Gaza Monologues – ગાઝા મોનોલોગ્સ નામનો એક હૃદયસ્પર્શી કાર્યક્રમ અમદાવાદના ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં ગઈ કાલ બુધવાર 29 નવેમ્બરની રાત્રે યોજાયો હતો. તેમાં અમદાવાદના યુવાઓ અને સંવેદનશીલ કલાકારોએ એ Monologues એટલે કે એકોક્તિઓનું ભાવવાહી પઠન કર્યું.
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે વર્ષોથી ચાલી રહેલાં પૅલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષનો ભોગ બનેલાં બાળકોનાં વીતકોને તેમાં વાચા મળી હતી.
આ કાર્યક્રમ આમ તો એક આંતરરાષ્ટ્રીય રંગમંચીય ઉપક્રમનો હિસ્સો હતો. આ ઉપક્રમ પૅલેસ્ટાઇનના વેસ્ટર્ન બૅન્કમાં આવેલાં Ramallah શહેરના Ashtar નામની પ્રગતિશીલ નાટ્યમંડળીના Gaza Monologues Project તરીકે કાર્યરત છે.
તે ગાઝાના 2010ના લોહિયાળ બનાવોનાં પગલે ચાલુ થયો હતો. પ્રોજેક્ટ શરૂ કરનાર રંગકર્મીઓએ હિંસાનો ભોગ બનેલાં કિશોર-કિશોરીઓ સાથે કાર્યશાળા યોજી, જેના ભાગ રૂપે આ એકોક્તિઓ લખાઈ.
આ પ્રોજેક્ટ અંગેની બધી માહિતી, એકોક્તિઓનોના આલેખ (scripts) અને વીડિયો https://www.gazamonologues.com/ પર મળે છે.
પૅલેસ્ટાઇનની અરેબિક ભાષામાં એકોક્તિઓ લખનારાં એવાં એકત્રીસ બાળકો છે કે જેમનો જ્ન્મ 1992થી 1997 દરમિયાનનાં વર્ષોમાં થયો હોય. એટલે 2010ના વર્ષમાં તેઓ કિશોર અને યુવા વયની વચ્ચેનાં છે, જે વ્યક્તિના શારિરીક-માનસિક ઘડતરનો મહત્ત્વનો તબક્કો છે.
જીવનમાં સંક્રમણકાળને ઉંબરેથી થયેલી, સંહારની આંતર્બાહ્ય અભિવ્યક્તિ એકોક્તિઓમાં છે. તે લખનારમાંથી કેટલાંક છે : Amnee, Fatima Abu Hashem, Sujod Abu Hussein, Yasmeen અને Rawand Ja’rour, Muhammad El Ormani, Suha Al Mamlouk, Mahmud Abu Saha, Mahmud Najem, Mahmud Afana, Yasmeen Anu Amer, Ahmad Taha…
બૉમ્બ અને રૉકેટની વર્ષાથી મરતાં માણસો તેમ જ જમીનદોસ્ત થતાં મકાનો, ધડાકા અને સાયરનોની, અછત અને ભૂખની પીડાનાં વર્ણનો છે. હૉસ્પિટલ અને પેટ્રોલપંપ, શાળા અને મેદાન, બદલાતાં રહેઠાણો અને આશરા છે, ઘરના લોકો અને દોસ્તારોથી વિખૂટાપણું છે. ખૂબ ડર, દુ:ખ, સતત ચિંતા છે. એકલતા હતાશા, પ્રતીક્ષા, નિરાશા અને નિર્લેપતા છે. ક્યાંક અસ્પષ્ટ, આદર્શવાદી સપનાં અને સારી દુનિયા માટેની આશાઓ છે.
સ્કૅપયાર્ડના પ્રયોગમાં એકોક્તિઓના 13 વાચકોમાંથી દરેકે બે એકોક્તિઓ લાગણીસભર રીતે અને પૂરી ગંભીરતાથી વાંચી. વળી વાચન પરથી એ જણાયું કે દરેક વાચક પાસે સંઘર્ષરત પરિસ્થિતિનું પોતાની રીતનું આકલન છે.
વાચકો હતાં : સ્વાતિ, ભાર્ગવ, પરીક્ષિત, પલક, અનામિકા. ઉપરાંત, આદિલે તેની એકોક્તિનો એકપાત્રી અભિનય કર્યો. પ્રીતિ દાસે વાચિક અભિનય કર્યો, મહાશ્વેતાએ એકોક્તિઓનો પોતે કરેલા સરસ અનુવાદનું પઠન કર્યું.
ચિરાગે ‘હૉસ્પિટલ’ નામની બળુકા લય અને વ્યંજનાવાળી સ્વરચિત કવિતા રજૂ કરી. મેઘશ્રીએ વિષયોચિત ગીતો ગાયાં – ઝવેરચંદ મેઘાણીનું ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા …’ અને મહારાષ્ટ્રના ચિંતક-સમાજસુધારક સાને ગુરુજીનું (નીલાબહેન જોશીએ મરાઠીમાંથી અનુવાદિત કરેલું) ‘ખરો તો એક જ છે ધર્મ જગતને પ્રેમ અર્પણનો …’
કાર્યક્રમનો શિરમોર હિસ્સો એ નેહાએ સૂઝ, મહેનત અને લાગણી સાથે કરેલું સંચાલન હતું. દરેક પઠન પહેલાં એ એકોક્તિની એકાદ વાક્યમાં વાત કરતી હતી. ઉપરાંત, કુલ 31 એકોક્તિઓમાંથી પાઠકોએ પસંદ ન કરી હોય તેવી એકોક્તિના હિસ્સા એ ભાવપૂર્વક વાંચતી હતી, તેની અંદરની અભિનેત્રી સક્રિય બની ગઈ હતી. તે અનેક વાર લાગણીશીલ બની જતી હતી, પ્રેક્ષકોમાંથી કેટલાંની આંખો પણ ભીંજાતી હતી.
નેહાએ બિલકુલ ઉચિત ભૂમિકા આપતાં કહ્યું : ‘ગાઝા મોનોલોગ્સનો આ વાચન કાર્યક્રમ પૅલેસ્ટાઇનના, ખાસ કરીને ગાઝાના યુદ્ધપીડિત લોકો સાથે એકજૂટ solidarity વ્યક્ત કરવા માટે છે. એ લોકો 2010થી સતત યુદ્ધો વેઠી રહ્યાં છે.
‘અત્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ એ 1948થી શરૂ થયેલાં બનાવોનું ભયંકર વિસ્તરણ છે. આપણે પૅલેસ્ટાઇનના લોકોને એ જણાવવા માગીએ છીએ કે અમે ભારતના એવા લોકો છીએ કે જે વિનાશક વસાહતવાદ સામેની અને લોકશાહી માટેની તમારી લડાઈમાં તમારી સાથે છીએ.
‘અહીં અમદાવાદમાં આપણી સામે માત્ર બે જ છેડા રજૂ કરવામાં આવે છે – કાં તો હમાસ, નહીં તો ઇઝરાયલ. પણ પૅલેસ્ટાઈનમાંના સહૃદયો સુધી પહોંચવાનો કોઈ રસ્તો આપણી પાસે ન હતો, અને ત્યાં તો Ashtar Theatreના ગાઝા મોનોલોગ્સ વિશે જાણવા મળ્યું.
‘આ કાર્યક્રમ દેશ અને દુનિયામાં આજના જ દિવસે એટલા માટે કરવામાં આવે છે કે યુનાઈટેડ નેશન્સે 29 નવેમ્બરને International Day of Solidarity with Palestine People તરીકે જાહેર કર્યો છે.
‘મોનોલોગ્સને અત્યાર સુધી દુનિયાના 40 દેશોના 80 શહેરોના 2,000 યુવાનોએ 18 ભાષામાં રજૂ કર્યા છે, અને આજે આ આંકડા બદલાઈ જશે. જો કે લખનારના આંકડા પણ બદલાયા છે.
‘વારંવાર થતી લડાઈમાં મોનોલોગ્સના 31 લખનારાંમાંથી 12 લાપતા છે, એક મોતને ભેટ્યો છે, એક લખનારે એના ચાર પરિવારજનો, અને બે જણે તેમનાં ઘર ગુમાવ્યાં છે.’
અમદાવાદમાં થલતેજના ફૂટલાઈટ્સ થિએટર અને મિર્ઝાપુરના કૉન્ફ્લિક્ટોરિયમમાં પણ થયો જે શહેર માટે ખુશીની વાત ગણાય. મુંબઈ તેમ જ દેશ અને દુનિયામાં પણ ગાઝા માટે પણ રંગભૂમિએ આ રીતે એકજૂટ વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.
આજે સ્ક્રૅપયાર્ડના ‘ચલ મેરે રોબો’ નાટકનો પહેલો પ્રયોગ ‘અભિવ્યક્તિ’ સાંસ્કૃતિક મંચના ઉપક્રમે છે. તેની વ્યસ્તતા વચ્ચે પણ સાવન ઝાલરિયા, કબીર અને સાથીદારોએ ટૂંકા ગાળામાં મોનોલોગ્સનું આયોજન કર્યું હતું.
ગાઝાના કિશોર-કિશોરીઓએ 2010માં લખેલા આ મોનોલોગ્સ જાણે ગયા દોઢ મહિનામાં રોજેરોજ લખાઈ રહ્યા હોય એવું લાગે છે.
સાતમી ઑક્ટોબરથી નવેસરથી શરૂ થયેલી ઇઝરાયલ-હમાસ લડાઈમાં 23 નવેમ્બર સુધીના આંકડા મુજબ 14,300 માણસો મૃત્યુ પામ્યાં છે જેમાં 6,000 થી વધુ બાળકો છે.
આ આંકડો હમાસના સંચાલન હેઠળના ગાઝા સ્વાસ્થ મંત્રાલયનો છે. બાળમૃત્યુની આ સંખ્યા ઇઝરાયલ-હમાસ યુદ્ધને બાળકો માટેનું આ સદીનું સહુથી જીવલેણ યુદ્ધ બનાવે છે.
સ્ક્રૅપયાર્ડ, ફૂટલાઇટ્સ અને કૉન્ફ્લિક્ટોરિયમ ત્રણેય જગ્યાએ ગાઝા મોનોલોગ્સ રજૂ કરનાર સહુને ધન્યવાદ.
▪ Pictures courtesy : Kabir, Neha, Bhargav and others
▪ કોલાજ માટે આભાર : નીતિન કાપૂરે
30 નવેમ્બર 2023
[725 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com