Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટ્ટરતા પર પ્રહાર કરતી ‘ધરમપુત્ર’: યે કિસ કા લહૂ હૈ, કૌન મરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 July 2025

રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં, આપણે અહીં ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મની વાત કરી હતી. નિર્દેશક યશ ચોપરા. નિર્માતા બી.આર. ફિલ્મ્સ, એટલે મોટાભાઈ બી.આર. ચોપરા. રિલીઝ 1959. નિર્દેશક તરીકે યશજીની આ પહેલી ફિલ્મ. તે પહેલાં તે કોમેડિયન આઈ.એસ. જોહર અને મોટાભાઈના સહાયક તરીકે કામ કરતા હતા. તે વખતે, હવામાં નહેરુનાં સપનાંના ભારતની સુંગંધ હતી. સિનિયર ચોપરા સામાજિક નિસબતવાળી ફિલ્મો બનાવતા હતા. તેમના લઘુ બંધુ પણ એવી જ ભાવનાથી રંગાયેલા હતા. 

તેમણે નિર્દેશક તરીકે કમાન સંભાળી, ત્યારે તેમણે તેમની પહેલી ફિલ્મ માટે હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય પસંદ કર્યો હતો. ‘ધૂલ કા ફૂલ’માં વિવાહેતર સંબંધમાંથી જન્મેલા હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા હતી. 

ફિલ્મ જબરદસ્ત હિટ થઇ હતી. ચોપરાએ આ વિષયને જે રીતે સંભાળ્યો હતો તેનાથી દર્શકો બહુ ખુશ થયા હતા. મહોમ્મદ રફીના અવાજમાં આ ફિલ્મનું ગીત ‘તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ આજે પણ એટલું જ પ્રાસંગિક અને લોકપ્રિય છે.

ફિલ્મની સફળતાથી પ્રેરાઈને, 1961માં, યશ ચોપરા આવી જ એક બીજી ફિલ્મ લઈને આવ્યા; ધરમપુત્ર. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાનના વિભાજનની વાત કરતી હોય તેવી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ઉલ્લેખનીય છે કે સિનિયર ચોપરા લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. પાછળ પાછળ યશજી આવ્યા હતા. 

એક જૂના ઇન્ટરવ્યુમાં યશ ચોપરાએ કહ્યું હતું, “હું લાહોરમાં ભણ્યો હતો પરંતુ પ્રાથમિક સ્કૂલ પછી જલંધર આવવું પડ્યું હતું. બેઉ જગ્યાએ સરખી જ હાલત હતી. ત્યાં હિદુઓની કતલ થતી હતી, અહીં મુસ્લિમોની. મેં મારી સગી આંખે ખૂનામરકીનું ગાંડપણ જોયું હતું. મેં જે જોયું હતું તેનો ‘ધરતીપુત્ર’માં ઉપયોગ કર્યો હતો.”

ઐતિહાસિક નવલકથાઓ લખનારા હિન્દી લેખક આચાર્ય ચતુરસેને આ જ નામની એક નવલકથા લખી હતી. ચોપરા કહે છે, “મેં જ્યારે તે વાર્તા વાંચી ત્યારે, મારી અંદર મારા એ અનુભવોએ સળવળાટ કર્યો હશે. ફિલ્મનાં દૃશ્યો વાસ્તવિક લાગતાં હતાં કારણ કે મેં એવું જોયેલું હતું. આજે કોઈ નિર્દેશકને યુદ્ધ બતાવવું હોય તો તેણે વાંચન પર અથવા સાંભળેલી વાતો પર અથવા વિદેશી ફિલ્મ પર આધાર રાખવો પડે.”

ફિલ્મની વાર્તાનો સમય, 1925ના બ્રિટિશ શાસન વખતનો હતો. તે વખતે, આઝાદી માટેના શોરબકોર વચ્ચે દિલ્હીના એક પરિવાર નવાબ બદરુદ્દીન (અશોક કુમાર) સાથે એક ઘટના બને છે; તેમના જીગરજાન દોસ્ત ગુલશન રાયનું અવસાન થાય છે અને બદરુદ્દીન તેના અનાથ પુત્ર અમૃત(મનમોહન કૃષ્ણ)ને તેમની દીકરી હુસ્ન બાનુ(માલા સિંહા)ના ભાઈ તરીકે મોટો કરે છે.

અમૃત ડોકટર બને છે અને સાવિત્રી (નિરુપા રોય) સાથે લગ્ન કરે છે. એક દિવસ, નવાબ ડોક્ટર અમૃત પાસે આવે છે અને એક સમસ્યા કહે છે; હુસ્ન બાનુ તેના શિક્ષક જાવેદ(રહેમાન)ના પ્રેમમાં પડીને પ્રેગ્નન્ટ થઇ છે પરંતુ તે નીચ જાતિનો હોવાથી ગાયબ થઇ ગયો છે. 

સાવિત્રી સાથે ચર્ચા કર્યા પછી, અમૃત એક યોજના બનાવે છે; હુસ્ન બાનુને સિમલા લઇ જવી, ત્યાં તે બાળકને જન્મ આપે અને સાવિત્રી તેને દત્તક લઇ લે. તે બાળક દિલીપ (શશી કપૂર) તરીકે મોટો થાય છે. દયાળુ નવાબ તેમની અડધી સંપત્તિ દિલીપના નામે કરે છે. ત્યાં સુધી કોઈને યાદ પણ નહોતું કે તે મુસ્લિમ સ્ત્રીના કોખે જન્મ્યો હતો. પરંતુ દેશમાં લોહિયાળ કોમી તોફાનોનાં પગલે દિલીપની મુસ્લિમ ઓળખ છતી થાય છે.

તેનાથી વ્યથિત દિલીપ તેની હિંદુ ઓળખને રાષ્ટ્રીય ઓળખ તરીકે સ્વીકારે છે અને મુસ્લિમોને ધિક્કારવાનું શરૂ કરે છે. ત્યાં સુધી કે જાવેદ સાથે લગ્ન કરીને પડોશમાં રહેતી હુસ્ન બાનુ (જે હકીકતમાં તેની માતા છે) તેને પણ તેની નફરતનું નિશાન બનાવે છે.

દિલીપ સાચે જ ધરમપુત્ર હતો. તે તેની માન્યતામાં અડગ છે. તેને તેના કૃત્યનાં પરિણામોની ચિંતા નથી, પણ તે એક પુત્ર અને ભાઈ પણ છે. તે દેશને આઝાદી ન મળે ત્યાં સુધી મીના (ઇન્દ્રાણી મુખરજી) સાથે લગ્ન કરવાનો એ ઇનકાર કરી દે છે. 

વયસ્ક સ્ટાર તરીકે શશી કપૂરની આ પહેલી ફિલ્મ હતી અને તેમણે એક કટ્ટર, ધર્માંધ યુવાનનો કિરદાર બખૂબી નિભાવ્યો હતો. કોમેડિયન દેવેન વર્માની પણ આ પહેલી ફિલ્મ હતી. ચોપરા બંધુઓ માટે ‘ધરમપુત્ર’ કેટલી મહત્ત્વની હતી તે એક હકીકત પરથી સાબિત થાય છે કે આ ફિલ્મના સૂત્રધાર તરીકે તે વખતના મોટા સ્ટાર દિલીપ કુમારે તેમનો અવાજ આપ્યો હતો. 

ધર્મપુત્ર એક અસાધારણ અને સાહસિક ફિલ્મ હતી, પરંતુ તે સમયના દર્શકો તેના માટે તૈયાર નહોતા. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવા છતાં, આમ દર્શકોને કોમવાદ અને લગ્ન પહેલાં સેક્સ જેવા વર્જિત વિષયને કારણે તેને પસંદ કરી નહોતી. 

એવા પણ અહેવાલો છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકો થિયેટરોમાં ઉશ્કેરાઈ ગયા હતા અને અમુક દૃશ્યો વખતે લાગણીશીલ થઇ ગયા હતા. કદાચ વિભાજન અને કોમી હિંસાના જખ્મો હજુ તાજા હતા, એટલે લોકો તેને પડદા પર સહન કરી શક્યા નહોતા. પરિણામે ફિલ્મને રિલીઝ થયા પછી ઉતારી લેવી પડી હતી અને થોડા સમય પછી ફરીથી મુકવામાં આવી હતી. પણ તે ન ઉપડી તે ન જ ઉપડી.

કહેવાય છે કે આ ફિલ્મ પાસેથી યશ ચોપરાને ઘણી અપેક્ષા હતી, પરંતુ તેમાં તે પાર ન ઉતરતાં તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને આવા રાષ્ટ્રીય વિષયો પર ફિલ્મ નહી બનાવાનું નક્કી કર્યું હતું. પાછળથી આપણે જે રોમેન્ટિક યશ ચોપરાને જોયા હતા તેની શરૂઆત કદાચ આ ફિલ્મ પછી થઇ હતી.

સાહિર લુધિયાનવીએ ફિલ્મમાં એક પ્રભાશાળી ગીત લખ્યું હતું, જે તે વખતના માહોલ અંગે સવાલો ખડા કરતું હતું, પણ આજે ય એટલું જ પ્રાસંગિક છે :

ધરતી કી સુલગતી છાતી કે બેચેન શરારે પૂછતે હૈં

તુમ લોગ જિન્હેં અપના ન સકે, વો ખૂન કે ધારે પૂછતે હૈં

સડકોં કી જુબાન ચિલ્લાતી હૈ

સાગર કે કિનારે પૂછતે હૈં-

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

એ રહબર-એ-મુલ્ક- ઓ- કૌમ બતા

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 02 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2025

ચંદુ મહેરિયા

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉધ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત, આદિવાસી, વંચિત, પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોનાં શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે. 

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય મંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દૃઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે. 

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ,  ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કાઁગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા. 

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે. 

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં  તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો. 

જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે. તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪,૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો. કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ. 

જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન. 

બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.

નવી અર્થનીતિ, વધતા શહેરીકરણ-ઔદ્યોગિકરણ, સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉદ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉદ્યોગોને મળી છે. 

આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, “જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું  બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગાંધીપર્વ

મનુભાઈ પંચોળી 'દર્શક'|Gandhiana|3 July 2025

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મહાભારતમાં જેમ ભીષ્મ, દ્રોણ-પર્વ છે, જેમાં આ બંને શાણા અને વીરપુરુષોની વ્યાસે વંદના કરી છે; તેમ વર્તમાન ભારતમાં ગાંધીપર્વ ગણાશે. ભલે એનું કામ અધૂરું રહ્યું. તેમ તો શ્રીકૃષ્ણનું પણ રહ્યું હતું.

યુદ્ધ બધા જ સ્વીકારે છે કે કાંઈ વખાણવા લાયક નથી. તે જીતનાર અને હારનાર બંનેને રડાવે છે. પણ તે છતાં યુદ્ધ કરવાનું માણસના નસીબમાં કાયમ રહેલું છે; અને તે પણ ફરી ફરીને; જર્મની ને ફ્રાંસ વચ્ચે આખા યુરોપ કે જગતને ઓરી દેનારાં ત્રણ મહાન યુદ્ધો થયાં. એકલા બીજા વિશ્વયુદ્ધમાં જ ફૌજી ને સનદી લાખ્ખો લોકો ઓરાયા, ને અન્ય કરોડો નિરાધાર થયાં.

ગાંધી આનો ઉપાય શોધવા જીવનભર મથ્યા છે. માણસ જાતની પાસે એવું કાંઈક હથિયાર હોવું જોઈએ કે તે વગર હિંસાએ ઝગડો પતાવી શકે. ભલે એમાં તબક્કા આવે.

એમણે ચીંધ્યો માર્ગ અસહકાર -સત્યાગ્રહનો.

દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને નમાવીને કે સમજાવીને આવ્યા ત્યારે મુંબઈના ગવર્નરે તેમને મળવા બોલાવેલા ને પોતાના અંગત સચિવની હાજરીમાં પૂછયું : મિ. ગાંધી, આ સત્યાગ્રહ શું છે ?

ગાંધીજીએ તો હોંશથી, વિસ્તારમાં સમજાવેલું કે આ એક એવું હથિયાર છે કે વગર સામાવાળાનું લોહી રેડ્યે – હથિયાર પર જીવનારને જીતી શકે. ગવર્નરના અંગત સચિવે કહ્યું કે એવું ન બને – ભલે વાત સારી છે.

ગાંધીજીએ જાણે ભવિષ્ય જોયું હોય તેમ કહેલું કે “સાહેબ, તમે અને હું જીવતા હશું તો જોશું કે વગર યુદ્ધે જીતી શકાય છે.”.

1947માં એ વાણી સાચી પડી. અંગ્રેજોએ એક કાંકરીનો ઘા ખાધા વિના આ દેશ સલૂકાઈથી છોડ્યો.

ગાંધીજીએ જગતને અનેક વાતો કરી છે જે કિંમતી છે, પણ સૌથી કિંમતી ચીજ સત્યાગ્રહ – અસહકાર છે.

અનિષ્ટ તેને ટેકો આપનાર, તેની પાસે નમી પડનારા ન હોય તો ફાલે જ નહીં. અનિષ્ટને ભય કે વધારે પડતા ડહાપણથી સારા માણસો ટેકો આપે છે. એથી જ અનિષ્ટ સત્તા પર રહે છે.

એક અર્થમાં લોકશાહીનો પ્રયોગ પણ આવો જ એક નાનો પ્રયોગ છે, જેમાં અનિષ્ટને લોહી રેડ્યા વિના અંકુશમાં રાખવાનું આવે છે

પણ છતાં ગાંધીનો રસ્તો ક્યાંયે ચડિયાતો છે. કારણ કે લોકશાહીમાં તો દુષ્ટ પરિબળો મત લઈ જઈ શકે છે. કારણ વસ્તુત: મતદારોનું મતપરિવર્તન થયું જ નથી હોતું. ગાંધીએ ઉમેર્યું કે મત પરિવર્તન નહીં હૃદયપરિવર્તન. ને તે તો આપભોગ વડે જ થઈ શકે. તમારી વાત ખોટી છે, તે મારી જાતને હોડમાં મૂકીને પણ સમજાવીશ. અસ્પૃશ્યતા જે કાંઈ ગઈ, મંદિરો ખુલ્લા મૂક્યાં તે ગાંધીના અનશનથી. ગાંધી આમાં સત્તા માટે નથી લડતો. તે પહેલી વાત હતી. આથી એના વિરોધીઓ પણ ચૂપ થઈ શકતા.

સત્યાગ્રહ જેને સત્તા જ જોઈએ છે. તેનાથી સફળ ન થઈ શકે. દુબળી સફળતા મળે.

અહીં આપણે પહેલા ગવર્નર જનરલ તરીકે અંગ્રેજને રાખેલા તે યાદ કરીએ. 

ગાંધીનો સત્યાગ્રહ સત્ય માટે છે ને સત્ય સત્તાથી નથી મળતું. સત્ય તો પોતાના ને સામેનાના હૃદયપરિવર્તનથી થાય છે.

આ માટે સત્યાગ્રહીએ સાથેના માણસની સદ્દબુદ્ધિ જાતે સહન કરીને જગાડવાની છે.

તેમાં સાદાઈ, મહેનત, સૌજન્ય, પોતાની ભૂલ કબૂલ કરવાની તૈયારી, વિશ્વાસ, આવું બધું ઘણું ઘણું જોઈએ. આ દેશે મોટા પાયા પર રચનાત્મક કાર્યની ભૂમિકા પર એ કરી બતાવ્યું. વખત ગયો. પણ હિંસક યુદ્ધોમાં આથી ઓછો જોઈએ છે કે વધારે ?

કાર્ય એટલે સામાજિક દોષોનું આપમેળે નિરાકરણ. અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય આપણે સ્વીકારેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના કાયદાથી દૂર કરેલ છે.

પણ અસ્પૃશ્યતા પણ ગાંધીએ જેટલી દૂર કરી તે સિવાયની બધે રહી છે. કારણ કે એ રચનાકાર્ય બંધ થઈ ગયું. આપણે બદલીએ નહીં ને સમાજ બદલાય તે આપઘાત કરી જીવવા જેવો ભ્રમ છે. આપણા લોકોએ કહ્યું કે જે સુધારવાને બદલે આપઘાત કરે તેણે સાત જન્મ એ જ કરવું પડે. આથી ગાંધીજીએ સત્યાગ્રહી પોતાનું જીવન બદલાવવાથી કામ શરૂ કરે તેમ ઠોકી બજાવીને કહ્યું ને કસ્તૂરબા પણ ભૂલમાં જગન્નાથના મંદિરમાં ગયાં તો ખેદથી કહી દીધું કે જ્યાં હરિજન જઈ શકતા નથી ત્યાં તારાથી જવાય કેમ ? તું દેવદાસ પાસે રહે. 

સામાન્ય માણસ કહેશે કે આવા બધા સુધારા કે’દી થાય ? અહીં ગાંધી 1916માં આવ્યા છે. 1947માં સ્વરાજ આવ્યું.

જેમની નજર સામે ચમત્કાર થયો છે તે પણ આમ કહે તેને ભોળી નાસ્તિકતા છે તેમ જ કહેવાય. ઈશ્વર છે તે તેના ભક્તની મદદે આવે છે, જેમ 1947માં ઇંગ્લાંડમાં એટલી સરકાર આવી જેણે ભારતને સ્વતંત્ર કર્યું. આ સ્વતંત્રતા કેવળ આપણા જ બળે નથી આવી. એટલી ને મજૂર પક્ષના કારણે પણ આવી છે. ચર્ચિલ હોત તો ન આવત. ભગવાન આપણે થાકીએ ત્યારે મદદે આવે છે. એટલે સત્યાગ્રહીનો છેવટનો આધાર ઈશ્વર પર છે. જે હિરણ્યકશિપુને હણે છે, તે જ કેટલાયે હારેલાને બેઠાં કરે છે. ગાંધીપર્વ એટલે ભક્તનું ભલું કરનાર ઈશ્વર પર આસ્થા દૃઢાવવાનું પર્વ. આસ્થા-દયા-ઉદારતા-અહં શૂન્યતાનું પર્વ -ઇતિહાસ આની જોઈએ એટલી સાક્ષી આપે છે.

03 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 352

Loading

...102030...93949596...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved