Opinion Magazine
Number of visits: 9457766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 15 

સુમન શાહ|Opinion - Opinion|16 August 2023

સુમન શાહ

‘એ.આઈ.’ અને રોબૉટિક્સ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલાં છે. “Homo Deus” -માં હરારીએ રોબૉટિક્સ અને ‘એ.આઈ.’ વિશે વિસ્તૃત નૉંધ કરી છે. બન્નેને તેઓ આપણા સમયની અત્યન્ત મહત્ત્વની ટૅક્નોલૉજિ ગણે છે. પરન્તુ તેઓ ઉમેરે છે કે વખત જતાં એ બન્ને ટૅક્નોલૉજિ મનુષ્યને ટપી જાય એટલી બધી પરિષ્કૃત – સૅફિસ્ટિકેટેડ – થઈ ગઈ હશે. એથી પોતાની મૅળે સક્રિય થઈ જાય એવાં શસ્ત્રો – ઑટોનૉમસ વેપન્સ – પેદા કરી શકાશે. એ સ્વાયત્ત શસ્ત્રો વિનાશ વેરશે. આ એક બહુ મોટી થ્રેટ, ધમકી અથવા ચેતવણી, છે. (P.149-151).

પરન્તુ હરારીએ નથી ભાળી કે નથી ચર્ચી એક બીજી થ્રેટ, જે હવે થ્રેટ પણ નથી રહી, તે છે, સૅક્સરોબૉટ્સ – મનુષ્યની જાતીય વાસનાના ‘તોષ’ માટે કામ આપતાં સ્વયંસંચાલિત મશીનો.

’એ.આઈ.’ માણસોની જેમ વિચારવા કે શીખવા માટેનાં મશીન બનાવે છે. રોબૉટિક્સ રોબૉટ્સ વિવિધ કાર્યો ઑટોનૉમસલિ કરી શકે એવાં મશીન બનાવે છે. રોબૉટને ગુજરાતીમાં સ્વયંસંચાલિત માનવ કહીશું. ‘એ.આઈ.’-ની મદદથી રોબૉટ્સ જાતે નિર્ણયો લઈ શકે છે અને તદનુસારનાં કામો કરી શકે છે; વિશેષતા એ છે કે રોબૉટ્સને અલગપણે પ્રોગ્રામ્ડ નથી કરવા પડતા. આવી સવલતને લીધે સૅક્સરોબૉટ્સ જનમ્યાં અને એક આગવા ધંધા રૂપે માનવસંસ્કૃતિમાં ગોઠવાઈ ગયાં.

‘એ.આઈ.’-પાવર્ડ અનેક વસ્તુઓ હાલમાં સ્વયંસંચાલિત છે. સૅલ્ફ ડ્રાઇવિન્ગ કાર જાતે રસ્તા નૅવિગેટ કરે છે, અવરોધો ઓળંગી જાય છે, અને રીયલ ટાઈમમાં નિર્ણયો લે છે, કેમ કે એમાં ‘એ.આઈ.’ પ્રયોજાયું હોય છે. એ જ પ્રકારે ઘરનો કચરો સાફ કરી આપતું પેલું ગોળ વૅક્યુમ-ક્લીનર પણ રોબૉટ છે, ‘એ.આઈ.’-ને પ્રતાપે એ કાર્યદક્ષ છે. એ તો ઠીક છે, બાકી રોબૉટ્સને અણધાર્યા વાતાવરણમાં અઘરાં કામો કરવાનાં હોય તો પણ એમને ‘એ.આઈ.’-થી સારી પૅઠે શિક્ષિત કરાયાં હોય છે.

રોબૉટને ‘એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સથી કમ્પ્યૂટર-વિઝન આપી શકાય છે. આજુબાજુ જોઈ શકે, તેને પામી શકે, વસ્તુઓની પરખ કરી શકે.

‘એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સ રોબૉટને એના સ્વના અનુભવથી પ્રગતિ કરતાં શીખવે છે કેમ કે એ ઑલ્ગોરીધમ્સને મશીનલર્નિન્ગ માટે પણ સુસજ્જ કરાયાં હોય છે. તેથી, વખત જતાં, એ રોબૉટ્સ જાતે જ પોતાના પરફૉર્મન્સીસ બાબતે વિકસી શકે છે.

’એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સ રોબૉટને મનુષ્યભાષા સમજતાં તેમ જ પ્રતિભાવ આપતાં પણ શીખવે છે. કેળવણી બાબતે કે કસ્ટમર-સર્વિસ કે આરોગ્યવિષયક સેવાઓ માટે એવા રોબૉટ્સ ઉપકારક પુરવાર થયા છે. રોબૉટિક સર્જ્યનો પણ પેદા થયા છે. તેઓ નાજુક અને સંકુલ વાઢકાપ એકદમની ચૉક્ક્સાઈથી કરી દે છે. પૅકિન્ગ શીપિન્ગ જેવાં વૅઅરહાઉસનાં કામો ઘણી સફાઈથી કરી દે છે. ચન્દ્ર તેમ જ વિવિધ ગ્રહોવિષયક સંશોધનો અને અવકાશસંલગ્ન ઍક્સપરિમૅન્ટ્સમાં રોબૉટ્સની મદદો લેવાય છે.

આ બધાં રોબૉટિક ટાસ્ક્સ છે પણ તેના મૂળમાં ‘એ.આઈ.’ છે.

સૅક્સરોબૉટના ઉત્પાદનને રોબૉટિક્સની આ પ્રકારની બહુમુખી સગવડનો પૂરો લાભ મળ્યો છે. મનુષ્યનાં કોઈક લક્ષણો કે કશીક વર્તણૂક કોઈ પ્રાણી કે કોઈ વસ્તુના જેવી હોય તેને ઍન્થ્રોપોમૉર્ફિઝમ કહેવાય છે. જેમ કે, ડિઝની કૅરેક્ટર્સ મિકી અને મિની માઉસ; જ્યૉર્જ ઑર્વેલની લઘુનવલ “ઍનિમલ ફાર્મ”-નાં પ્રાણીઓ કે આપણા બકોર પટેલ અને શકરી પટલાણી જેવાં મનુષ્યારોપણ પામેલાં અસ્તિત્વો એનાં ઉદાહરણો છે. પુરુષદેહ કે સ્ત્રીદેહના આકારનાં રોબૉટ્સ સૅક્સ માટેનાં ક્રીડનકો કે ઉપકરણો છે, એને એટલે જ ઍન્થ્રોપોમૉર્ફિક રોબૉટિક સૅક્સડોલ્સ કહેવાય છે. એને સૅક્સબોટ્સ પણ કહે છે.

આ ઉપકરણો, સૅક્સરોબૉટ્સ, હ્યુમનોઇડ એટલે કે મનુષ્યસદૃશ હોય છે. પુરુષસદૃશ હોય એને ‘મેલબોટ’ કહેવાય અને એની પાસે પુરુષસમ બધું જ હોય. સ્ત્રીસદૃશ હોય એને ‘ફીમેલબોટ’ કહેવાય અને એની પાસે સ્ત્રીસમ બધું જ હોય. આ ઉપકરણોના સંગે જાતીય આનન્દ મેળવતી વ્યક્તિને ‘રોબૉસૅક્સ્યુઅલ’ કહેવાય છે.

મનુષ્યસદૃશ હોવાથી એ રોબૉટ્સ પુરુષ કે સ્ત્રી કરે એવાં સર્વ હલનચલન અને વર્તન કરે છે. એમના ‘એ.આઈ.’-પ્રોગ્રામિન્ગને કારણે તેઓ બોલે, ચહેરા પર હાવભાવ પ્રગટાવે, સ્પર્શની પ્રતિક્રિયા આપે, અને સરવાળે જાતીય આનન્દ પેદા કરે.

નિષ્ણાતોએ અને નફાખોર કમ્પનીઓએ ૨૦૧૮-માં અનેક પરિષ્કૃત સૅક્સરોબૉટ્સનાં ઉત્પાદન કરેલાં. જો કે હજી લગી ફુલ્લી ઍનિમેટેડ સૅક્સરૉબૉટ નથી જનમ્યું.

હરારીને સ્વયંસંચાલિત શસ્ત્રો પેદા થવાનો ભય સતાવી રહ્યો છે એ તો બરાબર છે, પણ આ સ્વયંસંચાલિત જાતીય ઉપકરણોએ સહજ પ્રેમ અને સહજ વાસના, ક્યારેક તો બન્ને એકરૂપ, જેવાં મનુષ્યજીવનનાં નાજુક પરિબળો પર ભારે પ્રહાર કર્યો છે.

એથી સંસારમાં મોટો ઊહાપોહ મચ્યો છે; ઊહ અને અપોહ, એટલે કે, તરફેણમાં અને વિરોધમાં. તરફેણ કરનારા ધંધાદારીઓ તો છે જ પણ વાસનાભૂખી સ્ત્રીઓ છે, પુરુષો પણ છે; નિરાશ અને એકલવાયા પુરુષો છે, સ્ત્રીઓ પણ છે; સ્ટ્રેસ કે ડીપ્રેશનનો ભોગ બનેલાં દયાપાત્ર મનુષ્યજીવો છે, સ્ત્રીઓ કે પુરુષો.

૨૦૧૪-માં તરફેણમાં સર્વપ્રથમ આન્તરાષ્ટ્રીય અધિવેશન ભરાયેલું, પોર્ટુગાલના ફન્ચલમાં. શીર્ષક અપાયેલું, ‘ધ ફર્સ્ટ ઇન્ટરનેશનલ કૉન્ગ્રેસ ઑન લવ ઍન્ડ સૅક્સ વિથ રોબૉટ્‌સ’. પ્રૉફેસર આડ્રિયાન ડેવિડ ચેઓક અને પ્રૉફેસર ડેવિડ લેવિએ સંચાલન કરેલું. મુશ્કેલ છે છતાં, આ મશીની પ્રેમ અને કુદરતી પ્રેમસમ્બન્ધ વચ્ચે કેવીક ભેદરેખા દોરવી; પ્રેમ અને વાસનાનું ભવિષ્ય શું; વગેરે મુદ્દાઓ સવિશેષે ચર્ચાયેલા.

૨૦૧૫-માં પ્રૉફેસર કૅથલિન રીચાર્ડસન અને પ્રૉફેસર ઍરિક બિલિન્ગે ચળવળ ઉપાડેલી -‘કૅમ્પેઇન રીગાર્ડિન્ગ સૅક્સરોબૉટ્સ’. તેઓએ તરફેણમાં માગણી કરેલી કે સૅક્સરોબૉટના ઉત્પાદન પર પ્રતિબન્ધ મૂકવામાં આવે. એમણે જણાવેલું કે ઍન્થ્રોમૉર્ફિક સૅક્સરોબૉટ્સ મશીનોએ પોતાની સાથે માણસોને ‘નૉર્મલ’ બનાવી દીધા છે તેમ જ નારીના નિર્માનવીકરણને દૃઢ કર્યું છે.

આ ઊહાપોહ પછી આ પરત્વે નીતિવિષયક પ્રશ્નો વધારે ધ્યાનપાત્ર બન્યા છે, દુષ્પ્રભાવ વિશે તીવ્ર ચર્ચાઓ જાગી છે, તેમ જ કાયદાકીય માગણીઓ પણ જોશપૂર્વક ચાલુ થઈ ગઈ છે.

આ પરત્વે આપણે કશું કરવાની જરૂર નથી કેમ કે આપણે ત્યાં સૅક્સરોબૉટ્સ ક્યાં આવ્યા છે, એવી દલીલ થઈ શકે છે. પણ કદાચ એ સ્થિતિ જ આપણને કંઈ નહીં તો વિચાર કરવાની પ્રેરણા તો આપી જ રહી છે.

ઝૅર જોયું કે પીધું નથી પણ ઝૅર શું છે એ જાણવું ય નથી, એ પછાત માનસિકતા છે. જ્ઞાન માટેની બારીઓ ખુલ્લી રાખવામાં શું ડહાપણ નથી?

= = =

(08/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાલિકાઓના બેલી

સુરેશ જાની|Opinion - Opinion|15 August 2023

૧૫, ઓગસ્ટ નિમિત્તે આ પ્રેરક જીવન કથા –

શ્યામ સુંદર! તમારા પૌરુષથી ભરેલા રૂક્ષ ચહેરાની નીચે મહિલાઓ માટે અપાર પ્રેમ છલકાય છે! પણ કેવી મહિલાઓ માટે? ઉછરતી કળીઓ જેવી, આવતીકાલની મહિલાઓ માટે જ તો! તમે નાના હતા ત્યારે તમને તમારી બહેનો સાથે રમવાનું વધારે પસંદ હતું. પાંચિકાઓ ઉછાળવા અને દોરડાં કૂદવા જેવી છોકરીઓની રમતો તમને વધારે પસંદ આવતી હતી. બધાં તમારી મશ્કરી કરતાં કે ‘આ તો છોકરી થતાં થતાં છોકરો બની ગયો છે!’ તમારા બાળક મનમાં એ વખતે પણ સંશય પેદા થતો હતો કે, ‘ગામમાં છોકરીઓની સંખ્યા કેમ બહુ ઓછી રહે છે?’

યુવાનીનો દોર ફૂટવા છતાં, લાખોમાં કોઈકને જ હોય, તેવી તમારી એ લાક્ષણિક વૃત્તિ તો ચાલુ જ રહી. પણ હવે એમાં સમાજની કુરૂપતાઓની સમજ પૂરેપૂરી ઉમેરાઈ ગઈ હતી. તમને બહુ ગમતી હતી એવી, ગરીબ ઘરની મનજિત (* કાલ્પનિક પાત્ર) જ્યારે પરણીને સાસરે ગઈ; ત્યારે એનાથી વિખૂટા પડવાના દર્દ કરતાં વધારે દર્દ તમને એનાં માવતરને ચૂકવવા પડેલા દહેજના બોજને કારણે થયું હતું. કન્યાવિદાય વખતની રોક્કળની પાર્શ્વભૂમિકામાં, માંડ પેટિયું રળી ખાતા, એ કુટુમ્બે શી રીતે એ કમરતોડ જફા વ્હોરી હશે, એની વ્યથા તમારા ચિત્તને કોરતી જ રહી, કોરતી જ રહી. હવે તો તમને ખબર પણ પડી ગઈ હતી કે, ગામમાં છોકરીઓની સંખ્યા કેમ ઓછી હતી? ‘કઈ અકુદરતી રસમોનાં કારણે આમ થતું હતું?’ – એ તમે હવે સમજવા લાગ્યા હતા.

બાલિકાઓના પ્રેમી, ઓ શ્યામસુંદર! માનાં પેટમાંથી જ સમાજના કુરિવાજોની વેદી પર વધેરી દેવામાં આવતી બાલિકા ભૃણોની અને દૂધપીતી કરી દેવામાં આવતી નવજાત બાળકીઓની બહાર ન સંભળાતી ચીસ હવે તમને સંભળાવા લાગી હતી. મારવાડી સમાજના આ કુરિવાજો સામે લડત આપવા તમારું અસલી રાજસ્થાની ખમીર ઊછળવા લાગ્યું હતું. કોઈક સુભગ પળે તમારા ચિત્તમાં આ આક્રોશને વાચા આપતો સંકલ્પ પ્રગટ્યો. તમે એ જ ઘડીએ એક નિર્ધાર કર્યો.

‘આ કુરિવાજો સામે હું મારા શૂરવીર બાપદાદાઓની જેમ લડત આપીશ – ભલે એ મનની તલવાર હોય!’

છોકરીઓ અને એમનાં ગરીબ માબાપ માટેની આ કૂણી લાગણીની સાથે સાથે નષ્ટ થઈ રહેલી વનરાજિ માટેની વ્યથા પણ તમારા ચિત્તને કોરી ખાતી હતી. તમે નાના હતા ત્યારે આંબળી પિપળી રમતા હતા તે ઘટાદાર, લીલાંછમ વૃક્ષો કપાઈ ગયાં હતાં. ગામની ભાગોળે જંગલી તેમ જ ઉપયોગી ઝાડવાંઓ પણ મરણ શરણ થઈ ગયાં હતાં. લીલોતરીના પ્રેમી એવા તમારા દિલમાં એ સૂકો વગડો કુહાડીની ધારની જેમ આઘાત કર્યા કરતો હતો.

શ્યામ સુંદર પાલીવાલ! ૨૦૦૬ની સાલમાં તમને જેમાં અખૂટ શ્રદ્ધા હતી તેવી તમારી કૂળદેવીની કૃપા તમારા એ નિર્ધારના અમલીકરણ માટે વરસી. પિપલાન્ત્રી ગામના સરપંચ તરીકે તમે ચુંટાઈ આવ્યા. ગામના પંચની પહેલી સભામાં જ તમારા જિન્સમાં ધરબાઈને પડેલી વેપારી કુનેહ અને ચિત્તમાં સતત ઘુમરાઈ રહેલા આ આક્રોશના બળે તમે એક પ્રસ્તાવ પંચના સભ્યો સમક્ષ મૂક્યો, ‘દરેક બાલિકાના જ્ન્મને વધાવી લેવા આપણે ગ્રામજનોને પ્રેરીએ, મદદ કરીએ તો?’ અમુક અપવાદો સિવાય મોટા ભાગના સભ્યોએ તમારા સૂચનને ટેકો આપ્યો. એ જ દિવસે ઠરાવ કરવામાં આવ્યો કે, ‘જન્મ લેતી દરેક બાલિકાના નામે તેનાં કુટુમ્બીજનો ૧૧૧ વૃક્ષો રોપશે. પંચાયત એમને જાળવી રાખશે. બાલિકા યુવતી બને અને તેનાં વિવાહ થાય તે વખતે આ વૃક્ષો કાપીને એમાંથી થતી આવક એનાં માબાપને આપવામાં આવશે. આ ધરતી પર પગ મુકનાર એ લક્ષ્મીના આગમનને આમ સત્કારી લેવામાં આવશે.’

આમ પણ રાજસમંદ જિલ્લાનું પિપલાન્ત્રી ગામ સરકારની સારી સારી યોજનાઓના અમલીકરણમાં સક્રીય ભાગ લેવા માટે પ્રખ્યાત હતું જ. આ ઠરાવે આખા જિલ્લામાં પિપલાન્ત્રી ગામની શાખ વધારે ઊંચી કરી દીધી. શ્યામસુંદર! આટલું કરીને અટકી જાય એ પાલીવાલનો બચ્ચો નહીં ને? તમે તો આજુબાજુના ગામો પણ આવી યોજનાઓ કરે તેમ સમજાવવા અવિરત પ્રયત્નો કરતા રહ્યા.

‘ભામાશા યોજના’ પણ તમે આમ જ શરૂ કરી દીધી ને? જન્મ લેનાર છોકરીના નામે બેન્કમાં ખાતું ખોલાવવાનું અને તેમાં દાન આપનાર ભામાશાઓ તેમ જ બાલિકાનાં માબાપ જોગવાઈ થાય તેમ રકમ જમા કરાવતા રહે. જ્યાં સુધી એ કન્યા પુખ્ત વયની ના થાય, ત્યાં સુધી એમાંથી રકમ ઊપાડી ન શકાય. આમાંથી જ તેનાં લગ્ન માટે દહેજની રકમ મળી જાય. ભામાશા કાર્ડ પણ બાળકીની માતાનાં નામે જ તો. અન્ના હજારેના વિચારો મુજબ, અને તમારી સ્વ. દીકરી કિરણના નામને ચિરંજીવ કરતી ‘કિરણ નિધિ યોજના’ પણ બધાંને સાથે રાખીને કામ કરવાની તમારી કુનેહના પ્રતાપે જ શરૂ થઈ ગઈ ને? આ યોજના હેઠળ, જન્મ લેનાર બાળકીના નામે પંચાયતમાં ફિક્સ ડિપોઝિટ રાખવાની શરૂઆત પિપલાન્ત્રી ગામે કરી દીધી.

શ્યામ સુંદર પાલીવાલ! આવી જડબેસલાક યોજનાઓ તો તમારા વેપારી પણ નવજાત બાલિકા જેવા કોમળ દિમાગમાંથી જ નીકળી શકે ને?!

નોંધ –

જયપુરથી ૩૫૦ માઈલ દક્ષિણે અને ઉદયપુરથી ૬૭ માઈલ ઉત્તરે આવેલ રાજસમંદ જિલ્લો આમ તો રળિયામણો છે. પણ જયપુર, જોધપુર, કોટા વિ, શહેરોના હસ્ત કારીગીરી ગૃહોદ્યોગ અને આજુબાજુમાંથી નીકળતા આરસપહાણની ખાણોને કારણે એની વનસંપદા સતત ઘટતી રહી છે.

૨૦૦૬ની સાલમાં, પિપલાન્ત્રી ગામના તે વખતના સરપંચ, શ્યામ સુંદર પાલીવાલે શરૂ કરેલ આ બધી યોજનાનોના પ્રતાપે, એક વખત ઉજ્જડ બની ગયેલ ગામના વગડામાં હાલ લીમડો, આંબો, આમળાં અને સીસમનાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. આ વૃક્ષોમાં ઉધાઈ અને બીજો સડો ન લાગે તે માટે, આજુબાજુ કુંવારપાઠાનાં ૨૫ લાખ છોડ પણ ઊગાડવામાં આવ્યાં છે. સૌંદર્ય પ્રસાધન કરતી બનાવટોમાં આના થતા ઉપયોગથી ગામને ઘણી મોટી આવક ઊભી થઈ ગઈ છે.

તેમને ઘણા બધા એવોર્ડ આ માટે મળ્યા છે – જેની ચરમસીમા રૂપે તેમને ૨૦૨૧ની સાલમાં ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

સંદર્ભ –

http://www.thebetterindia.com/73393/piplantri-rajasthan-girl-child-planting-trees/

https://en.wikipedia.org/wiki/Piplantri

https://starsunfolded.com/shyam-sunder-paliwal/

e.mail : surpad2017@gmail.com

Loading

પાટણ (યુનિવર્સિટી)ની પ્રભુતા ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

સોલંકી કાળની ભારતપ્રતિષ્ઠ રાજધાની પાટણમાં વિરાજતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવામાં આવે એવા સંજોગો વચ્ચે કંઈક ક્ષુબ્ધ, કંઈક સચિંત બે શબ્દો પાડવાપણું લાગે છે.

કોઈક છેડેથી વિરોધ દર્જ થાય અને પાઠ્યસામગ્રીનો કોઈક અંશ પડતો મૂકવામાં આવે એવા પ્રસંગોની જો કે નવાઈ નથી. આ લખી રહ્યો છું ત્યારે સહેજે સામે આવતાં દૃષ્ટાંત ‘નર્મદનો જમાનો’ (વિશ્વનાથ ભટ્ટ), ‘ખેમી’ (રામનારાયણ વિશ્વનાથ પાઠક) અને ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ (ઉમાશંકર જોશી) જેવાં છે. અહીં પ્રસંગોપાત કોઈ ઉલ્લેખ થઈ જાય તો ભલે પણ એ બધાંની તપસીલમાં સિલસિલાબંધ જવાનો તત્કાલ ખયાલ નથી.

સીધો પ્રભુતા પ્રશ્ને જ આવું. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જ જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. સ્વાભાવિક જ, વાસ્તવમાં આવું કાંઈ હોય તો એ અંગે અમૂઝણ અસ્થાને પણ ન ગણાય. પણ ‘પાટણની પ્રભુતા’ના રસિક ને વિદગ્ધ વાચકો વિનયભેર વળતું પૂછી શકે કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં. જે રીતે મૂળ પ્રશ્ન ઉઠાવાયો છે એમાં રહેલી વાગ્મિતાની લગાર કળ વળે પછી કહેવાનું થાય કે ભાઈ, એક જૈન જતિ અહીં જરૂર છે. આનંદસૂરિ. આ યુનિવર્સિટી સાથે જેનું નામ જોડાયું છે તે મહાપુરુષ એ તો નથી.

જો કે, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ વળી વાતને જુદો જ વળ અને આમળો આપ્યો છે. તમે એને ‘ગુગલી’ કહીને કદર પણ કરી શકો. એમણે કહ્યું છે કે આ જતિ સ્તો પરોક્ષ રૂપે હેમચંદ્રાચાર્ય છે. સર્જકને જે ખબર નથી તે આપણને હોય એ મુદ્દો અલબત્ત કાબિલે તપાસ ગણાય. વસ્તુતઃ સાદો હિસાબ છે કે મુનશીને અભિપ્રેત બે અલગ પાત્ર છે. આગળ ચાલતાં આપણે સૂરિ ઉપરાંત આચાર્યને પણ મળીએ છીએ તે જોતાં આ એક સ્વતઃ સ્ફુટ વિગત છે.

આ વિવાદના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્યના સાર્વજનિક ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની કહેવાય એવી સામગ્રી, એમની સાંસ્કૃતિક-સાહિત્યિક અભિરુચિથી ગુજરાતના સારસ્વત મંડળમાં પ્રિય ને આદરણીય થઈ પડેલા આચાર્ય વિજયશીલચંદ્રસૂરિના સદ્ભાવી માર્ગદર્શન હેઠળ ભાઈ અતુલ કાપડિયા તરફથી મળી છે એની સાભાર નોંધ લઈ તે સંદર્ભમાં એક બે મુદ્દા કરવાની રજા લઉં છું. ‘જૈન ગૂર્જર કવિઓ’ સરખું મહાભારત કામ જેમને નામે ઇતિહાસજમે છે તે મોહનલાલ દલીચંદ દેસાઈના લેખસંચયમાંથી હાલની ચર્ચામાં પ્રસ્તુત જણાય તેવી સામગ્રી એ છે. 

સમગ્ર સામગ્રીમાંથી પસાર થયા પછી ટૂંકસારરૂપે કહું તો આનંદસૂરિનું પાત્રચિત્રણ જે પ્રકારે થયું છે, એક ધર્મઝનૂની તરીકે, તે જૈનધર્મદ્વેષી નિરૂપણ છે એવી પ્રતિક્રિયા ‘ઘનશ્યામ’ એ ઉપનામથી ‘પાટણની પ્રભુતા’ પ્રગટ થઈ ત્યારે જાગી હતી. તે પછી, ત્રયી ભણી આગળ ચાલતાં હેમચંદ્રાચાર્યનું પાત્ર આવ્યું જેમાં આનંદસૂરિને મુકાબલે એક સમાજહિતૈષી શુચિતામંડિત સાધુતાની ગુંજાશ હતી. પણ એક નાજુક ક્ષણે હેમચંદ્રાચાર્યે મંજરી પરત્વે વિકાર અનુભવ્યો હતો એવો વાર્તાસંકેત આપી મુનશી પોતાનો દ્વેષભાવ પ્રગટ કર્યા વિના રહી શક્યા નથી એવો પ્રતિભાવ.

આમ તો, ‘પાટણની પ્રભુતા’માં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં, એવો વળતી વાગ્મિતા સાથેનો સવાલ ઉઠાવી આખી વાતને પૂરી થયેલી જાહેર કરી શકાય. પણ, તેમ છતાં, આનંદસૂરિની વાત નીકળી જ છે તો કહેવું જોઈએ કે આ કિસ્સામાં જૈન પાત્ર જરૂર છે પણ એના પાત્રાંકનમાંથી ફોરતો મુદ્દો ધર્મદ્વેષી નથી, ધર્મઝનૂની રાજનીતિ ઇષ્ટ નથી એ છે. સુદૂરથી યવનો ત્રાટકી રહ્યા છે ત્યારે પ્રતિકાર વાસ્તે રાજવટને જૈનધર્મઝનૂનનું અફીણ પાવું જોઈએ એવી સૂરિની થીયરી છે. જો ધર્મઝનૂની રાજનીતિનો ઇસ્લામી રવૈયો ખોટો છે તો વળતો રવૈયો પણ ખોટો છે, તે મુનશીનું પ્રતિપાદન છે.

હેમચંદ્રાચાર્યની પ્રતિભા વિશે તો હૈમસારસ્વત સત્ર જેવું અનેરું આયોજન કરનાર મુનશી અનભિજ્ઞ ન જ હોય. માત્ર, એ માણસ જેવા માણસ છે અને એમાંથી ઊંચે ઊઠતાં અહીં પહોંચી એક પ્રતિમાનરૂપ જીવન જીવ્યા છે તેનું, તેમના વિકાસક્રમનું, એક ઇંગિત એમણે મંજરી સંદર્ભે ક્ષણવિક્ષણ પૂરતું મૂક્યું એ આચાર્યની અવમાનના નથી. એમના વિશેષને નિઃશેષ પ્રગટાવી શકે એવી સામગ્રી એ અવશ્ય છે. આનંદસૂરિ સાથે સરખાવતાં સમજાતો સૂચિતાર્થ કહો, મથિતાર્થ કહો કે નિહિતાર્થ, અહીં અલબત્ત એ છે કે ધર્મવિવેકપૂર્વક પણ ધર્મઝનૂન વગર હેમચંદ્રાચાર્ય સરખી પ્રતિભા તત્કાલીન રાજશાસનના પ્રભાવ ને પરિશોધનમાં કેવું નિરામય બળ પ્રેરી શકે છે.

અઢાર વરસે મતાધિકારનાં આ વરસોમાં, છાત્રો પાસે પુખ્ત અભિગમ કેળવી શકતી સામગ્રી પાઠ્યક્રમમાં કેમ ન મૂકી શકાય? અધ્યાપકો પાસે પણ ચોક્કસ સજ્જતા અપેક્ષિત છે જ. ખરું જોતાં પાઠ્યક્રમમાંથી કશુંક કાઢી નાખવાની કે એવી હિલચાલ થાય ત્યારે જે તે દાબજૂથની વગ કે ધાક અગર વહીવટકારોની આઘાપાછીવશ સમજૂતી, એ સ્વસ્થ શૈક્ષણિક અભિગમ નથી. યુનિવર્સિટીના શૈક્ષણિક ને સત્તામંડળોએ તેમ સરકારે ધોરાજી ચલાવવાની ન હોય. લેખક, અધ્યાપક, સમાજહિતૈષી સહૃદય મંડળી, યુનિવર્સિટી તંત્ર, સરકાર, આ બધાં વચ્ચે વિચારવિનિમય થકી ચોક્કસ સમજ અને નિર્ણય પર આવવું જોઈએ. નિર્ણયપ્રક્રિયાનું ખાનગીકરણ કે સરકારીકરણ કશું ઇષ્ટ નથી. એન.ઇ.પી. એન.ઇ.પી. કહીને દિવસરાત કૂટ્યા કરીએ છીએ એમાં આટલી સમજનિર્માણ અને સમાજનિર્માણની સૂધબૂધ ન હોય એવું કેમ સ્વીકારી શકાય? અને સહૃદયતાની કેળવણી પણ નહીં? વિચારીએ, અને પાટણ યુનિવર્સિટીની પ્રભુતા કાયમ કરીએ.

(પ્રગટ : “પરબ”; ઑગસ્ટ 2023)
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...890891892893...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved