Opinion Magazine
Number of visits: 9456148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે પાવન પ્રસંગો

મનુભાઈ પંચોળી 'દર્શક'|Gandhiana|4 July 2025

1932નો સત્યાગ્રહ મંદ પડતાં ગાંધીજીએ દેશભરમાં હરિજન યાત્રા શરૂ કરેલી.

એ નિમિત્તે ભાવનગર પણ આવેલા. સાંજના એમની સભા થઈ. બાપુ બોલી રહ્યા એટલે આત્મારામભાઈ જે સૌરાષ્ટ્રના ખડા ખરા સત્યાગ્રહી કહેવાય તે ઊભા થયા અને બાપુને આ મતલબનું પૂછયું :

“આપે સ્વરાજ્ય માટે સત્યાગ્રહ શરૂ કરેલા તે બંધ કર્યો તે અમને તો ઠીક લાગતું નથી. તમે હારેલા હો તેમ લાગે.”

બાપુ હસીને કહે, “આત્મારામ, તમે સવારે સ્ટેશન પર આવેલા ?”

“મને લેવા આવેલા માણસો કેટલા હશે?”

“સરઘસમાં ચાર-પાંચ હજાર તો હશે.”

બાપુ હસીને કહે, “આત્મારામ, હારેલ સેનાપતિનાં સરઘસ નીકળ્યાં હોય તેવું સાંભળ્યું છે ?”

આત્મારામ મૂંગા રહ્યા. પછી બાપુ આસ્તે આસ્તે કહે, “આત્મારામ, ડાહ્યા સેનાપતિ એના સૈનિકોનો નિરર્થક સંહાર થવા દેતા નથી. તમે મારા શૂરા સૈનિક છો. તેમની – તમારી શક્તિ વેડફાય તેમ હું ડાહ્યા સેનાપતિ તરીકે અત્યારે ઇષ્ટ ગણતો નથી.”

આત્મારામભાઈ શું કહે ?

એ બેસી ગયાં. ત્યાં કોઈકે ઊભા થઈ પૂછયું.”

“જે સંસ્થાના રસોડે હરિજનો ન જમી શકે તેને રાષ્ટ્રીય સંસ્થા કહેવાય ? “

બાપુની બાજુમાં જ નાનાભાઈ (ભટ્ટ) બેઠેલા તેમને બાપુ કહે : “નાનાભાઈ, આ તમારા પર ઘા છે.”

પછી પૂછનારને કહે, “આપણે જેલમાં ગયા પછી માફી માગીને નીકળીએ ખરા ?” પૂછનાર કહે. “ના જી.”

“તો આ નાનાભાઈ એમના ગુરુ સાથે બંધાયા છે કે હરિજનો સૌ સાથે ભણી શકશે પણ અમે સાથે જમાડવાનું નહીં કરીએ. હવે આ વચન કેમ તોડાય ?”*

***

રાજકોટ સત્યાગ્રહ મંદ પડી ગયેલો ને પ્રજા થાકી ગયેલી. રામગઢ મહાસભામાં જવાનું છોડી બાપુ સમાધાન કરાવવા આવેલા પણ વીરા વાળાએ સમાધાન ન કર્યું એટલે ગાંધીજી ઢેબરભાઈ જેઠાલાલભાઈ વગેરે કાર્યકર્તાઓને સત્યાગ્રહ પાછો ખેંચી લેવાનું કહ્યું. સારી પેઠે ચર્ચાઓ થઈ. છેવટે સૌથી બાપુની સલાહ માની.

તે રાત્રે આઠેક વાગ્યે હું બાપુ પાસે બેઠો હતો. ત્યાં શંભુશંકરભાઈ આવ્યા. શંભુશંકરભાઈ પણ અણનમ સત્યાગ્રહી. બાપુને કહે,

“તમે તો કહો છો કે સત્યાગ્રહી કદી હારે નહીં અને તમે કેમ સત્યાગ્રહ પાછો ખેંચ્યો?”

બાપુ કહે, “પ્રજા થાકી ગઈ છે. એની પાસે પરાણે સત્યાગ્રહ ન કરાવાય.”

શંભુભાઈ કહે, “ના, તમે કાયર થઈ ગયા છો. સત્યાગ્રહી પાછો હઠે જ નહીં.”

હું તો શંભુભાઈનાં વેણ સાંભળી દિંગ થઈ ગયો, મનમાં ખીજાયો પણ ખરો. પણ બાપુ તો હસીને કહે, “શંભુશંકર! સત્યાગ્રહનો હું આચાર્ય છું. એટલે ક્યારે સત્યાગ્રહ થાય અને ક્યારે ન થાય તે હું જ ઠરાવી શકું ને ?”

પણ શંભુભાઈ તો કહે, “તમે કાયર થઈ ગયા છો. સત્યાગ્રહી કદી હારે જ નહીં.”

બાપુએ રાજકોટના કાર્યકરો જોડે જે વાતો થયેલી તે થોડીક કરી. પણ માને તો શંભુભાઈ શાના ? એમણે તો એમનું ગાણું ચાલુ રાખ્યું :

“તમે થાકી ગયા છો, કાયર થઈ ગયા છો.”

એટલે બાપુ હસીને કહે, “શંભુશંકર, જો તમને હું કાયર થઈ ગયો છું તેમ લાગતું હોય તો રાજકોટની બજારમાં જઈ બે બંગડી લાવી મને ભેટ આપો.”**

શંભુશંકર સૂનમૂન, શું બોલે ?

°°°

[* બાદમાં હરિજનોના મુદ્દે જ નાનાભાઈએ તેમના ગુરુ સાથે વિચ્છેદ કર્યો હતો.

**આ વિધાનને આધુનિક દૃષ્ટિએ મૂલવવાને બદલે મર્મ પકડવો.]

04 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 353

Loading

પ્રજાસત્તાક બંધારણ સાથે અસુખની લાગણી કેમ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 July 2025

સહચિંતન

‘સેક્યુલર’નો વાંધો શા માટે

સોમું વરસ આ વૈચારિક વળાંક ને ચડાવઉતાર વિશે પોતાનાં વર્તુળોમાં ને વ્યાપક સમાજમાં પ્રગટ ચર્ચાનું કેમ ન થઈ શકે? આ ટૂંકી પ્રતિભાવનોંધ માટેનું નિમિત્ત સત્તા–પ્રતિષ્ઠાને પૂરું પાડ્યું છે પણ એને વ્યાપક ચર્ચાના આરંભ તરીકે પણ જોઈ તો શકાય

પ્રકાશ ન. શાહ

સત્તાવાર ધોરણે જેનું સંવિધાન હત્યા દિવસ એવું નામકરણ થયું છે તે 26મી જૂને કટોકટીના કારનામાં અને એના પ્રતિકારની કંઈક વાસ્તવિક કંઈક રંગીન વાતો થઈ એ તો જાણે કે સમજી શકાય. પણ બીજા બે ફણગા કદાચ સવિશેષ ધ્યાનાર્હ બની રહ્યા. એક તો, અઘોષિત કટોકટીનો મુદ્દો આગળ કરાયો, અને એ અનપેક્ષિત નહોતો. પણ લગભગ અણધાર્યો ઉછાળાયો એ મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર (બિનસાંપ્રદાયિક) એ સંજ્ઞા નાબૂદ કરવાનો હતો. 

મુદ્દે અનાયાસ જ, જે સંવિધાનની હત્યાનો ઊહાપોહ કરાય છે એ જ સંવિધાન અંગે હાલના સત્તા-પ્રતિષ્ઠાનના વૈચારિક ને સંસ્થાકીય પુરોગામીઓની વિરોધલાગણીનાં સ્મરણો પણ તાજાં થઈ ગયાં. 

જો કે, ઇતિહાસમાં સાત-આઠ દાયકા પાછળ જતાં પહેલાં હજુ હમણાંના વર્ષોની વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના પહેલા પાંચ વરસની એક વિગત સંભારી લઈએ તે ઠીક રહેશે. બંધારણના આમુખમાંથી ‘સેક્યુલર’ સંજ્ઞા પડતી મૂકવા સારુ થયેલી પિટિશન સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી. કટોકટી દરમિયાન 42મા બંધારણીય સુધારાથી આમુખમાં થયેલો આ ઉમેરો બંધારણની સંબંધિત કલમોના મૂળમાં હોઈ વસ્તુતઃ તે બંધારણના મૂળભૂત માળખાનો જ હિસ્સો છે. 1973ના કેશવનંદ ભારતી ચુકાદામાં ‘મૂળભૂત માળખા’ના ખયાલનું અસંદિગ્ધ અદાલતી અનુમોદન રહેલું છે. વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન અને એકંદર સંઘ પરિવારને તેમ છતાં કંઈક અસુખ રહેલું છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ હોસબોલેની પ્રગટ ટિપ્પણીથી તેમ શિવરાજસિંહ ચૌહાણ સરખા સિનિયર કેન્દ્રીય મંત્રીના ઉદ્દગારોથી આપણી સામે આવ્યું છેઃ સંવિધાન હત્યા દિવસની ઉજવણી … અને એના મૂળભૂત માળખાનો વિરોધ કેવી રીતે પાડીશું આ બે બાબતોનો મેળ?

આજથી ત્રણેક દાયકા પાછળ જઈએ તો 1992 ઊતરતે અને 1993 બેસતે, અયોધ્યા ઘટના પછીના કેટલાક ઉદ્દગારોનું સ્મરણ થાય છે. આંદોલન સાથે સંકળાયેલા સ્વામી મુક્તાનંદ અને વામદેવ મહારાજ ત્યારે વિશ્વહિંદુ પરિષદની થિંક ટેન્કના જોસ્સાથી એક શ્વેતપત્ર લઈને આવ્યા હતા. પ્રસ્તુત શ્વેતપત્રનો ઉધાડ બે પ્રશ્નોથી થતો હતો. એક, દેશની એકતા ને અખંડિતતા તેમ જ ભાઈચારા ને કોમી એખલાસનો નાશ કોણ કરે છે ? અને બીજો પ્રશ્નઃ દેશમાં બિનધાર્મિકતા, ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેરોજગારી, આ બધું કોણે પ્રસાર્યું છે? વાંસોવાંસ, શ્વેતપત્ર ઉત્તર રૂપે કહે છે કે આ બધું આપણાં બંધારણને કારણે છે. તે પછી તરતના દિવસોમાં રજ્જુભૈયાએ ‘એક્સ્પ્રેસ’માં લખ્યું હતું કે આપણું બંધારણ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી, તે ‘હિંદુવિરોધી’ છે. (રજ્જુભૈયા એટલે પ્રો. રાજેન્દ્રસિંહ, 1994થી 2000નાં વર્ષોમાં સરસંઘચાલક)

હવે, એથીયે સાડા ચાર દાયકા પાછળ જઈએ તો 1946-1949ના ગાળામાં બંધારણ સભામાં ચાલેલી ઘડતર પ્રક્રિયામાં ‘ઓર્ગેનાઇઝર’ની પાયાની ટીકા હતી કે, આપણા બંધારણકારોને મનુસ્મૃતિની કદર કે દરકાર નથી. નવેમ્બર 1949માં રામલીલા મેદાનમાં સંઘે યોજેલી વિરોધ રેલી અને આગળ ચાલતાં નેહરુ-આંબેડકરની નનામી બાળવાની ચેષ્ટા, આ બધા પૂર્વરંગ શું સૂચવે છે? અને હા, એથીયે અધિક તો, હિંદુત્વ આઇકોન સાવરકરનો પ્રતિભાવઃ આપણા ‘હિંદુરાષ્ટ્ર’ને માટે વેદો પછી કોઈ સૌથી વધુ પૂજનીય ગ્રંથ હોય તો તે ‘મનુસ્મૃતિ’ છે – એ સ્તો બંધારણનો પાયો હોવો જોઈતો હતો. 

મતલબ, આ મુખમાં કટોકટી દરમિયાન ‘સેક્યુલર’ સંજ્ઞા ઉમેરાઈ છે એ વિગતે તત્કાળ નિમિત્ત પૂરું પાડ્યું હોય તોપણ લોકશાહી પ્રજાસત્તાક બંધારણ સાથે મૂળથી કંઈક અસુખ છે એમ જણાય છે. થોડા મહિનામાં સંઘની સ્થાપનાને સો વરસ પૂરાં થશે. બને કે તે યાત્રા દરમિયાન એને કોઈ પુનર્વિચાર પ્રસંગો પણ આવ્યો હોય. સોમું વરસ આ વૈચારિક વળાંક ને ચડાવઉતાર વિશે પોતાનાં વર્તુળોમાં ને વ્યાપક સમાજમાં પ્રગટ ચર્ચાનું કેમ ન થઈ શકે? આ ટૂંકી પ્રતિભાવનોંધ માટેનું નિમિત્ત સત્તા-પ્રતિષ્ઠાને પૂરું પાડ્યું છે પણ એને વ્યાપક ચર્ચાના આરંભ તરીકે પણ જોઈ તો શકાય, અને તેણે સંઘ પૂરતી સીમિત હોવાનુંયે જરૂરી નથી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2025

Loading

ઓલવાયેલો સિતારો

મૂળ ફારસી કવિતાઃ પરનિયા અબ્બાસી [અંગ્રેજી અનુવાદઃ ગઝલ મોસાદેક • ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|4 July 2025

 

 

 

 

 

 

પરનિયા અબ્બાસી (૨૦૦૨-૨૦૨૫)

હાલ ઈઝરાયેલી હુમલામાં તહેરાનના સત્તારખાન વિસ્તારમાં કુટુંબ સહિત પરિનયા અબ્બાસી અને અનેક નાગરિકોનું મૃત્યુ થયું છે. નીચેની એમની છેલ્લી કવિતામાં એમના અકાળે થયેલા મૃત્યુનો વરતારો છે.

− રૂપાલી બર્ક

મેં વિલાપ કર્યો
તારા માટે
અને મારા માટે પણ

તું ફૂંક મારે છે
સિતારાઓ પર, મારા આંસુઓ પર

તારી દુનિયામાં
પ્રકાશની મુક્તિ
મારી દુનિયામાં
પડછાયાઓની દોડપકડ

આવશે અંત તારો અને મારો
ક્યાંક
દુનિયાનું સૌથી સુંદર કાવ્ય
મૌન થઈ જશે

તું શરૂ કરે છે
ક્યાંક
સાદ આપવાનો
જીવનના ગુંજારવને

પણ હું અંત પામીશ
હું સળગીશ
તારા આકાશમાં
ઓલવાયેલો સિતારો બનીશ
ધુમાડાની માફક.

સ્રોતઃ  https://www.pamenarpress.com/post/parnia-abbasi-2002-2025

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...91929394...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved