Opinion Magazine
Number of visits: 9666152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ ગઝલ

સાહિલ|Poetry|6 November 2023

1.

ખાલીપામાં ટોળાયો છું

ઘરમાં છુ ને રોળાયો છું 

ક્યાં કોઈએ કંકર ફેંક્યો

અમથી અમથો ડ્હોળાયો છું 

જીવતરના જંતરમંતરમાં

ખોવાયો છું – ખોળાયો છું 

ઘટના કોઈ ઘટી ના તો પણ

વારે ઘડીએ તોળાયો છું 

ગાઢ ઘરોબો જળથી તોયે

મૃગજળમાં બોળાયો છું

ખાલીખમ કૂવાનો વારસ

પળ પળ તોયે ઢોળાયો છું 

કોની હળવી ફકે સાહિલ

લીલુંછમ હું કોળાયો છું 

………….. 

2.

કહે  પાંદડું ડાળ પરથી ખરેલું

મરેલું હંમેશાં રહે છે મરેલું 

ખુશી શી રીતે ફરકે મારા જીવનમાં

છે અસ્તિત્વ મારું પીડાને વરેલું 

બની બેઠું નભમાં જઈને સિતારો

જે અશ્રુ પ્રતીક્ષાની પળમાં સરેલું 

પરિચયનો તંતુ ભલે સહુએ તોડ્યો

રહ્યો મારો સંબંધ સહુથી ઘરેલું 

સીધી વાત સ્વીકારવામાં ય સાહિલ

મને મારા સાથે જ વાકું પડેલું

……………… 

3.

ધોરણો જેવું કશું હોતું નથી

સગપણો જેવું કશું હોતું નથી 

સમજૂતીની આંખના કોઈ ખૂણે

સમજણો જેવું કશું હોતું નથી 

એ જ ઘરને માનુ છું ઘર જ્યાં જવા

કારણો જેવું કશું હોતું નથી 

અર્થ શું એ વાદનો જો અંતમાં

તારણો જેવું કશું હોતું નથી 

પથ્થરોની આંખમાં કોણે કહ્યું

શ્રાવણો જેવું કશું હોતું નથી 

ક્યાં મળ્યો એ જીવ કે જે જીવને

વળગણો જેવું કશું હોતું નથી 

ત્યાં ય સાહિલ ક્યાં છિપાઈ છે તૃષા

જ્યાં રણો જેવું કશું હોતું નથી

……………….

4.

મજાલોમાં છે

સર્વ બ્રહ્માંડ મજાલોમાં છે

જેમ અજવાસ મશાલોમાં છે 

ક્યાં હજી પાર રણોનો આવ્યો

રેત બસ રેત પખાલોમાં છે 

મૌન જે ના કદી સંવાદ થયા

એ બધાં કોરી ટપાલોમાં છે 

પ્રશ્ન પલકારે પૂછ્યો આંખોએ

ઉત્તરો સેકડો સાલોમાં છે 

વાત નીકળે જો સહનશક્તિની

મારી ગણના ય કમાલોમાં છે

ઉત્તરો એના મળ્યાં ના મુજને

મારું હોવું જે સવાલોમાં છે 

કેમ સમજાવું જગતને સાહિલ

કેટલાં સુખ આ  મલાલોમાં છે

……… 

5.

કયા કાળ ચોઘડિયે ઈશે ઘડ્યો છે

મને મારો અવતાર ક્યાં પરવડ્યો છે 

છે ચારે તરફ મારા બિમ્બોના ઢગલા

છતાં મારો ચહેરો મને ક્યાં જડ્યો છે 

તમે જેને માની રહ્યા છો દયાળુ

જીવનભર મને એ જ ઈશ્વર નડ્યો છે 

જીવ્યો છે જે જણ ખુદના ઘરમાં પૂરાઈ

એ ચારે દિશામાં જગતને જડ્યો છે 

લટકતું જોઈ બંધ ડેલીએ તાળું

ઉઝરડાની ઉપર ઉઝરડો પડ્યો છે 

જે  મછવાને શોધી રહ્યા છો કિનારે

એ મછવો તો દરિયાના તળિયે પડ્યો છે 

જનમથી પૂજારી અહિંસાનો સાહિલ

છતાં સત્ય માટે ખુદાથી લડ્યો છે 

નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
04/11/2023
e.mail : sahilrjt1946@gmail.com

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદ : ન બોલ્યામાં નવ ગુણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2023

રવીન્દ્ર પારેખ

આજે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનું પરિણામ છે. પ્રમુખ અને મધ્યસ્થ સમિતિનાં ચૂંટાયેલા 40 સભ્યો આજે જાહેર થઈ જશે. આ બંને ચૂંટણીમાં મતપત્રકો 5 ઓક્ટોબરે રવાના કરવા માંડેલાં ને તે અમદાવાદ કાર્યાલય પર પરત મોકલવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી. ટૂંકમાં, આ ચૂંટણી દર વખતે આશરે મહિનો ચાલે છે. એમાં મતદાન પોસ્ટથી કે કુરિયરથી થાય છે. પરિષદના સભ્યો સાડા ચાર હજારની આસપાસ હશે ને એમાંથી 1,200થી 1,250 સભ્યો જ મતદાન કરતા હોય છે. આવું મતદાન 33 ટકાથી પણ ઓછું ગણાય, તો ય આ પ્રક્રિયા લગભગ મહિનો ચાલે છે. આટલો સમય તો લોકસભાની ચૂંટણીમાં ય નથી જતો, જેમાં લાખોની સંખ્યામાં મતદારો, મતદાન મથકે જઈને મત આપતા હોય છે. પરિષદમાં લગભગ 33 ટકા મતદાન થતું હોવા છતાં, ઘણીવાર એવું બને છે કે કેટલાક સભ્યોને મતપત્રકો પહોંચતાં જ નથી, તો કેટલાકનાં મતપત્રકો કાર્યાલયમાં છેલ્લી તારીખ વીત્યા પછી પહોંચતાં હોય એમ પણ બનતું હશે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનું કોઈને જ મન થતું નથી એનું આશ્ચર્ય છે. આમ થવાનું એક કારણ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે, એ છે ને એ એક જ રહે એને માટે પરિષદનાં તંત્રોએ ઘણી મહેનત કરી છે.

પરિષદને અમદાવાદી માનસિકતા ઠીક ઠીક નડી છે. રણજિતરામ વાવાભાઈ મહેતા સૂરતના, પણ તેમણે 1905માં પરિષદની સ્થાપના અમદાવાદમાં કરી. તેમને ત્યારે ખ્યાલ નહીં હોય કે તેનું કાર્યાલય અન્ય શાખાઓમાં વિકસશે નહીં. આ લખનારે વારંવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એ માટે પ્રયત્નો કરેલા, પણ પરિષદે એ પ્રયત્નોમાં કશો ઉત્સાહ આજ સુધી દાખવ્યો નથી. અહીંથી ફરી એકવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એવી અપીલ કરવાની થાય છે. અમદાવાદને અન્ય શહેર/ગામના સભ્યો ખપે છે, પણ અન્ય શહેરમાં શાખા હોય એ ખપતું નથી. બેન્કની, હોટેલની, એલ.આઇ.સી.ની અન્ય શહેરોમાં શાખાઓ હોઈ શકે, પણ પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ન ખોલવાની માનસિકતા સમજાતી નથી. અમદાવાદમાં મુખ્ય કાર્યાલય હોય ને અન્ય શહેરોમાં શાખાઓ ખૂલે ને તે મુખ્ય કાર્યાલયને જવાબદાર હોય એવું થાય તો શું તકલીફ થાય એનો કોઈ ખુલાસો મળતો નથી.

જો અન્યત્ર પરિષદની શાખાઓ ખૂલે તો સભ્ય સંખ્યા પણ વધી શકે, જે તે શહેરમાં સાહિત્યિક, કલાકીય કાર્યક્રમો થઈ શકે, રસિકોનું ઇન્વોલ્વમેન્ટ વધી શકે, પણ કોઈક કારણોસર એ પરિષદને માફક આવતું નથી. પ્રમુખની ને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ મહિના સુધી ચાલે છે, તે થોડા જ દિવસોમાં જે તે શાખાઓ પર મતદાન કરાવીને થઈ શકે. આમ થાય તો પરિષદનું કયું અહિત થાય તે સમજવાનું અઘરું છે. બંધારણમાં ફેરફાર કરીને પણ આ અંગે ઘટતા પ્રયત્નો કરવા જેવા છે.

સાચું તો એ છે કે પરિષદનો વિકાસ થાય એવું પરિષદ જ નથી ઇચ્છતી. બહારના સભ્યો વધે તે માટે સઘન પ્રયત્નો પણ ખાસ થતા નથી. જુદા જુદા શહેરોમાંથી ચૂંટાઈને આવતા સભ્યોને પણ નવા આજીવન સભ્યો બનાવવાની જવાબદારી સોંપાય તો તેમનું ચૂંટાવું પણ લેખે લાગે. મધ્યસ્થ સમિતિ સિત્તેરથી વધુ સભ્યોની થતી હશે. આ સમિતિ ત્રણ વર્ષ માટે નક્કી થાય છે. વધારે નહીં તો દરેક સભ્યો વર્ષે દસ નવા આજીવન સભ્યો બનાવે તો ત્રણ વર્ષમાં 2,100 સભ્યો થઈ શકે. પરિષદને 118 વર્ષ થયાં, પણ સભ્યો બનાવવાની વૃત્તિ ઓછી જ રહી છે. સાડા છ કરોડ ગુજરાતીઓ છતાં, પરિષદના દસેક હજાર આજીવન સભ્યો પણ ન હોય એનો પરિષદને સંકોચ નથી. બેચાર રસ લેનાર સભ્યો, પોતાની ગરજે, જે પાંચ-પચીસ સભ્યો બનાવે છે એટલાથી બધાં રાજી છે.

ચૂંટાયેલા સભ્યોની સક્રિયતા પણ મધ્યસ્થમાં કે કારોબારીમાં હાજરી આપી છૂટવાથી વિશેષ નથી. એ હાજરી પણ રજિસ્ટરમાં સહી કરવાથી આગળ ન જતી હોય એમ બને. મોટે ભાગે તો સભામાં નતમસ્તક રહીને સભ્યો, ચા પીને કે આઇસક્રીમ ખાઈને છૂટા પડી જતા હોય છે. એ સભ્યો ‘ન બોલ્યામાં નવ ગુણ’નો મહિમા ભલે કરે, પણ ‘બોલે તેનાં બોર વેચાય’ એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે. સભ્યોની ઓછી સક્રિયતાને કારણે કેટલાંક હોદ્દેદારો પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. કેટલાક તો પરિષદને પૈતૃક સંપત્તિ સમજીને નિર્ણયો લેતા હોય છે. ખરેખર તો એ સજ્જનો જ ઈચ્છે છે કે પરિષદ અમદાવાદી પકડની બહાર જાય નહીં, જેથી એમનું વર્ચસ્વ જળવાઈ રહે. એ જ કારણે પરિષદની શાખાઓ અમદાવાદની બહાર બની શકી નથી. કેટલાંક સભ્યો ને હોદ્દેદારો ઈચ્છે છે કે પરિષદ વિકસે જ નહીં. એમને ભય છે કે પરિષદ વિકસશે તો સ્થાપિત હિતોનું વર્ચસ્વ ઘટશે ને પરિષદ પરનો કાબૂ જશે.

નવા પ્રમુખ અને નવી સમિતિ પણ જૂની ઘરેડમાં જ ચાલવાનાં હોય, તો જૂની સમિતિ ફરી ચૂંટાઈ છે એમ જ માનવાનું રહે. અફસોસ તો એ વાતનો છે કે આજીવન સભ્યોનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. એ ત્રણ વર્ષે મત આપવા જ જીવંત થતાં હોય છે, એ સિવાય એમની કોઈ ભૂમિકા જ ન હોય એવી સ્થિતિ છે. ઘણા આજીવન સભ્યોની એ ફરિયાદ છે કે એમનું મહત્ત્વ મત આપવા પૂરતું જ રહ્યું છે. એ જ કારણે ઘણા સભ્યો મતદાન કરવાથી ય દૂર રહે છે. મતદાનની ઘટતી ટકાવારીમાં આ બાબત પડી હોય તો નવાઈ નહીં.

વારુ, જે નવા આજીવન સભ્યો થાય તેમને ‘પરબ’ મળવાનું તો ચાલુ થઈ જાય છે, પણ મતાધિકાર તરત મળતો નથી. આવું એટલે છે કે કોઈ, ચૂંટણીમાં જીતવા વધારે સભ્યો બનાવીને પોતાની તરફેણમાં મત ન ઉઘરાવી લે. પહેલી વાત તો એ કે એવા સભ્યો એમને એમ નથી થતા. એ ત્રણ હજાર રૂપિયા આજીવન સભ્ય ફી ભરે છે. ધારો કે કોઈ પોતાની તરફેણમાં એવું કરે છે તો તેથી પરિષદને તો એવા સભ્યોની આજીવન ફી મળે છે. એ ફી ભરનાર કે ભરાવનાર એમ જ કોઇની ફેવરમાં મતદાન કરશે? હવે તો લોકસભામાં અભણ મતદાતાઓ પણ ભોળવાતા નથી, તો સાહિત્ય રસિક ને શિક્ષિત આજીવન સભ્ય એમ જ કોઈના નામ પર ચોકડી મારશે? ને એવી કોઈ રમત હોય તો તે જે તે સભ્યની રમત છે, એની સાથે નવા આજીવન સભ્યને શી લેવા દેવા? એને ‘પરબ’ તરત મળતું હોય તો મતાધિકાર પણ તરત જ મળવો જોઈએ. તે ન કરવું હોય તો બંધારણ એમ સુધારવું જોઈએ કે એવા આજીવન સભ્યોને મતાધિકાર મળે તે પછી જ ‘પરબ’ મળવાનું શરૂ થશે.

મધ્યસ્થ સમિતિની ચૂંટણી એ જ આજીવન સભ્યો લડી શકે છે જેણે કોઈ પત્રોમાં દસ લેખો લખ્યા હોય અથવા તો તેને નામે એકાદ પુસ્તક બોલતું હોય. આ વખતે કેટલા સભ્યો એ રીતે ચૂંટણીમાં પ્રવેશ્યા એ જવા દઇએ, તો પણ દાતા સભ્યો કે સંસ્થા સભ્યોના જે તે પ્રતિનિધિઓ મધ્યસ્થમાં ઉમેરાય છે, એમની કોઈ પાત્રતા બંધારણમાં નક્કી કરવામાં આવી નથી. કોઈ દાતા સભ્ય કશી પાત્રતા વગરના સભ્યને આગળ કરે તો તે ઈચ્છવા જેવું ખરું? જે પાત્રતા મધ્યસ્થના સભ્યની નક્કી કરી હોય એ જ અન્ય કોઈ પ્રતિનિધિત્વ કરતા સભ્યની પણ હોય એવો ફેરફાર બંધારણમાં કરવાની જરૂર છે. એવા પ્રતિનિધિઓ આજીવન સભ્ય પણ હોય એ અનિવાર્ય ગણાવું જોઈએ, ન હોય તો તરત જ આજીવન સભ્ય બનાવવાનું અનિવાર્ય બનવું જોઈએ.

મધ્યસ્થની ચૂંટણીમાં 40 મત આપવાનું અનિવાર્ય ગણાયું છે એ બાબત પણ પુનર્વિચારણાને પાત્ર છે. એવું બને કે કોઈ વખત 35 જ સભ્યો મધ્યસ્થમાં ઉમેદવારી કરે છે, તો એ આપોઆપ જ ચૂંટાયેલા જાહેર થઈ શકે કે પછી બીજા પાંચ ગમે ત્યાંથી ઊભાં કરી ચાળીસ કરવા જ પડે એવું છે? એ જ રીતે 40થી વધુ સભ્યો ચૂંટણી લડતા હોય ત્યારે ચાળીસને મત આપવાનું ફરજિયાત છે. 39 કે 41 મત અપાય તો મતપત્રક રદ્દ થાય છે. આ બાબત પણ બંધારણીય સુધારો માંગે છે. મત આપવા જો પચાસ ઉમેદવારો યોગ્ય લાગતા હોય તો તે ઓછાં કરીને 40 કરવા પડે છે, એ જ રીતે 40થી ઓછાંને જ મત આપવાનું કોઈને યોગ્ય લાગતું હોય તો તેને એ છૂટ હોવી જોઈએ. તાણીતૂંસીને ચાળીસ ચોકડી કરવામાં તો ઘણા ખોટા દાખલ પડી જવાનો ભય રહેલો છે. જેટલા સભ્યોને મત મળ્યા હોય એને સૌથી વધુ મતોથી ઓછાના ક્રમે ગણતરીમાં લઈને, પહેલાં ચાળીસને વિજેતા જાહેર કરી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાળીસને ચોકડી મરાવવાનો આગ્રહ જતો કરીને ચૂંટણીમાં વધુ યોગ્યની પસંદગીનો આગ્રહ રાખવા જેવો છે.

પરિષદનું હિત જાણીને અહીં કેટલીક વાતો કરી છે. આશા છે એને પરિષદ ને એના નવાજૂના હોદ્દેદારો એ જ રીતે લેશે –

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2023

Loading

રવીન્દ્રનાથે રાષ્ટ્રવાદને જોખમી કહ્યો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2023

રમેશ ઓઝા

રાષ્ટ્રવાદ બે પ્રકારના હોય છે એક સાત્ત્વિક અને બીજો તામસિક. આમાં તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય છે કારણ કે તેનાં પાયામાં ધર્મ, ભાષા અને વંશ જેવી ઓળખો રહેલી હોય છે. આ એક એવું રસાયણ છે જે એક જ ધર્મના એક જ ભાષાના અને એક જ વંશના લોકોને જોડી આપવાનું અને જોડી રાખવાનું કામ કરે છે. મારું અને અમારું એવો ભાવ આપણાં કરતાં વધારે પ્રબળ હોય છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદ એટલો સહજસાધ્ય નથી કારણ કે તેનાં પાયામાં સહિયારાપણાનું અને બંધારણ આધારિત નિષ્ઠા રહેલી હોય છે. એમાં આપણાંપણાનો સહિયારાપણાનો ભાવ વિકસિત કરવો પડે છે. આપણી ભૂમિમાં જે જે લોકોનો જન્મ થયો એ આ ભૂમિનાં સંતાન છે અને માટે આપણાં પોતાનાં છે.

હવે વિડંબણા એવી છે કે તામસિક રાષ્ટ્રવાદીઓ સાત્ત્વિક રાષ્ટ્રવાદની આડે વિઘ્નો પેદા કરે છે અને તેને સફળ થવા દેતા નથી એ તો ખરું, પણ તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય હોવા છતાં પણ સફળ નીવડતો નથી કે નીવડ્યો નથી. ભારતીય ઉપખંડની વાત કરીએ તો પાકિસ્તાને તેની સ્થાપના સાથે જ ઇસ્લામિક રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો, પરંતુ પૂર્વ પાકિસ્તાનને સાથે રાખી શક્યું નહીં. ૧૯૪૭માં પૂર્વ બંગાળ ઇસ્લામ ધર્મને બચાવવા ભારતથી અને પશ્વિમ બંગાળથી જુદું પડીને પાકિસ્તાનમાં જોડાયું અને ૧૯૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનથી અલગ થયું. અત્યારે બંગલાદેશમાં બંગાળી ભાષાકીય રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શ્રીલંકામાં સિંહાલા રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેને પરિણામે શ્રીલંકાની જે હાલત થઈ છે એ તમે જાણો છો. મ્યાનમાર(બર્માં)માં બૌદ્ધ રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેની હાલત પણ તમે જાણો છો. આવું જ જગત આખામાં જ્યાં જ્યાં ધર્મ, ભાષા કે વંશ આધારિત રાષ્ટ્રવાદ પ્રબળ છે ત્યાં અરાજકતા જોવા મળે છે.

આની સામે ભારતે ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી. ભારતીય રાષ્ટ્રવાદ એટલે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ. ભારતમાતાનાં પ્રત્યેક સંતાનને ભેદભાવ વિના ભારતીય તરીકે સ્વીકારવાના. એમાં બહુમતી પ્રજાની ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખો કોઈ રાજકીય પ્રભાવ ન પાડે. અહીં મેં વાપરેલો શબ્દપ્રયોગ ધ્યાનમાં રાખશો. માત્ર રાજકીય અને સત્તાકીય બાકી બહુમતી પ્રજાનો સાંસ્કૃતિક પ્રભાવ તો રહેવાનો જ.

ભારતે સર્વસમાવેશક અને અવિરોધી સાત્ત્વિક ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો એનું પરિણામ આપણી સામે છે. જો ભારતે હિન્દુ રાષ્ટ્રનો માર્ગ સ્વીકાર્યો હોત તો ભારતની હાલત અને આબરૂ પાકિસ્તાન જેવી હોત. એની થોડી ઝાંખી અત્યારે મળવા માંડી છે. વિકાસના અને સભ્ય સમાજનાં પ્રત્યેક ઇન્ડિકેટર્સમાં ભારત નીચે સરકી રહ્યું છે. સરકાર ઇન્‌કાર કરે એનો અર્થ એવો નથી કે જગતે તેનો સ્વીકાર કરી લીધો છે. એમાં કોઈ શંકા નથી કે ભારતે જે કોઈ સિદ્ધિ મેળવી છે એ સાત્ત્વિક રાષ્ટ્રવાદને કારણે. માત્ર ભારત જ નહીં જગતનાં દરેક દેશને આ વાત લાગુ પડે છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના સફળ દેશો છે અને તામસિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના નિષ્ફળ દેશો છે.

રવીન્દ્રનાથ ટાગોર

પણ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ સ્વભાવતઃ સાત્ત્વિક ન હોઈ શકે, કારણ કે તે આવિરોધી હોઈ શકે નહીં અને જ્યાં વિરોધ હોય ત્યાં સાત્ત્વિકતા સંભવ નહીં. ગાંધીજીના અસહકારનાં આંદોલનનો પણ તેમણે વિરોધ કર્યો હતો. બીજું બહુમતી કોમના અસ્મિતા આધારિત રાજકીય સરસાઈ ઇચ્છનારાઓ રાષ્ટ્રવાદની ભાવનાનો દુરુપયોગ કરશે. એ ક્યારે ય સખણા રહેશે નહીં અને સાત્ત્વિક રાષ્ટ્રવાદને અંદરથી કોરી ખાવાનો પ્રયાસ કરતા રહેશે. માટે રાષ્ટ્રવાદ ગમે તેટલો ઉપયોગી હોય, હૃદયસ્પર્શી હોય, અપીલિંગ હોય, તેને સાત્ત્વિક રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, પણ એ અંતે તો જોખમી છે. રવીન્દ્રનાથે રાષ્ટ્રવાદને જોખમી તરીકે ઓળખાવ્યો છે.

રવીન્દ્રનાથ અને મહાત્મા ગાંધી વચ્ચેની ચર્ચા ૧૯૨૦ના દાયકાની છે. એ પછી ગુરુદેવે રાષ્ટ્રવાદ વિષે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં જે વૈશ્વિક વૈચારિક ધરોહરમાં સ્થાન પામે છે. વાત એમ હતી કે સાંસ્થાનિક દેશોને તેની આઝાદી માટેની લડતમાં રાષ્ટ્રભાવનાની જરૂર હતી. એ સિવાય લોકોને જોડવા કેવી રીતે અને આંદોલિત કેવી રીતે કરવાં? બીજી બાજુ રવીન્દ્રનાથે જે ચેતવણી આપી હતી એનો પણ ડર હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આઝાદીની લડાઇમાં ભાગ નહોતો લીધો કારણ કે તેને ભારતને આઝાદ કરાવામાં રસ નહોતો, હિન્દુઓને કહેવાતા વિધર્મીઓથી આઝાદ કરવામાં રસ હતો. ભારતને આઝાદી મળ્યા પછી હિન્દુઓની આઝાદી માટે તેઓ આઝાદી પહેલાં થઈ તૈયારી કરતા હતા. આવું જ પાકિસ્તાનમાં બન્યું હતું. પાકિસ્તાનની સ્થાપના પછી પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા ઈસ્લામવાદીઓ સક્રીય થયા હતા.

એક બાજુ રાષ્ટ્રનિર્માણ માટે સાત્ત્વિક રાષ્ટ્રવાદની જરૂર અને બીજી બાજુ રવીન્દ્રનાથે ચેતવણી આપી હતી એમ રાષ્ટ્રવાદમાં તામસિકતા ઉમેરવાનો ભય. તામસિક રાષ્ટ્રવાદીઓ સતત ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ લાદવાનો પ્રયાસ કરતા રહેવાના અને એમાં તેમને સફળતા પણ મળી શકે છે. જો એમ બને તો? અને આજે એવું બની પણ રહ્યું છે. વિશ્વનો સૌથી સમૃદ્ધ, પ્રગતિશીલ અને અઢીસો વરસ જૂની લોકશાહી ધરાવતો દેશ અમેરિકા પણ તામસિક રાષ્ટ્રવાદનો શિકાર છે. જો આવું બને તો અરાજકતા અવશ્યભાવી છે અને ગમે તેવો દેશ નિષ્ફળ નીવડી શકે.

આના ઉપાયરૂપે રાષ્ટ્રવાદની હજુ એક કલ્પના વિકસિત કરાવામાં આવી જે બંધારણીય રાષ્ટ્રવાદ (constitutional nationalism) તરીકે ઓળખાય છે. જે કોઈ ઓળખ હોય એ ઘરની અંદર કે પોતાનાં સમાજ પૂરતી મર્યાદિત રાખવાની અને ઘરની બહાર એક માત્ર રાષ્ટ્રીય ઓળખ નાગરિક તરીકેની અપનાવવાની. પ્રત્યેક નાગરિકે બંધારણની મર્યાદામાં જીવવાનું. ટૂંકમાં સાત્ત્વિક હોય કે તામસિક બન્ને પ્રકારના લોકોએ બંધારણીય રાષ્ટ્રને સ્વીકારવાનું અને તેની મર્યાદામાં જીવવાનું.

 પણ શું બંધારણીય રાષ્ટ્રવાદ અભડાઈ ન શકે એવો અજેય છે? તે અકસીર છે? આની થોડી વાત હવે પછી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 નવેમ્બર 2023

Loading

...102030...910911912913...920930940...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved