Opinion Magazine
Number of visits: 9457908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મમતાની મૂર્તિઃ ચંદા મહેતા

પ્રીતમ લખલાણી|Diaspora - Features|12 July 2023

પ્રીતમ લખલાણી

તસવીર લગભગ ત્રણેક દાયકાથી પણ જૂનીપુરાણી હોવા છતાં, તસવીરમાંની વ્યકિતને ઓળખતાં મારી આંખને જરા પણ વાર ન લાગી. જે વ્યકિત આજથી અઢીત્રણ દાયકા પૂર્વે જેટલી સુંદર લાગતી હતી, તે આજે ૫૦મા જન્મદિનનાં દ્વાર ખખડાવવા થનગની રહી હોવા છતાં વર્તમાનમાં પણ તસવીર સમી જ આબેહૂબ લાગે છે!

જો આ કાર્ડ આજે ટપાલમાં ન આવ્યું હોત તો કદાચ હું કયારે ય સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકું કે આ જાજરમાન વ્યકિતત્વ ધરાવતાં શ્રીમતી ચંદા મહેતા પચાસ વર્ષનાં હશે! ખરેખર! આ કાર્ડે મને આશ્ચર્યમાં મૂકી દીઘો!

આ અલબેલી, રૂપવતીનાર ચંદા મહેતાથી ભાગ્યે જ રોચેસ્ટરનો કોઈક ભારતીય પરિવાર અપરિચિત હશે! ગુજરાતી રંગભૂમિના તખતાની નાયિકા સમી દીપતી, આ હસતીમલકતી વ્યકિત. કોઈ મહેફિલમાં કે કોઈ સુખદ પ્રસંગે આપણને કયાંક મળી જાય તો! કદાચ આપણું ઘ્યાન હોય કે ન હોય તે આપણને સામે ચાલીને ‘કેમ છો ?’ એમ પૂછતી, આપણી સમીપ આવીને કહેશે! કે હું તમને ફોન કરવાની જ હતી. સારું થયું કે તમે મને અહીંયાં જ મળી ગયા! જો તમારી પાસે બેચાર મિનિટનો સમય હોય તો, મારે તમને એક વાત કરવી છેઃ

‘હમણાં ઈશ્વરઈચ્છાથી ફલાણા આશ્રમ કે ફલાણી પ્રાથમિક શાળા કે ફલાણા ઘરડાઘરના જીર્ણોદ્વાર માટે એક ફંડફાળો હું ભેગો કરી રહી છું. જો તમે આ સંસ્થાને મદદરૂપ થવા ઈચ્છતા હો તો તમે પ્રેમથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી લખાવી શકો છો!”

ઘણી વાર મને મનમાં થાય કે અમેરિકામાં લોકોને રોજિંદા ઘમાલિયા જીવનમાંથી પોતાના અંગત રસ માટે પણ ભાગ્યે જ પળની ફુરસદ મળતી હોય છે, પરંતુ આ સ્ત્રી ઘરકામ, યોગસાઘના અને બાગકામમાં રચીપચી હોવા છતાં, દિવસનો મોટો ભાગનો સમય લોકસેવા માટે કયાંથી કાઢતી હશે?

ચંદા મહેતા

આ વિચારે એક મહેફિલમાં ચંદા મહેતાને મેં મક્ક્મ મને પૂછી જ નાંખ્યું? ‘ચંદા, આ ઉંમરે તો લોકોને ખાવા, પીવા અને ગાવા સિવાય ખાસ બીજી કોઈ બાબતમાં રસ ન હોય, ત્યારે તમે તો સમાજના તરછોડાયેલ લોકોને કાંખમાં લેવા તમારી જાતને ઘસી નાખવાં તલપાપડ થઈ રહ્યાં છો! તેનું કોઈ કારણ?” ચહેરાના હસતા સ્મિતમાં, શ્રાવણથી ભીંજાયેલો પાલવ અને છાતીમાં સાચવેલ ચૈત્રના બળબળતા તડકાની દુઃખદ દાસ્તાન કહેવા હળવેકથી સળગતી મીણબત્તીના અજવાળે ચંદાએ હોઠ ખોલ્યાં :

‘લગભગ આજથી આઠ વર્ષ પહેલાં, મારી એકની એક ઢીંગલી સમી ત્રણ વર્ષની દીકરી પૂજાએ કૅન્સર સમી ભયંકર બીમારી સામે ઝઝૂમતી, અમારી સાથે સંતાકૂકડીની રમત રમતી, એક ધોમધખતી બપોરે અમને વિયોગમાં રડતાં મૂકી ઈશ્વરના ઘેર ચાલી નીકળી.

“તેના વિયોગમાં અને તેની યાદોમાં કેટલા ય દિવસો હું વિષાદમાં ડૂબી જતી. મારી આસપાસ અજંપો છવાયેલ જોઈ શરૂઆતમાં પ્રફુલ્લ પ્રત્યેક ક્ષણે મને વીંટળાઈ રહેતો. સમય જતાં નછૂટકે જીવતરનું ગાડું હાકવા, પ્રફુલ્લને રોજિંદા જીવનમાં ગોઠવાયા સિવાય કોઈ છૂટકો નહોતો.”

‘એક સવારે પ્રફુલ્લના ઑફિસે ગયા બાદ મારા બેકયાર્ડમાં ઊગતા સૂરજના શીતળ તડકામાં પિકનિક ટેબલ પર બેઠીબેઠી ચા પીતી, બ્રેડના નાનાનાના ટુકડા કરી આસપાસમાં પંખીને નાખતી હતી. કુદરતનું કરવું તે સવારે બે ચાર મિનિટમાં તો મારું બેકયાર્ડ અસંખ્ય પંખીઓથી છલકાઈ ગયું. પંખીઓના કલબલાટે મારા ખાલી મનને થોડી વાર માટે હર્ષઘેલું કરી નાંખ્યું.”

‘એવામાં અમારા બેકયાર્ડના ઘેધૂર મેપલ વૃક્ષની ડાળેથી બે ચાર દિવસ પહેલાં જન્મેલ એક પંખીનું બચ્ચું ટોળાં સંગે રમવા ઊતરી આવ્યું. તમે નહીં માનો કુદરતની પણ કેવી કરામત છે! આ બચ્ચાની મા બે દિવસ પહેલાં જ અમારા પડોશીની બીલાડીનો શિકાર થઇ ગઈ હતી. મને અથવા પ્રફુલ્લને સવારસાંજે જ્યારે વખત મળે ત્યારે આ નિરાધાર બચ્ચાના માળામાં દાણાપાણી મૂકીએ. આ તો આપણી પંખી પ્રત્યેની એક દયા-લાગણીની વાત થઈ. જે પ્રેમ, દયા લાગણી ઈશ્વરે આપણા હ્રદયમાં બક્ષી છે તે જ પ્રેમ-લાગણી પશુપંખીને પણ ભગવાને આપી જ હશે તેનો ખ્યાલ મને તે સવારે આવ્યો!”

“હું જે બ્રેડના નાના ટુકડા કરીને પંખીઓ તરફ નાખતી, તે ટોળાંમાં ચણવા ને રમવા વૃક્ષેથી નીચે ઊતરી આવેલા બચ્ચા સુઘી પહોંચતા ન હતા. બચ્ચું બિચારું તાજું જ જન્મેલ હોવાથી તેની પાંખો ફૂટી ન હતી અને થોડાંક જ ડગલાં ચાલવા માટે શકિતમાન હતું. બચ્ચું વૃક્ષના થડ પાસે નમાયું થઈને બેઠું હતું.”

“એવામાં ટોળાંમાંથી એકાદબે પંખીની નજર આ બચ્ચા પર ગઈ. ક્ષણનો પણ વિચાર કર્યા વગર ટપનારા બ્રેડના ટુકડા વીણવા ટોળાંમાં કૂદી પડયાં. ટુકડા વીણીવીણીને જ્યાં પેલું પંખીનું બચ્ચું થડ પાસે બેઠું હતું ત્યાં જઈને તેને હોંશેહોંશે ખવડાવવા લાગ્યાં.”

‘આ જોઈ મને ચા પીતાંપીતાં મનમાં વિચાર આવ્યો કે જો પંખીઓ આ મા વિનાના નિરાઘાર બચ્ચાની કાળજીપૂર્વક સંભાળ લઈ શકતાં હોય તો આપણે મનુષ્ય થઈને આપણી ફરજ કેમ ભૂલી જઈએ?”

“આ બચ્ચા સમા કેટલાંયે માસુમ નિરાઘાર બાળકો માતપિતાના પ્રેમને પામવા તલસતાં હશે! ખેર મારા ભાગ્યમાં મારી દીકરીના લાડકોડ નહીં હોય,, જેવી ઈશ્વરનીઈચ્છા! દુનિયાનાં તમામ નિરાઘાર બાળકોને તો હું પ્રેમ ક્યાંથી અર્પી શકું. પરંતુ આખા જીવન દરમ્યાન એકાદ બે અનાથ બાળકોનાં આંસુ તો જરૂર લૂછી શકું. બસ, આ જ વિચારે મને લોકપ્રેમ તરફ વાળી દીઘી.

“એકાદ બે વરસે જ્યારે પણ ભારત જવાનો મોકો મળે છે. ત્યારે મને ભારતમાં ખાસ ફરવા જવામાં રસ નથી હોતો! ખરેખર માણસોએ નિરાંતે પોતાના ઘરના ચાર ખૂણાને કોઈ દિવસ જોયા નથી અને વિશ્વ જોવા નીકળી પડે છે! ભારત પહોંચી બેચાર દિવસ કુટુંબકબીલા તેમ જ સગાંસંબંઘી મિત્રો સાથે ગાળી અમે પતીપત્ની એક ખાલી બૅગમાં બેચાર કપડાંની જોડી લઈને નીકળી પડીએ. શ્રીમોટાના હરિ ઓમ આશ્રમમાં અથવા કયારેક જો સમયની પાબંદી ન હોય તો ગોરેજમાં આવેલ મુનિસેવા આશ્રમમાં. આ ઉપરાંત સૂરતની આસપાસ શ્રીમોટાના આશીર્વાદથી શરૂ થયેલ શાળાઓમાં તેમ જ સર્વોદય આશ્રમની પ્રવૃત્તિને માણવાં નાનાંમોટાં ગામમાં જઈ ચઢીએ. આવી માતૃપ્રેમી સંસ્થાઓની મુલાકાત લઈ અમે જાણી આવીએ કે અમેરિકામાં બેસીને આપણે આ સંસ્થાઓને કઈ રીતે મદદરૂપ બની શકીએ?”

‘શરૂશરૂમાં અમેરિકામાં આવી સંસ્થાઓ માટે આપણા સમાજમાં રહીને કામ કરવાનો મને ઘણો જ કંટાળો અને માથાનો દુખાવો લાગતો! તમે તો આપણા અહીંયાંના સમાજથી કયાં અજાણ્યા છો! એટલે તમને શી વાત કરું! તમે નહી માનો લોકો પાસે જો તમે એક ડોલર માગો તો આપતાં આપે પણ વગર માગ્યે લાખ શિખામણ આપે!

ખુશીથી મનની પછેડી ખોલીને નિરાંતે વાતો કરતાં ચંદા મહેતાને મારાથી એક બીજો સવાલ પણ પુછાઈ ગયો!

“અઠવાડિયામાં એકાદ બે દિવસ અહીંયાના ઘરડાઘરમાં વસતા અમેરિકન વૃદ્ઘો અને અમેરિકામાં સ્થાયી થયેલ પરિવારમાં જિંદગીના અંતિમ દિવસો ગુજારતા આપણા સિનિયર સિટિઝનો માટે તમે થોડોઝાઝો સમય ખુશીઆનંદ સાથે ફાળવો છો. એ માટે પણ કોઈ એકાદ સચોટ કારણ તો હશે જ! ખરુંને?”

જરા હસીને, પછી ઘીરજ સાથે મારા પુછાયેલા સવાલનો જવાબ આપતાં તેમણે દિલ ખોલ્યુંઃ ‘આપણે આ દેશમાં ફકત ડૉલરના ગાંસડાંપોટલાં જ બાંઘવા નથી આવ્યાં. આપણે જે દેશમાંથી આવ્યા છીએ તેની સંસ્કૃતિને તો કેમ ભૂલી જવાય! આપણી ઋષિપ્રણાલિકા અને વેદોની સંસ્કૃતિ એમ તો નથી કહેતી કે તમે તમારી જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરો! તમારી પાસે જે કંઈ છે તેમાં તમે સંતોષ માનો! જો ઈશ્વરે તમને તમારી લાયકાત કરતાં વિશેષ કંઈક આપ્યું હોય તો તમે જે સ્થળે રહેતાં હોય ત્યાં જ કોઈ પણ જાતનો મનમાં સંકોચ રાખ્યા વિના પ્રેમથી લોકકલ્યાણ અર્થે વાપરો!”

“આ દેશમાં બઘું જ ખરાબ છે અને ભારતમાં બઘું જ સારું છે એવું કંઈ નથી! ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ! એટલે જો આપણે આ દેશના સમાજની સારી વાતોને આપણા રોજિંદા જીવનમાં હસતાંહસતાં ગૂંથી લઈએ તો કદાચ સોનામાં સુગંઘ ભળે! આ અમેરિકન પ્રજાને કયાં ય નાતજાત કે કોઈ સંપ્રદાય સાથે લેવાદેવા નથી. તેમની પાસે મોટામાં મોટી મૂડી હોય તો તે છે પ્રામાણિકતા અને માનવતા!

“આપણે નાતજાત અને ઘર્મના વાડા બનાવવામાં માનવતાને ભૂલી ગયા છીએ. જે સમાજ માનતો હોય કે પૈસો જ મારો પરમેશ્વર તેની પાસેથી આપણે શી અપેક્ષા રાખી શકીએ! ડૉલર પાછળ ગાંડા થઈને દોડતા આપણા સમાજના ઘણા પરિવારો, ભારતથી માબાપને અમેરિકા લઈ આવે છે. શું એમની સેવાચાકરી કરવાના અર્થે! નકરા પોતાના અંગત સ્વાર્થ ખાતર! પતિપત્ની બંને આખો દિવસ ડૉલર રળવા કામે જાય. ત્યારે ઘરે ઘરડાં માબાપને સંતાનોનું બેબીસીટિંગ કરવા મૂકી જાય. કદાચ આ વાત તો આપણા ગળે ઊતરી જાય, પરંતુ બાળકોના બેબીસીટિંગ સાથો સાથ ઘરનું નાનુંમોટું કામ કાજ તો કરવાનું અને વળી સાંજે વહુદીકરો કે દીકરીજમાઈ ઘરે આવે ત્યારે ગરમાગરમ ડિનર રાંઘી રાખવાનું તો નોખું જ!”

“આવા ઘરે એકલતા અનુભવતાં માબાપોને અવારનવાર તેમના જેવા બીજા પરિવારનાં માબાપો સાથે હળવામળવા ભેગા કરી લંચ ગોઠવવાનું મને મનથી ઊમળકો થાય. ક્યારેક બેપાંચ પરિવારના વડીલ મિત્રોને અહીંયા બાગબગીચે કે શૉપિંગ સેન્ટરમાં કે ડૉકટરની ઑફિસે લઈ જવાનો જો મને ઓચિંતો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે દિવસ પૂરતી હું મારી જાતને ઘન્ય માનું છું!”

“આ છે આપણા સમાજના સિક્કાની એક બાજુ, એવી જ દુઃખભરી કથા આપણને ડગલે ને પગલે અમેરિકાના સમાજમાં જીવતાં વૃદ્ઘોના જીવનમાં જોવા મળે છે. ક્યારેક કોઈ ઘરડાઘરની અચાનક મુલાકાતે પહોંચી જાઉં છું અને ત્યાં ગયા બાદ ત્યાં વસતા લોકોને મળી તેમની જીવનવ્યથા સાંભળું છું ત્યારે ખરેખર! મારું મન દૃવી ઊઠે છે.”

“જેમને પોતાનાં સંતાનો પાછળ પોતાની જાતને ઘસી નાખી હોય છે. તે સંતાનોને માબાપ જ્યારે જિંદગીમાં બોજારૂપ બનવા માંડે છે ત્યારે તેઓ તેમને આ ઘરડાઘરમાં ધકેલી દે છે. બિચારાં પાસે શું નથી હોતું! લખલૂટ દોલત હોવા છતાં જીવનમાં એકલતા અનુભવતાં હોય છે. કોઈ સાથે બેચાર ક્ષણ મનનો અજંપો દૂર કરવા વલખાં મારતાં કેટલા દિવસોથી રાહ જોઈને બેઠાં હોય છે.”

“આવા ઘરડા નાગરિકોને જ્યારે હું ઘરડાઘરમાં મળવા જાઉં છું ત્યારે તેમના ચહેરા પર એક અનોખા પ્રકારના સુખની રેખા જોઈ, જીવનમાં એકાદ ક્ષણ આનંદમય જીવ્યાની અનુભૂતિ થાય છે. મને જોઈને તેઓ એટલાં બઘા ખુશ હોય છે કે જાણે પોતાનાં જણ્યાંને વરસો બાદ ન મળતાં હોય!”

આ પ્રમાણે કહ્યા પછી જરાક હળવી મજાક કરતાં મને કહે કેઃ “ભલા કોને ખબર છે? આવતી કાલની! ન કરે નારાયણ અને મારે અહીંયાં આવા એકાદ ઘરડાઘરમાં ભવિષ્યમાં જવાનો વારો આવે તો? જીવનમાં અનુભવ મળ્યો હોય તો પછી મનમાં કોઈ ખૂણે તેનો કોઈ સંતાપ ન રહે!”

કેટલી સાહજિકતા! નિરભિમાની ….. કયાં ય કૃત્રિમતાનું પ્રદર્શન નહીં.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

આચાર્ય હોવું શી વસ છે : પૂછો કુંજવિહારી  સી. મહેતાને ને બીજાઓને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 July 2023

કે.સી., યશવન્ત શુક્લ, જયેન્દ્ર ત્રિવેદી : આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કૉલેજના સભાખંડમાં ભણાવતે છતે સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને કૈંક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા … પછી એલિયેનશન તો બચાડું માર્યું જ ફરે ને!

મહાનગર સુરત આચાર્ય કુંજવિહારી સી. મહેતાને શતાબ્દી વંદના પાઠવી રહ્યું છે તે નવસારીના આ સંતાને સુરતમાં સ્વકીય ખીલો ખોડી જે કામગીરી બજાવી એ દક્ષિણ ગુજરાત સારુ એક મિસાલ જરૂર છે.  પણ એમને વિશે, એમની કામગીરીને કરતબ વિશે, થોડીક વાતો કરવા સાથે આ લખતી વેળાએ મારો ખયાલ મહાનગર ગુજરાતે હજુ હમણેના સૈકામાં જે આચાર્યો જોયા એમની હાજરી નગરજીવનમાં, કહો કે જાહેર જીવનમાં કેવી પ્રભાવક ને પ્રવર્તક હતી એની થોડીએક ચર્ચા કરવાનો છે.

કુંજવિહારી મહેતા

ગયા સૈકામાં એક-દોઢ દાયકાના અંતરે આગળપાછળ આવેલા બીજા બે આચાર્યોને જો મારે નમૂના દાખલ સંભારવા હોય તો હું યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદીને યાદ કરવા પસંદ કરું. બીજાં પણ નામો ન સંભારી શકાય એમ નથી, પણ કે.સી. અગર મહેતાસાહેબ કહેતાં કુંજવિહારી મહેતા, યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદી એ ત્રણ નામો મને સૂઝી આવ્યાં તે એમની ચોક્કસ વિશેષતાને કારણે. સામાન્યપણે આચાર્ય કહેતાં કોઈ અભ્યાસી પ્રતિભા અને ઉત્તમ શિક્ષક, એવું તદ્દન સમજાઈ રહે છે જે આ ત્રણે પોતપોતાની રીતે હતા. યશવન્ત શુક્લ બહુપ્રતિભ અને સર્વવિષયવિહારી હતા. મૂળે વિજ્ઞાનના સ્નાતક જયેન્દ્ર ત્રિવેદીની કારકિર્દી હિંદી ભાષા સાહિત્યમાં વિશેષ રૂપે કોળી. કુંજવિહારી મહેતા વળી ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યમાં રમેલા. આટલી ઓળખાણે આ ત્રણે સારુ અપૂરતી અલબત્ત નથી. બલકે, ઉમાશંકરને વર્ગ એ સ્વર્ગ લાગતો તેવી ઉત્તમ શૈક્ષણિક ક્ષણો, ભગવાન અને ભક્તને એક સાથે આલોકિત કરતી આરતી પેઠે, શિક્ષક ને વિદ્યાર્થી બેઉને સારુ સ્મરણીય અને સ્પૃહણીય બની રહે છે.

યશવંત શુક્લ

તો પછી, મને આ ક્ષણે અભીષ્ટ વિશેષતા શી વાતે છે? ભાઈ, ગઈ સદીએ ત્રીસનાં વર્ષોમાં અને તે પછી ખાસ તો ત્રીજી પચીસીનાં પાછલાં વરસોમાં વિશ્વભરમાં એક યુવા છટપટાહટ, કંઈક વિદ્રોહી છટા જોઈ. માર્ક્સનિરૂપ્યા વર્ગ સંઘર્ષને સ્થાને હવે માર્ક્સખ્યાત વય સંઘર્ષ નવપરિવર્તનનું ચાલકબળ બની રહેશે કે કેમ એવી એક સ્થિતિ પણ જાણે કે આપણી સમક્ષ આવી. આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કોલેજના સભાગૃહમાં, સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને જાહેર કામ સાથે કંઈક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા. એલિયેનેશનનું એક વિશ્વવલણ, કેમ જાણે સમજની રીતે, સાહિત્યકૃતિનાં બે પૂંઠાં બહાર લોક સાથે, લોકોના પ્રશ્ન સાથે, પ્રત્યક્ષ કૃતિની રીતે નહીં તો કંઈક પરિચયરૂપે એથી યુવજનોનું સહજ સંધાન થતું.

કુંજવિહારી મહેતા અને યશવન્ત શુક્લ અચ્છા કટારચી હતા. એમનું શિક્ષણ વર્ગની વંડી ઠેકીને છાપાં વાટે લોકશિક્ષણનું રૂપ લેતું. સુરતે મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે પારસી લઢણનો એક સોજ્જો શબ્દ રૂઢ કરેલો છે – શહેરી બાવા. (હું ધારું છું, સિટી ફાધર્સનું અનુરણન હશે.) આપણા આ આચાર્યો વણચૂંટાયે શહેરી બાવા હતા, કેમ કે નગર જીવનના પ્રશ્નોમાં એમની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હતી.

મેં હમણાં ગઈ સદીના ત્રીજા ચરણની જિકર કરી. 1968માં યુરોપ-અમેરિકાનાં કેમ્પસોએ છાત્ર ઉઠાવ જોયો, તે પછીનાં ત્રણ-ચાર વરસમાં આપણે નવનિર્માણનો છાત્ર યુવા ઉદ્રેક જોયો. આ ઉદ્રેકમાં આપણા આચાર્યો ક્યાં હતા? યુવાનો સાથે સંવાદ અને માર્ગદર્શનનો હૂંફાળો નાતો એમનો હતો. શિસ્તના પ્રશ્નો પણ અલબત્ત થયા હશે, પણ નાતો સમજનો. નવનિર્માણ આંદોલનના દિવસોમાં ય મહેતાસાહેબે એમ.ટી.બી. કેમ્પસમાં પોલીસપ્રવેશ થવા દીધો નહોતો એ શિક્ષણ ક્ષેત્રે એક સ્વરાજ સંદેશ લેખે ચિરયાદગાર લેખાશે. આમ જુઓ તો પાછલાં વર્ષોમાં એ ‘શિશુ સહાય ટ્રસ્ટ’માં નિમિત્ત બન્યા તે પણ કથિત નિમ્ન વર્ગના ઉત્કર્ષ માટે અગ્ર વર્ગ કને અપેક્ષિત સહૃદય સક્રિયતાની જ એક સ્વરાજયાત્રા છે.

હિમાંશી શેલતે ‘મુક્તિ-વૃતાંત’માં કટોકટીના દિવસોમાં કોલેજમાં દુર્ગા ભાગવતને નિમંત્રી શકાયાની કે મોહન ધારિયા સાથે અધ્યાપક ખંડમાં છેડાયેલી બહસની જિકર કરી છે. આ બધાંની પૂંઠે મહેતાસાહેબની હાજરી તમને ખસૂસ વરતાશે.

કે.સી. અધ્યાપક ખંડમાં ચા વખતે સામેલ થવાનો આગ્રહ રાખતા. એ અનૌપચારિક વાર્તાલાપ ક્ષણોમાં કેવા વિષયો છેડતા હશે! યશવન્ત શુક્લના આચાર્યકાળમાં એચ.કે. આર્ટ્સ કોલેજનો અધ્યાપક ખંડ કેટલીયે વાર યુનિવર્સિટી શિક્ષણથી માંડી જાહેર બાબતોમાં એક પ્રકારે સમશોધન ગૃહ (ક્લીઅરન્સ હાઉસ) જેવો અનુભવાયાનું જાણ્યું-સાંભળ્યું છે. ભાવનગરમાં નવનિર્માણ-જેપી દિવસોમાં લોકશક્તિ સંગઠન પ્રકારની પ્રવૃત્તિ પહેલ શક્ય બની. એમાં જયેન્દ્ર ત્રિવેદીનીયે ચોક્કસ ભૂમિકા હતી. જયેન્દ્ર ત્રિવેદીનું સંવેદન‌વિશ્વ કેટલું વિશાળ હશે! બનારસ યુનિવર્સિટીના હિંદીના એમ.એ. એટલે પ્રેમચંદ-શિવરાણી દામ્પત્ય વિશે લખ્યું એમાં કદાચ નવાઈ ન લાગે … પણ બે અનોખાં દામ્પત્યની વાત કરતે કરતે એમણે માર્ક્સ અને જેપીને પણ યાદ કર્યાઁ છે.

હમણાં જ, 103મે વિદેહ થયેલાં અધ્યાપિકા વિમલ નવલકરે વર્ષો પર કે.સી. વિશે લખતાં એમની પ્રિય પંક્તિઓ સંભારી હતી :

Come, my friends.

‘Tis not too late to seek a newer world …

Made weak by time and fate, but strong in will

To strive, to seek, to find, and not to yield.

દોસ્તો, સફરના સાથીઓ, નવી દુનિયાની ખોજ વાસ્તે હજુ એટલું મોડું નથી થયું : કાળના સપાટાએ કંઈક નિર્બળ બનેલા આપણે ઈરાદાના પાકા છીએ … સતત મથવું, જોવું ને ખોજવું, ન કદાપિ ઝૂકવું!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 જુલાઈ 2023

Loading

સમુદ્ર કિનારા ધોવાય છે, પહાડોની ટેકરીઓ ખોદાય છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 July 2023

ચંદુ મહેરિયા

ખતરનાક બિપરજોય વવાઝોડાના સંકટને ગુજરાતના સાબદા વહીવટીતંત્રે પાર પાડ્યું છે. અગમચેતીનાં પગલાંને કારણે માનવમૃત્યુ અટકાવી શકાયા છે. જો કે વાવાઝોડાની બીજી ઘણી અસરો ટાળી શકાઈ નથી. વાવાઝોડાથી થયેલી નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતના દરિયાકાંઠાને અને કિનારા નજીકના વિસ્તારોને થયેલા નુકસાનનો સમાવેશ થાય છે કે કેમ તેની ખબર નથી. પરંતુ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય હસ્તકના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ(એન.સી.સી.આર.)નો તાજો રિપોર્ટ જણાવે છે, બલકે ચેતવે છે કે, દેશની સમુદ્રી સીમા વાવાઝોડા, સમુદ્રી જળસ્તરમાં વધારો અને બીજાં કારણોથી ધોવાઈ રહી છે, સંકોચાઈ રહી છે.  અને કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યા છે.

હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ભારતમાં આવેલા ત્રણ સમુદ્રો છે. દેશના અગિયાર રાજ્યોમાં વિસ્તરેલો કુલ સમુદ્ર તટ ૬,૯૦૭ કિલોમીટરનો છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, ચેન્નઈના અહેવાલ પ્રમાણે સમુદ્ર કિનારાનો ઘણો હિસ્સો છેલ્લા ત્રણ દાયકામાં ક્ષતિગ્રસ્ત થયો છે. ગુજરાતના ૫૩૭.૫૦ કિ.મી.ના સમુદ્રકિનારાનું ધોવાણ થયું છે. તમિલનાડુનો ૪૨૨.૯૪ કિ.મી. અને આન્ધ્ર પ્રદેશનો ૨૯૪.૮૯ કિ.મી. દરિયાકિનારો ધોવાઈ ગયો છે. ટકાવારીની દૃષ્ટિએ કેરળના કુલ પૈકી ૫૬.૨ ટકા, તમિલનાડુના ૪૨.૭ ટકા અને ગુજરાતના ૩૬.૨ ટકા દરિયાકિનારાનું ધોવાણ થયું છે. 

દેશના સૌથી સુંદર પુડુચેરી અને નાનકડા દમણ-દીવના દરિયાકિનારા પણ ધોવાણમાંથી બાકાત નથી. દેશના ઝડપી ધોવાણના લગભગ સો દરિયાકિનારા અલગ તારવ્યા છે. તેમાં ચોથા ભાગના (૨૮) તમિલનાડુના છે. તે પછીના ક્રમે પશ્ચિમ બંગાળ (૧૬) અને આંધ્ર પ્રદેશ (૭) છે. નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફરમેશન સેન્ટરના આંકડા પ્રમાણે ૧૯૯૦થી ૨૦૧૮ના અઠાવીસ વરસોમાં સમુદ્રના જળસ્તરમાં વધારાના કારણે કિનારા વિસ્તારોમાં ફેરફાર થયા છે. આ વરસોમાં કિનારાનો ૩૩ ટકા વિસ્તાર સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે અને ૨૬ ટકા પર ખતરો છે.

સમુદ્ર તટના સંકોચન, ધોવાણ કે તટ વિસ્તારોના સમુદ્રમાં વિલીન થવાની સમસ્યા મુખ્યત્વે માનવસર્જિત છે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિ થાય છે. ઓઝોનના કવચનો નાશ તથા વાતાવરણમાં કાર્બન મોનોકસાઈડનું વધતું પ્રમાણ પૃથ્વીનું તાપમાન વધારે છે. તેનાથી સમુદ્રનું જળસ્તર વધે છે. તેના અને સમુદ્રી તોફાનો કે વાવાઝોડાને કારણે દરિયાકિનારાનું ધોવાણ થાય છે. સાગરની લહેરોની દિશા બદલાવાની બાબત ઘણી બાબતો પર નિર્ભર છે. પરંતુ સમુદ્ર કિનારાના સંરક્ષણનો અહેવાલ સ્પષ્ટપણે આ માટેનું સૌથી મોટું કારણ દરિયાકિનારે વધતું શહેરીકરણ અને ઔદ્યોગિકરણને ગણાવે છે. ઉધ્યોગો અને શહેરો દરિયાકિનારાની સાવ નજીક આવતાં કિનારા પરની હરિયાળી નાશ પામી છે, જે ધોવાણ અટકાવતી હતી. જમીનનું ધોવાણ અટકાવવા માટેના મેગ્રોવને મહાનગરોમાં નામશેષ કરાયા છે. પુરીના દરિયાકિનારે લગાવેલા ખજૂરીના ઝાડ પણ કાપી નાખવામાં આવ્યા છે. તેથી ધોવાણ થતું અટકતું નથી.

દરિયામાં વિસર્જિત થતી ઘણી નદીઓના મિલનસ્થળ પર ખાડીઓનું અસ્તિત્વ જેવી ભૌગોલિક સ્થિતિ પણ આ માટે જવાબદાર છે. નદીઓના મુખની સ્થિતિ પણ સમુદ્રના વ્યવહારને અસ્થિર કરે છે. ભરતી-ઓટ, પવનની દિશા અને નદીઓના પ્રવાહમાં પરિવર્તન પણ સમુદ્રને અસર કરે છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ અન્વયે સમુદ્ર કિનારાના સંરક્ષણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(સી.આર.ઝેડ.) અને નો ડેવલપમેન્ટ ઝોન બનાવ્યા છે. પરંતુ તેના અમલના અભાવે સમુદ્રકિનારાની નિર્ધારિત સીમાની અંદર કે નજીક બાંધકામો થાય છે. જે સમુદ્રતટને અને  કિનારાના વિસ્તારોને અસર કરે છે. 

કિનારા વિસ્તારોના દરિયામાં વિલોપનની ગંભીર આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરો પેદા થાય છે. કિનારે રહેતા માછીમારો, ખેડૂતો અને વસ્તીઓ સામે અસ્તિત્વ ટકાવવાનું સંકટ પેદા થાય છે. ઘણા લોકોને વિસ્થાપિત થવું પડે છે. નદીઓ અને સમુદ્રના મિલન સ્થળોનાં ધોવાણને કારણે નદીઓ ગંદી બને છે. કોઈ શહેરો ડૂબી જવાનો કે પ્રલયનો ખતરો હજુ ઊભો થયો નથી પરંતુ આ સ્થિતિ ચાલુ રહેવાથી ભવિષ્યમાં તેમ થવાની શક્યતા નકારી શકાતી નથી. કેરળના ત્રિવેન્દ્રમ જિલ્લાના ૫૮ કિલોમીટરના સમુદ્ર કિનારાનો ૨.૬૨ વર્ગ કિ.મી. હિસ્સો છેલ્લાં પંદરેક વરસોમાં તૂટીને સાગરમાં સમાઈ ગયો છે. આ ધોવાણ હજુ વધશે તેવું યુનિવર્સિટી ઓફ કેરલનું સંશોધન જણાવે છે. દુનિયાના અડધા રેતીલા સમુદ્ર તટ (બીચ) આ સદીના અંતે ગાયબ થઈ જશે તેવો અભ્યાસ દર્શાવે છે કે આ એક વૈશ્વિક સમસ્યા છે પરંતુ ભારતમાં તે બહુ ઝડપથી વકરી રહી છે.

કુદરત સાથેની મનુષ્યની છેડછાડનું બીજું ઉદાહરણ પહાડોમાં થતું માઈનિંગ (ખાણકામ) છે. ગુજરાતના ખેડબ્રહ્માથી દિલ્હીના રાયસીના હિલ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એ ચાર રાજ્યોમાં ફેલાયેલી ૬૭૦ કિ.મી. લાંબી અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ પર્વતશ્રુંખલા એક સદી પછી લુપ્ત થઈ જવાની દહેશત ઊભી થઈ છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલય રાજસ્થાનના સંશોધકોએ ચાર રાજ્યોની સરહદો પર સેટેલાઈટ ઈમેજ અને જમીન વપરાશના નકશાનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૫થી ૨૦૧૯ના ૪૪ વરસોના તેમના અભ્યાસનું તારણ છે કે અરવલ્લીની ૫,૭૭૨.૭ ચો. કિમી. પર્વતમાળા, જે કુલ પર્વતમાળાનો ૭.૬ ટકા હિસ્સો છે, માઈનિંગમાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર અને રાજકારણીઓની ઓથને લીધે ખાણમાફિયાઓ આમ કરી શક્યા છે. અદાલતો, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીથી અરવલ્લીના અસ્તિત્વ સામેનું  સંકટ બહાર આવ્યું છે. અરવલીનો ૮૦ ટકા હિસ્સો રાજસ્થાનમાં છે અને રાજસ્થાનને થારના રણવિસ્તારને આગળ વધતું તે અટકાવે છે પરંતુ રાજસ્થાનમાં પણ ખાણમાફિયાઓનું જોર છે. ૧૩૮માંથી ૨૮ પહાડી ટેકરીઓ રાજસ્થાનમાં ગાયબ થયાનું ખુદ સરકારે કબૂલ્યું છે.

હરિયાણા સરકારે ૨૦૧૯માં અરવલ્લીના સંરક્ષિત વન ક્ષેત્રમાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા, નવા બાંધકામની મંજૂરી આપવા અને વૃક્ષો કાપવા કાયદો સુધાર્યો હતો. આ સુધારાથી અરવલ્લીની ૨૯,૬૮૨ હેકટર સંરક્ષિત જમીન બાંધકામ માટે ખુલ્લી થવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હરિયાણાના લો એમેન્ડમેન્ટને સ્ટે કર્યો હતો. તેથી અરવલ્લીનું કામચલાઉ રક્ષણ થયું છે.

અરવલ્લી પર્વતમાળા ક્ષેત્રમાં ૧૯૮૦માં ૨૪૭ વર્ગ કિ.મી.માં વસ્તી હતી. ૨૦૨૧માં ૬૩૮ વર્ગ કિ.મી. થઈ છે. તેના ૪૭ વર્ગ કિ.મી. વિસ્તારમાં કારખાના છે. એકવીસમી સદીના આરંભે અરવલ્લીનો ૮૦ ટકા વિસ્તાર લીલોછમ્મ હતો, જે વીસ વરસમાં ઘટીને ૭ ટકા જ રહ્યો છે. શહેરીકરણ, જમીનઅતિક્રમણ અને ગેરકાયદે ખાણકામ અરવલ્લીની બરબાદી નોતરી રહ્યા છે. કેટલીક પહાડીઓ ખીણમાં કે ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક પર વસાહતો બની ગઈ છે.

પ્રદૂષણ, રેતીના વંટોળ-આંધીમાં વૃદ્ધિ, રણનો વિસ્તાર અને દુષ્કાળનો ભય જેવી ગંભીર અસરો અરવલ્લીની ટેકરીઓ લુપ્ત થવાથી થશે. સમુદ્ર કિનારાનું ધોવાણ અને પહાડોનું અત્યાધિક દોહન મનુષ્યના વિનાશનું કારણ બની શકે છે તેનાથી જ્ઞાત હોવા છતાં આપણે કેમ જાગ્રત થતા નથી ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...940941942943...950960970...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved