Opinion Magazine
Number of visits: 9458010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2023

રમેશ ઓઝા

યુવાલ નોઆહ હરારીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ સાંપ્રતયુગના પહેલી હરોળના ચિંતક છે, યહૂદી છે અને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવે છે. તેમનાં માનવજાતિનાં ઇતિહાસનાં બે પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે, અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે, પણ જે વાચકો અંગ્રેજી વાંચી શકે છે તેમને ’21 Lessons for the 21st Century’ વાંચવાની ખાસ ભલામણ છે. યુવાલ હરારીએ ઇઝરાયેલમાં ચાલી રહેલા આંદોલન વિષે જે લેખ લખ્યો છે એ વિષે કેટલીક વાત કરવી છે, પણ એ પહેલાં આદોલન કોણ કરી રહ્યા છે અને તેનું કારણ શું છે એ જાણી લઈએ.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આજે જે રીતે વિશ્વના કેટલાક લોકશાહી દેશોમાં જોવા મળી રહ્યું છે એમ તાનાશાહ છે. લોકતાંત્રિક માર્ગે સત્તામાં આવ્યા પછી એ જ લોકતંત્રને ક્ષીણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૧ની સાલમાં ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતાન્યાહુને ત્યાંની લોકસભાની ચૂંટણીમાં સુજ્ઞ નાગરિકોએ અન્ય રાજકીય પક્ષોએ મળીને મોરચો રચીને પરાજીત કર્યા હતા. અલબત્ત તેમનો લીકુડ પક્ષ પ્રતિનિધિગૃહમાં સૌથી મોટો પક્ષ તો હતો જ, કારણ કે આપણી જેમ ઝનૂની યહૂદીઓનો એક મોટો વર્ગ ઇઝરાયેલમાં છે જેને મુસલમાનોને હેરાન થતાં જોઇને પરપીડનનું સુખ મળે છે. નાગરિક સમાજે આગળ આવીને અમેરિકામાં ટ્રમ્પને અને બ્રાઝીલમાં જેર બોલસાનારોને હરાવ્યા હતા. તુર્કીમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ઓર્દેગોનને પરાજીત કરવામાં સફળતા મળી નહોતી. ઇઝરાયેલમાં અન્ય પક્ષો સરકાર ચલાવી શક્યા નહીં અને ૨૦૨૨માં ફરી ચૂંટણી યોજવી પડી જેમાં નેતાન્યાહુના પક્ષને જેમ તેમ સરકાર રચી શકાય એટલી બેઠકો તો મળી પણ બહુમતી નહીં મળી.

બેન્જામીન નેતાન્યાહુને કોઈ સવાલ કરે એ ગમતું નથી. તેને નૈતિકતાની તેમ જ લોકતાંત્રિક મર્યાદાઓ માફક આવતી નથી. તેને જિંદગીભર સત્તા છોડવી નથી અને એમાં બહુમતી મળી નહીં. તેમણે ઇતામાર બેન-ગ્વિર નામના ગામના ઉતાર જેવા માણસના પક્ષનો ટેકો મેળવ્યો અને તેને ગૃહ પ્રધાન બનાવ્યો. આ માણસ કાનમાંથી કીડા ખરે એવી ગંદી ભાષામાં મુસલમાનો અને ઉદારમતવાદી યહૂદીઓ વિષે બોલે છે. પણ આપણે ત્યાં અને જગતના બીજા દેશોમાં જોવા મળી રહ્યું એમ તેનાં પણ સમર્થકો છે જેને ગંદકી અને અસંસ્કાર જોઇને અકળામણ નથી થતી. બેન-ગ્વીર એક કરતાં વધુ વખત જેલમાં જઈ આવ્યો છે અને તેને નેતાન્યાહુએ ઇઝરાયેલનો ગૃહ પ્રધાન બનાવ્યો. ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતમાં પીટીશન કરવામાં આવી અને ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે બેન-ગ્વિરની પ્રધાન તરીકેની નિમણૂકને ગેર બંધારણીય ઠરાવી.

હવે? લોકશાહી દ્વારા સત્તા સુધી પહોંચેલા તાનાશાહ સર્વોચ્ચ અદાલતની સ્વતંત્રતા અને બંધારણનિષ્ઠા જોઇને લાલચોળ થઈ ગયા. તેમણે બેન-ગ્વિરને કહ્યું કે થોડો સમય રાહ જો હું સર્વોચ્ચ અદાલતને ઠીક કરું છું અને તને પાછો પ્રધાન બનાવું છું. આ બાજુ બેન-ગ્વિર છાતી ઉપર બેઠો છે અને કહે છે કે કાં પ્રધાન બનાવ અથવા તું પણ મારી માફક ઘરે બેસ.

બેન્જામીન નેતાન્યાહુએ ગયા માર્ચ મહિનામાં સર્વોચ્ચ અદાલતની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો અને ઇઝરાયેલમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. ઇઝરાયેલમાં સતત બાવીસ અઠવાડિયાંથી આંદોલન ચાલી રહ્યું છે અને થમવાનું નામ નથી લેતું. મને ખાતરી છે મોટાભાગના વાચકો આ વિષે ખાસ કાંઈ નહીં જાણતા હોય. એનું કારણ એ છે કે ગોદી મીડિયા તમને એ જ બતાવે છે જે બતાવવાનું કહેવામાં આવે છે. ઘેટાંને તેનો માલિક જે ચારો આપે એ ઘેટાં ચરે છે.

યુવાલ હરારી

હવે હરારી શું કહે છે એ જોઈએ : “ઇઝરાયેલ માટે ગર્વ ધરાવનારો હું નાગરિક છું, પણ અત્યારે ચિંતિત છું કે મારા દેશની સરકાર મારા દેશમાં તાનાશાહી લાદવા માગે છે. ઇતિહાસમાં એવા ઘણા તાનાશાહો આવ્યા છે જેમણે બંદૂકથી સત્તા કબજે નથી કરી, પણ લોકશાહી માર્ગે કરી છે.  તેમની એ રમત સમજવામાં વાર લાગે છે અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે. ન્યાયતંત્ર ઉપરાંત ફેડરલ સ્ટ્રકચર, અલગ અલગ સ્તરે અનેક પ્રતિનિધિગૃહો વગેરે અમેરિકામાં સત્તાધીશોને નિયંત્રણમાં રાખે છે. પણ ઇઝરાયેલ પાસે તો સર્વોચ્ચ અદાલત સિવાય નિયંત્રણ કરનારી કોઈ વ્યવસ્થા નથી. જો સર્વોચ્ચ અદાલતને પાંગળી કરી નાખવામાં આવશે તો સત્તાધીશો મનમાની કરી શકશે. એ પછી ચૂંટણી યોજાશે, પણ રશિયામાં યોજાય છે એવી નામ પૂરતી.”

તેમણે અમેરિકાને અને જગત આખાના અનિવાસી યહૂદીઓને આગળ આવીને ઇઝરાયેલના લોકતંત્રને બચાવી લેવા અપીલ કરી છે. દેખીતી રીતે નેતાન્યાહુના ભક્તો તેમને દેશદ્રોહી તરીકે ઓળખાવશે.

હરારી બહુ મોટા વિચારક છે. પણ તેમણે જે દલીલો કરી છે એમાં તેમણે એક મહત્ત્વની તાકાતનો ઉલ્લેખ કર્યો નથી. લોકશાહી બચાવનારું અને શાસન-વ્યવસ્થામાં સંતુલન જાળવનારુ એક અત્યંત મહત્ત્વનું પરીબળ છે વિવિધતા. બહુ ગણતરીપૂર્વક મુસલમાનોને યહૂદી શાસકોએ ઇઝરાયેલ બહાર અથવા પાડોશી મુસ્લિમ દેશોને લાગીને આવેલી સરહદે ધકેલવામાં આવ્યા છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇન નામના મુસ્લિમ બહુમતી દેશમાં ધરાર વસાવવામાં આવેલું યહૂદી રાષ્ટ્ર છે. મુસલમાનોએ દેખીતી રીતે તેનો વિરોધ કર્યો હતો એટલે ઇઝરાયેલી શાસકોએ ઇઝરાયેલના અસ્તિત્વને નામે અત્યાચારો કર્યા હતા અને હજુ કરી રહ્યા છે. ઇઝરાયેલના હરારીઓએ ત્યારે મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયનો વિરોધ નહોતો કર્યો. તેમને મૂળસોતાં ઊખેડી નંખાયાં ત્યારે ચૂપ રહ્યા હતા. જો ઇઝરાયેલમાં મુસલમાનોને નાગરિક અધિકારો સાથે નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો હોત તો નેતાન્યાહુ તાનાશાહ ન થઈ શક્યો હોત. એક જ કોમવિશેષમાંથી ચૂંટણી જીતી શકાય એટલા ઝનૂનીઓને રાજકીય રીતે એકઠા કરવા એ સહેલું કામ છે. અનેકવિધ કોમમાં એ મુશ્કેલ બને છે.

પાકિસ્તાને પણ આ જ માર્ગ અપનાવ્યો હતો અને પરિણામ આપણી નજર સામે છે. પાકિસ્તાનમાંથી હિંદુઓને હેરાન કરીને તગેડવામાં આવતા હતા ત્યારે પાકિસ્તાનના હરારીઓ મૂંગા રહ્યા હતા. આવું જ બંગલાદેશમાં અને જગતનાં બીજા દેશોમાં બન્યું હતું અને અપવાદ વિના દરેક દેશો બરબાદ થઈ ગયા છે. ઇઝરાયેલ પણ એક તાનાશાહના કારણે બરબાદીના માર્ગે જઈ રહ્યું છે એ જોઇને હરારી દુઃખી છે. ઇઝરાયેલમાં અત્યાર સુધી એક વણલખી સમજણ રહી છે. અસ્તિત્વના નામે મુસલમાનોને હેરાન કરીને તગેડવામાં આવે. તેમને નાગરિક અધિકારો આપવા એ તો બહુ દૂરની વાત થઈ. પણ યહૂદીઓને ભેદભાવ વિના નાગરિક અધિકારો આપવામાં આવે, લોકતંત્રને સુરક્ષિત રાખવામાં આવે, ઉદારમતનો આદર કરવામાં આવે, જાહેરજીવનમાં ધર્મને વચ્ચે લાવવામાં ન આવે, વગેરે. અત્યાર સુધી આ માર્ગ અપનાવવામાં આવતો હતો અને હરારી જેવા સેક્યુલર ઉદારમતવાદીઓને તેની સામે વાંધી નહોતો. રાજ્ય ભલે પક્ષપાતી હોય પણ યહૂદીઓને તો સ્વતંત્રતા મળે છે ને?

નેતાન્યાહુએ વણલખી પરંપરાને તોડી છે. સત્તાભૂખ્યા તાનાશાહે ઉદારમતવાદી સેક્યુલર યહૂદીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું. માટે હરારીઓ ડરી ગયા છે, પણ આવું તો એક દિવસ બનવાનું જ હતું. બાવળની વાવણી કરો તો વહેલા કે મોડા કાંટા તો ઊગવાના જ. જો ઉદારમતવાદી યહૂદીઓ ત્યારે મુસલમાનોના પડખે ઊભા રહ્યા હોત તો ઇઝરાયેલમાં લોકતાંત્રિક રાજકીય સંતુલન જળવાઈ રહ્યું હોત અને નેતાન્યાહુને પેદા થતો રોકી શકાયો હોત. જો પાકિસ્તાનના ઉદારમતવાદી મુસલમાનો હિંદુઓના પડખે ઊભા રહ્યા હોત તો પાકિસ્તાનની દુર્દશા ન થઈ હોત.

અહીં બે અભિપ્રાય ટાંકવા જરૂરી લાગે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાયેલની સ્થાપના કરવાની વાત આવી ત્યારે તેમાં ગાંધીજીનો ટેકો માગવામાં આવ્યો હતો. ગાંધીજીએ ઇઝરાયેલની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યહૂદીઓ ઈચ્છે ત્યારે જેરુસલેમ જઈ શકે છે અને જો કોઈને ત્યાં સ્થાયી થવું હોય તો થઈ શકે એવી માગણી પેલેસ્ટાઇનના શાસકો પાસે કરવી જોઈએ. એક કોમ માટે અલાયદો દેશ સ્થાપવાની શી જરૂર છે! અને જો દેશ વસાવવો જ હોય તો તે પેલેસ્ટાઇનના મુસલમાનોનાં દિલ જીતીને વસાવવો જોઈએ. છાતી પર ચડીને નહીં અને જો મુસલમાનોની છાતી પર ચડીને યહૂદીઓ દેશ વસાવશે તો યહૂદીઓ ક્યારે ય સુખેથી નહીં જીવી શકે. આજે પરિણામ જુઓ. એક યહૂદી તાનાશાહ યહૂદીઓનું જ સુખ છીનવી રહ્યો છે. અનીતિનાં પરિણામ આવાં જ હોવાનાં.

બીજો અભિપ્રાય વિશ્વપ્રસિદ્ધ વિચારક અને પૌર્વાત્યવાદની સ્થાપના કરનારા એડવર્ડ સઈદ(કે સિદ)નો છે. તેમણે કહ્યું હતું કે આરબ એક જાતિવાચક શબ્દ છે, ધર્મવાચક નથી. આજે લોકો આરબ એટલે મુસલમાન એવી જે સમજણ ધરાવે છે એ ખોટી છે. એક જમાનામાં આરબ દેશોમાં ત્રણેય ધર્મના (મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ) લોકો રહેતા હતા અને પોતાને આરબ તરીકે ઓળખાવતા હતા. જો ઇઝરાયેલના યહૂદીઓ આરબ તરીકેની વ્યાપક ઓળખ અપનાવે તો ઇઝરાયેલના આરબ યહૂદીઓ આરબ મુસલમાનો સાથે સુખેથી જીવી શકે. સહઅસ્તિત્વ માટે ધાર્મિક ઓળખ અપનાવવા કરતાં પ્રાદેશિક જાતિય ઓળખ વધારે ઉપયોગી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—206

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2023

બ્રિટનની પાર્લામેન્ટના પહેલા હિન્દી સભ્ય કોણ?   

(ભીખા શેઠ અને રઘલો ભીખા બહેરામના કૂવાથી દાદાભાઈ નવરોજીના પૂતળા તરફ ચાલતા જઈ રહ્યા છે.)

ભીખા શેઠ : રઘલા, તુને માલમ છે કે ગાંધીજી લોનું ભનવા બ્રિટન ગિયા તે વારે કોના પર ભલામણ ચિઠ્ઠી લઈ ગયેલા?

રઘલો : સું સેઠ! તુને હજી રાતે પીધેલી તારી ઊતરી લાગતી નથી. મહાત્મા ગાંધીજીને તે વલી ભલામણ ચિઠ્ઠીની જરૂરત પડે?

ભીખા શેઠ : અરે અક્કલમુઠ્ઠીના! એવન ભનવા ગિયા ત્યારે મહાત્મા બનિયા હુતા નહિ. એ તો હુતા ૧૯ વરસના મોહનદાસ કરમચંદ ગાંધી. અને એવન ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે મુંબઈથી લંડન જવા નીકલિયા તે વારે તેઓ તન ભલામણ ચિઠ્ઠી સાથે લઈ ગિયા હુતા. તેમાંની એક હુતી દાદાભાઈ નવરોજી પરની.

રઘલો : તે સું દાદાભાઈ બહુ પૈસાવાલા હુતા? 

ભીખા શેઠ : વેપાર કરતા હુતા એટલે બે પાનરે સુખી તો હુતા, પણ ગ્રેટ બ્રિટનના પોલિટિક્સમાં બી પડેલા હુતા. અને તુને માલમ છે? ૧૮૯૨માં એવન ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના મેમ્બર ચૂંટાઈ આવેલા. 

રઘલો : એક હિન્દી, અને બ્રિટનની પાર્લામેન્ટનો ચૂંટાયેલો મેમ્બર?

ભીખા શેઠ : હા, અને લંડનના એક પરગણામાંથી બીજા અંગ્રેજ ઉમેદવાર સામે ચૂંટણી લડીને મેમ્બર બનનારા એવન પહેલા હિન્દુસ્તાની હુતા.

પાર્લામેન્ટની ચૂંટણી માટે દાદાભાઈનો પ્રચાર કરતા અંગ્રેજો

રઘલો : એ તો એવન ગોરાઓના દેસમાં જનમિયા હોસે, એટલે.

ભીખા શેઠ : નિ રઘલા. પાર્લામેન્ટના મેમ્બર બનિયા પછી એવનની સામે એક પ્રોબ્લેમ ઊભો થિયો. અત્તાર સુધી દરેક મેમ્બર બાઈબલ પર હાથ રાખી શપથ લેતા હુતા. પણ દાદાભાઈ તો પાક્કા જરથોસ્તી. એટલે એવને તેમ કરવા ‘ના’ ભણી. અને પારસીઓના પવિત્ર પુસ્તક ‘ખોરદે અવસ્તા’ પર હાથ રાખી શપથ લેવાની મંજૂરી લીધી. અને રઘલા, એવનનો જનમ નવસારીમાં થિયો હૂતો.

રઘલો : ઓહો! તારે વિલાયતમાં બી નવસારી નામનું ગામ છે?

ભીખા શેઠ : હવે તુને નક્કી તાડી દિમાગ પર ચડી છ. અરે ઘોઘા! આપના ગુજરાતનું નવસારી. 

રઘલો : સું વાત છે! મારા વલહાડ પાસેનું નવસારી?

ભીખા શેઠ : હા રઘલા. પણ તારે એ વડોદરાના ગાયકવાડના તાબામાં હુતું. ૧૮૨૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ખોડાયજીએ દાદાભાઈને આય દુનિયામાં મોકલ્યા. એવનનાં માય-બાપ રહેતા હુતા મુંબઈના માંડવી નામના મોહલ્લામાં. નવરોજી પાલનજી દોરડી અને એવનનાં ધણિયાણી માણેકબાઈ એક નાનકડા ઘેરમાં જેમ તેમ ગુજારો કરતાં. નવરોજી હતા અમારા પારસીઓના દસ્તૂર. 

દાદાભાઈ માટે બહાર પાડવામાં આવેલી અપીલ

રઘલો : પન ગરીબ માયબાપનો પોરિયો  છેક વેલાત પહોંચ્યો કેમનો?

ભીખા શેઠ : જો ડીકરા! પહેલાં એવન ગાયકવાડી રાજના દીવાન બનિયા. પછી મુંબઈ આવી અમારા પારસીઓમાં ‘સમાજ સુધારો’ કરવા એકુ મંડલી શુરુ કીધી અને ‘રાસ્ત ગોફતાર’ નામનું ચોપાનિયું બી શુરુ કીધું. એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને ફિલસૂફિયાના પ્રોફેસર બનિયા. ૧૮૫૫માં લંડન ગિયા અને કામા એન્ડ કંપનીના એક ભાગિયા બનિયા. જો કે તનેક વરસ પછી બીજા ભાગિયાઓ સાથે જીવ ઊંચો થતાં છુટ્ટા થઈ ૧૮૫૯માં કોટનના વેપાર માટે પોતીકી કંપની શુરુ કીધી. સાથે સાથે વિલાયતમાં રહેતા હિન્દીઓની સુખાકારી માટે કામ કરતા થિયા. ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશન શુરુ કરી હિંદીઓ બાબતની ગેરસમજનો દૂર કરી તેમના વાજબી હક્ક માટે બુલંદ અવાજ ઉઠાવિયો. બ્રિટનની પાર્લામેન્ટના મેમ્બરો સાથે ઉઠતા-બેસતા થિયા. તો માયભૂમિમાં ૧૮૮૫માં સુરુ થયેલી ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૧૮૮૬માં બીજા સરનસીન (પ્રમુખ) બનિયા. બાદમાં ૧૮૯૩ અને ૧૯૦૬માં ફરી સરનસીન તરીકે ચૂંટાઈ આવ્યા. માયભૂમિને માટે ઘન્ંના સોજ્જાં કામ કરીને ૯૧ વરસની જૈફ ઉંમરે ૧૯૧૭ના જૂનની ૩૦મી તારીખે એવન મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગિયા. 

રઘલો : હવે હમજ્યો કે એવનનું બાવલું અઈ કેમ મૂકેલું છ.

ભીખાજી : બાવલું તો છે જ પણ અહીંથી નજીક દાદાભાઈ નવરોજી રોડ બી આવેલો છે. પાકિસ્તાનના કરાચીમાં અને વેલાતનાં ફિન્સબરીમાં બી એવનના નામના રોડ. આપરા દિલ્લીમાં બી ‘નવરોજી નગર’ કરીને એક એરિયા છે. 

રઘલો : સેઠ, એક બાબત પૂછું?

ભીખા શેઠ : સું?

રઘલો : બીજાં બધાં પૂતલાંઓએ તો પોતાની વાત પોતાની જુબાને કીધી. પણ આ દાદાભાઈ સાહેબની બધી વાત તેં જ કેમ કીધી?

ભીખા શેઠ : જો રઘલા! આય દાદાભાઈ એટલે નમનતાઈનું જ પૂતલું. એવન પોતાને મોએ પોતાની વાત કભ્ભી બી નિ કરે. એટલે એવનની વાત મેં કીધી. અને બીજી એક વાત : આપના દેશની સરકારે તન તન વખત દાદાભાઈના માનમાં ટપાલની ટિકેત બહાર પાડી છે : ૧૯૬૩, ૧૯૯૩, અને ૨૦૧૭માં. 

(બંને જણા ચાલતા ચાલતા દાદાભાઈના પૂતલા લગન આવી પૂગે છે.)

દાદાભાઈ : આવો, આવો. તમારી જ રાહ જોતો હૂતો.

ભીખા શેઠ : કેમ વારુ?

દાદાભાઈ : સબબ કે સર ફિરોઝશાહ મહેતા આજે અહીં પધારવાના છે.

ભીખા શેઠ : ઓહોહો! અરે રઘલા, જલ્દીથી બધી તૈયારી કરી નાખ. 

રઘલો : ફિરોઝશાહ, કે એક્તર ફિરોઝ ખાન?

ભીખા શેઠ : હવે મૂંગો મર, ગધેરા! 

(હળવી, પણ મક્કમ ચાલે ફિરોઝશાહ મહેતા આવે છે.)

ફિરોઝશાહ : સલામ, દાદાભાઈ સાહેબ! 

દાદાભાઈ : પધારો પધારો. ઘન્ના લાંબા વખત પછી મલવાનું થિયું.

ફિરોઝશાહ : પેલા એક ગઝલકારે કહ્યું છે ને તેવું જ કૈક થિયું :

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું!

નહીંતર મિલનનો માર્ગ છે વીટીથી ફૌંટન સુધી! 

જુઓ, મારી વાત સમજો. મારા બાવા ઝાઝું ભણેલા નહિ હુતા, પણ ગણેલા હુતા. એટલે કલકત્તા સાથે વેપાર કરતા. એ સબબે ત્યાંની આવનજાવન બી રહેતી. અને હા. એવનનું અંગ્રેજી ખાસ્સું પાવરફૂલ. એટલે કેમિસ્ટ્રીની એક ચોપડીનો તરજુમો કિધેલો અને નિશાળના પોરિયાઓ માટે ભૂગોળની એક ચોપડી બી લખેલી. આપરું ગાડું જરા સારું ચાલિયુ. ૧૮૬૪માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયો અને પછી યુનિવર્સિટીમાંથી એમ.એ.. આય બોમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવનાર હું પહેલવહેલો પારસી હૂતો. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ હુતા વાઈસ ચાન્સેલર. એવન એટલા ખુસ મારા પર, કે જમશેદજી જીજીભાઈની સ્કોલરશીપ મને મળે તેવી જોગવાઈ કીધી. પણ મેં કીધું કે નહિ, હું ભણવા લંડન જાવસ તો મારા બાવડાના જોરે. ગિયો, અને લિંકન્સ ઈનમાં દાખલ થિયો. ૧૮૬૮માં બેરિસ્ટર થિયો તે પહેલાં અહીંથી બીજો કોઈ બી પારસી બેરિસ્ટર થિયો હૂતો નિ. પણ મારે પ્રેક્ટિસ તો મારા દેશમાં જ કરવી હુતી. એટલે મુંબઈ આવી પ્રેક્ટિસ શુરુ કીધી. આજે બી લોક જે માર્કેટને ‘ક્રાફર્ડ માર્કેટ’ કહી બોલાવે છે તે આર્થર ક્રાફર્ડ પર પૈસાની બાબતમાં ગફલા કરવાનો કેસ મંડાયો. તેના તરફથી બોમ્બે મ્યુનિસિપાલ્ટી એકટમાંનાં છીંડાંનો ફાયદો વકીલે લીધો. તે વારે મેં સરકારને કીધું કે આય એક્ટમાં જે જે છીંડાં છે તે પૂરવાં જોઈએ. સરકારે કહ્યું કે તો નવો એકટ તમે જ તૈયાર કરી આપો. આપરે તો આખ્ખો કાયદો નવેસરથી લખી નાખિયો, જે ૧૮૭૨માં પાસ થિયો. તે વારથી ઘણા લોક મુને ‘ફાધર ઓફ બોમ્બે મ્યુનિસિપાલીટી’ કહીને બોલાવતા. 

મ્યુનિસિપાલિટીના મકાનની બહાર સર ફિરોઝશાહ મહેતાનું પૂતળું 

રઘલો : અચ્છા, એટલે એવનનું બાવલું મુનશીપાલ્ટીના મકાનની બહાર ઊભું કીધેલું છે. 

ભીખા શેઠ : હા, અને તે જગાથી સુરુ થતા રોડનું નામ બી સર ફિરોઝશાહ મહેતા રોડ એવું રાખિયું છે. અને લોકો જેને હેંગિંગ ગાર્ડન કહીને ઓલખે છે તેનું બી ખરું નામ છે ફિરોઝશાહ મહેતા ગાર્ડન.

ફિરોઝશાહ મહેતા ગાર્ડન ઉર્ફે હેંગિંગ ગાર્ડન

ફિરોઝશાહ : આય પોલિટિક્સ એક એવી જાળ છે કે એકવાર અંદર ઘૂસો, પછી બહાર નીકલવાનું એકદમ કઠિન. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની ૧૮૮૫માં શુરુઆત થઈ તે વારથી તેની સાથે જોડાયો અને તેની કલકત્તા સેશનનો પ્રમુખ બી બનિયો. તે વખતે હજી કાઁગ્રેસ અને બ્રિટિશ સરકાર આમનેસામને નહિ હૂતી. ૧૮૮૭માં સરકારે મારી નિમણૂક બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અને ૧૮૯૩માં ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કીધી. 

ભીખાશેઠ : આપે એકુ છાપું બી સુરુ કીધેલું, નહિ?

ફિરોઝશાહ : હા, ૧૯૧૦માં ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું આઠવારિયું સુરુ કીધું.

દાદાભાઈ : આય ફિરોઝશાહે મુંબઈની એટલી તો સેવા કીધી કે લોક એવનને ‘ધ લાયન ઓફ બોમ્બે’ અને ‘મુંબઈનો બેતાજ બાદશાહ’ કરી ઓળખવા લાગિયા. ૧૯૧૫ના નવેમ્બરની પાંચમી તારીખે ફિરોઝશાહ બેહસ્તનશીન થિયા. 

ભીખા શેઠ : મુને એક વાત યાદ આવે છે, જે સર હોમી મોદીએ ફિરોઝશાહ સાહેબની અંગ્રેજીમાં બાયોગ્રાફી લખેલી છે. એવન જ્યારે સાતેક વરસના હુતા ત્યારે જીવલેણ તાવમાં પટકાયા. દિવસો સુધી બેસુધ રહ્યા. બીજા બધા ડોક્ટર હાર્યા એટલે એ વખતના નામીચા ડોક્ટર ભાઉ દાજીને ઘેર બોલાવિયા. એવને તપાસીને કીધું કે આય છોકરાનું દિમાગ વધુ પડતું તેજ છે. એટલે આવી માંદગી આવી છે. આ પોરિયો બચશે કે નહિ, એ કહેવું મુસ્કેલ છે. પણ જો જીવશે તો ઘણો મોટ્ટો માનુસ થશે. થોરા દિવસ પછી એક દિવસ છોકરો સફાળો જાગીને જોર જોરથી રડવા લાગ્યો. માઈબાપે પૂછયું કે બેટા કેમ રડે છે, તો કહે કે હું તો એક બહુ જ મોટ્ટા ખુસ્નુમાં બાગમાં ગિયો હૂતો. એકેક ફૂલ પાસે જઈને હુન્ગતો હૂતો તેવામાં મારાં દાદીમાં આયાં. મુને જોઇને જોરથી ધક્કો મારિયો તે એ બાગમાંથી હું સિધ્ધો આય આપના ઘેરમાં આયો. આય સમજીને ઘરના ગલ્ઢેરાએ કીધું કે આ તો બહુ સોજ્જાં શુકન થિયાં. એ બાગ તે બેહસ્ત. આવરી નાની ઉંમરના દોતરાને ત્યાં જોઈને જ દાદી માએ ધક્કો મારીને તેને બહાર કાઢી મૂકયો અને છોકરો મોતના દરવાજેથી પાછો ઘેર આયો.

ફિરોઝશાહ : સાચું ખોટું તો ખોડાયજી જાને. ચાલો, સલામ આપ સૌને.

ભીખા શેઠ : પધારજો. 

તો સાહેબો, સવારની અવરજવર શુરુ થઈ ગઈ છે. એટલે હવે વધુ વાત આવતા શનિવારે. પન અહીં નહિ. આપના દેશની ઔદ્યોગિક ક્રાંતિના પહેલા મશાલચી જમશેદજી તાતાના પૂતલા પાસે ભેગા થઈશું. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જુલાઈ 2023)

Loading

અસ્મિતાના નિર્માતાઃ કનૈયાલાલ મુનશીજી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|22 July 2023

લગભગ રાત્રે અગિયાર સાડા અગિયારના સુમારે પંદર વીસ ગાડીઓનું ઘણ લાલ માટીની ડમરી ઉડાડતું સ્વતંત્ર પક્ષના કાર્યાલય પાસે આવીને ઊભું. કાર્યાલયના પટાંગણમાં એકઠી થયેલ મેદનીમાંથી થોડાક કાર્યકરોનું ટોળું હડી કાઢતું એક કાળી એમ્બેસેડર ગાડીને ઘેરી વળ્યું. ગાડીમાંથી તે વખતે મુંબઇની એક બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવાર મઘુ મહેતા સાથે ઈશાન મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડતા યુવાન ઉમેદવાર ગિરીશ મુનશી સ્મિત ફરકાવતા ઊતર્યા. તેમની પાછળ લીલાવતી મુનશીનો હાથ પકડીને કનૈયાલાલજી ભાવભીનું વંદન કરતા ઊતર્યા; ઘેરી વળેલા કાર્યકરો સાથે હસ્તઘૂનન કરતા મુનશીજી કાર્યાલયના દ્વાર તરફ ઢીલાં પગલાં ભરતાં જઈ રહ્યા હતા, એવામાં ટોળાની ભીડને વીંઘતી, માથે ચકમકતી ટાલ અને શરીરે એકવડિયા બાંઘા સાથે સારી એવી લંબાઈ ઘરાવતી શ્વેત લુંગી-ઘારી એક વ્યકિત કનૈયાલાલ મુનશીજીની સમક્ષ આદરપૂર્વક બે હાથ જોડી વંદન કરતી આવીને ઊભી.

“અરે! જયસુખલાલ! તમે અત્યારે અહીં કયાંથી!’

‘દાદાજી! આ સામે દેખાતા લાલ મકાનના પહેલા માળે હું રહું છું. તમે આજ અહીં ગિરીશભાઈના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા આવવાના છો, એવું મેં મારા પુત્ર જતિન પાસેથી જાણ્યું તે ક્ષણથી શબરીની જેમ તમારા આગમનની પ્રતિક્ષા કરતો, સમી સાંજથી, અહીં આવીને બેઠો છું. જો તમે થોડોક સમય તમારા કાર્યક્રમમાંથી કાઢી તમારાં પુનિત પગલાં મારી પ્રેમ કુટિરે કરશો તો મને બહુ જ આનંદ થશે!”

ક્ષણનો પણ વિચાર કર્યા વગર મુનશીજીએ બહુ જ મૃદુ સ્વરે લેડી લીલાવતીજીને પૂછયુંઃ “અત્યારે કેટલા વાગ્યા હશે!” લીલાવતીજી, મુનશીજીને જવાબ આપે તે પહેલાં જ કાંડા ઘડિયાળમાં નજર કરતાં મઘુ મહેતાએ જણાવ્યું, “મુનશીજી, સાડા અગિયાર થવા આવ્યા છે! તરત જ મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ભાઈ, કાર્યાલયના ઉદ્દઘાટનની વિઘિ તેમ જ સભા પૂર્ણ થતાં જ અમે આખો કાફલો લઈ તમારા ઘરે પઘારીએ છીએ!”

ગિરીશ મુનશીના કાર્યાલયની ઉદ્દઘાટન વિઘિ તેમ જ પક્ષના નાના મોટા કાર્યકરોનાં પ્રવચન વગેરે પૂર્ણ થતાં લગભગ રાતના બે અઢી વાગી ગયા હશે! ઉદ્દઘાટન બાદ ઉપસ્થિત રહેલ કાર્યકરોને નાનાંમોટાં સલાહ સૂચન તેમ જ તેમની સાથે હળવી વાતચીત દરમિયાન એકાએક મુનશીજીનું ઘ્યાન કાર્યાલયના એક ખૂણામાં શાંત ચિત્તે તેમની રાહ જોતા ઊભેલા જયસુખલાલ પર ગયું. તરત જ તેમને યાદ આવી ગયું કે મેં જયસુખલાલને વચન આપ્યું છે કે, મિટિંગ બાદ અમે તમારા ઘરે આવીશું! બસ, બેચાર પળમાં કાર્યકરો સાથે વાતચીતનો દોર પૂર્ણ કરી મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ચાલો હવે આપણે તમારા ઘરે પ્રયાણ કરીશું!” આગળ ઉત્સુક જયસુખલાલ અને તેમની પાછળ લીલાવતીજીનો હાથ પકડીને ચાલતા મુનશીજી, સાથે ગિરીશભાઈ, મઘુ મહેતા અને બેચાર કાર્યકરો! મુનશીજી જયસુખલાલના ઘરે પહોંચ્યા ત્યારે રાતના અઢી વાગ્યા હોવા છતાં, મુનશીજીએ જયસુખલાલના પલંગ પર એક તકિયાનો ટેકો લઈ નિરાંતે બેઠક જમાવી. મુનશીજીએ જયસુખલાલના પરિવાર સાથે સુખદ ક્ષણોની લહાણી તો કરી સાથોસાથ એટલા જ સ્નેહભાવથી જયસુખલાલની ઓરડીની આસપાસ વસતા મઘ્યમ વર્ગના પરિવારો સાથે સારો એવો સમય પસાર કર્યો. રાત્રે સાડા ત્રણ-ચારે તેમના નિવાસ્થાન ચોપાટી તરફ જવા, જયસુખલાલ તેમ જ તેમના પરિવાર પાસેથી સ્નેહભરી વિદાય માંગી!

ભારતીય વિઘાભવનના ઉપક્રમે કનૈયાલાલ મુનશીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી. આ શુભ પ્રસંગે ભવને મુનશીજીની નવલકથા આઘારિત ત્રણ એંકાકી ભજવવાનું નક્કી કરેલ. આ કાર્યક્રમમાં પઘારવા આમ જનતાને ખુલ્લું નિમંત્રણ, મુંબઈના તમામ સમાચારપત્રોમાં જહેર ખબર આપીને પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, “કાર્યક્રમમાં વહેલા તે પહેલાના આઘારે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પ્રવેશ પાસ અગાઉથી નક્કી કરેલા દિવસે ભવનની ચોપાટી પરની ઑફિસમાંથી મેળવી લેવા કૃપા કરશો!”

મુનશીજીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી તે વખતે મિત્ર વસંત જોષીની ઉંમર લગભગ દસબાર વર્ષની હશે! આ ઉંમરે વસંતભાઈએ મુનશીજીની લગભગ તમામ નવલકથાઓ વાંચી કાઢેલ. વસંતભાઈ તો મુનશીજીની વાર્તાઓના એક ગાંડા ચાહક હોવાને નાતે સમાચારપત્રમાં જાહેર ખબર વાંચી તે જ દિવસે સવારે ભારતીય વિઘાભવનની ઓફિસ ખૂલે તે પહેલાં બારી પાસે નાટકનો પાસ મેળવવા ઊભા રહી ગયા! સમય મુજબ ભવનની બારી ખૂલતાં જ બારી પર બેઠેલા મહાશય પાસે વસંતભાઈએ એક પાસની માગણી કરી. “ભાઈ, પાસ તમને જરૂર આપવામાં આવશે! પરંતુ આજે નહીં પણ ત્રણ દિવસ બાદ. અમે જાહેર ખબરમાં આમ જનતા માટે જણાવેલ સમય મુજબ વહેંચણી કરીશું, તો તમે તે દિવસે સવારે આવીને પાસ લઈ જઈ શકો છો!”

‘મોટાભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ તમે જાહેર ખબરમાં જે દિવસે પાસની વહેંચણી કરવાનું જણાવ્યું છે તે દિવસે સવારે હું પાસ લેવા નહીં આવી શકું. તે દિવસે તો મારી પરીક્ષા છે! મારે પરીક્ષા પણ આપવી છે અને મુનશીજીનું નાટક પણ જોવા આવવું છે! જો તમે મહેરબાની કરીને એક પાસ અત્યારે આપો તો તમારો ખૂબ આભાર!

બરાબર એ જ વખતે કોઈ કારણ સર કનૈયાલાલજી ભવન પર આવેલ હશે, તેમના કાને વસંતભાઈ અને બારી પર બેઠેલા મહાશયનો સંવાદ પડતાં તેમણે પેલા મહાશયને પૂછયું, “કોણ આટલી જિજ્ઞાસાથી ત્રણચાર દિવસ પહેલાં નાટકના પાસની માંગની કરી રહ્યું છે!”

ટિકિટ બારી પરના મહાશયે મુનશીજીને વસંતભાઈની માંગણીના કારણની વાત કરી. ઑફિસમાંથી બહાર આવી મુનશીજીએ વસંતભાઈ સાથે થોડીક વાતચીત કરી. વાતચીત દરમિયાન મુનશીજીએ જાણ્યું કે, શાળાના દસબાર વર્ષના એક વિઘાર્થીએ એમની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાઘિરાજ અને જય સોમનાથ વગેરે નવલકથાઓ વાંચી કાઢી છે. આ સાંભળી મુનશીજી બહુ જ ખુશ થઈ ગયા! તેમણે બારી પર બેઠેલા મહાશયને કહ્યું કે, “ભલે, આપને જાહેર ખબરમાં જણાવ્યું છે કે પાસ પરમ દિવસે વહેંચીશું, પરંતુ તમે અત્યારે જ આ વિઘાર્થીને એક પાસ આપો! આપણે સમજી શકીએ છીએ કે પરીક્ષાના દિવસે તે પાસ લેવા ન આવી શકે! આવા સાહિત્યપ્રેમી વિઘાર્થીઓ મારા નાટક અને મારી નવલકથાથી વંચિત રહી જાય તે મને ન પરવડે!

જે મુનશીજીના નામથી ગુજરાતી સાહિત્યની અસ્મિતાનાં દ્વાર ખૂલે છે, જે મુનશીજીએ શામ, દામ અને દંડથી ભારતનાં દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદના નિઝામને ક્ષણમાં નમાવી સરદાર વલ્લભભાઈના કાર્યને સરળ બનાવી દીઘું હતું તે જ કનૈયાલાલ મુનશી સામાન્ય માણસના હ્રદયને ભૂલથી પણ કયાં ય ઠેસ ન વાગે તેનો કેટલો ખ્યાલ રાખતા હતા!

નોઘ :

કચ્છના ભૂકંપ પહેલાં બરાબર એક વરસે અમેરિકાની પચ્ચીસ ત્રીસ વર્ષની જાહોજલાલીની જિંદગીને તિલાંજલિ આપી, કચ્છની શાળામાં વિનામૂલ્યે સેવા આપવા, મારે ગામ રોચેસ્ટરથી ડો. વસંત જોષી ચાલ્યા ગયા છે. તેઓ વ્યવસાયે pharmacists હતા.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...924925926927...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved