Opinion Magazine
Number of visits: 9666243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાગડો

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|16 October 2023

પ્રીતમ લખલાણી

રંગવાળા શેઠમાંથી રંગીલા બાપુ બનવામાં નવનીતલાલની આંખોનું યોગદાન બહુ જ મોટું હતું!

પાંસઠ વર્ષની ઉંમરે માણસ પ્રભુ ભજનમાં ખોવાઈ જાય. પણ આ નવનીતલાલ તો બીજે જ રવાડે ચઢી ગયા હતા. રસ્તે આવતી-જતી ફકત આઘેડ વયની જ સ્ત્રીઓમાં જ નહીં, પરંતુ બાલ્ય અવસ્થામાંથી યૌવન કાળમાં પ્રવેશલ કન્યાના ફ્રોકને ફૂટેલાં સ્તન પર કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી સૂરમો આંજેલ નવનીતલાલની આંખો એકાદ બે ક્ષણ માટે નેત્ર-સુખનો લ્હાવો માણી લેતી.

ઘરમાં ચાર જન વચ્ચે બે નોકર હોવા છતાં નવનીતલાલે શાક્ભાજી લાવવાનું કામકાજ પોતાના માથે રાખ્યું હતું. દિવસમાં બે વાર શાક્ભાજી લેવા આવતા નવનીતલાલને મન શાકભાજીની ખાસ કોઈ કીંમત ન હતી. તેમને તો બસ, બટક-બટક બોલતી, નેણ ઊલાળતી, યૌવનથી છલકાતી મદ મસ્ત કાયાવાળી શાકવાળી દેખાણી એટલે ગંગા નાહ્યા. શાકવાળીનું ત્રાજવું કેટલું ઉપર-નીચે જાય છે એ જોવા કરતાં, તેમના કાળાં ચશ્માંની ફ્રેમમાં ડોકાતી ટગર ટગર જોતી આંખ ને શાકવાળીના પાતળા પાલવ હેઠળ દરિયાના મોજાની જેમ ઊછળતી ઘડકન જોવામાં વઘારે સુખ મળતું.

કયારેક દીકરાની વહુ નંદિની બપોર ટાણે કોઈ એકાદ બહેનપણી સાથે ભરતકામ કરવા એના બેડ રૂમમાં બેઠી હોય, ત્યારે હિંચકે બેઠા સોપારી વેતરતા નવનીતલાલ રાહ જોઈને જ બેઠા હોય, કે ક્યારે મહારાજ રસોડામાંથી ચા-નાસ્તાની ટ્રે લઈને વહુના રૂમ તરફ જવા નીકળે. જેવા મહારાજને રસોડામાંથી ચા-નાસ્તો લઈને આવતા જુએ એટલે નવનીતલાલ સફાળા હિંચકેથી ઊભા થઈ મહારાજને કહેશે, ‘તમે મારી એક કપ ખાંડ વિનાની ચા જલદીથી બનાવી નાખો તો. લાવો હું જ નંદિની અને તેની બહેનપણી ભાવનાને ચા નાસ્તો આપી આવું.’ આમ ચા નાસ્તાને બહાને બે બહેનપણીઓ વચ્ચે ટપકી પડેલ નવનીતલાલ ઘીમે રહીને સામે પડેલ ખાલી ખુરશી પર લંબાવતા, ઘોતિયાના છેડે ચશ્માંને લુંછતા ભાવનાના નવા પંજાબી ચૂડીદારના વખાણ કરતા કહશે,’ દીકરા ભાવના, આ ગુલાબી રંગ તારી કાયાને કેટલો આબેહૂબ શોભે છે. બાકી તને શું કહું!’ કાકાના આ વખાણમાં ખુશ થતી ભોળી ભાવના શરમાઈ પડે અને જો ભૂલથી તેની પાતળી ઓઢણી છાતીએથી સરી ગઈ તો ઘબકતી ભરાવદાર છાતી પર નવનીતલાલની બે આંખો ફરી વળતી.

વહુ નંદિની પરણીને સાસરે આવી ત્યારે સાસુ બાને પ્રથમ દિવસે પગે લાગવા તે નમી ત્યારે તેમણે કાનમાં એક શિખામણ આપી હતી, ‘દીકરી નંદિની, તમે ભલે આપણા કુંટુબમાં કોઈની લાજ ન કાઢો તો કાંઈ નહીં! પરંતુ તમારા સસરાની સામે બને ત્યાં લગી ખુલ્લે મોઢે ના જશો! તમારા સસરા થકી જ આપણું ખોરડું ગામમાં પાંચ ખોરડામાં પૂછાય છે.’ સમય જતા નંદિનીને તાગ કાઢતા વાર ન લાગી કે સાસુ બા શું કામ મને સસરાજીની લાજ કાઢવાનું કહેતાં હતાં.

******************************

એક સવારે ગામ આખામાં હાહા કાર મચી ગયો. ઓળખીતા પારખતા ચોરેને ચૌટે એક જ વાત કરતા હતા. નવનીતલાલને તો ભલા કયાં ય નખમાંએ રોગ ન હોતો. આમ કોઈને કીઘા-કારવ્યા વિના કેમ મોટે ગામતરે ચાલી નીકળ્યા? પાણીના રેલા સમા સમયને જતા કયાં વાર લાગે છે! પરિવાર હજી નવનીતલાલના મૃત્યુનાં રહસ્યમાં જ ગુચવાયેલ હતું ત્યાં તો તેમનું શ્રાદ્ઘ આવી ગયું.

નવનીતલાલનો પ્રથમ શ્રાદ્ઘ દિન હોવાથી સાસુ શારદાગૌરી બ્રાહ્મણોને દાન દક્ષિણા તેમ જ સીઘું દેવા હવેલી તેમ જ મંદિરે જવા નીકળતાં પહેલાં ઓસરીના હિંચકે શાક સમારતી નંદિનીને કહ્યું, ‘રસોડામાં લગભગ બઘી જ રસોઈ તૈયાર છે, બસ તું શાક સુઘારી લે એટલે આછા તાપે ચુલ્લા પર ચોડવવા મૂકીને તૈયાર રહજે ત્યાં લગીમાં દુકાનેથી આભિષેક પણ આવી જશે અને હું પણ મંદિરેથી આવી જઈશ. બસ પછી મેડીએ જઈને કાગવાસ નાખીને આપને બઘા સાથે જમવા બેસીશું.’

રોજની જેમ આજે ઘરમાં બૂમ બરાડા પાડીને નંદિનીને પ્રત્યેક ક્ષણે બોલાવવા વાળું કોઈ હતું નહીં. એટલે તેણે નિરાંતે નાહવાની તૈયારી કરવા માંડી. બાથરૂમમાં નહાવા બેસતાં પહેલાં ટેપરેકોર્ડર પર મનગમતી કેસેટ ચઢાવી. ઠંડા પાણીના ઘીમા શાવરમાં, ટેપરેકોર્ડરમાં વાગતાં ગીતને મનોમન ગુન ગુનાવતી વિચારતી હતી. ડોસાએ જીવતા આ કાયા પર કયાં ક્યાં નજર નહીં નાખી હોય? આજ તેમનું શ્રાદ્ઘ છે. ચાલ તર્પણ પણ કરી જ નાખું. આ વિચાર સાથે બાજુમાં પડેલ સાબુને હથેળીમાં લઈ નંદિનીએ છાતી, સ્તન, નિતબ્બ, કમર તેમ જ પેડુએ ચોળી ચોળીને એવા તેને ઘસ્યા કે ડોસાની મેલી નજર મેલ સાથે ઠંડાં પાણીમાં ગટરમાં વહી જાય.

આમ હોંશે હોંશે શરીરને ઘસીને નહાતી નંદિનીને અચાનક કાને, કોઈક ઘીમેથી બારી ખખડાવી રહ્યું તેવો, ઝીણો અવાજ પડ્યો. તેણે શાવર તેમ જ ટેપરેકોર્ડરને બંઘ કરી, કાનને બારી તરફ માંડ્યા કે   કે અવાજ ખરેખર બારીમાંથી જ આવી રહ્યો છે કે પછી આમ ખોટો ભ્રમ થઈ રહ્યો છે. અને ત્યાં તો ખટ ખટ કરતો નાજુક અવાજ ફરી તેના કાને પડ્યો. તેને બાથરૂમમાં ચારે બાજુ ડોક ફેરવીને જોયું પણ તેની નજરમાં કોઈ પડ્યું નહીં. તો પછી આ અવાજ કયાંથી આવી રહ્યો છે? આ વિચાર સાથે તેના હ્રદયની ઘડકન તેજ થઈ, મનને કોઈ મંગળ-અમંગલ વિચાર ઘેરી વળે તે પહેલાં જ અચાનક નંદિની નજર બારીના અઘ ખુલ્લા વેન્ટિલેશન ઊપર પડી અને એ ચમકી ઊઠી.

વેન્ટિલેશનની જાળીએ બેસીને એક કાગડો, ફાટી આંખે એના નગ્ન દેહ તરફ ટગર-ટગર તાકી રહ્યો હતો. થોડી થોડી વાર ડોકું હલાવતો, ચાંચથી કાચને ટકોરા મારતો વારા ફરતી બંને આંખે, નંદિનીની રૂપાળી, મદ મસ્ત કાયાના કૌવતનું રસપાન કરી રહ્યો હતો. તરત, નંદિનીએ ખીંટીએ ટિંગાળેલા ટુવાલને તરત ખેંચીને પોતાની છાતી ઢાંકી દીઘી. બારી તરફ ગુસ્સામાં બ્રાનો ઘા કરતાં બરાડી ઊઠી, ‘અરે, ડોસા તું મુવા પછી કાગડો થયો, તો ય આ ડોળા નાંખવાની તારી કુટેવ ગઈ નહીં?’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

નથુ ગરચરનાં રેતશિલ્પ  : કલાકો સુધી સર્જન, મિનિટોમાં વિસર્જન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 October 2023

પુસ્તક પરિચય

‘રેતશિલ્પના રૂપસાધક : નથુ ગરચર’ પુસ્તકમાં પોરબંદરના અલગારી કલાકારના બસો સાઠ શિલ્પોના શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ છે, જે તેમની અસાધારણ પ્રતિભાની ઝલક માત્ર આપે છે.

સુદામાનગરીના સાગરતીરે પળેપળ સરી જતી રેતીમાંથી 67 વર્ષના નથુભાઈએ, વીતેલા તપ દરમિયાન પોતાની પ્રતિભાથી સર્જેલી પંદરસો જેટલી કલાકૃતિઓ દરિયાદેવને અર્પી છે.

જેનો કણ કણ છૂટો જ રહેતો હોય તેવી કલાસામગ્રી એટલે કે રેતીના કણોને એકત્ર રાખનાર કોઈ દ્રવ્ય, કે આકૃતિને આધાર આપવા માટેના કોઈ પણ ટેકા વિના, રેતશિલ્પનો સર્જક ઊભી મૂર્તીઓ બનાવે – કમાન સુદ્ધાં બનાવે – એ અચંબો આપનારું કૌશલ્ય છે.

પુસ્તકનું સંપાદન સન્નિષ્ઠ કલાસંવર્ધક રમણીક ઝાપડિયાએ કર્યું છે. તેમની દૃષ્ટિ હેઠળ ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલાં આ પુસ્તકનું પ્રકાશન या देवी सर्वभूतेषु कलारूपेण संस्थिता મુદ્રાલેખ ધરાવનારા કલાતીર્થ ટ્રસ્ટે કર્યું છે.

ભારતીય કલાને છેવાડાના કલાકારોથી લઈને કલામરમીઓ સુધી સહુને પહોંચાડવાના ધ્યેયથી આ સંસ્થાએ દૃશ્ય કલાઓ અને તેના સર્જકો પર, આપણે જોયાં જ કરીએ એવાં પુસ્તકોનું નિર્માણ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક તેની કલાગંગોત્રી શ્રેણીમાંનું દસમું પ્રકાશન છે.

મુખ્યત્વે સ્વચ્છ અને સ્પષ્ટ શ્વેત-શ્યામ છબિઓ જ ધરાવતાં આ પુસ્તકનાં લાવણ્યમય કલા આવરણ સંદિપ કાપડિયા અને લે-આઉટ ટાઇપ સેટિંગ સમીર કંસારાએ કરેલાં છે. તેનાં 267 પાનામાં નથુભાઈએ સર્જેલી ચરાચર સૃષ્ટિના વૈવિધ્ય અને વૈપુલ્યની ઝાંખી મળે છે.

માનવ, પ્રાણી, પ્રકૃતિ, દેવ અને ભાવસૃષ્ટિની ત્વરિત સૌંદર્યાનુભૂતિ કરાવનારાં, ઝીણું કામ અને finishing બતાવતાં વાસ્તવવાદી રેતશિલ્પો અહીં છે. લગભગ દરેક ચિત્રમાં બારીકીભરી કોતરણી છે અને ચહેરા પર, વિશેષત: આંખોમાં ભાવની અભિવ્યક્તિ છે.

નારીના સો જેટલાં શિલ્પોમાં નથુભાઈએ કલ્પી શકાય તેટલાં રૂપ અને ભાવ, મુદ્રા અને સ્થિતિ, આભરણ અને આભૂષણ, સમુદાય અને વર્ગ, ભૂમિકાઓ અને મનોસ્થિતિઓ નિરૂપી છે. અષ્ટનાયિકાઓની તો યાદ આવે, પણ માતા અને સખીઓ પણ એકાધિક છે.

બાળા, મુગ્ધા, યૌવના, પ્રૌઢા, એકાકિની અહીં મળે. હાથી, ઘોડા, શ્વાન, અરે ! મગર સાથેની સ્ત્રી પણ છે. દેવી, વીરાંગના અને વૃક્ષવનિતા છે. સાથે સમુદ્રના પાણીમાં સેલારા મારતી યૌવના અને torn folded jeans અને cropped top પહેરેલી  teenager પણ છે.

સાહિત્ય અને કલાના ઉત્તમ પુસ્તકોથી રુચિઘડતર પામેલા નથુભાઈએ કરેલું પુસ્તક વાંચતી પ્રૌઢાનું શિલ્પ તેમની પ્રબુદ્ધતા બતાવે છે.

પ્રગતિશીલ વિચારોનો નિર્દેશ એકતામાં વિવિધતા, સર્વધર્મ સમભાવ, સ્ત્રીશિક્ષણ, જળસંવર્ધન કે વિકલાંગોની ક્ષમતા બતાવતાં, લોકજાગૃતિની ઝુંબેશો માટે દોરેલાં શિલ્પોમાં તેમ જ ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતીમાઓમાં મળે છે. ચાલતા ગાંધી અને તેમનો પડચાયો સુદ્ધા એક શિલ્પમાં નજરે પડે છે.

પરસ્પર સંવાદિતાથી ફાલેલું જીવનવૃક્ષ કે સાહચર્યથી સધાતાં ઊર્ધ્વારોહણની પ્રતિમાઓ વિચારને દૃશ્યરૂપ આપે છે. 

વ્યક્તિશિલ્પોમાં અબ્દુલ કલામ, બુદ્ધ, રાણા પ્રતાપ, લતા મંગેશકર અને વિવેકાનંદ છે. ડાંગધારી સોરઠવાસી, પશુધન સાથેનો માલધારી, ચલમ ફૂકતો બાવો, નિશાન તાકતો સૈનિક જેવા શિલ્પો સમુદાયના વરણ-વેશનાં નિર્દેશ સાથે આવે છે.

લોકદેવતા વાછરાદાદા અને રામદેવ પીર તેમ જ અનેક પ્રમુખ દેવોનાં દર્શન ચાળીસેક કૃતિઓમાં થાય છે, જેમાં આરામમાં આડા પડેલા ગણેશ કે ડાબા પડખે થયેલા હનુમાનજી જેવાં અરુઢ શિલ્પો પણ છે.

પારધીની શિવલિંગ આરાધના, સુદામાનું મથુરામાં સ્વાગત કે કાલિયામર્દન જેવા પ્રસંગ-શિલ્પોમાં સંખ્યાબંધ પાત્રો છે.

વીસેક પ્રાણી-શિલ્પોમાં નિજમગ્ન સિંહ, લાળી નાખતું શિયાળ, બેઠેલો ઘોડો, લડતા આખલા કે હાથી-મગર લડાઈ ખાસ ધ્યાન ખેંચે છે. સાગર કિનારા પરનાં પ્રેમી યુગલનું અને તે પછી પ્રસન્ન દામ્પત્યનાં શિલ્પો કરવાનું નથુભાઈ ચૂકતા નથી.

પુસ્તકમાંની દરેક તસવીરની નીચે કલાવિવેચક નિસર્ગ આહીરે સંદર્ભપૂર્ણ, શબ્દસમૃદ્ધ આસ્વાદ-નોંધ લખી છે. ગુજરાતીના સાહિત્યના અધ્યાપક નિસર્ગની પ્રસ્તાવના રેતશિલ્પના ઓછા જાણીતા ક્ષેત્રમાં વાચકને પ્રવેશ કરાવે છે, તેની ખૂબીઓ અને મર્યાદાઓ બતાવે છે, નથુભાઈની રેતકલાની મહત્તા ઉપસાવે છે, અને ‘મુખ્યત: તો ચિત્રકાર’ નથુભાઈનો પરિચય કરાવે છે.

નથુભાઈ ગલચર

પુસ્તકમાં નથુભાઈનો સ્વપરિચય ‘મારી કલાયાત્રા’ શીર્ષક હેઠળ છે. મજૂરી અને ગોપાલન કરનારા પરિવારના અભાવો વચ્ચેય શાળા તેમ જ બી.કૉમ.ના અભ્યાસ દરમિયાન સાહિત્ય અને કલાનાં પુસ્તકોનાં વાચને તેમની નિસર્ગદત્ત પ્રતિભાને સંકોરી.

સરકારમાં અને પછી બૅન્કમાં નોકરીની સાથે નાનાવિધ માધ્યમોમાં સાડા છ હજાર કરતાં વધુ ચિત્રો કર્યાં. અનેક ચિત્રપ્રદર્શનો કર્યાં. તેમાં રેખાંકનો, જળરંગચિત્રો, પેસ્ટલ-પેન્સિલ કલર, પીંછી-પેન, મિક્સ મીડિયા, ઑઇલ એક્રેલિક ચિત્રો અને ભીંતચિત્રો અને સિમેન્ટ મ્યુરલ્સનો સમાવેશ થાય છે.

ચૌદેક વર્ષની ઉંમરથી શરૂ કરેલાં રેતશિલ્પ સમયાંતરે ચાલતાં રહ્યાં અને 2010થી પૂરો સમય ચાલ્યાં. કૉલેજમાં 1975ના અરસામાં ઓડિશાના કિનારે બનાવાતાં રેતશિલ્પોની ન્યૂઝ રીલ જોઈ હતી. તે જ રાજ્યના ચન્દ્રભાગા બીચ પર નથુભાઈએ પર 2011થી દર વર્ષે આંતરારાષ્ટ્રીય રેતશિલ્પ મહોત્સવમાં શિલ્પો બનાવ્યાં, જે પુસ્તકનાં પહેલા બાર ફોટોગ્રાફસમાં જોવા મળે છે.

તે પછીના પાંત્રીસ શિલ્પો મુખ્યત્વે રાજયની લલિતકલા ને અન્ય સંસ્થાઓના ઉપક્રમો હેઠળ તૈયાર થયા છે. બાકીના 213 સ્વાનંદે કરેલાં છે.

આ વર્ષે રવીન્દ્રનાથ ટાગોરની જયંતીએ પાંચમી મેએ બહાર પડેલાં પુસ્તકનું તિરુપતિ બાલાજીનું છેલ્લું શિલ્પ 19 એપ્રિલે કરેલું છે.

રેતશિલ્પની અનિવાર્ય નિયતિ હોય છે કે તે સર્જાયા પછી થોડાક જ સમયમાં સમુદ્રના મોજામાં વિલીન થઈ જાય છે. કેટલાંક વર્ષોથી નથુભાઈ લગભગ દરરોજ સવારે દરિયે જાય, કલ્પના-કસબ-મહેનતથી મોટે ભાગે ઊભું શિલ્પ સર્જે, જે અસ્તિત્વમાં આવ્યા બાદ થોડાક સમયમાં તો સમુદ્રના મોજામાં લીન થઈ જાય!

કલાકાર હંમેશાં એવું ઝંખતા હોય કે તેમની કલાકૃતિ દુનિયામાં લાંબો સમય ટકે, અમર બને. દુનિયાભરના રેત શિલ્પ કલાકારની જેમ આપણા નથુભાઈની વશેકાઈ છે કે તેમનું સર્જન અલ્પકાળમાં વિસર્જન પામવાનું હોવા છતાં તે દરરોજ નવા ઉમંગ સાથે નિજાનંદે, નિરપેક્ષ ભાવે નિત્યનૂતન નિર્મિતી કરતા રહ્યા છે.

સ્વકથનને અંતે તેઓ  લખે છે :

‘રેતશિલ્પ એક મજાની કળા છે, જે મારા જીવન સાથે વણાઈ ચૂકી છે. સવાર પડતાંની સાથે નિત્યક્રમ પ્રમાણે બે-ત્રણ કલાક દરિયાના સાન્નિધ્યે રેતશિલ્પોનું સર્જન કરું છું.

‘દરિયાઈ જીવો આ સર્જનને માણે છે અને અને દરિયાનાં અનેક તત્ત્વો તેને લાઇક આપી ચાલ્યાં જાય છે.

‘હું તૃપ્ત થાઉં છું શિલ્પ જોઈને અને એને દરિયાદેવ પોતાનામાં સમાવી લે પછી હું સંપૂર્ણ સંતોષ સાથે ઘરે પાછો ફરું છું. જે લોકોને રેતશિલ્પની આ કલા શીખવાની ઇચ્છા હોય તેમને શીખવું  છું. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કલાનાં શરણે મા ભગવતી વાગીશ્વરીની સાધના  કરું છું.

‘નિવૃત્ત જીવનને કલાક્ષેત્રે પ્રવૃત્ત રાખીને ઇશ્વરે આપેલા અમૂલ્ય દિવસો વીતાવું છું.બસ એક જ અભિલાષા કે ‘તેરા તુજ કો અર્પણ’ – વેદવાણીને સ્મરીને તેમને મારું કરેલું કાર્ય અર્પણ કરું છું.’ ‌‌‌‌                                

[આભાર : અશ્વિન ચૌહાન, અજય રાવલ]

‌‌‌—-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌————————– 

કલાતીર્થ ટ્રસ્ટ, ‘રંગ’, 18, ગજાનન સોસાયટી વિભાગ 3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સૂરત 395 004. મો. 9825664161 પુસ્તકનું મૂલ્ય : ‘અમૂલ્ય’ kalatirth2021@gmail.com   ramnikgkp@gmail.com 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

75 વર્ષ પહેલાં ગાંધીને ખબર હતી કે બંધૂકની અણીએ ઇઝરાયેલને થોપવાનું પરિણામ સારું નહીં આવે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 October 2023

રાજ ગોસ્વામી

દેશો વચ્ચેના સંઘર્ષ જલદી ખતમ થતા નથી. એ એવા જખ્મ હોય છે, જે સતત વહેતા રહે છે. રાજકીય, આર્થિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જેવાં અનેક જટિલ પરિબળોને કારણે દેશો વચ્ચે સંઘર્ષોનું સમાધાન થતું નથી અને તે પેઢી દર પેઢી પીડા, તણાવ અને અસ્થિરતાનું કારણ બને છે.

જીવંત ઘાની જેમ, દેશો વચ્ચેના સંઘર્ષો સતત વેદના આપતા હોય છે. તેના પરિણામે જાનહાનિ થાય છે, માળખાગત સુવિધાઓનો નાશ થાય છે, લોકોનું વિસ્થાપન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. સંઘર્ષોનાં પરિણામો એમાં સીધા સંકળાયેલા બંને દેશો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ અસર કરે છે.

જે રીતે ઘાને મટાડવા માટે ધ્યાન અને સંભાળની જરૂર હોય છે, તેવી જ રીતે સંઘર્ષોને ઉકેલવા માટે સક્રિય પ્રયાસોની જરૂર પડે છે. જો સંબોધવામાં ન આવે તો, સંઘર્ષો સમય જતાં વકરી જાય છે અને વધુ ખરાબ થઈ શકે છે, જેમ કે સારવાર ન કરાયેલ ઘા ચેપગ્રસ્ત થઈ શકે છે. આ વધુ ગૂંચવણો, હિંસામાં વધારો કરે છે અને અન્ય રાષ્ટ્રોની સંડોવણી તરફ દોરી શકે છે, જે સંઘર્ષને ઉકેલવા માટે વધુ મુશ્કેલ બનાવે છે.

 જીવંત ઘાની જેમ, સંઘર્ષો સંવેદનશીલ હોય છે અને સરળતાથી વધી શકે છે. નાની ક્રિયાઓ અથવા ઘટનાઓ પણ તણાવને ફરીથી પેદા કરી શકે છે અને સંઘર્ષને વધારી શકે છે. જે રીતે ઘાને સ્પર્શ કરવાથી પીડા અને બળતરા થઈ શકે છે, તેવી જ રીતે અમુક ક્રિયાઓ અથવા નિવેદનો મજબૂત ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે અને દેશો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ આવો જ એક જીવતો ઘા છે, જેને સમયસર રૂઝાવામાં ન આવ્યો એટલે હવે તે વકરી ગયો છે.

બંને વચ્ચેની મૂળભૂત સમસ્યા જમીન પર પ્રાદેશિક વિવાદ અને આ પ્રદેશમાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વના વિરોધાભાસી દાવાઓ છે. બંને પક્ષોમાં રાજ્યના દરજ્જાને લઈને વિરોધાભાસી માન્યતાઓ તેમ જ આકાંક્ષાઓ છે, ઉપરાંત સુરક્ષા અને આત્મનિર્ણયની જુદી જુદી ધારણાઓ ધરાવે છે. વધુમાં, જેરૂસલેમના દરજ્જા, શરણાર્થીઓના અધિકારો અને વેસ્ટ બેંકમાં વસાહતોની સ્થાપના જેવા મુદ્દાઓએ સંઘર્ષને વધુ જટિલ બનાવ્યો અને તેના ઉકેલમાં અવરોધ ઊભો કર્યો છે.

આ વિવાદ એક સદી જૂનો છે. તેના કેન્દ્રમાં જેરુસલેમ છે. પેલેસ્ટાઇનીઓ ઇચ્છે છે કે પૂર્વ જેરૂસલેમ, જેમાં મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટેનાં પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે, તે તેમના રાજ્યની રાજધાની બને. ઇઝરાયેલનું કહેવું છે કે જેરૂસલેમ તેની અવિભાજ્ય અને શાશ્વત્‌ રાજધાની રહેવી જોઈએ. જેરુસલેમના પૂર્વીય ભાગ પર ઇઝરાયેલનો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી.

જેમ શરીરના ઘાની બેદરકારી કરવામાં આવે અને તે ઉત્તરોત્તર બીજી બીમારીઓને જન્મ આપે, એવી જ રીતે આ કિસ્સામાં પણ શરૂઆતમાં જમીનના ટુકડાની માલિકીના વિવાદમાં કાળક્રમે બીજી અનેક સમસ્યાઓ અને ફરિયાદોને જન્મ આપ્યો છે અને હવે તે પૂરા વિશ્વને વિભાજીત કરી નાખે તેવી સ્થિતિએ પહોંચી ગયો છે.

જેમ કે વર્તમાનમાં હમાસ નામનું આતંકવાદી જૂથ ત્યાં સક્રિય છે, તે હવનમાં હાડકાં સમાન છે. તેનાં કૃત્યોના કારણે પેલેસ્ટાઇનના લોકોને પણ સહન કરવું પડી રહ્યું છે. કોઈ વિવાદ વકરી જાય ત્યારે આવાં ઘણાં નવાં તત્ત્વો તેમનો ખેલ રમવા આવી આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ જોર્ડન, ઈજીપ્ત, લેબેનોન, સીરિયાનાં હિતોને પણ પ્રભાવિત કરી રહ્યો છે અને 18 દેશોના બનેલા સમગ્ર મધ્ય-પૂર્વને અસ્થિર કરી રહ્યો છે.

હમાસનો આતંકવાદ એ નવો અને મૂળ વિવાદથી અલગ સમસ્યા છે અને મૂળ સામાજિક-રાજકીય સમાધાન પર હાવી થઇ ગયો છે. તાજેતરના ઘાતકી હુમલા પછી, હમાસે સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની માંગણીને હાનિ પહોંચાડી છે એટલું જ નહીં, તે જબરદસ્તી લીડર બની બેઠું છે અને કાયમ માટે એક મોટા સંઘર્ષનો જન્મ આપી ચુક્યું છે.

તાજેતરની ઘટનાના સંદર્ભમાં, પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ ભારતને તેની ભૂમિકા નિભાવવાની અપીલ કરી છે. તેમણે એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”પેલેસ્ટાઇનના મુદ્દે ભારતનો સહયોગ મહાત્મા ગાંધીના સમયથી ચાલતો આવે છે. ભારત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું મિત્ર છે અને તે તણાવ ઓછો કરવા તેમ જ પેલેસ્ટાઇન મુદ્દે સમાધાનમાં યોગદાન આપવા સક્ષમ છે.”

રાજદૂતે તેમના નિવેદનમાં મહત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો તે નોંધપાત્ર છે. ગાંધીજી આજે હોત તો તેમણે નિશ્ચિતપણે હમાસના આતંકની ટીકા કરી હોત, પરંતુ જ્યાં સુધી સંઘર્ષના રાજકીય-સામાજિક પાસાંની વાત છે ત્યાં સુધી તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતા.

આઝાદી પછી ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન પર ભારતનું વલણ પેલેસ્ટાઇન લોકો પ્રતિ સહાનુભૂતિ અને સમર્થનનું રહ્યું હતું. તેનું કારણ એ હતું કે આઝાદી પહેલાંના ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણી સમાનતાઓ હતી. બંને ઉપનિવેશવાદની પરાધીનતાનો શિકાર હતાં અને બંનેને વિભાજનની પીડા સહન કરવી પડી હતી.

તે વખતે ગાંધી સહિત ઉપનિવેશવાદ વિરોધી ભારતીય નેતાઓએ યહૂદીઓની માતૃભૂમિ માટે પેલેસ્ટાઇન પર જબરદસ્તી કબજો કરવાની ટીકા કરી હતી અને એમાંથી જ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદના શાંતિપૂર્ણ સમાધાનની સ્વતંત્ર ભારતની એક નીતિ તૈયાર થઇ હતી.

મહાત્મા ગાંધીએ લખ્યું હતું, “યહૂદીઓને આરબોને પર થોપવાવાનું ખોટું અને અમાનવીય છે. પેલેસ્ટાઇનમાં આજે જે ચાલી રહ્યું છે, તેને કોઇપણ નૈતિક આચાર સંહિતા દ્વારા ઉચિત ઠેરવી ન શકાય.” એ જ રીતે, ભારતના પહેલા વડા પ્રધાન પંડિત નહેરુએ કહ્યું હતું, “પેલેસ્ટાઇન મૂળભૂત રીતે એક આરબ દેશ છે અને તે એમ જ રહેવો જોઈએ. પોતાની માતૃભૂમિ માટે યહૂદીઓને અધિકાર છે પણ તે આરબ લોકોની માતૃભૂમિની કિંમત પર નહીં.”

ગાંધીજીએ તેમના “હરિજન” સામયિકમાં છેક 1938માં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદને લઈને તેમનો મત વ્યક્ત કર્યો હતો. “પેલેસ્ટાઇનના યહૂદીઓ” નામનો એ લેખ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. એ લેખમાં તેમણે તેમના જે વિચાર મુક્યા હતા, તેનો ઘણા લોકો આકરો વિરોધ કરે છે અને ઘણા લોકો તેને અહિંસા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે જુએ છે.

તેમણે શરૂઆતમાં જ લખ્યું હતું, “પેલેસ્ટાઇનમાં અરબ-યહૂદી પ્રશ્ન અને જર્મનીમાં યહૂદીઓના દમન વિશે મારા મંતવ્યો જાહેર કરવાનું કહેતા ઘણા પત્રો મને મળ્યા છે. આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન પર હું વિના ખચકાટે મારા મંતવ્યો રજૂ કરવાનું સાહસ કરું છું.”

પછી તેમણે લખ્યું હતું, “મારી સહાનુભૂતિ યહૂદીઓ સાથે છે. હું તેમને દક્ષિણ આફ્રિકાથી સારી રીતે જાણું છું. તેમાંના કેટલાક આજીવન સાથી બની ગયા. આ મિત્રો દ્વારા મને તેમની ઉપરના અત્યાચાર વિશે ઘણું જાણવા મળ્યું. તેઓ ખ્રિસ્તી ધર્મમાં તેઓ અસ્પૃશ્ય રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા તેમની સાથે કરવામાં આવતી વર્તણૂક અને હિંદુઓ દ્વારા અસ્પૃશ્યો સાથે કરવામાં આવતી વર્તણૂક વચ્ચે સમાનતા છે … પણ મારી સહાનુભૂતિ મને ન્યાય પ્રત્યે આંધળી નથી કરતી. યહૂદીઓ માટે રાષ્ટ્રની માંગણી મને આકર્ષિત કરતી નથી. પૃથ્વી પરના બાકી લોકોની જેમ, જે દેશમાં તે જન્મ્યા હોય અને જીવનનિર્વાહ કરતા હોય એ જ તેમનું વતન કેમ ન હોય? પેલેસ્ટાઇન એ જ રીતે આરબોનું છે, જે રીતે ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અથવા ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે. યહૂદીઓને આરબો પર લાદવા એ ખોટું અને અમાનવીય છે.”

ગાંધીજી મુખ્ય બે માન્યતાઓના કારણે પેલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રના વિરોધી હતા: એક, પેલેસ્ટાઇન પહેલાંથી આરબ પેલેસ્ટાઇનિયન લોકોનું વતન હતું, અને બે, બ્રિટને હિંસક રીતે યહૂદીઓની વસાહત ઊભી કરી હતી.

તેઓ માનતા હતા કે, “પેલેસ્ટાઇનના યહૂદીઓ ભૂલ કરી રહ્યા છે. તેમણે પેલેસ્ટાઇનમાં રહેવું હોય તો પણ, બ્રિટિશ બંધૂકોના પડછાયામાં ત્યાં જવું ના જોઈએ. બંધૂકની અણીએ કે બોમ્બથી ધાર્મિક ક્રિયા ન થાય. તેમણે આરબોનાં દિલ જીતીને ત્યાં વસવું જોઈએ. જે ઈશ્વર આરબોના દિલમાં છે, તે જ ઈશ્વર યહૂદીઓના દિલમાં છે. તેઓ બ્રિટિશરોની બંધૂકોને ત્યજી દે તો આરબોને મનાવાના હજારો રસ્તાઓ છે. હું આરબોના અત્યાચારને ઉચિત નથી ઠેરવતો. તેમના દેશમાં થયેલી ઘુસણખોરીનો તેમણે અહિંસાથી વિરોધ કર્યો હોત તો સારું થાત.”

જર્મનીમાં નાઝીઓના હાથે યહૂદીઓનો સામૂહિક નરસંહાર શરૂ થયો તે પહેલાં, 1938માં, ગાંધીજીએ આ લેખ લખ્યો હતો અને તેમાં તેમણે દલીલ કરી હતી કે યહૂદી લોકોને વિશ્વના નાગરિક ગણવા જોઈએ – જેમ કે ફ્રાન્સમાં જન્મેલા યહૂદી સાથે ફ્રેન્ચ જેવો, જર્મનીમાં જન્મેલા યહૂદી સાથે જર્મન જેવા વ્યવહાર થવો જોઈએ. ગાંધીજીએ જર્મન યહૂદીઓને જર્મન સતામણીનો સામનો કરવા માટે અહિંસક નાગરિક ચળવળનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

જો કે, યહૂદીઓના નરસંહાર અને બીજા વિશ્વયુદ્ધ પછી સ્થિતિ બદલાઈ ગઈ અને યહૂદીઓના અલગ રાષ્ટ્રની માંગમાં બ્રિટન કટ્ટર બની ગયું. 45 વર્ષ સુધી ભારતે ઇઝરાયેલને માન્યતા જ આપી નહોતી. આજે એ સ્થિતિ પણ બદલાઈ ગઈ છે. આજે ભારત ઇઝરાયેલની પડખે અડીખમ ઊભું છે. ગાંધીજી આજે હોત તો શું કરત?

લાસ્ટ લાઈન:

“હું ન તો ઇઝરાયેલ રાજ્યને માન્યતા આપું છું, ન તો પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપું છું. પેલેસ્ટાઇનિયનો બેવકૂફ છે, ઇઝરાયેલીઓ બેવકૂફ છે.”

— કર્નલ (સ્વર્ગસ્થ) મુઅમ્મર ગદ્દાફી, લીબિયન નેતા

———————–

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 15 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...940941942943...950960970...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved