Opinion Magazine
Number of visits: 9666854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… ત્યારે રાવણ એક હતો, આજે અનેક છે !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2023

રવીન્દ્ર પારેખ

દશેરાએ રાવણ દહન થયું ને ફાફડા ખાઉ પ્રજાએ અનેક રાવણોને ભડકે બાળ્યા. રામે તો એક જ રાવણને મારવાનો હતો, પણ આજે રાવણોની વસ્તી એટલી છે કે રામ શોધ્યા જડતા નથી. ગમ્મત એ છે કે બાળનાર રાવણ છે, તો ભડકો થનાર પણ રાવણ જ છે. આમ તો રાવણ મહાવિદ્વાન હતો, તેને હવે તેનાથી પણ ‘વિદ્વાન’ પ્રજા બાળે છે. અત્યારે થયું છે એવું કે ક્યાં ય કોઈ સમસ્યા જ રહી નથી. આખો દેશ વિશ્વની થર્ડ ઈકોનોમી બનવા તલપાપડ થઈ રહ્યો છે ને ઘણા વિકાસના શેકેલા પાપડ ભાંગી પણ રહ્યા છે. બહુ આનંદ થાય છે કે દેશ વિકાસ સિવાય કૈં જ કરી રહ્યો નથી. દેશ, પરદેશમાં પણ ઘણું ફરી રહ્યો છે ને ત્યાં આબરૂના ધજાગરા ઉડાવી રહ્યો છે એવું વિપક્ષોને લાગે છે, પણ એ તો ઈર્ષાનું પરિણામ છે, બાકી, ઠેર ઠેર દેશની ધજા ફરફરી રહી છે, તે દેશીઓ તો ઠીક, પરદેશીઓ પણ જોઈ રહ્યા છે ને મોટ્ટી તાળીઓથી વધાવી રહ્યા છે.

આમ તો વિપક્ષ જેવું ખાસ કૈં હતું નહીં, પણ ‘ઈન્ડિયા’ આંચકી લેવા બધા ભેગા થઈ ગયા ને એન.ડી.એ.ની ચામડી થથરી ગઈ. હોય એ તો, ગામ હોય ત્યાં … સમજી જાવને હવે ! નકામું થૂંક ઉડાડવું નથી. હું કોઈમાં નથી. ન પક્ષમાં, ન વિપક્ષમાં. એટલે શુદ્ધ બુદ્ધિથી જે લાગે તે કહું છું. ખોટો હોઈ શકું, પણ ખોટા ઇરાદાથી કૈં કહેતો નથી. મને વિકાસમાં રસ છે, પણ એકલી વિકાસની વાતોમાં નથી. ધુમાડો હોય તો અગ્નિ હોયને ! ક્યારેક અગ્નિ વગર જ ધુમાડો ફેલાયા કરતો હોય તો તે ગૂંગળાવે છે. જેમ કે, શિક્ષણ ખાતું હોવા છતાં વરસી વળી ગઈ હોય તેવું નથી લાગતું? શિક્ષકો વગર શિક્ષણ ચાલે એ ધુમાડો જ છેને ! શિક્ષણ વગર પરીક્ષાઓ થયા કરે ને પરિણામો આવ્યાં કરે એ ય ધુમ્મસ જ છેને ! કાલથી જ 32,000 શાળાઓનાં 54 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. એમાં શિક્ષણ કેટલું થયું એ તો આપનાર અને મેળવનાર જાણે, પણ નવી શિક્ષણ નીતિનો લાભ એ છે કે એમાં બધું સરળ થઈ ગયું છે, એટલે શિક્ષણ વગર પણ પરીક્ષણ શક્ય છે. હવે તો પરીક્ષણ જ શિક્ષણ છે, એટલે શિક્ષક વગરનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી લે એમ બને. ભવિષ્યમાં વિદ્યાર્થી પોતે જ પોતાને ભણાવે, એ જ પેપર કાઢે ને એ જ તપાસે તો નવાઈ નહીં !

તમે માનો કે ના માનો, પણ પ્રજા ભગવાનમાં બહુ માનતી થઈ છે. બધું ભગવાન જ કરે છે ને એના પર જ બધું છોડવામાં આવે છે. જેમ કે, ગયે વર્ષે મોરબીનો પુલ તૂટયો ને 135 લોકો મરી ગયાં એ શું માનવ સર્જિત હતું? હોય કૈં ! આટલાં બધાંને એક સાથે મારવાનું શક્ય છે? એ તો ઉપરવાળો જ બધું નીચેવાળા પાસે કરાવે છે. કોન્ટ્રાક્ટરે નવો પુલ બાંધ્યો, તે શું લોકોને મારવા માટે? એ તો ભગવાને જ કોઈને મિશન તો કોઈને કમિશન આપ્યું હોય છે, બાકી, માણસ તો નિમિત્ત માત્ર છે. એ બિચારાઓનું આવી બનેલું તેમાં કોઈ શું કરે? હવે પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી ગયો તે કોઈ માણસે તોડ્યો? ના રે ના ! એ તો પુલને જ આળસ મરડવાનું મન થયું તે મરડી ને બે વ્યક્તિનાં મોત થયાં. અલબત્ત ! એ દુ:ખદ છે, પણ એ બે વ્યક્તિઓએ પણ સમજવું જોઈએને કે પુલ આળસ ખાય તે જોવા ઊભાં ના રહેવાય, પણ કાળ ભાન ભુલાવે તેમાં એ બે વ્યક્તિ પણ શું કરે? લોકો એ વાતે ધૂંધવાયાં કે કોઈએ આશ્વાસનના બે શબ્દ પણ ન કહ્યા. બે શબ્દો કહેવા જોઈએ, પણ બે શબ્દોને બદલે બે લાખ મળે તો આશ્વાસનની જરૂર રહે? શું છે કે આવા આકસ્મિક મોત માટે જુદું ફંડ જ કાઢેલું છે. જેવી ખબર આવે કે કોઈ ગયું તો તરત જ બેપાંચ લાખ ઢીલા કરી દેવાય છે. એ તો સારું છે કે એડ્વાન્સમાં કોઈની ખબર નથી પડતી, બાકી, તેનું પણ વળતર જાહેર કરવા ખાતું તત્પર રહે છે. હવે વિપક્ષ કહે કે 10 લાખ વળતર ચૂકવો, તો એ બરાબર નથી. આ એક જ પુલ છે કે એક બે માટે ભંડોળ ખાલી કરી દેવાનું? હજી તો ઘણા પુલ છે. એમાં કોઈ ઝૂલી ગયું તો એને શું અંગૂઠો બતાવવાનો? બધાંને ભાગે પડતું આપીએ એમાં જ ઈશ્વર રાજી.

શું છે કે કોન્ટ્રાક્ટ અને કમિશન અભિન્ન છે. કોન્ટ્રાક્ટ જોઈએ તો કમિશન આપો, પછી છોને પુલ બાંધો કે નનામી, શું ફેર પડે છે? સાચું તો એ છે કે કોઈ કૈં કરતું નથી, આ બધું તો થાય છે. હવે પાલનપુર પુલને મામલે પણ કોઈ ડાયરેક્ટર, કોન્ટ્રાકટરના ગળામાં ગાળિયો ફિટ કરવાનું ચાલશે. ચાલશે, આવું થોડા દિવસ ને જેવો કોઈ બીજો પુલ તૂટશે કે બધું ભુલાઈ જશે. 2022માં જ સાત પુલ તૂટ્યા. શું થયું? પાલનપુરનો પુલ તૂટ્યો જને ! તપાસ થશે ને છેલ્લે બધું પાસ થશે. બાયપાસ થશે. ગયું તે નાપાસ, બાકી બધું પાસ ! વારુ, છેલ્લે સુધી કોઈ રાહ જુએ એમ જ નથી, કારણ બીજા પુલ પણ ખરાને ! એ કૈં થોડા જ લક્ષ્મણઝુલા છે કે દાયકાઓ સુધી ઝૂલ્યા કરે? હવે તો એ જ કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાય છે જે બાંધવામાં કાચી ને કમિશનમાં પાકી હોય. એમાં કોઈ કહે કે પુલ ચકાસીને તેનું ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન મૂકો, તો એ તો ગધેડાને તાવ આવે એવી જ વાત છે. ભલા માણસ સર્ટિફિકેટ મેળવવાનું એટલું અઘરું છે? ભણ્યા વગર પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જતું હોય, ત્યાં ફિટનેસ સર્ટિફિકેટ પૈસા વેરો તો ગધેડે ગવાય એ કહેવાનું હોય? પાલનપુર પુલના કોન્ટ્રાક્ટરે અમદાવાદ રોડનાં બાંધકામમાં પણ 300 કરોડનાં ખોટાં બિલ મૂક્યાંનો ગણગણાટ છે જ, તો પુલ બંધાતાં પહેલાં જ જમીન પર આવે એમાં નવાઈ નથી.

થોડો વખત આરોપો મૂકવાનું ચાલશે, પણ કોન્ટ્રાકટરો ચૂંટણી ફંડ આપે છે એટલે નબળું બાંધકામ પણ ચાલી જાય છે. બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાકટરોનું લિસ્ટ રખાય છે જ એટલે કે નવો કોન્ટ્રાક્ટ આપી શકાય, પછી ગરીબોનો બેલી તો ભગવાન છે જ ને ! એ બધું જુએ છે ને જાણે છે. એ જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશે. એ કોણ બોલ્યું, દૂધ છે જ નહીં તો પાણીનું પાણી જ રહેશેને ! જરા તો શરમ કરો. ભગવાનથી જરા તો ડરો. એ ખરું કે પ્રજા ટેક્સ ચૂકવે છે તો મજબૂત પુલ માંગે, પણ તમે ભ્રષ્ટાચારના પૈસા ચૂકવો છો? એ તમે ન ચૂકવો તો કોણ ચૂકવે? પછી પુલ તો કાચોપાકો જ બંધાયને ! ખરેખર તો સરકારે ભ્રષ્ટાચારના ટકા પણ ટેક્સમાં અલગથી બતાવવા જોઈએ, જેથી પ્રજાને પણ ખબર પડે કે ટેક્સના કેટલા છે ને ભ્રષ્ટાચારના કેટલા છે? પ્રજાએ સમજી જ લેવાનું રહે કે પુલ તૂટવા માટે ને પરીક્ષાનું પેપર ફૂટવા માટે જ હોય છે. એ કૈં કાચ છે કે તૂટે કે ફૂટે નહીં?

જો કે, આપણી સરકારો બહુ ભોળી હોય છે. એ થોડે થોડે વખતે બોલ્યા કરતી હોય છે કે કોઈને બક્ષવામાં નહીં આવે, કોઈ જવાબદારોને નહીં છોડાય … વગેરે. અરે, ભાઈ ! જવાબદારો તો છૂટા જ ફરે છે, એ કદી છૂટા થતા જ નથી. સરકારને ક્યારે ય ભ્રષ્ટાચાર દેખાતો નથી. તેનું કારણ છે. જ્યાં ગંદકી હોય ત્યાં જોવું જ નહીં. એટલું કરો તો બધું ચોખ્ખું જ દેખાય. જેમ કે, શહેરોની ગલીઓમાં ડ્રગ્સ ઘેરીયા રમે છે, પણ સરકારને તો એમ જ છે કે ક્યાં ય ડ્રગ્સ નથી. ડ્રગ્સ રાજસ્થાનથી વાયા નવસારી થઈ યુ.એસ. પહોંચ્યું, પણ ઊહાપોહ નથી. ગાંધીધામ નજીક મીઠીરોહર ખાડીમાંથી 800 કરોડનું કોકેઈન મળી આવ્યું તે છતાં સરકારને એ ખબર નથી કે એ લાવ્યું કોણ? બને કે ભગવાને જ મોકલ્યું હોય, જેથી હેરાફેરી કરનારા પેટિયું રળી લે. સરકાર ભગવાન ભરોસે હોય તો ભગવાન પણ સરકાર ભરોસે જ હોયને ! દાંત આપ્યાં છે, તો ચવાણું ય આપશે એ ન્યાયે ડ્રગ્સ આપ્યું છે તો ડ્રગ્સ માફિયા પણ આપશે. ગયા સોમવારે ઔરંગાબાદથી 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રૉ મટિરિયલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડી.આર.આઈ.ને હાથ લાગેલું. જો આ શક્ય હોય તો 800 કરોડનાં કોકેઈનનો પણ હિસાબ મળશે, શરત એટલી કે ડ્રગ્સ ક્યાં ય નથી એવું ભોળપણ છોડવાનું રહે.

છેલ્લા થોડા મહિનાઓથી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારની સંખ્યા પણ વધતી આવે છે, તે ‘દિલ દિયા, દર્દ લિયા’ને કારણે નહીં, પણ ગરબાને નિમિત્તે. ખરેખર તો જેમને હાર્ટ ટ્રબલ છે, તેમણે ગરબામાં ભાગ લેવાનો જ ન હોય, પણ ગરબા વગર રહી જતાં હોય તેમ કેટલાક એમાં ખેંચાયા ને ખર્ચાયા. કેટલાંક હાર્ટ એટેકને માટે કોરોનાની રસી ને બુસ્ટર ડોઝને જવાબદાર ગણે છે, પણ સરકારે પોતાની બાજુ સાફ કરતાં કહી દીધું છે કે રસી કે બુસ્ટર ડોઝ હાર્ટ એટેકનું કારણ નથી જ ! કેટલાક હાર્ટ એટેકને માટે યુવાનોની મોડી રાતની ફૂડ હેબિટ્સને જવાબદાર ગણે છે. એમાં તથ્ય હોય તો પણ એને લીધે જ હાર્ટ એટેક્નો ભોગ યુવાનો બને છે, એવું સોય ઝાટકીને કહી શકાય એમ નથી ને હકીકત એ છે કે છેલ્લા છ મહિનામાં 1,060 લોકોનાં મોત હાર્ટ એટેકથી થયાં છે. ફલાણાંથી હાર્ટ એટેક નથી એવા દાવા થાય છે, પણ શેનાથી છે, એનો ફોડ પડાતો નથી, ત્યારે ફરી એક વાર ભગવાનને આશરે જ જવું પડે એમ છે. કમાલ એ છે કે કરે છે બધું જ માણસો, પણ તેઓ તો કોઈ જવાબદારી લેતા નથી તો, જે નથી કરતા એ ભગવાનને જ જવાબદાર ઠેરવીને આપણે હાથ ઊંચા કરી શકીએ. તો, ચાલો, એ જ કરીએ.

બોલો રે, બધા –

ૐ શિક્ષણાય નમ:, પુલ ધબાય નમ:, કોન્ટ્રાક્ટરાય નમ:, મિશનાય નમ:, કમિશનાય નમ:, કોકેનાય નમ:, હાર્ટ એટેકાય નમ: …                                  

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑક્ટોબર 2023

Loading

ઐતિહાસિક સંભારણાં રૂપે પીરસાયું છે

કાન્તિ નાગડા|Diaspora - Features, Opinion - Opinion|26 October 2023

[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ કર્યા બાદ કાન્તિભાઈ નાગડાનું પ્રવચન]

•

અતિથિ વિશેષ, પ્રમુખ સાહેબ, અકાદમીની કાર્યવાહી સમિતિનાં સભ્યો, સજ્જનો અને સન્નારીઓ

કાન્તિ નાગડા

46 વર્ષ અને 08 મહિનાથી ચાલતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની યાદ મને યુગાન્ડાના પાટનગર કમ્પાલાની સાત ટેકરીઓ વચ્ચે લઈ જાય છે.

સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ પટેલ, પુરુષોત્તમ હરજી ભોજાણી, મનુભાઈ કોટક, અનસૂયા પંડ્યા, વનુ જીવરાજ, નરેન્દ્ર દાવડા અને બીજાં ઘણાં લેખકો, કવિઓ અને કલાકારોની સાથે વિવિધ વ્યક્તિઓના ઘેર કે પાટીદાર સમાજના હોલમાં હું પણ કવિતા રજૂ કરતો.

કેતનભાઈ રુપેરાની રજૂઆતના સંદર્ભે આટલી વિગતો પૂરવણી રૂપે ય આપું : નાઈરોબીથી એક વખત ઇન્દુભાઈ દેસાઈ ‘નવયુગ’ સાપ્તાહિક પ્રગટ કરતા. એ સાપ્તાહિકમાં ‘મૂરતિયો કે નોકર’ નામે મારી એક નવલકથા 45 અઠવાડિયા સુધી હપ્તાવાર પ્રગટ થઈ હતી.

લંડનમાં 1976 – 1977ના ગાળા દરમિયાન ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના કવિ ડાહ્યાભાઈ પટેલે શરૂ કરેલી અને યુનાઇટેડ કિંગ્ડમમાં ગુજરાતી ભાષાના કવિ-લેખકોને પ્રોત્સાહન તેમ જ વેગ આપી રહેલ આ મંડળે ઊગતા કવિ-લેખકોને મેદાન આપ્યું. જતે દહાડે આ મંડળને અકાદમીમાં ફેરવી આજે પણ આ સંસ્થા જાગૃત છે તે સર્વ ગુજરાતી ભાષીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

આ ગાળા દરમિયાન ગુજરાતી ભાષાને આવરી લેતી કેટકેટલી સભાઓ યોજાઈ છે – કવિતા, ટૂંકી વાર્તાઓ, નિબંધો, નવલકથાઓ, ગીત-સંગીત, રાસ-ગરબા, નાટકો, જીવન કથાઓ અને આત્મકથાઓ, ગુજરાતી શીખીએનાં પુસ્તકો, ભાષા અને શિક્ષણના વર્ગો, આમ ઘણા કાર્યક્રમો આ સંસ્થાના નેજા હેઠળ યોજાયા છે. અને વળી આ બધું આજે ય કાર્યરત છે.  તેનાથી મને ફક્ત સંતોષ જ નહીં ગૌરવ પણ છે.

ગુજરાતી ભાષાની સેવામાં ઘણી બધી સંસ્થાઓએ ગુજરાતીના વર્ગો ચલાવ્યા અને હજુ ચલાવે છે.

‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’, ‘નવ બ્રિટન’, ‘અસ્મિતા’, ‘નયા પડકાર’, ‘ઓપિનિયન’, ‘અમે ગુજરાતી’ વગરે વગેરે સમસામયિકો પ્રગટ થયાં અને હજુ તેમાંનાં કેટલાંક થાય છે, તેનાથી ગુજરાતી ભાષાને ટેકો મળ્યા કર્યો છે.

કેતન રુપેરા સંપાદિત અને વિનય કવિને અપર્ણ આ દસ્તાવેજી પુસ્તક – ‘ચાળીસીએ ઓચ્છવ’નું જાહે રલોકાર્પણ કરવાની મને જે તક મળી છે તેનાથી મારી છાતી ગજ ગજ ફૂલે છે. 

ચાળીસીએ ઓચ્છવ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો, યુનાઇટેડ કિંગ્ડમમાંના ઐતિહાસિક સંભારણાં રૂપે અમૂલ્ય ઇતિહાસનો ખજાનો છે.

પંચમ શુક્લની કવિતાની રમઝટ. વલ્લભ નાંઢાએ આપ્યું નવલકથાનું સરવૈયું. ભદ્રા વડગામાનું સુગમ સંગીત. કૃષ્ણકાન્ત બૂચનું આત્મકથા સાહિત્ય. અહમદભાઈ લુણતની બોલ્ટન, બલેકબર્ન, પ્રેસ્ટન, બ્રેડફર્ડ વગેરે સ્થળોની ગુજરાતી સંસ્થાઓ અને તેમાં ખસ કરીને સાહિત્યની ઊંદાણભરી રજૂઆત. વિપુલ કલ્યાણીની લાગણી અને કુન્તલ અને કુંજના અથાગ સાથ અને મહેનત. ડાયસ્પોરાની વાત અનિલ વ્યાસ કરે છે અને સાથે સાથે ટૂંકી વાર્તાને સાંકાળી લે છે. આશા બૂચનો નિબંધ સાહિત્ય બાબતનો લેખ. વર્ષો સુધી શિક્ષિકા રહેલાં વિજયા ભંડેરી ભાષા અને શિક્ષણની વાત કરે છે, જેમાં પરીક્ષાઓ અને તાલીમનું પણ વર્ણન કરે છે. વ્યોમેશ જોશીએ નાટક પ્રવૃત્તિને તખતા પર મૂકી આપી છે. નયના પટેલ અને શૂચિ ભટ્ટના સભાસંચાલનના લેખો. સુષમા શેઠનાનો પત્રકારત્વ અંગેનો લેખ શક્ય છે, ફરી કોઈ વાર વાંચવા મળે. અદમ ટંકારવીનું આરંભિક વક્તવ્ય ખૂબ સરસ પણ છે અને નક્કર હકીકત પણ પિરસે છે. તદુપરાંત, વિપુલભાઈનું એક વિહંગાવલોકન એક સંભારણા તરીકે તમે જરૂર વાંચી શકશો.

આ તબક્કે મારા મિત્ર જેનાથી તમે સૌ પરિચિત છો તેમનો એક સંદેશ આપવા મને સૂચવાયું છે. આ મિત્ર, સી.બી. પટેલે મને ખાસ કહ્યું છે કે ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની’ની આ સભાને કહેજો, અને એમના શબ્દો છે : ‘ગુજરાતી ભાષા માટે વિપુલભાઈએ કમ્મર કસી છે તે બદલ તેમને ખૂબ જ ધન્યવાદ.’

અને હવે છેલ્લે, સજ્જનો અને સન્નારીઓ, ચાળીસીએ ઓચ્છવ આપણને એક ઐતિહાસિક સંભારણાં રૂપે આપણને પીરસાયું છે, તેનું જાહેર લોકાપર્ણ કરવા માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. … ધન્યવાદ.

Loading

સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને 

યોગેશ પટેલ|Diaspora - Features, Opinion - Opinion|26 October 2023

[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ અવસરના અતિથિ વિશેષ યોગેશભાઈ પટેલનું પ્રવચન]

•

આમંત્રણ બદલ આભાર. 

યોગેશ પટેલ

ઇતિહાસની વાત કેતનભાઈએ કરી તેના સંદર્ભે મારે એક વાત ઉમેરવી છે. ઇતિહાસ લખવા બેસીએ તો આપણે ઘણું કહેવું હોય, અને તેથી જ ઘણું રહી જાય. કહેવાનો આશય એ છે કે આ પુસ્તકમાં પણ થોડી ઓછપ રહી ગઈ હોય તે શક્ય છે. ફરિયાદ ના કરાય. કારણ કે આ પુસ્તક એક દસ્તાવેજી નોંધ છે. તમને સૌને અભ્યાસપૂર્ણ લેખો બદલ અભિનંદન આપવા જ પડે. કામ ઘણું સારું થયું છે અને તમને જે ઉપલબ્ધ માહિતિ છે તેના પરથી તમે સૌએ એનું વિશ્લેષણ પણ સારુ કર્યું છે. 

સ્વાભાવિક રીતે મારા મનમાં જ્યારે અકાદમીની કલ્પના આવી ત્યારે મેં અને કુસુમબહેન શાહે શરૂ કરેલા મંડળથી આગળ વધી ખૂબ કામ થાય એવી ઝંખના હતી. સાથેસાથે મારું કામ અમુક હદ સુધી જ રહે તે વિશે હું જાગૃત હતો. તેથી ૧૯૭૭માં જ્યારે અકાદમીની સ્થાપના કરી ત્યારથી મેં પાર્શ્વમાં ભૂમિકા રાખી. વિપુલભાઈ જેવો મશ્કેટિયર તમને મળી જાય તો કાર્ય ઘણું સરળ થઈ જાય. ૧૯૭૪માં હું જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે અહીં કશી પ્રવૃત્તિ ન હતી. એક મંડળ જેવું કશું ઊભુ કરવાનો પ્રયત્ન થયેલો, પરંતુ તે પણ ખોરવાયેલું હતું. ભારતથી હું ગુજરાતી સાહિત્યનાં ઊહાપોહના વાતાવરણમાંથી આવેલો. સુરેશ જોષી મારા ગુરુ અને રતિલાલ ‘અનિલ’ મુરબ્બી. ‘કંકાવટી’ના દફતરમાં અમે લેખકો દર રવિવારે મળતા. બધાને ખબર તેથી બારગામથી આવીને મિત્રો જોડાતા. ભાગ લેતા. આમ અમે સાહિત્યની ખૂબ ચર્ચાઓ કરતા. ખૂબ વાંચતા. ખૂબ વિશ્લેષણ કરતા. એમાંથી જે શીખીને આવ્યો હતો તે લઈને આવ્યો હતો. હું માત્ર અંગ્રેજી સાહિત્યના પોસ્ટ-કોલોનિયલ પ્રવાહમાંથી જ નહોતો આવ્યો. તેથી નયનાબહેને અહીંના સાહિત્યકારો વિષયક જે હાંસિયાનો ઉલ્લેખ કર્યો છે તે હું સમજી શકું છું. આનો પડઘો ‘અસ્મિતા’ સામયિકની મારી ઘણી પ્રસ્તાવનાઓમાંથી તમને મળી આવશે. એમાં ઉઠાવેલા સવાલો હજુ બદલાયા નથી. તેથી જ અનિલભાઈ વ્યાસે જે ત્રણચાર મુદ્દા પ્રતિ આપણી આંગળી ચીંધી છે તે અગત્યના છે. 

તો એક બે ઉદાહરણ જે નથી તે જોઈએ. 

તમને કદાચ મારા વાર્તાસંગ્રહ ‘પગલાંની લિપિ’ના મહત્ત્વ વિશે ખબર નહિ હોય, પરંતુ તમને આશ્ચર્ય થશે કે એંશીના દાયકાના ત્રણ ગુજરાતી ઉત્તમ વાર્તાસંગ્રહમાં એને પસંદ કરી, લગભગ નેવુમાં ભરાયેલ ‘ગુજરાતી સહિત્ય પરિષદ’ના જ્ઞાનસત્રમાં, એને વિશે ચર્ચા થયેલી, જે ‘પરબ’ના અંકમાં પ્રગટ થયેલી. મારા અહીં કાવ્યસંગ્રહને બ્રિટનની આર્ટ કાઉન્સિલે પુરસ્કાર આપ્યો હતો. બીજી કોઈ ભાષા માટે એ પહેલી વાર બન્યું. આ દેશમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા વિવેચનનો મેં પહેલીવાર પરિચય કરાવેલો. ડાહ્યાભાઈ પટેલની ખૂબ મહેનત પછી શોઘેલી કવિતાનો આસ્વાદ એમાં વાંચીને ત્યારે રઘુવીરભાઈ પણ કહ્યા વગર ના રહી શક્યા કે ડાહ્યાભાઈની પહેલી વાર એમણે કવિતા વાંચી, જેથી એમને થયું કે એ કવિ છે! 

આવું જ પરીક્ષા યોજના વિશે કહેવાય. જગદીશભાઈ દવેને ક્યારેક પૂછજો. આરંભથી જ જ્યારે અકાદમી રચી ત્યારે પરીક્ષા વિશે વિગતે વિચારેલું. હું અકાદમીથી દૂર હતો ત્યારે પણ વિપુલભાઈ લઈ ગયા હતા મુખ્ય પ્રધાનોને મળવા. આવું તો ઘણું ભૂલાયું છે. થાય. સમયનો કારભારો છે. ઘણું છે, પરંતુ એ હવે તમારી યાદીમાં નથી. ધ્યાન એટલે દોરું છું કે ઘણું નથી લખાતું કારણ કે આપણને ઘણીવાર એ વિદિત નથી હોતું. ઇતિહાસનો એ સ્વભાવ છે કે તે સબ્જેક્ટિવ હોય છે, ઑબ્જેક્ટિવ નથી હોતો. આજકાલના અભિપ્રાય પરસ્ત પત્રકારની  જેમસ્તો! સત્ય, સત્ય નથી હોતું; ગાંધીજીની વાત ખોટી છે, સત્ય માત્ર વ્યક્તિગત હોય છે. તેથી જરૂર ચેતજો. અંગ્રેજોએ આપણો ઇતિહાસ લખાવ્યો, પણ પછી એને સુધારવાની વાત આવે ત્યારે રાજકારણ શરૂ થઈ જાય ‌ ‌છે! મારો અહીં રાજકારણનો આશય નથી. જે ભેગુ થયું છે તેમાં ઉમેરો. સ્વપ્ન મારું, પાયો મારો પરંતુ મહેનત વિપુલભાઈની, સાથે કુસુમબહેનનો ટેકો, અને ડાહ્યાભાઈનો આર્થિક સથવારો, તે આ અકાદમી. પંકજ વોરાનો પ્રવેશ, પછી વિપુલભાઈનો. વિપુલભાઈ વ્યાપક અર્થમાં સંગઠન કરી શકે. અકાદમી ભલે મેં કલ્પી, પણ વિપુલભાઈ વગર એ જે છે તે ના જ હોઈ શકે. કારણ કે એ સાચા અર્થમાં ભેખધારી છે. વિપુલભાઈની ધગશ અને અન્યને માટેની કર્મઠતા એ એક શક્તિ હતા. અકાદમીના પ્રલંબનું એ જ રહસ્ય છે. કુસુમબહેન અને મેં પસંદ કરેલ માર્ગ અમારી ધારણા મુજબ વિપુલભાઈએ જીવંત રાખ્યો છે.

તેથી જ એમનું સન્માન આ પુસ્તકમાં સામેલ છે તે યોગ્ય છે.

અંતે નયનાબહેન પટેલથી એક ડગ આગળ જઈ ને અફસોસ પ્રગટ કરવો છે કે જે ગુજરાતી સાહિત્યકારો પરદેશના ગુજરાતી સાહિત્યકારોને નીચી નજરે જુએ છે. તેમને પૂછો, બંધુઓ તમે શું કર્યુ છે? ગુજરાતી સાહિત્યને સુરેશ જોષી પછી આગળ વધારવા શું નવું કર્યું? વૉન્ડલ નદીમાં પૅનીવૉર્ટ નામની વીડનો અત્યારે ઉપદ્રવ છે. શું ગુજરાતી સાહિત્યમાં ગઝલ પૅનીવૉર્ટ બની છે?

અને એ પણ નોંધવુ રહ્યુ કે અમે અંગ્રેજીમાં લખનારા ભારતીયોને જુદો અનુભવ છે. ભારતના અંગ્રેજી લેખકો અમારી ખૂબ મહેનત પછી પ્રાપ્ત થયેલ સફળતાને માન આપે છે. ખૂબ અભ્યાસ અને વૈશ્વિક સાહિત્ય લક્ષી જાગૃતિ અને તેનાં ગતિવિધિ-પ્રવાહોનું જ્ઞાન જરૂરી છે. 

અને છેલ્લે એક કવિતા …

આ ઉપદ્રવમાં

રેતીના માનવો

શીશીમાં એમનો સમય

સમજવાને બદલે

ખંડેરોને તોડી

પોતાની પેઢી ભૂલીને

શીદના માવડિયા હોવાનો

ઢોંગ કરી

તાંડવ રચવા ઊભા થઈ ગયા છે?

સારું છે થોડા માણસો હજુ

નવાં ખંડેરો ઊભા કરવા ઝઝુમે છે.

આ સાથે ઉમાશંકરભાઈની એક પંક્તિ યાદ આવે છે; સ્મૃતિદોષની શક્યતા છે.

સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને 

એમાં એમણે એ જ વાત કરી છે. એમના મનમાં કદાચ અમદાવાદ હશે. જે પ્રજા પાસે ઇતિહાસ નથી તે પ્રજાની ઓળખ શી?

તમારા આ આહવાનને મારી શુભેચ્છા … ઈતિ અલમ

Loading

...102030...924925926927...930940950...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved