહેર છે અને જે વાચકોએ કાશીની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે શહેરની રચના એવી છે કે તેમાં ગંગાને કિનારે એક તસુ જમીન પણ નવસર્જન માટે મળી શકે એમ નથી. અસ્સીથી લઈને રાજઘાટ સુધીનો ગંગાનો કિનારો અને કિનારે પથરાયેલું શહેર એટલું ગીચ છે કે તેમાં જગ્યા શોધવી મુશ્કેલ છે અને વડા પ્રધાનને તેમની આદત મુજબ કશુંક ભવ્ય કરીને જવું છે અને એ પણ પોતાનાં નામે. આ એવું શહેર છે જે હિંદુ, જૈન, બૌદ્ધ અને મુસલમાનો માટે પણ પવિત્ર શહેર છે અને જિંદગીમાં એકવાર બનારસ જવાનો મનોરથ બધા સેવે છે. માટે બનારસમાં રોજેરોજ ભારત ઠલવાતું રહે છે. આવા શહેરમાં ગંગાને કિનારે કશુંક ભવ્ય નિર્માણ કરીને અમર થવું કોને ન ગમે! એમાં જો માણસ આત્મમુગ્ધ હોય તો તો પૂછવું જ શું?

પણ સમસ્યા હમણાં કહી એ જગ્યાની છે. જગ્યા એવી હોવી જોઈએ જે ગંગાને કિનારે હોય અને પંચક્રોશીમાં આવતી હોય. પંચક્રોશીની બહાર હોય તો કાશીની પવિત્રતા જતી રહે અને હિંદુઓ પરિક્રમા કરે નહીં. ટૂંકમાં હિંદુઓ જ્યાં પરિક્રમા કરે છે એની અંદર હોવી જોઈએ. દરબારીઓને કહેવામાં આવ્યું કે જાવ જગ્યા શોધી આવો. જગ્યા એવી હોવી જોઈએ જ્યાં નવો ઘાટ બાંધી શકાય અને તેની સાથે આજુબાજુમાં સેંકડો એકરમાં રીવર ફ્રન્ટ, હેલીપેડ, નદીમાં ચાલતાં હોવરક્રાફ્ટને લાંગરવા માટે બર્થ, સુંદર બગીચો, પાર્કિંગસ્લોટ, ભવ્ય પૂતળાં, કોમ્યુનિટી સેન્ટર, મોલ વગેરે બાંધી શકાય. સિપાહી-સપરાંઓએ તપાસ આદરી અને એક જગ્યા શોધી કાઢી જે ગંગાને કાંઠે છે અને પંચક્રોશીની અંદર છે. વળી ત્યાં ગંગા અને વરુણા એમ બે નદીઓનો સંગમ થાય છે. આ જગ્યા પાછી શહેરને લાગીને છે. કાશીનું એક નામ વારાણસી એટલા માટે છે કે કાશી નગર વરુણા અને અસ્સી એમ બે નદીઓની વચ્ચે ગંગાકિનારે વસેલું છે. આનાથી વધારે યોગ્ય જગ્યા બીજી કોઈ ન હોઈ શકે.

તેમણે ઘાટ માટેની જગ્યા શોધી કાઢી. ત્યાં ડૉ. રામ મનોહર લોહિયાને નામે જે ઘાટ હતો તેને લોહિયાનું નામ મહેનતપૂર્વક માંડ વંચાય એટલી જગ્યા છોડીને બાકીની જગ્યા છીનવી લીધી. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૬૭માં વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન વિષે મૂલ્યાંકન કરવા દરેક રાજકીય પક્ષોના નેતાઓને બોલાવ્યા હતા. તેઓ આંદોલનની કોઈ મર્યાદા હોય તો એ સમજવા માગતા હતા. એ સર્વપક્ષીય બેઠકમાં વિનોબાએ ભારતીય જનસંઘ(અત્યારના ભાજપનો પૂર્વ અવતાર)ના નેતાઓને નહોતા બોલાવ્યા. કારણ બહુ સ્પષ્ટ હતાં. ગાંધી અને સાવરકર, સહિયારું ભારત અને હિન્દુરાષ્ટ્ર, સર્વોદય અને હિન્દુત્વ, સદ્દગુણ ઉપાસના અને સદ્દગુણવિકૃતિ સાથે ન જઈ શકે. વિનોબા આ બાબતે બહુ સ્પષ્ટ હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ લોહિયાએ એ બેઠકનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે તેમાં ભારતીય જનસંઘને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જે માણસે જનસંઘની પાલખી ઊંચકવામાં અને જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા કમાવી આપવા પોતાનાં ખભા છોલી નાખ્યા એના નામનાં ઘાટને ગળી જવામાં આવ્યો. છોલાયેલા ખભા ઉપર ચડવા માટે વાપરવાના હોય છે, ઋણ યાદ રાખીને ઋણ ઉતારવા માટે નથી હોતા.

હમણાં કહ્યું એમ જનસંઘને પ્રતિષ્ઠા અપાવનારા ડૉ. લોહિયાના ઘાટની જગ્યા સંકોરીને નવા ઘાટ માટે જગ્યા તો શોધી કાઢી, પણ બાકીની જગ્યાનું શું? આદેશ આપવામાં આવ્યો કે ત્યાં ઘાટ બાંધો, પછી બીજી જગ્યા માટે જોયું જશે. આમ નવો ઘાટ બાંધવામાં આવ્યો અને નામ આપવામાં આવ્યું; ‘નમો ઘાટ’. આજે આ લખાય છે ત્યારે શુક્રવારે વડા પ્રધાન દ્વારા ઘાટનું લોકાર્પણ પણ થઈ ગયું.

હવે આજુબાજુમાં સેંકડો એકર જગ્યા શોધવાની હતી. જો કશુંક ભવ્ય ન હોય તો બનારસમાં ઘાટ ક્યાં ઓછા છે! સમસ્યા એ છે કે નમો ઘાટને લાગીને પ્રાચીન કાશીનગરીનાં અવશેષ છે અને તેને હાથ ન લગાડી શકાય. એને જ લાગીને રોઝા ખાનનો મકબરો છે અને તેને પણ હાથ લગાડી ન શકાય. આ બન્ને જગ્યાઓ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા નોટિફાઇડ છે તેના સંરક્ષણ હેઠળ છે. એની સામે સર્વ સેવા સંઘનો ૧૩ એકરનો કેમ્પસ છે અને એ કેમ્પસને લાગીને જે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનનો દોઢસો એકરનો કેમ્પસ છે. હજુ બીજી જમીન છે, પણ સર્વ સેવા સંઘની જમીન એક દમ સામે છે. જો સર્વ સેવા સંઘની જમીન હાથ ન લાગે તો પણ સંકુલ તો બની શકે, પણ એમાં થોડાથી સંતોષ માનવો પડે.

અધિકારીઓ એ તપાસ કરી તો જાણ થઈ કે સર્વ સેવા સંઘે ઉત્તર રેલવે પાસેથી જમીન ખરીદી છે. તેની પાસે વેચાણખત છે, સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવ્યા એની પાવતીઓ છે અને સાત બારામાં સર્વ સેવા સંઘનું નામ ચડેલું છે. સર્વ સેવા સંઘ ૬૩ વરસથી એ જમીન પર પવૃત્તિ કરે છે. ૬૩ વરસ દરમ્યાન ત્યાં ભારતના પ્રથમ રાષ્ટૃપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ચન્દ્રશેખર, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને એવા બીજાં સેંકડો ખ્યાતનામ લોકોએ કેમ્પસની મુલાકાત લીધી છે. જયપ્રકાશ નારાયણનું એ કેમ્પસમાં નિવાસસ્થાન છે. બાય ધ વે લોહિયાની જેમ જયપ્રકાશ નારાયણે પણ બિહાર આંદોલન વખતે જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા અપાવી હતી અને પોતાના ખભા છોલ્યા હતા. પણ કોઈનો ઉપકાર યાદ રાખવો એ સદ્દગુણ વિકૃતિ છે. કેમ્પસમાં જયપ્રકાશ નારાયણ સ્થાપિત ગાંધી વિદ્યાસંસ્થાન હતું જ્યાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો આવતા-જતા હતા. બાજુમાં જ રેલવેની કોલોની છે એટલે અધિકારીઓની નજર સામે આ પ્રવૃત્તિ ચાલતી હતી અને એ પણ ૬૩ વરસથી.

પણ આદેશનું પાલન કરવાનું હતું. નરેન્દ્ર મોદીના ખાસંખાસ કમિશનર કૌશલરાજ શર્માએ એક મુસલમાનને ઊભો કર્યો અને તેણે ફરિયાદ કરી કે સર્વ સેવા સંઘે રેલવેની જમીન પડાવી લીધી છે. ફરિયાદ પછી રેલવેને જાણ થઈ કે આપણી સાથે છેતરપીંડી થઈ છે. કોઈ વિનોબા ભાવે અને રામકૃષ્ણ બજાજ નામના સખસે આપણી જમીન નકલી દસ્તાવેજો તૈયાર કરીને પડાવી લીધી છે. રેલવેએ ફરિયાદ કરી, જજિલ્લા મેજિસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરી, બન્ને પક્ષોને ત્રણ વાર સાંભળ્યા અને સર્વ સેવા સંઘના દસ્તાવેજોની ખરાઈની ચકાસણી પણ કર્યા વિના ચુકાદો આપ્યો કે હા રેલવે સાથે છેતરપીંડી કરવામાં આવી છે અને જમીન રેલવેની છે. જિલ્લા મેજીસ્ટ્રેટે ૨૭મી જૂનની સવારે ૧૧ વાગે ચુકાદો આપ્યો અને બપોરે બે વાગે રેલવેએ બપોરે બે વાગ્યે નોટિસ આપી કે ૩૦મી તારીખે સવારે જમીનનો કબજો લેવામાં આવશે અને મકાનો ઉપર બુલડોઝર ચાલશે.

બોલો, શું કહેશો આ રાજ માટે? જે માણસે ૧૩ વરસ દેશભરમાં પદયાત્રા કરી અને ૪૮ લાખ એકર જમીન ભૂમિહીનોને આપવા માટે દાનમાં મેળવી અને વહેંચી એ વિનોબા ભાવે નામનાં સખસે રેલવેની ૧૩ એકર જમીન પચાવી પાડી અને એ પણ નકલી દસ્તાવેજો તૈયાર કરીને. વેચાણખત પર જેની સહી છે એ રાધાકૃષ્ણ બજાજ નામના શખસ ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના પરિવારમાંથી આવે છે. જે સર્વ સેવા સંઘ નામની સંસ્થા છે એની સ્થાપના ડૉ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાની જેવા ૫૦ મહાનુભાવોએ મળીને ૧૯૪૮માં ગાંધીજીની હત્યા પછી સેવાગ્રામમાં એક બેઠક બોલાવીને કરી હતી અને રાજેન્દ્રબાબુ તેના પહેલા અધ્યક્ષ હતા. ભૂદાનયાત્રા દરમ્યાન વિનોબા બનારસ હતા ત્યારે તેમણે તે સમયના રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને લખ્યું હતું કે રાજઘાટ નજીક પ્રાચીન કાશી નગરી અને ગંગાની નજીક રેલવેની જમીન આવેલી છે એમાંથી જો થોડીક જમીન રેલવે આપી શકે તો સર્વોદય પ્રવૃત્તિ માટે જોઈએ છે. લાલ બહાદુર શાસ્ત્રીએ કેટલીક જમીન સર્વ સેવા સંઘને આપવાનો નિર્ણય લીધો હતો. એ દરમ્યાન આંધ્ર પ્રદેશમાં મેહબૂબનગર નજીક રેલવે અકસ્માત થયો અને શાસ્ત્રીજીએ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ જગજીવન રામ આવ્યા અને તેમણે શાસ્ત્રીજીના નિર્ણય પર અમલ કર્યો. રેલવેએ તેની જમીન સર્વ સેવા સંઘને આપી નથી, વેચી છે. કેમ્પસનું ઉદ્ઘાટન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું.

કોની સામે આરોપ કરે છે? કાં તો એ લોકો અસંસ્કારી છે અથવા બેશરમ. અમારું રાજ છે ત્યાં વળી કોઈ પૂછનાર કોણ? કોણ ગાંધી અને કોણ ગાંધીના વારસદાર? કોણ રાજેન્દ્ર પ્રસાદ, કોણ લોહિયા, કોણ જેપી અને કોણ લાલ બહાદુર શાસ્ત્રી? કોણ તપસ્વી અને કોણ ત્યાગી? અમે તો ભૂને ઓળખીએ છીએ, ભૂ-દાન એ વળી શું બલા છે. જમીન જોઈએ એટલે જોઈએ.

આ કોઈ પણ ભોગે નમો ઘાટને ભવ્ય બનાવવા માટેની આત્મમુગ્ધતાનું પરિણામ છે કે પછી ગાંધીનો વારસો મીટાવવાનો પ્રયાસ છે? કે પછી બન્ને છે? જવાબ છે; બન્ને. પ્રારંભમાં કહ્યું એમ આ વિષાદજન્ય પ્રહસન છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

...102030...945946947948...960970980...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved